Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં દુષ્કાળ અને પાણીની તંગીની સ્થિતિની સમીક્ષા રાજસ્થાનના મુખ્યમંત્રી સાથે કરી

પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં દુષ્કાળ અને પાણીની તંગીની સ્થિતિની સમીક્ષા રાજસ્થાનના મુખ્યમંત્રી સાથે કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ અને પાણીની તંગીની સ્થિતિ વિષેની એક ઉચ્ચસ્તરીય બેઠક રવિવારે મળી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી, શ્રીમતી વસુંધરા રાજે આ બેઠકમાં ઉપસ્થિત હતા. ભારત સરકારના તેમજ રાજસ્થાન રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.

રાજ્યની પુરાંતના એડજસ્ટમેન્ટસ પછી નેશનલ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફંડ (એનડીઆરએફ) હેઠળ રૂ. 911.64 કરોડની રકમ રાજસ્થાનને ઉપલબ્ધ બનાવવામાં આવી છે. વર્ષ 2015-16 માટે સ્ટેટ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફંડમાં (એસડીઆરએફ) કેન્દ્રના ફાળાના અગાઉ ચૂકવાઈ ગયેલા રૂ. 827.25 કરોડ ઉપરાંતની આ રકમ છે. વર્ષ 2016-17 માટેની એસડીઆરએફના પ્રથમ હપ્તાની રકમ રૂ. 434.25 કરોડ પણ ચૂકવવામાં આવી છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજસ્થાનમાં તો છેલ્લા 67 વર્ષમાંથી 61 વર્ષ દુષ્કાળની સ્થિતિ રહી છે. પીવાના પાણીની તંગીના કારણે રાજ્યના જુદા જુદા ભાગોમાં લોકોને જે મુશ્કેલી વેઠવી પડી રહી છે તેનો વિસ્તૃત ચિતાર તેઓએ રજૂ કર્યો હતો. તેમણે આગામી ચાર વર્ષમાં મુખ્યમંત્રી જલ સ્વાવલંબન અભિયાન હેઠળ આકાર લેનારા 7 લાખ જળ સંચય માળખાઓ વિષે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા. આમાંથી એક લાખ માળખા તો આગામી 30 જુન, 2016 સુધીમાં જ તૈયાર થઈ જશે. સુક્ષ્મ સિંચાઈ માટે રાજયમાં નર્મદાના જળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ જળ સંચય માટે એક વ્યાપક સામુહિક અભિયાન હાથ ધરવાની હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે, એનસીસી, એનએસએસ, એનવાયકેએસ તથા સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ જેવી યુવા સંસ્થાઓને જળ સંગ્રહ માળખાઓની રચનામાં સામેલ કરવી જોઈએ.

પ્રધાનમંત્રીએ ગંદા પાણીના વ્યવસ્થાપન તથા ધાબાઓ ઉપર વરસાદી પાણીના સંગ્રહના મહત્ત્વ ઉપર ભાર મુક્યો હતો. આ સંદર્ભમાં વિશ્વ સ્તરે પ્રચલિત સર્વશ્રેષ્ઠ પ્રણાલિઓની પણ ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે રાજ્યમાં પરંપરાગત જળ સંગ્રહ માળખાઓ (બાવડીઓ)ને મોટા પાયે પુનર્સ્થાપિત કરાવા જોઈએ અને તેમાં જનભાગીદારી પણ હોવી જોઈએ. મુખ્યમંત્રીએ નાગોર જિલ્લામાં કુચામણ શહેરમાં બાવડીના પુનર્સ્થાપનની સફળતાના ઉદાહરણનો ઉલ્લેખ કર્યો હતો અને એવી ખાતરી આપી હતી કે, આવા પ્રયાસો હવે વિશાળ સ્તરે હાથ ધરાશે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, રાજયે ઘન કચરાના નિકાલ અને ગંદા પાણીના વ્યવસ્થાપન, પડોશના ગ્રામિણ વિસ્તારોમાં સિંચાઈનું સંકલન તેમજ શહેરના સામુહિક પરિવહન માળખામાં ગેસના ઉપયોગ માટે એક મોડેલ શહેરના વિકાસનું ધ્યેય રાખવું જોઈએ.

કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સહયોગથી કામ કરવાના દ્રઢ નિર્ધાર સાથે બેઠકનું સમાપન થયું હતું.

AP/J.Khunt