Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઈકોનોમિક ટાઈમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટમાં પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળ પાઠ

ઈકોનોમિક ટાઈમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટમાં પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળ પાઠ


શ્રી વિનીત જૈન, સન્માનનીય અતિથિઓ, મહિલાઓ અને સજ્જનો,

હું આજે અહીં ઉપસ્થિત રહેવા માટે ખૂબ ખુશ છું. વૈશ્વિક અર્થવ્યવસ્થા અનિશ્ચિતતાના તબક્કામાંથી પસાર થઈ રહી છે. આવા સમયે હું અહીં ભારત જ નહીં, પરંતુ વિદેશમાંથી પણ લોકો આ સમિટમાં ભાગ લેવા સમય કાઢીને આવ્યા છે એ જોઈને ખુશ છું. મને વિશ્વાસ છે કે આપણે સહુ ભારતીયોને અન્ય દેશોના અનુભવોનો ફાયદો થશે. આ પ્રસંગે હું આપને ભારતીય અર્થવ્યવસ્થાની પ્રગતિ અને વેપારના માહોલ વિશે મારા વિચારો જણાવીશ.

તમારામાંથી કેટલાક લોકોને યાદ હશે, જે મેં અગાઉ જણાવ્યું હતું કે વાસ્તવિક સુધારા, નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવવું, એ છે. જેમ મેં અગાઉ પણ જણાવ્યું હતું, મારું લક્ષ્ય છે, ‘પરિવર્તન માટે સુધારા’. ચાલો, હું પાયાની મૂળભૂત વાતો સાથે શરૂઆત કરું છું. કોઈ પણ દેશની આર્થિક નીતિના પાયાના મૂળભૂત સિદ્ધાંતો કયા હોવા જોઈએ, ખાસ કરીને વિકાસશીલ દેશો માટે ?

સૌ પહેલાં આપણે આપણાં કુદરતી સંસાધનો અને માનવ સંસાધનોના ઉપયોગમાં સુધારો કરવો છે, જેથી આપણે વધુ નક્કર પરિણામો હાંસલ કરી શકીએ. એનો મતલબ કે, સંસાધનોની વહેંચણીનું કૌશલ્ય વધારવાનું છે. એનો અર્થ કે વધુ ઠોસ વહીવટી ક્ષમતા જોઈએ છે. એનો મતલબ કે, બિનજરૂરી અંકુશો તેમજ સ્વચ્છંદીપણાને નાબૂદ કરવાના છે.

બીજું, આપણે આપણા નાગરિકોના વિકાસ માટે નવી તકો સર્જવી જોઈએ અને તેમની પસંદગીની તકો ઉપલબ્ધ કરાવવી જોઈએ. એક મહાત્વાકાંક્ષી નાગરિક માટે તક ઓક્સિજનની જેમ કામ કરે છે અને એની ક્યારેય ખોટ ન વરતાય એ માટે અમે તત્પર છીએ. સરળ શબ્દોમાં આનો જ અર્થ છે, ‘સબકા સાથ સબકા વિકાસ’

ત્રીજું, આપણે સામાન્ય માણસના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવો છે અને એનાથી પણ વધુ મહત્ત્વનું, ગરીબોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવો છે. જીવનની ગુણવત્તાના આર્થિક પાસાં હોઈ શકે છે, પરંતુ અહીં માત્ર આર્થિક પાસાંની જ વાત નથી. જો એક સરકાર પ્રગતિશીલ હોય અને ઈમાનદારી અને કુશળતાપૂર્વક વહીવટ ચલાવી રહી હોય તો સૌથી વધુ ફાયદો ગરીબોને જ થાય છે. હું મારા પોતાના અનુભવોથી એ વાત જાણું છું કે ખરાબ શાસનથી બીજા લોકોની સરખામણીએ સૌથી વધુ નુકસાન ગરીબોને જ થાય છે. એટલે આર્થિક સુધારા માટે શાસનમાં સુધારા અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

આપણે વૈશ્વિક સ્તરે પરસ્પર જોડાયેલી દુનિયામાં રહીએ છીએ. એક દેશના કાર્યોની અસર બીજા દેશો પર પણ પડે છે. આ પગલાં માત્ર વેપાર અને રોકાણ બાબતે જ નથી લેવાતાં, પરંતુ પ્રદૂષણ અને પર્યાવરણને લગતી બાબતો માટે પણ હોય છે. એક કવિએ કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ એક ટાપુ નથી. આજે એમ કહી શકાય કે કોઈ પણ દેશ એકલો ન રહી શકે. એવું વારંવાર કહેવાય છે કે દરેક પ્રકારની રાજનીતિ સ્થાનિક કક્ષાની હોય છે. મારા માટે દરેક પ્રકારની અર્થવ્યવસ્થા વૈશ્વિક છે. દેશની અંદરની બાબતો અને વિદેશની બાબતોમાં તફાવતનું મહત્ત્વ ઝડપથી ઘટી રહ્યું છે. આધુનિક યુગમાં એક દેશ માટે એટલું પૂરતું નથી કે આર્થિક નીતિઓ માત્ર દેશની, સ્થાનિક પ્રાથમિકતાઓને ધ્યાન પર લઈને જ ઘડે. મારા માટે, ભારતની નીતિઓ એવી હોવી જોઈએ, જેની બાકીની દુનિયા પર પણ સકારાત્મક અસર થાય.

તમારામાંથી ઘણા લોકોને ખબર હશે કે જ્યારે વિશ્વના ઘણા હિસ્સાઓમાં સ્થિરતાનો માહોલ છે, ત્યારે ભારતના યોગદાનથી વૈશ્વિક અર્થવ્યવસ્થાને ફાયદો થઈ શકે છે. છેલ્લા ચાર ત્રિમાસિક ગાળાથી ભારત વિશ્વની સૌથી ઝડપી વિકાસ પામી રહેલી અર્થવ્યવસ્થા છે. વર્ષ 2014-15માં ભારતે ખરીદ શક્તિ બાબતે વૈશ્વિક જીડીપી – ઘરઆંગણાના કુલ ઉત્પાદનમાં 7.4 ટકાનો ફાળો આપ્યો. પરંતુ તેણે વૈશ્વિક વિકાસમાં 12.5 ટકા ફાળો આપ્યો. આ જ રીતે, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભાગીદારીની સરખામણીએ પણ ભારતનું યોગદાન 68 ટકા વધુ નોંધાયું. 18 મહિના દરમિયાન ભારતમાં સીધા વિદેશી રોકાણો – એફડીઆઈમાં 39 ટકા વધારો નોંધાયો, જ્યારે વૈશ્વિક સ્તરે આ ગાળામાં એફડીઆઈમાં ઘટાડો નોંધાયો હતો.

પરંતુ એક દેશનું યોગદાન અર્થવ્યવસ્થાઓ કરતાં વધુ હોય છે. આ પેઢી માટે આબોહવા પરિવર્તનથી આપણા ગ્રહની રક્ષા કરવી એ સૌથી મહત્ત્વપૂર્ણ કાર્ય છે. જો એક દેશ પર્યાવરણના હિતમાં કામ કરે છે, તો તેનો લાભ બીજા દેશોને પણ મળે છે. આ જ કારણોસર સીઓપી 21 સમિટમાં ભારતે પૃથ્વીના વધુ કલ્યાણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઈતિહાસ તપાસીએ તો, જે કોઈ દેશે વિકાસ સાધ્યો છે, તેણે વ્યક્તિ દીઠ કાર્બનનું ઉત્સર્જન પણ વધુ કર્યું છે. આપણે ઈતિહાસ ફરી લખવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે વર્ષ 2030 સુધીમાં અમારી જીડીપીની સરખામણીએ કાર્બન ઉત્સર્જનમાં 33 ટકાનો ઘટાડો કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. એક એવો દેશ, જે પહેલાથી જ વ્યક્તિ દીઠ કાર્બન ઉત્સર્જન ઓછું કરી રહ્યો છે, તેને માટે આ ખૂબ જ મહાત્વાકાંક્ષી લક્ષ્યાંક છે. અમે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે વર્ષ 2030 સુધીમાં અમારી 40 ટકા વીજળીની ઉર્જા બિન-અશ્મિ ધરાવતા બળતણ દ્વારા ઉત્પન્ન કરવામાં આવશે. અમે 2.5 અબજ ટન જેટલા કાર્બન ડાયોક્સાઈડ જેટલા જ વધારાના કાર્બન સિંકના નિર્માણની પ્રતિબદ્ધતા જાહેર કરી છે. આ લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં વધારાના જંગલો સર્જીને હાંસલ કરવામાં આવશે. આ પ્રતિબદ્ધતા એક એવા દેશ તરફથી છે, જ્યાં વ્યક્તિ દીઠ જમીનની ઉપલબ્ધિ અગાઉથી જ ઓછી છે. અમે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સના શુભારંભની આગેવાની લીધી છે, જેમાં 121 દેશો સામેલ છે. આ પહેલથી આફ્રિકાથી દક્ષિણ અમેરિકા સુધીના કેટલાયે વિકાસશીલ દેશોને લાભ થશે, જેઓ વિશ્વભરમાં નવિનીકરણીય ઉર્જા – રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે થતા વિકાસનો લાભ ઉઠાવી શકે છે.

ચાલો, હવે ફરી એ ત્રણ નીતિને લગતા ઉદ્દેશો વિશે વાત કરીએ, જેનો મેં ઉલ્લેખ કર્યો હતો. હું ભારતીય અર્થવ્યવસ્થાએ હાંસલ કરેલાં પરિણામોથી વાતની શરૂઆત કરું છું. અર્થશાસ્ત્રી, મુખ્ય આર્થિક માપદંડોના સ્વરૂપમાં જીડીપીની વૃદ્ધિ, ફુગાવો, રોકાણ તથા નાણાંકીય ખાધ વિશે વાત કરે છે. જ્યારથી આ સરકારે શાસનનાં સૂત્રો સંભાળ્યાં છે, વૃદ્ધિ થઈ છે અને મોંઘવારી ઘટી છે. વિદેશી રોકાણ વધ્યા છે અને નાણાંકીય ખાધ ઘટી છે. વૈશ્વિક વેપારમાં મંદી પ્રવર્તતી હોવા છતાં ચૂકવણી ખાધનું સંતુલન પણ ઘટ્યું છે.

જોકે, આ પ્રકારના મોટા મોટા આંકડાઓથી અમે જે કામ કરી રહ્યા છીએ અને જે ઉપલબ્ધિઓ હાંસલ કરી રહ્યા છીએ, તેનું માત્ર અડધું ચિત્ર જ દેખાશે. ઘણી વાર એમ કહેવાય છે કે વિગતોમાં જ શેતાન રહે છે (ધ ડેવિલ ઇઝ ઇન ધ ડિટેઇલ્સ). પરંતુ હું એમાં માનું છું કે, કહેવાતી ઘણી બધી માહિતીઓના યોગ્ય અમલીકરણ અને ઉપયોગમાં જ ઈશ્વર રહેલા છે. આ કહેવાતા આંકડા અને માહિતી જ છે, જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો બહોળું ચિત્ર જોઈ શકાય છે.

મને લાગે છે કે આ બાબતો જાણવામાં તમને રસ પડશે –

• વર્ષ 2015માં ભારતમાં અત્યાર સુધીનું સૌથી વધુ યુરિયા ખાતરનું ઉત્પાદન થયું

• 2015માં ભારતમાં અત્યાર સુધીનું સૌથી વધુ મિશ્રિત બળતણ સ્વરૂપે ઈથેનોલનું ઉત્પાદન થયું, જેનાથી શેરડીનો પાક લેતા ખેડૂતોને લાભ થાય છે.

• 2015માં ગ્રામીણ વિસ્તારમાં વસતા ગરીબોને અત્યાર સુધીનાં સૌથી વધુ ઘરવપરાશ માટેના ગેસનાં કનેક્શન પૂરાં પડાયાં

• 2015માં અત્યાર સુધીનું સૌથી વધુ કોલસાનું ઉત્પાદન નોંધાયું

• 2015માં અત્યાર સુધીનું સૌથી વધુ વીજળીનું ઉત્પાદન થયું

• 2015માં મોટાં બંદરોથી અત્યાર સુધીમાં સૌથી વધુ પ્રમાણમાં માલસામાનની હેરફેર કરવામાં આવી

• 2015માં રેલવે મૂડી ખર્ચમાં અત્યાર સુધીનો સૌથી વધુ વધારો નોંધાયો

• 2015માં સૌથી વધુ કિલોમીટર નવા ધોરીમાર્ગો બાંધવામાં આવ્યા

• 2015માં ભારતનું અત્યાર સુધીનું સૌથી વધુ મોટર કારનું ઉત્પાદન નોંધાયું

• 2015માં ભારતમાં અત્યાર સુધીની સૌથી વધુ સોફ્ટવેરની નિકાસો કરવામાં આવી

• 2015માં ભારતે વર્લ્ડ બેન્ક ડુઈંગ બિઝનેસ ઈન્ડિકેટર્સ બાબતે અત્યાર સુધીની શ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી

• 2015માં ભારતે અત્યાર સુધીનું સૌથી વધુ વિદેશી હૂંડિયામણ મેળવ્યું

હું આ જે આંકડા ગણાવી રહ્યો છું, તેની સાથે એ પણ યાદ રાખવાની જરૂર છે કે અગાઉનાં વર્ષોમાં આમાંના ઘણા આંકડા વિરુદ્ધ – નેગેટિવ દિશામાં જઈ રહ્યા હતા. એમાંનાં ઘણાં આંકડા માત્ર સુધર્યા – હકારાત્મક બન્યા છે, એટલું જ નહીં, પરંતુ તેની વૃદ્ધિમાં વેગ પણ જોવા મળ્યો છે. દાખલા તરીકે, વર્ષ 2013-14માં કુલ 3,500 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગોને મંજૂરી અપાઈ હતી. પરંતુ આ સરકારે શાસન સંભાળ્યું, ત્યાર પછી તેમાં બમણાથી પણ વધુ વૃદ્ધિ થઈ છે, આશરે 8,000 કિલોમીટર, જે અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ છે. આ વર્ષે 10,000 કિલોમીટરના ધોરીમાર્ગો મંજૂર કરવાની અમારી યોજના છે.

ચાલો, આ પ્રકારના મોટા, નોંધપાત્ર પરિવર્તનોના કેટલાક વધુ દ્રષ્ટાંતો તમને જણાવું છું. ધ શિપિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાએ વર્ષ 2013-14માં રૂ. 275 કરોડની ખોટ નોંધાવી હતી અને વર્ષ 2014-15માં તેણે રૂ. 201 કરોડનો નફો નોંધાવ્યો છે. એક જ વર્ષમાં રૂ. 575 કરોડની કાયાપલટ થઈ.

વર્ષ 2013-14માં ભારતે ઉર્જા સક્ષમ એલઈડી લાઈટની વૈશ્વિક માંગનો માત્ર 0.1 ટકા હિસ્સો મેળવ્યો હતો. વર્ષ 2015-16માં આ હિસ્સો વધીને 12 ટકા નોંધાયો છે. હવે ભારતીય એલઈડી બલ્બ સૌથી સસ્તા છે અને વિશ્વના અન્ય દેશોની સરખામણીએ એની કિંમત એક ડોલર કરતાં પણ ઓછી છે, જ્યારે વિશ્વમાં એલઈડી બલ્બનો સરેરાશ ભાવ 3 ડોલર જેટલો છે. વર્ષ 2013-14માં ભારતે સૌર ઉર્જાના 947 મેગાવૉટના પ્લાન્ટ્સને મંજૂરી આપી હતી. વર્ષ 2015-16માં 2500 મેગાવૉટના પ્લાન્ટ્સ મંજૂર કર્યા હતા. વર્ષ 2016-17માં આ આંકડો 12,000 મેગાવૉટ સુધી વધવાની સંભાવના છે. સૌર ઉર્જાના વૈશ્વિક બજારમાં ભારતનો હિસ્સો વર્ષ 2014માં 2.5 ટકાથી વધીને વર્ષ 2016માં 18 ટકા નોંધાશે. ભારત માત્ર સ્વચ્છ ઉર્જા બાબતે જ યોગદાન નથી આપી રહ્યું, પરંતુ સમગ્ર દુનિયામાં મોટા પાયે ઉત્પાદન દ્વારા તેના ખર્ચમાં પણ ઘટાડો કરીને યોગદાન આપી રહ્યું છે. વર્ષ 2013-14માં 16,800 કિલોમીટર ટ્રાન્સમીશન લાઈનોના જોડાણ કરવામાં આવ્યાં હતાં, વર્ષ 2014-15માં આ આંકડો વધીને 22,000 નોંધાયો છે. સમગ્ર વીજળી ક્ષેત્રે વીજળીના ઉત્પાદનના ખર્ચમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ચાલો, હવે હું બીજા પાસાં – વધતી તકો, વિશે વાત કરું છું. હું સશક્તિકરણની રાજનીતિમાં વિશ્વાસ રાખું છું. હું લોકોને પોતાનું જીવન સુધારવા માટે સક્ષમ બનાવવામાં વિશ્વાસ રાખું છું. અમે વિશ્વના સૌથી મોટા અને સૌથી સફળ આર્થિક સમાવેશીકરણના કાર્યક્રમ શરૂ કર્યા છે. એનાથી આશરે 20 કરોડ લોકો, જેમના બેન્કોમાં ખાતા ન હતા, તેમને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા છે. કાર્યક્રમના શરૂઆતના દિવસોમાં કેટલાક શંકાશીલ લોકોને લાગ્યું હતું કે આ ખાતામાં એક પણ રૂપિયો નહીં હોય. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આજે આ ખાતાઓમાં 30,000 કરોડ રૂપિયા અથવા તો ચાર અબજ ડૉલરથી વધુ રકમ છે. અમે એ લોકોને મોટા પાયે ડેબિટ કાર્ડ પણ ફાળવ્યા છે. ભારત હવે એવા કેટલાક દેશોમાં સ્થાન ધરાવે છે, જ્યાં ક્રેડિટ કાર્ડ બ્રાન્ડના બજારમાં દેશી ક્રેડિટ કાર્ડનો હિસ્સો 33 ટકાથી વધુ છે.

અમે પાક વીમા માટે એક નવો અને વ્યાપક કાર્યક્રમ શરૂ કર્યો છે. તેનાથી ખેડૂતોને બેફિકર બનીને ખેતી કરવા સક્ષમ બનાવી શકાશે અને કોઈ જોખમની પરિસ્થિતિમાં રાજ્ય તેમને સુરક્ષા આપશે.

અમે અમારા ખેડૂતોને સશક્ત બનાવવા સોઈલ હેલ્થ કાર્ડ (માટીની ચકાસણીના પત્રક) શરૂ કર્યા છે. આ કાર્ડ દરેક ખેડૂતને તેની માટી અંગે સચોટ જાણકારી આપશે. આ કાર્ડ તેને રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ ટાળીને તેમજ માટીની ગુણવત્તા સુધારીને ઉપજ વધારવામાં મદદરૂપ બનશે. ઉદ્યોગ સાહસિકતા, ભારતની પરંપરાગત શક્તિઓમાંની એક છે. પરંતુ કમનસીબે, છેલ્લા કેટલાંક વર્ષોમાં તેને અવગણવામાં આવી રહી છે. વેપાર અને નફો ખરાબ શબ્દોની હરોળમાં મૂકવામાં આવતા હતા. અમે આ સ્થિતિ બદલી છે. અમારે ઔદ્યોગિક સાહસોની શાખ અને કઠોર પરિશ્રમની જરૂર છે, ધનની નહીં. મુદ્રાથી માંડીને સ્ટાર્ટ અપ ઈન્ડિયા – સ્ટેન્ડ અપ ઈન્ડિયા જેવા અમારા કાર્યક્રમો કઠોર પરિશ્રમ અને ઉદ્યોગ સાહસિકતાના અવસરો ઉપલબ્ધ કરાવશે. આ અનુસંધાને અમે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, અન્ય પછાત વર્ગો તેમજ મહિલાઓ પર વિશેષ ભાર મૂક્યો છે. અમે આ લોકોને પોતાના મુકદ્દરના સિકંદર, પોતાના ભાગ્યવિધાતા બનાવવા માંગીએ છીએ.

મોટાં અને નાનાં શહેરો માટે વિકાસની તકો ઉપલબ્ધ કરાવવી અત્યંત મહત્ત્વપૂર્ણ કાર્ય છે. શહેરી વિસ્તારો વિકાસના ચાલક છે. શહેરી વિસ્તારોમાં પરિવર્તન માટે સ્માર્ટ સીટી મિશન જેવી મહત્ત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. આ મિશન અનેક રીતે ઈતિહાસ સર્જશે. એવું પહેલીવાર બનશે કે શહેરોમાં કેટલાક વિસ્તારોનો વ્યવસ્થિત તેમજ ગુણવત્તાપૂર્વક રીતે સર્વાંગી વિકાસ કરવામાં આવે. આ વિસ્તારો દીવાદાંડી જેવું કામ કરશે, જે શહેરના બાકીના વિસ્તારો પર પણ અસર પાડશે. વ્યાપક રીતે સૌપ્રથમ વાર નાગરિક પરામર્શ શરૂ કરવામાં આવી રહ્યો છે. MyGov ના પ્લેટફોર્મ પરથી આશરે 25 લાખ લોકો આ ચર્ચા વિચારણાઓ, લોકમત, બ્લૉગ તેમજ વાતચીતના માધ્યમથી પોતાના વિચારો રજૂ કરીને ભાગ લઈ રહ્યા છે. શહેરી યોજનાઓમાં ઉપરથી નીચે સુધીના તમામ સ્તરના દ્રષ્ટિકોણમાં પ્રથમવાર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આવું પ્રથમવાર બને છે કે સરકારી યોજનાઓમાં ભંડોળની વહેંચણી મંત્રીઓ કે અધિકારીઓના નિર્ણયોથી નહીં, પરંતુ સ્પર્ધાના આધારે થઈ રહી છે. આ સ્પર્ધાત્મક તેમજ સહકારી સમવાયતંત્રનું સુંદર ઉદાહરણ છે.

મેં અગાઉ કહ્યું હતું એમ, સરકારની ભૂમિકા માત્ર અર્થવ્યવસ્થા સાથે પૂરી નથી થઈ જતી. લોકોની ભલાઈ માટે ઘણા બધા બિન-આર્થિક માપદંડો પણ છે, જેનું ધ્યાન રાખવું જોઈએ. સુશાસન નિર્ણાયક છે. અમે એવા ઘણા પગલાં લીધાં છે જેમાં પરિવર્તન લાવવાની ક્ષમતા છે. અમે લોકોએ ઉચ્ચ સ્તરે ભ્રષ્ટાચાર નાબૂદ કર્યો છે. આ એવી હકીકત છે, જેનો ભારત તેમજ વિદેશોમાં પણ આ સરકારની ટીકા કરનારાઓ અને પ્રશંસકો બંને સ્વીકાર કરી રહ્યા છે. આ જેવી તેવી ઉપલબ્ધિ નથી. અમે રાષ્ટ્રીયકૃત બેન્કોમાં રાજકીય હસ્તક્ષેપ તેમજ ફાજલ મૂડી બંધ કર્યા. અમે સૌપ્રથમવાર જાહેર ક્ષેત્રની બેન્કોમાં ખાનગી ક્ષેત્રના લોકોને સર્વોચ્ચ હોદ્દાઓ પર નિયુક્ત કર્યા છે. કૌભાંડોથી ભરેલા કુદરતી સંસાધનોના ક્ષેત્રોમાં લીલામીની પ્રક્રિયા પારદર્શક બનાવી છે.

ઘણા બધા નિષ્ણાતોએ સબસીડી ઘટાડવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. નવી જન ધન યોજના મારફતે બેન્કિંગ દ્વારા સહુને સાંકળીને સબસીડીની ઉચાપત અટકાવી છે. વિકાસશીલ દેશોમાં સામાન્ય રીતે બળતણ પર અપાતી સબસીડીને સાચવવી મુશ્કેલ હોય છે. અમે ગેસની કિંમતોને સફળતાપૂર્વક નિયમનમુક્ત બનાવી છે. હવે અમે ઘરવપરાશના ગેસ બાબતે દુનિયામાં સૌથી મોટી સીધા લાભ હસ્તાંતરણ – ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના અમલી બનાવી છે. ઈલેક્ટ્રોનિક પુરાવા મારફતે એકથી વધુ અને નકલી જોડાણો અને સબસીડી બંધ કરવામાં આવ્યા છે. તેનાથી જરૂરિયાત ધરાવતા લોકોને એનો લાભ મળ્યો છે અને જે લોકોને જરૂર નથી તેવા લોકોને લાભ અટકાવી દેવાયો છે. એનાથી સબસીડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

એક અન્ય સસ્તું બળતણ કેરોસીન છે, જેનો ઉપયોગ ગરીબો રસોઈ કરવા અને પ્રકાશ માટે કરે છે, જેનું રાજ્ય સરકારો દ્વારા વિતરણ કરવામાં આવે છે. આ બાબતના મજબૂત પુરાવા છે કે કેરોસીન પર અપાતી સબસીડીનો મોટો પાયે દુરુપયોગ થઈ રહ્યો છે અને એ ક્યાંક બીજે જાય છે. અમે 33 જિલ્લાઓમાં બજાર ભાવે કેરોસીન વેચવાનું શરૂ કર્યું છે. બજાર ભાવના કેરોસીન અને સબસીડી ધરાવતા કેરોસીનના ભાવ વચ્ચેનો તફાવત એ ગરીબ લોકોના બેન્ક ખાતાઓમાં જમા કરાવવામાં આવશે. ગરીબોની ઓળખ બેન્ક ખાતાં તેમજ બાયોમેટ્રિક ઓળખપત્ર આધાર કાર્ડ મારફતે કરવામાં આવશે. એનાથી અયોગ્ય તેમજ નકલી વપરાશકારો હટાવી શકાશે. આને પગલે સબસીડીમાં ઘટાડો થશે. અમે નક્કી કર્યું છે કે આ પ્રકારની બચતનો 75 ટકા હિસ્સો રાજ્ય સરકારોને આપીશું. એટલે અમે લોકો રાજ્ય સરકારોને આ માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ કે તેઓ તમામ જિલ્લાઓમાં આ પદ્ધતિ અમલી બનાવે.

ચંડીગઢનો અનુભવ જણાવે છે કે આ શક્ય છે. એપ્રિલ, 2014માં ચંડીગઢમાં સબસીડીવાળા કેરોસીનના 68,000 લાભાર્થી હતા. તમામ યોગ્ય પરિવારોને ગેસનું જોડાણ આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું. 10,500 નવા ગેસ જોડાણો અપાયાં. જેમની પાસે અગાઉથી જ ગેસનું જોડાણ હતું, તેવા 42,000 પરિવારોની સબસીડી બંધ કરવામાં આવી. 31મી માર્ચ, 2016ના અંત સુધીમાં ચંડીગઢ કેરોસીન-મુક્ત જાહેર થઈ જશે. તમે આ બાબત પર વિશ્વાસ કરો કે ન કરો, પરંતુ આ પગલાને પરિણામે અગાઉની સરખામણીએ અત્યારે કેરોસીનના વપરાશમાં 73 ટકા બચત થઈ છે !

બે દિવસ અગાઉ રાજ્યોના મુખ્ય સચિવો સાથેની બેઠકમાં ઘણી બધી પેન્શન યોજનાઓની સમીક્ષા કરી રહ્યો હતો. મને એ જાણીને સુખદ આશ્ચર્ય થયું કે જે લોકોનું નામ પેન્શનની યાદીમાં બે-બે વાર છે, જેઓ અયોગ્ય છે, એમને અટકાવીને સબસીડીના વેડફાટમાં મહત્ત્વપૂર્ણ ઘટાડો થયો છે. કેટલાક રાજ્યોમાં ગરીબોને નુકસાન પહોંચાડ્યા વિના સબસીડીમાં 12 ટકાનો ઘટાડો નોંધાયો છે.

બીજી એક ટોચની સબસીડી છે, ફર્ટિલાઈઝર્સ – ખાતરની. સબસીડી ધરાવતાં ખાતરોનો નોંધપાત્ર હિસ્સો ગેરકાયદેસર રીતે કેમિકલ્સ – રસાયણોના ઉત્પાદનમાં વાપરવામાં આવે છે. અમે આનું સરળ પરંતુ અસરકારક ઉકેલ અમલમાં મૂક્યો – લીમડાનો ઢોળ ચઢાવેલા ખાતરો. જૈવિક લીમડાથી ખાતરોને ઢોળ ચઢાવવાથી તે કેમિકલ બનાવવા માટે નકામાં બની જાય છે. હવે અમે ઘરઆંગણાના અને આયાતી ખાતરો બંનેના 100 ટકા લીમડાના ઢોળનું લક્ષ્યાંક હાંસલ કરી લીધું છે. આના વધુ એક નોંધાપાત્ર લાભ પણ થયો છે. ખાતર માટે લીમડાનાં પાન એકઠાં કરવા ગ્રામીણ મહિલાઓ માટે આવકનું નવું સાધન બન્યું છે.

હું જાણું છું કે તમારામાંથી ઘણા અર્થશાસ્ત્રી છે. અર્થશાસ્ત્રી સામાન્ય રીતે એવો વિશ્વાસ ધરાવતા હોય છે કે માનવી તર્કસંગત – લોજિકલ હોય છે. તેઓ માને છે કે લોકો એ ફાયદાઓ નહીં છોડે, જેના માટે તેઓ યોગ્યતા ધરાવતા નથી. ગયા વર્ષે મેં નાગરિકોને એક વિનંતી કરી. મેં તેમને ગેસની સબસીડી છોડવાની વિનંતી કરી. તેમને જણાવ્યું કે જો તેઓ પોતે આ સબસીડી મેળવવા યોગ્ય ગરીબ નથી, તો પોતાની મેળે સબસીડી મેળવવાનું બંધ કરે. અમે એક વચન પણ આપ્યું કે, પ્રત્યેક જોડાણ, જેના પરથી સબસીડી મેળવવાનું બંધ કરવામાં આવશે, અમે એક નિર્ધન પરિવારને ગેસનું જોડાણ આપીશું. ગ્રામીણ ભારતમાં નિર્ધન મહિલાઓ મુખ્યત્વે લાકડાં કે બાયોમાસનો ઉપયોગ કરે છે અને ધુમાડાને કારણે ખૂબ પીડાય છે. આ યોજના સંપૂર્ણ મરજિયાત – વૈકલ્પિક છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં આશરે 65 લાખ લોકોએ મારી વિનંતીનો જવાબ વાળ્યો. મને એ જાણીને ખૂબ આનંદ થયો કે આમાંથી કેટલાયે લોકો આગળ આવ્યા અને ગરીબોને લાભ આપવાની શરત વિના પણ તેમણે પોતાને મળતી સબસીડીઓ છોડી દીધી. અત્યાર સુધીમાં ગરીબોને 50 લાખ જેટલાં નવાં જોડાણો અપાઈ ચૂક્યાં છે. આ લોકોની ભાવના અને ભારતીયો વચ્ચે પોતાનું સન્માન કરવાની ભાવના દર્શાવું છું અને નાગરિકોનાં કાર્યોની ક્ષમતા પણ રજૂ કરું છું. એક બીજું ઉદાહરણ, જ્યાં નાગરિકોએ મારી વિનંતીનો સ્વીકાર કર્યો, તે છે, ખાદી. ઓક્ટોબર, 2014માં મેં સહુ ભારતીયોને ખાદીનું ઓછામાં ઓછું એક વસ્ત્ર ખરીદવા વિનંતી કરી હતી. તેના પ્રત્યુત્તરમાં ખાદીના વેચાણમાં વધારો નોંધાયો છે.

અમે ખોટ કરી રહેલી વિદ્યુત વિતરણ કંપનીઓની સમસ્યા ઉકેલવામાં પણ રચનાત્મક અભિગમ અપનાવ્યો છે. યુડીએવાય – ઉદય કાર્યક્રમ હેઠળ રાજ્ય સરકારો દ્વારા વધારાની લોન પર ટૂંકા ગાળાની ધિરાણ સહાય આપવામાં આવી રહી છે. પરંતુ આ માટે વીજ વિતરણ કંપનીઓ અને રાજ્ય સરકારોએ લાંબા સમયની મજબૂત શરતો પાળવાની રહે છે. આને પગલે 24×7 વીજ પુરવઠો ચાલુ રહે તેવી સ્થિતિ સર્જાશે.

આપણો દેશ જૂના અને બિનજરૂરી કાયદાઓથી લદાયેલો છે, જે લોકો અને વેપારોને અવરોધ સર્જી રહ્યા છે. અમે બિનજરૂરી કાયદાઓ ઓળખી કાઢી અને તેને પરત ખેંચવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. પરત ખેંચવા માટે 1827 કાયદાઓ નક્કી કરાયા છે. તેમાંથી 125 કાયદાઓ પાછા ખેંચી લેવાયા છે. અન્ય 758 કાયદાઓને પાછા ખેંચવા માટેનું વિધેયક લોકસભામાંથી પસાર થઈ ચૂક્યું છે અને રાજ્ય સભામાં તેને મંજૂરી મળવાની બાકી છે.

મેં સુદૃઢ સુશાસનની ક્ષમતા દર્શાવતા કેટલાક ઉદાહરણ રજૂ કર્યા છે. સુદૃઢ સુશાસન અને ભ્રષ્ટાચારમાં ઘટાડાના ફાયદા લાંબા ગાળાના અને મજબૂત હોય છે. જો તમે અમારી નીતિઓનો ગંભીરતાપૂર્વક અભ્યાસ કરશો તો તમને જણાશે કે તેમાંથી ઘણી બધી નીતિઓ લોકપ્રિય છે, પરંતુ એક પણ નીતિ જનવાદી નથી. અમે કરેલા દરેક પરિવર્તન સુશાસનની દિશામાં અને તર્કસંગત છે.

રાંધણ ગેસ, કેરોસીન અને ફર્ટિલાઈઝર્સ પર અપાઈ રહેલી સબસીડીના સંદર્ભમાં હું વાત કરું છું, ત્યારે મારે એ સ્વીકારવું જોઈએ કે આ સંદર્ભે નિષ્ણાતો દ્વારા વપરાતા શબ્દોથી હું આશ્ચર્યચકિત છું. જ્યારે કોઈ લાભ ખેડૂતો કે ગરીબોને અપાય છે, ત્યારે નિષ્ણાતો અને સરકારી અધિકારીઓ સામાન્ય રીતે તેને સબસીડી કહે છે, પરંતુ મને લાગ્યું છે કે જ્યારે કોઈ લાભ ઉદ્યોગ કે વેપાર ક્ષેત્રને આપવામાં આવે છે, ત્યારે તેને પ્રોત્સાહન કે આર્થિક સહાય કહેવામાં આવે છે. આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે ભાષાનો આ તફાવત શું આપણો દ્રષ્ટિકોણ પણ રજૂ કરે છે ? છેવટે સંપન્ન લોકોને અપાતી સબસીડી સકારાત્મક પાસાથી કેમ જોવામાં આવતી નથી ?

હું તમને એક ઉદાહરણ આપવા માંગું છું. કંપની જગતના કર ચૂકવનારાઓને અપાઈ રહેલા પ્રોત્સાહનોથી 62 હજાર કરોડ રૂપિયાથી વધુ રાજકોષીય ખાધ નોંધાય છે. શેરબજારમાં શેરો પર લાંબા ગાળાના મૂડી લાભ અને નફાને આવકવેરામાંથી સંપૂર્ણ મુક્તિ અપાઈ છે, જ્યારે સામાન્ય રીતે આ આવક નિર્ધન કમાઈ શકતો નથી. સંપૂર્ણ મુક્તિમાં સામેલ હોવાને કારણે તેની ગણતરી 62 હજાર કરોડમાં નથી કરવામાં આવતી. બેવડા કરવેરા સમજૂતીઓને કારણે બેવડો કર લાગુ થતો નથી. કદાચ તેને રોકાણોને પ્રોત્સાહનના સ્વરૂપે જોઈ શકાય છે. હું વિચારું છું કે જો ફર્ટિલાઈઝર્સ પરની સબસીડીને ખેત પેદાશોને પ્રોત્સાહનના દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે, તો શું કેટલાક નિષ્ણાતો તેને બીજા દ્રષ્ટિકોણથી જોશે ?

હું બધી સબસીડીને વાજબી ઠેરવવાની કોશિષ નથી કરી રહ્યો. હું માનું છું કે આ મુદ્દાઓ પર કોઈ પણ સૈદ્ધાંતિક સ્થિતિ ન હોઈ શકે. આપણે પ્રયોગાત્મક રહેવું જોઈએ. આપણે ખરાબ સબસીડીને બંધ કરવી પડશે, પછી ભલે તેને સબસીડી કહેવાતી હોય કે નહીં. પરંતુ કેટલીક સબસીડી ગરીબોનું રક્ષણ કરવા માટે આવશ્યક છે અને આવી સબસીડી તેમને સફળ થવાની તક ઉપલબ્ધ કરાવે છે. એટલા માટે મારું લક્ષ્ય સબસીડી બંધ કરવાનું નહીં, પરંતુ તેને તર્કસંગત બનાવવવાનું અને લક્ષ્ય નક્કી કરવાનું છે.

છેલ્લા 19 મહિનામાં અમે ઘણું મેળવ્યું છે અને અમને હજુ વધુ કાર્યો કરવાની આશા છે. આપણી સામે ઘણા પડકારો છે, પરંતુ મને વિશ્વાસ છે કે આપણે સફળતાપૂર્વક આગળ વધીશું અને સફળતાપૂર્વક ઝડપથી આગળ વધીશું તેમજ છેવાડાના વ્યક્તિ સુધી લાભ પહોંચાડવાની દિશામાં કાર્ય કરીશું.

જ્યારે દેશના લોકો આગળ વધવાનો, પ્રગતિ સાધવાનો નિર્ણય લે છે અને જ્યારે લોકોની શક્તિ અમારી સાથે હોય તો કઠોરમાં કઠોર પડકારોને પણ તકોમાં પરિવર્તિત થઈ જાય છે. મારો આ વિશ્વાસ છેલ્લા 19 મહિનાના અનુભવો પર આધારિત છે.

અમને એક સંકટોથી ઘેરાયેલી અર્થવ્યવસ્થા સોંપવામાં આવી હતી, જે હુંડિયામણના સંકટ સામે ઝઝુમી રહી હતી. અમે બે વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ભારતને વિદેશી રોકાણ અને વિકાસના મુખ્યપ્રવાહો વચ્ચે લાવી દીધું છે. મિત્રો, આપણે એક લાંબી મજલ કાપવાની છે, પરંતુ મને લાગે છે કે આપણી યાત્રાની શરૂઆત સારી થઈ છે. બધી જ લાંબી મુસાફરીઓની માફક આપણા માર્ગમાં પણ અવરોધો આવશે, પરંતુ મને વિશ્વાસ છે કે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચીશું. અમે ભવિષ્ય અને નવા ભારત માટે એક મંચનું નિર્માણ કર્યું છે :

ભારત જ્યાં તમામ બાળકોનો સુરક્ષિત જન્મ થાય અને જ્યાં નવજાત શિશુ અને માતાનો મૃત્યુ દર વૈશ્વિક સ્તરથી ઓછો હોય.

ભારત જ્યાં કોઈ પણ રહેઠાણ વિનાનું ન હોય

ભારત જ્યાં દરેક શહેર અને દરેક ગામ, દરેક શાળા અને ટ્રેન, દરેક ગલી અને ઘર સ્વચ્છ હોય

ભારત જ્યાં દરેક ગામમાં ચોવીસ કલાક વીજળી ઉપલબ્ધ હોય

ભારત જ્યાં દરેક શહેર રહેવા યોગ્ય અને જીવંત હોય

ભારત જ્યાં તમામ છોકરીઓ શિક્ષિત અને સશક્ત હોય

ભારત જ્યાં દરેક છોકરો અને છોકરી કૌશલ્યપૂર્ણ હોય અને ઉત્પાદક રોજગાર માટે તૈયાર હોય

ભારત જ્યાં કૃષિ, ઉદ્યોગ અને સેવા પૂરી પાડનારા, તમામ રોજગારની જરૂરિયાતવાળા લોકોને યોગ્ય વેતનવાળા રોજગાર આપવાની ક્ષમતા ધરાવતા હોય

ભારત જ્યાં ખેડૂત પોતાની જમીનની સ્થિતિ જાણતા હોય, શ્રેષ્ઠ સાધનો અને બીજ પૂરતા પ્રમાણમાં ધરાવતા હોય અને વૈશ્વિક સ્તરની ઉત્પાદકતા ધરાવતા હોય

ભારત જ્યાં ઉદ્યોગ સાહસિકો, ભલે તે નાના હોય કે મોટા હોય, તમામને મૂડી અને ધિરાણની સુવિધા મળતી હોય

ભારત જ્યાં સ્ટાર્ટ અપ અને અન્ય વ્યવસાયો, નવિનીકરણ ઉકેલ પૂરાં પાડતાં હોય

ભારત જે વૈશ્વિક ડિજિટલ અર્થવ્યવસ્થામાં અગ્રણી હોય

ભારત જે સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે વિશ્વભરમાં મોખરે હોય

ભારત જ્યાં દરેક નાગરિકને પાયાની સામાજિક સુરક્ષા અને વૃદ્ધાવસ્થામાં પેન્શન ઉપલબ્ધ હોય

ભારત જ્યાં નાગરિક સરકાર પર વિશ્વાસ રાખતો હોય અને સરકાર તેના પર ભરોસો રાખતી હોય

અને આ બધાથી પણ સૌથી મહત્ત્વનું એક પરિવર્તન પામેલું ભારત, જ્યાં તમામ નાગરિકોને તેમની ક્ષમતાઓ પ્રાપ્ત કરવાની તક મળતી હોય.

આભાર.

AP/J.Khunt