Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

‘મન કી બાત’ના 133મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (26.04.2026)


મારા પ્રિય દેશવાસીઓ,

નમસ્કાર. મન કી બાતના એક વધુ પ્રકરણમાં તમારા બધા સાથે જોડાઈને પ્રસન્નતા થઈ રહી છે. આ તરફ, વચ્ચે, ચૂંટણીની ભાગદોડ થઈ રહી છે, પરંતુ આપના પત્રો અને સંદેશાઓના માધ્યમથી આપણે દેશ અને દેશવાસીઓની ઉપલબ્ધિઓ પર એકબીજા સાથે પોતાના આનંદને વહેંચ્યો પણ છે. આ વખતે મન કી બાતની શરૂઆત દેશની એક આવી જ બહુ મોટી ઉપલબ્ધિ સાથે કરીએ છીએ.

સાથીઓ,

ભારતે વિજ્ઞાનને સદૈવ દેશની પ્રગતિ સાથે જોડીને જોયું છે. આ વિચારસરણી સાથે આપણા વૈજ્ઞાનિકો નાગરિક પરમાણુ કાર્યક્રમને આગળ વધારી રહ્યા છે. તેમના પ્રયાસોથી આ કાર્યક્રમ રાષ્ટ્ર નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. તેનાથી આપણા ઔદ્યોગિક વિકાસને, ઊર્જા ક્ષેત્રને, સવાસ્થ સંભાળ ક્ષેત્રને  મોટો લાભ પ્રાપ્ત થયો છે. ખેતીવાડી થી લઈ ને આધુનિક ઇન્નૉવેટરને પણ ભારતના નાગરિક પરમાણુ કાર્યક્રમે બહુ મદદ કરી છે. સાથીઓ, કેટલાક દિવસ પહેલાં જ, આપણા પરમાણુ વૈજ્ઞાનિકે એક વધુ મોટી ઉપલબ્ધિથી ભારતનું ગૌરવ વધાર્યું છે. તમિળનાડુના કલપક્કમમાં ફાસ્ટ બ્રીડર રિએક્ટરે ક્રિટિકાલિટી પ્રાપ્ત કરી લીધી છે. વાસ્તવમાં, ક્રિટિકાલિટી એ તબક્કો છે જેમાં ભઠ્ઠી પહેલી વાર સ્વયં ટકાઉ પરમાણુ શ્રૃંખલા પ્રતિક્રિયા માં સફળતા પ્રાપ્ત કરી લે છે. આ તબક્કાનો અર્થ છે ભઠ્ઠીનું કાર્ય તબક્કામાં પહોંચવું. ભારતની પરમાણુ ઊર્જા યાત્રામાં આ એક ઐતિહાસિક સીમાચિહ્ન છે. અને મોટી વાત એ પણ છે કે પરમાણુ રિએક્ટર પૂરી રીતે સ્વદેશી ટૅક્નિકથી નિર્મિત છે.

સાથીઓ,

તેને બ્રીડર રિએક્ટર કેમ કહે છે? તેની પાછળ પણ એક કારણ છે. આ એવી પ્રણાલિ છે, જે ઊર્જા ઉત્પાદનની સાથોસાથ ભવિષ્ય માટે નવું ઈંધણ પણ સ્વયં તૈયાર કરે છે. સાથીઓ, મને માર્ચ 2024નો તે સમય પણ યાદ છે, જ્યારે હું કલપક્કમમાં રિએક્ટરના કૉર લૉડિંગનો સાક્ષી બન્યો હતો. હું એ બધાને વધામણી આપું છું જેમણે ભારતના પરમાણુ કાર્યક્રમમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. દેશવાસીઓનું જીવન વધુ સારું અને સરળ બનાવવા માટે તેમનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે. તેનાથી વિકસિત ભારતના આપણા સંકલ્પને પણ એક નવી ઊર્જા પ્રાપ્ત થશે.

મારા પ્રિય દેશવાસીઓ,

મન કી બાતમાં આજે હું એક એવી શક્તિની વાત કરવા માગું છું જે અદૃશ્ય છે, પરંતુ જેના વિના આપણું જીવન એક પળ પણ ન ચાલે. આ શક્તિ ભારતને આગળ વધારી રહી છે. તે આપણી પવન શક્તિ છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં કહેવાયું છે-

वायुर्वा इति व्यष्टि:, वायुरवै समष्टि:|’

અર્થાત્ વાયુ માત્ર એક તત્ત્વ નથી, તે જીવનની ઊર્જા છે, તે સમષ્ટિની શક્તિ છે.

સાથીઓ,

આજે આ જ પવન શક્તિ ભારતના વિકાસની નવી ગાથા લખી રહી છે. ભારતે તાજેતરમાં જ પવન ઊર્જા અર્થાત્ Wind Energyમાં મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. હવે ભારતની પવન ઉર્જા ઉત્પાદન ક્ષમતા 56 ગિગાવૉટથી વધુ થઈ ચૂકી છે. ગત એક વર્ષમાં જ લગભગ ૬ ગિગાવૉટ નવી ક્ષમતા ઉમેરાઈ છે. પવન શક્તિમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે અને દુનિયા પણ આપણી તરફ જોઈ રહી છે. સાથીઓ, આજે ભારત પવન ઊર્જા ક્ષમતામાં દુનિયામાં ચોથા સ્થાન પર છે. તે આપણા એન્જિનિયરોની મહેનત છે, તે આપણા યુવાનોનો પરિશ્રમ છે. તે દેશની સામૂહિક ઇચ્છાશક્તિનું પ્રતીક છે.

સાથીઓ,

ગુજરાત, તમિળનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દેશનાં અનેક રાજ્યો આ ક્ષેત્રમાં પોતાનો ધ્વજ લહેરાવી રહ્યા છે. ગુજરાતના કચ્છ, પાટણ, બનાસકાંઠા જેવાં ક્ષેત્રો જ્યાં પહેલાં કેવળ રણ દૃષ્ટિગોચર થતું હતું, ત્યાં આજે, મોટા પુનઃપ્રાપ્ય ઊર્જા પાર્ક (રિન્યૂઍબલ એનર્જી પાર્ક) બની રહ્યા છે. તેનો લાભ યુવાનોને મળી રહ્યો છે, નવા અવસરો બની રહ્યા છે, નવાં કૌશલ્યો વિકસિત થઈ રહ્યાં છે, રોજગારના નવા માર્ગો ખુલી રહ્યા છે.

સાથીઓ,

ભારતના વિકાસ માટે સૌર અને પવન શક્તિ આવશ્યક છે. તે માત્ર પર્યાવરણની વાત નથી- તે આપણા ભવિષ્યની સુરક્ષા છે. તેમાં આપણા બધાની ભૂમિકા છે. આપણે વીજળી બચાવવાની છે, આપણે સ્વચ્છ ઊર્જા – clean energy અપનાવવાની છે. દેશમાં પ્રત્યેક સ્તર પર આવા પ્રયાસો આવશ્યક છે કારણકે તેનાથી મોટું પરિવર્તન આવે છે.

સાથીઓ,

મે મહિનાની શરૂઆત એક પાવન અવસરની સાથે થવા જઈ રહી છે. થોડા જ દિવસોમાં આપણે બુદ્ધ પૂર્ણિમા મનાવીશું. હું તમને સહુ દેશવાસીઓને મારી અગ્રીમ શુભકામનાઓ આપું છું. ભગવાન ગૌતમ બુદ્ધનો જીવન સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે. તેમણે આપણને શીખવાડ્યું છે કે શાંતિ આપણી અંદરથી ચાલુ થાય છે. તેમણે જણાવ્યું કે સ્વયં પર વિજય સૌથી મોટો વિજય હોય છે. આજે દુનિયા જે પ્રકારના તણાવ અને સંઘર્ષોમાંથી પસાર થઈ રહી છે, તેવા સમયમાં બુદ્ધના વિચાર પહેલાં કરતાં પણ વધુ મહત્ત્વના બની ગયા છે.

સાથીઓ,

દક્ષિણ અમેરિકાના ચિલીમાં એક સંસ્થા ભગવાન બુદ્ધના વિચારોને આગળ વધારી રહી છે. લદ્દાખમાં જન્મેલા ડ્રબપોન ઓત્ઝર રિનપોચે (Drubpon Otzer Rinpoche)ના માર્ગદર્શનમાં કામ થઈ રહ્યું છે.

આ સંસ્થા ધ્યાન અને કરુણાને લોકોના જીવન સાથે જોડી રહી છે. કોચીગુઆજ ઘાટીમાં બનેલો સ્તૂપ લોકોને શાંતિનો અનુભવ કરાવે છે. ખરેખર, આ જોઈને ગર્વ થાય છે. ભારતની પ્રાચીન ધારા દુનિયા સુધી પહોંચી રહી છે. દૂર-દૂરના લોકો પણ તેની સાથે જોડાઈ રહ્યા છે.

સાથીઓ,

બૌદ્ધ પરંપરા આપણને પ્રકૃતિ સાથે જોડાવાનું પણ શીખવાડે છે. ભગવાન બુદ્ધને જ્ઞાન એક વૃક્ષ નીચે મળ્યું હતું. પ્રકૃતિ આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે. દેશમાં પણ આવા પ્રયાસો થઈ રહ્યા છે. કર્ણાટકમાં કર્મ મઠ તેનું સારું ઉદાહરણ છે. આ મઠ એક જીવંત વન ક્ષેત્ર છે, જે 100 એકરમાં ફેલાયેલું છે. તે વનમાં 700થી વધુ દેશી વૃક્ષોને સંરક્ષિત કરાયાં છે. સાથીઓ, બુદ્ધનો સંદેશ માત્ર અતીત નથી. તે આજે પણ પ્રાસંગિક છે અને ભવિષ્ય માટે પણ આવશ્યક છે. બુદ્ધ પૂર્ણિમાનો આ અવસર પ્રેરણા આપે છે. આપણે આપણા જીવનમાં શાંતિ વધારીએ, કરુણા અપનાવીએ અને સંતુલન સાથે આગળ વધીએ.

મારા પ્રિય દેશવાસીઓ,

તમે સહુ જાણો છો કે આપણા દેશમાં હવે 23 જાન્યુઆરી અર્થાત્ નેતાજી સુભાષની જયંતીથી લઈને 30 જાન્યુઆરી, અર્થાત્ ગાંધીજીની પુણ્યતિથિ સુધી ગણતંત્રનો મહોત્સવ મનાવવામાં આવે છે. આ મહોત્સવનો મુખ્ય હિસ્સો હોય છે- બીટિંગ રીટ્રીટ. આજે હું તમારી સાથે બીટિંગ રીટ્રીટની ચર્ચા કરી રહ્યો છું કારણકે તેના પાછળ એક વિશેષ કારણ છે.

સાથીઓ,

તમે જોયું હશે કે આ સમારોહ અલગ-અલગ બૅન્ડની વિવિધ સંગીત પરંપરાઓને દર્શાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમાં ભારતીય સંગીતનો સમાવેશ વધ્યો છે અને તે દેશના લોકોને પણ ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ વર્ષની બીટિંગ રીટ્રીટ સેરેમની પણ ઘણી યાદગાર રહી હતી. વાયુ દળ, ભૂમિ દળ અને નૌકા દળ તેમજ સી. એ. પી. એફ.ના બેન્ડે બહુ જ સારો કાર્યક્રમ આપ્યો હતો.

સાથીઓ,

શાનદાર સંગીતની સાથે, જાનદાર ફૉર્મેશનનો આ કાર્યક્રમ બધાનું ધ્યાન ખેંચે છે. વાયુ દળના બૅન્ડે સિંદૂર ફૉર્મેશન બનાવ્યું. નૌકા દળના બૅન્ડે મત્સ્ય યંત્ર ફૉર્મેશન બનાવ્યું. તો ભૂમિ દળના બૅન્ડના કાર્યક્રમમાં વંદે માતરમનાં 150 વર્ષ અને ક્રિકેટમાં ભારતની સફળતાને પણ દર્શાવાઈ હતી.

સાથીઓ,

બીટિંગ રીટ્રીટ વીતી ગયા પછી, આ બધી મહેનત, આ ઉપલબ્ધિ ધીરેધીરે અદૃશ્ય થઈ જતી હતી, પરંતુ હવે તેના વિશે બહુ જ સારો પ્રયાસ થયો છે. બીટિંગ રીટ્રીટનું સંગીત પહેલી વાર Waves ઓટીટી પર પણ ઉપલબ્ધ છે. આવનારા સમયમાં તે બીજા મંચો પર પણ ઉપસ્થિત રહેશે – તમે તેને અવશ્ય સાંભળજો. તમને પોતાનાં સશસ્ત્ર દળો અને તેની પરંપરાઓ પર ખૂબ જ ગર્વ થશે.

સાથીઓ,

છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશના અલગ-અલગ વિસ્તારોમાથી પ્રકૃતિના સંરક્ષણની પ્રેરક વાર્તાઓ સામે આવી છે. આ વાર્તાઓ આપણને આશા આપે છે અને ગર્વથી ભરી દે છે. હું મન કી બાતના શ્રોતાઓ સાથે કેટલાંક ઉદાહરણો વહેંચવા માગું છું. તેને સાંભળીને તમારું મન પ્રસન્ન થઈ જશે. પહેલા વાત, કચ્છના રણની. વરસાદ સમાપ્ત થતાં જ ત્યાંની ધરતી જીવંત થઈ જાય છે. દર વર્ષે લાખો ફ્લેમિંગો અહીં આવે છે. સમગ્ર વિસ્તાર ગુલાબી રંગમાં રંગાઈ જાય છે. આથી તેને ફ્લેમિંગો સિટીકહેવાય છે. આ પક્ષીઓ અહીં માળા બનાવે છે અને પોતાનાં બચ્ચાઓને મોટાં કરે છે. કચ્છના લોકો તેને લાખાજીના જાનૈયાકહે છે. હવે લાખાજીના આ જાનૈયા કચ્છમાં પર્યાવરણ સંરક્ષણના મોટા સુંદર પ્રતીક બની ગયા છે.

સાથીઓ,

બીજો કિસ્સો માણસ અને વન્ય જીવોના સહયોગનો છે અને તે ઉત્તર પ્રદેશથી છે. અહીંના તરાઈ ક્ષેત્રમાં પાકના સમયે હાથીઓનું ઝુંડ ગામની તરફ આવે છે. તેનાથી ટકરાવની આશંકા વધે છે. પરંતુ હવે ઉત્તર પ્રદેશમાં પણ ગજ મિત્રજેવા પ્રયાસો શરૂ થયા છે. ગામના લોકો જ ટીમ બનાવીને હાથીઓ પર નજર રાખે છે. તેઓ સમયસર લોકોને સતર્ક કરે છે. તેનાથી ટકરાવ ઓછો થઈ જાય છે અને લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે.

સાથીઓ,

મધ્ય ભારતથી એક સારા સમાચાર આવ્યા છે. છત્તીસગઢમાં કાળિયાર, એટલે કે કાળાં હરણ ફરીથી દેખાવાં લાગ્યાં છે. એક સમયે, તેમની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી, પરંતુ સતત પ્રયાસો થયા અને સંરક્ષણ વધારવામાં આવ્યું. આજે તે ફરીથી ખુલ્લાં મેદાનોમાં દોડતાં નજરે પડે છે. આ આપણા ખોવાયેલા વારસાનું પુનરાગમન છે. એવી જ આશા ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એટલે કે ઘોરાડના સંરક્ષણમાં પણ દેખાઈ રહી છે. તે પક્ષી આપણા રણ ક્ષેત્રોની ઓળખ હતાં, પરંતુ એક સમયે તેમની સંખ્યા બહુ ઓછી થઈ ગઈ હતી. સ્થિતિ એવી હતી કે આ પક્ષી લુપ્ત થવાના આરે પહોંચી ગયા હતા. પરંતુ હવે તેમના સંરક્ષણ માટે મોટું અભિયાન ચાલી રહ્યું છે. વૈજ્ઞાનિક રીતો અપનાવાઈ રહી છે. પ્રજનન કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે અને હવે નવા જીવનની શરૂઆત દેખાઈ રહી છે.

સાથીઓ,

પ્રકૃતિ અને માનવ અલગ નથી. આપણે એકબીજાનાં સાથી છીએ. જ્યારે આપણે પ્રકૃતિને સમજીએ છીએ, તેનું સન્માન કરીએ છીએ અને તેની સાથે મળીને ચાલીએ છીએ, તો પરિવર્તન સ્પષ્ટ દેખાય છે. આજે આ જ પરિવર્તન દેશના ખૂણે-ખૂણેથી નવી આશા બનીને સામે આવી રહ્યું છે.

મારા પ્રિય દેશવાસીઓ,

ઈશાન ભારત આપણા બધા માટે અષ્ટલક્ષ્મી છે. અહીં ભરપૂર પ્રતિભા છે અને ઈશાન ભારતની પ્રાકૃતિક સુંદરતા પણ બધાનું ધ્યાન ખેંચે છે. મન કી બાતમાં પણ આપણે ઘણી વાર ઈશાન ભારતના લોકોની ઉપલબ્ધિઓ પર ચર્ચા કરતા આવ્યા છીએ. આજે આવી જ એક બીજી ઉપલબ્ધિની હું તમારી સાથે ચર્ચા કરીશ અને તે છે વાંસ ક્ષેત્રમાં ઈશાન ભારતની સફળતા.

સાથીઓ,

જે ચીજને ક્યારેક બોજા રૂપે જોવામાં આવતી હતી, તે આજે રોજગાર, વેપાર અને ઇન્નૉવેશનને નવી ગતિ આપી રહી છે. આપણી માતાઓ-બહેનો તેની સૌથી મોટી લાભાર્થી છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે વાંસની પરિભાષા બદલી નાખવાથી કેટલું મોટું પરિવર્તન આવ્યું છે.

સાથીઓ,

અંગ્રેજોએ બનાવેલા કાયદાના હિસાબથી વાંસને ઝાડના રૂપમાં પરિભાષિત કરવામાં આવ્યું હતું અને તેની સાથે જોડાયેલા નિયમો બહુ કડક હતા. ક્યાંય પણ વાંસને લઈ જવો ઘણો મુશ્કેલ હતો. આવામાં અહીંના લોકો વાંસ સાથે જોડાયેલા કામધંધાથી દૂર થતા ગયા.

સાથીઓ,

વર્ષ 2017માં કાયદામાં ફેરફાર કરીને આપણે વાંસને ઝાડની શ્રેણીમાંથી બહાર કર્યો. તેનું પરિણામ બધાની સામે છે. આજે સમગ્ર ઈશાન ભારતમાં વાંસ ક્ષેત્ર ફૂલીફાલી રહ્યું છે. લોકો સતત ઇન્નૉવેશન કરીને તેમાં મૂલ્ય વર્ધન કરી રહ્યા છે.

સાથીઓ,

ત્રિપુરાના ગોમતી જિલ્લાના બિજૉય સૂત્રધાર અને દક્ષિણ ત્રિપુરાના પ્રદીપ ચક્રવર્તી, તેમની વાત કરીએ. તેમણે નવા કાયદાઓને પોતાના માટે એક મોટા અવસર રૂપે જોયા. પછી તેમણે પોતાના કામને ટૅક્નૉલૉજી સાથે જોડ્યું. આજે તેઓ પહેલાંથી ક્યાંય વધુ સારાં અને વધુ વાંસનાં ઉત્પાદનો બનાવી રહ્યા છે.

નાગાલેન્ડના દીમાપુર અને આસપાસના ક્ષે્ત્રોમાં અનેક એવા સ્વયં સહાય જૂથો (Self Help Groups) છે જેમણે વાંસ સાથે જોડાયેલાં ફૂડ પ્રૉડક્ટ્સમાં મૂલ્ય વર્ધન કર્યું છે.ત્યાં ખોરોલો ક્રિએટિવ ક્રાફ્ટ જેવી ટીમો પણ છે જે વાંસના ફર્નિચર અને હસ્તકળા પર કામ કરી રહી છે.

સાથીઓ,

મિઝોરમના મામિત જિલ્લામાં એવી ટીમો છે, જે વાંસના ટિશ્યૂ કલ્ચર અને પૉલિ હાઉસ મેનેજમેન્ટ પર કામ કરી રહી છે. મને સિક્કિમના ગંગટોકની નજીક લાગાસ્ટલ બામ્બુ એન્ટરપ્રાઇઝ ટીમ વિશે પણ જાણવા મળ્યું છે. તે વાંસમાંથી હસ્તકળા, અગરબત્તીની સળીઓ, ફર્નિચર અને આંતરિક સજ્જાની ચીજો બનાવે છે.

સાથીઓ,

મેં અહીં કેટલાંક જ ઉદાહરણ આપ્યાં છે. દેશમાં વાંસના ક્ષેત્રની સફળતાની આ સૂચિ ઘણી લાંબી છે. હું તમને સહુને અનુરોધ કરીશ કે ઈશાન ભારતનું કોઈ ને કોઈ વાંસનું ઉત્પાદન જરૂર ખરીદજો. તમે તને ભેટ રૂપે પણ આપી શકો છો. તમારા આ પ્રયાસથી તે લોકોનો ઉત્સાહ વધશે, જે વાંસનાં ઉત્પાદનો બનાવવામાં પોતાનો પરસેવો પાડે છે.

મારા પ્રિય દેશવાસીઓ,

ઝડપથી બદલાતા આ સમયમાં ટૅક્નૉલૉજી આપણા જીવનનો બહુ મોટો હિસ્સો બની ગઈ છે. આજે આપણે પોતાના અતીતને વર્તમાન સાથે જોડવામાં પણ ટૅક્નૉલૉજીનો કમાલ જોઈ રહ્યા છીએ. આ દિશામાં તાજેતરમાં જ એક એવી ઘટના ઘટી જેનાથી શિક્ષણ સાથે જોડાયેલા લોકો અને ઇતિહાસમાં રૂચિ રાખનારા બહુ પ્રસન્ન થયા છે. સાથીઓ, કેટલાક દિવસો પહેલાં નેશનલ આર્ચિવ્ઝ ઓફ ઈન્ડિયાએ એક વિશેષ પૉર્ટલ પર એક અનોખો ડૅટાબૅઝ શૅર કર્યો છે. આ સંસ્થાએ 20 કરોડથી પણ વધુ અમૂલ્ય દસ્તાવેજોને ડિજિટાઇઝ કરીને સાર્વજનિક કર્યો  છે. તેમાં કેટલાક તો બહુ રસપ્રદ છે  – સાતમી સદીની ગિલગિત પાંડુ લિપિઓ ભોજપત્ર પર લખાયેલી છે. અહીં તમને આઠમી સદીનો એક રોચક ગ્રંથ શ્રી ભુવાલય પણ જોવા મળશે. અંકો પર આધારિત આ ગ્રંથ એક ગ્રિડના રૂપમાં છે.

રાણી લક્ષ્મીબાઈ સાથે જોડાયેલા કેટલાક મહત્ત્વના પત્રો પણ અહીં તમે જોઈ શકો છો. તેનાથી ઈ. સ 1857માં તેમના દ્વારા લેવાયેલા કેટલાક નિર્ણયોની જાણ થાય છે, જે તેમના પરાક્રમને દર્શાવે છે. જે લોકો નેતાજી સુભાષના મોટા પ્રશંસકો છે તેમના માટે અહીં નેતાજીના જીવન, આઝાદ હિન્દ ફૌજ અને તેમનાં ભાષણો સાથે જોડાયેલા અનેક દસ્તાવેજો છે. તમને પંડિત મદન મોહન માલવીયજી સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજો પણ મળશે. તેમાં BHUની સ્થાપના અને હિન્દી સાહિત્ય સંમેલન સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ જાણકારી છે. અહીં આપણી બંધારણ સભા સાથે જોડાયેલા કેટલાક અનોખા દસ્તાવેજો પણ પ્રાપ્ય છે. હું તમને સહુને આગ્રહ કરું છું કે તમે www.abhilekh-patal.inની જરૂર મુલાકાત લેજો. તે તમને પોતાના ઇતિહાસનો અદ્બુત અનુભવ આપશે.

સાથીઓ,

જરા કલ્પના કરો, તમે દુનિયાભરના સૌથી પ્રતિભાશાળી લોકો વચ્ચે છો, તમારી સામે ગણિતના ખૂબ જ અઘરા પ્રશ્નો છે. તેને ઉકેલવાનો સમય છે- માત્ર સાડા ચાર કલાક. અર્થાત્ સમય બહુ ઓછો છે અને સ્પર્ધા આંતરરાષ્ટ્રીય છે, ખૂબ જ ભારે છે. આવી સ્થિતિમાં ઢીલા પડવું ખૂબ જ સ્વાભાવિક છે. પરંતુ આ જ પરિસ્થિતિમાં આપણી દીકરીઓએ કમાલ કરી દીધો. આ મહિનાની શરૂઆતમાં ફ્રાન્સના બોરદો (Boardeaux)માં યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડનું આયોજન થયું હતું. ગણિતમાં ઊંડી રૂચિ લેનારી શાળાની વિદ્યાર્થિનીઓ માટે આ એક મોટી સ્પર્ધા હતી. તે દુનિયાની સૌથી સન્માનિત પ્રતિયોગિતાઓમાંથી એક છે. તે ઑલમ્પિયાડમાં આપણી દીકરીઓએ અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન કર્યું છે. મને આ પ્રતિભાશાળી ટીમો પર ખૂબ જ ગર્વ છે. તેમાં મુંબઈની શ્રેયા મુંધડા, તિરુવનંતપુરમની સંજના ચાકો, ચેન્નાઈની શિવાની ભરતકુમાર અને કોલકાતાની શ્રિમોયી બેરા સમાવિષ્ટ હતી.તેમાં આપણી ટીમ વિશ્વના છઠ્ઠા સ્થાન પર રહી. શ્રેયાએ સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચી દીધો, સંજનાએ રજત, તો શિવાનીએ કાંસ્ય ચંદ્રક પોતાના નામે કર્યો.

સાથીઓ,

આ ઑલમ્પિયાડ માટે ભારતમાં જે પસંદગીની પ્રક્રિયા છે તે પોતાની રીતે બહુ જ કઠિન છે. તેમાં એક બહુસ્તરીય  પસંદગી પ્રક્રિયા છે. તેમાં પ્રાદેશિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર કઠિન પડકારોને પાર કરવાના  હોય છે. તે પછી સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી વિદ્યાર્થિનીઓ એક મહિનામાં ગણિત પ્રશિક્ષણ શિબિરમાં જોડાય છે. આ કેમ્પ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચના હોભી ભાભા સેન્ટર ફૉર સાયન્સ ઍજ્યુકેશનમાં આયોજિત થાય છે. આ કેમ્પના અંતમાં ટીમની પસંદગીની કસોટી થાય છે. તેમાં પ્રદર્શનના આધાર પર જ ભારતની ટીમ પસંદ કરવામાં આવે છે.

સાથીઓ,

દર વર્ષે દેશભરની લગભગ છ લાખ વિદ્યાર્થિનીઓ આ મેથેમેટિકલ ઑલમ્પિયાડ પ્રૉગ્રામમાં ભાગ લે છે. સમયની સાથે આ સંખ્યા સતત વધી રહી છે. એટલે કે દેશની દીકરીઓ વચ્ચે ઑલમ્પિયાડની આ સંસ્કૃતિ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. આ પ્રતિભાશાળી દીકરીઓનું સમર્થન કરવા માટે હું તેમનાં માતાપિતાની પ્રશંસા કરું છું.

મારા પ્રિય દેશવાસીઓ,

આપણા દેશમાં આ સમયે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અભિયાન ચાલી રહ્યું છે, જેના વિશે દરેક ભારતીયને જાણકારી હોવી આવશ્યક છે. તે છે જનગણનાનું અભિયાન. તે દુનિયાની સૌથી મોટી જનગણના છે. સાથીઓ, જે સાથીઓ પહેલેથી આ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થયા છે, તેમને આ વખતની જનગણનાનો અનુભવ અલગ થવાનો છે. જનગણના 2027ને ડિજિટલ બનાવવામાં આવી છે. બધી જાણકારી સીધા ડિજિટલ માધ્યમથી અંકિત થઈ રહી છે. ઘર-ઘર જનારા કર્મચારીઓ પાસે મોબાઇલ ઍપ છે. તેઓ તમારી સાથે વાત કરીને તેમાં વિગતો અંકિત કરશે.

સાથીઓ,

આ વખતે જનગણનામાં તમારી ભાગીદારી પણ સરળ કરવામાં આવી છે. તમે પોતે પણ પોતાની જાણકારી અંકિત કરી શકો છો. કર્મચારીના આવવાના 15 દિવસ પહેલાં તમારા માટે આ સુવિધા શરૂ થશે. તમે તમારા સમય અનુસાર જાણકારી ભરી શકો છો. જ્યારે તમે પ્રક્રિયા પૂરી કરશો તો તમને એક વિશેષ આઈડી મળશે. આ આઈડી તમારા મોબાઇલ કે ઈ-મેઇલ પર આવે છે. પછી, જ્યારે કર્મચારી તમારા ઘરે આવશે, તો તમે આ આઈડી દેખાડીને જાણકારીની પુષ્ટિ કરી શકો છો. તેને ફરીવાર જાણકારી આપવાની આવશ્યકતા નથી. સમય પણ બચશે અને પ્રક્રિયા સરળ થઈ જશે. સાથીઓ, જે રાજ્યોમાં સ્વગણનાનું કામ પૂરું થઈ ગયું છે, ત્યાં ગણના કર્મચારીઓ દ્વારા ઘરોના સૂચિકરણનું કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 1 કરોડ 20 લાખ પરિવારોનું મકાન સૂચિકરણનું કાર્ય પૂરું પણ થઈ ચૂક્યું છે.

સાથીઓ,

દેશની જનગણના માત્ર સરકારી કામ નથી. તે આપણા સહુની જવાબદારી છે. તમારી ભાગીદારી બહુ જ અનિવાર્ય છે. તમારી આપેલી જાણકારી પૂરી રીતે સુરક્ષિત રહે છે, તે ગોપનીય રખાય છે, ડિજિટલ સુરક્ષા સાથે તેને સુરક્ષિત કરવામાં આવે છે. આવો, આપણે બધા મળીને આ પ્રક્રિયામાં ભાગ લઈએ. જનગણના 2027ને સફળ બનાવીએ.

સાથીઓ,

આપણા દેશમાં ખાણીપીણીની પરંપરા માત્ર સ્વાદ સુધી સીમિત નથી રહી. આ પરંપરાનો એક રસપ્રદ હિસ્સો છે ભારતની ચીઝ (Cheese). કેટલાક દિવસ પહેલાં મેં ટ્વિટના માધ્યમથી એક જાણકારી વહેંચી હતી. બ્રાઝિલમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય ચીઝ પ્રતિયોગિતામાં ભારતીય ચીઝની બે બ્રાન્ડને પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા હતા. આ ઉપલબ્ધિની ચર્ચા સૉશિયલ મીડિયા પર પણ ખૂબ જ થઈ. અનેક લોકોએ મને કહ્યું કે ભારતમાં ચીઝની જે વિવિધતા છે તેના પર પણ વાત થવી જોઈએ.

સાથીઓ,

ભારતના ડૅરી ક્ષેત્રમાં બહુ મોટું પરિવર્તન આવી રહ્યું છે. આ ક્ષેત્રમાં મૂલ્ય વર્ધને આપણા પારંપરિક સ્વાદને એક નવી ઓળખ આપી છે. આજે ભારતીય ચીઝ દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી રહી છે. સવારનો અલ્પાહાર હોય, બપોરનું ભોજન હોય કે રાત્રિનું, દુનિયાની પ્લેટોમાં ભારતનો સ્વાદ પહોંચી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરની કલારી ચીઝને જ લો- તેને કશ્મીરનું મોજેરેલાકહેવાય છે. ગુજ્જર-બકરવાલ સમુદાયના લોકો પેઢીઓથી તેને બનાવતા અને ખાતા આવ્યા છે. તો સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને લદ્દાખમાં છુરપીખૂબ જ પ્રસિદ્ધ છે. પહાડોની સાદગી અને કોમળતા તેના સ્વાદમાં પણ અનુભવાય છે. આ ચીઝની ખાસ વાત એ છે કે તેને યાકના દૂધમાંથી બનાવાય છે.

સાથીઓ,

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ટોપલીનું પનીરજેને સુરતી ચીઝપણ કહેવાય છે. તે પણ પોતાની એક અલગ ઓળખ રાખે છે. મેં અહીં કેવળ કેટલાંક નામો લીધાં છે, પરંતુ આપણા દેશમાં સ્વાદની આ દુનિયા ઘણી વ્યાપક છે. આજે આ પરંપરાને નવી શક્તિ મળી રહી છે. અનેક ભારતીય કંપનીઓ આ ક્ષેત્રમાં નિવેશ કરી રહી છે. આધુનિક ટકેનિક આવી રહી છે, વધુ સારું પેકેજિંગ થઈ રહ્યું છે અને આપણાં ઉત્પાદનો વૈશ્વિક ધોરણોની સાથે આગળ વધી રહ્યાં છે. તેનું પરિણામ છે કે ભારતીય ચીઝ હવે દેશની સીમાઓમાંથી નીકળીને દુનિયાનાં બજારો અને રૅસ્ટૉરન્ટ સુધી પહોંચી રહ્યું છે. આજે આપણે લૉકલથી ગ્લૉબલની વાત કરીએ છીએ તેમાં ભારતીય ચીઝનું ઉદાહરણ આપણને, આગળની દિશા દેખાડે છે. મને વિશ્વાસ છે કે ભારતનો સ્વાદ, ભારતની પરંપરા અને ભારતની ગુણવત્તા, દુનિયાના લોકોને એક નવો અનુભવ આપશે અને ભારત સાથે એક નવું જોડાણ પણ બનાવશે.

મારા પ્રિય દેશવાસીઓ,

આ મહિને દેશના અનેક હિસ્સાઓમાં નવ વર્ષ સહિત અનેક પર્વ તહેવારો મનાવવામાં આવ્યા. કેટલાક જ દિવસ પછી 9 મેએ પોચ્ચીશે બોઇશાખના અવસર પર આપણે ગુરુદેવ ટાગોરની જયંતી મનાવીશું. ગુરુદેવ બહુ આયામી વ્યક્તિત્વના સ્વામી હતા. તેઓ એક મહાન લેખક અને વિચારક તો હતા જ, તેમણે અનેક પ્રસિદ્ધ સંસ્થાઓને પણ આકાર આપ્યો. ગુરુદેવ ટાગોર લોકો માટે એવા ઉદ્યોગોના પક્ષધર હતા જેમાં સ્થાયી રોજગાર મળવાની સાથે જ ગામડાંઓનું પણ કલ્યાણ થાય. તેમના રવીન્દ્ર સંગીતનો પ્રભાવ આજે પણ દુનિયાભરમાં દેખાય છે. મારા માટે શાંતિ નિકેતનની યાત્રા અવિસ્મરણીય રહી. આ એ જ સંસ્થા છે જેને તેમણે પૂરા સમર્પણ ભાવથી સિંચી અને સજાવી હતી. તેમને એક વાર ફરી મારી વિનમ્ર શ્રદ્ધાંજલી.

સાથીઓ, મેનો મહિનો 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનું સ્મરણ પણ કરાવે છે. હું મા ભારતીનાં બધાં વીર સંતાનોને નમન કરું છું જેમણે લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરી હતી. આ સમય શાળાનાં બાળકોની રજાઓનો પણ હોય છે. મારો અનુરોધ છે કે તેઓ પોતાની રજાઓનો ભરપૂર આનંદ લે અને કેટલુંક નવું શીખવાનો પ્રયાસ કરે. ગરમીની આ ઋતુમાં તમે સહુ પોતાના સ્વાસ્થ્યનું પણ પૂરું ધ્યાન રાખજો. આગામી મહિને તમારી સાથે ફરી મુલાકાત થશે. કેટલાક નવા વિષયો સાથે, દેશવાસીઓની કેટલીક નવી ઉપલબ્ધિઓ સાથે. ખૂબ-ખૂબ ધન્યવાદ.

 

SM/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com