Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ‘મન કી બાત‘


મારા વ્હાલા દેશવાસીઓ,

આપ સહુને નમસ્કાર. ‘મન કી બાત’નો આ બારમો હપ્તો છે. અને આ રીતે જોઈએ તો એક વર્ષ વિતી ગયું. ગયા વર્ષે ત્રણ ઑક્ટોબરે પહેલીવાર મને મનની વાત કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. ‘મન કી બાત’ … એક વર્ષ … અનેક વાતો… મને નથી ખબર કે તમે શું મેળવ્યું. પરંતુ હું એટલું જરૂર કરી શકું કે મેં ઘણું મેળવ્યું છે. લોકતંત્રમાં જનશક્તિનું ખૂબ જ મહત્વ છે. મારા જીવનમાં એક મૂળભૂત વિચાર રહ્યો છે અને તેના કારણે જનશક્તિ પર મારો અપાર વિશ્વાસ રહ્યો છે પરંતુ ‘મનની વાત’એ મને જે શીખવ્યું, જે સમજાવ્યું, જે જાણ્યું, જે અનુભવ કર્યો તેનાથી હું કહી શકું છું કે આપણે વિચારીએ છીએ તેનાથી પણ વધુ જનશક્તિ અપરંપાર હોય છે. આપણા પૂર્વજ કહેતા હતા કે જનતા જનાર્દન એ ઈશ્વરનો જ અંશ હોય છે.

હું ‘મન કી બાત’ના મારા અનુભવોથી કહી શકું છું કે આપણા પૂર્વજોના વિચારમાં બહુ મોટી શક્તિ છે, બહુ મોટી સચ્ચાઈ છે, કારણ કે મેં એ અનુભવ્યું છે કે ‘મનની વાત’ માટે હું સૂચનો માગતો હતો અને દર વખતે બે કે ચાર સૂચનો પર જ વાત કરી શકતો હતો પરંતુ લાખોની સંખ્યામાં લોકો સક્રિય થઈ મને સૂચનો આપતા રહેતા હતા, આ એક બહુ મોટી શક્તિ છે. નહિતર વડાપ્રધાનને સંદેશ આપ્યો, માય ગવ ડોટ ઇન પર લખી દીધું, મેઇલ કરી દીધો, કાગળ લખી દીધો, પરંતુ એક વાર પણ આપણું સૂચન આવ્યું નહિ, રેડિયો પર આવ્યું નહિ તો કોઈ પણ વ્યક્તિ નિરાશ થઈ શકે. પરંતુ મને એવું નથી લાગ્યું. હા, મને આ લાખો પત્રોએ મોટો બોધપાઠ પણ આપ્યો. સરકારની અનેક મુશ્કેલીઓ, સમસ્યાઓ વિશે મને જાણકારી મળતી રહી. અને હું આકાશવાણીને પણ અભિનંદન આપું છું કે તેણે આ સૂચનોને માત્ર પત્ર ન ગણ્યા અને સામાન્ય માનવીની આકાંક્ષા ગણી અને તેણે તે પછી કાર્યક્રમો કર્યા. સરકારના વિવિધ વિભાગોને આકાશવાણી પર બોલાવ્યા અને જનતા જનાર્દને જે વાતો કહી હતી તેને તેમની સામે રાખી કેટલીક સમસ્યાઓનું નિરાકરણ કરવા પ્રયાસ કર્યો. સરકારના અલગ-અલગ વિભાગોએ લોકોના પત્રોનું વિશ્લેષણ કર્યું અને એ કઈ વાતો છે જે નીતિની બાબત છે. એ કઈ વાત છે જે વ્યક્તિલક્ષી પ્રશ્ન છે, એ કઈ વાત છે જે સરકારના ધ્યાનમાં જ નથી. ઘણી વાતો જમીનના સ્તરથી સરકાર પાસે આવવા લાગી અને એ વાત સાચી છે કે પ્રશાસનનો એક મૂળભૂત સિદ્ધાંત છે કે જાણકારી નીચેથી ઉપર તરફ આવવી જોઈ અને માર્ગદર્શન ઉપરથી નીચેની તરફ જવું જોઈએ. આ જાણકારીઓનો સ્રોત ‘મનની વાત’ બની જશે, એ કોણે વિચાર્યું હતું ? પરંતુ તે થઈ ગયું.

અને આ જ રીતે ‘મનની વાત’ એ સમાજ શક્તિની અભિવ્યક્તિનો અવસર આપી દીધો. મેં એક દિવસ એમ જ કહી દીધું હતું કે, ‘સેલ્ફી વીથ ડૉટર’ અને આખી દુનિયા આશ્ચર્યમાં પડી ગઈ. કદાચ દુનિયાના બધા દેશોમાં કોઈ ને કોઈએ લાખોની સંખ્યામાં ‘સેલ્ફી વીથ ડૉટર’, અને દિકરીને શું ગરીમા મળી ગઈ. અને જ્યારે તે ‘સેલ્ફી વીથ ડૉટર’ કરતા હતા ત્યારે તે પોતાની દિકરીનો ઉત્સાહ વધારતો જ હતો પરંતુ પોતાની અંદર પણ પ્રતિબદ્ધતા પેદા કરતો હતો. જ્યારે લોકો જોતા હતા ત્યારે પણ લાગતું હતું કે દિકરીઓ પ્રત્યેની ઉપેક્ષા હવે ત્યજવી પડશે. એક મૌન ક્રાંતિ હતી.

ભારતના પર્યટનને ધ્યાનમાં રાખતા મેં એમ જ નાગરિકોને કહ્યું હતું ‘ઇન્ક્રેડિબલ ઇન્ડિયા’ કે ભી તમે પણ જતા હો, જો કોઈ સારી તસવીર હોય તો મોકલજો, હું જોઈશ. આમ બધી સામાન્ય-હળવી વાતો હતી. પરંતુ કેટલું મોટું પરિવર્તન આવ્યું. લાખોની સંખ્યામાં ભારતના દરેક ખૂણાની એવી એવી તસવીર લોકોએ મોકલી, કદાચ ભારત સરકારના પર્યટન વિભાગે, રાજ્ય સરકારના પર્યટન વિભાગે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય કે આપણી પાસે આવો સુંદર વારસો છે. એક મંચ પર બધી ચીજો આવી અને સરકારનો એક રૂપિયો પણ ખર્ચાયો નહિ. લોકોએ સુંદર કામ કર્યું. મને ખુશી તો ત્યારે થઈ જ્યારે ગત વર્ષના ઑક્ટોબર મહિનામાં મારી પહેલી ‘મનની વાત’ હતી તો મેં ગાંધીજ્યંતિનો ઉલ્લેખ કર્યો હતો અને લોકોને પ્રાર્થના કરી હતી કે બે ઑક્ટોબર મહાત્મા ગાંધીની જ્યંતિ આપણે મનાવી રહ્યા છીએ. એક સમય હતો ‘ખાદી ફોર નેશન’. શું હવે સમયની માગ નથી કે ‘ખાદી ફોર ફેશન’ ? અને લોકોને મેં આગ્રહ કર્યો હતો કે, આપ ખાદી ખરીદો. થોડું યોગદાન આપો. આજે હું ઘણા સંતોષ સાથે કહું છું કે ગયા એક વર્ષમાં ખાદીનું વેચાણ લગભગ બમણું થયું છે, હવે આ કામ કંઈ સરકારી જાહેરખબરના કારણે નથી થયું. અબજો રૂપિયા ખર્ચીને નથી થયું. જનશક્તિનો એક અહેસાસ, એક અનુભૂતિ, એક વાર મેં ‘મનની વાત’ માં કહ્યું હતું ગરીબના ઘરમાં ચૂલો બળે છે, બાળકો રોતા રહે છે, ગરીબ માતા, શું તેને ગેસ-બાટલો ન મળવો જોઈએ ? અને મેં સંપન્ન લોકોને પ્રાર્થના કરી હતી કે તમે સબસિડી ત્યજી ન શકો શું ? વિચારો… અને આજ હું ઘણા આનંદ સાથે કહેવા માગુ છું કે આ દેશના ત્રીસ લાખ પરિવારોએ ગેસ-બાટલાની સબસિડી ત્યજી દીધી છે. અને આ લોકો પાછા અમીર નથી ! એક ટીવી ચેનલ પર મેં જોયું હતું કે, એક નિવૃત્ત શિક્ષક, એક વિધવા મહિલા લાઇનમાં ઊભી હતી, સબસિડી છોડવા માટે. સમાજના સામાન્ય જન મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ જેના માટે સબસિડી છોડવી મુશ્કેલ કામ છે, પરંતુ આવા લોકોએ છોડી. શું આ મૌન ક્રાંતિ નથી ? શું આ જનશક્તિનું દર્શન નથી ?

સરકારોએ પણ બોધપાઠ શીખવો પડશે કે આપણા સરકારી કાર્યાલયોમાં જે કામ થાય છે તે ઉંબરાની બહાર એક ઘણી મોટી જનશક્તિનો એક સામર્થ્યવાન, ઊર્જાવાન અને સંકલ્પવાન સમાજ છે. સરકારો જેટલી સમાજ સાથે જોડાઈને ચાલે છે એટલી વધુ સમાજમાં પરિવર્તન માટે એક ઉદ્દીપકના રૂપમાં કામ કરી શકે છે. ‘મનની વાત’ માં મને જે બધી ચીજો પર ભરોસો હતો પરંતુ આજે તે વિશ્વાસમાં પરિવર્તિત થઈ ગયો, શ્રદ્ધામાં રૂપાંતરિત થયો અને આથી હું આજે ‘મનની વાત’ના માધ્યમથી ફરી એકવાર જનશક્તિને શત્ શત્ વંદન કરું છું, નમન કરવા ચાહું છું. દરેક નાની વાતને પોતાની બનાવી અને દેશની ભલાઈ માટે પોતાને જોડવા પ્રયાસ કર્યો. આનાથી મોટો સંતોષ શું હોઈ શકે છે ?

‘મન કી બાત’માં આ વખતે મેં એક નવો પ્રયોગ કરવાનું વિચાર્યું. મેં દેશના નાગરિકોને પ્રાર્થના કરી હતી કે, આપ ટેલિફોન કરીને તમારા પ્રશ્નો-તમારા સૂચનો નોંધાવો. હું ‘મનની વાત’માં તેના પર ધ્યાન આપીશ. મને ખુશી છે કે, દેશમાંથી લગભગ પંચાવન હજારથી વધુ ફોન કોલ્સ આવ્યા. પછી સિયાચીન હોય, કચ્છ યા કામરૂપ, પછી કશ્મીર હોય કે કન્યાકુમારી, હિન્દુસ્તાનનો એવો કોઈ ખૂણો નહિ હોય જ્યાંથી લોકોએ ફોન કોલ્સ ન કર્યા હોય. આ ઘણો સુખદ અનુભવ છે. બધી વયના લોકોએ સંદેશ આપ્યા છે. કેટલાક સંદેશ મેં પોતે સાંભળવાનું પસંદ કર્યું. મને સારું લાગ્યું. બાકીના પર મારી ટીમ કામ કરી રહી છે. તમે ભલે એક મિનિટ કે બે મિનિટ કાઢી હશે પણ મારા માટે તમારા ફોન કોલ, તમારો સંદેશ ખૂબ જ મહત્વનો છે. સંપૂર્ણ સરકાર તમારાં સૂચનો પર જરૂર કામ કરશે. પણ એક વાત મારા માટે આશ્ચર્યની રહી અને આનંદની રહી. આમ તો એવું લાગે છે કે જાણે ચારો તરફ નેગેટિવીટી છે, નકારાત્મકતા છે. પરંતુ મારો અનુભવ અલગ રહ્યો. આ પંચાવન હજાર લોકોએ પોતાની રીતે પોતાની વાત કહેવાની હતી. કોઈ રોકટોક નહોતી. કંઈ પણ કહી શકતા હતા. પણ મને આશ્ચર્ય થાય છે કે બધી વાતો એવી જ હતી જેવી ‘મનની વાત’ ની છાયામાં હો… સંપૂર્ણપણે સકારાત્મક, સૂચનાત્મક, સર્જનાત્મક. એટલે જુઓ દેશનો સામાન્ય નાગરિક પણ હકારાત્મક વિચાર સાથે ચાલી રહ્યો છે. આ તો કેટલી મોટી મૂડી છે દેશની. કદાચ એક ટકા કે બે ટકા જ ફોન એવા હશે જેમાં કોઈ ગંભીર પ્રકારની ફરિયાદ હોય. બાકી 90 ટકાથી પણ વધુ એક ઊર્જા ભરનારી, આનંદ આપનારી વાતો લોકોએ કહી છે.

એક વાત મારા ધ્યાનમાં આવી – ખાસ કરીને સ્પેશિયલી એબલ્ડ (વિશેષ સામર્થ્યવાન) – તેમાં પણ ખાસ કરીને દૃષ્ટિહીન સ્વજનો – તેમના ઘણા ફોન આવ્યા છે. પરંતુ તેનું કારણ એ હશે કદાચ તેઓ ટીવી જોઈ શકતા નથી. તેઓ રેડિયો જરૂર સાંભળતા હશે. દૃષ્ટિહીન લોકો માટે રેડિયો કેટલો બધો મહત્વનો હશે તે મને આ વાતથી ધ્યાનમાં આવ્યું. એક નવો આયામ્ હું જોઈ રહ્યો છું અને એટલી સારી સારી વાતો કહી છે. આ લોકોએ અને સરકારને પણ સંવેદનશીલ બનાવવા માટે પર્યાપ્ત છે. મને અલવર રાજસ્થાનથી પવન આચાર્ય એ એક સંદેશ આપ્યો છું. હું માનું છું કે પવન આચાર્યની. વાત સમગ્ર દેશે સાંભળવી જોઈએ. અને સમગ્ર દેશે માનવી જોઈએ. સાંભળો તેઓ શું કહેવા માગે છે – જરૂર સાંભળો –

‘મારું નામ પવન આચાર્ય છે અને હું અલવર રાજસ્થાનનો છું. મારો સંદેશ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીને એ છે કે કૃપા કરીને આપ આ વખતે ‘મનની વાત’ માં સમગ્ર ભારત દેશની જનતાને આહવાન કરો કે દિવાળી પર તે વધુમાં વધુ માટીના દીવડાઓનો ઉપયોગ કરે જેથી પર્યાવરણને તો લાભ થશે જ અને હજારો કુંભાર ભાઈઓને રોજગારીની તક મળશે… ધન્યવાદ..’

પવન મને વિશ્વાસ છે કે પવનની જેમ આપની ભાવના હિન્દુસ્તાનના દરેક ખૂણામાં જરૂર પહોંચશે, ફેલાશે. સારું સૂચન કર્યું છે, માટીનું તો મૂલ જ ન થાય અને આથી માટીના દીવડાઓ પણ અણમોલ હોય છે. પર્યાવરણની દૃષ્ટિથી પણ તેનું મહત્વ છે. અને દીવડો બને છે ગરીબના ઘરમાં. નાના નાના લોકો આ કામથી પોતાનું પેટ ભરે છે અને હું દેશવાસીઓને જરૂર કહું છું કે આવનારા તહેવારોમાં પવન આચાર્યની વાત જો આપણે માનીશું તો તેનો અર્થ એ છે કે દીવડો આપણા ઘરમાં પ્રગટશે પણ તેનો પ્રકાશ ગરીબના ઘરમાં થશે. મારા વ્હાલા દેશવાસીઓ, ગણેશ ચતુર્થીના દિવસે મને સેનાના જવાનો સાથે બે-ત્રણ કલાક વિતાવવાનો અવસર મળ્યો. જળ, થલ અને નભ સુરક્ષા કરનારી આપણી નૌ-સેના હોય, ભૂમિ દળ હોય, વાયુ સેના હોય – આર્મી, એર ફોર્સ, નેવી. 1965નું જે યુદ્ધ થયું હતું, પાકિસ્તાન સાથે તેને 50 વર્ષ પૂરાં થયાં. તે નિમિત્તે દિલ્હીમાં ઇંડિયા ગેટ પાસે એક શૌર્યાંજલિ પ્રદર્શનીની રચના કરી છે. હું તેને ભાવથી જોતા રહ્યા ગયો હતો તો અડધા કલાક માટે પરંતુ પજ્યારે નીકળ્યો તો અઢી કલાક થઈ ગયો અને તેમ છતાં કંઈક છૂટી ગયું. ત્યાં શું નહોતું ? સમગ્ર ઇતિહાસને જીવંત કરી દીધો છે. સૌંદર્યની દૃષ્ટિથી જુઓ તો પણ ઉત્તમ છે. ઇતિહાસની દૃષ્ટિથી જુઓ તો ઘણું શીખવા મળે. અને જીવનમાં પ્રેરણા માટે જુઓ તો કદાચ માતૃભૂમિની સેવા કરવા માટે આનાથી મોટી તો કોઈ પ્રેરણા હોઈ ન શકે. યુદ્ધની જે ગૌરવભરી ક્ષણો અને આપણા સૈનિકોના અદમ્ય સાહસ અને બલિદાન વિશે આપણે સાંભળતા હતા તે વખતે તો તેની તસવીરો પ્રાપ્ય નહોતી, આટલી વિડિયોગ્રાફી પણ થતી નહોતી. આ પ્રદર્શનીના માધ્યમથી તેની અનુભૂતિ થાય છે.

લડાઈ હાજીપીરની હોય, અસલ ઉત્તરની હોય, ચામિંડાની હોય અને હાજીપીર પાસે જીતનાં દૃશ્યોને જોઈએ તો રોમાંચ થાય છે અને આપણી સેનાના જવાનો પ્રત્યે ગર્વ થાય છે. મારો આ વીર પરિવારો સાથે પણ મળવાનું થયું તે બલિદાની પરિવારો સાથે પણ મળવાનું થયું અને યુદ્ધમાં જે લોકોએ ભાગ લીધો હતો તેઓ પણ હવે જીવનના ઉત્તર કાળખંડમાં છે. તેઓ પણ પહોંચ્યા હતા અને જ્યારે તેમની સાથે હાથ મેળવી રહ્યો હતો તો લાગ્યું કે વાહ, શું ઊર્જા છે. તે એક પ્રેરણા આપતો હતો. જો તમે ઇતિહાસ બનાવવા ઇચ્છતા હો તો ઇતિહાસને ઊંડાણથી સમજવો જરૂરી છે. ઇતિહાસ આપણને આપણનાં ઇતિહાસ બનાવવાની સંભાવનાઓ પર પણ પૂર્ણવિરામ લાગી જાય છે. આ શૌર્ય પ્રદર્શનીના માધ્યમથી ઇતિહાસની અનુભૂતિ થાય છે. ઇતિહાસની જાણકારી મળે છે. અને નવો ઇતિહાસ બનાવવાની પ્રેરણાનાં બીજ પણ વાવી શકાય છે. હું આપને આપના પરિવારજનોને – જો આપ દિલ્લીની આસપાસ હો – કદાચ પ્રદર્શની હજુ કેટલાક દિવસો ચાલનારી છે – આપ જરૂર જોજો અને ઉતાવળ ન કરતા મારી જેમ. હું તો અઢી કલાકમાં પાછો આવી ગયો પરંતુ આપને તો ત્રણ-ચાર કલાક જરૂર લાગી જશે – જરૂર જુઓ.

લોકતંત્રની તાકાત જુઓ. એક નાનકડા બાળકે વડાપ્રધાનને આદેશ કર્યો છે, પરંતુ તે બાળક ઉતાવળમાં પોતાનું નામ કહેવાનું ભૂલી ગયો છે. તો મારી પાસે તેનું નામ નથી પરંતુ તેની વાત પર વડાપ્રધાને ધ્યાન આપવા જેવું છે પરંતુ આપણે બધા દેશવાસીઓએ પણ ધ્યાન આપવા જેવું છે. સાંભળો આ બાળક આપણને શું કહે છે ? –

‘વડાપ્રધાન મોદીજી, હું આપને કહેવા માગું છું કે આપે જે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે તેના માટે આપ દરેક જગ્યાએ દરેક ગલીમાં કચરાપેટી (ડસ્ટબીન) મૂકાવો.

આ બાળકે સાચું કહ્યું કે. આપણે સ્વચ્છતાનો સ્વભાવ પણ બનાવવો જોઈએ અને સ્વચ્છતા માટે વ્યવસ્થા પણ બનાવવી જોઈએ. મને આ બાળકના સંદેશથી એક ઘણો સંતોષ મળ્યો. સંતોષ એ વાતનો મળ્યો કે બે ઑક્ટોબરે મેં સ્વચ્છતા અભિયાન ચલાવવાની ઘોષણા કરી અને હું કહી શકું છું. કદાચ સ્વતંત્રતા પછી પહેલીવાર એવું થયું હશે કે સંસદમાં પણ કલાકો સુધી સ્વચ્છતાના વિષય પર આજકાલ ચર્ચા થાય છે. અમારી સરકારની ટીકા પણ થાય છે. મારે પણ ઘણું સાંભળવું પડે છે. કે મોદીજી મોટી મોટી વાતો કરો છે પણ શું થયું ? હું તેને ખરાબ નથી માનતો. હું તેમાંથી સારી વાત એ જોઉં છું કે દેશની સંસદ પણ ભારતની સ્વચ્છતા માટે ચર્ચા કરી રહી છે. અને બીજી તરફ જુઓ એક તરફ સંસદ અને એક તરફ આ દેશનો શિશુ – બંને સ્વચ્છતા પર વાત કરે છે – આનાથી મોટું દેશનું સૌભાગ્ય શું હોય શકે છે ? આ જે આંદોલન ચાલી રહ્યું છે વિચારોનું – ગંદકી તરફ નફરતનું જે વાતાવરણ બની રહ્યું છે – સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવી છે – તે સરકારોને પણ કામ કરવામ માટે ફરજ પાડશે, પાડશે અને પાડશે જ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને પણ પછી તે પંચાયત હોય – નગર પંચાયત હોય – નગર પાલિકા હોય – મહાનગરપાલિકા હોય કે પછી રાજ્ય કે કેન્દ્ર હોય – બધાને તેના પર કામ કરવું જ પડશે. આ આંદોલનને આપણે આગળ વધારવાનું છે. ઉણપો હોય તો પણ આગળ વધારવાનું છે અને આ ભારતને, 2019માં, જ્યારે મહાત્મા ગાંધીની 150મી જ્યંતિ આપણે મનાવીશું, મહાત્મા ગાંધીનાં સપનાંને પૂરાં કરવાની દિશામાં આપણે કામ કરીએ, અને આપને ખબર છે – મહાત્મા ગાંધી શું કહેતા હતા ? એક વાર તેમણે કહ્યું હતું – સ્વતંત્રતા અને સ્વચ્છતા બેમાંથી એક મારે પસંદ કરવાનું હોય તો હું પહેલાં સ્વચ્છતા પસંદ કરીશ, સ્વતંત્રતા પછી ગાંધી માટે સ્વતંત્રતાથી પણ વધુ મહત્વ સ્વચ્છતાનું હતું. આવો આપણે બધા મહાત્મા ગાંધીની વાતને માનીએ અને તેમની ઇચ્છાઓને પૂરી કરવા થોડાંક ડગલાં આપણે પણ ચાલીએ. દિલ્લીથી ગુલશન અરોડાજીએ માય ગવ પર એક સંદેશ મૂક્યો છે. તેમણે લખ્યું છે કે દીનદયાળજીની જન્મશતાબ્દી વિશે તેઓ જાણવા માગે છે.

મારા વ્હાલા દેશવાસીઓ, મહાપુરુષોનું જીવન સદા સર્વદા આપણા માટે પ્રેરણાનું કારણ રહે છે. અને આપણું કામ મહાપુરુષ કઈ વિચારધારાના હતા તેનું મૂલ્યાંકન કરવું એ આપણું કામ નથી. દેશ માટે જીવનારા-મરનારા દરેક આપણા માટે પ્રેરક હોય છે અને આ દિવસોમાં એટલા બધા મહાપુરુષોને યાદ કરવાના પ્રસંગો આવી રહ્યા છે – 25 સપ્ટેમ્બરે પંડિત દીનદયાળ ઉપાધ્યાય, 2 ઑક્ટોબરે મહાત્મા ગાંધી, લાલબહાદુર શાસ્ત્રી, 11 ઑક્ટોબરે જયપ્રકાશ નારાયણજી, 31 ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલ, કેટલાં અગણિત નામો છે. હું તો થોડાંક જ બોલી રહ્યો છું, કારણ કે આ દેશ તો બહુરત્ના વસુંધરા છે. આપ કોઈ પણ તારીખ કાઢો, ઇતિહાસના ઝરૂખામાંથી કોઈ ને કોઈ મહાપુરૂષનું નામ તો મળી જ જશે. આવનારા દિવસોમાં આ બધા મહાપુરુષોને આપણે યાદ કરીએ, તેમના જીવનનો સંદેશ આપણે ઘર-ઘર સુધી પહોંચાડીએ, અને આપણે પણ તેમાંથી કંઈ ને કંઈ શીખવાનો પ્રયાસ કરીએ.

હું વિશેષ રૂપે 2 ઑક્ટોબર માટે ફરી એક વાર આગ્રહ કરવા માગું છું. 2 ઑક્ટોબર પૂજ્ય બાપુ મહાત્મા ગાંધીની જન્મજ્યંતિ છે. મેં ગયા વર્ષે પણ કહ્યું હતું કે, તમારી પાસે દરેક પ્રકારની ફેશનનાં વસ્ત્રો હશે, દરેક પ્રકારનું ફેબ્રિક હશે, ઘણી ચીજો હશે પરંતુ તેમાં એક ખાદીનું પણ સ્થાન હોવું જોઈએ. હું એકવાર ફરી કહું છુ કે, 2 ઑક્ટોબરથી લઈને એક મહિના સુધી ખાદીમાં છૂટ હોય છે. તેનો ફાયદો ઉઠાવવો જોઈએ. અને ખાદીની સાથે હેન્ડલૂમને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ. આપણા વણકર ભાઈ કેટલી મહેનત કરે છે ? આપણે સવા સો કરોડ દેશવાસી પાંચ રૂપિયા, દસ રૂપિયા, પચાસ રૂપિયાની પણ કોઈ હેન્ડલૂમની ચીજ, કોઈ ખાદીની ચીજ ખરીદી લઈએ, છેવટે એ પૈસા ગરીબ વણકરના ઘરમાં જશે. ખાદી બનાવનારી ગરીબ વિધવાના ઘરમાં જશે. અને આથી આ દિવાળીમાં આપણે ખાદીને જરૂર આપણાં ઘરમાં સ્થાન આપીએ, આપણા શરીર પર સ્થાન આપીએ. હું એવો આગ્રહ નથી કરતો કે તમે પૂર્ણરીતે ખાદીધારી બનો. માત્ર થોડુંક – આટલો જ આગ્રહ છે મારો. અને જુઓ ગયા વખતે વેચાણ લગભગ બમણું કરી દીધું. કેટલા ગરીબોને ફાયદો થયો છે. જે કામ સરકાર અબજો રૂપિયાની જાહેરખબરથી કરી નથી શકતી, તે તમે લોકોએ નાનકડી મદદથી કરી દીધી. આ જ તો જનશક્તિ છે અને આથી હું ફરી એકવાર આ કામ માટે તમને આગ્રહ કરું છું.

વ્હાલા દેશવાસીઓ, મારા મનમાં એક વાતથી બહુ આનંદ છે. મન થાય છે આ આનંદનો તમને પણ થોડો સ્વાદ મળવો જોઈએ. હું મે મહિનામાં કોલકાતા ગયો હતો. મને સુભાષચંદ્ર બોઝના પરિવારજનો મળવા આવ્યા હતા. તેમના ભત્રીજા ચંદ્રા બોઝે બધું આયોજન કર્યું હતું. ઘણા સમય સુધી સુભાષબાબુના પરિવારજનો સાથે આનંદ ઉલ્લાસવાળી સાંજ વિતાવવાની મને તક મળી હતી. અને એ દિવસે એવું નક્કી કરાવ્યું હતું કે સુભાષબાબુનો બૃહદ પરિવાર વડાપ્રધાન નિવાસ સ્થાને આવે. ચંદ્રા બોઝ અને તેના પરિવારજનો આ કામમાં લાગી ગયા અને ગયા સપ્તાહે મને કન્ફર્મેશન મળ્યું કે 50 થી વધુ સુભાષ બાબુના પરિવારજનો વડાપ્રધાનના નિવાસ સ્થાન પર આવવાના છે. તમે કલ્પના કરી શકો છો કે મારા માટે કેટલી ખુશીની પળ હશે ? નેતાજીના પરિવારજન કદાચ તેમના જીવનમાં પહેલીવાર બધા એક સાથે વડાપ્રધાન નિવાસ જવાનો પ્રસંગ આવ્યો હશે. પરંતુ તેનાથી વધુ મારા માટે ખુશીની વાત એ છે કે વડાપ્રધાન નિવાસ સ્થાનમાં આવા આતિથ્ય સત્કારનું સૌભાગ્ય ક્યારેય નહિ આવ્યું હોય. જે મને ઑક્ટોબરમાં મળનાર છે. સુભાષ બાબુના 50 થી વધુ અને સમગ્ર પરિવારના લોકો અલગ-અલગ દેશોમાં રહે છે. બધા લોકો ખાસ આવી રહ્યા છે. કેટલી મોટી આનંદની પળ હશે મારા માટે ? હું તેમના સ્વાગત માટે ખુશ છું. ઘણી આનંદની અનુભૂતિ કરી રહ્યો છું.

એક સંદેશ મને ભાર્ગવી કાનડે તરફથી મળ્યો અને તેનો બોલવાનો ઢંગ, તેનો અવાજ આ બધું સાંભળીને મને એવું લાગ્યું કે તે પોતે જ લીડર લાગે છે અને કદાચ લીડર બનશે એવું લાગે છે.

‘મારું નામ ભાર્ગવી કાનડે છે. હું વડાપ્રધાનજીને એવું નિવેદન કરવા માગું છું કે તમે યુવા પેઢીને વોટર રજિસ્ટ્રેશન વિશે જાગ્રત કરો જેથી આવનારા સમયમાં યુવા પેઢીની હિસ્સેદારી વધે અને ભવિષ્યમાં યુવા પેઢીના મહત્વપૂર્ણ સહયોગ સરકાર પસંદ કરવામાં અને ચલાવવામાં હોય. ધન્યવાદ…’

ભાર્ગવીએ કહ્યું છે કે મતદાર સૂચિમાં નામ રજિસ્ટર કરવાની વાત અને મતદાન કરવાની વાત. તમારી વાત સાચી છે. લોકતંત્રમાં દરેક મતદાતા દેશનો ભાગ્યવિધાતા હોય છે અને આ જાગૃતિ ધીરેધીરે વધી રહી છે. મતદાનની ટકાવારી પણ વધી રહી છે. અને હું આ માટે ભારતના ચૂંટણી પંચને વિશેષ રૂપે અભિનંદન આપવા માગું છું. કેટલાંક વર્ષો પહેલાં આપણે જોતા હતા કે આપણું ચૂંટણી પંચ એક માત્ર નિયંત્રક તરીકે કામ કરી રહ્યું છે પરંતુ ગત કેટલાંક વર્ષોમાં તેમાં મોટું પરિવર્તન આવ્યું છે. આજે આપણું ચૂંટણી પંચ માત્ર નિયંત્રક નથી રહ્યું એક રીતે સુવિધા આપનારું બની ગયું છે – મતદાર મિત્ર બની ગયું છે અને તેના બધા વિચાર-યોજનાઓમાં મતદાર કેન્દ્રમાં હોય છે. આ બહુ મોટું પરિવર્તન આવ્યું છે. પરંતુ માત્ર ચૂંટણી પંચ કામ કરતું રહે તેનાથી નહિ ચાલે.

આપણે પણ સ્કૂલમાં, કૉલેજમાં, શેરીઓમાં આ જાગ્રતિનું વાતાવરણ જાળવી રાખવું જોઈએ, માત્ર ચૂંટણી વખતે જ જાગૃતિ આવે એવું નહિ. મતદાર યાદી અપગ્રેડ થતી રહેવી જોઈએ. આપણે પણ ચકાસતા રહેવું જોઈએ. મને જે અમૂલ્ય અધિકાર મળ્યો છે તે સુરક્ષિત છે કે નહિ, હું અધિકારનો ઉપયોગ કરી રહ્યો છું કે નથી કરી રહ્યો – આ ટેવ બધાને ચાલુ રાખવી પડશે. હું આશા કરું છું દેશના નવયુવાનો જો મતદાર યાદીમાં રજિસ્ટર્ડ નથી થયા તો તેમણે થવું જોઈએ અને મતદાન પણ જરૂર કરવું જોઈએ. હું તો ચૂંટણીના સમયમાં કહું છું કે પહેલાં મતદાન પછી જળપાન. કેટલું પવિત્ર કામ છે, બધાએ કરવું જોઈએ.

પરમ દિવસે હું કાશીનું ભ્રમણ કરીને આવ્યો. ઘણા લોકોને મળ્યો. ઘણા બધા કાર્યક્રમો થયા. એટલા બધા લોકોને મળ્યો પંરતુ બે બાળક – જેની વાત હું તમને કરવા માગું છું. એક મને ક્ષિતિજ પાંડે નામનો સાતમા ધોરણનો વિદ્યાર્થી મળ્યો. બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં કેન્દ્રીય વિદ્યાલયમાં તે સાતમા ધોરણાં ભણે છે. આમ તો તે ખૂબ જ તીક્ષ્ણ બુદ્ધિનો છે. તેનો આત્મવિશ્વાસ ગજબનો છે. પરંતુ આટલી નાની વયમાં ફિઝિક્સના સંશોધનોમાં તેમની રૂચિ મેં જોઈ. મને લાગ્યું કે તે ઘણું બધું વાંચતો હશે. ઇન્ટરનેટ સર્ફિંગ પણ કરતો હશે, નવા નવા પ્રયોગ જોતો હશે, રેલ અકસ્માતો કેવી રીતે રોકી શકાય, કઈ ટેકનોલોજી હોય, ઊર્જા પાછળ ખર્ચો કેવી રીતે ઓછો થાય. રોબોટ્સમાં સંવેદનાઓ કેવી રીતે આવે, શું-શું વાતો તે કહી રહ્યો હતો. બહુ ગજબ હતો તે ભાઈ. ખેર, હું ચોક્કસ રીતે તેની પ્રતિભામાં એ તો ન જોઈ શક્યો કે તે જે કહે છે તેમાં ચોક્સાઈ કેટલી છે, પરંતુ તેનો આત્મવિશ્વાસ, તેની રૂચિ, અને હું ઇચ્છુ છું કે, આપણા દેશનાં બાળકોની વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધવી જોઈએ. બાળકના મનમાં સતત પ્રશ્નો થવા જોઈએ – કેમ ? કેવી રીતે ? ક્યારે ? આ બાળક મનને પૂછવો જોઈએ.

આ જ રીતે મને સોનમ પટેલ એક ઘણી જ નાનકડી બાળાને મળવાનું થયું. નવ વર્ષની વય છે. વારાણસીના સુંદરપુર નિવાસી સદાબ્રિજ પટેલની તે એક દીકરી ઘણા જ ગરીબ પરિવારની દીકરી છે અને મને આશ્ચર્ય થયું કે તે બાળા આખી ગીતા તેને કંઠસ્થ છે. પરંતુ સૌથી મોટી વાત મને એ લાગી કે જ્યારે મેં તેને પૂછ્યું તો તે શ્લોક પણ કહેતી હતી, અંગ્રેજીમાં અર્થઘટન કરતી હતી, તેની પરિભાષા કરતી હતી, હિન્દીમાં પરિભાષા કરતી હતી. મેં તેના પિતાજીને પૂછ્યું તો તેમણે કહ્યું – તે પાંચ વર્ષની ઉંમરથી ગીતા બોલે છે. મેં પૂછ્યું ક્યાં શીખ્યું ? તો કહે – અમને પણ ખબર નથી. તો મેં પૂછ્યું – બીજા અભ્યાસની શું સ્થિતિ છે ? માત્ર ગીતા જ વાંચે છે કે પછી બીજું પણ ભણે છે ? તો તેમણે કહ્યું – નહિ જી. તે ગણિત એક વાર હાથમાં લઈ લે તો સાંજે તેને બધું કંઠસ્થ હોય છે. ઇતિહાસ લઈ લે તો સાંજે તેને બધું મોંઢે હોય છે. કહ્યું – અમને બધાને પણ આશ્ચર્ય છે કે, આખા પરિવારમાં કઈ રીતે તે આટલી પ્રતિભાવાળી છે ? હું ખરેખર ખૂબ જ પ્રભાવિત હતો. ક્યારેક કેટલાંક બાળકોને સેલિબ્રિટીનો શોખ હોય છે. પણ સોનમને આવું કંઈ નહોતું. ઇશ્વરે તેને કોઈ શક્તિ જરૂર આપી છે એવું લાગે છે મને. ખેર, આ બંને બાળકો સાથે મારી કાશી યાત્રામાં એક વિશેષ મુલાકાત હતી તો મને લાગ્યું તમને પણ કહું. ટીવી પર જે તમે જુઓ છો, સમાચારપત્રોમાં વાંચો છો તે સિવાય પણ ઘણાં કામો આપણે કરીએ છીએ અને ક્યારેક ક્યારેક આવાં કામોનો આનંદ પણ આવે છે. આ જ રીતે આ બંને બાળકો સાથે મારી વાતચીત મારા માટે યાદગાર હતી.

મેં જોયું છે કે ‘મનની વાત’માં કેટલાક લોકો મારા માટે ઘણું કામ લઈને આવે છે. જુઓ હરિયાણાના સંદીપ શું કહે છે.

‘સંદીપ. હરિયાણા. સાહેબ હું ઇચ્છું છું કે આપ જે ‘મનની વાત’ મહિનામાં એક વાર કરો છો તેને દર સપ્તાહે કરવી જોઈએ, કેમ કે તમારી વાતથી ઘણી પ્રેરણા મળે છે.’

સંદીપજી, તમે શું શું કરાવશો મારી પાસે ! મહિનામાં એકવાર કરવા માટે પણ મારે એટલી ભાંજગડ કરવી પડે છે, સમયને એટલો બધો એજડસ્ટ કરવો પડે છે. ક્યારેક ક્યારેક તો અમારા આકાશવાણીના મારા સાથીઓને અડધો-પોણો કલાક રાહ જોઈને બેસી રહેવું પડે છે. પરંતુ હું તમારી ભાવનાનો આદર કરું છું. તમારા સુચન માટે હું તમારો આભારી છું. અત્યારે તો એક મહિને જ બરાબર છે.

‘મન કી બાત’ ને એક વર્ષ પૂરું થયું છે. તમે જાણો છો ? સુભાષ બાબુ રેડિયોનો કેટલો ઉપયોગ કરતા હતા ? જર્મનીથી તેમણે પોતાનો રેડિયો શરૂ કર્યો હતો અને ભારતના નાગરિકોને સ્વતંત્રતાના આંદોલનના સંબંધમાં તેઓ સતત રેડિયોના માધ્યમ દ્વારા માહિતગાર કરતા હતા. આઝાદ હિન્દ રેડિયોની શરૂઆત એક સાપ્તાહિક ન્યૂઝ બુલેટિનથી તેમણે કરી હતી. અંગ્રેજી, હિન્દી, બંગાળી, મરાઠી, પંજાબી, પુશ્તો, ઉર્દૂ બધી ભાષાઓમાં આ રેડિયો તેઓ ચલાવતા હતા.

મને પણ આકાશવાણી પર ‘મનની વાત’ કરતા કરતા હવે એક વર્ષ થઈ ગયું છે. મારા મનની વાત તમારા કારણે સાચા અર્થમાં તમારા મનની વાત બની ગઈ છે. તમારી વાતો સાંભળું છું, તમારા માટે વિચારું છું. તમારાં સૂચનો જોઉં છું. તેનાથી મારા વિચારોની એક દોટ શરૂ થઈ જાય છે. જે આકાશવાણીના માધ્યમથી તમારી પાસે પહોંચે છે. બોલું છું હું પણ વાત તમારી થાય છે અને આ જ તો મારો સંતોષ છે. આગામી મહિને ‘મનની વાત’ માટે ફરીથી મળીશું. તમે સૂચનો મોકલતા રહેજો. તમારા સૂચનોથી સરકારને પણ લાભ થાય છે. સુધારાની શરૂઆત થાય છે. તમારું યોગદાન મારા માટે બહુમૂલ્ય છે… અણમોલ છે…

ફરી એક વાર તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ… ધન્યવાદ…

PIB AHMEDABAD.