Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એડવાન્ટેજ આસામ– ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018નાં ઉદઘાટન સત્રને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગૌહાટીમાં એડવાન્ટેજ આસામ– ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018નાં ઉદઘાટનસત્રને સંબોધન કર્યું હતું.

 

પ્રધાનમંત્રીએ સમિટને આવકારતાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની એક્ટ ઇસ્ટ પોલિસી (પૂર્વ ભારતમાં કામ કરવાની નીતિ)માં ઉત્તર-પૂર્વનાં રાજ્યો કેન્દ્ર સ્થાને છે. આ નીતિ લોકોનો એકબીજા સાથેસંપર્ક વધારવાનો, વેપારી સંબંધોને મજબૂત કરવાનો અને આસિયાન દેશો સાથે સંબંધોને મજબૂત કરવાનો ઉદ્દેશ ધરાવે છે.

 

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે તાજેતરમાં ભારત અને આસિયાન વચ્ચેનાં સંબંધનાં 25 વર્ષની ઉજવણી કરવા માટે આયોજિત આસિયાન ઇન્ડિયા સ્મારકશિખર સંમેલનને યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત અને આસિયાન દેશો વચ્ચેનાં સંબંધો હજારો વર્ષોથી ચાલ્યાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, નવી દિલ્હીમાં આયોજિત પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આસિયાનનાં 10 દેશોનાં વડાને મુખ્ય અતિથિઓ તરીકે બોલાવવા ભારત માટે ગર્વની બાબત છે.

 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઉત્તરપૂર્વ વિસ્તારની સંતુલિત અને ઝડપી વૃદ્ધિ વડે ભારતની વિકાસગાથાને વેગ મળશે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ લોકોનાં જીવનની ગુણવત્તામાં પરિવર્તન લાવવા સાથે સંબંધિત છે. તેમણે કહ્યું હતું કે, તેમની સરકારનો ઉદ્દેશ લોકોનાં “જીવનમાં સરળતા લાવવાનો” છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આયુષ્માન ભારત” યોજનાની જાહેરાત કેન્દ્રીય બજેટમાં થઈ હતી, જે આ પ્રકારની દુનિયામાં સૌથી મોટી યોજના છે. તેમણે જણાવ્યું હતું કે, આ સ્વાસ્થ્ય સુવિધાની યોજનાથી 45થી 50 કરોડ લોકોને લાભ થશે. તેમણે ગરીબો માટે સ્વાસ્થ્ય સુવિધા સાથે સંબંધિત અન્ય પગલાંઓનો ઉલ્લેખ પણ કર્યો હતો, જે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવ્યાં છે.

 

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર કૃષિ ઉત્પાદનોની આંતરિક ચીજવસ્તુઓનાં ખર્ચ ઘટાડી અને તેમનાં ઉત્પાદન માટે યોગ્ય કિંમત મેળવવા સક્ષમ બનાવી ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. તેમણે ખેડૂતોનાં કલ્યાણ માટે કેન્દ્ર સરકારે ઉઠાવેલા અન્ય પગલાંઓ વિશે પણ જાણકારી આપી હતી.

 

પ્રધાનમંત્રીએ લોકોને વાજબી કિંમતનાં મકાન પ્રદાન કરવા લીધેલાં પગલાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે એલઇડી બલ્બનાં વિતરણ માટે ઉજાલા યોજના વિશે વાત કરી હતી, જેનાં પરિણામે ઘરગથ્થું વીજળીનાં બિલ પર નોંધપાત્ર બચત થઈ છે. તેમણે રાષ્ટ્રીય વાંસ અભિયાનનાં પુનર્ગઠનનો ઉલ્લેખ કર્યો હતો, જે ઉત્તરપૂર્વ માટે વિશેષ મહત્ત્વપૂર્ણ છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનાં વહીવટીય માળખામાં સુધારાથી વિવિધ યોજનાઓનાં અમલીકરણમાં ઝડપ આવી છે.

 

પ્રધાનમંત્રીએ મુદ્રા યોજના અંતર્ગત ઉદ્યોગસાહસિકોને જામીનમુક્ત લોન પ્રદાન કરવા માટે લેવાયેલા પગલાં વિશે વાત કરી હતી. તેમણે કેન્દ્ર સકારમાં એમએસએમઇ (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો)ને કરવેરામાં રાહત આપવા માટે લીધેલાં પગલાં વિશે જણાવ્યું હતું.

 

પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચાર અને કાળાં નાણાંને અંકુશમાં લેવા કેન્દ્ર સરકારની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકારે ઘણાં અભૂતપૂર્વ આર્થિક સુધારાં કર્યા છે, જે વેપાર-વાણિજ્ય કરવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતે વિશ્વ બેંકનાં વેપાર-વાણિજ્ય કરવાનાં ક્રમાંકમાં 190 દેશો વચ્ચે 42 સ્થાનની આગેકૂચ કરીને 100મું સ્થાન મેળવ્યું છે, જે આ સુધારાઓનું પરિણામ છે.

 

આસામનાં મહાન સંગીતકાર ભૂપેન હઝારિકાને ટાંકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણાં સ્વતંત્રતાસેનાનીઓનાં સ્વપ્નને સાકાર કરવાની અને વર્ષ 2022 સુધીમાં નવા ભારતનું નિર્માણ કરવાની જવાબદારી આપણાસૌની છે.

 

પ્રધાનમંત્રીએ ઉત્તર-પૂર્વમાં નવું પરિવહન માળખું ઊભું કરવા માટેની કામગીરીની રૂપરેખા પ્રસ્તુત કરી હતી.

 

તેમણે આસામનાં મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલને રાજ્યની અંદર વેપાર-વાણિજ્ય અને વિકાસને અનુકૂળ વાતાવરણ ઊભું કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.

 

RP