Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

‘મનકી બાદ’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન (એપિસોડ – 41, 25 ફેબ્રુઆરી 2018)


મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર

આજે ‘મન કી બાત’ ની શરૂઆત એક ફોન કોલથી કરીએ છીએ.

(ફોન)

આદરણીય પ્રધાનમંત્રી જી, હું કોમલ ત્રિપાઠી, મેરઠથી બોલી રહી છું.28 મી તારીખે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (નેશનલ સાયન્સ ડે) છે. ભારતના વિકાસ અને પ્રગતિ, વિજ્ઞાન સાથે સંપૂર્ણપણે જોડાયેલાં છે. આપણે તેમાં જેટલાં સંશોધન અને નવીનીકરણ કરીશું એટલાં જ આપણે આગળ વધીશું અને સમૃધ્ધ બનીશું. શું તમે આપણાં યુવામિત્રોને પ્રેરિત કરવા માટે કંઇક કહી શકશો કે જેથી તેઓ વૈજ્ઞાનિક રીતથી પોતાના વિચારોને આગળ વધારે અને આપણાં દેશને પણ આગળ વધારી શકે. આભાર.

તમારાં ફોન કોલ માટે ખૂબ-ખૂબ આભાર. વિજ્ઞાનને લગતા ઘણાં બધા પ્રશ્નો મારા યુવા સાથીમિત્રોએ મને પૂછ્યાં છે, એ વિષે કંઇક ને કંઇક લખતા રહે છે. આપણે જોયું છે કે સમુદ્રનો રંગ વાદળી દેખાતો હોય છે પરંતુ આપણે આપણાં દૈનિક જીવનના અનુભવો પરથી જાણીએ છીએ કે પાણીનો કોઇ રંગ નથી હોતો. શું આપણે ક્યારેય વિચાર્યું છે કે, નદી હોય કે, સમુદ્ર હોય, પાણી રંગીન કેમ બની જાય છે ? આ પ્રશ્ન 1920ના દાયકામાં એક યુવકના મનમાં આવ્યો હતો. આ પ્રશ્નએ જ આધુનિક ભારતના એક મહાન વૈજ્ઞાનિકને જન્મ આપ્યો. જ્યારે આપણે વિજ્ઞાનની વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલા ભારત-રત્ન સર સી.વી.રમનનું નામ આપણી સામે આવે છે. તેમને લાઇટ સ્કેટરિંગ એટલે કે, પ્રકાશનાં વિકીરણ પર ઉત્તમ કાર્ય માટે નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમની એક શોધ ‘રમન ઇફેક્ટ’ ના નામથી પ્રસિધ્ધ છે. આપણે દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ ઉજવીએ છીએ કેમકે કહેવાય છે કે આજ દિવસે લાઇટ સ્કેટરીંગની ઘટના વિશે શોધ થઇ હતી. જેના માટે તેમને નોબલ-પુરસ્કાર અપાયો હતો. આ દેશે વિજ્ઞાન ક્ષેત્રમાં કેટલાય મહાન વૈજ્ઞાનિકોને જન્મ આપ્યો છે. એક તરફ મહાન ગણિતજ્ઞ બોધાયન, ભાસ્કર, બ્રહ્મપુત્ર અને આર્યભટ્ટની પરંપરા રહી છે તો બીજી તરફ ચિકિત્સાના ક્ષેત્રમાં સુશ્રુત અને ચરક આપણું ગૌરવ છે. સર જગદીશ ચંદ્ર બોઝ અને હરગોવિંદ ખુરાનાથી લઇને સત્યેન્દ્રનાથ બોઝ જેવા વૈજ્ઞાનિકો ભારતનું ગૌરવ છે. સત્યેન્દ્રનાથ બોઝનાં નામ પર તો પ્રખ્યાત પાર્ટીકલ ‘બોસોન’ નું નામકરણ પણ કરાયું. તાજેતરમાં જ મને મુંબઇના એક કાર્યક્રમમાં હાજર રહેવાનો અવસર મળ્યો – વાધવાની ઇન્સ્ટિટ્યૂટ ફોર આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના ઉદઘાટન માટે. વિજ્ઞાનના ક્ષેત્રમાં જે ચમત્કારો થઇ રહ્યાં છે, તે વિષે જાણવું ઘણું રસપ્રદ હતું. આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી રોબોટ્સ, બોટ્સ અને સ્પેસિફિક ટાસ્ક કરવાવાળા મશીનો બનાવવામાં સહાયતા મળે છે. આજકાલ મશીનો સેલ્ફ લર્નિંગથી પોતાના ઇન્ટેલિજન્સને વધુને વધુ સ્માર્ટ બનાવી રહી છે. આ તકનિકનો ઉપયોગ ગરીબો, વંચિતો અથવા જરૂરીયાતમંદોના જીવનને બહેતર બનાવવાના કામમાં આવી શકે છે. આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના એ કાર્યક્રમમાં મેં વૈજ્ઞાનિક સમુદાયને આગ્રહ કર્યો હતો કે દિવ્યાંગ ભાઇઓ અને બહેનોના જીવનને સુગમ બનાવવા માટે, કેવી રીતે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સથી મદદ મળી શકે છે. શું આપણે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પ્રાકૃતિક સંકટો વિષે વધુ ચોક્કસ અનુમાન લગાવી શકીએ છીએ ? ખેડૂતોને પાક ઉપજ બાબતે કોઇ મદદ કરી શકીએ છીએ ? શું આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ સ્વાસ્થ્ય સેવાઓને સુલભ બનાવવા અને આધુનિક રીતે બિમારીઓનો ઇલાજ કરવામાં સહાયક બની શકે છે?

થોડાક દિવસો પહેલા ઇઝરાયેલના પ્રધાનમંત્રીની સાથે મારે ગુજરાતમાં, અમદાવાદમાં ‘આઇ ક્રિએટ’ નાં ઉદઘાટનમાં જવાની તક મળી હતી. ત્યાં એક નવયુવકે, એક એવું ડિજીટલ ઇન્સ્ટ્રુમેન્ટ વિકસિત કરી બતાવ્યું કે જેનાથી જો કોઇ બોલી નથી શકતું તો તે ઇન્સ્ટ્રુમેન્ટના માધ્યમથી પોતાની વાત લખતાની સાથે જ તે સંવાદમાં પરિણમે છે અને તે એ જ રીતે સંવાદ કરી શકે છે કે જેમ એક બોલી શકનાર વ્યક્તિ સંવાદ કરે છે. હું સમજું છું કે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ અનેક રીતે આપણે કરી શકીએ છીએ.

વિજ્ઞાન અને ટેકનોલોજી મૂલ્ય તટસ્થ હોય છે. મૂલ્યની દ્રષ્ટિએ તે જાતે સારું કે ખરાબ નથી હોતું. કોઇ પણ મશીન એવું કાર્ય કરશે જેવું આપણે ઇચ્છીશું. પરંતુ, એ આપણાં ઉપર આધાર રાખે છે કે, આપણે મશીન પાસેથી શું કામ લેવા માગીએ છીએ. અહીં માનવીય ઉદેશ્ય મહત્વપૂર્ણ બની જાય છે. વિજ્ઞાનનો માનવ-માત્રના કલ્યાણ માટે ઉપયોગ, માનવ જીવનની સર્વોચ્ચ ઊંચાઇઓને પામવા માટે પ્રયોગ.

લાઇટ બલ્બનો આવિષ્કાર કરવાવાળા થોમસ આલ્વા એડિસન પોતાના પ્રયોગોમાં કેટલીય વખત અસફળ રહ્યાં. એક વખત જ્યારે આ વિષયે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો – ‘મેં લાઇટ બલ્બ ન બનાવવાની દસ હજાર પધ્ધતિઓ શોધી છે’, એટલે કે એડિસને પોતાની અસફળતાઓને પણ પોતાની શક્તિ બનાવી દીધી. સંયોગથી સૌભાગ્ય છે કે આજે હું મહર્ષિ અરબિન્દોની કર્મભૂમિ ‘ઑરોવિલે’ માં છું. એક ક્રાન્તિકારીના રૂપમાં તેમણે બ્રિટિશ શાસનને પડકાર આપ્યો હતો, તેમની સામે લડાઇ લડ્યા, તેમનાં શાસન પર પ્રશ્ન ઊઠાવ્યાં. આજ રીતે તેમણે એક મહાન ઋષિનાં રૂપમાં, જીવનનાં દરેક પાસાઓને લગતા પ્રશ્નો કર્યાં. જવાબ શોધી કાઢ્યાં અને માનવ જાતને રાહ ચીંધી. સત્યને જાણવા માટે વારંવાર પ્રશ્ન પૂછવાની ભાવના, મહત્વપૂર્ણ છે. વૈજ્ઞાનિક શોધની પાછળની સાચી પ્રેરણા પણ આ જ છે. ત્યાં સુધી શાંતિથી ન બેસવું જોઇએ જ્યાં સુધી કેમ?, શું? અને કેવી રીતે?એવા પ્રશ્નોના જવાબ ન મળે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અવસર પર આપણાં વૈજ્ઞાનિકો, વિજ્ઞાનથી જોડાયેલ તમામ લોકોને હું શુભેચ્છા પાઠવું છું. આપણી યુવા પેઢી, સત્ય અને જ્ઞાનની શોધ માટે પ્રેરિત બને, વિજ્ઞાનની મદદથી સમાજની સેવા કરવા માટે પ્રેરિત બને, આ માટે મારી ખૂબ-ખૂબ શુભકામનાઓ છે.

 

સાથીઓ, કટોકટીના સમયે સલામતી, આપદા આ દરેક વિષયોને લગતા ઘણી બધી વખત ઘણા બધા સંદેશ મને મળતા રહે છે, લોકો કંઇક-ને-કંઇક લખતા જ રહે છે. પૂનાથી શ્રીમાન રવીન્દ્ર સિંહે નરેન્દ્ર મોદી મોબાઇલ એપ પર પોતાની કમેન્ટમાં ઓક્યુપેશનલ સેફ્ટી વિષય પર વાત કરી છે. તેમણે લખ્યું છે કે આપણા દેશમાં ફેક્ટરી અને કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર સુરક્ષાના માપદંડો એટલા સારા નથી. આગામી 4 માર્ચે ભારતનો રાષ્ટ્રીય સલામતી દિવસ છે, તો પ્રધાનમંત્રી પોતાના ‘મન કી બાત’ કાર્યક્રમમાં સલામતી પર વાત કરે જેથી લોકોમાં સલામતીને લઇને જાગૃતિ વધે. જ્યારે આપણે જનસલામતીની વાત કરીએ છીએ ત્યારે બે વાત ખૂબ મહત્વપૂર્ણ હોય છે – એક પ્રોએક્ટિવનેસ અને બીજી પ્રિપેરેડનેસ. સલામતી બે પ્રકારની હોય છે – એક એ જે આપદા સમયે જરૂરી હોય છે, સેફ્ટી ડ્યુરીંગ ડિઝાસ્ટર અને બીજી એ કે જેની દૈનિક જીવનમાં જરૂર પડે છે, સેફ્ટી ઇન એવરીડે લાઇફ. જો આપણે દૈનિક જીવનમાં સલામતીને લઇને જાગૃત નથી, તેને પ્રાપ્ત નથી કરી શકતા તો પછી આપદાઓ દરમિયાન તેને પામવી મુશ્કેલ બની જાય છે. આપણે બધા ઘણી વખત માર્ગો પર લખેલા બોર્ડ વાંચીએ છીએ. તેમાં લખ્યું હોય છે –

 

  • સતર્કતા હટી – દુર્ઘટના ઘટી,
  • એક ભૂલ કરે નુકસાન, છીને ખુશિયાં ઔર મુસ્કાન
  • ઇતની જલ્દી ન દુનિયા છોડો, સુરક્ષા સે અબ નાતા જોડો
  • સુરક્ષા સે ન કરો કોઈ મસ્તી, વર્ના જિંદગી હોગી સસ્તી

 

તેનાથી વધુ આ વાક્યોનો આપણા જીવનમાં ક્યારેય પણ કોઇ ઉપયોગ નથી થતો. કુદરતી આપદાઓને જો છોડી દઇએ તો મોટાભાગના અકસ્માતો, આપણી કોઇને કોઇ ભૂલોનું પરિણામ હોય છે. જો આપણે સતર્ક રહીએ, જરૂરી નિયમોનું પાલન કરીએ તો આપણે આપણા જીવનની રક્ષા તો કરી જ શકીએ છીએ, પરંતુ ખૂબ મોટા અકસ્માતોથી પણ આપણે સમાજને ઊગારી શકીએ છીએ. ક્યારેક-ક્યારેક આપણે જોયું છે કે, કાર્ય સ્થળે સલામતીને લઇને ઘણાં બધા સૂત્રો લખેલા હોય છે પરંતુ જ્યારે જોઇએ છીએ ત્યારે ક્યાંય તેનું પાલન થતું દેખાતું નથી. મારો તો આગ્રહ છે કે મહાનગર પાલિકા, નગર પાલિકાઓ કે જેની પાસે ફાયર બ્રિગેડ હોય છે તેમને અઠવાડિયામાં એક વખત અથવા મહિનામાં એક વખત અલગ-અલગ સ્કૂલોમાં જઇને સ્કૂલોના બાળકોની સામે મોક ડ્રિલ કરવી જોઇએ. તેનાથી બે લાભ થશે – ફાયર બ્રિગેડને પણ સતર્ક રહેવાની આદત રહેશે અને નવી પેઢીને તેની શિક્ષા પણ મળે છે અને તેના માટે કોઇ અલગ ખર્ચ પણ થતો નથી – એક રીતે શિક્ષાનો જ એક ક્રમ બની રહે છે અને હું હમેશા આ વાતનો આગ્રહ રાખતો રહું છું. જ્યાં સુધી આપદાઓની વાત છે, ડિઝાસ્ટરની વાત છે, તો ભારત ભૌગોલિક અને જળવાયુની દ્રષ્ટિએ વિવિધતાઓથી ભરેલો દેશ છે. આ દેશે કેટલીય કુદરતી અને માનવ-નિર્મિત આપદાઓ, જેવી કે રસાયણિક તેમજ ઔધૌગિક અકસ્માતોને સહન કર્યા છે. આજે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે એનડીએમએ દેશમાં આપદા-પ્રબંધનમાં નેતૃત્વ કરી રહી છે. ભૂકંપ હોય, પૂર હોય, સાયક્લોન હોય, ભૂસ્ખલન હોય,એવી વિભિન્ન આપદાઓના રેસ્ક્યુ ઓપરેશન હોય, એનડીએમએ ઝડપથી પહોંચે છે. તેમણે ગાઇડલાઇન પણ જાહેર કરી છે, સાથે-સાથે તે કેપેસિટી બિલ્ડીંગ માટે નિરંતર ટ્રેનિંગના કાર્યો પણ કરતા રહે છે. પૂર, સાયક્લોનના જોખમવાળાજિલ્લાઓમાં સ્વયંસેવકોના પ્રશિક્ષણ માટે પણ ‘આપદા મિત્ર’ નામની પહેલ કરવામાં આવેલ છે. પ્રશિક્ષણ અને જાગૃતિની બહુ મોટી ભૂમિકા છે. આજથી બે-ત્રણ વર્ષ પહેલા લૂ – હીટવેવથી દર વર્ષે હજારો લોકો પોતાનો જાન ગુમાવતા હતા. તેના પછી એનડીએમએહીટવેવના નિવારણ માટે વર્કશોપનાં આયોજન કર્યા, લોકોમાં જાગૃતિ લાવવા માટે અભિયાન ચલાવ્યા. હવામાન વિભાગે સચોટ પૂર્વાનુમાન લગાવ્યા. બધાની ભાગીદારીથી એક સારું પરિણામ સામે આવ્યું. 2017માં લૂ થી થયેલા મૃત્યુની સંખ્યા આશ્ચર્યજનક રૂપથી ઘટીને લગભગ 220 સુધી આવી ગઇ. આનાથી જાણી શકાય છે કે જો આપણે સુરક્ષાને પ્રાથમિકતા આપીએ છીએ તો આપણે સુરક્ષા પ્રાપ્ત કરી શકીએ છીએ. સમાજમાં આ રીતે કામ કરનારા અગણિત લોકો છે, સામાજિક સંગઠન હોય, જાગૃત નાગરીક હોય – હું એ દરેકના વખાણ કરવા માગુ છું, જેઓ ક્યાંય પણ આપદા હોય, મિનટોની અંદર રાહત અને બચાવ કામમાં લાગી જાય છે. અને એવા ગુમનામ હીરોઝની સંખ્યા કંઇ ઓછી નથી. આપણી ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસીસ, નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સિસ, સશસ્ત્ર સેનાઓ, પેરામિલીટરી ફોર્સિસ, આ પણ આપદાઓ સમયે પહોંચનારા વીર બહાદુર પોતાની જાનની પરવાહ કર્યા વગર લોકોની મદદ કરતા હોય છે. એનસીસી, સ્કાઉટ્સ જેવા સંગઠન પણ આ કાર્યોને આજકાલ કરી રહ્યાં છે, ટ્રેનિંગ પણ કરી રહ્યાં છે. થોડાં દિવસો પહેલા અમે એક એવો પ્રયાસ પણ શરૂ કર્યો કે, જેમ વિશ્વનાં દેશોમાં જોઇન્ટ મિલીટરી એક્સરસાઇઝ થાય છે તેમ વિશ્વનાં દેશોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પણ જોઇન્ટ એક્સરસાઇઝ કરીએ. ભારતે તેનું નેતૃત્વ કર્યું છે – બી.આઇ.એમ.એસ.ટી.ઇ.સી. (બીમસ્ટેક) – બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, ભૂતાન અને નેપાલ, આ દેશોની એક જોઇન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્સરસાઇઝ પણ કરવામાં આવી, આ પોતાનામાં એક પ્રથમ અને મોટો માનવીય પ્રયોગ હતો. આપણે એક રિસ્ક કોન્શ્યસ સોસાયટી બનવું પડશે. આપણી સંસ્કૃતિમાં આપણે મૂલ્યોની રક્ષા, સેફ્ટી ઓફ વેલ્યુસના વિષયમાં હમેશા વાતો કરીએ છીએ, પરંતુ આપણે વેલ્યુ ઓફ સેફ્ટી, સલામતીના મૂલ્યોને પણ સમજવા પડશે. આપણે તેને આપણા જીવનનો એક ભાગ બનાવવો પડશે. આપણા સામાન્ય જીવનમાં આપણે જોઇએ છીએ કે આપણે ઘણી બધી વખત હવાઈ જહાજમાં યાત્રા કરીએ છીએ અને હવાઇ જહાજની અંદર એર હોસ્ટેસ શરૂઆતમાં સુરક્ષાને લગતી સૂચનાઓ આપે છે. આપણે બધાએ એ સો વાર તે સાંભળી હશે પરંતુ આજે આપણને કોઇ હવાઇજહાજમાં લઇ જઇને ઊભા રાખે અને પૂછે કે જણાવો કઇ વસ્તુ ક્યાં છે? લાઇફ જેકેટ ક્યાં છે? કેવી રીતે ઉપયોગ કરવો જોઇએ? હું દાવા સાથે કહું છું કે આપણામાંથી કોઇ જણાવી નહીં શકે. એનો અર્થ એ થયો કે શું જાણકારી આપવાની વ્યવસ્થા હતી? હતી. પ્રત્યક્ષ એ તરફ નજર કરીને જોવાની શક્યતાઓ હતી? હતી. પરંતુ આપણે જોયું નહીં. કારણ, આપણે સ્વભાવથી જાગૃત નથી અને એ માટે આપણા કાન, હવાઇજહાજમાં બેઠા પછી સાંભળે તો છે પરંતુ ‘આ સૂચના મારા માટે છે’ એવું આપણામાંથી કોઇને પણ લાગતું જ નથી. અદ્લ એવો જ અનુભવ આપણા જીવનના દરેક ક્ષેત્રમાં છે. આપણે ન વિચારવું જોઇએ કે સેફ્ટી બીજા કોઇ માટે છે, જો આપણે બધા આપણી સલામતી માટે સજાગ બની જઇએ તો સમાજની સલામતીનો ભાવ પણએમાં સમાવિષ્ટ હોય છે.

મારા પ્રિય દેશવાસીઓ, આ વખતે બજેટમાં ‘સ્વચ્છ ભારત’ અંતર્ગત ગામડાંઓ માટે બાયૉગેસના માધ્યમથી waste to wealth અને waste to energy બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. તેના માટે પહેલ શરૂ કરવામાં આવી અને તેને નામ આપવામાં આવ્યું ‘GobarDhan’ –Galvanizing Organic Bio-Agro Resources.આ ‘GobarDhan’ યોજનાનો ઉદ્દેશ્ય છે, ગામડાંઓને સ્વચ્છ બનાવવાં અને પશુઓના ગોબર તથા ખેતરોના ઘન કચરાને compost અને bio gasમાં પરિવર્તિત કરીને તેનાથી ધન અને ઊર્જા પેદા કરવી. ભારતમાં ઢોરઢાંખરની વસ્તી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે. ભારતમાં ઢોરઢાંખરની વસ્તી લગભગ 30 કરોડ છે અને ગોબરનું ઉત્પાદન પ્રતિ દિન લગભગ 30 લાખ ટન છે. કેટલાક યુરોપીય દેશ અને ચીન, પશુઓના ગોબર તથા અન્ય જૈવિક અપશિષ્ટનો ઉપયોગ ઊર્જાના ઉત્પાદન માટે કરે છે પરંતુ ભારતમાં તેની પૂર્ણ ક્ષમતાનો ઉપયોગ નહોતો થઈ રહ્યો. ‘સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ’ હેઠળ હવે આપણે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ.

ઢોરના ગોબર, કૃષિમાંથી નીકળતા કચરા, રસોઈ ઘરમાંથી નીકળતો કચરો, આ બધાનો બાયૉગેસ આધારિત ઊર્જા બનાવવા માટે ઉપયોગ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. ‘ગોબર ધન યોજના’ હેઠળ ગ્રામીણ ભારતમાં ખેડૂતો, બહેનો, ભાઈઓને પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ ગોબર અને કચરાને માત્ર wasteના રૂપમાં નહીં, પરંતુ આવકના સ્રોતના રૂપમાં જુએ. ‘ગોબર ધન યોજના’થી ગ્રામીણ ક્ષેત્રોને અનેક લાભ મળશે. ગામડાંઓને સ્વચ્છ રાખવામાં મદદ મળશે. પશુ આરોગ્ય વધુ સારું થશે અને ઉત્પાદકતા વધશે. બાયૉગેસથી ભોજન રાંધવા અને પ્રકાશ માટે ઊર્જાના મામલામાં આત્મનિર્ભરતા વધશે. ખેડૂતો અને પશુપાલકોને આવક વધારવામાં મદદ મળશે. Waste Collection, transportation, બાયૉગેસના વેચાણ વગેરે માટે નવી નોકરીઓની તક મળશે. ‘ગોબર ધન યોજના’ની સુચારુ વ્યવસ્થા માટે એક Online trading platform પણ બનાવવામાં આવશે જે ખેડૂતોને ખરીદનારાઓ સાથે જોડશે જેથી ખેડૂતોને ગોબર અને Agriculture wasteનો યોગ્ય ભાવ મળી શકે. હું ઉદ્યમીઓ, ખાસ કરીને ગ્રામીણ ભારતમાં રહેતી આપણી બહેનોને આગ્રહ કરું છું કે તમે આગળ આવો. Self Help Group બનાવીને સહકારી સમિતિઓ બનાવીને આ તકનો પૂરો લાભ ઉઠાવો. હું તમને આમંત્રિત કરું છું કે Clean Energy and green jobsના આ આંદોલનના ભાગીદાર બનો. પોતાના ગામમાં wasteને wealthમાં પરિવર્તિત કરવા અને ગોબરથી ગોબર-ધન બનાવવાની દિશામાં પહેલ કરો.

મારા પ્રિય દેશવાસીઓ, આજ સુધી આપણે music festival, food festival, film festival કોણ જાણે કેટ-કેટલા પ્રકારના festival વિશે સાંભળતા આવ્યા છીએ. પરંતુ છત્તીસગઢના રાયપુરમાં એક અનોખો પ્રયાસ કરાયો જેમાં રાજ્યમાં પહેલો ‘કચરા મહોત્સવ’ આયોજિત કરાયો. રાયપુર નગર નિગમ દ્વારા આયોજિત આ મહોત્સવની પાછળ જે ઉદ્દેશ્ય હતો તે હતો સ્વચ્છતા સંદર્ભે જાગરુકતા. શહેરના wasteનો creative use કરવો અને garbageનો reuse કરવાની વિભિન્ન રીતો વિશે જાગરુકતા પેદા કરવી. આ મહોત્સવ દરમિયાન અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થઈ જેમાં વિદ્યાર્થીઓથી લઈને મોટી ઉંમરના લોકો સુધી, બધા જ સામેલ થયા. કચરાનો ઉપયોગ કરીને અલગ-અલગ પ્રકારની કળાકૃતિઓ બનાવવામાં આવી. Waste managementના બધાં પાસાંઓ પર લોકોને શિક્ષિત કરવા માટે વર્કશૉપ આયોજિત કરવામાં આવ્યા. સ્વચ્છતાની થીમ પર music performance થયું. Art work બનાવવામાં આવ્યાં. રાયપુરથી પ્રેરિત થઈને અન્ય જિલ્લાઓમાં પણ અલગ-અલગ પ્રકારના કચરા ઉત્સવ થયા.દરેકે પોત-પોતાની તરફથી પહેલ કરતાં સ્વચ્છતાને લઈને innovative ideas જણાવ્યા, ચર્ચાઓ કરી, કવિતા પઠન થયાં. સ્વચ્છતા સંદર્ભે એક ઉત્સવ જેવું વાતાવરણ તૈયાર થઈ ગયું. ખાસ કરીને શાળાના બાળકોએ જે રીતે ઉત્સાહભેર ભાગ લીધો, તે અદભુત હતું. Waste management અને સ્વચ્છતાના મહત્ત્વને જે અભિનવ રીતે આ મહોત્સવમાં પ્રદર્શિત કરાયું તે માટે રાયપુર નગર નિગમ, સમગ્ર છત્તીસગઢની જનતા અને ત્યાંની સરકાર તથા પ્રશાસનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

દર વર્ષે 8 માર્ચે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ મનાવવામાં આવે છે. દેશ અને દુનિયામાં ઘણા બધા કાર્યક્રમો થાય છે. આ દિવસે દેશમાં ‘નારી શક્તિ પુરસ્કાર’થી એવી મહિલાઓનો સત્કાર પણ કરવામાં આવે છે જેમણે ગત દિવસોમાં ભિન્ન-ભિન્ન ક્ષેત્રોમાં અનુકરણીય કાર્ય કર્યું હોય. આજે દેશ Woman Developmentથી આગળ woman led development તરફ આગળ વધી રહ્યો છે. આજે આપણે મહિલા વિકાસથી આગળ, મહિલાના નેતૃત્વમાં વિકાસની વાત કરી રહ્યા છીએ. આ અવસર પર મને સ્વામી વિવેકાનંદના શબ્દો યાદ આવે છે. તેમણે કહ્યું હતું, ‘The idea of perfect womanhood is perfect independence’. સવા સો વર્ષ પહેલાં સ્વામીજીનો આ વિચાર ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિના ચિંતનને વ્યક્ત કરે છે. આજે સામાજિક, આર્થિક જીવનના દરેક ક્ષેત્રમાં મહિલાઓની સમાન ભાગીદારી સુનિશ્ચિત કરવી એ આપણું સહુનું કર્તવ્ય છે, તે આપણા બધાંની જવાબદારી છે. આપણે એ પરંપરાનો હિસ્સો છીએ જ્યાં પુરુષોની ઓળખ નારીઓથી થતી હતી. યશોદાનંદન, કૌશલ્યાનંદન, ગાંધારીપુત્ર, આ જ ઓળખાણ હતી કોઈ પુત્રની. આજે આપણી નારી શક્તિએ પોતાનાં કાર્યોથી આત્મબળ અને આત્મવિશ્વાસનો પરિચય આપ્યો છે. પોતાને આત્મનિર્ભર બનાવી છે. તેમણે પોતાને તો આગળ વધારી જ છે, સાથે જ દેશ અને સમાજને પણ આગળ વધારવા અને એક નવા મુકામ પર લઈ જવાનું કામ કર્યું છે. છેવટે આપણું ‘New India’નું સપનું આ જ તો છે જ્યાં નારી સશક્ત હોય, સબળ હોય, દેશના સમગ્ર વિકાસમાં સમાન ભાગીદાર હોય. ગત દિવસોમાં મને એક ખૂબ જ સુંદર સૂચન કોઈ મહાશયે કર્યું હતું. તેમણે સૂચન કર્યું હતું કે 8 માર્ચે ‘મહિલા દિવસ’ મનાવવા માટે અનેક પ્રકારના કાર્યક્રમો થાય છે. શું દરેક ગામ-શહેરમાં જેમણે 100 વર્ષ પૂર્ણ કર્યાં છે તેવી માતાઓ-બહેનોના સન્માનનો કાર્યક્રમ આયોજિત થઈ શકે? અને તેમાં એક લાંબા જીવનની વાતો કરી શકાય? મને વિચાર તો સારો લાગ્યો, તમારા સુધી પહોંચાડી રહ્યો છું. નારી શક્તિ શું કરી શકે છે, તેના તમને ઢગલાબંધ ઉદાહરણ મળી જશે. જો તમે તમારી આજુબાજુ નજર દોડાવશો તો કોઈ ને કોઈ આવી વાર્તાઓ તમારા જીવનને પ્રેરણા આપશે. હમણાં જ ઝારખંડથી એક સમાચાર મળ્યા. સ્વચ્છભારત અભિયાન અંતર્ગત લગભગ 15 લાખ મહિલાઓએ- અને આ આંકડો નાનો નથી, 15 લાખ મહિલાઓએ સંગઠિત થઈને એક માસનું સ્વચ્છતા અભિયાન ચલાવ્યું. 26 જાન્યુઆરી 2018થી શરૂ કરીને આ અભિયાન અંતર્ગત માત્ર 20 દિવસમાં આ મહિલાઓએ 1 લાખ 70 હજાર શૌચાલયોનું નિર્માણ કરીને એક નવું ઉદાહરણ સ્થાપ્યું છે. તેમાં લગભગ 1 લાખ સખી મંડળ સમ્મિલિત છે. 14 લાખ મહિલાઓ, 2 હજાર મહિલા પંચાયત પ્રતિનિધિ, 29 હજાર જલ સખીઓ, 10 હજાર મહિલા સ્વચ્છાગ્રહી તથા 50 હજાર મહિલા બાંધકામ શ્રમિક. તમે કલ્પના કરી શકો છો કે આ કેટલી મોટી ઘટના છે? ઝારખંડની આ મહિલાઓએ દેખાડી દીધું છે કે નારી શક્તિ, સ્વચ્છ ભારત અભિયાનની એક એવી શક્તિ છે, જે સામાન્ય જીવનમાં સ્વચ્છતાના અભિયાનને, સ્વચ્છતાના સંસ્કારને પ્રભાવી ઢંગથી જન સામાન્યના સ્વભાવમાં પરિવર્તિત કરીને રહેશે.

ભાઈઓ-બહેનો, હમણાં બે દિવસ પહેલાં હું ન્યૂઝમાં જોઈ રહ્યો હતો કે એલીફૅન્ટા દ્વીપના ત્રણ ગામોમાં સ્વતંત્રતાના 70 વર્ષ પછી વીજળી પહોંચી છે અને તેના લીધે ત્યાંના લોકોમાં કેટલો બધો હર્ષ અને ઉત્સાહ છે. તમે બધા સારી રીતે જાણો છો કે એલીફેન્ટા દ્વીપ, મુંબઈથી સમુદ્રમાં દસ કિલોમીટર દૂર છે. તે પર્યટનનું એક ઘણું મોટું અને આકર્ષક કેન્દ્ર છે. એલીફૅન્ટાની ગુફાઓ, UNESCOના વર્લ્ડ હેરિટેજ છે. ત્યાં દરરોજ દેશવિદેશમાંથી બહુ મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. એક મહત્ત્વપૂર્ણ પર્યટનનું કેન્દ્ર છે. મને એ વાત જાણીને આશ્ચર્ય થયું કે મુંબઈની નજીક હોવા અને પર્યટનનું આટલું મોટું કેન્દ્ર હોવા છતાં, સ્વતંત્રતાનાં આટલાં વર્ષો સુધી એલીફૅન્ટામાં વીજળી નથી પહોંચી. 70 વર્ષો સુધી એલીફૅન્ટા દ્વીપનાં ત્રણ ગામ રાજબંદર, મોરબંદર અને સેતબંદર, ત્યાંના લોકોની જિંદગીમાં જે અંધારું છવાયેલું હતું, ત્યાં છેક હવે અંધારું હટ્યું છે અને તેમનું જીવન પ્રકાશમય બન્યું છે. હું ત્યાંના પ્રશાસન અને જનતાને અભિનંદન આપું છું. મને આનંદ છે કે હવે એલીફૅન્ટાના ગામ અને એલીફૅન્ટાની ગુફાઓ વીજળીથી પ્રકાશિત થશે. આ માત્ર વીજળી જ નહીં, પરંતુ વિકાસના દોરની એક નવી શરૂઆત છે. દેશવાસીઓનું જીવન પ્રકાશમય હોય, તેમના જીવનમાં ખુશીઓ આવે, તેનાથી વધુ સંતોષ અને ખુશીની પળ બીજી કઈ હોઈ શકે?

મારા પ્રિય ભાઈઓ-બહેનો, હમણાં જ આપણે શિવરાત્રિનો મહોત્સવ મનાવ્યો. હવે માર્ચનો મહિનો લહેરાતા પાકથી સજ્જ ખેતરો, આનંદકિલ્લોલ કરતી ઘઉંની સોનેરી ઉંબી અને મનને પુલકિત કરનારી કેરીના માંજરની શોભા- આ જ તો આ મહિનાની વિશેષતા છે. પરંતુ આ મહિનો હોળીના તહેવાર માટે પણ આપણા બધાંને અત્યંત પ્રિય છે. બે માર્ચે સમગ્ર દેશ હોળીનો ઉત્સવ હર્ષોલ્લાસથી મનાવશે. હોળીમાં જેટલું મહત્વ રંગોનું છે તેટલું જ મહત્વ ‘હોલિકા દહન’નું પણ છે કારણ કે આ દિવસ બુરાઈઓને અગ્નિમાં સળગાવીને નષ્ટ કરવાનો દિવસ છે. હોળી બધા મનદુઃખોને ભૂલીને સાથે બેસવાનો, એકબીજાના સુખ-આનંદમાં સહભાગી બનવાનો શુભ અવસર છે અને પ્રેમ એકતા તથા ભાઈચારાનો સંદેશ આપે છે. આપ સહુ દેશવાસીઓને હોળીના રંગોત્સવની ખૂબખૂબ શુભકામનાઓ, રંગભરી શુભકામનાઓ. આ પર્વ આપણા દેશવાસીઓના જીવનમાં રંગબેરંગી ખુશીઓથી ભરેલું રહે. આ જ શુભકામના. મારા પ્રિય દેશવાસીઓ, ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

 

RP