Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ફિક્કીની 90મી સાધારણ વાર્ષિક સભાનાં ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિક્કીની 90મી સાધારણ વાર્ષિક સભા (એજીએમ)નાં ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું હતું.

 

આ પ્રસંગે તેમણે ફિક્કીની સ્થાપના વર્ષ 1927માં થઈ ત્યારે ભારતીય ઉદ્યોગજગત સાયમન પંચનાં વિરોધમાં એક થયો હોવાનાં પ્રસંગને યાદ કર્યો હતો. વર્ષ 1927માં અંગ્રેજ સરકારે સાયમન પંચની રચના કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય ઉદ્યોગજગત એ સમયે દેશનાં હિત માટે ભારતીય સમાજનાં તમામ વર્ગો સાથે જોડાયો હતો.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 1927માં હતું એવું જ વાતાવરણ અત્યારે જોવા મળે છે. અત્યારે દેશનાં લોકો દેશ પ્રત્યેની જવાબદારીઓ અદા કરવા આગળ આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, લોકોની આશા અને આકાંક્ષાઓ પૂરી કરવા દેશને ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં જેવી આંતરિક સમસ્યાઓથી મુક્ત કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, રાજકીય પક્ષો અને ઔદ્યોગિક સંગઠનોએ દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી જોઈએ અને લોકોની લાગણીઓ સમજવી જોઈએ તથા તેને અનુરૂપ કામ કરવું જોઈએ.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આઝાદી પછી અત્યાર સુધી દેશે ઘણી સફળતા મેળવી છે, પણ કેટલાંક પડકારો ઊભા થયાં છે. તેમણે જણાવ્યું હતું કે, ગરીબો વ્યવસ્થા સામે સંઘર્ષ કરી રહ્યાં હોય એવું જણાય છે. તેમને બેંક ખાતાઓ, ગેસનાં જોડાણો, શિષ્યવૃત્તિઓ, પેન્શન વગેરે જેવી ચીજવસ્તુઓ માટે સંસ્થાઓમાં આવવું પડે છે અને વિવિધ અવરોધોનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આ પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરવા કામ કરે છે તથા પારદર્શક અને સંવેદનશીલ વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરે  છે. તેમણે જણાવ્યું હતું કે, આનું એક ઉદાહરણ જન ધન યોજના છે અને કેન્દ્ર સરકારે “જીવનની સરળતા” વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શૌચાલયનું નિર્માણ કરવા અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમનો ઉછેર ગરીબીમાં થયો હોવાથી તેઓ ગરીબો અને દેશની જરૂરિયાતો પૂરી કરવાની જરૂરિયાત સારી રીતે સમજે છે. તેમણે ઉદ્યોગસાહસિકોને જામીનગીરીમુક્ત લોન પ્રદાન કરવા મુદ્રા યોજનાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર બેંકિંગ વ્યવસ્થાને મજબૂત કરવા કામ કરે છે. તેમણે કહ્યું હતું કે, એનડીએ સરકારને એનપીએની હાલની સમસ્યા મોટા ભાગે અગાઉની સરકાર પાસેથી વારસામાં મળી છે. તેમણે કહ્યું હતું કે, ફાઇનાન્શિયલ રેગ્યુલેશન એન્ડ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ (એફઆરડીઆઇ) બિલ વિશે અફવાઓ ફેલાવવામાં આવે છે. સરકાર ખાતાધારકોનાં હિતોનું રક્ષણ કરવા કામ કરે છે, પણ અફવાઓ તેનાથી વિપરીત ફેલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, ફિક્કી જેવી સંસ્થાઓ આ પ્રકારની સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા માટે જવાબદાર છે. તેમણે જણાવ્યું હતું કે, ફિક્કી જીએસટીને વધારે અસરકારક બનાવવામાં પણ ભૂમિકા ભજવી રહી છે. સરકાર જીએસટી માટે મહત્તમ વ્યવસાયો રજિસ્ટર થાય એ સુનિશ્ચિત કરવા પ્રયાસરત છે. જેટલી વ્યવસ્થા વધારે ઔપચારિક બનશે, તેટલો જ વધારે લાભ ગરીબોને મળશે. તેનાથી બેંકો પાસેથી ધિરાણ સરળતાપૂર્વક ઉપલબ્ધ થશે અને લોજિસ્ટિક્સનો ખર્ચ ઘટશે, જેથી વ્યવસાયોની સ્પર્ધાત્મકતા વધશે. તેમણે ઉમેર્યું હતું કે, ફિક્કી નાનાં વેપારીઓ વચ્ચે વિસ્તૃત જાગૃતિ લાવવા કેટલીક યોજના ધરાવે છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, ફિક્કીએ સામાન્ય નાગરિકોનું બિલ્ડર્સ દ્વારા થતું શોષણ જેવી સમસ્યાઓ પર જરૂરી જણાય ત્યારે ચિંતા વ્યક્ત કરવી જોઈએ.

 

પ્રધાનમંત્રીએ યુરિયા, ટેક્સટાઇલ, નાગરિક ઉડ્ડયન અને સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોમાં સરકારે લીધેલા નીતિગત નિર્ણયોનો તથા તેનાથી તેમને થયેલા લાભોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંરક્ષણ, નિર્માણ, ફૂડ-પ્રોસેસિંગ વગેરે જેવા ક્ષેત્રોમાં થયેલા સુધારાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારનાં વિવિધ પગલાંઓને પરિણામે વિશ્વ બેંકનાં “વેપારવાણિજ્ય સરળ કરવાનાં” ક્રમમાં ભારતનો ક્રમ 142માંથી 100 થયો છે. તેમણે અન્ય માપદંડોનો ઉલ્લેખ પણ કર્યો હતો, જે અર્થતંત્રની મજબૂત સ્થિતિને સૂચવે છે. તેમણે કહ્યું હતું કે, સરકારે લીધેલા આ પગલાં રોજગારીનાં સર્જનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ફૂડ પ્રોસેસિંગ, સ્ટાર્ટ-અપ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સૌર ઊર્જા, હેલ્થકેર વગેરે જેવા ક્ષેત્રોમાં ફિક્કી ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તેમણે ફિક્કીને એમએસએમઇ ક્ષેત્ર માટે થિંક-ટેંકની ભૂમિકા ભજવવા અપીલ કરી હતી.

 

J.Khunt