Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

હરણી એરપોર્ટ વડોદરા ખાતે ઈન્ટીગ્રેટેડ ટર્મિનલના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીનું પ્રવચન

હરણી એરપોર્ટ વડોદરા ખાતે ઈન્ટીગ્રેટેડ ટર્મિનલના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીનું પ્રવચન


મંચ પર બિરાજમાન ગુજરાતના ગવર્નર શ્રીમાન ઓમપ્રકાશ કોહલીજી, ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણીજી, નાયબ મુખ્યપ્રધાન શ્રી નિતીનભાઈ પટેલ, કેન્દ્રના પ્રધાનમંડળના મારા સાથી શ્રીમાન અશોક ગજપતિ રાજુજી, જયંત સિંહાજી, અહીંના સાંસદ શ્રીમતિ રંજનબેન, આ વિસ્તારના ધારાસભ્ય મનિષાબેન, રાજ્ય સરકારના મંત્રી શ્રીમાન રાજેન્દ્રજી, વિભાગના સચિવ આર.એન. ચોબેજી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ ડો. ગુરૂપ્રસાદ મહાપાત્ર, ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો.

2014ના મે માસમાં પ્રધાનમંત્રીની કામગીરી માટે આપ સૌએ મને જવાબદારી સોંપી હતી. તે પછી થોડા સમયમાં બે એવા મહત્વનાં કામ હતા, જે આપણે કર્યા. એમાં એક કામ હતુ, જેના માટે ગુજરાત પાંચ દાયકાથી પ્રતિક્ષા કરી રહ્યું, હતું, સંઘર્ષ કરી રહ્યું હતું અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું હતું અને એ કામ હતું- સરદાર સરોવરની ઊંચાઈ વધારવાનું.

સરકારમાં આવતાંની સાથે શરૂઆતના દિવસોમાં મેં જે કામો પહેલા કર્યા તેમાં એક હતું સરદાર પટેલના નામે બનેલી સરદાર સરોવર યોજનાની ઊંચાઈ વધારવાના કામ માટે મંજૂરી આપવાનું અને હું ગુજરાત સરકારને અભિનંદન આપું છું જે ઝડપથી આ કામને આગળ વધારી રહી છે. મને વિશ્વાસ છે કે નિર્ધારિત સમય મર્યાદા પહેલાં ગુજરાત સરકાર આ કામને પૂર્ણ કરશે.

બીજુ કામ, એરપોર્ટના નિર્માણનું હતું. આ કામ પણ વર્ષ 2014ના જૂન-જુલાઈમાં શરૂ કરવામાં આવ્યું હતું અને આજે ભારતમાં જે કેટલાક ગણના પામતા એરપોર્ટનો ઉલ્લેખ થાય તેમાં વડોદરાનો પણ ઉલ્લેખ થશે.

આજકાલ ભારત સરકાર બાંધકામના ક્ષેત્રમાં જે કોઈ કામ કરે છે તેમાં એક વાત ઉપર ભાર મૂકવામાં આવે છે અને તે છે પર્યાવરણને તે કામ સાનુકૂળ હોવું જોઈએ અને ઈકો-સિસ્ટમનો ખ્યાલ રાખવામાં આવ્યો હોય. મને આનંદ છે કે ભારતમાં નવી સરકાર બન્યા પછી એરપોર્ટ એક રીતે હરીત આંદોલનનો હિસ્સો બન્યું છે. એક એરપોર્ટનું ઉદ્દઘાટન કેરળના કોચી ખાતે કરવામાં આવ્યું હતું અને આજે વડોદરા એરપોર્ટ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી રહ્યું છે.

આ ટર્મિનલ કચરામાંથી એવી ઊર્જા પેદા કરશે કે જે પર્યાવરણ માટે સાનુકૂળ હોય. જ્યારે પણ આ પ્રકારની પ્રતિષ્ઠિત ઈમારતો તૈયાર કરાય છે ત્યારે સામાન્ય જનતાનો ઉત્સાહ પણ આ પ્રકારનું કામ જોઈને વધતો હોય છે. સામાન્ય રીતે શરૂઆતમાં ચીજો ઘણી મોંઘી હોય છે, પરંતુ એક વખત સરકાર હસ્તક્ષેપ કરે અને પ્રારંભ કરે તો સામાન્ય નાગરિક માટે તે ઓછા ખર્ચે તૈયાર થાય છે.

એક સમય હતો કે જ્યારે કોલસાથી ચાલતી વિજળીના કારખાનાની આજુબાજુ રાખના ઢગલા થતા હતા. વિજળીના કારખાના કરતાં મોટો ઢગલો કોયલાની રાખનો થતો હતો અને રાખ ઉપાડવા માટે પૈસા આપવા પડતા હતા. આસપાસમાં વસતા લોકો બૂમો પાડતા હતા કે એને હટાવો નહીં તો અમે મરી જઈશું. આ ટર્મિનલના ભવનમાં જે ઈંટોનો ઉપયોગ કરાયો છે તે કોયલાની રાખમાંથી બનેલી છે. તેનાથી મજબૂતી પણ મળે છે અને જે કચરો હટાવવામાં ખર્ચ કરવો પડતો હતો તેને ઉપયોગમાં લેવાયો છે અને પર્યાવરણની પણ રક્ષા થઈ છે.

ભારતમાં ઉડ્ડયન ક્ષેત્ર ખૂબ ઝડપથી આગળ વધી રહ્યુ છે. એનો વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. હવે મધ્યમ વર્ગના પરિવારો પણ હવાઈ યાત્રાનું મન ધરાવતા થયા છે. તેમને ટ્રેનમાં જવું સારૂ લાગતું નથી. સગા-વ્હાલાં પૂછશે કે શું ટ્રેનમાં આવ્યા? તો એમને એવું લાગે છે કે આપણે હવાઈ જહાજમાં જવું જોઈએ. આ બાબત આપણાં દેશમા હવે પ્રતિષ્ઠા સાથે જોડાઈ ગઈ છે.

એક એવી ધારણા છે કે ભારતના વિમાન મથકો પર પાંચ વર્ષની અંદર એવી સ્થિતિ થશે કે અમેરિકાની જેટલી સંખ્યા છે તેટલા લોકો આપણાં દેશમાં વર્ષમાં વિમાન મથકો પર આવતા થયા હશે, એટલે કે તમે કલ્પના કરી શકો છો કે હવાઈ ક્ષેત્ર કેટલુ આગળ વધવાનું છે. ભારત કદાચ ખૂબ જ નજીકના ભવિષ્યમાં દુનિયાનો ત્રીજા નંબરનો દેશ બનશે કે જે એરપોર્ટ એકટીવિટીના ધોરણોમાં ખરો ઉતરશે. તેનાથી રોજગારીની શક્યતાઓ વધશે અને આર્થિક તથા વેપારની બાબતોને ગતિ મળશે.

દેશ આઝાદ થયા પછી પહેલીવાર આ સરકારે અલગ ઉડ્ડયન નીતિ બનાવી છે. આપણા દેશમાં વિમાન ઉડતા હતા, એરપોર્ટ બનતા હતા, વિમાનોની ખરીદી અને વેચાણ થતા હતા, પરંતુ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની કોઈ નીતિ ન હતી. આ માટે પાંચ વર્ષમાં કેટલે પહોંચવાનું છે, દસ વર્ષમાં કેટલે પહોંચવાનું છે અને સામાન્ય માનવીની જરૂરિયાતો માટે શુ કરવાનું છે તેનો કોઈ દ્રષ્ટિકોણ અગાઉ ન હતો. ચાલતુ હતુ તેમ ચાલતું હતું, દોડતું હતું તેમ દોડતું હતુ અને અટકતું હતું ત્યારે અટકી જતું હતું.

આ દેશ બહુ વિશાળ છે. 80 કે 100 વિમાન મથકો દ્વારા આપણે દેશ ચલાવવાનું વિચારીએ છીએ ત્યારે દેશની વિકાસ યાત્રામાં અવરોધ ઉભો કરીએ છીએ. બીજા વર્ગ અને ત્રીજા વર્ગના શહેરોમાં કેટલીક સંભાવનાઓ હોય છે, જેટલી ઉપરના વર્ગના શહેરોમાં હોય છે. જો આ બધાંને ઉડ્ડયન ક્ષેત્રનો લાભ મળે તો દેશના વિકાસમાં નવા પરિમાણો ખૂલી શકે તેમ છે અને તેને પ્રોત્સાહિત કરવા માટે 500 કી.મી.ની ગણતરીથી રૂ.2500ની ટિકિટ રાખવાનું વિચારાયું છે, જેથી દૂર-સુદૂર નાગાલેન્ડ જવું હોય કે અરૂણાચલ કે મિઝોરમ કે આંદામાન-નિકોબાર કે લક્ષદીપ જવું હોય. કોઈને કચ્છ જવું હોય કે કોઈને ભાવનગર-જૂનાગઢ જવું હોય. એવા ક્ષેત્રો છે કે જ્યાં ટ્રાફિક મળતો નથી અને જૂના સમયની હવાઈપટ્ટીઓ (રન-વે) બનાવેલા પડ્યા છે. આથી મોટાપાયે આ વિસ્તારો માટે કામ થઈ રહ્યું છે અને ખાનગી-જાહેર ભાગીદારીના મોડલ પર કામ થવાનું છે.

આજે દુનિયા જે પ્રકારની છે તેમાં કનેક્ટિવીટીનું ઘણું મહત્વ છે. ભૌતિક કનેક્ટિવીટી પણ જોઈએ અને ડીજીટલ કનેક્ટિવીટી પણ જોઈએ. જો હાઈવે જોઈએ તો આઈવે પણ જોઈએ. સૂચના તરંગોની પણ જરૂરિયાત છે. આ રીતે વિમાની અવર-જવરની પણ એટલી જ જરૂર છે. પ્રવાસન ક્ષેત્રેને પણ આજે ઉડ્ડયન સેવાની ઘણી જરૂર પડે છે.

ભારતમાં પ્રવાસન ક્ષેત્રની પ્રગતિ ઝડપભેર થઈ રહી છે. સંભાવનાઓ અપાર છે. આપણે જો તેમને તે સ્થળે જવાની સુવિધા આપીએ તો તે બે-ત્રણ દિવસ વધુ રોકાશે, વધુ રોકાશે તો વધુ ખર્ચ કરશે અને ત્યાંની અર્થવ્યવસ્થાને તે કારણે બળ મળશે. તો, આ કારણે પણ હવાઈ માર્ગે અવર-જવરથી અનેક પ્રકારની આર્થિક અસરો ઉભી થાય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વર્તમાન સરકારે ઉડ્ડયન ક્ષેત્રનો વિકાસ કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

વડોદરાવાસીઓને આજે એક નવું નજરાણું મળી રહ્યું છે. મને વિશ્વાસ છે કે વડોદરાની એક પોતાની ઓળખ તો છે જ, આ ઓળખમાં ચાર ચાંદ લગાવવાનું કામ આ વ્યવસ્થા કરશે.

વડોદરાને એક સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે વડોદરા શિક્ષણનું પણ મથક છે. ટેકનિકલ શિક્ષણમાં વડોદરાએ પોતાનું એક આગવું સ્થાન ઉભુ કર્યુ છે. વડોદરા અને વિદ્યાનગરમાં આ દિશામાં ઘણું કામ થયું છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે, જેની અસર આવનારી સદીમાં પડવાની છે. 100 વર્ષ સુધી જેનો પ્રભાવ વર્તાય એવો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અને એ નિર્ણય છે, વડોદરામાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી બનાવવાનો.

સમગ્ર વિશ્વ રેલવેના ક્ષેત્રમાં 100 નંબરે પહોંચ્યું હોય તો હિંદુસ્તાન 10મા નંબરે ઉભુ છે. આજે પણ આપણાં ડબ્બા, તેની ગતિ અને ઝંડી ફરકાવવા વાળા એવા ને એવા જ છે. દુનિયા બદલાઈ ચૂકી છે. ઘણાં આધુનિક પ્રયોગો થયા છે. પુરાણી રેલવે છે, પણ તેને આધુનિક, ટેકનિકલ અને નવતર પ્રયોગો દ્વારા ભારતની જરૂરિયાત મુજબ બદલી શકાય તેમ છે. આ કામને અગ્રતા આપવા માટે ભારત સરકારે અને ભારતીય રેલવેએ વડોદરાને પસંદ કર્યું છે.

આ વર્ષે રેલવે યુનિવર્સિટી કે જે ભારતની પહેલી યુનિવર્સિટી છે કે જે વડોદરા નગરીમાં બનવાની છે. આથી તમે કલ્પના કરી શકો તેમ છો કે વડોદરા દેશના માટે કેટલું મોટું યોગદાન આપવાનું છે.

આજે તમે મને મળવાની તક આપી તે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. આટલી મોટી સંખ્યામાં આવી આપે મને આશિર્વાદ પણ આપ્યા છે.

J.Khunt/GP