પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેબિનેટની બેઠકે ત્રણ પ્રાયોરિટી કોરિડોર ધરાવતા દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાને મંજૂરી આપી છે. આ ત્રણ કોરિડોરની કુલ લંબાઈ 61.679 કી.મી. રહેશે. આ 61.679 કી.મી.માંથી 22.359 કી.મી.માં ભૂગર્ભ વ્યવસ્થા ગોઠવાશે અને 39.320 કી.મી.ના વિસ્તારમાં એલિવેટેડ સ્ટેશન્સનું બાંધકામ કરાશે. આ કોરિડોરમાં 46 સ્ટેશન્સ હશે, જેમાંના 17 સ્ટેશન ભૂગર્ભમાં હશે અને બાકીના 29 સ્ટેશનનું એલિવેટેડ તરીકે બાંધકામ કરવામાં આવશે.
મેટ્રો કોરિડોર્સ પૂર્ણ કરવામાં રૂ.24,948.65 કરોડનો ખર્ચ થશે. આ પ્રોજેક્ટનું અમલીકરણ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (ડીએમઆરસી) દ્વારા કરવામાં આવશે. હાલમાં 50:50ના સ્પેશ્યલ પર્પઝ વ્હિકલમાં ભારત સરકાર અને નેશનલ કેપિટલ ટેરેટરી ઓફ દિલ્હીનો સમાવેશ થશે.
કનેક્ટીવિટીની વિશેષતાઃ
આ ત્રણ કોરિડોરમાં 22.359 કી.મી.નો ભૂગર્ભ કોરિડોર અને 39.320 કી.મી.ના એલેવેટેડ સેક્શનનો સમાવેશ થાય છે.
આ ચોથા તબક્કાના કોરિડોર પ્રોજેકટથી મેટ્રો નેટવર્કનું વિસ્તરણ થશે અને એ દ્વારા નેશનલ કેપિટલના વધુ વિસ્તારોને આવરી લેવાશે. આ કોરિડોર્સ પૂર્ણ થતાં મેટ્રોના પ્રવાસીઓને વધુ સ્ટેશનો પ્રાપ્ત થશે, જે નવા કોરિડોરને હાલની દિલ્હી મેટ્રો લાઈનથી જોડશે. સુધારેલી કનેક્ટીવિટીથી પ્રવાસીઓને રૂટના વધુ વિકલ્પો પ્રાપ્ત થશે. ત્રણ નવા કોરિડોર મારફતે 61.679 કી.મી.નો ઉમેરો થતાં માર્ગ ઉપરનો ગીચ ટ્રાફિક ઘટશે અને વાહનોને કારણે થતા પ્રદુષણમાં ઘટાડો થશે. તુઘલકાબાદ એરોસિટી કોરિડોરથી એરપોર્ટ સાથેની કનેક્ટીવિટીમાં વધારો થશે. આ કોરિડોર્સની કામગીરી પૂર્ણ થતાં દિલ્હી મેટ્રોના નેટવર્કની કુલ લંબાઈ 400 કી.મી. થશે.
J.Khunt/RP/GP