Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ રાંચીમાં સામુહિક યોગ અભ્યાસનું નેતૃત્વ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાંચીમાં યોજાયેલા સામુહિક યોગ અભ્યાસમાં ભાગ લીધો હતો.

યોગ સત્રની શરૂઆત પૂર્વે પોતાના સંબોધનમાં તેમણે લોકોને આહ્વાન કર્યું હતું કે, “ચાલો શાંતિ, સૌહાર્દ અને પ્રગતિ માટે યોગને આપણો આદર્શ બનાવીએ.”

આ પ્રસંગે તેમણે તમામ ઉપસ્થિતોનું અભિવાદન કરવા ઉપરાંત, યોગનો સંદેશો લોકોમાં વ્યાપક રીતે ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ મીડિયા કર્મીઓ અને સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા લોકોની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ હવે શહેરોથી ગામડાઓ અને ગરીબ તેમજ આદિજાતીના સમુદાયોના ઘરો સુધી આધુનિક યોગનો સંદેશો લઇ જવા માંગે છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, યોગ અચૂક પણે ગરીબ અને આદિજાતી પરિવારોના દૈનિક જીવનનો હિસ્સો બનવો જોઇએ કારણે કે તેઓ જ બીમારીને લીધે સૌથી વધુ પીડિત છે.

આજે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બદલાતા સમયની સાથે-સાથે, આપણું ધ્યાન માત્ર બીમારીથી છુટકારો મેળવવા પર જ નહીં, પરંતુ સુખાકારી પર પણ કેન્દ્રીત થવું જોઇએ. તેમણે કહ્યું કે, યોગ આપણને આ શક્તિ આપી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, યોગ અને આપણા પ્રાચીન ભારતીય દર્શનમાં આ જ મૂળ ભાવના રહેલી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે જમીન અથવા સાદડી પર જે મુદ્રાઓ કરીએ છીએ માત્ર એ જ યોગ નથી, યોગ એક શિસ્તપાલન અને સમર્પણ છે અને આપણા દૈનિક જીવનમાં તે અચૂક હોવા જોઇએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, યોગને ઉંમર, રંગ, જ્ઞાતિ, સમુદાય, વિચારધારા, સંપ્રદાય, શ્રીમંત અથવા ગરીબ, રાજ્ય અને સરહદોનું બંધન નથી, યોગ દરેક વ્યક્તિ સાથે સંકળાયેલ છે.

પ્રધાનમંત્રીએ આજે જણાવ્યું હતું કે, દિવાનખંડથી શયનખંડ, પાર્કથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને શેરીઓથી માંડીને વેલનેસ સેન્ટર તમામ જગ્યાએ યોગે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષુ છે.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, યોગ પ્રાચીન અને અર્વાચીન બંને છે, તે અવિરત છે અને સતત તેનો વિકાસ થઇ રહ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સદીઓથી, યોગનું સત્વ યથાવત રહ્યું છે: સ્વસ્થ શરીર, સ્થિર મન, એકતાની ભાવના. યોગ જ્ઞાન, કર્મ અને ભક્તિનું આદર્શ મિશ્રણ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વએ યોગ અપનાવ્યા છે ત્યારે, આપણે આ વિષય સંબંધિત સંશોધન પર વધુ ભાર મૂકવો જોઇએ, યોગને દવા, ફિઝિયોથેરાપી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રો સાથે સાંકળવા જોઇએ.

DK/NP/J. Khunt/GP/RP