પીએમઇન્ડિયા
શ્રીમાન ગુલાબ ચંદ કટારિયાજી, કેન્દ્રમાં મારા સહયોગી જે. પી. નડ્ડાજી, અશ્વિની વૈષ્ણવજી, સંસદમાં મારા સાથી મનીષ તિવારીજી, અહીં સભાગૃહમાં પણ કેટલાય ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદો બેઠા છે. અન્ય તમામ મહાનુભાવો પણ, આજે કેટલાયના દર્શન થઈ રહ્યા છે, જૂના–જૂના લોકોના.
ભાઈઓ–બહેનો, આજે આપ સૌની વચ્ચે આવીને મનમાં ખુશીનો એક ભાવ છે, અલગ જ ભાવ છે.
સાથીઓ, ચંદીગઢ માત્ર એક શહેર નથી, તે ભારત માટે વિકાસનું એક મોડેલ રહ્યું છે. ચંદીગઢ જાણીતું છે વ્યવસ્થિત વિકાસ માટે, ચંદીગઢની ઓળખ છે બહેતર લાઇફસ્ટાઇલ માટે, ઇઝ ઓફ લિવિંગ (જીવનની સુગમતા) માટે. ચંદીગઢની ઓળખ છે ચિકિત્સાની બહેતર સુવિધાઓના સંબંધમાં અને આ બધાની સાથે–સાથે ચંદીગઢની ઓળખ છે મા ચંડીના આશીર્વાદ. અને તેથી, ચંદીગઢનો વિકાસ હંમેશાથી એનડીએ સરકારની પ્રાથમિકતા રહ્યો છે. તમને યાદ હશે, દોઢ વર્ષ પહેલાં દેશની ન્યાય વ્યવસ્થામાં ખૂબ મોટો સુધારો કરવામાં આવ્યો છે. આપણે દંડ સંહિતાની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા લઈને આવ્યા છીએ. ભારતીય ન્યાય સંહિતા એટલે કે, દંડ આધારિત કાયદાઓની જગ્યાએ ન્યાય આધારિત કાનૂની વ્યવસ્થા. અને ત્યારે ભારતીય ન્યાય સંહિતા લાગુ કરવાની શરૂઆત ચંદીગઢથી જ થઈ હતી.
સાથીઓ, વિતેલા વર્ષોમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, સ્માર્ટ પાર્કિંગ અને ડિજિટલ ગવર્નન્સ, ચંદીગઢને હાઇટેક બનાવવા માટે આવા કેટલાય પ્રોજેક્ટ્સ પર કામ થયું છે. અઢી હજાર કરોડથી વધુ રૂપિયા આ મિશનમાં ખર્ચાયા છે. આજે પણ અહીં હેલ્થ, એજ્યુકેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા વિકાસના કેટલાય કાર્યો શરૂ થઈ રહ્યા છે. હું આના માટે તમામ ચંદીગઢ વાસીઓને અભિનંદન આપું છું.
સાથીઓ, અહીં આવતા પહેલાં હું હરિયાણાના જીંદમાં હતો અને અહીંથી આના પછી મારે પંજાબના વિકાસ કાર્યો માટે જલંધર જવાનું છે. આ બંને કાર્યક્રમોની વચ્ચે આજે આ ચંદીગઢનો કાર્યક્રમ થઈ રહ્યો છે. કારણ કે આપણું ચંદીગઢ, હરિયાણા, પંજાબ, હિમાચલ, આ સમગ્ર ક્ષેત્રને જોડે છે. ચંદીગઢના વિકાસથી ચંદીગઢના લોકોનું જીવન તો બદલાય જ છે, સાથે જ હરિયાણા, હિમાચલ, પંજાબ અને જમ્મુ કાશ્મીરના લોકોને પણ આનાથી ખૂબ લાભ થાય છે. તબીબી સેવાઓ માટે તો ચંદીગઢ આ સમગ્ર વિસ્તારમાં એક મોટું હબ છે.
સાથીઓ, જ્યારે હું ચંદીગઢ રહેતો હતો, ત્યારે મારે ઘણી વખત પીજીઆઈ જવાનું થતું હતું અને કેમ પણ? તો કોઈને કોઈ આપણા સાથી કે તેમનો પરિવાર ભલે જમ્મુ કાશ્મીરનો હોય, પંજાબનો હોય, હિમાચલનો હોય, હરિયાણાનો હોય, કોઈને કોઈ બીમાર અહીં આવતા હતા, તો મારું મળવા જવાનું ખૂબ સ્વાભાવિક રહેતું હતું. અને તેથી મને ખબર છે કે આ સમગ્ર વિસ્તારના લોકો માટે આરોગ્યની દ્રષ્ટિએ આ એક ખૂબ મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે.
સાથીઓ, આજે અહીં ચંદીગઢ પીજીઆઈમાં એડવાન્સ્ડ હેલ્થકેર ફેસિલિટીઝનો વિસ્તાર થઈ રહ્યો છે. અહીં એડવાન્સ ન્યુરો–સાયન્સ સેન્ટર, એડવાન્સ મધર એન્ડ ચાઇલ્ડ સેન્ટર અને ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોક, આ પ્રોજેક્ટ્સ લાખો લોકોને સારવારની વધુ બહેતર સુવિધા આપશે. મને યાદ છે, 2015માં હું ચંદીગઢ પીજીઆઈના દીક્ષાંત સમારોહમાં આવ્યો હતો. અને મને ખુશી છે કે આજે મને વર્ચ્યુઅલી પણ ત્યાંના તમામ જૂના સાથીઓને મળવાની તક મળી રહી છે. ત્યારથી અત્યાર સુધી આ દાયકામાં પીજીઆઈની ક્ષમતાઓમાં મોટો વિસ્તાર થયો છે. હું પીજીઆઈ ચંદીગઢના મેનેજમેન્ટની, અહીંના પ્રોફેસર્સ અને યુવા ડોક્ટરોની પ્રશંસા કરું છું, તેમને મારી શુભેચ્છાઓ પાઠવું છું.
સાથીઓ, જ્યારે આપણે સ્વાસ્થ્યની વાત કરીએ છીએ, ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આમાં સ્વચ્છતાની કેટલી મોટી ભૂમિકા છે અને તેથી જ્યારે આપણી સરકાર બની હતી, ત્યારે આપણે દેશ માટે ‘સ્વચ્છ ભારત મિશન’ લોન્ચ કર્યું હતું. દેશમાં કરોડો શૌચાલયો બનાવવામાં આવ્યા, ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત કરાવવામાં આવ્યું, જાહેર સ્થળોની સ્વચ્છતા માટે અભિયાનો ચલાવવામાં આવ્યા, સફાઈ આપણી જીવનશૈલીનો ભાગ બને તે માટે અલગ–અલગ પહેલો શરૂ કરવામાં આવી. આપણા શહેરોનું સ્વચ્છ ભારત રેન્કિંગ આ જ પ્રયાસનો એક ભાગ છે અને ચંદીગઢ આમાં બહેતર પ્રદર્શનનો પ્રયાસ પણ કરતું રહે છે.
સાથીઓ, હું આજે ચંદીગઢના નિવૃત્ત આઈપીએસ અધિકારી ઇન્દરજીત સિંહ સિદ્ધુ જીની પણ પ્રશંસા કરવા ઈચ્છીશ. તેમની ઓળખ ‘બ્રૂમ વોરિયર’ તરીકે બનેલી છે. તેમણે ચંદીગઢમાં સ્વચ્છતાને લઈને એક નવી જ્યોત જગાવી છે, લોકોને પ્રેરિત કર્યા છે. આ માટે આપણી સરકારે આ વર્ષે તેમને પદ્મ સન્માનથી પણ સન્માનિત કર્યા છે.
સાથીઓ, સ્વચ્છતા કોઈ એક દિવસનું કામ નથી, સ્વચ્છતા તો જીવન જીવવાની રીત છે. અને મને ખુશી છે કે સ્વચ્છતાને આજના આ કાર્યક્રમ સાથે પણ જોડવામાં આવી. આજે અહીં ‘સ્વચ્છતાથી સ્વાગત’ આ પહેલ અંતર્ગત વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું. અને હું જોઈ રહ્યો હતો સોશિયલ મીડિયામાં તમામ નેતાઓ પણ અને જનતા જનાર્દન પણ સફાઈના કામમાં લાગી હતી. દેશની અંદર એક ખુશીનો માહોલ હતો, આ બધી વસ્તુઓને જોઈને. ચંદીગઢના તમામ ભાઈ–બહેનોને હું આ પહેલ માટે વ્યક્તિગત રીતે મોટા ગર્વ સાથે આપ સૌને અભિનંદન આપું છું.
સાથીઓ, સ્વચ્છતાના આવા અભિયાનો દેશમાં અનેક રોગોની રોકથામમાં ખૂબ મદદરૂપ સાબિત થયા છે.
સાથીઓ, એક સમય હતો, ભારતના હેલ્થ સેક્ટર પર આખી દુનિયા ચિંતા વ્યક્ત કરતી હતી. કોઈ મોટી આપત્તિની આશંકા થતી હતી, તો લોકો સવાલો ઉઠાવવા લાગતા હતા કે ભારતમાં શું થશે? કોરોનાના સમયમાં આપણે જોયું છે કે કેવી રીતે ભારત જ વિશ્વની ચિંતાઓનું કેન્દ્ર હતું. પરંતુ આપણી સરકારે ભારતનું સામર્થ્ય પણ બદલ્યું અને વિશ્વનો નજરીયો પણ બદલ્યો. જ્યારે કોરોના મહામારી આવી, ત્યારે ભારત મદદ માંગનારો દેશ ન હતો, પરંતુ ભારત દુનિયાને મદદ મોકલી રહ્યું હતું. આજે કેટલાય દેશોમાંથી લોકો ગંભીર બીમારીઓની સારવાર માટે ભારતમાં આવે છે. ભારત મેડિકલ ટૂરિઝમનું મોટું ડેસ્ટિનેશન બનીને ઉભરી રહ્યું છે.
સાથીઓ, આ બદલાવ છેલ્લા 12 વર્ષોના પ્રમાણિક પ્રયાસો અને નીતિઓનું પરિણામ છે. 12 વર્ષ પહેલાં આપણે સંકલ્પ લીધો હતો કે આપણા દેશના લોકો સ્વાસ્થ્ય સેવાઓના અભાવમાં નહીં જીવે, આપણા દેશના લોકોને સારવારની બહેતર સુવિધાઓ મળશે અને ઓછી કિંમતમાં મળશે. છેલ્લા 12 વર્ષની દેશની સફળતા આ જ સંકલ્પનું પરિણામ છે. વિતેલા વર્ષોમાં ભારતે પોતાના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપથી વિસ્તાર કર્યો છે. 2014 પછી દેશમાં 15 નવી એઇમ્સ (AIIMS) ને મંજૂરી આપવામાં આવી છે. આજે દેશના અલગ–અલગ ભાગોમાં નવી એઇમ્સ કાર્યરત છે. દેશભરમાં સેંકડો નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવી છે. કેન્સર જેવી ગંભીર બીમારીઓની સારવાર માટે સ્પેશિયાલિટી હોસ્પિટલોની સંખ્યા પણ વધી છે. અહીં ચંદીગઢમાં પણ હોમી ભાભા કેન્સર હોસ્પિટલ બની છે, અહીંથી થોડે દૂર. 2022માં મને આના લોકાર્પણની તક મળી હતી. આજે આ હોસ્પિટલ હજારો દર્દીઓની સેવા કરી રહી છે.
સાથીઓ, ગામડે–ગામડે પ્રાઇમરી હેલ્થકેર સુવિધાઓના વિકાસ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દરેક સ્તરે હેલ્થ સિસ્ટમ મજબૂત બને તે માટે આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત દેશભરમાં ક્રિટિકલ કેર બ્લોક્સ, ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબ્સ અને પબ્લિક હેલ્થ યુનિટ્સ જેવી સુવિધાઓનું નેટવર્ક તૈયાર થયું છે. આજે શહેરી અને ગ્રામીણ વિસ્તારોથી લઈને જનજાતીય વિસ્તારો સુધી દેશમાં આશરે પોણા બે લાખ આયુષ્માન આરોગ્ય મંદિર પણ કાર્યરત છે. આરોગ્ય મંદિરોમાં પ્રાથમિક સારવારની સુવિધાઓ તો છે જ, સાથે જ 12 અલગ–અલગ હેલ્થ પેકેજ સર્વિસ પણ અહીં મળી રહી છે. આમાં કરોડો લોકોની બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓની સ્ક્રીનિંગ થઈ છે.
સાથીઓ, આપણી સરકાર ટેકનોલોજીના માધ્યમથી પણ સારવારને સુગમ બનાવી રહી છે. આપણે ઇ–સંજીવની મિશનના માધ્યમથી ટેલિમેડિસિનની સુવિધા શરૂ કરી. આ અંતર્ગત આજે દેશમાં 48 કરોડથી વધુ ટેલિમેડિસિન કન્સલ્ટેશન્સ થઈ ચૂક્યા છે. છેવાડાના વિસ્તારોમાંથી પણ લોકો મોટી હોસ્પિટલો સાથે, ડોક્ટરો સાથે પરામર્શ કરી રહ્યા છે.
સાથીઓ, સ્વાસ્થ્ય સેવાઓના આ વિસ્તારના કારણે આજે દેશમાં 90 ટકાથી વધુ ઇન્સ્ટિટ્યુશનલ (સંસ્થાગત) ડિલિવરી થઈ રહી છે. આપણા દેશમાં માતા મૃત્યુદરમાં 86 ટકાનો ઘટાડો થયો છે. અને શિશુ મૃત્યુદરમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.
સાથીઓ, બીમારીઓની સારવારની સાથે જ આજે એટલો જ ફોકસ પ્રિવેન્ટિવ હેલ્થકેર (રોગ અટકાવવા સંબંધિત સ્વાસ્થ્ય સેવાઓ) પર પણ છે. પોષણ અભિયાન, મિશન ઇન્દ્રધનુષ, યોગા, એચ.પી.વી. વેક્સિનેશન, યુ–વિન (U-WIN) પ્લેટફોર્મ, આવા કેટલાય મહત્વપૂર્ણ પ્રયાસોના કારણે કરોડો લોકોનું જીવન સુરક્ષિત થઈ રહ્યું છે.
સાથીઓ, આપણે દેશને ટીબી મુક્ત બનાવવાનો સંકલ્પ પણ લીધો છે. આ માટે ટીબી મુક્ત ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જનભાગીદારી દ્વારા જન–જનને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સમયસર ટીબીની સ્ક્રીનિંગ કરાવવામાં આવી રહી છે. દર્દીઓને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આનું જ પરિણામ છે કે આજે દેશમાં ટીબીનું ટ્રીટમેન્ટ કવરેજ 90 ટકાથી વધુ થઈ ગયું છે. ગત વર્ષે આવેલી ડબ્લ્યુએચઓ (WHO) ના રિપોર્ટ અનુસાર, 10 વર્ષોની અંદર–અંદર ટીબી સંક્રમણ પણ 21 ટકા ઓછું થયું છે. આ પ્રયાસોનો સૌથી મોટો લાભ દેશના ગરીબોને મળી રહ્યો છે, આનો લાભ આપણા મધ્યમ વર્ગને મળી રહ્યો છે અને વધુ લાભ આપણી માતાઓ–બહેનોને થઈ રહ્યો છે. કારણ કે માતાઓ–બહેનો પરિવારના કામને પ્રાથમિકતા આપે છે. બીમારીને સહન કરવી એ માતાઓ–બહેનોએ જાણે પોતાનો એક સંસ્કાર બનાવી દીધો છે. પરંતુ આ પ્રોએક્ટિવ પ્રયાસોના કારણે માતાઓ–બહેનોની સ્ક્રીનિંગ થઈ, તેમની દેખભાળ કરવામાં આવી અને આજે ટીબી મુક્ત થવામાં આપણી માતાઓ–બહેનોની સંખ્યા ઘણી મોટી છે. ભારતમાં હેલ્થ સર્વિસીસ હવે પ્રિવિલેજ (વિશેષાધિકાર) નથી, આજે હેલ્થ સર્વિસીસ દેશના સામાન્ય નાગરિકનો અધિકાર બની રહી છે.
સાથીઓ, હેલ્થ સેક્ટર પર સરકારના ફોકસનો ખૂબ મોટો લાભ ભારતના યુવાનોને પણ થયો છે. આપણા યુવા ડોક્ટરો આ વાતથી પરિચિત હશે કે પહેલાં ડોક્ટર બનવાનું સપનું કેટલું મુશ્કેલ હતું, યુવાનોને ડોક્ટર બનવાની પૂરતી તકો જ નહોતી મળતી, કારણ કે મેડિકલ સીટો અને મેડિકલ કોલેજોની સંખ્યા ખૂબ ઓછી હતી. આપણે આ પરિસ્થિતિને પણ બદલી છે. આજે દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સીટોમાં રેકોર્ડ વધારો થયો છે. અને, હવે તો ચંદીગઢ પીજીઆઈમાં પણ એમબીબીએસ કોલેજને મંજૂરી આપી દેવામાં આવી છે. ટૂંક સમયમાં અહીં પણ એડમિશન શરૂ થઈ જશે. આનાથી દેશના કેટલાય પ્રતિભાશાળી યુવાનોને આવી ટોપ ઇન્સ્ટિટ્યુટમાં ભણવાની તક મળશે. દેશને મોટી સંખ્યામાં બેસ્ટ ડોક્ટર્સ મળશે.
સાથીઓ, ચંદીગઢ એક એવું શહેર છે, જ્યાં એજ્યુકેશન, એન્જિનિયરિંગ, મેડિકલ સાયન્સ અને રિસર્ચ સાથે જોડાયેલી મોટી સંસ્થાઓ એક સાથે મોજૂદ છે. ખૂબ ઓછા શહેરો પાસે આવું સામર્થ્ય હોય છે. આવનારા સમયમાં આ જ સંસ્થાઓ નવી ટેકનોલોજી, હેલ્થકેર, સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશનના મોટા કેન્દ્રો બની શકે છે. આજે શિક્ષણ સાથે જોડાયેલી કેટલીય મહત્વપૂર્ણ પરિયોજનાઓ પણ આ યાત્રાને નવી ગતિ આપી રહી છે. પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાં કુરુક્ષેત્ર બોયઝ હોસ્ટેલ એન્ડ મેસનું ઉદ્ઘાટન થયું છે. સેક્ટર–46ની ગવર્નમેન્ટ કોલેજ માટે નવું હોસ્ટેલ પણ તૈયાર થયું છે. રિસર્ચ સ્કોલર્સ હોસ્ટેલનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. અમારો પ્રયાસ છે કે આપણા યુવાનોને રિસર્ચ માટે બહેતર લેબ્સ, બહેતર ફેકલ્ટી મળે. જ્યારે રિસર્ચનું વાતાવરણ મજબૂત થશે, ત્યારે ઇનોવેશન પણ ઝડપી બનશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને ડીપ–ટેક, આવી તમામ ટેકનોલોજીમાં આપણે ભારતને આગળ લઈને જવાનું છે. મને પૂરો વિશ્વાસ છે કે ચંદીગઢની શિક્ષણ સંસ્થાઓ, અહીંના શિક્ષકો અને અહીંના યુવાનો આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
સાથીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કોઈપણ દેશની આર્થિક પ્રગતિનો રોડમેપ હોય છે. તેથી, પહેલીવાર દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હોલિસ્ટિક એપ્રોચ (સમગ્રતાવાદી અભિગમ) સાથે વિકસાવવામાં આવી રહ્યું છે. આજે ચંદીગઢમાં કનેક્ટિવિટીને લઈને પણ કેટલાય શુભારંભ થયા છે. આઈટી સિટીથી કુરાલી સુધીના છ લેનવાળા ગ્રીનફિલ્ડ હાઇવેનું ઉદ્ઘાટન થયું છે. આનાથી એરપોર્ટ રોડ પર દબાણ ઓછું થશે, મોહાલી અને ખરડના લોકોને ટ્રાફિક જામમાંથી રાહત મળશે. અંબાલા–ચંદીગઢ ગ્રીનફિલ્ડ હાઇવેથી ‘પી.આર. સેવન સ્પર’ આનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. આવા તમામ વિકાસ કાર્યોથી ઉદ્યોગ અને વેપારને ગતિ મળશે. આપણા ચંદીગઢમાં ઇઝ ઓફ લિવિંગ વધુ બહેતર બનશે.
સાથીઓ, રીજનલ કનેક્ટિવિટી પર ફોકસ વધારતા, આજે જલંધરમાં રેલવે સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ થવાનું છે. આનો લાભ પંજાબની સાથે–સાથે આ સમગ્ર વિસ્તારને થશે. સાથે જ, આજે હરિયાણાના જીંદથી, જીંદથી સોનીપત માટે દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન પણ શરૂ થઈ છે. ક્લીન ફ્યુઅલ (સ્વચ્છ બળતણ) પર ચાલનારી આ ટ્રેન એક ખૂબ મોટી શરૂઆત છે. હું આના માટે પણ આપ સૌને અને દેશવાસીઓને અભિનંદન આપું છું.
સાથીઓ, વિકસિત ભારતની યાત્રામાં આપણે ફ્યુચરની ટેકનોલોજી પર, ફ્યુચરના ટ્રાન્સપોર્ટેશન પર અને ફ્યુચરની હેલ્થ સર્વિસીસ પર, આ જ આધુનિક વિચાર સાથે આગળ વધવાનું છે. આપણે એવા નિર્ણયો લેવાના છે, જેનો લાભ વર્તમાન પેઢીને તો મળે જ મળે, આવનારી પેઢીઓને પણ મળતો રહે. આપણે એવી સંસ્થાઓ બનાવવાની છે, જે સમયની સાથે વધુ મજબૂત બને. ભાજપ–એનડીએ સરકાર આ જ દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. હું ચંદીગઢ, પંજાબ, હરિયાણા, હિમાચલ અને આ સમગ્ર વિસ્તારના લોકોને આ નવી પરિયોજનાઓ માટે ફરીથી ખૂબ–ખૂબ અભિનંદન આપું છું. આપ સૌનો ખૂબ–ખૂબ ધન્યવાદ. મારી સાથે બોલો– ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય.
ખૂબ–ખૂબ ધન્યવાદ.
SM/BS/JD
Chandigarh is witnessing a significant boost in healthcare, education and connectivity today. Delighted to launch projects that will benefit people here.
— Narendra Modi (@narendramodi) July 17, 2026
https://t.co/k5wxtsZ0Q8
Cleanliness is not a one-day activity... it is a way of life. pic.twitter.com/aVgVkfh0tW
— PMO India (@PMOIndia) July 17, 2026
When the COVID-19 pandemic struck, India was not a nation seeking help... it was a nation extending help to the world. pic.twitter.com/RT7zRMQ4zb
— PMO India (@PMOIndia) July 17, 2026
In India, healthcare is no longer a privilege... it is becoming a right. pic.twitter.com/nO532dcORn
— PMO India (@PMOIndia) July 17, 2026