Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગુજરાતના નવસારી ખાતે યોજાયેલા સામાજિક અધિકારીતા શિબિરમાં પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન

ગુજરાતના નવસારી ખાતે યોજાયેલા સામાજિક અધિકારીતા શિબિરમાં પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન


દુનિયાના નક્શા પર આજે નવસારીએ સ્વર્ણિમ અક્ષરોથી પોતાનું નામ અંકિત કરી દીધું છે. નવસારીને લાખ – લાખ અભિનંદન… તમે આજે ત્રણ રેકોર્ડ તોડી નાખ્યા છે અને છેલ્લા જે વર્લ્ડ રેકોર્ડ્સ હતા તેનાથી તમે એટલી લાંબી છલાંગ લગાવી દીધી છે કે આજે આ રેકોર્ડ તોડવો મુશ્કેલ બની ગયો છે અને તે પણ દિવ્યાંગોજનોના રેકોર્ડ ત્યારે તો વાતમાં ચાર ચાંદ લાગી જશે.

એમ તો આપણું આ નવસારી ગ્રંથ તીર્થ બની ગયું, પુસ્તકપ્રેમીના રૂપમાં જાણીતું બન્યું છે તે આજે દિવ્યાંગજનોની સંવેદનાનું કેન્દ્ર બની ગયું છે. સરકારનો કાર્યક્રમ પણ તેની સાથે સાથે આજે તમે નવસારીની તથા ગુજરાતની ઓળખ સમગ્ર હિન્દુસ્તાનને કરાવવાનું કાર્ય કર્યું છે. ગઇ કાલે રાત્રે હું ટીવી પર સમાચાર જોઇ રહ્યો હતો, કે અહીંના ઘણા દુકાનવાળા દિવ્યાંગ બાળકોને જે જોઇએ તે મફતમાં આપી રહ્યા હતા. આજે અહીં દિવ્યાંગ પરિવારમાં છે, એવા 67 પરિવારોને ગાય માતાનું દાન આપવામાં આવ્યું છે. અહીં વીસ હજાર લોકોની એક યાદી આપવામાં આવી છે. જેમણે કોઇ એક દિવ્યાંગ વ્યક્તિને દત્તક લેવાની જાહેરાત કરી છે અને તેમની પૂરી જવાબદારી લીધી છે. અહીં મને 67 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો. તે 67 લાખ રૂપિયા મેં એક ટ્રસ્ટને આપી દીધા છે અને તે 67 લાખ રૂપિયા દિવ્યાંગના સ્કીલ ડેવલોપમેન્ટ માટે ખર્ચ કરવામાં આવશે…. કોઇ એક કાર્યક્રમ સમગ્ર સમાજની લાગણીઓને જો સ્પર્શી જાય, પ્રત્યેક વ્યક્તિની આપણી આ જવાબદારી છે એવો ભાવ પેદા થાય, અને જ્યાં એવો માહોલ સમાજમાં આવશે ત્યારે કોઇ સમસ્યા રહેતી નથી, દરેક સમસ્યાઓનું સમાધાન પોતાની જાતે જ થાય છે. સાથીઓ હું અતિ ભાગ્યશાળી માણસ છું. હું અત્યારે આ વિભાગના લોકોને પૂછી રહ્યો હતો, આપણા મંત્રી શ્રીને પૂછી રહ્યો હતો, કે પહેલા કોઇ પ્રધાનમંત્રીને એવા કાર્યક્રમમાં જવાની તક મળી છે ? તેમણે કહ્યું નહીં… તમે જ જણાવો કે હું ભાગ્યશાળી છું કે નહીં ? આઝાદીને 70 વર્ષ થયા, ડઝનથી પણ વધારે પ્રધાનમંત્રી આવીને ગયા, પણ હું પ્રથમ પ્રધાનમંત્રી છું જેમને આ દિવ્યાંગજનોની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ઘણી વખત કેટલી ચીજો તમારી નજરની સામે હોય છે, આપણે રોજ જોઇએ છીએ, પણ ક્યારેય તે આપણી પ્રાથમિકતા હોતી નથી તો ક્યારેક આપણી સંવેદનાઓ સિમિત થઇ જાય છે, પરિણામે આપણો તેમની તરફનો જે પ્રતિભાવ હોય છે, તે ખૂબ જ સામાન્ય હોય છે. હાં… હાં… ઠીક છે ભાઇ…. ભારત જેવા દેશમાં હવે થાય છે, ચાલે છે, જોઇશું તે જમાનો પૂરો થઇ ગયો છે. વિશ્વ ભારતની પાસેથી અપેક્ષાઓ રાખી રહ્યું છે…ભારતની જે અપાર ક્ષમતાઓ છે તેમના પ્રત્યે વિશ્વ આકર્ષિત થયું છે. ત્યારે સવા સો કરોડ દેશવાશિઓને પણ આ તક હાથમાં લઇ લેવાની તૈયારી જોઇએ. અવસર ચૂકી ન જવો જોઇએ. અહીં કોઇ એવી વ્યક્તિ નહીં હોય, સમગ્ર નવસારીમાં કોઇ એવું નહીં હોય કે જેને ગંદકી પસંદ હોય. કોઇને ગંદકી પસંદ નથી પણ સ્વચ્છતાનું આંદોલન ચલાવવાની કોઇને ઇચ્છા થઇ ? આજે દેશને આઝાદ થયા બાદ પહેલી વખત ભારતની સંસદમાં કલાકો સુધી સ્વચ્છતા પર ચર્ચા થઇ. હિન્દુસ્તાનની ટીવી મીડિયા સ્વસ્છતા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમ કરે છે.

ભાઇઓ અને બહેનો, આ એક એવી વાત છે કે જેના પ્રત્યે આપણે ઉપેક્ષિત રહી જઇએ છીએ. એવું નથી કે આપણે લોકો સ્વભાવથી ગંદા લોકો છીએ. પણ થાય છે. ચાલે છે ના કારણે આ બધું જ ચાલવા દઇએ છીએ અને આજે ઘરમાં જો નાનું બાળક પણ હોય તો એ પણ તેના દાદાને કહે છે કે દાદા આ અહીં ન ફેંકશો, મોદી દાદાએ ના કહ્યું છે. આ દરેક પરિવારનો અનુભવ છે.

ભાઇઓ અને બહેનો , સામાજિક ક્રાંતિની અંદર આ બીજ વટવૃક્ષ બનીને સામે આવે છે અને એટલા માટે પહેલા પણ મકાન બનતા હતા, પહેલા પણ શૌચાલય બનતા હતા, પહેલા પણ ઓફિસો બનતી હતી, પહેલા પણ ઉત્તમ ડિઝાઇનવાળા આર્કિટેક્ચર બનતા હતા પરંતુ આ વિચાર નહોતો આવતો કે જે ચાલી શકતો નથી તેમના માટે આ મકાનમાં કોઇ વ્યવસ્થા છે કે નહીં ? જે દિવ્યાંગ છે તેમના માટે અલગ પ્રકારના શૌચાલય જોઇએ, ક્યારેય વિચાર્યું છે કે કેમ ? એવું નહોતું કે ખબર નહોતી. રેલવે પહેલા પણ દોડતી હતી પરંતુ રેલવેમાં એવો વિચાર કેમ ન કરવામાં આવ્યો કે કોઇ દિવ્યાંગજન હોય તો તેમના માટે ડબ્બામાં કોઇ વ્યવસ્થા છે કે નહીં. અમે સુગમ્ય ભારત એક અભિયાન ચલાવ્યું અને જ્યારે સરકારમાં બેસેલા લોકોમાં સંવેદનાઓ ભારે પડી શકતી હોય, દરેક ઘટના પ્રત્યે જાગૃતિ હોય તો સમાધન કરાવવાના રસ્તા પણ સામે આવે છે. આ વિભાગ ઘણા સમયથી કાર્યરત છે. 1990 – 92થી ટ્રાઇસિકલ અને આ તમામ ચાલતું રહે છે, પણ તમને જાણીને આઘાત લાગશે કે જ્યારે અમારી સરકાર બન્યા પહેલાથી આ દેશમાં જેટલી પણ સરકારો આવી, ફક્ત 57 કેમ્પ થયા હતા અને આજે ભાઇઓ 4000થી પણ વધારે કેમ્પ આ બે વર્ષમાં કરવામાં આવ્યા છે, હજારો દિવ્યાંગ ભાઇઓ અને બહેનો સુધી પહોંચવાનો એક નક્કર પ્રયાસ કરવામાં આવ્યો છે. પહેલા તો સરકારના આ તમામ વિભાગોમાં કોઇ ઓફિસરની બદલી થાય તો બાકી ઓફિસર્સને એવું લાગશે કે આ ઓફિસરનું ડિવેલ્યૂએશન થઇ ગયું છે. કોઇ પ્રધાનમંત્રીને આ વિભાગમાં મિટિંગ કરવાની તક જ ના મળી હોય.

દિલ્હીમાં એવી સંવેદનશીલ સરકાર છે જે આ વિભાગને આગળ લઇને આવી તથા અમારા ઉત્તમ ઓફિસરોને આ વિભાગમાં લગાવ્યા તથા તેનું પરિણામ એ છે કે એકદમ ગતિમાં કામ ચાલવા લાગ્યું. તમે અહીં જોઇ રહ્યા હશો કે આ બહેનો જે સાંભળી શકતી નથી તેમના માટે મારું પ્રવચન વિવિધ મુદ્રાઓ દ્વારા તેમની સમક્ષ પહોંચાડવામાં આવી રહ્યું છે. આપણને ખબર નથી પડતી કારણ કે આપણને આ ભાષાનું જ્ઞાન નથી. પણ તમે જ મને કહો કે કોઇ તમિલ ભાષી વ્યક્તિ જો તમને મળી જાય અને અચાનક તમિલ ભાષામાં તમારી સાથે વાત કરવાનું શરૂ કરી દે તો તમે શું કરશો ? ખબર નહીં પડે કે આ શું કહી રહ્યો છે. જે પ્રકારે અન્ય ભાષાઓ સમજવામાં તકલીફ થાય છે અને તમને એ જાણીને દુ:ખ થશે મિત્રો કે સમગ્ર દેશમાં આ સાઇનની ભાષા પણ અલગ અલગ જગ્યા પર શીખવવામાં આવે છે. ઘણી વખત તો જે બોલી શકતું નથી એવા બે લોકોની વાત કરવાની હોય તો એકની સાઇન અલગ હશે તથા બીજાની અલગ. પણ આ વાત સરકારના ધ્યાનમાં નથી જતી. આ સરકારને ચિંતા થઇ, સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય માપદંડવાળી સાઇન સિસ્ટમ વિકસાવી જોઇએ, આપણા તમામ શિક્ષકો માટે કોમન સિલેબસ તૈયાર કરવો જોઇએ જેનાથી આપણો બાળક દુનિયામાં કોઇ પણ જગ્યાએ જાય તો તેને તે ઈશારાની ભાષામાં વાત કરી શકે. કોમન સાઇનિંગ લેંગ્વેજ માટે અમે કાયદો ઘડ્યો છે અને મોટાપાયે તેનું કામ ચાલી રહ્યું છે. ઘણી વખત ઘણા સમાચાર ખૂબ મોટા હોય છે, અને આ એવી ચીજો ધ્યાનમાં જ આવતી નથી પણ એવા પરિવાર માટે આ એક નવી આશાનો સંચાર કરશે. મામલો જો સ્વચ્છતાનો હોય, કે દિવ્યાંગનો હોય, ભાઇઓ અને બહેનો, સમાજના જે ઉપેક્ષિત કાર્ય છે, ઉપેક્ષિત વર્ગ છે, જેમના માટે દરેક સ્તર પર સંવેદના હોવી જોઇએ, અને મને વિશ્વાસ છે કે દિલ્હીમાં જે અમે બીડું ઝડપ્યું છે, આગામી દિવસોમાં રાજ્યોમાં, મહાનગરોમાં, મહાનગરપાલિકામાં આ એક સહજ સ્વભાવ બની જશે અને દિવ્યાંગોને ધ્યાનમાં રાખીને મકાનોની રચના પણ એવી હશે, સરકારી ઓફિસોમાં પણ કામ થશે.

હાલમાં રેલવેમાં અમે મોટું કામ શરૂ કર્યું છે, અને જ્યારે એક દિવ્યાંગ જ્યારે એવી સુવિધાઓ જુએ છે કે મારા માટે પણ કોઇ વ્યવસ્થા છે તો એમને સંતોષ મળે છે કે હું એકલો નથી, મારો દેશ મારી સાથે ઊભો છે અને તે જે તાકાત છે તે દેશની તાકાત બની જશે અને એટલા માટે તમે જે આ દિવ્યાંગ શબ્દ સાંભળી રહ્યા છો, દોસ્તો આ શબ્દ મેં ડિક્શનરીમાંથી શોધેલો શબ્દ નથી. હું સામાજિક મનોરચના બદલવાની દિશામાં કાર્ય કરું છું. જ્યારે કોઇને પણ આપણે દિવ્યાંગ કહીએ છીએ ત્યારે આપણું ધ્યાન તેમના શરીરના ક્યા ભાગમાં ગરબડ છે તેની તરફ જાય છે. તેમનામાં જે અપાર શક્તિ પડી છે તેની તરફ જતું નથી અને એટલા માટે મેં કહ્યું કે સરકાર આ વિકલાંગ જેવા શબ્દોમાંથી બહાર આવે અને તેમની પાસે કદાચ એક અંગ નથી પણ બાકી તમામ અંગોની તાકાત દિવ્યાંગને બરાબર છે અને તેમાંથી આ ભાવ પ્રગટ થાય છે અને મને દિવ્યાંગજનોના જે આશિર્વાદ મળે છે, અગણિત આશિર્વાદ…. હવે જ્યારે પરિવારમાં દિવ્યાંગનો જન્મ થયો હશે તે પરિવારને જેટલી શુભકામનાઓ મળી હશે તેટલી શુભકામનાઓ મારા માટે પણ આપી હશે. ઘણી વખત જેમના માટે આપણે ઉદાસીન હોઇએ છીએ તે આપણું નામ રોશન કરે છે.

થોડા દિવસો પહેલા ઓલિમ્પિકની સ્પર્ધા હતી. દેશનું નામ રોશન કરી દીધું આ દેશની દિકરીઓએ. બાકી આપણે તો ઘરમાં બેસી અભ્યાસ કરીને શું કરવાનું છે. એવો ભાવ તથા આપણી દીકરીઓએ જે દેશનું નામ રોશન કર્યું જેનાથી આપણે આ દ્રષ્ટિકોણ બદલવો જ પડશે. દીકરો – દીકરી એકસમાન કોઇ પ્રવચનમાંથી હોય, કોઇ સરકારી નિયમ હોય કે લાખો – કરોડો રૂપિયાથી જે કામ હોય તેનાથી પણ ઉત્તમ કાર્ય ઓલિમ્પિકમાં આપણી દીકરીઓએ કરીને દર્શાવ્યું છે. એવું જ મારા દિવ્યાંગજનો, લોકોને આપણે સમજાવીએ અને તેમને સમજવામાં કેટલો સમય લાગશે આપણને ખબર નથી પણ અત્યારે તો જે પેરાલિમ્પિકમાં 19 લોકોની ટીમ ગઇ હતી અને તેમાંથી મોટાભાગના ખેલાડીએ ઉત્તમ પ્રદર્શન કર્યું અને મેડલ જીતીને આવ્યા ત્યારે દેશને ખબર પડી કે દિવ્યાંગની તાકાત કેટલી હોય છે અને તેના કારણે સમાજના એક વર્ગ માટે એક સંવેદના પેદા થઇ છે અને દયાભાવ નહીં, કોઇ દિવ્યાંગને દયાભાવની જરૂર નથી. તે સ્વાભિમાનથી જીવવા માગે છે. તે બીચારો નથી, આપણાથી બે ગણી ક્ષમતા, બે ગણો આત્મવિશ્વાસ તેમનામાં પડ્યો છે. બસ માત્ર બરાબરીનો વ્યવહાર ઇચ્છે છે અને એટલા માટે સમાજ જીવનમાં સમસ્યાઓનું સમાધાન કેવી રીતે થશે ? એક જમાનો હતો જ્યારે સાંસદને 25 ગેસની કૂપન મળતી હતી. તે એટલા માટે કે તમારા વિસ્તારોમાં કોઇને પણ ગેસ કનેક્શન જોઇએ અને તમે સાંસદ છો તો તમે આપશો તો તમારી વાહ … વાહ થશે. આ દેશમાં એક સમય એવો હતો કે થોડા વર્ષ પહેલાની જ સાંસદને 25 ગેસની કૂપન મળતી હતી અને તે વિસ્તારના લોકોને તેમની પાછળ ફરવું પડતું હતું કે સાહેબ બાળકો મોટા થઇ ગયા છે, તેમના લગ્ન કરાવવાના છે તો જો ગેસ કનેક્શન મળી જાય તો તેમનો સંબંધ થઇ જશે. એવી સ્થિતિ હતી ગેસ કનેક્શનની. ગેસ કનેક્શન લેવા માટે ભલામણો. કાળાબજારી થતી હતી.

ભાઇઓ અને બહેનો અમે ઉજ્જવલા યોજના લઇને આવ્યા અને નક્કી કર્યું કે જે મારી ગરીબ માતાઓ કોલસાનો ચૂલો સળગાવીને ભોજન બનાવે છે તેમના શરીરમાં રોજ 400 સિગારેટ જેટલો ધૂમાડો શરીરમાં જાય છે અને વિચારો તે માતાની તબિયતના હાલ શું થતો હશે. તે ઘરમાં જે નાના નાના બાળકો હશે તેમની શું હાલત થતી હશે. એક સંવેદનશીલ સરકારે નક્કી કર્યું કે દેશના પાંચ કરોડ ગરીબ પરિવારોને ત્રણ વર્ષની અંદર તેમને ગેસ કનેક્શન આપવામાં આવશે, અને પાંચ કરોડ માતાઓ અને બહેનોની તબિયતની ચિંતા કરીશું, ગરીબ પરિવારોની ચિંતા કરીશું. એક સંવેદનશીલ સરકાર સમાજના દલિત, પીડિત, શોષિત વર્ગ વિશે ત્યારે એક એવી સંવેદનશીલતા સાથે કામ કરીએ છીએ તેનું ઉદાહરણ તમને વર્તમાનમાં જે સરકારો બની છે તેમાં તમને જોવા મળશે. ભાઇઓ અને બહેનો, આ બધું એટલા માટે શક્ય બની રહ્યું છે કે આ દેશના પ્રધાનસેવક, પ્રધાનમંત્રીનું સ્તર તમે બધા લોકોએ કર્યું છે. તમે લોકોએ મને મોટો કર્યો છે. આ માનવતા, સંવેદના, સંસ્કાર આ ધરતીએ મને આપ્યા છે અને એટલા માટે ભાઇઓ અને બહેનો, અહીં જ્યારે મારા જન્મદિવસની ચર્ચા થઇ રહી છે ત્યારે હું તમને બધાને માથું ઝુકાવીને નમન કરંટ છું કે તમે મને આટલું બધું આપ્યું છે. આ મારી જવાબદારી છે કે તમે મને જે સંસ્કાર આપ્યા છે, હું દિલ્હીમાં રહું કે દુનિયાના કોઇ મહાનુભાવની સાથે રહું. તમારા આપેલા સંસ્કારને કંઇ ન થાય. તમે જે મારું ઘડતર કર્યું છે તેને અનુરૂપ સવા સો કરોડ દેશવાશિયોની સેવામાં મારું જીવન સમર્પિત કરી દઉં અને મને વિશ્વાસ છે કે તમારા આશીર્વાદ મારી સાથે છે. દિવ્યાંગજનોના આશિર્વાદ મારી સાથે છે, કરોડો ગરીબ માતાઓ જ્યારે ગેસનો ચૂલો સળગાવે ત્યારે પહેલા મને આશીર્વાદ આપે છે.

ભાઇઓ અને બહેનો, કાર્ય મુશ્કેલ છે પણ અમને તો મુશ્કેલ કાર્ય જ મળે છે ને … અને તમે જે મુશ્કેલ કાર્ય કામ કરવા માટે મને પસંદ કર્યો છે હું તમારો આભારી છું. અનેક ક્ષેત્રોમાં ગુજરાતે ખૂબ જ સારું કાર્ય કર્યું છે. વિકાસની નવી ઊંચાઇઓને સ્પર્સ્યા છીએ અને મને વિશ્વાસ છે કે ગુજરાતના જન – જનનો વિશ્વાસ, ગુજરાતની સામૂહિક શક્તિ સમગ્ર ભારતના ભવિષ્ય માટે એક ઉદ્દીપકનું કામ કરશે અને ગુજરાત નવી ઊંચાઇઓ સ્પર્શતું રહેશે.

થોડા દિવસો પહેલા હું ફિજી ગયો હતો. તમારામાંથી કદાચ ઘણાને ખબર નહીં હોય કે નવસારીમાંથી ઘણા લોકો ફિજી ગયા હતા. ત્યાં મારા એક મિત્ર વેણીભાઇ પરમાર હતા તે પણ ફિજીમાં તેમના સંબંધી રહેતા હતા. હાલમાં હું ફિજી ગયો તો તેમનું જે એરપોર્ટ છે ત્યાંથી બહાર નીકળતી વખતે જ મેં ગામનું નામ વાંચ્યું. ગામનું નામ નવસારી છે. તેનું ઉદાહરણ એ છે કે વર્ષો પહેલા નવસારીના લોકો ફિજી ગયા હશે તેમની યાદ ત્યાં આજે પણ છે જેના કારણે ફિજીના લોકો નવસારીને જાણે છે. આપણા એક મહાનુભાવ ત્યાંની જ સંસદમાં સ્પીકર હતા.

ભાઇઓ અને બહેનો, નવસારીની એક અલગ ઓળખ છે, એક અલગ તાકાત છે અને અહીંના લોકો ઉત્સાહી છે અને એવા નવસારીના નિમંત્રણથી આજે મને અહીં આવવાની તક મળી છે, અનેક રેકોર્ડથી આપણે નવી જગ્યા બનાવી છે. હું તમને અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું.

ધન્યવાદ દોસ્તો ……

AP/GKHUNT/TR/GP