Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

‘મન કી બાત’ના 136મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (26.07.2026)


મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર.

આપણા જીવનમાં કેટલીક તારીખો એવી હોય છે કે જેને યાદ રાખવા માટે કેલેન્ડર જોવાની જરૂર પડતી નથી. આજે 26 જુલાઇ એવી જ એક તરીખ છે. આજે “કારગિલ વિજય દિવસ છે. આ  દિવસ આપણને ગર્વથી ભરી દે છે. આ દિવસ આપણને વીર જવાનોના અદભૂત સાહસોની યાદ અપાવે છે. કારગિલની ઊંચી ઊંચી પહાડીઓ, ખરાબ હવામાન અને દુશ્મનોનો પડકાર  આવી બધી જ પરિસ્થિતિ આપણા જવાનો સામે હતી, પરંતુ તેમની હિંમત દરેક પડકારોથી  મોટી હતી. તેમણે માં ભારતીની રક્ષા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. આજે “કારગિલ વિજય દિવસ” પર હું બધા જ વીર શહીદો અને વીર સૈનિકોને શ્રધ્ધા પૂર્વક નમન કરું  છું.  

સાથીઓ,

આજનું ભારત પોતાના વીરોને માત્ર યાદ જ નથી કરતું, પરંતુ નવી પેઢી સુધી તેમની ગાથા પણ પહોંચાડે છે. આ ભાવના સાથે આ વર્ષે એક  વિશેષ “શૌર્ય વિજય યાત્રા” કાઢવામાં આવી છે. 14 જુલાઈથી દિલ્હીના “નેશનલ વોર મેમોરિયલ”થી શરૂ થયેલી આ મોટરસાયકલ યાત્રા, દ્રાસના કારગિલ વોર મેમોરિયલ સુધી પહોંચશે. એનો સંદેશ છે- “વન રાઈડ, વન નેશન, વન સેલ્યુટ” આ યાત્રા આપણને યાદ અપાવે છે કે રાષ્ટ્ર માટે આપવામાં આવેલું બલિદાન ક્યારેય ભૂલી શકાતું નથી.

સાથીઓ,

આજે ભારત આપણા સૈનિકોના સાહસની સાથે સાથે પોતાની ટેક્નોલોજિકલ ક્ષમતાને પણ સતત મજબૂત કરી રહ્યું છે. થોડા દિવસ પહેલા ભારતીય નૌકાદળમાં આઈ એન એસ મહેન્દ્રગિરિને સામેલ કરવામાં આવ્યું. આ આધુનિક યુધ્ધ જહાંજ ભારતમાં જ ડિઝાઈન કરવામાં આવ્યું છે અને ભારતમાં જ બન્યું છે.                                  

એમાં 75 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ આત્મનિર્ભર ભારતની વધતી શક્તિનું પ્રતિક છે. આ જ મહિનામાં ડીઆરડીઓ એ “પીનાકા લોંગ રેન્જ ગાઈડેડ રોકેટ”નું પણ સફળ પરીક્ષણ કર્યું. આ સફળતા પાછળ આપણા  વૈજ્ઞાનિકો અને ઈજનેરોનો સામૂહિક પરિશ્રમ છે. બે- ત્રણ દિવસ પહેલા જ ડીઆરડીઓ એ કુશા મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું છે.

સાથીઓ,

આજે સંરક્ષણ ઉત્પાદન હોય, સંરક્ષણ નિકાસ હોય કે પછી મિત્ર દેશો સાથે રાજદ્વારી સહયોગ- ભારત સતત નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં, હું ઇન્ડોનેશિયામાં હતો, જ્યાં બ્રાહ્મોસ અને અસ્ત્ર મિસાઈલો માટે એક મોટી સમજૂતી કરવામાં આવી છે. ભારતના સંરક્ષણ સાધનો અને ટેકનોલોજી ઉપર દુનિયાનો વિશ્વાસ વધી રહ્યો છે. આવો, આજે “કારગિલ વિજય દિવસ” પર આપણે આપણાં અમર શહીદોને નમન કરીએ અને એક સુરક્ષિત, સક્ષમ અને આત્મનિર્ભર ભારતના નિર્માણના આપણાં સંકલ્પને વધુ મજબૂત કરીએ.

મારા વ્હાલા દેશવાસીઓ,

“મન કી બાત”ના છેલ્લા અંકમાં મેં તમારી સાથે “કેચ ધ રેન” અભિયાનની ચર્ચા કરી હતી. મેં આગ્રહ કરેલો કે વરસાદના એક એક ટીપાંનો સંગ્રહ કરવા માટેના આ અભિયાનને જનઆંદોલન બનાવવામાં આવે. “કેચ ધ રેન“ નો સંદેશ ખૂબ જ સરળ છે. જ્યાં વરસાદ પડે, જ્યારે પણ વરસાદ પડે, પાણીનો ત્યાંજ સંગ્રહ કરવામાં આવે . તેના માટે 4 જુલાઈથી દેશમાં એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત વરસાદના પાણીનો સંગ્રહ, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ, જૂના જળ સ્ત્રોતને પુનઃ જીવિત કરવા, અને વૃક્ષરોપણને નવી ગતિ આપવામાં આવી રહી છે. મને ખૂબ જ ખુશી છે કે ગામડું હોય કે શહેર, પંચાયતો હોય કે સામાજિક સંસ્થાઓ  દરેક જગ્યાએ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. ક્યાંક જૂના તળાવોમાંથી માટી કાઢવામાં આવી રહી છે તો ક્યાંક કૂવાઓ અને વાવને ફરી જીવિત કરવામાં આવી રહી છે. બંધ પડેલા બોરવેલ હવે ગ્રાઉન્ડ વોટર રિચાર્જના માધ્યમ બની રહ્યા છે.

સાથીઓ,

મધ્ય-પ્રદેશના સીધી જિલ્લામાં આશરે દોઢ હજાર તળાવ બનાવવામાં આવ્યા છે. નરસિંહપૂરમાં અમૃત સરોવરોને પુનઃ જીવિત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના નાસિકમાં મોટા પ્રમાણમાં પાણીના સંચય માટેની ક્ષમતા વિકસિત કરવામાં આવી છે. આંધ્ર પ્રદેશના નંદિયાલમાં તમામ ગ્રામપંચાયતો આ અભિયાન સાથે જોડાઈ છે અને જૂના તળાવોને ફરીથી ઉપયોગી બનાવવામાં આવી રહ્યા છે. આપણા શહેરો પણ પાછળ નથી. છત્તીસગઢના કોરબા, ઓડિસાના ભુવનેશ્વર અને આંધ્ર પ્રદેશના વિજયનગરમાં આ અભિયાનના ઉત્સાહજનક પરિણામો જોવા મળી રહ્યા છે. આવો આપણે આપણી આસપાસ એક તળાવ, કૂવો, કે વાવની જવાબદારી લઈએ અને પાણીના એક એક ટીપાને બચાવીએ. આજે બચાવવામાં આવેલું પાણીનું એક એક ટીપું આવનારી પેઢીના ભવિષ્યની સૌથી મોટી પૂંજી છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

થોડા જ દિવસ પહેલા ગ્લાસગૉમાં કોમનવેલ્થ ગેમ્સ શરૂ થઈ છે. દેશનો દરેક નાગરિક ભારતીય સ્પર્ધકોને સતત પોતાની શુભેચ્છાઓ આપી રહ્યો છે. એમને  આશા છે કે દરેક ખેલાડી અને એથ્લેટ શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને લોકોના દિલ પણ જીતે. સાથીઓ, આપણા યુવાઓએ હાલના દિવસોમાં જ સ્પોર્ટ્સમાં અનેક શાનદાર સફળતાઓ મેળવી છે. પી. વી. સિંધુ બેડમિન્ટનમાં જાપાન ઓપનનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બની ગઈ છે. તેની આ સફળતા ઉપર સમગ્ર દેશને ગર્વ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ લંડનના લોર્ડસ સ્ટેડિયમમાં પોતાની પહેલી ટેસ્ટ મેચ જીતી છે. આ એક ઐતિહાસિક જીત છે. આપણી ટીમે 270 રનના મોટા અંતરથી આ ટેસ્ટ જીતી છે. પરંતુ વાત માત્ર આટલી નથી, લોર્ડસના લાંબા ઇતિહાસમાં આ મહિલાઓની ટીમનો પ્રથમ ટેસ્ટ હતો. 1983માં આજ મેદાન ઉપર ભારતે પોતાનો પ્રથમ વિશ્વકપ જીત્યો હતો. હવે આપણી નારી શક્તિએ આ જગ્યાએ દેશનું નામ રોશન કર્યું છે.

સાથીઓ,

કેટલાક નાના પ્રયાસો એવા હોય છે કે જે ખૂબ જ મહત્વ ધરાવે છે. મને કેરલમમાં એર્નાકુલમના સાઉથ ચિતૂરમાં સ્પોર્ટ્સના એક આવાજ પ્રયાસની ખબર પડી છે. ત્યાં એક સ્કૂલમાં સંસ્કૃત ક્લબ છે. ત્યાંનાં ટીચર અભિલાષજી ખૂબ જ અનોખી રીતે સંસ્કૃતને લોકપ્રિય બનાવી રહ્યા છે. આ પ્રોજેક્ટને “અક્ષરકંદુક” નામ આપવામાં આવ્યું છે. તેમાં સંસ્કૃતના અક્ષરોને  ફૂટબોલમાં ઉપયોગમાં લેવાતા શબ્દો સાથે જોડીને ખૂબ  જ સરળ રીતે સમજાવામાં આવે છે. તેનાથી શીખવામાં આનંદ મળે છે, સાથે સાથે રમત ગમત સાથે લોકોનું જોડાણ પણ વધે છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

ગયા રવિવારે વિક્રમ-1ના સફળ લોન્ચથી, તમામ દેશવાસીઓ ગૌરવ અનુભવી રહ્યા છે. આપણે તમામ ભારતીય સ્પેસ સેક્ટરની આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. આ ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસિત ભારતનું પહેલું રોકેટ છે. આપણા યુવા ઈનોવેટર્સે એ કરી બતાવ્યું, જેની કલ્પના પણ મુશ્કેલ હતી. એમણે ગજબની સ્કિલ, પેશન અને પેશન્સ દેખાડ્યું. લાંબા સમય સુધી સ્પેસ સેક્ટર ખાનગી ક્ષેત્ર માટે બંધ રહેલું, આ ક્ષેત્રમાં રસ ધરાવતા અનેક યુવાનોને પોતાની પ્રતિભા બતાવવાનો અવસર મળી રહ્યો નહોતો. યુવાનોના હિતોને જોતાં અમે સ્પેસ સેક્ટર ને પ્રાઇવેટ સેક્ટર માટે ખોલી દીધું. આજે તેના પરિણામો દુનિયા જોઈ રહી છે.

સાથીઓ,

આપણા  યુવા સાથી સાયન્સમાં પણ ભારતનું મસ્તક ઊંચું કરી રહ્યા છે. સાયન્સ ઓલિમ્પિયાડસ દુનિયાની સૌથી મહત્વપૂર્ણ કોમ્પિટિશનમાં એક છે.  જેમાં મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ ભાગ લે છે. આ મહિનામાં જ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલૉજી અને મેથેમેટિક્સના  ઓલિમ્પિયાડસ થયા. આ કોમ્પિટિશનમાં ભારતીય ટુકડીનું પ્રદર્શન શાનદાર રહ્યું.

ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં આપણાં પાંચ સ્ટુડન્ટ્સે ગોલ્ડ મેડલ જીત્યા અને ભારતે  પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. છેલ્લા એક દાયકામાં થયેલા તમામ ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં આપણાં દેશના સ્ટુડન્ટ્સે ગોલ્ડ અથવા સિલ્વર મેડલ જરૂર જીત્યો છે. કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડમાં પણ આપણાં વિધ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ જીત્યા. આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. બાયોલૉજી ઓલિમ્પિયાડમાં પણ આપણા બધા સ્ટુડન્ટ્સે મેડલ જીત્યા, તેમાં એક ગોલ્ડ મેડલ પણ સામેલ છે. એજ રીતે મેથેમેટિક્સના  ઓલિમ્પિયાડમાં પણ આપણાં વિધ્યાર્થીઓએ બે ગોલ્ડ અને ચાર સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે. મને દેશની યુવા શક્તિ ઉપર ખુબજ ગર્વ છે. મને એ જોઈને આનંદ થાય છે કે  ભારતમાં  ઓલિમ્પિયાડસ અને હેકાથોન્સ કલ્ચર ખૂબ વધી રહ્યું છે. મને વિશ્વાસ છે કે દેશના વધુ ને વધુ યુવાનો આવા ફોરમ્સ માં પોતાનો ઇન્ટરેસ્ટ દેખાડશે અને ભારતનો તિરંગો લહેરાવશે.

મારા વ્હાલા દેશવાસીઓ,

જ્યારે કૌશલ્ય પણ હોય અને કઇંક કરવાનો જુસ્સો પણ હોય ત્યારે તમામ માર્ગ સરળ બની જાય છે. કાશ્મીરની પરંપરાગત ચટાઈ “વગુ” માટે આજે જે પ્રયાસો થઈ રહ્યા છે તેમાં તેની ઝલક જોવા મળી રહી છે. તેમાં સર્કન્ડે અને ધાનના પુળાથી, સ્ટ્રોથી તૈયાર કરવામાં આવે છે. આ ચટાઈ તૈયાર કરવાની પરંપરા વરસો જૂની છે. તેના માટે સૌ પ્રથમ કશ્મીરના કાદવ વાળા વિસ્તારોની ઘાંસ અને સર્કન્ડેની કાપણી કરવામાં આવે છે. તડકામાં સુકાવ્યા બાદ તેની છંટણી કરવામાં આવે છે. અને પછી શરૂ થાય  છે હાથ વણાટનું કામ. બે કારીગરો ને એક ચટાઈ બનાવવામાં લગભગ ચાર દિવસ લાગે છે. આ ચટાઈ ખૂબ જ અનોખી પણ છે. અને ઇકો ફ્રેન્ડલી પણ છે.

એક મોટી વિશેષતા એ છે કે તમને ગરમીના દિવસોમાં તેનાથી ઠંડક મળશે જ્યારે ઠંડીના દિવસોમાં તેનાથી ગરમી મળશે. પહેલા તે કશ્મીરના દરેક ઘરોમાં જોવા મળતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેનો ઉપયોગ ઓછો થવા લાગ્યો છે. એવામાં શ્રીનગરના ગુલામ હુસૈનજી અને તેમની દીકરી તંજીલાજી એ એક સંકલ્પ કર્યો છે. બંને “વગુ” ક્રાફ્ટ ની પરંપરાને નવું જીવન દેવા માટે લાગી પડ્યા છે. ગુલામ હુસૈનજી ખુબજ ગરીબ પરિવારમાંથી આવે છે. તેમને આ કાર્યમાં અનેક પડકારોનો સામનો પણ કરવો પડ્યો. પરંતુ “વગુ” પરંપરાને જીવંત રાખવાનો તેમનો સંકલ્પ અડગ હતો. જોત જોતમાં તેમના આ પ્રયાસોમાં અનેક લોકો જોડાવા લાગ્યા. ગુલામ હુસૈનજીએ  આ કૌશલ્યને ખૂબ આગળ વધાર્યું. પોતના આ કાર્યમાં તેમને સ્થાનિક કક્ષાએ સરકારી સહયોગ પણ મળ્યો. આજે ઝડપથી લોકપ્રિય બની રહેલી વગુ દેશના અન્ય હિસ્સામાં પણ પહોંચી રહી છે. મને આ પ્રયાસમાં જોડાયેલા તમામ લોકો માટે ખૂબ જ ગર્વ છે. આજે આપણા બધાનું જોર સ્થાનિક ઉત્પાદનો ઉપર છે. આપણે લોકલ ફોર વોકલના મંત્રને લઈને ચાલી રહ્યા છીએ. એવામાં કાશ્મીરની વગુ પણ તમારા ઘરનો ભાગ બને  તે માટે એક વખત જરૂર વિચારજો.

સાથીઓ,

આપણાં દેશમાં ચા એ માત્ર એક પીણું નથી. એ એક પોતાનાપણું પણ છે. સવારની શરૂઆત હોય, મિત્રો સાથે મુલાકાત કરવાની હોય કે પછી પરિવાર સાથે થોડો સમય વિતાવવાનો હોય- ચા દરેક પ્રસંગનો ભાગ બની જાય છે. એમ તો તમે પણ ખૂબ સારી રીતે જાણો છો કે ચા સાથે મારો સંબંધ શું છે. પરંતુ આજે હું જે ચા ની ચર્ચા કરી રહ્યો છું- તેણે માત્ર સ્વાદ જ નથી આપ્યો પણ અનેક બહેનોના જીવનમાં આત્મનિર્ભરતાની નવી ખુશ્બુ મિલાવી દીધી છે. ઉત્તર પ્રદેશના બીજનોર જિલ્લાના લખીવાલા ગામમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ થી જોડાયેલી મહિલાઓએ વિદુર પ્રેરણા સ્વદેશી હર્બલ ટી તૈયાર કરી છે. તેમાં લેમન ગ્રાસ, ગિલોય, જેઠી મધ, તુલસી, કાચી હળદર, તજ, ઇલાઈચી, અને વરિયાળી જેવી કુદરતી સામગ્રી સામેલ છે.

પોતાના અનોખા સ્વાદ અને ગુણોને કારણે આ ચા ખૂબ જ ઓછા સમયમાં લોકો વચ્ચે પોતાની ઓળખ બનાવી ચૂકી છે. પ્રયાગરાજના મહાકુંભ અને દિલ્હીના ઇન્ટરનેશનલ  ફૂડ ફેસ્ટિવલમાં આ હર્બલ ચાએ ખૂબ જ પ્રશંસા મેળવી છે. વિદેશથી આવેલા લોકોએ પણ તેમાં રસ દેખાડ્યો છે.

સાથીઓ,

સૌથી પ્રેરણાદાયી વાત તો તેની શરૂઆત છે. આ સમગ્ર પ્રયાસ માત્ર એક લાખ રૂપિયાથી શરૂ થયો હતો. આજે આ બ્રાન્ડ દેશની મોટી સંસ્થાઓ સુધી પહોંચી ચૂકી છે. આ શરૂઆત આપણને બતાવે છે કે જ્યારે સ્થાનિક જ્ઞાન, પ્રકૃતિ અને મહિલાઓનો આત્મ વિશ્વાસ સાથે આવે છે ત્યારે એક નાનો પ્રયાસ પણ મોટા પરિવર્તનની શરૂઆત બની જાય છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

આજે દેશ ભરમાં “એક પેડ માં કે નામ” અભિયાનના મધ્યમથી લોકો કુદરત પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. જ્યારે સમાજ આ ભાવનાથી જોડાય છે ત્યારે ખૂબ જ પ્રેરક અને  સુંદર ઉદાહરણો સામે આવે છે. સાથીઓ, અમદાવાદમાં જનભાગીદારીની અદભૂત શક્તિ જોવા મળી છે. ભાડજ  વિસ્તારમાં એક કલાકમાં સાડા ત્રણ લાખથી વધુ છોડ રોપવામાં આવ્યા. જેમાં 25 હજારથી વધુ લોકો જોડાયા. સ્કૂલના બાળકો, એન. સી. સી. કેડેટ્સ, સ્વયં સેવક અને સામાન્ય નાગરિક સૌએ આ અભિયાનમાં ભાગ લીધો. આવનારા વર્ષોમાં આજ છોડો ગાઢ શહેરી વન બનીને ઊભરી આવશે. આ પ્રયાસને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો છે.

સાથીઓ,

એક પેડ માં કે નામ  અભિયાન અંતર્ગત, યુપી માં પણ જનશક્તિનો અદભૂત સંકલ્પ જોવા મળ્યો. અહી એક જ દિવસમાં 12 જુલાઈએ 35 કરોડથી વધુ છોડ લગાવવામાં આવ્યા. યુપીના સાંસદ હોવાને કારણે મારા માટે આ પણ વિશેષ ગર્વની વાત છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

વૃક્ષ કેવળ મનુષ્યો માટે નથી હોતા, તે અસંખ્ય જીવોનો પણ આશરો હોય છે. ગુજરાતનાં ગીરના જંગલોમાં લગભગ 60 વર્ષો પછી ઇંડિયન ગ્રે હોર્નબિલ ફરીથી વસવાટ કરી રહ્યા છે. આ ગીરમાં વર્ષોથી થઈ રહેલ સંરક્ષણ અને પુનઃસ્થાપનના પ્રયાસોનું પરિણામ છે. હોર્નબિલને જંગલોનો ખેડૂત કહેવામાં આવે છે. તે ફળ ખાય છે, અને બીજને દૂર દૂર સુધી પહોંચાડે છે. આ જ બીજથી જંગલમાં નવા વૃક્ષો ઊગે છે. આ રીતે એક પક્ષી જંગલને ફરીથી હર્યું ભર્યું બનાવવામાં મદદ કરે છે. હું આપ સૌને કહીશ આપણે સૌ આપણા જીવનના વિશેષ પ્રસંગને પ્રકૃતિ સાથે જરૂર જોડીએ. એક પેડ માં કે નામ -રોપે. આજે રોપેલો એક નાનો છોડ આવનારી પેઢી માટે લીલોતરી, સ્વચ્છ હવા અને સુંદર ભવિષ્યનો વારસો બની શકે છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

આપણે સૌ જાણીએ છીએ કે આજે પ્લાસ્ટિક પ્રદૂષણ સમગ્ર દુનિયામાં પર્યાવરણ માટે એક મોટો પડકાર બની ચૂક્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો કેટલાય વર્ષો સુધી પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે, માટે પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ ખૂબ જ જરૂરી છે.

સાથીઓ,

બિહારના સીતામઢીમાં વેસ્ટ ટુ વેલ્થનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. અહી કચરાને રિસાયકલિંગ કરીને તેમાંથી આકર્ષક બેન્ચ બનાવવામાં આવી રહી છે, એક બેન્ચ તૈયાર થવામાં લગભગ 40 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાય છે. જે મજબૂત, ટકાઉ, અને આરામદાયક હોવાની સાથે સાથે ઇકો ફ્રેન્ડલી પણ હોય છે. જેને સરકારી શાળાઓ બગીચાઓ અને સાર્વજનિક સ્થળોએ મૂકવામાં આવે છે. જેના દ્વારા લોકોમાં પર્યાવરણ સંરક્ષણને લઈને જાગૃતિ આવી રહી છે. આ પ્રયાસમાં સ્થાનિક એકમની સાથે જ જિલ્લા પ્રશાસનની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

જેનાથી સ્થાનિક સ્તરે રોજગારીના અવસરો પણ ઊભા થઈ રહ્યા છે. સીતામઢીનો આ પ્રયાસ આપણને બતાવે છે કે રીડયુસ, રીયુઝ અને રીસાયકલ  આજે માત્ર એક સૂત્ર નથી રહ્યું પરંતુ આપણાં જીવનનો ભાગ બનતો જાય છે.

સાથીઓ,

આપને યાદ હશે કે ગઈ વખતે મન કી બાતમાં મે ગણેશ ઉત્સવની વાત કરી હતી. મે આગ્રહ કર્યો હતો કે આપણે આપણા દેશની માટીથી જ બનેલા ગણેશજીની પૂજા કરવી જોઈએ. જે પીઓપીથી બનેલા ગણેશજી હોય છે અથવા તો વિદેશથી આવેલી ગણેશજીની મૂર્તિ હોય છે  તેના બદલે આપણે દેશની માટીમાંથી બનેલા ગણેશજીની ઘરમાં સ્થાપના કરવી જોઈએ. આ વિષય પર અનેક લોકોએ મને સંદેશ મોકલ્યા છે, અને પોતાના વિચારો રજૂ કર્યા છે. લોકોએ કહ્યું કે તેમણે મારા આગ્રહને અપનાવ્યો છે. તેમણે સ્થાનિક માટીથી તૈયાર થયેલા ગણેશજીની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો છે. લોકોએ લખ્યું છે કે મન કી બાતમાં પહેલેથી જ આના ઉપર ચર્ચા થઈ- તેનાથી યોગ્ય સમયે સાચું પગલું લેવામાં મદદ મળી છે. હું ફરીથી આગ્રહ કરું છું કે આ વર્ષે ગણપતિ પૂજામાં દેશની માટીમાંથી બનેલ ગણેશજીનું  તમારા ઘરમાં સ્થાપન કરો, તેમની પૂજા કરો. તમારો આ પ્રયાસ પણ એક રીતે પ્રકૃતિની જ પૂજા હશે.

મારા વ્હાલા દેશવાસીઓ,

હવે હું તમને એક એવા વ્યક્તિ માટે વાત કરવા માગું છું, જેમના વિષે  સાંભળીને તમને ખૂબ જ ગર્વ થશે. એક એવી વ્યક્તિ  જે સાયન્સ અને ઇનોવેશનના ક્ષેત્રમાં ઉત્સાહભેર કાર્ય કરી રહ્યા છે. દુનિયા ભરમાં નામના બની રહી હોવા છતાં તેઓ પોતાના મૂળ સાથે ગાઢ રીતે જોડાયેલા રહ્યા છે. તક મળતા જ તેઓ આપણી માટીનું સન્માન કરવાનું નથી ભૂલતા. એ વ્યક્તિ છે  મણીપુરના ડૉક્ટર રોનાલ્ડો લઈસરામજી.                               

તેમનું નામ રોનાલ્ડો છે, પણ કામથી તેઓ એસ્ટ્રોફીઝીસિસ્ટ છે. તેઓ જાપાનમાં કામ કરે છે, અને યંગ ગેલેકક્ષીઝના એક વિશાળ સમૂહની શોધ કરવા વાળી ટીમનો ભાગ છે. તમે જાણવા માંગો છો કે વાસ્તવમાં તેમણે શું કર્યું છે? વાસ્તવમાં તેમણે આ પૂરા સમુહનું નામ મણિપુરના એક સુંદર તળાવ સાથે જોડીને લોકટક પ્રોટો- ક્લસ્ટર રાખ્યું છે. લોકટક તાજા પાણીનું એક મોટું તળાવ છે. લોકટક તળાવમાં તરતી ફૂમડી મળીને એક અનોખુ  લેન્ડસ્કેપ બનાવે છે. એવું લાગે છે કે વિશાળ સમુદ્રમાં નાના નાના દ્વીપ તરી રહ્યા હોય. એવી જ રીતે યુનિવર્સમાં પણ આ યંગ ગેલેકક્ષીઝ પણ એક વિશાળ આકારનું નિર્માણ કરે છે. આજે મણિપુરનું લોકટક માત્ર દેશના નકશામાં જ નહીં પણ વિશાળ બ્રહ્માંડમાં પણ પોતાની ચમક દર્શાવી રહ્યું છે. આ ઉપલબ્ધિ બધા ભારતીયોનું ગૌરવ વધારનાર છે. તેનાથી આપણા યુવા સાથીઓને શીખ મળે છે કે તેઓ પોતાની પરંપરા સાથે જોડાયેલા રહીને પણ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકે છે. આ એવા મૂળ છે, જે તારાઓની દુનિયાને પણ ઝગમગાવી શકે છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

થોડા જ દિવસો પછી 7 મી ઓગષ્ટે આપણો દેશ નેશનલ હેન્ડલૂમ ડે ઉજવશે. આ પ્રસંગે આપણે આપણા વણકર ભાઈ- બહેનોના કૌશલ્ય અને તેમની સર્જનશીલતાનો ઉત્સવ માનવીએ છીએ. આપણા આ સાથીઓ પેઢીઓથી ચાલી આવતી પરંપરાઓને આગળ વધારી રહ્યા છે.

સાથીઓ,

હાથ વણાટથી બનેલું દરેક વસ્ત્ર કોઈ ને કોઈ ક્ષેત્ર, સમુદાય અને તેની સાથે જોડાયેલા અસંખ્ય લોકોની વાત સામે લાવે છે. આ એ લોકો છે, જે ગર્વ સાથે ભારતના  સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે લાગેલા છે. આજના દિવસે મારો આગ્રહ છે કે આપણે હસ્તકલાને પ્રોત્સાહિત કરી આપણા વણકર સાથીઓનું સન્માન કરીએ. આવો આપણે લોકલ ફોર વોકલની ભાવનાને વધુ મજબૂત કરીએ.

સાથીઓ,

આજે દેશમાં હેન્ડલૂમને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તેનાથી મોટી સંખ્યામાં લોકોનું જીવન સુધરી રહ્યું છે. પોચમપલ્લી થી પટણા અને કૂથમપલ્લી થી કચ્છ સુધી તેના અનેક ઉદાહરણો જોવા મળે છે. આજે એવા અનેક લોકો અને સમૂહ છે જે હેન્ડલૂમની આપણી ગૌરવશાળી પરંપરાને નવી ઉર્જા અને  ઓળખ આપી રહ્યા છે. કોઈ “પોચમપલ્લી ઇકત” ની સુંદર પરંપરા આગળ વધારી રહ્યા છે તો કોઈ મહિલા વણકરોને જોડીને વુલ પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે. કેટલાક લોકો કેરલમની પારંપરિક “કસાવુ કલા”ને સંરક્ષિત કરી રહ્યા છે. તેનાથી આપણી માતાઓ-બહેનોને રોજગાર મળી રહ્યો છે.

સાથીઓ,

એક વધુ વિષય જેનો હું ખાસ ઉલ્લેખ કરવા માગું છું, એ છે ખાદી. આપણે સૌ જાણીએ છીએ કે ખાદી મહાત્મા ગાંધીને ખૂબ જ પ્રિય હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદી ઘણી લોકપ્રિય થઈ છે. છેલ્લા 12 વર્ષોમાં તેના વેચાણમાં છ ગણો વધારો થયો છે. વેચાણનો આ આંકડો હવે 8 હજાર કરોડ રૂપિયા નજીક પહોંચી ગયો છે. મારો તમને સૌને આગ્રહ છે કે આવનારા તહેવારોમાં ખાદીની  કોઈને કોઈ, હેન્ડલૂમની કોઈને કોઈ, હેન્ડી ક્રાફ્ટની કોઈને કોઈ પ્રોડક્ટ જરૂર ખરીદજો.

મારા વ્હાલા દેશવાસીઓ,

જો તમને પૂછવામાં આવે કે ભારતમાં કેટલા પ્રકારના મ્યૂઝિકલ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ છે- તો તમે વિચારમાં પડી જશો. કેમકે આપણે ત્યાં ઘણા બધા વાદ્યંયંત્ર અને તેની સાથે જોડાયેલી પરંપરાઓ છે. આવા જ પ્રકારનું એક  ઇન્સ્ટ્રૂમેન્ટ છે  ત્રિપુરાનું  “ચાઉન્ગપ્રેન્ગ”. આ ત્યાંની ટ્રાયબલ કોમ્યુનિટીઝમાં ખૂબ જ લોકપ્રિય છે. વાંસથી બનેલા આ વાદયયંત્રમાં ત્રણ તાર હોય છે. તેમાંથી નિકળેલુ સંગીત ખૂબ જ મધુર હોય છે- જે સરોદ સાથે મળતુ આવે છે.

કેટલાક કારણોથી યુવાનોમાં તેની લોકપ્રિયતા ઓછી થવા લાગી હતી. એવા સમયે સૂરજ કુમાર દેબબર્માજીએ તેણે ફરીથી લોકપ્રિય બનાવવાનો સંકલ્પ કર્યો. આજે તેમના પ્રયાસ રંગ લાવી રહ્યા છે. તે “ચાઉન્ગપ્રેન્ગ”ની સાથે જ ત્યાંનાં અન્ય પારંપરિક વાદ્યયંત્ર ઉપર પણ પરફોર્મ કરે છે. કોકબોરોક ફોક સોંગ્સ, બાઉલ સોંગ્સ, બંગાલી ફોક એમને ખૂબ જ ગમે છે. હવે હું તમને એક નાની ઓડિયો ક્લિપ સંભળાવા માગું છું . આ સંગીત તમે ક્યારેય ભૂલી નહીં શકો.

/// MUSIC///

સાથીઓ,

મને વિશ્વાસ છે કે આ સાંભળીને તમારા મનને બહુ સારું લાગ્યું હશે. મને દેબબર્માજી પર બહુજ ગર્વ છે. પારંપરિક સંગીતને લોકપ્રિય બનાવવાનો તેમનો પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે. મારો આગ્રહ છે તમે પણ તમારી આસપાસના પારંપરિક વાદયયંત્રની જાણકારી સોશિયલ મીડિયા ઉપર જરૂર શેર કરો. તમારી આ કોશિશ બીજાને પણ પારંપરિક ભારતીય સંગીત સાથે જરૂર જોડશે.

મારા વ્હાલા દેશવાસીઓ,

કાલે 27 જુલાઈએ ભારત રત્ન ડૉક્ટર એ. પી. જે. અબ્દુલ કલામજીની પુણ્ય તિથી છે. ડૉક્ટર કલામના વ્યક્તિત્વમાં અનેક પ્રેરક રૂપ હતા પરંતુ તેમના હ્રદયની સૌથી નજીક એક શિક્ષકની ભૂમિકા હતી. તેઓ બાળકો અને યુવાઓને મોટા સપના જોવા માટે પ્રેરિત કરતા હતા. યોગાનુયોગ આજ અઠવાડિયે આપણે ગુરુપૂર્ણિમાનું પાવન પર્વ પણ માનવીશું. આપણાં માતા પિતા આપણાં પહેલા ગુરુ હોય છે. શાળામાં શિક્ષક આપણને અક્ષર જ્ઞાન આપે છે. ગુરૂપૂર્ણિમા આવા તમામ ગુરુઓ પ્રત્યે કૃતગનતા વ્યક્ત કરવાનો અવસર છે. હું દેશના તમામ શિક્ષકો અને ગુરુજનોને શ્રધ્ધા પૂર્વક વંદન કરું છું.

સાથીઓ,

થોડા જ અઠવાડિયા પછી આપણે આપણી સ્વતંત્રતાનું મહાપર્વ પણ ઉજવીશું. 15 ઓગષ્ટ દરેક ભારતીયો માટે ગર્વનો દિવસ છે. આ અનેક વીરોને યાદ કરવાનો દિવસ છે, જેમણે ભારત માતાની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું. તેમના ત્યાગ અને તપસ્યાને કારણે આજે આપણાં હાથમાં તિરંગો છે. આ તિરંગામાં આપણાં બંધારણના આદર્શ છે.

સાથીઓ,

છેલ્લા કેટલાક વર્ષોથી હર ઘર તિરંગા અભિયાને સમગ્ર દેશને એક અદભૂત ભાવના સાથે જોડ્યો છે. દરેક ઘર, દરેક ગલીમાં તિરંગાનો ઉત્સવ જોવા મળે છે. આ વર્ષે પણ આપણે હર ઘર તિરંગા અભિયાનને પૂરા ઉત્સાહ સાથે આગળ વધારવાનો છે. પોતાના ઘર પર પૂરા સન્માન સાથે તિરંગો ફરકાવવાનો છે.

સાથીઓ,

દરવર્ષે 15 ઓગષ્ટ પહેલા તમે મને બહુ બધા વિચાર અને સૂચનો મોકલો છો. આ વર્ષે પણ તમે તમારા વિચાર mygov પર જરૂરથી મોકલજો. મને તમારા સૂચનોની પ્રતિક્ષા રહેશે.

સાથીઓ,

મન કી બાતમાં આજે આટલું જ. આવતા મહિને આપણે ફરી મળીશું. દેશવાસીઓની અનેક નવી સિધ્ધિઓ અને પ્રેરણાદાયક પ્રયાસોની સાથે. ત્યાં સુધી મને અનુમતિ આપશો.

ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

 

 

IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]