Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ હિંદુસ્તાન ટાઇમ્સ લીડરશિપ સમિટને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 17મી હિંદુસ્તાન ટાઇમ્સ લીડરશિપ સમિટમાં પ્રારંભિક સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ સમાજ કે કોઈ પણ દેશે પ્રગતિ કરવા માટે એના સંસાધનોનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, સંસાધનોનું સંરક્ષણ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ”નાં મંત્ર સાથે વર્તમાન પડકારો અને સમસ્યાઓનું સમાધાન કરવા માટે કામ કરી રહી છે.

સરકારે લીધેલા કેટલાંક નિર્ણયો વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કલમ 370 જમ્મુ અને કાશ્મીર તથા લડાખનાં લોકો માટે આશાનું નવું કિરણ છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે મુસ્લિમ મહિલાઓ ટ્રિપલ તલાકની સદીઓ જૂની અન્યાયકારક પ્રથાથી મુક્ત થઈ છે. તેમણે દિલ્હીમાં ગેરકાયદેસર વસાહતોને કાયદેસર બનાવવાનો નિર્ણય ટાંક્યો હતો, જેનાથી 40 લાખ લોકોને લાભ થયો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રકારનાં કેટલાંક નિર્ણયો ન્યૂ ઇન્ડિયાનાં માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે લેવામાં આવ્યાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે સરકાર એવા જિલ્લાઓમાં કામગીરી પર વધારે ભાર મૂકી રહી છે, જે સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને માળખાગત સુવિધાઓ જેવા ઘણા વિકાસલક્ષી માપદંડોની દૃષ્ટિએ પછાત રહી ગયા છે. તેમણે જણાવ્યું હતું કે, 112 જિલ્લાઓને મહત્વાકાંક્ષી જિલ્લાઓ તરીકે વિકસાવવામાં આવી રહ્યાં છે, જેમાં વિકાસ અને વહીવટનાં દરેક માપદંડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર આ જિલ્લાઓમાં કુપોષણ, બેંકિંગની સુવિધાઓની સુલભતા, વીમો, વીજળી અને અન્ય સુવિધાઓ જેવા વિવિધ માપદંડો પર રિયલ ટાઇમ મોનિટરિંગ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ 112 જિલ્લાઓનું ઉજ્જવળ ભવિષ્ય દેશ માટે સારાં ભવિષ્યને સુનિશ્ચિત કરશે.

જળ જીવન અભિયાન વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર 15 કરોડ કુટુંબોને પાઇપ મારફતે પાણીનાં પુરવઠા સાથે જોડી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર ભારતનાં અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરનું બનાવવા કટિબદ્ધ છે અને આ લક્ષ્યાંક હાંસલ કરવા સુવિધાકાર, સક્ષમકાર અને પ્રોત્સાહક તરીકે કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બેંકનાં ઐતિહાસિક વિલિનીકરણ, શ્રમ કાયદાની આચારસંહિતા, બેંકોનું પુનઃમૂડીકરણ, કોર્પોરેટ કરવેરામાં ઘટાડો જેવા કેટલાંક આર્થિક સુધારા હાથ ધરવામાં આવ્યાં છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, વિશ્વ બેંકનાં વેપારવાણિજ્ય સરળ કરવાનાં રેન્કિંગમાં સારામાં સારી કામગીરી કરનાર દેશોમાં ભારત સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં ભારતનાં રેન્કિંગમાં 79 રેન્કનો સુધારો થયો છે. તેમણે સ્થગિત થઈ ગયેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે વિશેષ રૂ. 25000 કરોડનું ભંડોળ ઊભું કરવા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકારે રૂ. 100 લાખ કરોડનાં મૂલ્યનાં માળખાગત પ્રોજેક્ટ્સ પણ શરૂ કર્યા છે.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારત ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સમાં 34મો રેન્ક ધરાવે છે. તેમણે નોંધ્યું હતું કે, પ્રવાસન પ્રવૃત્તિઓમાં વધારો થવાથી રોજગારીની તકોનું સર્જન થશે, ખાસ કરીને ગરીબો માટે. તેમણે મનુષ્યની કુશળતામાં પરિવર્તન લાવવાની વિવિધ પહેલો વિશે વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર પરિણામ આધારિત, પરિણામલક્ષી અભિગમ અને નિયત સમયગાળામાં કામ કરવા સાથે કાર્યરત છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારનો મંત્ર “130 કરોડ ભારતીયોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે ઉચિત ઇરાદો, શ્રેષ્ઠ ટેકનોલોજી અને અસરકારક અમલીકરણનો” છે.

NP/RP