Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

17 – 09 – 2016 ના રોજ પ્રધાનમંત્રીએ ગુજરાતના લિમખેડામાં કરેલું સંબોધન

17 – 09 – 2016 ના રોજ પ્રધાનમંત્રીએ ગુજરાતના લિમખેડામાં કરેલું સંબોધન


દાહોદ જિલ્લો આદિવાસીઓનો જિલ્લો છે, આદિવાસી વસતીનું ક્ષેત્ર છે. જો વર્ષ 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતની ભૂમિકા પર ચર્ચા કરવી હોય, તો આપણે તેનો પ્રારંભ દાહોદથી કરવો પડશે. આપણે સ્વતંત્રતા સંગ્રામને, આઝાદીના જંગને એટલો સિમિત કરી દીધો છે કે આપણે આઝાદીની લડાઇ લડનારા આદિવાસી ભાઇઓ તથા બહેનોને ભૂલી ગયા છીએ. દોસ્તો, આ દેશના દરેક ગામને, લાખ્ખો લોકોએ, સો – સો વર્ષ સુધી આઝાદી માટે અવિરત ત્યાગ અને બલિદાનની મશાલને પ્રજવલિત રાખી છે. હિન્દુસ્તાનનું એક પણ આદિવાસી ક્ષેત્ર એવું નથી કે જેણે અંગ્રજોને ઇંટનો જવાબ પથ્થરથી ન આપ્યો હોય. છેલ્લા થોડા સમયથી લોકો બિરસા મુંડાના નામથી પરિચિત થઇ રહ્યા છે. આપણા ગુરુ ગોવિંદે આઝાદી માટે એટલી મોટી લડાઇ લડી હતી. તે ભૂમિ પર આઝાદી માટે જંગ થયો હતો. 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં સંપૂર્ણ દાહોદ ક્ષેત્રમાં, તેમના આદિવાસી ભાઇઓ તથા બહેનો, અંગ્રેજો માટે સૌથી મોટો પડકાર બની ગયા હતા. જ્યારે આજે આપણે આઝાદીની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આઝાદીના જંગમાં સામેલ થયેલા આદિવાસી યોદ્ધાઓને, સ્વતંત્રતા સેનાનીઓને, હું આદિવાસીઓની આ પવિત્ર , પાવન ભૂમિ પરથી શત શત નમન કરું છું.

ભાઇઓ અને બહેનો ,

1960માં ગુજરાતની રચના થઇ. જ્યારે બૃહદ મહારાષ્ટ્રમાંથી અલગ રાજ્ય તરીકે ગુજરાતની રચના થઇ, ત્યારથી જ આ ચર્ચા સામાન્ય હતી કે ગુજરાતની પાસે પાણી નથી, ગુજરાતની પાસે પોતાના ઉદ્યોગ નથી, ગુજરાતની પાસે ખનીજ નથી, આ રાજ્ય ખતમ થઇ જશે. ગુજરાત પોતાના પગ પર ઊભું નહીં થઇ શકે. — આ સામાન્ય ધારણા લોકોના દિમાગમાં ઘર કરી ગઇ હતી. મહાગુજરાતના આંદોલનના સમયે આ તમામની સામે મોટો તર્ક હતો. આજે, ભાઇઓ તથા બહેનો, સંપૂર્ણ રાષ્ટ્રને ગુજરાત પર ગર્વ છે, કે આ રાજ્યે, રાજ્યના લોકોએ, અનેક પડકારોની વચ્ચે, અનેક મુશ્કેલીઓનો સામનો કરીને, કુદરતી સંસાધનોની મર્યાદાની વચ્ચે, દરેક પડકારોને લલકાર્યા છે, દરેક પડકારોને પડકાર્યા અને એક પછી એક સફળતા અર્જિત કરી છે, વિકાસના નવા માપદંડ પ્રસ્થાપિત કર્યા છે. આપણે પડકારોનો સામનો કર્યો અને સફળ પ્રયોગ કરીને દર્શાવ્યો.

આપણો સૌથી મોટો પડકાર એ પાણીનો હતો. જ્યાં પાણી પહોંચ્યું, ત્યાંના લોકોએ પોતાની તાકાતનો પરચો દર્શાવ્યો. આપણા ગુજરાતના પૂર્વ ક્ષેત્ર, તમે ઉંમરગામથી અંબાજી સુધી જુઓ, તમને પથરાળ જમીન, નાના નાના પર્વતો દેખાશે, એટલા માટે વરસાદ થાય છે, પાણી મળે છે પરંતુ વહી જાય છે. પાણીનો સંચય થતો નથી, જમીનમાં પાણીનો સંગ્રહ થતો નથી. એટલા માટે મારા આદિવાસી ભાઇઓને પોતાની જમીન પાણીથી નહીં પરંતુ પરસેવાથી સિંચવી પડતી હતી. રોજીરોટી માટે તેમને હિજરત કરવી પડતી હતી. 40 થી 50 ડિગ્રી તાપમાનમાં આકાશમાંથી આગ વરસે છે અને આ આગમાં આદિવાસી ભાઇઓએ ગામડામાં રસ્તા બનાવવા પડતા હતા. તેમના પગમાં ફોડલાં પડી જતા હતા. આ રીતે જીવન પસાર થતું હતું. એ સ્થિતિમાં અમે દૂરદર્શી અભિગમ અપનાવ્યો અને પાણીની, પાણીની સમસ્યાના સમાધાનને પ્રાથમિકતા આપી. ગુજરાત સરકારનું સૌથી મોટું બજેટ પાણી પણ ખર્ચાઈ જતું હતું. અને આજે મને આનંદ છે કે પાણીની સમસ્યાનું સમાધાન થયું છે. આજે એક પછી એક લોકાર્પણ કે શિલાન્યાસ કાર્યક્રમ આયોજિત થઇ રહ્યા છે. હજારો, કરોડો રૂપિયા, આ કોઇ નાની રકમ નથી. હજારો, કરોડો રૂપિયા પાણીની સમસ્યાનું સમાધાન કરવા માટે ખર્ચ કરવામાં આવ્યા છે. એક દાયકા પહેલા આપણે વિચારી પણ શકતા નહોતા કે આદિવાસીના રસોઇઘરના નળમાં પાણી આવશે, અમે અભિયાન શરૂ કર્યું. કારણ કે સમાજના સૌથી નીચેના વર્ગ પર સ્થિત માણસને શક્તિ, સામર્થ્ય આપવામાં આવે, તો તે ઝડપથી પ્રગતિ કરી શકે છે. એટલું જ નહીં, પોતાની સાથે પોતાના જેવા, પોતાના સમાજના, પોતાના સાથીદારોને પણ પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરે છે.

જ્યારથી દિલ્હીમાં અમારી સરકાર બની છે, ત્યારથી અમે અત્યાર સુધી ઉપેક્ષિત ચીજો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. બેન્ક હતી, પરંતુ તેમાં ગરીબો માટે પ્રવેશ નિષેધ હતો, વિવિધ વિમા યોજના હતા, પરંતુ તેનો લાભ ગરીબોને મળતો નહોતો. હોસ્પિટલ હતી, પરંતુ ગરીબોને તો તેના દરવાજા બહાર જ ઊભા રહેવું પડતું હતું. વિજળીનું ઉત્પાદન થતું હતું, પરંતુ આઝાદી મળ્યાના 70 મા વર્ષમાં પણ 18000 ગામડાના લોકો 18મી સદી જેવી સ્થિતિમાં જીવવા માટે મજબૂર હતા. તેમણે તો ક્યારેય વિજળી જોઇ પણ નહોતી. એનાથી વધારે બદતર સ્થિતિ બીજી શું હોઇ શકે ! એટલા માટે ભાઇઓ તથા બહેનો, જ્યારે તમે, આ દેશને એનડીએના સાંસદોને, આ ધરતીના લાલને, જેને તમે મોટો કર્યો છે, જેનું લાલનપાલન તમે કર્યું છે, જેને તમે સંભાળ્યો છે, તેને આ દેશના પ્રધાનસેવક તરીકે, પ્રધાનમંત્રી સ્વરૂપમાં પસંદ કર્યો છે. ત્યારે સંસદમાં મારા સર્વપ્રથમ પ્રવચનમાં મેં જણાવ્યું હતું કે મારી સરકાર ગરીબોની સરકાર છે. મારી સરકાર દલિતોની, પીડિતોની, વંચિતોની સરકાર છે. જો આપણા સમાજનો મોટો વર્ગ, જો વિકાસની મુખ્ય ધારામાં આવે તો દેશ વિકાસની નવી પરિભાષા પેદા કરી શકે છે. આ દેશના ખેડૂતોને શું જોઇએ ? આ દેશના ખેડૂતોને પાણી મળે, તો તે માટીમાંથી સોનું પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે પ્રધાનમંત્રી સિંચાઇ યોજના અંતર્ગત અમે એક અભિયાન શરૂ કર્યું છે, એક ભગીરથ કાર્યનો પ્રારંભ કર્યો છે. અમે લાખો કરોડો રૂપિયાના ખર્ચ પર આગામી વર્ષોમાં આ દેશના એક – એક ગામ સુધી પાણી પહોંચાડવા માગીએ છીએ. પહેલા તો કહેવામાં આવતું હતું કે આ દેશના ખેડૂતોને, ગરીબોને ત્રણ આધારભૂત જરૂરિયાતો છે. વિજળી, પાણી, રસ્તા. અમે તેમાં વધુ બેને જોડી દીધી છે. શિક્ષા તથા સ્વાસ્થ્ય . જો આ પાંચ ચીજોને પ્રાથમિકતા આપવામાં આવે તથા તેને સર્વસુલભ કરવામાં આવે તો, રોજગાર પોતાની જાતે જ પેદા થઇ જશે અને ભાવિ પેઢીઓના કલ્યાણ માટે મજબૂત આધારનું નિર્માણ થશે. એટલા માટે આજે હિન્દુસ્તાનના ખૂણે ખૂણામાં એક જ મંત્ર ગૂંજી રહ્યો છે, – સૌનો સાથ , સૌનો વિકાસ. અમે તે મંત્રને લઇને વિકાસને નવી ઊંચાઇઓ પર પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

અમે જોયું છે કે કેટલાક રાજ્યોમાં સરકાર બને છે આવતા જ 100, 200, કે પછી 500 કરોડ રૂપિયાની યોજનાનો જોરશોરથી ઢંઢોરો પીટે છે. અખબારોની હેડલાઇન બની જાય છે. રાજ્યની જનતા પણ તેની ચર્ચા કરે છે. સારી વાત છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે કેટલી યોજના સરાકારના ખજાનાને ભરી દે છે. રાજ્ય સરકારના ખજાનાને નહીં, મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામપંચાયત – તમાનો ખજાનો ભરાઇ જાય છે. હાલમાં જ થોડી વાર પહેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ એલઇડી બલ્બની વાત કરી રહ્યા હતા. એ દેખવામાં ખૂબ જ નાની વાત લાગે છે. ગુજરાતે બે – ત્રણ મહિનાથી એક અભિયાન હાથ પર લીધું છે. ગુજરાતને સવા બે કરોડ એલઇડી બલ્બ પ્રસ્થાપિત કરીને એલઇડી બલ્લના મામલામાં હિન્દુસ્તાનમાં નંબર 1 સ્થાન હાંસલ કર્યું છે. મુદ્દો બલ્બનો નથી, વાત ફાયદાની છે. તમને ખબર નથી કે એલઇડી બલ્બના ઉપયોગથી ગુજરાત વાર્ષિક 1000 કરોડ રૂપિયાની બચત કરશે. આ રૂપિયાનો ઉપયોગ ગરીબોના કલ્યાણ માટે થશે. આ ખજાનાનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તેનો નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામપંચાયત કરી શકે છે. સંપૂર્ણ યોજનાના કેન્દ્રમાં ગામ છે, ગરીબ છે અને ખેડૂતોનું કલ્યાણ છે.

હવે વનબંધુ કલ્યાણ યોજનાની વાત કરીએ છીએ. દાયકામાં રૂ. 9000 કરોડ અને એક દાયકામાં 60,000 કરોડ રૂપિયા. અમે એક દાયકામાં 60,000 કરોડ રૂપિયા આદિવાસીઓ પર ખર્ચ કરવાની યોજના બનાવી છે, કારણ કે અમારે આ દેશના આદિવાસીઓનું પુનરોત્થાન કરવું છે. વનબંધુ કલ્યાણ યોજના આ મનોમંથનનું પરિણામ છે. આ યોજના દ્વારા એક પ્રયોગ થઇ રહ્યો છે, જેની શરૂઆત ગુજરાતમાં થઇ હતી. આજથી આ પ્રયોગ સંપૂર્ણ રાષ્ટ્રમાં શ્રીમાન જશવંતસિંહ ભાભોરના નેતૃત્વમાં થઇ રહ્યો છે. આ યોજના સફળ પુરવાર થશે, તેનો ફાયદો થશે – આ વિશ્વાસ પણ લોકોમાં પેદા થયો છે.

ભાઇઓ અને બહેનો ,

જ્યારે હું દાહોદમાં સંગઠન કાર્ય કરતો હતો, ત્યારે સામાન્યત : સ્કૂટર પર ફરતો હતો, આજે આપણી વચ્ચે ઉપસ્થિત ઘણા લોકોના ઘરમાં મેં ચા પીધી છે, ભોજન કર્યું છે. એ સમયે હું જ્યારે સ્કૂટર લઇને નીકળતો હતો, તો લોકો કહેતા હતા કે તમે વધારે અંદરના વિસ્તારમાં ન જશો. ક્યારેક કોઇ દિવસે મુશ્કેલીમાં મુકાઇ જશો. તે મને રોકતા હતા. તે સમયે હું ક્યારેક પરેલ જતો હતો, દાહોદમાં. પરેલને જોઇને હું વિચારતો હતો કે આ સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ કોઇને પણ તેની પરવાહ નથી. આ ખૂબ જ મોટું સ્થાન છે, પરંતુ લોકો રોજીરોટીની શોધમાં બહાર નીકળી રહ્યા છે. ભૂતકાળમાં જે સરકારો ખૂબ જ યોજના બનાવતી હતી, પરંતુ ફક્ત કાગળો પર. ક્યારે તેનો અમલ થતો નહોતો. મિત્રો, પરેલ આ જિલ્લાની સૌથી મોટી તાકાત છે. પરેલ રેલવે સ્ટેશનની કાયાપલટ કરવા માટે અમે એક અભિયાન શરૂ કર્યું છે. અમે મોટા ક્ષેત્રમાં કાર્ય શરૂ કરી દીધું છે. હું વિચારતો હતો કે દાહોદ મેઇન લાઇન પર સ્થિત અતિ મહત્વપૂર્ણ રેલવે સ્ટેશન છે, સરકારની પાસે સિસ્ટમ છે, પરંતુ કોઇને કંઇ સારું કરવાની ઇચ્છા નથી. આ જનતાની કમાણીની બરબાદીનું સૌથી મોટું ઉદાહરણ બની ગયું હતું.

ભાઇઓ તથા બહેનો, યોજનાનું અમલીકરણ શરૂ થઇ ગયું છે. ત્રણ સ્ટેજમાં સંપૂર્ણ પ્રકલ્પ પૂર્ણ થશે. તમારી આંખોની સામે પરેલનું રેલવે યાર્ડ રોજગારીના નવા અવસર પ્રદાન કરશે, અહીંના અર્થતંત્રમાં નવો જોશ આવશે. મને ખબર છે કે દાહોદ જિલ્લાનો આદિવાસી ખેડૂત પ્રગતિશીલ છે. તે પરંપરા છોડવાનું, નવી ટેકનિક અપનાવવાનું સાહસ રાખે છે. મોટાભાગે ગુજરાતમાં ખેતીવાડી શબ્દનો પ્રયોગ કરે છે. ઉંમરગામથી લઇને અંબાજી સુધી લોકો ખેતીવાડી શબ્દનો પ્રયોગ કરે છે. મને ગર્વ છે કે દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂતોએ ખેતરને ફૂલવાડીમાં પરિવર્તિત કરી દીધા છે. આજે દાહોદના ખેતરોમાં અલગ અલગ પુષ્પોની ખેતી થાય છે. દાહોદ જિલ્લાના ખેડૂતોએ તેનું નેતૃત્વ કર્યું છે. તે કૃષિમાં આધુનિક ટેકનિકનો ઉપયોગ કરે છે. મકાઇની ખેતીમાં તો તે નંબર વન પર છે. દાહોદ જિલ્લાના આદિવાસીની પાસે જમીન ઓછી હોય છે, પરંતુ તેનો જુસ્સો બુલંદ હોય છે. તે બહાર જાય છે, નવું શીખે છે અને પછી ગામમાં જઇને તેને અજમાવે છે.

ભાઇઓ અને બહેનો ,

ઉંમરગામથી લઇને અંબાજી સુધી આદિવાસી ક્ષેત્ર સુધી પીવાનું પાણી પહોંચાડવાનું અભિયાન શરૂ થઇ ગયું છે. લિફ્ટ ઇરિગેશનથી સિંચાઇ વ્યવસ્થા કરવાની છે. અત્યારે અમે તે કામમાં વધારે ધ્યાન આપી રહ્યા છીએ. ભવિષ્યમાં તેના સારા પરિણામ જોવા મળશે. સોલર પમ્પ પણ ક્રાંતિકારી છે. તેનાથી વિજળી માટે ખેડૂતોની સરકાર નિર્ભરતાનો અંત આવી જશે. સોલર પમ્પમાં સરકાર રોકાણ કરશે. નૂતન પ્રયોગ ચાલી રહ્યા છે. સૂર્યની રોશનીના જોર પર પમ્પ ચાલશે. અત્યારે પ્રયોગ ચાલી રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં એક મોટી ક્રાંતી થવાની છે. તેમાં અમે ટપક સિંચાઇ ટેકનિકમાં પણ પોતાની પરિસ્થિતિ અનુસાર પરિવર્તન કરી શકીશું. તેનો લાભ આદિવાસી ખેડૂતોને આગામી દિવસોમાં મળશે, હિન્દુસ્તાનના ખેડૂતોને મળશે.

અમે એક સ્વપ્ન લઇને ચાલી રહ્યા છીએ. અમે ઇચ્છીએ છીએ કે જ્યારે 2022માં દેશ સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરશે , ત્યારે હિન્દુસ્તાનના ખેડૂતોની આવક બે ગણી થઇ જાય. હજી થોડા દિવસો પહેલા જ મેં ગુજરાતના ડેરી ઉદ્યોગના મહાનુભાવો, જેમને રસ હોય, તેમને દિલ્હી બોલાવ્યા હતા. મેં તેમની મુલાકાત મારા ઓફિસર્સ સાથે કરાવી હતી. મેં તેમને જણાવ્યું હતું કે દરેક ગામમાં મધમાખી સંવર્ધન કેન્દ્ર તથા મધનું ઉત્પાદન કરો. જેમ ગામના લોકો દૂધનું કેન લઇને આવે છે, તેવી જ રીતે લોકો બીજા નાના કેનમાં મધ લઇને આવશે. લોકોને દૂધની સાથે મધની પણ આવક થશે. ડેરી દૂધની સાથે મધનું પ્રોસેસિંગ પણ કરે. દુનિયામાં તેની ખૂબ જ માગ છે. ગુજરાતના ખેડૂતોને તેનો ફાયદો મળી શકે છે. આગામી દિવસોમાં તેનો ખૂબ જ મોટો લાભ દેશને મળશે.

ભાઇઓ અને બહેનો , શિક્ષા હોય , સ્વાસ્થ્ય હોય, કૃષિ હોય , આજે જમીનના જે ટુકડા આપવામાં આવ્યા છે, આ બહેનો ફક્ત તસવીર ખેંચવવા માટે નથી આવી. ગુજરાત સરકારે તેમને જમીનના ટુકડા આપ્યા છે, કૃષિ માટે. તેમાંથી સૌથી પહેલું નામ મારી આદિવાસી બહેનોનું છે. બીજું નામ તેમના પતિદેવોનું છે. સેંકડો વર્ષોથી આદિવાસી જમીનના માલિક નહોતા, આજે એક આદિવાસી માતા જમીનની માલિક બની ગઇ છે અને તેનાથી વધારે આનંદની વાત બીજી શું હોઇ શકે !

ભાઇઓ અને બહેનો ,

મેં ઘણા વર્ષો ગુજરાતમાં વિતાવ્યા છે , પરંતુ ક્યારેય જન્મદિવસ મનાવ્યો નથી. આજે પણ મનાવ્યો ન હોત. પરંતુ મારી માતાની સાથે અમુક ક્ષણ પસાર કરવાનો પ્રયત્ન અવશ્ય કરું છું. મારી માતાના આશિર્વાદ લીધા છે, પરંતુ ગુજરાત સરકાર મને મફતમાં પરત ફરવા દેવા માગતી નથી. તેમનો આગ્રહ હતો કે તમે જ્યારે ગુજરાતમાં આવી રહ્યા છો, તો થોડો સમય અમને પણ આપો. ગુજરાત સરકારે બે ખૂબ જ સારા કાર્યક્રમનું આયોજન કર્યું છે. જૂના મિત્રોને જોવાની , મળવાની મને તક મળી છે. તમે મારું સ્વાગત કર્યું, મારું સન્માન કર્યું, આશિષ આપ્યા, ખૂબ જ પ્રેમ આપ્યો, હું તમારો ઋણી છું અને અભિનંદન પાઠવું છું. હું ગુજરાત સરકારનો આભારી છું. ગુજરાત વિકાસના નવા માપદંડ સ્થાપિત કરે, ફક્ત પોતાના માટે જ નહીં, સંપૂર્ણ ભારત માટે અને હંમેશાં નંબર વન રહે. તેવી શુભકામનાની સાથે …. તમારો આભાર ….

ભારત માતા કી જય .

AP/GKHUNT/TR/GP