Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વિડીયો બ્રિજીના માધ્યમથી સમગ્ર દેશમાં મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. પ્રધાનમંત્રી દ્વારા વિડીયો બ્રીજની શ્રેણીમાં સરકારી યોજનાના વિવિધ લાભાર્થીઓ સાથે વાતચીત પ્રક્રિયામાં આ દ્વિતીય વિડીયો કોન્ફરન્સીંગ હતી.

લાભાર્થીઓ સાથે વાત કરતા આનંદનો અનુભવ કરી રહ્યા હોવાનું જણાવી પ્રધાનમંત્રીએ કહ્યું કે મુદ્રા યોજના એ રોજગારીને બમણી કરનારી સાબિત થઇ છે. તેમણે આગળ વધુમાં ઉમેર્યું કે આ પહેલ દ્વારા ઉદ્યોગકારોને ધિરાણકર્તાઓ અને દલાલોના વિષચક્રમાંથી મુક્તિ મેળવવામાં મદદ મળી છે. તેણે યુવાનો, મહિલાઓ અને જે લોકો તેમના વ્યવસાયને શરુ કરવા અથવા વધારવા માંગે છે તેમની માટે નવી તકોનું નિર્માણ કર્યું છે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત સરકારે અત્યાર સુધીમાં 5.75 લાખ કરોડ રૂપિયાની કુલ 12 કરોડ લોન મંજુર કરી છે. જેમાંથી 3.25 લાખ કરોડ રૂપિયાની કિંમતવાળી 28% લોન સૌપ્રથમ વાર ઉદ્યોગ શરુ કરનારા ઉદ્યોગસાહસિકોને આપવામાં આવી છે. વહેંચવામાં આવેલ કુલ લોનમાંથી કુલ લાભાર્થીઓમાંથી 74% મહિલાઓ છે અને 55% લોન એસસી/એસટી અને અન્ય પછાત વર્ગોને આપવામાં આવી છે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ યોજનાએ ગરીબોના જીવનને બદલી નાખ્યું છે. તેમણે કહ્યું કે નાના અને લઘુ વ્યવસાયોને ઉમેરીને આ યોજનાએ લોકોને આર્થિક, સામાજિક રીતે મજબુત કરવામાં મદદ કરી છે અને લોકોને સફળ બનવા માટે એક મંચ પૂરું પાડ્યું છે.

સ્વ-રોજગારનું નિર્માણ કરવા પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સ્વ-રોજગારી હોવું એ હાલના સમયમાં ગર્વનો વિષય છે અને તેણે લોકોને એવી બાબતો પ્રાપ્ત કરવામાં મદદ કરી છે કે જે અગાઉ અશક્ય લાગતી હતી.

વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું કે જો મુદ્રા યોજના કેટલાક વર્ષો અગાઉ અમલમાં મુકવામાં આવી હોત તો તેણે લાખો લોકોને તેમના પોતાના વ્યવસાયો શરુ કરવામાં મદદ કરી હોત અને તેનાથી મોટી સંખ્યામાં હિજરત કરીને જનારા લોકોની સંખ્યાને અટકાવી શકાઈ હોત.

પ્રધાનમંત્રી સાથે વાતચીત કરતા લાભાર્થીઓએ એ બાબત દર્શાવી કે કઈ રીતે મુદ્રા યોજનાએ તેમને તેમનો પોતાનો વ્યવસાય સ્થાપિત કરવામાં મદદ કરી છે અને તેના કારણે અન્ય લોકો માટે રોજગારીનું નિર્માણ કરવામાં પણ મદદ કરી છે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) એ નોન-કોર્પોરેટ, નોન-ફાર્મ, નાના/લઘુ ઉદ્યોગોને 10 લાખ સુધીની લોન પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી દ્વારા 8 એપ્રિલ, 2015ના રોજ શરુ કરવામાં આવેલ એક યોજના છે. આ ધિરાણોને પીએમએમવાય અંતર્ગત મુદ્રા તરીકે ઓળખવામાં આવે છે. આ લોન કમર્શિયલ બેંકો, આરઆરબી, નાની ફાયનાન્સ બેંકો, કોર્પોરેટ બેંકો, એમએફઆઈ અને એનબીએફસી દ્વારા આપવામાં આવે છે.

NP/J.Khunt/GP