Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મન કી બાત


મારા વ્હાલા દેશવાસીઓ,

આપ સૌને નમસ્કાર ! ફરી એક વાર ‘મનની વાતો’ કરવા માટે આપની વચ્ચે આવવાનો મને અવસર મળ્યો છે.

સુદૂરના પ્રાંતોમાં લોકો ઓણમ્ નું પર્વ મનાવી રહ્યા છે અને ગઈકાલે આખા દેશે રક્ષાબંધનનું પવિત્ર પર્વ ઉજવ્યું.

સામાજિક સુરક્ષાને અનુલક્ષીને ભારત સરકારે સામાન્ય માનવી માટે અનેક નવી યોજનાઓ લાગુ કરી છે. મને આનંદ છે કે બહુ ઓછા સમયમાં, વ્યાપક પ્રમાણમાં સૌએ આ યોજનાઓનો સ્વીકાર કર્યો છે.

મેં એક નાની અરજ કરી હતી કે, રક્ષાબંધનના પર્વ નિમિત્તે આપણે આપણી બહેનોને આ સુરક્ષા યોજના ભેટ આપીએ.

મારી પાસે જે પ્રાથમિક માહિતી આવી છે કે આ યોજનાના આરંભથી આજ સુધીમાં અગિયાર કરોડ કુટુંબો આ યોજના સાથે જોડાયા છે.

વધુમાં મને એમ પણ કહેવામાં આવ્યું કે લગભગ અડધો લાભ માતાઓ અને બહેનોને મળ્યો છે. હું આને શુભ સંકેત માનું છું. હું બધી જ માતાઓ અને બહેનોને રક્ષાબંધનના પવિત્ર પર્વની અનેક શુભકામનાઓ આપું છું.

આજે જ્યારે હું આપની સાથે વાત કરી રહ્યો છું ત્યારથી એક વર્ષ પહેલા ‘જન ધન યોજના’ને મોટા પાયે હાથ ઉપર લેવામાં આવી હતી. જે કામ સાંઈઠ વર્ષોથી નથી થયું એ આટલા ટૂંકા સમયમાં થશે કે કેમ ? આવા કઈ પ્રશ્ન ચિન્હો હતાં !

પરંતુ આજે મને આનંદ છે કે આ યોજનાના અમલ સાથે સંકળાયેલા સરકારના બધા જ એકમો, બેન્કના તમામ એકમો, પ્રાણ રેડીને એમાં જોડાઈ ગયા અને સફળતા મેળવી.

અને હાલ પર્યંત, મારી જાણકારી અનુસાર, લગભગ પોણા અઢાર કરોડ બેન્ક ખાતાઓ ખોલવામાં આવ્યા. 17 કરોડ 74 લાખ !

મેં ગરીબોની અમીરી પણ જોઈ ! શૂન્ય બેલેન્સથી ખાતા ખોલવાના હતા. પરંતુ ગરીબોએ બચત કરીને બાવીસ હજાર કરોડની રકમ જમા કરાવી. અર્થવ્યવસ્થાની મુખ્યધારા બેન્કીંગ ક્ષેત્ર પણ છે. અને આ વ્યવસ્થા ગરીબના ઘર સુધી પહોંચે એ માટે ‘બેન્ક મિત્ર’ની યોજના ઉપર પણ ભાર મૂક્યો છે.

આજે સવા લાખથી પણ વધુ ‘બેન્ક મિત્ર’ દેશભરમાં કામ કરી રહ્યા છે. નવયુવકોને રોજગાર મળ્યો છે.

આપને જાણીને આનંદ થશે કે આ એક વર્ષમાં બેન્કીંગ સેક્ટર, અર્થવ્યવસ્થા અને ગરીબ માણસ – આમને સાંકળવા માટે એક લાખ એકત્રીસ હજાર ફાઇનાન્શીયલ લીટરસી કેમ્પ યોજવામાં આવ્યા છે.

માત્ર ખાતાઓને ખોલીને અટકી જવાનું નથી. અને હવે તો હજારો લોકો આ ‘જન ધન યોજના’ અંતર્ગત ઓવરડ્રાફ્ટ મેળવવાના અધિકારી પણ બન્યા અને એમણે એ લીધા પણ ! અને ગરીબને બેન્કમાંથી પૈસા મળી શકે છે એ વિશ્વાસ પણ પેદા થયો.

હું ફરી એકવાર આમાં સંકળાયેલા સૌને અભિનંદન આપું છું.

અને બેન્કનાં ખાતાં ખોલવાવાળા સૌ ગરીબમાં ગરીબ ભાઈઓ-બહેનોને પણ આગ્રહ કરું છું કે તમે બેન્ક સાથેનો સંબંધ તૂટેવા ન દેશો. આ બેન્ક આપની છે. તમારે હવે એને છોડવી ન જોઈએ. હું એને તમારા સુધી લાવ્યો છું. હવે એને જાળવી રાખવી એ તમારું કામ છે.

આપણા સૌનાં ખાતાં સક્રિય હોવા જોઈએ. આપ જરૂર એમ કરશો. મને વિશ્વાસ છે.

પાછલા દિવસોએ ગુજરાતની ઘટનાઓએ, હિંસાના તાંડવે, આખા દેશને બેચેન બનાવી દીધો. અને એ સ્વાભાવિક છે કે ગાંધી અને સરદારની ભૂમિ ઉપર કંઈ પણ બને તો દેશને સૌથી પહેલા આઘાત પહોંચે છે. પીડા થાય છે.

પરંતુ બહુ જ ઓછા સમયમાં ગુજરાતના મારા સૌ પ્રબુદ્ધ નાગરિક ભાઈઓ-બહેનોએ પરિસ્થિતિને સંભાળી લીધી. પરિસ્થિતિ બગડે એ પહેલા સક્રિય ભૂમિકા નિભાવી અને ફરી એકવાર ગુજરાત શાંતિના માર્ગ પર ચાલી નીકળ્યું.

શાંતિ, એકતા, ભાઈચારો – આ જ સાચો માર્ગ છે. અને આપણે વિકાસના માર્ગ ઉપર જ ખભેખભા મેળવીને ચાલવાનું છે. વિકાસ જ આપણી સમસ્યાઓનું સમાધાન છે.

પાછલા દિવસોમાં મને સૂફી પરંપરાના વિદ્વાનોને મળવાનો અવસર સાંપડ્યો. એમની વાતો સાંભળવાનો અવસર મળ્યો. અને સાચું કહું છું જે અનુભવ્યું જે પ્રકારની એમની વાતો સાંભળવાનો અવસર મને મળ્યો કે એક પ્રકારે જાણે કોઈ સંગીત વાગી રહ્યું હોય.

એમની શબ્દોની પસંદગી, એમની વાતચીતની રીતભાત.. એટલે કે સૂફી પરંપરામાં જે ઉદારતા છે, જે સૌમ્યતા છે, જેમાં એક સંગીતનો લય છે. આ બધાની અનુભૂતિ આ વિદ્વાનોના સાનિધ્યમાં મને મળી. મને ખૂબ સારું લાગ્યું.

કદાચ દુનિયામાં ઇસ્લામના સાચા સ્વરૂપને સાચા રૂપે પહોંચાડવું એ સૌથી વધુ આવશ્યક બન્યું છે. મને વિશ્વાસ છે કે સૂફી પરંપરા જે પ્રેમ સાથે જોડાયેલી છે, ઉદારતા સાથે જોડાયેલી છે, તે આ સંદેશને દૂર દૂર સુધી પહોંચાડશે. જે માનવ જાતિને લાભ પહોંચાડશે. ઇસ્લામને પણ લાભ પહોંચાડશે. અને હું બીજાઓને પણ કહું છું કે આપણે ભલે કોઈપણ સંપ્રદાયમાં માનતા હોઈએ, પણ ક્યારેક સૂફી પરંપરાને સમજવી જોઈએ.

આગામી દિવસોમાં મને વધુ એક અવસર મળવાનો છે. અને આ નિમંત્રણને હું મારું સૌભાગ્ય માનું છું. ભારતમાં, વિશ્વના અનેક દેશોના બૌદ્ધ પરંપરાના વિદ્વાનો બોધગયામાં આવવાના છે. અને માનવજાત સાથે સંકળાયેલા વૈશ્વિક વિષયો ઉપર ચર્ચા કરવાના છે. મને પણ એમાં નિમંત્રણ મળ્યું છે. અને મારા માટે એ આનંદની વાત છે કે એમણે મને બોધગયા આવવાનું નિમંત્રણ આપ્યું છે. ભારતના પહેલા પ્રધાનમંત્રી પંડિત નહેરુ બોધગયા ગયા હતા. મને વિશ્વભરના આ વિદ્વાનો સાથે બોધગયા જવાનો અવસર મળવાનો છે. મારે માટે એક અત્યંત આનંદની ક્ષણ છે.

મારા વ્હાલા કિસાન ભાઈઓ-બહેનો, હું ફરી એકવાર આપને વિશેષ રૂપે આજે મનની વાત કહેવા માંગું છું. અગાઉ પણ ‘મન કી બાત’માં હું આ વિષયનો ઉલ્લેખ કરી ચૂક્યો છું. આપે સાંભળ્યું હશે, સંસદમાં મને સાંભળ્યો હશે, સાર્વજનિક સભાઓમાં સાંભળ્યો હશે, ‘મન કી બાત’માં સાંભળ્યું હશે. હું દર વખતે એક વાત કહેતો આવ્યો છું કે જે ‘લેન્ડ એક્વિઝિશન એક્ટ’ના સંબંધમાં વિવાદ ચાલી રહ્યો છે એ વિષયમાં સરકારનું મન ખુલ્લું છે. કિસાનોના હિત માટે કોઈ પણ સૂચનને સ્વીકારવા હું તૈયાર છું અને એ હું વારંવાર કહેતો આવ્યો છું. પરંતુ આજે મારે મારા કિસાન ભાઈઓ-બહેનોને એ કહેવું છે કે ‘લેન્ડ એક્વિઝિશન એક્ટ’માં સુધારાની વાત રાજ્યો મારફતે આવી, આગ્રહપૂર્વક આવી કે ગામ, ગરીબ ખેડૂતનું જો ભલુ કરવું હશે –

ખેતરો સુધી પાણી પહોંચાડવા માટે નહેરો બનાવવી હશે, ગામમાં વીજળી પહોંચાડવા માટે થાંભલા લગાવવા હશે, ગામ માટે સડક બનાવવી હશે, ગામના ગરીબો માટે ઘર બનાવવા હશે, ગામના ગરીબ નવયુવકોના રોજગાર માટે વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી હશે, તો આપણે આ અમલદારશાહીની ચૂંગલમાંથી કાનૂનને છોડાવવો પડશે. અને ત્યારે સુધારાનો પ્રસ્તાવ આવ્યો હતો.

પરંતુ મેં જોયું કે એટલો તો ભય ફેલાવવામાં આવ્યો, કિસાનને એટલો ભયભીત કરવામાં આવ્યો. મારા કિસાન ભાઈઓ-બહેનો, મારો કિસાન ન તો ભ્રમિત થવો જોઈએ, અને ભયભીત તો કદાપી ન થવો જોઈએ. અને હું એવો કોઈ જ અવસર કોઈને આપવા માંગતો નથી કે જે કિસાનોને ભયભીત કરે, કિસાનોને ભ્રમિત કરે. અને મારે માટે દેશમાં પ્રત્યેક અવાજનું મહત્વ છે. પરંતુ કિસાનોના અવાજનું વિશેષ મહત્વ છે.

અમે એક ઑર્ડીનન્સ રજૂ કર્યો હતો. આવતીકાલે એકત્રીસમી ઑગસ્ટે ઑર્ડીનન્સની મુદત પૂરી થઈ રહી છે. અને મેં નિશ્ચય કર્યો છે કે એને સમાપ્ત થવા દેવામાં આવે. મતલબ એ થયો કે મારી સરકાર બની એ અગાઉ જે સ્થિતિ હતી તે હવે પુનઃ પ્રસ્થાપિત થઈ ચૂકી છે.

પરંતુ એમાં એક કામ અધૂરું હતું. તે હતું કે – તેર એવા મુદ્દા હતા જેમને એક વર્ષમાં પૂરા કરવાના હતા. અને માટે જ અમે ઑર્ડિનન્સમાં એમને લાવ્યા હતા. પરંતુ આ વિવાદોને કારણે એ મામલો પણ ગૂંચવાઈ ગયો. ઑર્ડિનન્સ તો સમાપ્ત થઈ રહ્યો છે. પરંતુ જેનાથી કિસાનોને સીધો લાભ મળવાનો છે, કિસાનોનો સીધો આર્થિક લાભ જેની સાથે જોડાયેલો છે, એ તેર મુદ્દાઓને અમે નિયમ અંતર્ગત લાવીને આજે જ લાગુ કરી રહ્યા છીએ. જેથી કિસાનોને નુકસાન ન થાય, આર્થિક હાની ન થાય. અને માટે જે તેર મુદ્દાઓ લાગુ કરવાના અગાઉના કાનૂનમાં બાકી હતા તેમને આજે અમે પૂરા કરી રહ્યા છીએ. અને મારા કિસાન ભાઈઓ-બહેનોને હું ખાતરી આપું છું કે અમારે માટે ‘જય જવાન – જય કિસાન’ એ નારો જ નથી, એ અમારો મંત્ર છે. ગામ, ગરીબ કિસાનનું કલ્યાણ. અને એટલે જ તો પંદર ઑગસ્ટે મે કહ્યું હતું કે, ફક્ત કૃષિ વિભાગ નહિ પરંતુ કિસાન અને કલ્યાણ વિભાગ બનાવવામાં આવશે. જેનો નિર્ણય અમે બહુ ઝડપભેર આગળ વધાર્યો છે. માટે મારા કિસાન ભાઈઓ-બહેનો, હવે ન તો ભ્રમનું કોઈ કારણ છે કે ન તો કોઈ ભયભીત કરવા પ્રયાસ કરે તો તમારે ભયભીત થવાની જરૂર છે !

મારે એક બીજી પણ વાત કહેવી છે કે બે દિવસ અગાઉ 1965ના યુદ્ધને પચાસ વર્ષ થયા. અને જ્યારે જ્યારે 1965ના યુદ્ધની વાત આવે છે ત્યારે લાલબહાદુર શાસ્ત્રીજીની યાદ આવવી બહુ સ્વાભાવિક છે. ‘જય જવાન – જય કિસાન’ મંત્ર યાદ આવવો એ પણ સાવ સ્વાભાવિક છે. વળી ભારતના ત્રિરંગા ઝંડાને, એની આન-બાન-શાનને જાળવી રાખવાવાળા એ તમામ શહીદોનું સ્મરણ થવું પણ બહુ સ્વાભાવિક છે. 1965ના યુદ્ધના વિજય સાથે સંકળાયેલા સૌને હું પ્રણામ કરું છું. વીરોને નમન કરું છું અને આવી ઐતિહાસિક ઘટનાઓ પરથી આપણને નિરંતર પ્રેરણા મળતી રહે.

જે રીતે પાછલા અઠવાડિયે મને સૂફી પરંપરાના લોકોને મળવાનો અવસર મળ્યો તે જ રીતે એક અત્યંત સુખદ અનુભવ થયો, મને દેશના ગણમાન્ય વૈજ્ઞાનિકોની સાથે કલાકો લગી વાતો કરવાનો અવસર મળ્યો. એમને સાંભળવાનો અવસર મળ્યો. અને મને પ્રસન્નતા થઈ કે સાયન્સના ક્ષેત્રમાં ભારત અનેક દિશાઓમાં બહુ જ ઉત્તમ પ્રકારનું કામ કરી રહ્યો છે. આપણા વૈજ્ઞાનિકો સાચે જ ઉત્તમ પ્રકારનું કામ કરી રહ્યા છે. હવે આપણી પાસે તક છે કે આ સંશોધનોને જનસામાન્ય સુધી કેવી રીતે પહોંચાડીએ ? સિદ્ધાંતોને ઉપકરણોમાં કઈ રીતે રૂપાંતરિત કરીએ ? લેબને લેન્ડ સાથે કેવી રીતે જોડીએ ?

એક અવસરના રૂપમાં આને આગળ ધપાવવાનું છે.

મને કેટલીક નવી જાણકારી પણ મળી. હું કહી શકું છું કે મારે માટે એ એક અત્યંત ઇન્સ્પાયરીંગ પણ હતું. એજ્યુકેટીવ પણ હતું. અને મે જોયું કે અનેક નવયુવાન વૈજ્ઞાનિકો કેવા ઉમંગભેર વાત કરી રહ્યા હતા. કેવા સ્વપ્નો એમની આંખોમાં દેખાઈ રહ્યા હતા.

અને જ્યારે મેં પાછલી વાર ‘મન કી બાત’માં કહ્યું હતું કે આપણા વિદ્યાર્થીઓએ વિજ્ઞાનની તરફ આગળ વધવું જોઈએ. આ મિટિંગ પછી મને લાગે છે કે ઘણી તક છે, ઘણી સંભાવનાઓ છે. હું એ ફરી એક વાર એને દોહરાવવા માંગું છું. બધા નવયુવાન મિત્રો સાયન્સમાં રૂચિ લે. આપણી એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યૂશન્સ પણ વિદ્યાર્થીઓને પ્રેરિત કરે.

મને નાગરિકોના અનેક પત્રો મળે છે. થાણેથી શ્રીમાન પરિમલ શાહે ‘mygov.in’ ઉપર મને એજ્યુકેશનલ રીફોર્મ્સના સંબંધમાં લખ્યું છે. સ્કીલ ડેવલપમેન્ટ વિશે લખ્યું છે.

તામિલનાડુના ચિદમ્બરમ્ થી શ્રીમાન પ્રકાશ ત્રિપાઠીએ પ્રાથમિક શિક્ષણ માટે સારા શિક્ષકોની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે. શિક્ષણ ક્ષેત્રમાં સુધારાઓ ઉપર ભાર મૂક્યો છે.

મારે મારા નવયુવાન મિત્રોને પણ એક વાત કહેવી છે. મેં 15 ઑગસ્ટે લાલ કિલ્લા ઉપરથી કહ્યું હતું કે નીચલા સ્તરની નોકરી માટે ઇન્ટરવ્યુ શા માટે ? અને જ્યારે ઇન્ટરવ્યુ નો કોલ આવે છે ત્યારે દરેક ગરીબ પરિવાર, વિધવા મા, લાગવગ ક્યાંથી મળશે ? કોની મદદથી નોકરી મળશે ? કોનો જેક લગાડીશું ? કોણ જાણે કેવા કેવા શબ્દ પ્રયોગ થઈ રહ્યા છે ? બધા લોકો દોડે છે. અને કદાચ નીચેના સ્તર ઉપરના ભ્રષ્ટાચારનું આ પણ એક કારણ છે.

અને મેં 15મી ઑગસ્ટે કહેલું કે હું ઇચ્છું છું કે અમુક સ્તરથી નીચે તો ઇન્ટરવ્યુ ની પરંપરાથી મુક્તિ હોવી જોઈએ. મને આનંદ છે કે આટલા ઓછા સમયમાં – હજી પંદર દિવસ થયા છે – પરંતુ સરકાર બહુ જ ઝડપભેર આગળ વધી રહી છે અને લગભગ હવે નિર્ણયનો અમલ પણ થઈ જશે કે ઇન્ટરવ્યુના ચક્કરોથી નાની નોકરીઓ છૂટી જશે. ગરીબોને લાગવગ માટે દોડવું નહિ પડે. એક્સપ્લોઇટેશન નહિ થાય, કરપ્શન નહિ થાય.

આ દિવસોમાં ભારતમાં વિશ્વના અનેક દેશોના મહેમાનો આવ્યા છે. સ્વાસ્થ્ય માટે – ખાસ કરીને માતા-મૃત્યુદર અને શિશુ-મૃત્યુદર ઘટે એની કાર્યયોજના માટે ‘કૉલ-ટુ-એક્શન’ દુનિયાના ચોવીસ દેશોએ મળીને ભારતની ભૂમિ ઉપર ચિંતન કર્યું. અમેરિકાની બહાર આ પહેલી વાર કોઈ અન્ય દેશમાં આ કાર્યક્રમ થયો. અને એ વાત સાચી છે કે આજે પણ આપણા દેશમાં દર વર્ષે લગભગ પચાસ હજાર માતાઓ અને તેર લાખ બાળકો પ્રસૂતિકાળમાં જ કે એ પછી તત્કાળ મૃત્યુ પામે છે. આ ચિંતાજનક છે, ભયજનક છે. જો કે સુધાર ઘણો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રશંસા પણ થવા લાગી છે. તેમ છતાં આ આંકડા નાના નથી ! જેમ આપણે લોકોએ પોલીયોથી મુક્તિ મેળવી, તેમ જ માતાઓ અને શિશુઓના મૃત્યુમાં ટિટેનસ – તેનાથી પણ મુક્તિ મેળવી. દુનિયાએ આ સ્વીકાર્યું છે. પરંતુ આપણે હજી પણ આપણી માતાઓને બચાવવાની છે. આપણા નવજાત બાળકોને બચાવવાનાં છે.

ભાઈઓ-બહેનો આજકાલ ડેન્ગ્યુના સમાચાર આવતા રહે છે. એ સાચું છું કે ડેન્ગ્યુ ખતરનાક છે. પરંતુ એનો બચાવ ઘણો સરળ છે. અને હું જે સ્વચ્છ ભારતની વાત કરી રહ્યો છું ને તેની સાથે એ સીધેસીધો જોડાયેલો છે.

ટીવી ઉપર આપણે એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છીએ. પણ આપણું ધ્યાન જતુ નથી. છાપાઓમાં એડવર્ટાઇઝમેન્ટ છપાય છે, પરંતુ આપણું ધ્યાન નથી જતું.

ઘરમાં નાની-નાની ચીજોની સફાઈ, શુદ્ધ પાણીથી પણ દેખભાળ કરવાની પદ્ધતિઓ છે. આ બાબતમાં વ્યાપક સ્તરે લોકશિક્ષણ થઈ રહ્યું છે. પરંતુ આપણું ધ્યાન નથી જતું.

અને ક્યારેક લાગે છે કે આપણે તો બહુ જ સારા ઘરમાં રહીએ છીએ. બહુ જ ઉત્તમ વ્યવસ્થાવાળા છીએ. અને ખબર નથી હોતી કે આપણે ત્યાં જ ક્યાંક પાણી ભરાયું છે. અને આપણે ડેન્ગ્યુને નિમંત્રણ આપી દઈએ છીએ. હું આપ સૌને આગ્રહપૂર્વક એ જ કહીશ કે મૃત્યુને આપણે આટલું સસ્તું ન બનાવી દેવું જોઈએ. જીવન બહુ મૂલ્યવાન છે. પાણી વિશે બેધ્યાનપણું, સ્વચ્છતા વિશે ઉદાસીનતા – એ મૃત્યુનાં કારણ બની જાય એ તો ઠીક નથી.

સમગ્ર દેશમાં લગભગ પાંચસો ચૌદ કેન્દ્રો પર ડેન્ગ્યુની મફત તપાસની સુવિધાઓ ઉપલબ્ધ છે. વખતસર તપાસ કરાવવી એ જ જીવનરક્ષા માટે ઉપયોગી છે. અને આમાં આપ સૌના સાથ-સહયોગની ઘણી આવશ્યકતા છે. વળી સ્વચ્છતાને તો ઘણું મહત્વ આપવું જોઈએ.

આ દિવસોમાં તો રક્ષાબંધનથી દીવાળી સુધી એક પ્રકારે આપણા દેશમાં ઉત્સવ જ ઉત્સવ છે. આપણા દરેક ઉત્સવને હવે સ્વચ્છતા સાથે કેમ ન જોડવામાં આવે ?

તમે જોજો, સંસ્કાર એ સ્વભાવ બની જશે !

મારા વ્હાલા દેશવાસીઓ, આજે મારે આપને એક ખુશખબર સંભળાવવી છે. હું હંમેશા કહું છું કે હવે આપણને દેશ માટે મરવાનું સૌભાગ્ય નહિ મળે. પરંતુ દેશને ખાતર જીવવાનું સૌભાગ્ય તો મળેલું જ છે !

આપણા દેશના બે નવયુવાનો અને બંને ભાઈઓ અને તે પણ મૂળ મહારાષ્ટ્રના નાસિકના – ડૉ. હિતેન્દ્ર મહાજન, ડૉ. મહેન્દ્ર મહાજન. પણ એમના દિલમાં ભારતના આદિવાસીઓની સેવા કરવાની ભાવના પ્રબળ છે. આ બંને ભાઈઓએ ભારતનું ગૌરવ વધાર્યું છે.

અમેરિકામાં ‘રેસ-એક્રોસ-અમેરિકા’ એક સાઇકલ રેસ થાય છે, બહુ અઘરી હોય છે. લગભગ ચાર હજાર આઠસો કિલોમીટર લાંબી રેસ હોય છે. આ વર્ષે આ બંને ભાઈઓએ આ રેસમાં વિજય મેળવ્યો. ભારતનું સન્માન વધાર્યું. હું આ બંને ભાઈઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. ખૂબ ખૂબ શાબાશી આપું છું, અભિનંદન પાઠવું છું.

પરંતુ મને સૌથી વધુ આનંદ એ વાતનો છે કે એમનું આ આખું અભિયાન ‘ટીમ ઇન્ડિયા – વિઝન ફોર ટ્રાઇબલ’ – આદિવાસીઓ માટે કશુંક કરી છૂટવાના ઇરાદાથી તેઓ કરી રહ્યા છે. જુઓ, દેશને આગળ ધપાવવા માટે દરેક જણ પોતપોતાની રીતે કેવા પ્રયાસો કરી રહ્યા છે !! અને જ તો છે. જ્યારે આવી ઘટનાઓ સાંભળીએ છીએ ત્યારે છાતી ફૂલે છે.

ક્યારેક ક્યારેક પર્સેપ્શન ને કારણે આપણે આપણા યુવકો સાથે ઘોર અન્યાય કરી બેસીએ છીએ.

અને જૂની પેઢીને હંમેશા લાગે છે કે નવી પેઢીમાં કશી સમજદારી નથી. અને મને લાગે છે કે આ પરંપરા તો સદીઓથી ચાલી આવે છે.

યુવકોના સંબંધમાં મારો અનુભવ અલગ છે. ક્યારેક તો યુવકો સાથે વાત કરે છીએ તો આપણને પણ ઘણું શીખવા મળે છે.

હું એવા અનેક યુવકોને મળ્યો છું જે કહે છે કે ભઈ, મેં તો જીવનમાં વ્રત લીધું છે કે ‘સન્ડે ઓન સાઇકલ’. અમુક લોકો કહે છે કે, મેં તો અઠવાડિયાનો એક દિવસે સાઇકલ-ડે રાખેલો છે. મારી હેલ્થ માટે પણ સારું રહે છે. એન્વાયર્મેન્ટ માટે પણ સારું રહે છે. અને મને મારા યુવાન હોવાનો આનંદ પણ મળે છે. આજકાલ તો આપણા દેશમાં પણ અનેક શહેરોમાં સાઇકલો ફરે છે. અને સાઇકલોને પ્રમોટ કરવાવાળા લોકો પણ ઘણાં છે.

પરંતુ પર્યાવરણના રક્ષણ માટે અને સ્વાસ્થ્ય સુધારણા માટે આ પ્રયાસો સારા છે.

અને આજે જ્યારે મારા દેશના બે નવજવાનોએ અમેરિકામાં ઝંડો લહેરાવી દીધો છે તો ભારતનો યુવક પણ જે દિશામાં જે વિચારે છે એનો ઉલ્લેખ કરવો મને ગમ્યો.

આજે હું વિશેષ રૂપે મહારાષ્ટ્ર સરકારને અભિનંદન આપવા માંગું છું. મને આનંદ થાય છે. બાબા સાહેબ આંબેડકર, મુંબઈની ‘ઇંદૂ મિલ’ની જમીન. એમનુ સ્મારક બનાવવા માટે લાંબા અરસાથી મામલો લટકેલો હતો.

મહારાષ્ટ્રની નવી સરકારે આ કામ પુરું કર્યું અને હવે ત્યાં બાબાસાહેબ આંબેડકરનું ભવ્ય, દિવ્ય, પ્રેરક સ્મારક બનશે. જે આપણને દલિત, પીડિત, શોષિત, વંચિતને માટે કામ કરવાની પ્રેરણા આપતું રહેશે.

પરંતુ સાથોસાથ લંડનમાં જ્યાં ડૉ. બાબાસાહેબ આંબેડકર રહેતા હતા – 10, કિંગ હેનરી રોડ, એ મકાન પણ હવે ખરીદી લીધું છે. વિશ્વભરમાં પ્રવાસ કરનારા ભારતીયો જ્યારે લંડન જશે ત્યારે બાબાસાહેબ આંબેડકરનું જે સ્મારક હવે મહારાષ્ટ્ર સરકાર ત્યાં બનાવવાની છે તે આપણું એક પ્રેરણા સ્થળ બની રહેશે.

હું મહારાષ્ટ્ર સરકારને બાબાસાહેબ આંબેડકરને સન્માનિત કરવાના આ બંને પ્રયાસો માટે સાધુવાદ આપું છું. એમનું ગૌરવ કરું છું. એમને અભિનંદન પાઠવું છું.

મારા વ્હાલા ભાઈઓ-બહેનો, આગામી ‘મન કી બાત’ આવતા અગાઉ તમે તમારા વિચારો જરૂર મને જણાવશો. કેમ કે, મને વિશ્વાસ છે કે, લોકતંત્ર લોકભાગીદારી વડે ચાલે છે. જનભાગીદારી વડે ચાલે છે. ખભેખભા મેળવીને જ દેશ આગળ વધી શકવાનો છે.

આપને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ…

ખૂબ ખૂબ ધન્યવાદ…

PIB AHMEDABAD.