Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રામાનુજાચાર્ય સ્ટેમ્પ પ્રકાશિત કરવાના કાર્યક્રમ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

રામાનુજાચાર્ય સ્ટેમ્પ પ્રકાશિત કરવાના કાર્યક્રમ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


મહાન સામાજિક સુધારક અને સંત શ્રી રામાનુજાચાર્યની એક હજારમી જન્મ શતાબ્દી પ્રસંગે ટિકિટનું લોકાર્પણ કરતા હું અત્યંત ખુશી અનુભવું છું. આવી તક મળવી એ મારું સૌભાગ્ય છે.

 

સંત શ્રી રામાનુજાચાર્યના જીવનનો કેન્દ્રીય મુખ્ય સંદેશ સંકલિત સમાજ, ધર્મ અને તત્વજ્ઞાન હતું. સંત શ્રી રામાનુજાચાર્ય માનતા હતા કે જે કંઈ પણ છે અને જે કંઈ પણ હશે તે માત્ર ભગવાનનું જ સ્વરૂપ છે. તેમણે ઈશ્વરમાં જીવ અને જીવમાં ઈશ્વરના દર્શન કર્યા હતા. તેમણે ઈશ્વરના તમામ ભક્તોને એકસમાન દ્રષ્ટીએ જોયા હતા.

 

જયારે જાતિપ્રથા અને વંશશ્રેણી સમાજ અને ધર્મના એક મહત્વના ભાગ તરીકે ઓળખાવા લાગ્યા હતા ત્યારે દરેક વ્યક્તિએ તે શ્રેણીમાં તેના ઊંચા અને નીચા સ્થાનનો સ્વીકાર કર્યો હતો, પણ સંત શ્રી રામાનુજાચાર્યએ તેની વિરુદ્ધ બળવો કર્યો- તેમના અંગત જીવનમાં અને ધાર્મિક શિક્ષાઓમાં પણ.

 

સંત શ્રી રામાનુજાચાર્યએ માત્ર ઉપદેશ નથી આપ્યા, માત્ર નવી રાહ નથી બતાવી પરંતુ પોતાની જિંદગીમાં તેમણે પોતાના વચનોને જીવીને પણ બતાવ્યા. આપણા શાસ્ત્રોમાં જે લખ્યું છે- મનસા વાચા કર્મણા, આ સૂત્ર પર ચાલીને તેમણે પોતાની જિંદગીને જ પોતાનો ઉપદેશ બનાવી દીધી. જે તેમના મનમાં હતું, તે જ વચનમાં હતું, અને તે જ કર્મમાં પણ દેખાયું. સંત શ્રી રામાનુજાચાર્યમાં એક વિશેષતા હતી કે જયારે પણ વિવાદ થતો હતો, તો તેઓ સ્થિતિને વધુ બગડવામાંથી રોકવા અને સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરતા હતા. ઈશ્વરને સમજવા માટે અદ્વૈતવાદ અને દ્વૈતવાદથી અલગ વચ્ચેનો એક માર્ગ, “વિશિષ્ટઅદ્વૈતવાદ” પણ આની જ એક કડી હતી.

 

તે દરેક પરંપરા, જે સમાજમાં ભેદ ઊભો કરતી હતી, તેને વિભાજીત કરતી હોય, સંત શ્રી રામાનુજાચાર્ય તેની વિરુદ્ધ હતા. તેઓ તે વ્યવસ્થાને તોડવા માટે તેને બદલવા માટે પોતાની પુરેપુરી શક્તિથી પ્રયત્ન કરતા હતા.

 

તમને જાણ હશે કે કઈ રીતે મુક્તિ અને મોક્ષના જે મંત્રને સાર્વજનિક કરવા માટે તેમને ના પાડવામાં આવી હતી, તે તેમણે એક સભા બોલાવીને, દરેક વર્ગ, દરેક સ્તરના લોકો સામે ઉચ્ચારિત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જે મંત્રથી તકલીફોથી મુક્તિ મળે છે, તે કોઈ એકની પાસે કેમ રહે, તેની જાણ દરેક ગરીબને હોવી જોઈએ. સંત શ્રી રામાનુજાચાર્યનું હૃદય આટલું વિશાળ, એટલું પરોપકારી હતું.

 

આ જ કારણ છે કે શા માટે સ્વામી વિવેકાનંદ સંત શ્રી રામાનુજાચાર્યના હૃદય વિષે સચોટ વાત કરી ગયા હતા- એક એવું વિશાળ હૃદય કે જે દલિતો માટે એવા સમયે રડ્યું હતું જયારે દલિત હોવું એ વ્યક્તિના કર્મના ભાગ સ્વરૂપે ઓળખાતું હતું. સંત શ્રી રામાનુજાચાર્યએ તેમના સમયના આ પૂર્વગ્રહને તોડ્યો. તેમની વિચારધારા તેમના સમય કરતા અનેકગણી આગળ હતી.

 

એક કરતા વધારે અર્થમાં કહીએ તો સંત શ્રી રામાનુજાચાર્ય એક ઐતિહાસિક સંત હતા- કે જેમણે દલિતોની છુપાયેલી અને વણકહી મહત્વકાંક્ષાઓને હજાર વર્ષ અગાઉ જ નિહાળી લીધી હતી. તેમણે સામાજિક રીતે તિરસ્કૃત, જ્ઞાતિ નિકાલ થયેલા અને દિવ્યાંગ લોકોને માત્ર એક ધર્મ જ નહીં પરંતુ એક સંપૂર્ણ પોતાનામાં સમાવિષ્ટ સમાજ બનાવવા માટે તેમનો સમાવેશ કરવાની જરૂર અનુભવી હતી.

 

ગરીબો માટે, શોષિતો માટે, વંચિતો માટે, દલિતો માટે, તેઓ સાક્ષાત ભગવાન બનીને આવ્યા હતા. એક સમય હતો તિરુચિરાપલ્લીમાં શ્રીરંગમ મંદિરનું આખું શાસન એક વિશેષ જાતિ પાસે જ હતું. એટલા માટે તેમણે મંદિરની આખી વહીવટી વ્યવસ્થા જ બદલી નાખી હતી. તેમણે અલગ અલગ જાતિઓના લોકોને મંદિરના વહીવટમાં સમાવેશ કર્યો હતો. મહિલાઓને પણ અનેક જવાબદારીઓ સોંપવામાં આવી. મંદિરને તેમણે નાગરિક કલ્યાણ અને જનસેવાનું કેન્દ્ર બનાવ્યું. તેમણે મંદિરને એક એવા સંસ્થાનમાં પરિવર્તિત કરી દીધું કે જ્યાં ગરીબોને ભોજન, દવાઓ, કપડા અને રહેવા માટે જગ્યા આપવામાં આવતી હતી. તેમના સુધારાવાદી આદર્શ આજે પણ અનેક મંદિરોમાં “રામાનુજ-કૂટ” તરીકે જોવા મળે છે.

 

આવા કેટલાય ઉદાહરણો તમને તેમની જીંદગીમાં જોવા મળશે. જાતિ પ્રથાને પડકાર આપતા તેમણે પોતાના ગુરુ પણ એવી વ્યક્તિને બનાવ્યા જેમને જાતિના લીધે ત્યારનો સમાજ ગુરુ બનવાને યોગ્ય નહોતો માનતો. તેમણે આદિવાસી સુધી પહોંચીને તેમને જાગૃત કર્યા, તેમની સામાજિક જીંદગીમાં સુધાર માટે કામ કર્યું હતું.

 

એટલા માટે દરેક ધર્મના લોકોએ, દરેક વર્ગના લોકોએ સંત શ્રી રામાનુજાચાર્યની હાજરી અને સંદેશોમાંથી પ્રેરણા મેળવી. મેલકોટના મંદિરમાં ભગવાનની આરાધના કરતી મુસ્લિમ રાજકુમારી બીબી નચીયારની મૂર્તિ આની સાક્ષી છે. દેશના ખુબ ઓછા લોકોને ખબર હશે કે આજથી હજાર વર્ષ અગાઉ પૂર્વ દિલ્હીના સુલતાનની પુત્રી બીબી નચીયારની મૂર્તિ સંત શ્રી રામાનુજાચાર્યએ જ મંદિરમાં સ્થાપિત કરાવી હતી.

તમે અંદાજો લગાવી શકો છો કે તે સમયે સામાજિક સમરસતા અને સદભાવનો કેટલો મોટો સંદેશ સંત શ્રી રામાનુજાચાર્યએ પોતાના આ કાર્યના માધ્યમથી આપ્યો હતો. આજે પણ બીબી નચીયારની મૂર્તિ પર શ્રદ્ધા સુમન અર્પિત કરવામાં આવે છે. બીબી નચીયારની મૂર્તિની જેમ જ સંત શ્રી રામાનુજાચાર્યનો સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે.

 

સંત શ્રી રામાનુજાચાર્યના જીવન અને શિક્ષાથી ભારતીય સમાજનું ઉદાર, બહુલતાવાદી અને સહિષ્ણુ સ્વરૂપ વધુ મજબૂત થયું. બાબા સાહેબ ભીમ રાવ આંબેડકરે પણ તેમના વિષે પોતાના સામયિક બહિષ્કૃત ભારતમાં 3 જૂન, 1927ના રોજ એક સંપાદકીય લેખ લખ્યો હતો. 90 વર્ષ પહેલા લખાયેલા આ સંપાદકીય લેખને વાંચવાથી સંત શ્રી રામાનુજાચાર્યના પ્રેરણામયી જીવનની કેટલીય વાતો, મન-મંદિરને સ્પર્શી જાય છે.

બાબા સાહેબે લખ્યું હતું-

 

“હિંદુ ધર્મમાં સમતાની દિશામાં જો કોઈએ મહત્વપૂર્ણ કાર્ય કર્યું અને તેને લાગુ કરવાનો પ્રયાસ કર્યો હોય તો તે સંત શ્રી રામાનુજાચાર્યએ જ કર્યો છે. તેમણે કાંચીપૂર્ણ નામના એક ગેર બ્રાહ્મણને પોતાના ગુરુ બનાવ્યા. જયારે ગુરુને ભોજન કરાવ્યા બાદ તેમની પત્નીએ ઘરને શુદ્ધ કર્યું તો સંત શ્રી રામાનુજાચાર્યએ તેનો વિરોધ કર્યો.”

 

એક દલિત ગુરુના ઘરે આવ્યા બાદ પોતાના જ ઘરની શુદ્ધિ થતા જોઇને સંત શ્રી રામાનુજાચાર્ય ખુબ દુઃખી પણ થયા અને તેમને ખુબ ગુસ્સો પણ આવ્યો હતો. જે કુરીતિને દુર કરવા માટે તેઓ અથાક પરિશ્રમ કરી રહ્યા હતા, તે તેમના ઘરમાંથી જ દુર નહતી થઇ શકી. તેના પછી જ તેમણે સન્યાસ લઇ લીધો અને પછી પોતાનું આખું જીવન સમાજ હિતમાં લગાવી દીધું. હું ફરી કહીશ, તેમણે માત્ર ઉપદેશ નહોતો આપ્યો પરંતુ પોતાના કાર્યો દ્વારા તે ઉપદેશોને જીવીને પણ બતાવ્યા.

 

તે સમયમાં સમાજની જે રીતની વિચારધારા હતી, તેમાં સંત શ્રી રામાનુજાચાર્ય મહિલાઓને કેવી રીતે સશક્ત કરતા હતા, તે વિષે પણ બાબાસાહેબે પોતાના સંપાદકીય લેખમાં જણાવ્યું છે.

તેમણે લખ્યું છે-

 

“તીરુવલ્લીમાં એક દલિત મહિલાની સાથે એક શાસ્ત્રાર્થ પછી તેમણે તે મહિલાને કહ્યું કે તમે મારાથી અનેક ગણા વધારે જ્ઞાની છો. તે પછી સંત શ્રી રામાનુજાચાર્યએ તે મહિલાને દીક્ષા આપી અને તેની મૂર્તિ બનાવીને મંદિરમાં પણ સ્થાપિત કરવામાં આવી. તેમણે ધનુર્દાસ નામના એક અસ્પૃશ્યને પોતાનો શિષ્ય બનાવ્યો. તે જ શિષ્યની મદદથી તેઓ નદીમાં સ્નાન કરીને પછી પાછા આવતા હતા.”

 

વિનમ્રતા અને વિદ્રોહી પ્રવૃત્તિનો આ એક અદભુત સમાગમ હતો. જે વ્યક્તિના ઘરમાં દલિત ગુરુના પ્રવેશ પછી તેને શુદ્ધ કરવામાં આવ્યું હોય, તે વ્યક્તિ નદીના સ્નાન પછી એક દલીતનો જ સહારો લઈને મંદિર સુધી જતા હતા. જે સમયમાં દલિત મહિલાઓને ખુલીને બોલવાની પણ સ્વતંત્રતા ના હોય, એ સમયમાં તેમણે એક દલિત મહિલા સાથે શાસ્ત્રાર્થમાં હાર્યા બાદ મંદિરમાં તેની મૂર્તિ પણ લગાવડાવી.

 

બાબાસાહેબ એટલા માટે જ સંત શ્રી રામાનુજાચાર્યથી ખુબ પ્રભાવિત હતા. જે લોકો બાબાસાહેબને વાંચતા રહ્યા છે, તેઓ જાણશે કે તેમના વિચારો અને જિંદગી પર સંત રામાનુજાચાર્યનો કેટલો મોટો પ્રભાવ હતો.

મને લાગે છે કે એવી ઓછી જ વ્યક્તિઓ હશે જેમના જીવનની પ્રેરણાનો વિસ્તાર એક હજાર વર્ષ સુધી આવા અલગ અલગ કાલખંડોમાં થયો હશે. સંત શ્રી રામાનુજાચાર્યના વિચારોથી જ પ્રભાવિત થઈને એક હજાર વર્ષના આ લાંબા સમયમાં અનેક સામાજિક આંદોલનોએ જન્મ લીધો હતો. તેમના સરળ સંદેશોએ જ ભક્તિ આંદોલનનું સ્વરૂપ નક્કી કર્યું.

 

મહારાષ્ટ્રમાં વારકરી સંપ્રદાય, રાજસ્થાન અને ગુજરાતમાં વલ્લભ સંપ્રદાય, મધ્ય ભારત અને બંગાળમાં ચૈતન્ય સંપ્રદાય અને આસમમાં શંકર દેવે તેમના વિચારોને જન-જન સુધી પહોંચાડ્યા.

 

સંત શ્રી રામાનુજાચાર્યના વચનોથી પ્રભાવિત થઈને જ ગુજરાતી આદિકવિ અને સંત નરસિંહ મહેતાએ કહ્યું હતું- વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે!! ગરીબની પીડા સમજવાનો આ ભાવ સંત શ્રી રામાનુજાચાર્યની જ દેન છે.

 

આ એક હજાર વર્ષોમાં સંત શ્રી રામાનુજાચાર્યના સંદેશોએ દેશના લાખો કરોડો લોકોને સામાજિક સમરસતા, સામાજિક સદભાવ અને સામાજિક જવાબદારીઓનો અહેસાસ કરાવ્યો છે. તેમણે આપણને સમજાવ્યું છે કે કટ્ટરતા અને કર્મકાંડમાં ડૂબેલા રહેવાને જ ધર્મ માનવો એ કાયરોનો, અજ્ઞાનીઓનો, અંધ-વિશ્વાસીઓનો, તર્કહીનોનો રસ્તો છે. એટલા માટે તે દરેક વ્યક્તિ કે જે જાતિભેદ, વિષમતા અને હિંસાની વિરુદ્ધ ઊભો થાય છે તે ગુરુ નાનક થઇ જાય છે, કબીર થઇ જાય છે.

 

જે સમયની કસોટી પર ખરો નથી ઉતરતો, તે ગમે તેટલો પ્રાચીન પણ કેમ ના હોય, તેમાં સુધાર કરવો એ જ આપણી સંસ્કૃતિ છે. એટલા માટે સમય સમય પર આપણા દેશમાં આવી મહાન આત્માઓ સામે આવી જેમણે પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠાને દાવ પર લગાવીને, ઝેર પીને, દરેક પ્રકારનું જોખમ ખેડીને સમાજને સુધારવા માટેનું કામ કર્યું છે. જેમણે સેંકડો વર્ષોથી ચાલતી આવેલી સમાજ વ્યવસ્થાની ખરાબીઓને ખતમ કરવાનો પ્રયાસ કર્યો. જેમણે સમાજમાં પરિવર્તન માટે ભારતની ચેતનાને બચાવવા માટે તેને જગાડવા માટે કામ કર્યું.

 

સંત શ્રી રામાનુજાચાર્ય જેવા ઋષિઓનું તપ છે, તેમના દ્વારા શરુ કરાયેલા અને અવિરલ ચાલતા સામાજિક જાગરણના પુણ્ય પ્રવાહનો પ્રતાપ છે કે-

 

આપણી શ્રદ્ધા હંમેશા આપણા ગૌરવશાળી ઈતિહાસ પર અડગ રહી, આપણા આચરણ, રીતી-રીવાજ, પરંપરાઓ સમયાનુકુળ બનતા ગયા, આપણા વિચારો હંમેશા સમયની પરે રહ્યા.

 

એ જ કારણે આપણો સમાજ યુગયુગથી સતત ઉર્ધ્વગામી રહ્યો. આ જ એ અમરત્વ છે જેનાથી આપણી સંસ્કૃતિ ચિરપુરાતન હોવા છતાં પણ નિત્યનૂતન બનેલી રહી. આ જ પુણ્ય આત્માઓના અમૃત મંથનના કારણે આપણે ગર્વથી કહીએ છીએ-

 

“કુછ બાત હૈ હસ્તી મિટતી નહીં હમારી, સદીઓ રહા હૈ દુશ્મન દૌરે-જમાં હમારા”- દુનિયાનો નકશો બદલાઈ ગયો, મોટા મોટા દેશો ખતમ થઇ ગયા, પરંતુ આપણો ભારત, આપણું હિન્દુસ્તાન, સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે.

 

આજે મને ખુશી છે કે સંત શ્રી રામાનુજાચાર્યના જન્મના સહસ્ત્રાબ્દી વર્ષમાં અનેક સંસ્થાઓ મળીને તેમની શિક્ષાઓ અને સંદેશાને ઘર ઘર સુધી પહોંચાડી રહી છે. મને આશા છે કે આ શિક્ષાઓ અને સંદેશાને દેશના વર્તમાન સાથે પણ જોડવામાં આવી રહ્યું હશે.

 

આપ સૌ જાણતા જ હશો કે સંત શ્રી રામાનુજાચાર્યએ ગરીબોની જરૂરિયાતપૂર્તિને સામાજિક જવાબદારી સાથે પણ જોડી હતી. ઉદાહરણ તરીકે, તેમણે મેલકોટ નજીક થોંડાનુર ખાતે 200 એકરજમીનમાં ફેલાયેલ એક કૃત્રિમ તળાવ બનાવ્યું હતું. આ તળાવ આજે પણ સંત શ્રી રામાનુજાચાર્યના જનહિતના કાર્યોનું જીવંત ઉદાહરણ છે. આજે પણ તે 70 થી વધુ ગામોને તેમની પીવાના પાણીની તથા સિંચાઈની જરૂરિયાતો પૂરી પાડીને સેવા કરે છે.

 

આજે જયારે દરેક જગ્યાએ પાણીને લઈને આટલી ચિંતા છે, ત્યારે એક હજાર વર્ષ અગાઉ બનાવવામાં આવેલ આ તળાવ એ વાતનો જવાબ છે કે જળ સંરક્ષણ કેમ જરૂરી છે. એક હજાર વર્ષમાં ખબર નહીં કેટલી પેઢીઓને તે તળાવથી આશીર્વાદ મળ્યા છે, જીવન મળ્યું છે. આ તળાવ એ વાતની પણ સાબિતી છે કે જળ સંરક્ષણને લઈને આપણે આજે જે પણ તૈયારી કરીએ છીએ, તેનો ફાયદો આવનારા સેંકડો વર્ષો સુધી લોકોને થાય છે. એટલા માટે આજે નદીઓની સફાઈ, તળાવોની સફાઈ, લાખો તળાવો ખોદાવવા, એ વર્તમાનની સાથે જ ભવિષ્યની તૈયારીનો પણ હિસ્સો છે.

 

આ તળાવની ચર્ચા કરતા હું આપ સૌને એ અપીલ કરીશ કે સંત શ્રી રામાનુજાચાર્યના કાર્યોને લોકો સુધી પહોંચાડતી વખતે જળ સંરક્ષણને લઈને આજે શું કરી શકાય તેમ છે તેના વિષે પણ લોકોને સક્રિય કરવામાં આવે.

 

અહીં ઉપસ્થિત થયેલા વિવિધ સંસ્થાઓના નેતાઓને પણ હું વિનંતી કરવા માગીશ. જયારે હવે ભારત 2022માં તેની આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે, આપણે નબળાઈઓ અને મર્યાદાઓ કે જે આપણને અટકાવે છે તેમના માટે કામ કરી  રહ્યા છીએ. આપ સૌએ પણ એવા કેટલાક મૂર્ત અને માપી શકાય તેવા લક્ષ્યાંકો નક્કી કરવા જોઈએ.

 

તમે નક્કી કરી શકો છો કે દસ હજાર ગામો સુધી જઈશું, અથવા 50 હજાર ગામડાઓ સુધી પહોંચીશું.

મારી વિનંતી છે કે સંત શ્રી રામાનુજાચાર્યના રાષ્ટ્રધર્મની ચેતના જગાવનારા વચનોની સાથે સાથે વર્તમાન પડકારોને ધ્યાનમાં રાખીને માનવ કલ્યાણ, નારી કલ્યાણ, ગરીબ કલ્યાણ વિષે પણ લોકોને વધુ સક્રિય બનાવવામાં આવે.

 

આ જ શબ્દો સાથે હું મારી વાતને ખતમ કરું છું. હું એક વાર ફરી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું કે તમે મને સંત શ્રી રામાનુજાચાર્ય ઉપર સ્મારક ટપાલ ટિકિટ પ્રકાશિત કરવાનો અવસર આપ્યો.

આપ સૌનો ખુબ ખુબ આભાર!!   

TR