Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સનાં ઉદ્ઘાટન સમારંભને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સનાં પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે એકત્રિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, રમતગમત આપણી યુવા પેઢીનાં જીવનમાં કેન્દ્રસ્થાને હોવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, રમતગમત વ્યક્તિત્વ વિકાસ માટેનું મહત્ત્વપૂર્ણ માધ્યમ છે.

તેમણે વ્યસ્તતા વચ્ચે પણ રમતગમત અને ફિટનેસ માટે સમય કાઢવા બદલ યુવાનોની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત પ્રસિદ્ધ રમતવીરોનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે, એ રમતવીરોએ અનેક અવરોધોનો સામનો કરીને હિંમત હાર્યા વિના સફળતાનાં શિખરે પહોંચીને પોતાના માટે અલગ સ્થાન ઊભું કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતમાં પ્રતિભાશાળી ખેલાડીઓની ઊણપ નથી. તેમણે ઉમેર્યું હતું કે, આપણે યુવા રાષ્ટ્ર છીએ અને આપણે રમતગમતમાં વધારે શ્રેષ્ઠ દેખાવ કરી શકીએ છીએ.

તેમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું મહત્ત્વ વધી રહ્યું છે, ત્યારે તેનો અર્થ એ નથી કે આપણી પાસે મજબૂત સૈન્ય અને વિકસિત અર્થતંત્ર છે. તેનો અર્થ છે કે ભારત વિજ્ઞાનીઓ, કલાકારો, રમતવીરો વગેરે ધરાવતા વિશિષ્ટ અને પ્રતિભાશાળી નાગરિકોથી સંપન્ન છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત આ ઊંચાઈએ પહોંચશે. તેમણે ઉમેર્યું હતું કે, તેમને ભારતની યુવા પેઢીમાં વિશ્વાસ છે.

તેમણે કહ્યું હતું કે, ખેલો ઇન્ડિયા ફક્ત ચંદ્રકો જીતવા માટેનો રમતોત્સવ નથી. તેમણે સમજાવ્યું હતું કે, આ રમતગમત માટે સામૂહિક ચેતના પેદા કરવાનો પ્રયાસ છે. અમે એ દરેક પાસાં પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ, જે રમતગમતને સમગ્ર દેશમાં વધારે લોકપ્રિય બનાવે.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગ્રામીણ ભારત અને નાનાં નગરોમાંથી યુવાનો આગળ આવી રહ્યાં છે અને રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યાં છે એ જોવું ખરેખર આનંદદાયક છે. આ યુવાનોને પ્રોત્સાહનની જરૂર છે, જે સરકાર પ્રદાન કરવા ઇચ્છે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જેઓ રમતગમતને ખરાં હૃદયથી ચાહે છે તેમને નાણાકીય વળતરની અપેક્ષા હોતી નથી. તેમણે ઉમેર્યું હતું કે, આ કારણે રમતવીરો વિશેષ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે એક ભારતીય રમતવીર જીતે છે અને જ્યારે તે ત્રિરંગો લહેરાવે છે ત્યારે સંપૂર્ણ દેશનાં નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ જાગે છે અને ઉત્સાહનું મોજું ફરી વળે છે.

NP/J.Khunt/GP/RP