Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાજસ્થાનના બાલોત્રામાં વિવિધ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

રાજસ્થાનના બાલોત્રામાં વિવિધ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


ભારત માતા કી જય. ભારત માતા કી જય.

રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીજી, પ્રેમચંદ બૈરવાજી, રાજસ્થાન સરકારના તમામ મંત્રીગણ, સાંસદ અને ધારાસભ્ય સાથીઓ, અને મારા વહાલા ભાઈઓ અને બહેનો.

મને જણાવવામાં આવ્યું છે કે આજે રાજસ્થાનમાં 10-12 હજાર સ્થળો પર લાખોની સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો એકઠા થયા છે, અને હમણાં હું સ્ક્રીન પર પણ જોઈ રહ્યો હતો, જ્યાં પણ નજર કરું, લોકો જ લોકો દેખાઈ રહ્યા છે. ટેકનોલોજીના માધ્યમથી રાજસ્થાનના ખૂણે-ખૂણામાંથી જોડાયેલા, મારા તમામ રાજસ્થાનના ભાઈઓ અને બહેનોને પણ હું અહીંથી પ્રણામ કરું છું.

સાથીઓ, ઉનાળાની આ ગરમીની ઋતુમાં જગ્યાએ-જગ્યાએ આટલી મોટી સંખ્યામાં લોકોનું એકત્ર થવું, આપણા બધાના આશીર્વાદ હોવા , એ દર્શાવે છે કે ભાજપ સરકારના પ્રયાસો પર તમારો વિશ્વાસ કેટલો બુલંદ છે. હું આ સમર્થન અને સ્નેહ માટે રાજસ્થાનની માટીનો ઋણી છું.

ભાઈઓ અને બહેનો, આ ધરતી અસંખ્ય વીરોના શૌર્યની સાક્ષી રહી છે. આ રણના કણે-કણમાં, કણે-કણે આપણને સ્વાભિમાનને સર્વોપરી રાખવાનો પાઠ ભણાવ્યો છે. અને સ્વાભિમાન વ્યક્તિનું હોય કે પછી સ્વાભિમાન દેશનું હોય, તે ત્યારે જ ઊંચું રહી શકે છે, જ્યારે તે આત્મનિર્ભર હોય, બીજા પર ઓછામાં ઓછો નિર્ભર હોય. આજે રાજસ્થાનની આ ધરતી પરથી ભારતે વિકસિત થવાની, આત્મનિર્ભર થવાની દિશામાં એક બહુ મોટું પગલું ઉઠાવ્યું છે. આજે આ રિફાઇનરી દેશને સમર્પિત કરવામાં આવી છે. આ રિફાઇનરી અહીં હજારો લોકોના રોજગારનું માધ્યમ બનશે. હું રાજસ્થાનના યુવાનોને આ રિફાઇનરી માટે વિશેષ રૂપે અભિનંદન આપું છું.

સાથીઓ, આજનો દિવસ સાક્ષી છે કે ભાજપ સરકારો પરિયોજનાઓનો માત્ર શિલાન્યાસ કરીને છોડી નથી દેતી, પરંતુ અમે તે પરિયોજનાઓને પૂરી કરવા માટે પણ રાત-દિવસ એક કરી દઈએ છીએ. બે મહિના પહેલા અહીં જે અકસ્માત થયો, તે પછી આટલી ઝડપથી કામ પૂરું કરી લેવું, એ પણ પરિશ્રમની પરાકાષ્ઠાનું ઉદાહરણ છે. આપ સૌએ બતાવી દીધું છે કે પડકાર ભલે ગમે એટલો મોટો અને અણધાર્યો કેમ ન હોય, નવું ભારત પોતાના સંકલ્પોથી ન પાછું હટે છે, અને ન તો પોતાની ગતિ ઓછી કરે છે.

ભાઈઓ અને બહેનો, આજે રાજસ્થાનમાં વિકાસના બીજા પણ ઘણા કીર્તિમાન સ્થાપિત થઈ રહ્યા છે. આજે જ, જોધપુરમાં નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને હું સોશિયલ મીડિયામાં જોઈ રહ્યો હતો કે નવા ટર્મિનલનું આર્કિટેક્ચર ઇન્ટિરિયર, એ સોશિયલ મીડિયામાં છવાયેલું છે. ચારેય તરફ રાજસ્થાન જ રાજસ્થાન દેખાઈ રહ્યું છે.

સાથીઓ, આ મારવાડમાં પર્યટન, વ્યાપાર અને રોજગારને નવી ગતિ આપશે. આ કાર્યક્રમમાં જે લોકો જોધપુરથી જોડાયા છે, હું તેમનું વિશેષ રૂપે અભિનંદન કરું છું. જોધપુરથી જ આજે ઉડાન યોજનાના નવા તબક્કાની પણ શરૂઆત થઈ છે. આ અંતર્ગત નાના-નાના શહેરો અને અંતરિયાળ વિસ્તારોને એર કનેક્ટિવિટીથી જોડવામાં આવશે. સાથે જ, હવે જયપુરમાં મેટ્રોનો વિસ્તાર પણ થવા જઈ રહ્યો છે.

ભાઈઓ-બહેનો, શેખાવટી ક્ષેત્રના જળ સંકટને દૂર કરવાની રાહ પણ હવે પૂરી થવા જઈ રહી છે. હું આ તમામ પ્રોજેક્ટ્સ માટે રાજસ્થાનના મારા ભાઈઓ અને બહેનોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ, આજે રાજસ્થાનના આશરે 54 હજાર યુવાનોને સરકારી નોકરીનો નિયુક્તિ પત્ર પણ મળ્યો છે. હું નિયુક્તિ પત્ર મેળવનારા તમામ યુવાનોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું, અને તેમનું યુવા મન રાજસ્થાનના ઉજ્જવળ ભવિષ્યને વધુ મજબૂતી આપશે, હું બધાને શુભેચ્છાઓ આપું છું.

સાથીઓ, આજે રાજસ્થાનની આ ધરતી પરથી, હું દેશના વધુ એક સામર્થ્યની ચર્ચા કરીશ. તમે પણ જોઈ રહ્યા છો, પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે આખી દુનિયામાં હાહાકાર મચ્યો છે, દરેક દેશ ત્રસ્ત છે. આ યુદ્ધે 21મી સદીના સૌથી મોટા ઊર્જા સંકટને જન્મ આપ્યો છે. મોટા-મોટા દેશો આજે ઇંધણની અછતનો સામનો કરી રહ્યા છે.

પરંતુ સાથીઓ, 21મી સદીના સૌથી મોટા ઊર્જા સંકટ પર, 21મી સદીના નવા ભારતની ઈચ્છા-શક્તિ અને ભારતના પ્રયાસો આ સંકટો પર ભારે પડ્યા છે. ભારતે દરેક સ્તરે સાચા નિર્ણયો લીધા, સંકટનું સમય રહેતા સચોટ આકલન કર્યું, પ્રભાવી વ્યૂહરચના બનાવી, ભારતના સંસાધનોનો સંતુલિત ઉપયોગ કર્યો. ભારતના ડિપ્લોમેટિક પાવરનો સકારાત્મક ઉપયોગ કર્યો. અને ત્યારે જઈને ભારત સંકટમાંથી બહાર આવી શક્યું છે.

સાથીઓ, જ્યારે સાર્વજનિક રૂપે કેટલીક શક્તિઓ અફવા અને આશંકા ફેલાવવામાં વ્યસ્ત હતી, ત્યારે કયા સ્કેલ પર રાત-દિવસ કામ થઈ રહ્યું હતું, કઈ રીતે સ્થિતિને સંભાળવામાં આવી રહી હતી, એ મહેનત, એ પ્રયાસો, એ ધૈર્ય, નીતિગત સ્તરે, કૂટનીતિ સ્તરે ઉઠાવવામાં આવેલું એક-એક સંવેદનશીલ પગલું, ક્યારેક ને ક્યારેક ઇતિહાસ લખશે, આ બધું અભૂતપૂર્વ છે. હું એક ઉદાહરણ આપું છું, રસોઈ ગેસ, એટલે કે LPG ના વિષયમાં. આપણે બધા જાણીએ છીએ, આપણી જરૂરિયાતોનો આશરે 60 ટકા LPG અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવતો હતો, અને તેમાંથી પણ 90 ટકા LPG ગલ્ફ દેશોમાંથી આવી રહ્યો હતો, હોર્મુઝ થઈને આવી રહ્યો હતો. અને અચાનક યુદ્ધની પરિસ્થિતિઓએ એ સપ્લાયને લગભગ બંધ કરી દીધો. તમે અંદાજ લગાવી શકો છો, આપણા દેશમાં કેટલો મોટો હાહાકાર મચવાનો હતો. પરંતુ, રાજસ્થાનની આ ધરતીએ આપણને પડકારોને પણ ચેલેન્જ આપતા શીખવ્યું છે. અને એટલા માટે અમે સંકટ શરૂ થતાં જ રિફાઇનરીઝના સામર્થ્ય પર ફોકસ કર્યું. ઔદ્યોગિક કામ માટે જે ગેસ બનતો હતો, તેની જગ્યાએ રિફાઇનરીઝને રસોઈ ગેસ-LPG બનાવવા માટે કહેવામાં આવ્યું. અને, 7 દિવસની અંદર-અંદર LPGના ઉત્પાદનમાં વધારો થયો, પહેલા જે 35 હજાર મેટ્રિક ટન LPGનું ઉત્પાદન દેશમાં થતું હતું, સંકટ દરમિયાન તે 54 હજાર મેટ્રિક ટન સુધી વધી ગયું. જે રિફાઇનરીઝે પહેલા ક્યારેય LPG બનાવ્યો નહોતો, તેમને પણ આના માટે કન્ફિગર કરવામાં આવ્યા.

સાથીઓ, રસોઈ ગેસની ડિમાન્ડનો પૂરો લોડ LPG પર ન પડે, સરકારે તેનું પણ ધ્યાન રાખ્યું. PNG કનેક્શન, એટલે કે પાઇપથી રસોઈ ગેસના કનેક્શન વધારવાનું અભિયાન ચલાવવામાં આવ્યું, બહુ જ ટૂંકા સમયમાં ભારતે આશરે 11 લાખથી વધુ ઘરોને ગેસના પીએનજી કનેક્શનથી જોડી દીધા.

ભાઈઓ બહેનો, આમે એક તરફ સપ્લાયને સુનિશ્ચિત કર્યો. બીજી તરફ, ઘરેલું ગ્રાહકો પર બહુ બોજ પણ પડવા ન દીધો. જે પરિસ્થિતિ હતી, તેમાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત બે હજાર રૂપિયા સુધી જઈ શકતી હતી! મોટા-મોટા માર્કેટ એક્સપર્ટ્સ આ જ આકલન કરી રહ્યા હતા. પરંતુ, આપણા ત્યાં હજુ પણ ઘરેલું LPG સિલિન્ડર સાડા નવસો રૂપિયાથી પણ ઓછામાં આપવામાં આવી રહ્યો છે. ગરીબોને તો ઉજ્જવલા સિલિન્ડર 650 રૂપિયાની પણ અંદર પડી રહ્યો છે! હવેથી બે દિવસ પહેલા, સરકારે કોમર્શિયલ ગેસની કિંમતોમાં પણ બહુ મોટો ઘટાડો કરી દીધો છે. આ દર્શાવે છે કે અમારી સરકાર કેટલી સંવેદનશીલતાથી કામ કરી રહી છે.

સાથીઓ, યુદ્ધના કારણે ડીઝલ પેટ્રોલ પર આવેલું સંકટ પણ બહુ મોટું હતું. આપણા દેશમાં તેલના મોટા-મોટા કૂવા નથી. જ્યારે આ સંકટ વધ્યું, તો ક્રૂડ ઓઇલની કિંમતો 70 ડોલર પ્રતિ બેરલથી 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી. આયાતના રસ્તા પણ બંધ હતા. દુનિયાના કેટલાય દેશોમાં ડીઝલ પેટ્રોલની કિંમતોમાં 40 થી 50 ટકાનો વધારો થઈ ગયો. કેટલાય દેશોમાં તો ડીઝલ પેટ્રોલ કોટાના આધારે મળવા લાગ્યું હતું. પરંતુ, ભારતમાં એક દિવસ પણ એવી પરિસ્થિતિ ન આવી. અફવાઓ બહુ ફેલાવવામાં આવી, લોકોને ડરાવવામાં આવ્યા, ભડકાવવામાં આવ્યા, રાજનીતિની રમતો રમવામાં આવી, પરંતુ જેમના ઈરાદા ખોટા હતા તેઓ સફળ ન થઈ શક્યા. દૂર-સુદૂરના વિસ્તારોમાં પણ, નાની-મોટી અડચણો સિવાય સપ્લાયનો કોઈ મોટો પડકાર ન આવ્યો. એપ્રિલથી જૂન વચ્ચે જ, એકલા ડીઝલ પેટ્રોલમાં 75 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન કંપનીઓએ ઉઠાવવું પડ્યું. એટલે કે એક નવી રિફાઇનરી બની જાય, એટલું નુકસાન સહન કરવું પડ્યું. અને આ નુકસાનને પૂરું કરવાની જવાબદારી સરકારી ખજાનામાંથી ઉઠાવવામાં આવી. અમે પ્રતિ લીટર 10 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી પણ ઓછી કરી. અને, બહુ વધારે બોજ જનતા પર પડવા ન દીધો.

સાથીઓ, યુદ્ધના આ જ સમયમાં ભારતની બીજા દેશો સાથે જે દોસ્તી છે ને, એ દોસ્તી પણ બહુ કામ આવી. જ્યારે આ સંકટ શરૂ થયું હતું, તે પહેલા ભારત 25-26 દેશોમાંથી જ ઇંધણની, ઊર્જાની આયાત કરતું હતું. પરંતુ સંકટના સમયે ભારતની ડિપ્લોમેસીનો જલવો દેખાયો, બીજા દેશો સાથેના આપણા સારા સંબંધો આ સંકટની ઘડીમાં બહુ કામ આવ્યા. યુદ્ધ દરમિયાન જ ભારત 40થી વધુ દેશોમાંથી ઇંધણ મંગાવવા લાગ્યું. ભારતે દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો કે અમારા માટે રાષ્ટ્રહિત, અને રાષ્ટ્રના નાગરિકોનું હિત સર્વોપરી છે. નાગરિક દેવો ભવ: આ અમારો મંત્ર છે.

સાથીઓ, આટલા અણધાર્યા પડકારમાંથી દેશ એમ જ બહાર નથી આવ્યો, તેની પાછળ અમારી એક દાયકાથી ચાલી રહેલી દૂરંદેશી નીતિઓની સફળતા પણ છે. આજે આપણે રાજસ્થાન રિફાઇનરીનું ઉદ્ઘાટન અહીં કરી રહ્યા છીએ. અમે 2017માં આના માટે MoU સાઇન કર્યો હતો. પરંતુ, 2018થી 2023 સુધી, રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર રહી. કોંગ્રેસના અસહકારના કારણે, અહીંનું કામ લગભગ ઠપ્પ જ થઈ ગયું. પરંતુ, જેવી ડબલ એન્જિન સરકાર આવી, આનું કામ ઝડપથી આગળ વધ્યું, આજે આપણે આનું લોકાર્પણ પણ કરી રહ્યા છીએ. અને તમે તો જાણો છો મારી કાર્યશૈલી. જેનો શિલાન્યાસ અમે કરીએ છીએ, તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. આ જ રીતે, ભારતે પોતાની રિફાઇનરી ક્ષમતાને સતત વધારી છે. અમેરિકામાં છેલ્લા 50 વર્ષોમાં એક પણ નવી રિફાઇનરી નથી બની. યુરોપની રિફાઇનરી ક્ષમતા સતત ઓછી થતી ગઈ છે. બીજી તરફ, ભારત આજે વિશ્વની ચોથી સૌથી મોટી રિફાઇનરી ક્ષમતા વાળો દેશ બની ચૂક્યો છે. અને આપણે અહીં રોકાવાના નથી, આવનારા વર્ષોમાં આ ક્ષમતા હજુ પણ વધવાની છે. આ જ પ્રયાસોના કારણે ભારત સદીના સૌથી મોટા ઊર્જા સંકટ સામે લડીને બહાર આવ્યું છે.

સાથીઓ, દુનિયામાં યુદ્ધ અને અશાંતિથી અમારા ખેડૂતો માટે પણ પડકારો પેદા થાય છે. હમણાં વેસ્ટ એશિયા ક્રાઇસિસ, અખાતી દેશોનું સંકટ અને આ પહેલા યુક્રેન યુદ્ધના કારણે દુનિયામાં ખાતરનું મોટું સંકટ પણ પેદા થયું, ફર્ટિલાઇઝર માટે સમસ્યા પેદા થઈ ગઈ. યુક્રેન યુદ્ધ પછી એક સમયે એક યુરિયાની બોરીની કિંમત 3 હજાર રૂપિયાથી પણ ઉપર પહોંચી ગઈ હતી. પરંતુ, આપણે આપણા ખેડૂતોને જે દુનિયાના બજારમાં 3 હજારની બોરી હતી, આપણે મારા દેશના ખેડૂતોને આપણે માત્ર 3 સો રૂપિયામાં યુરિયા આપતા રહ્યા. અને આના માટે ખજાનામાંથી લાખો કરોડ રૂપિયા ખર્ચ કરવા પડ્યા, સબસિડી આપવામાં આવી. આપૂર્તિ માટે જે સપ્લાય ચેન્સ પ્રભાવિત થઈ હતી, ભારતે તેના પણ ઉકેલ શોધ્યા. સરકારે વૈકલ્પિક રસ્તા શોધ્યા. અમે કેટલાય દેશોમાં અમારા દૂતાવાસોને વિશેષ જવાબદારી સોંપી. બીજા દેશોમાંથી ઉર્વરક ખરીદવાની, ખાતર ખરીદવાની પહેલ કરી. આયાતની સાથે-સાથે અમે ઘરેલું ઉત્પાદન પણ વધાર્યું, તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અને એટલું જ નહીં, અમે પ્રાકૃતિક ખેતી જેવા વિકલ્પોને પણ પ્રોત્સાહન આપ્યું. અને સંગ્રહખોરી અને કાળાબજારી સામે પણ કડકાઈ કરી.

સાથીઓ, આ જ રીતે, અમે અમારા ઉદ્યોગોનું, MSMEsનું પણ ધ્યાન રાખ્યું. MSMEsને વધતા ખર્ચનો સામનો કરવો પડી રહ્યો હતો. એટલા માટે અમે Emergency Credit Line Guarantee Scheme નો એક નવો તબક્કો લઈને આવ્યા. આ સ્કીમ અંતર્ગત, બેંકોએ MSMEsને 20 ટકા સુધીની વધારાની લોન આપી, અને સરકારે MSMEsની આ તમામ લોન માટે 100 ટકા ગેરંટી આપી, અને આ મોદીની ગેરંટી છે. આનો બહુ મોટો લાભ લઘુ ઉદ્યોગોને મળ્યો, કુટીર ઉદ્યોગોને મળ્યો. આવા જ અનેક નિર્ણયોનું પરિણામ છે કે આજે આપણા નાના-મોટા ઉદ્યોગો પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા છે.

સાથીઓ, અમારી સરકારે નિરંતર નિર્ણયો લીધા, કારણ કે, અમને ભારતના સામર્થ્ય પર ભરોસો હતો. અમને અમારા દેશવાસીઓની ક્ષમતાઓ પર, તેમની સૂઝબૂઝ પર અમારો શત પ્રતિશત ભરોસો હતો. અને આજે, હું 140 કરોડ દેશવાસીઓનો આભાર પ્રકટ કરું છું, હું દેશવાસીઓને નમન કરતા ધન્યવાદ કહું છું, જે રીતે, તેઓ આ મુશ્કેલ સમયમાં દેશની સાથે મજબૂતીથી ઉભા રહ્યા, જે રીતે, દેશવાસીઓએ અફવા, ડર અને ભ્રમ ફેલાવનારાઓનો સામનો કર્યો, દેશમાં અસ્થિરતા ફેલાવવાના ષડયંત્રોને નિષ્ફળ બનાવ્યા, દેશ તે જ વિશ્વાસના જોરે આગળ વધી શક્યો છે. જે લોકો ભારતને અસફળ થતા જોવા ઈચ્છી રહ્યા હતા, આના માટે ભવિષ્યવાણી પણ કરવા લાગ્યા હતા, તેઓ ચોક્કસ આજે નિરાશાની ગર્તામાં પડ્યા હશે.

સાથીઓ, આજે વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ-શિલાન્યાસની સાથે જ મને અહીં એક પેડ મા કે નામ, ખેજડીનો છોડ લગાવવાનું સૌભાગ્ય પણ મળ્યું છે. હું જાણું છું કે રાજસ્થાનમાં ખેજડીનું કેટલું મહત્વ છે. વધતા રણને રોકવામાં આની બહુ સાર્થક ભૂમિકા રહી છે. એટલા માટે, આ વૃક્ષારોપણ આપણી કાર્ય સંસ્કૃતિનું ઉદાહરણ પણ છે. આપણે પ્રગતિની નવી ઊંચાઈઓને પણ આંબવાની છે. અને, આપણા પર્યાવરણનું સંરક્ષણ પણ કરવાનું છે. આ જ વિચારની સાથે, અમારી સરકાર ઊર્જાના બીજા સ્રોતો પર પણ કામ કરી રહી છે. ખાસ કરીને, રાજસ્થાન પર સૂર્ય દેવતાની કંઈક વધારે જ કૃપા છે. એટલા માટે, અહીં વિશ્વ-સ્તરીય સોલર પાર્ક બનાવવાનું કામ ચાલી રહ્યું છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત પણ, રાજસ્થાનમાં દોઢ લાખથી વધુ ઘરોને સોલરથી જોડી દેવામાં આવ્યા છે. પીએમ કુસુમ યોજના અંતર્ગત પણ રાજસ્થાનમાં ખેડૂતોને 65 હજારથી વધુ સોલર પંપ પણ આપવામાં આવ્યા છે.

સાથીઓ, કઠિનમાં કઠિન લાગતા સંકલ્પો પણ સિદ્ધ થઈ જાય છે, જો તેમની પાછળની દાનત સાફ હોય. આ જ, ભાજપ અને કોંગ્રેસમાં એક બહુ મોટો તફાવત છે.

સાથીઓ, રાજસ્થાનમાં પાણી સાથે જોડાયેલી મુશ્કેલીઓનો ઉકેલ આનું વધુ એક મોટું ઉદાહરણ છે. આપ સૌ જાણો છો, કોંગ્રેસની સરકારોએ ક્યારેય રાજસ્થાનના જળ-સંકટને દૂર કરવા માટે કોઈ નક્કર કામ ન કર્યું. પરંતુ, ભાજપ ક્ષેત્રવાદ અને ભાગલાની સિયાસત નથી કરતી. ભાજપ રાષ્ટ્ર પ્રથમની ભાવના પર ચાલે છે. અમે જ્યારે ગુજરાતમાં પાણી પહોંચાડવાની યોજનાઓ પર કામ કર્યું હતું, અને રાજસ્થાનને પાણી આપવાની વાત આવી હતી, મને બરાબર યાદ છે, હિન્દુસ્તાનના દરેક ખૂણામાં, એક રાજ્ય બીજા રાજ્ય સાથે પાણી માટે લાંબા સમયથી લડાઈઓ ચાલી રહી છે. રાજસ્થાનના લોકોને પણ લાગતું હતું કે ખબર નહીં ગુજરાત નર્મદાનું પાણી આપશે કે નહીં આપે. પરંતુ અમારું સૌભાગ્ય હતું કે રાજસ્થાનમાં પણ ભાજપ સરકાર, ગુજરાતમાં પણ ભાજપ સરકાર, તે સમયે હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો, અહીં બહેન વસુંધરા જી અહીં મુખ્યમંત્રી હતા, અને અમે બંનેએ મળીને કોઈ સંઘર્ષ વિના, કોઈ વાદ-વિવાદ વિના, કોઈ આંદોલન વિના, કોઈ લડાઈ વિના, ગુજરાતમાંથી નર્મદાનું પાણી રાજસ્થાન સાથે શેર કર્યું. અને આજે રાજસ્થાનના કેટલાય ગામો સુધીમાં નર્મદાનું પાણી પહોંચી રહ્યું છે. હમણાં ભજનલાલ જી બહુ ભાવુક થઈને પાણીના આ કામનું વર્ણન કરી રહ્યા હતા.

ભાઈઓ બહેનો, હવે જ્યારે રાજસ્થાન અને હરિયાણા, બંને રાજ્યોમાં ભાજપ સરકાર છે, તો, પહેલીવાર પરસ્પર સંમતિથી ઉકેલ શોધવામાં આવ્યા છે. હવે રાજસ્થાન અને હરિયાણા સરકાર મળીને શેખાવટી સુધી પાણી પહોંચાડશે. હાલમાં જ બંને રાજ્યો વચ્ચે સમજૂતી પર મહોર પણ વાગી ચૂકી છે. આ સમજૂતી અંતર્ગત હથિનીકુંડ બેરાજથી પાણી રાજસ્થાન લાવવામાં આવશે. આના માટે અંડર-ગ્રાઉન્ડ પાઇપ-લાઇન બિછાવવામાં આવશે. આનો લાભ સીકર, ચુરુ, ઝુનઝુનુ અને આસપાસના સમગ્ર શેખાવટી ક્ષેત્રના લાખો લોકોને મળવાનો છે. આ પરિયોજના પર અંદાજે 34 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

સાથીઓ, આવનારા સમયમાં અપર યમુના બેસિનમાં રેણુકા, લખવાડ અને કિશાઉ બંધોનું નિર્માણ પૂરું થવા પર રાજસ્થાનને પાણીનો વધુ લાભ થશે. ગામડાઓમાં નળથી જળ પહોંચાડવાનું કામ પણ ઝડપથી આગળ વધ્યું છે. રામજલ સેતુ પરિયોજના પણ આ જ વિચારનું પરિણામ છે. સાથે જ, રાજસ્થાનમાં જળ સંરક્ષણ માટે ‘જલ સંચય, જન ભાગીદારી’ પણ મોટી ભૂમિકા ભજવી રહી છે. દેશમાં આ અભિયાન અંતર્ગત જળ સંરક્ષણ માટે આશરે-આશરે 25 લાખ સોક પીટ્સ બન્યા છે. રાજસ્થાનમાં પણ સવા લાખથી વધુ સોક પીટ્સ બનાવવામાં આવ્યા છે. આનાથી પાણી સંરક્ષિત થઈ રહ્યું છે, ગ્રાઉન્ડ-વોટરનું સ્તર સુધરી રહ્યું છે. હું આ પ્રયાસો માટે, કેન્દ્ર અને પ્રદેશની ભાજપ સરકારોને, અને, શેખાવટી ક્ષેત્રના લોકોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ, આજે જ્યારે દેશ કોઈ સંકલ્પ લે છે, કોઈ લક્ષ્ય બનાવે છે, તો રાજસ્થાન તેના કેન્દ્રમાં હોય છે. આજે રાજસ્થાનમાં ઝડપી ગતિએ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે. નવા-નવા રેકોર્ડ્સ બની રહ્યા છે. આજે જયપુર મેટ્રો ફેઝ-2ની આધારશિલા, અને જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન, આ રાજસ્થાનના વિકાસને વધુ ગતિ આપશે, અને નવી ઉડાન આપશે. જયપુરમાં ફેઝ-2 પૂરો થયા પછી જયપુરનું કુલ મેટ્રો નેટવર્ક 50 કિલોમીટરથી વધુ થઈ જશે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ મેટ્રો નેટવર્ક એકબીજા સાથે જોડાઈ જશે. આનાથી સ્થાનિક લોકોને સરળતા તો થશે જ, પર્યટકો માટે સુવિધા પણ વધશે.

સાથીઓ, આવનારા સમયમાં આપણે વિકાસના વધુ નવા આયામો સર કરવાના છે. મને પૂરો ભરોસો છે, આપ સૌ આ જ રીતે ડબલ એન્જિન સરકારને આશીર્વાદ આપતા રહેશો. આપણે સાથે મળીને રાજસ્થાનના નવા ભવિષ્યનું નિર્માણ કરીશું. આ જ વિશ્વાસ સાથે, હું એકવાર ફરી રાજસ્થાન રિફાઇનરી માટે, અન્ય વિકાસ કાર્યો માટે, દેશવાસીઓને, રાજસ્થાન વાસીઓને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. મારી સાથે બોલો-

ભારત માતા કી જય. બંને મુઠ્ઠી ઉપર કરીને રાજસ્થાનની તાકાત દેખાવી જોઈએ-

ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય.

ખૂબ-ખૂબ ધન્યવાદ.

SM/BS/JD