Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન માટે રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી અનિલ માધવ દવેના મૃત્યુ પર દિલસોજી વ્યક્ત કરી


કેન્દ્રીય મંત્રીમંડળે આજે નવી દિલ્હીમાં પર્યાવરણ, વન અને આબોહવામાં ફેરફાર માટેના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી અનિલ માધવ દવેના દુઃખદ અવસાન પર દિલસોજી વ્યક્ત કરી હતી. મંત્રીમંડળની વિશેષ બેઠકમાં પસાર થયેલ ઠરાવમાં મંત્રીમંડળે નોંધ્યું હતું કે, દવેના નિધન સાથે દેશે પીઢ અને વિશિષ્ટ લિડર ગુમાવ્યો છે, જેઓ સાંસદ અને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે ઘણા હોદ્દા શોભવતા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત મંત્રીમંડળની બેઠકમાં સરકાર અને સંપૂર્ણ દેશ વતી મૃતકના કુટુંબને દિલસોજી વ્યક્ત કરવામાં આવી હતી.

ઠરાવનો પાઠ નીચે મુજબ છેઃ

“શ્રી અનિલ માધવ દવેનો જન્મ 6 જુલાઈ, 1956ના રોજ મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં બરનાનગરમાં થયો હતો. તેમણે ઇન્દોરની ગુજરાતી કોલેજમાંથી એમ.કોમની ડિગ્રી મેળવી હતી તથા ગ્રામીણ વિકાસ અને વ્યવસ્થાપનમાં સ્પેશિયાલાઇઝેશન કર્યું હતું.

શ્રી દવે નદી સંરક્ષણકર્તા, પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર્તા હતા. તેઓ કુશળ લેખક હતા તથા હિંદી અને અંગ્રેજીમાં કેટલાક પુસ્તકો લખ્યા હતા. તેઓ જન અભિયાન પરિષદના સ્થાપક હતા તથા “ચરાઈવેતી” માસિક મેગેઝિન અને જેએપી – જન અભિયાન પરિષદ જર્નલનું સંપાદન પણ કરતા હતા. તેઓ તાલીમબદ્ધ પાયલોટ પણ હતા, જેમણે નર્મદાના મૂળથી મુખ સુધી નદી પર સેસના 173 વિમાન પણ ઉડાવ્યું હતું તથા નદીની સંપૂર્ણ લંબાઈને સમાંતર 1312 કિમીની રાફ્ટ સફર પણ પૂર્ણ કરી હતી. તેમણે છત્રપતિ શિવાજી પર નાટક “જનતા રાજા”નું આયોજન પણ કર્યું હતું, જેના 1000 શો થયા હતા, જેમાં એક શો લંડનના વેમ્બ્લીમાં યોજાયો હતો.

તેઓ વર્ષ 2009માં રાજ્યસભામાં ચૂંટાયા હતા તથા માહિતી અને પ્રસારણ મંત્રાલય માટે કન્સલ્ટેટિવ સમિતિ અને જળ સંસાધન માટેની સમિતિ સહિત વિવિધ સંસદીય સમિતિમાં સભ્ય હતા. તેઓ ગ્લોબલ વોર્મિંગ એન્ડ ક્લાઇમેટ ચેન્જ પર પાર્લામેન્ટરી ફોરમના સભ્ય પણ હતા. તેઓ વર્ષ 2016માં રાજ્યસભામાં પુનઃ ચૂંટાયા હતા અને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રીનો (સ્વતંત્ર હવાલો) સંભાળ્યો હતો.

શ્રી અનિલ માધવ દવે ગરીબ અને વંચિત માટે સંવેદના ધરાવવા માટે જાણીતા ખરા અર્થમાં સામાજિક કાર્યકર્તા હતા. પર્યાવરણવાદી તરીકે તેમણે નર્મદા નદીના સંરક્ષણ માટે અવિરતપણે કામ કર્યું હતું. તેઓ રાષ્ટ્રવાદી હતા તથા નમ્રતા સાથે પોતાની જાહેર જવાબદારીઓનું વહન કર્યું હતું. તેમના નિધનથી દેશે મધ્યપ્રદેશમાંથી એક પ્રસિદ્ધ નેતા ગુમાવ્યો છે.”

AP/J.Khunt/TR/GP