Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પૂણેમાં સ્માર્ટ સિટી મિશન પ્રોજેક્ટના આરંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

પૂણેમાં સ્માર્ટ સિટી મિશન પ્રોજેક્ટના આરંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

પૂણેમાં સ્માર્ટ સિટી મિશન પ્રોજેક્ટના આરંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ


આપણા દેશમાં એવું તો નથી કે પહેલાં કોઈ કામ થતું ન હતું. એવું પણ નથી કે સરકાર બજેટ ખર્ચ કરતી ન હતી.પરંતુ તેમ છતાં દુનિયાના ઘણાં દેશો આપણાં પછી આઝાદ થયા. ખુબ જ કંગાળ આર્થિક સ્થિતિમાંથી આવ્યા હતાં. એવું તે શું કારણ છે કે આટલા ઓછા સમયમાં દુનિયાના ઘણાં દેશો આપણાંથી ઘણાં આગળ નીકળી ગયા અને હું સતત આ સવાલ મને પોતાને પૂછતો રહું છું, વિચારતો રહું છું અને લોકો સાથે વિચાર વિમર્શ કરૂં છું. જુના અનુભવો પર જરા પૃથક્કરણ પણ કરૂં છું. સતત આ મંથન ચાલ્યા જ કરે છે. અને અનુભવ એવો આવ્યો છે કે આપણે જે લોકો સરકારોમાં બેઠા છીએ, સરકારોમાં, આયોજનોમાં, લાખો કર્મચારીઓની ફોજ છે, અધિકારીઓ છે, કારકુનો છે આપણા બધાં પંચાયત પ્રધાનથી લઈને પ્રધાનમંત્રી સુધી, ગામના તલાટીથી લઈને કેબિનેટ સેક્રેટરી સુધી આપણે બધાં ભલે લાખોની સંખ્યામાં હોઈએ, પરંતુ આપણાં બધાંથી જો કોઈ વધુ સ્માર્ટ હોય તો તે દેશનો નાગરિક છે.

જો એકવાર આ દેશના સવા સો કરોડ નાગરિકોની શક્તિને હચમચાવી દેવામાં આવે, સારા કાર્યોમાં પરોવી દેવામાં આવે તો સરકારોની કોઈ જરૂર નહીં રહે, એની મેળે જ દુનિયા ચાલવા લાગશે. બહુ જ ઝડપથી ચાલશે અને તેથી જ આ સ્માર્ટ સિટી કન્સેપ્ટ માટે ફક્ત આ કામ માટે એટલા પૈસા આપવામાં આવશે, એ નથી. આ સ્વયં જ એક બહુ મોટું જનઆંદોલન છે. આ વીતી ગયેલી ગઈકાલના અનુભવના આધારે ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાંખવાનો એક સાર્થક પ્રયાસ છે અને હું અનુભવી રહ્યો છું કે આ પ્રયોગ સફળ રહ્યો છે. શરૂઆતમાં જ્યારે આપણાં સચિવો મારી પાસે આવતાં હતાં, વૈંકેયા સાથે ડિપાર્ટમેન્ટમાં માથું પછાડતા હતાં, તેમના મનમાં મોટી મથામણ રહેતી હતી કે શહેર કેવી રીતે નક્કી કરીશું. અને આપણો દેશ એક એવો દેશ છે કે જો તમે એક જ શહેરમાં રોડની આ બાજુ કામ કરો તો રોડની પેલી બાજુ વાળા લોકો આંદોલન કરતાં રહેશે, અહીંયાં કેમ નહીં. તો આ આપણાં દેશની એક માસ્ટરી અમે પ્રાપ્ત કરી લીધી છે. એવામાં કોઈપણ શહેર પસંદ કરો તો, ખબર નહીં કે કેટલાનું ભલું કરી શકતાં પરંતુ બાકી રહેલાઓને નિરાશ કરવાનો ખુબ જ મોટો અવસર ઉભો થઈ જતો.

હાલમાં જ વસુંધરાજી એ મને અભિનંદન આપ્યા, વૈંકેયાજીને અભિનંદન આપ્યા કે તમે જયપુર અને ઉદેપુરને પસંદ કર્યા. હું વસુંધરાજીને કહેવા ઈચ્છું છું કે અમે પસંદગી નથી કરી. તમે આ અમને જે અભિનંદન આપ્યા છે તે પાછા લઈ લો, પરંતુ આ અભિનંદન જયપુરના લોકોને આપો, ઉદેપુરના લોકોને આપો. તેઓ આ સ્પર્ધામાં વિજેતા બન્યા છે. તેમણે આ પેરામીટરને પૂરો કરવાની હિંમત બતાવી છે, મુશ્કેલીઓ વેઠી છે. સમય મર્યાદામાં કામ પુરૂં કરવા માટે દોડ્યા છે.

અને આજે જે 20 શહેરોના કોઈને કોઈ કામ માટે માળખું બની ચુક્યું છે. કોઈને કોઈ કામ શરૂ થઈ ગયું છે. ઘણાં બધાં કામ, હમણાં જે વૈંકેયાજી ગણાવી રહ્યાં હતાં, તેને એક મોટી ગતિ મળી રહી છે. તેનું મૂળ કારણ તે એકમમાં નેતૃત્વ કરનારા લોકો, ત્યાં રહેલાં કોર્પોરેશનના કર્મચારી ભાઈ બહેનો અને તે નગરના જાગૃત નાગરિકો, તે સૌનો સામુહિક પ્રયાસ છે કે દરેકનાં મનમાં એક ઈચ્છા જાગી છે કે આ વખતે હિન્દુસ્તાનમાં અમારૂં શહેર પણ નંબર એક હોવું જોઈએ.

દેશમાં અમે પછાત છીએ, અમે ગરીબ છીએ, તેની હરિફાઈ કરવામાં આવી પાછળ જવાના રસ્તાઓ ક્યા છે તે શોધી રહ્યા હતાં. આ સરકાર છે જે આગળ વધવાની હરિફાઈ કરી રહી છે, આગળ વધવાના રસ્તાઓ શોધી રહી છે.

હું આજે આ મંચ પરથી કેટલાક મીડિયા હાઉસને પણ અભિનંદન આપવા ઈચ્છું છું. કેટલાક સમાચાર પત્રોએ આ કામોને મિશનના મોડમાં લીધા છે. તેમણે તેમના સમાચાર પત્રોના માધ્યમથી નાગરિકોને જાગૃત કરવાના પ્રયત્નો કર્યા. દબાણ ઉભું કર્યું અને આ થયું છે. હાલમાં મૈસુર સ્વચ્છતામાં નંબર લઈ ગયંે તો બેંગલોરમાં મોટો હાહાકાર મચી ગયો, શું થઈ ગયું ભાઈ ! બેંગલોર પાછળ કેમ રહી ગયું. હવે જોર લગાડીશું, બેંગલોરને આગળ લઈ આવીશું. આ એક વાતાવરણ સર્જાઈ ગયું છે. આપણે આ વાતને વધુ આગળ લઈ જવી છે.

દરેક જગ્યાએ એક સ્પર્ધાનું વાતાવરણ બને અને જનભાગીદારીથી બને.

આજે એક પ્લેટફોર્મનો આરંભ કરવામાં આવ્યો છે. પૂણે કેવું બને એ દિલ્હી વાળા વિચારી જ નથી શકતાં, જેટલું પૂણે વાળા વિચારી શકે છે. ભુવનેશ્વર કેવું બને, ભુવનેશ્વરની કઈ ગલીમાં ક્યું કામ થાય, ફુટપાથ ક્યાં હોય, સાયકલનો રસ્તો ક્યાં હોય, તળાવ ક્યાં હોય, ફુવારો ક્યાં હોય, હોસ્પિટલ ક્યાં હોય,પાર્કિંગ ક્યાં હોય એ ભુવનેશ્વરનો નિર્ણય દિલ્હીમાં ના થઈ શકે. પરંતુ જો વેબ પર કોઈ જોધપુરનો એક આઈડિયા આવશે તો ભુવનેશ્વર વાળો પણ જોશે, યાર! આ જોધપુર વાળાઓએ તો કંઈક નવું જ વિચાર્યું છે, ચાલો આપણે પણ જોઈએ ભુવનેશ્વરમાં નવું કેવી રીતે થઈ શકે છે. એક બહુ જ મોટા વિકાસમાં ભાગીદારી દ્રષ્ટિકોણ અને તે પણ પ્રતિભા પુલનો એક પ્રયત્ન. અને હું એવું માનું છું કે આવનારા દિવસોમાં પરિવર્તનનું કારણ બનનાર છે.

સ્વચ્છતા, આપણાં દેશમાં એક સર્વપ્રિય વિષય બની ગયો છે. એક જમાનો એવો હતો કે સરકારોની એ સ્કીમ લોકપ્રિય થતી હતી જેમાં સરકારી તિજોરીમાંથી કંઈક મળતું હતું. કોઈના ખિસ્સામાં કંઈક આવતું હતું, કોઈના પેટમાં કંઈક જતું હતું, કોઈના ગામમાં કંઈક આવતું હતું. ત્યારે લોકો માનતા હતાં હા આ કોઈ સારી સ્કીમ લાવ્યા છે.

પ્રથમવાર તેમાં કોઈ પરિવર્તન આવ્યું કે જેમાં પ્રધાનમંત્રી કંઈ નથી આપી રહ્યા. બહુ બહુ તો સલાહ આપી રહ્યા છે અને કહી રહ્યા છે, ભાઈ ! હવે આપણે બધાએ સ્વચ્છ રહેવું જોઈએ, સ્વચ્છતા રાખવી જોઈએ, ઘરથી લઈને શહેર સ્વચ્છ રહે. સરકાર કંઈપણ ના આપે પરંતુ પ્રજા કહે છે. બધા સર્વે જોઈ લો, મીડિયાના લોકોએ જેટલા સર્વે કર્યા, દરેકમાં ટોપ નંબરે કોઈ સ્કીમ લોકોને લોકપ્રિય લાગી છે તો. તે સ્વચ્છતા લાગી છે. આનો અર્થ એ થયો કે અત્યાર સુધી તો હિન્દુસ્તાનમાં એવું વિચારવામાં આવતું હતું કે લોકોને કંઈક મળે, એ જ લોકોને ગમે છે. એ વિચાર.

અમે આપણા દેશના સક્ષમ લોકો સાથે અન્યાય કર્યો છે, એવું માનીને કે આ એ લોકો નથી, જેઓ કંઈક પામવાની શોધમાં લાગેલા હોય છે, એ તો કહે છે કે અમને તક આપો, અમે કંઈક કરવા ઈચ્છીએ છીએ. અને આ કરવાનો મૂડ છે. આ સ્વચ્છતાનું અભિયાન એ મૂડનું પ્રતિબિંબ છે. જે સામાન્ય માનવતાને લાગે છે કે નહીં, બહુ થયું. હવે પરિવર્તન લાવવું છે.

એક સમય હતો આપણા દેશમાં. તમે જુના સમાચારપત્રો કાઢશો તો ઘણાં લેખો વાંચશો, પૃથક્કરણ જોશો, શહેરીકરણ, તેને બહુ મોટું સંકટ ગણવામાં આવેલ છે. દરેક વખતે આ શહેરીકરણ થઈ રહ્યું છે, શું થશે, કેવું થશે, આ જ ચર્ચાઓ ચાલી રહી છે. મારો જુદું માનવું છે. આપણે શહેરીકરણને સમસ્યા ના ગણીએ, આપણે શહેરીકરણને અક તક માનીએ. આ તક છે, શહેરીકરણ થઈ રહ્યું છે. આને આપણે સંકટ માનવું જોઈએ નહીં, આને તક સમજવી જોઈએ. જે સંકટ માનશો તો તેને સંબોધવાની અમારી રીત એ જ હશે, અરે યાર જુઓ ત્યાં કેટલાક લોકો ! વસી ગયા છે, હવે શું કરીએ, પાણી કેવી રીતે પહોંચાડીએ, વીજળી કેવી રીતે પહોંચાડીએ, શું કરીએ યાર, આ બાળકો માટે શાળાનું શું કરીશું. માથાનો દુખાવો. આની જગ્યાએ અમે એક તક ગણીને કે 2016માં આપણું પૂણે આવું છે, 2025માં આ સંભવિત છે. ભાઈ આ તરફ આગળ વધી શકાય છે ! આ તરફ આગળ વધી શકાય છે , આકાશમાં આવી રીતે પહોંચી શકીએ છીએ, ગતિ આવી રીતે લાવી શકાય છે. પાણી ડ્રેનેજનું આટલું જશે, આ વ્યવસ્થા અંગે અત્યારથી વિચારવાનું શરૂ થશે તો તે અવસરમાં બદલાઈ જશે. તેથી અમે આ શહેરીકરણને એક અવસરમાં બદલવા ઈચ્છીએ છીએ.

આપણે માનીએ કે ના માનીએ, શહેરની એક એ શક્તિ હોય છે કે જેના પર આપણે આર્થિક ક્ષેત્રના લોકો એક જુદા સ્વરૂપે કે, પરિભાષામાં તેને જોઈએ છીએ, વિકાસ ક્ષેત્ર કહીએ છીએ. હું તેને બીજી રીતે જોઉં છું. હું કહુ છું કે જો ગરીબીને પચાવવાની કોઈનામાં જો સૌથી વધુ શક્તિ છે તો તે શહેરમાં હોય છે. શહેર ગરીબીને પચાવી શકે છે અને તેના કારણે જ જ્યાં વધુ ગરીબી હોય છે, ત્યાંથી લોકો નીકળીને શહેરની તરફ આવે છે કારણ કે તેમને આશા હોય છે કે શહેરમાં કંઈને કંઈ કામ તો મળી જ જશે. સાંજે જમીને સૂઈ શકીશ, માં બાપને 50-100 રૂપિયા મોકલી શકીશ, મારૂં આટલું તો પુરૂં થઈ જશે. આ વિશ્વાસ સાથે તે શહેરમાં આવે છે અને થોડા જ દિવસોમાં ભલે તે ગાડી સાફ કરતો હશે, કે ભલે તે સાયકલમાં હવા ભરતો હશે, કંઈક તો કરતો જ હશે.પરંતુ રસ્તો શોધી કાઢે છે. આ એટલા માટે શક્ય બને છે કારણ કે શહેરમાં ગરીબીને પચાવવાની શક્તિ હોય છે. હવે આ આપણી જવાબદારી છે કે આપણે શહેરને એ શક્તિ પુરી પાડીએ, શહેરને સામર્થ્ય આપીએ કે એ વધુને વધુ ગરીબીને પચાવી શકે, જલ્દીથી જલ્દી પચાવી શકે અને એ ગરીબીથી જે પચાવીને જે શક્તિ, ઊર્જા ઉત્પન્ન થાય, તેનાથી વિકાસના નવા પરિમાણ બહાર લાવે, આ દિશામાં અમે વિચાર કર્યો છે.

આ શક્ય છે, અઘરૂં કામ નથી. આ શહેરને ઈમારતોથી, રસ્તાઓની સાઈઝથી માપી શકાય નહીં. દરેક શહેરની પોતાની એક સુંદરતા હોય છે. દરેક શહેરનો પોતાનો એક આત્મા હોય છે, દરેક શહેરની પોતાની એક ઓળખ હોય છે. આપણે જ્યારે સ્માર્ટ સિટીની વાત કરીએ છીએ, ત્યારે તે શહેરની ઓળખ, તેનો આત્મા તેને વિશેષ રીતે શક્તિશાળી બનાવવા માટે અમે જનતા – જનાર્દન પાસેથી સૂચનો મંગાવીએ છીએ. જેવી રીતે જયપુરે પોતાની સ્માર્ટ સિટીની જે કલ્પના કરી છે, તેમાં એક વિચાર તેમણે એવો પણ મુક્યો છે કે અમે નાઈટ ટાઈમ હેરિટેજ વોકનો એક નવો વિચાર શરૂ કરવા ઈચ્છીએ છીએ. એનો અર્થ એ થયો કે, એ ફક્ત બંધ ઘરોની સામે હેરિટેજ વોક તો નહીં જ થાય ને, રાત્રીના સમયે ટૂરિસ્ટ આવશે તો તેમના માટે કોઈ ખાસ વીજળીની વ્યવસ્થા કરવી પડશે. તેમનો સમય સારી રીતે વિતાવી શકાય તે માટે કેટલીક વ્યવસ્થા પણ થશે. એટલે કે શહેર રાત્રે પણ જય- જયકાર કરવાનું શરૂ કરી દેશે, ત્યારે તે જયપુર કહેવાશે.

દરેક શહેર આજે પણ, જો બનારસ ધાર્મિક કારણોથી તો ઓળખાતું હશે પરંતુ હિન્દુસ્તાનની કોઈ મહિલા એવી નહીં હોય જેને બનારસની સાડીની જાણ નહીં હોય. દરેક શહેરની પોતાની એક ઓળખ હોય છે. તેથી 21મી સદીમાં આપણી એ ઓળખને આપણે નવી ઊર્જા કેવી રીતે આપી શકીએ છીએ, આધુનિક રૂપ રંગથી કેવી રીતે શણગારી શકીએ કે જેથી આત્મા એ જ રહે, જેથી કાયાકલ્પ થઈને એક આગવી ઓળખ બની જાય. ‘સ્માર્ટ સિટી’ એટલા માટે મેં કહ્યું કે આ ઈમારતોનો ખેલ નથી. બદલાયેલી જિંદગીમાં સિસ્ટમ ગતિ ઈચ્છે છે. ઓછામાં ઓછો બગાડ થાય તેવું ઈચ્છે છે.

આજે ટેકનોલોજીનો, એક વ્યક્તિ વ્યક્તિગત રીતે પોતાના સ્માર્ટ મોબાઈલ ફોનથી ટેકનોલોજીનો ઉપયોગ કરી લે છે. પરંતુ આ ટેકનોલોજી સામુહિક સેવાનું માધ્યમ કેવી રીતે બને. ચંદ્રબાબુજીને આપણે સાંભળ્યા. કઈ રીતે તેમણે ડિજીટલ વર્લ્ડનો ઉપયોગ, સામાન્ય લોકોની સેવા માટે કર્યો છે. આજે જે પૂણેની યોજનાનો પ્રારંભ થયો છે, તેમાં ડિજીટલ વર્લ્ડનો ઉપયોગ સામાન્ય લોકોની સુખાકારી માટે કેવી રીતે કરાશે, તેનો બાબતોનો પ્રારંભ થયો છે.

એલઈડી બલ્બનું અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે. આપણા દેશમાં જો કોઈ સરકાર એમ કહે કે અમે આવનારા દિવસોમાં રૂપિયા એક લાખ કરોડ ઊર્જા ક્ષેત્રમાં, વીજળીના ઉત્પાદનમાં વાપરીશું, 20 હજાર મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરીશું અને લોકોને વીજળી પુરી પાડીશું. તો હું કહું છું કે ત્રણ દિવસ સુધી સમાચાર પત્રોની હેડલાઈનમાં આવ્યું હતું, વાહ મોદીજી વાહ, એક લાખ કરોડ રૂપિયા ! 20 હજાર મેગાવૉટ વીજળી, વાહ,વાહ. આવું જ થાય છે ને ? પરંતુ આ જે એલઈડી બલ્બનું અભિયાન ચલાવ્યું છે, જે દિવસે તે સંપૂર્ણ ચક્ર પુરૂં થઈ જશે, મારા દેશવાસીઓ તમે ખુશ થઈ જશો. 20 હજાર મેગાવૉટ વીજળી બચશે અને આ મારા દેશના ગરીબોના પૈસા બચાવનાર છે.

હવે પદ્ધતિ શુ છે ? સોલર એનર્જીનું અભિયાન આજે પૂણે શહેર તો સોલર પ્રોજેક્ટ પહેલેથી ચલાવી રહ્યું છે અને બહુ જ મોટું લક્ષ્યાંક રાખ્યું છે તેમણે. રૂફ ટોપ સોલર, આપણાં ઘરની ઉપર, છત પર વીજળી ઉત્પન્ન થાય, ઘરના ઉપયોગમાં આવે અને વધારાની જે વીજળી હોય તે સરકાર ખરીદી લે. તમે જુઓ વીજળીના મુશ્કેલીનો કેવી રીતે ઉકેલ લાવી શકાય છે, કેવી રીતે આમાં નવીનતા લાવી શકાય છે, પરિવર્તન કેવી રીતે કરી શકાય છે. જ્યાં સુધી આપણે આવી બાબતોને ટૂકડાઓમાં વિચારીએ છીએ, પરિવર્તન આવતું નથી. વિસ્તૃત થવું જોઈએ, એકબીજા સાથે જોડાવવું જોઈએ અને પરિણામલક્ષી બનવું જોઈએ.

આપણે કહીએ કે સ્વચ્છતા પરંતુ ફરી સવાલ એ ઉભો થાય છે કે આજે જમીન મોંઘી થઈ રહી છે. સ્વચ્છતા કરીશું તો કચરો ક્યાં નાંખીશું, જમીનમાં પુરાણ ક્યાં કરીશું, જમીનમાં પુરાણ માટે જવું હોય તો હવે તો શહેર વિકસીત થઈ રહ્યું છે, કેટલે દૂર જઈશું, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો કેટલો થશે ? પરંતુ અમારો પ્રયત્ન છે કે વેસ્ટ ટૂ વેલ્થ કચરામાંથી સંપત્તિ ઉભી કરવી. પ્રથમવાર દેશમાં શહેરી સંસ્થાઓમાંથી જે કચરો આવશે, તેમાંથી કમ્પોસ્ટ ખાતર બનાવવું અને પ્રથમવાર દેશમાં કમ્પોસ્ટ ખાતર આપણાં ખેડૂતો ખરીદે, તેના માટે જેમ યુરિયામાં સબસિડી આપવામાં આવતી હતી તે રીતે હવે ભારત સરકારે કમ્પોસ્ટ ખાતરમાં પણ સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. આના કારણે આ જે રાસાયણિક ખાતરથી ખેડૂતોની જમીન બરબાદ થઈ રહી છે, આપણી ધરતીમાતા બરબાદ થઈ રહી છે, તેને બચાવવાનું પણ કાર્ય થશે, શહેરમાં સફાઈનું પણ કામ થશે અને ખાતર બન્યા બાદ વેચવાથી બંનેની જીત થશે. એ નગરપાલિકાને પણ કેટલાક પૈસા મળશે અને, એ મહાનગરપાલિકાને પણ કેટલાક પૈસા મળશે.

ઘન કચરો વ્યવસ્થાપન અને પ્રવાહી કચરો વ્યવસ્થાપન, આજે પાણીનું સંકટ છે. ક્યારેક ક્યારેક તો આપણા મીડિયાના લોકો વસ્તુને કોણ જાણે ક્યાંથી લઈ જાય છે આપ ક્રિકેટ પણ નથી રમી શકતાં, પણ જ્યાં પણ સ્ટેડિયમ હશે, ક્રિકેટની મેચ થતી હશે. ક્રિકેટની મેચ હોય કે ના હોય, 365 દિવસ તેના પર પાણી છાંટવું જ પડે છે. પરંતુ દેશે માની લીધું કે મેચ બંધ થઈ ગઈ તો પાણી છાંટવાનું બંધ થઈ ગયું. માની લીધું દેશે. ધન્ય થજો. તેમને તે 365 દિવસ પાણી પીવડાવવું જ પડે છે. તેથી જ તો હરિયાળી રહે છે. નહીંતર તે સ્ટેડિયમમાં ક્યારેક બે વર્ષ પછી પણ રમત થવી શક્ય નહીં બને. પરંતુ હવે ખબર નથી કે તેઓ ક્યાંથી લાવે છે, નવી નવી, મોટી મોટી ફિલોસોફી ચાલવા લાગે છે અને તેને કારણે મહારાષ્ટ્રને ઘણું નુકસાન પણ થયું. પરંતુ ઘન કચરાની સાથે સાથે પ્રવાહી કચરો આપણું આ જે ડ્રેનેજનું પાણી છે, તેને અમે ચકાસીને, તે પાણીનો બગીચાઓમાં ઉપયોગ, ખેતરમાં ઉપયોગ, આ પ્રકારના કામોમાં ઉપયોગ કરીશું તો ભવિષ્યમાં આપણે પાણીના સંકટને દૂર કરી શકીશું. અને તેથી જ આપણા દેશની જનસંખ્યાની જરૂરિયાતની પૂરી કરવા માટે આપણે દરેક વસ્તુને જોવી પડશે. કારણ કે લોકોને આંતરરાષ્ટ્રીય જે ધોરણ છે પાણી મેળવવાના, ઘરમાં ઉપયોગના ત્યાં સુધી આપણે પહોંચી નહીં શકીએ કે શું ? કેમ ના પહોંચી શકીએ. આપણે પ્રયત્ન તો કરીએ, શરૂ તો કરીએ એક લીટર,પાંચ લીટર, સાત લીટર પાણી વધારતા રહીએ.

અમે દરેક વ્યક્તિના પરિવારને મકાન આપવા ઈચ્છીએ છીએ. શહેરોમાં ઝૂંપડપટ્ટીનો પૂણેએ પ્રોજેક્ટ લીધો છે. ઝૂંપડપટ્ટીને હાઉસિંગ સ્કીમમાં પરિવર્તીત કરીને તેમને મકાન આપવાનો. તમે જુઓ જીવન બદલાઈ જાય છે. ગરીબ માણસને પણ જે ઝૂંપડપટ્ટીમાં રહે છે તો વિચારવાની એક રીત હોય છે, પરંતુ તેને રહેવા માટે એક છત મળી જાય,મકાન મળી જાય, તો એ પણ વિચારે છે કે ચાલો અહીં પડદા લગાવીએ તો સારૂં રહેશે નહીં તો જુની સાડી લગાવીને પડદા બનાવી લો ભાઈ. આ બારી ઠીક નથી. તેનું મગજ કામે લાગી જાય છે. ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો ત્યારે તેને પગ લૂછણીયાની જરૂર નહોતી લાગી હવે લાગે છે કે યાર એવું કરો એક કંતાનનો નાનો ટૂકડો પણ તો રાખો, ઘરમાં કોઈ આવશે તો પગ લૂછીને આવશે. તેને લાગે છે કે યાર પૈસા બચાવીને શેતરંજી લઈ આવીએ, મહેમાન આવશે તો બેસવાના કામમાં આવશે.

મકાન મળતાં જ ફક્ત ચાર દિવાલો જ નથી મળતી, છત જ નથી મળતી, જિંદગીની નવી વિચારધારા મળી જાય છે. તેનામાં એક અભિવ્યક્તિ પેદા થાય છે અને છેવટે પ્રગતિની કોઈ જો સૌથી મોટી તાકાત છે, તો તે યોજનાઓ છે. જે સવા સો કરોડ દેશવાસીઓની અભિવ્યક્તિ હોય છે જે ગતિ લાવે છે, લક્ષ્યની પૂર્તિનું કારણ બને છે. અને દેશ એક વિશાળતા અને ભવ્યતાની તરફ આગળ વધીને સ્વયં ડંકો વગાડે છે.

અને એટલા માટે કે આ સ્પર્ધાનો યુગ છે. હું બધા જ શહેરોને આમંત્રિત કરૂં છું. આ પડકાર છે. દેશના તમામ શહેર અને ફક્ત તેની ચૂંટાયેલી સંસ્થા કે તેના કર્મચારીઓ નહીં, તે શહેરના નાગરિકો આ પડકારનો સ્વીકાર કરે. ભલે તે સ્વચ્છતાની સ્પર્ધા હશે, ભલે સ્માર્ટ સિટીમાં પ્રવેશ મેળવવાની હશે, શહેરને સ્માર્ટ બનાવવું જ છે. આ જન ભાગીદારીથી થશે, જન સંકલ્પથી થશે.

મેં જ્યારે માય ગવર્ન ડોટ ઈન પર લોકોને કહ્યું કે તમે આના માટે સૂચનો આપો, તમને આશ્ચર્ય થશે 25 લાખથી પણ વધુ લોકોએ ગંભીર પ્રકારના સૂચનો મોકલ્યાં. જેને સરકારે ધ્યાનમાં લેવા પડ્યા, એવા 25 લાખ લોકોએ ફાળો આપ્યો. જેટલી જન ભાગીદારી વધે છે. મેં વચમાં મન કી બાતમા એકવાર કહ્યું હતું કે આપણા રેલવે સ્ટેશન પર આપણા ગામની ઓળખ કેમ ના હોય. અંગ્રેજોએ જ્યારે આપણા રેલવે સ્ટેશન બનાવેલા તો તેમના મનમાં તે પીઝા હાઉસ જેવા હતાં. અમેરિકામાં તમે ગમે તે ખૂણે જાઓ તો એક જ પ્રકારના પીઝા હાઉસ હોય છે. તો આપણા રેલવે સ્ટેશનો પણ એક જ પ્રકારના છે. તમે જમણી તરફ જશો તો આ આવશે અને ડાબી તરફ જશો તો આ આવશે એ પાક્કું. ભારત એવું નથી. ભારત વિભિન્નતાઓથી ભરેલ છે. તેને નવીનીકરણ જોઈએ. મેં કહ્યું ઠીક છે દિવાલો તોડવાની જરૂર નથી પરંતુ દિવાલોના રૂપરંગ બદલીને તો શહેરની ઓળખ ઉભી કરી શકો છો. અને હું એટલો આશ્ચર્યચકિત થઈ ગયો કે મહિનાની અંદર અંદર તે ગામના તે ગામના, નગરના જે કોઈ આર્ટિસ્ટ હતાં, શાળાના બાળકો હતાં, શાળાના ડ્રોઈંગ ટીચર હતાં તે બધા રેલવે સ્ટેશને પહોંચી ગયા. તેમની પાસે જે પોતાના કલર હતાં તેનાથી તે કામ કરવા લાગી ગયા અને એટલી સુંદર દિવાલો પેઈન્ટ કરી છે. નાના નાના રેલવે સ્ટેશનોએ પોતાની ઓળખ ઉભી કરી દીધી અને તે નગરની ઓળખ સાથે તેને જોડી દીધી છે.

આજે દેશના લોકોને પરિવર્તન જોઈએ છે. પરિવર્તનમાં તેઓ સામેલ થવા ઈચ્છે છે, જોડાવા ઈચ્છે છે. સ્માર્ટ સિટીની સૌથી મોટી વિશેષતા આ જ છે. કેટલાક લોકોને સ્માર્ટ શબ્દ સાંભળતાં જ ઘણી તકલીફ થઈ રહી છે. કોઈ આવું કરવા જઈ રહ્યું છે જે ક્યારેય વિચાર્યું નથી એવું છે જી. મારી સ્માર્ટની કલ્પના બહુ જ સાદી છે જી. લોકોને પીવાનું પુરતું પાણી મળે. સોસાયટીના પ્રથમ મકાન વાળાને મળે અને છેલ્લા મકાન વાળાને ના મળે એવું તો ના થવું જોઈએ ને. થાય છે તો આવું જ ને કે એક વિસ્તારમાં પાણી આવે છે જેઓ આગળ છે તેમને પાણી પહોંચે છે જે પાછળ છે તેમને પહોંચતું નથી. વીજળી બધાને મળે, સરખા પ્રમાણમાં મળે. લોક સુવિધાની જરૂરિયાતને આધુનિક માળખાથી પરિપૂર્ણ કરવી છે. આ એક પ્રયત્ન છે અને જેવું મેં કહ્યું છે કે એક એવી આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર બને. વિકાસ પર્યાવરણ મિત્ર હોય, હરિયાળું હોય. ગરીબીને પચાવવાની શક્તિ જેટલી વધારે બને, તેટલો શહેરનો વિકાસ યોગ્ય દિશામાં છે. તે જેટલી ગરીબીને પચાવી શકે, પોતાની મેળે અર્થતંત્ર આગળ વધશે. ઘરમાં મહેમાનને એ જ જમાડી શકે છે, જે બંને ટાઈમ સુખેથી ખાઈ શકે છે. નહીંતર મહેમાનને કેવી રીતે જમાડી શકશે અને તેથી જ શહેર પણ આર્થિક દ્રષ્ટિએ સધ્ધર હોવું જોઈએ, એ તાકાત હોવી જોઈએ કે જે બહારથી ગરીબી આપણે ત્યાં આવતી રહેતી હોય એ ગરીબીને સંભાળવાની, પચાવવાની, એ ગરીબીમાંથી એને બહાર લાવવાની તાકાત આ શહેરમાં હોવી જોઈએ. તો એક નવું પરિવર્તન, નવી રીતે પરિવર્તન, જન ભાગીદારીથી પરિવર્તન આવે એ દિશામાં પ્રયત્ન થઈ રહ્યા છે.

મેં થોડા દિવસો પહેલાં શું શું કામ થયું એની સમીક્ષા કરી. હું ખરેખર એટલો પ્રસન્ન થઈ ગયો કે પ્રજાના વિશ્વાસ પર કોઈ કામ કરીએ છીએ તો કેટલી શક્તિ હોય છે, તેનું આ ઉદાહરણ છે. આ સ્માર્ટ સિટી એટલા લોકો એમાં જોડાઈ રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે. બધા આર્કિટેક્ચર, પહેલાં તમે આર્કિટેક્ચરને કહેતા કે આ કામ છે તો એ કહે સાહેબ આ ટેન્ડર ક્યારે બહાર પડવાનું છે. આજે એ ટેન્ડરનું નથી પૂછતો, કહેશે હા –હા, અમે પણ કોમ્પિટીશનમાં આવીશું, અમે પણ કરીશું. સંપૂર્ણ વાતાવરણ બદલાઈ ગયું છે. તો હું ફરી એકવાર વૈંકેયાજી, તેમની પુરેપુરી ટીમને ખુબ ખુબ અભિનંદન આપું છું. પૂણે શહેરને ખુબ ખુબ અભિનંદન આપું છું. પણ પૂણેવાળા યાદ રાખે તમે કદાચ દોઢ માર્કથી નંબર – 2 થઈ ગયા છો. જો દોઢ માર્ક તમારા વધુ હોત તો, ભુવનેશ્વરના સ્થાને તમે હોત. તમે જુઓ કેટલી સારી સ્પર્ધા ચાલી રહી છે. હું ફરી વાર પૂણે આવીશ તો એવું ઈચ્છીશ કે આવતી વખતે જ્યારે કોઈપણ સ્પર્ધા હોય તો આપણું પૂણે નંબર વન જોઈએ. આ છત્રપતિ શિવાજી મહારાજનો વારસો છે, આ લોકમાન્ય તિલકની અમાનત છે અને તેથી જ એ જ જુસ્સાથી આપણે પૂણેને આગળ લઈ જઈએ અને દેશના લોકોને હું કહું છું કે તમે પણ નિર્ણય કરો કે પૂણેથી પાછળ રહેવાનું નથી. જો જો કેટલો આનંદ આવે છે.

ખુબ ખુબ આભાર.

AP/J.Khunt