Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વીડિયો બ્રીજ દ્વારા દેશના સમગ્ર સ્વસહાય જૂથના સભ્યો સાથે વાતચીત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (12-07-2018) વીડિયો બ્રીજના માધ્યમથી દેશના સમગ્ર સહસહાય જૂથના સભ્યો અને દીનદયાળ અંત્યોદય યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. આ સંવાદમાં વિવિધ સ્વસહાય જૂથોનું પ્રતિનિધિત્વ કરતી એક કરોડથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરવાની શ્રેણીમાં પ્રધાનમંત્રીનો આ નવમો સંવાદ હતો.

વિવિધ રાજ્યોના સ્વસહાય જૂથોની મહિલાઓ સાથે વાતચીત દરમિયાન ખુશી વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દરેક સભ્ય સંકલ્પ, સામૂહિક પ્રયત્નો અને ઉદ્યમિતાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. તેમણે કહ્યું કે મહિલાઓ ઉદ્યમી છે, મુશ્કેલ પરિસ્થિતિઓમાં આત્મનિર્ભરતા એ તેમની આંતરિક શક્તિ છે અને તેમને માત્ર પ્રદર્શન કરવાની તક મળવી જરૂરી છે. તેમણે કહ્યું કે મહિલાઓના યોગદાન વિના કોઈપણ ક્ષેત્રો ખાસ કરીને કૃષિ અને ડેરીની કલ્પના કરવી અશક્ય છે. આ જ આખા દેશમાં મહિલા સશક્તિકરણની સાચી ભાવના પ્રદર્શિત કરે છે.

વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દરેક રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ યોજનાનો ઉદ્દેશ 2.5 લાખ ગ્રામ પંચાયોતમાં કરોડો ગરીબ પરિવારો સુધી પહોંચવાનો અને તેમને ટકાઉ આજીવિકાનો અવસર પૂરો પાડવાનો છે. તેમણે યોજનાના સફળ અમલીકરણ માટે દરેક રાજ્યો અને અધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી.

સ્વસહાય જૂથ (એસએચજી) અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વસહાય  જૂથ ગરીબો અને ખાસ કરીને સમાજના ગ્રામીણ સ્તરની મહિલાઓના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. તેમણે કહ્યું કે 2011-2014ની સરખામણીએ ગત ચાર વર્ષોમાં એસએચજીની સંખ્યા ચાર ગણી થઈ ગઈ છે, જેનાથી રોજગારીનું સર્જન થઈ રહ્યું છે અને ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગોનું નિર્માણ થયું છે. 2011 અને 2014ની વચ્ચેના ત્રણ વર્ષમાં 52 લાખ પરિવારોને આવરી લેતા માત્ર પાંચ લાખ સ્વસહાય જૂથોની રચના કરવામાં આવી હતી. જ્યારે 2014 થી 2.25 કરોડ પરિવારોને આવરી લેવા વધારાના 20 લાખ સ્વસહાય  જૂથોની રચના કરવામાં આવી હતી.

સરકાર આખા દેશમાં સ્વસહાય  જૂથોને પ્રોત્સાહન આપવા માટે તાલીમ, નાણાંકીય સહાયતા અને તકો પણ આપી રહી છે. મહિલા ખેડૂત સશક્તિકરણ પરિયોજનાના માધ્યમ થી 33 લાખ થી વધુ મહિલા ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. વર્તમાનમાં સમગ્ર ગ્રામીણ ભારતમાં લગભગ 5 કરોડ મહિલાઓની સક્રિય ભાગીદારી સાથે 45 લાખ સ્વસહાય  જૂથો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે દીનદયાળ અંત્યોદય યોજનાના માધ્યમથી ગ્રામીણ યુવાનોના કૌશલ્ય વિકાસ પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. શ્રેષ્ઠ જીવન માટે યુવાઓની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે રોજગારી સાથે-સાથે સ્વ રોજગાર માટે તાલીમ આપવામાં આવે છે. તેમણે જણાવ્યું કે લગભગ 28 લાખ યુવાનોને 600 ગ્રામીણ સ્વ રોજગાર પ્રશિક્ષણ સંસ્થાના માધ્યમથી કૌશલ્ય વિકાસમાં તાલીમ આપવામાં આવી છે અને લગભગ 19 લાખને રોજગારી પૂરી પાડવમાં આવી છે.

વાતચીત દરમિયાન, પ્રધાનમંત્રીએ મૂલ્યસંવર્ધન અને શ્રૃંખલા શ્રેણી દ્રષ્ટિકોણના મહત્વની બાબતમાં વાત કરી. તેમણે સ્વસહાયતા જૂથોને સરકારી ઈ-માર્કેટ પ્લેસ (જેઈએમ)માં પોતાની ઉપજ વેચવા માટે નોંધણી કરાવવાની અપીલ કરી.

પ્રધાનમંત્રી સાથે વાતચીત દરમિયાન, સભ્યોએ સ્વસહાય  જૂથો સાથે સંકળાયેલા પોતાના અનુભવો અને સફળતાની ગાથાઓ વર્ણવી. પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી કે કેવી રીતે આત્મવિશ્વાસ અને તાકાત સાથે ગરીબ મહિલાઓ દરેક મુશ્કેલીઓ સામે લડી. મહિલા લાભાર્થીઓએ, એ પણ જણાવ્યું કે સ્વસહાય  જૂથે કેવી રીતે તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે. પ્રધાનમંત્રીએ લાભાર્થીઓને નરેન્દ્ર મોદી એપના માધ્યમથી, ફોટા સાથે પોતાની સાફલ્ય ગાથા અને વિચારો મોકલવા માટે પણ જણાવ્યું.

 

NP/J.Khunt/GP