Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રધાનમંત્રીનો “મન કી બાત” કાર્યક્રમનો મૂળપાઠ


મારા વ્હાલા દેશવાસીઓ, આપ સૌને નમસ્કાર,

(થોડા દિવસ પહેલા) પાછલા દિવસોમાં જમ્મુ-કાશ્મીરના ઉરી ક્ષેત્રમાં એક આતંકવાદી હુમલામાં આપણા દેશના 18 વીર સપૂતોને આપણે ખોઇ બેઠા. હું એ તમામ વીર સૈનિકોને નમન કરૂં છું અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું. આ કાયરતાપૂર્ણ બનાવ પૂરા દેશને હચમચાવી નાખવા પૂરતો હતો. દેશમાં શોક પણ છે, આક્રોશ પણ છે, અને આ ખોટ કેવળ એ પરિવારોને જ નથી પડી કે જેમણે પોતાનો દીકરો ખોયો, ભાઇ ખોયો, કે પતિ ખોયો, આ ખોટ પૂરા દેશને પડી છે. અને એટલા માટે હું દેશવાસીઓને આજે એટલું જ કહીશ અને જે મેં હુમલાના દિવસે કહ્યું હતું તે આજે ફરી વાર દોહરાવવા માગું છું કે, દોષીઓ સજા મેળવીને જ રહેશે.

મારા વ્હાલા દેશવાસીઓ, આપણને આપણી સેના પર ભરોસો છે. તેઓ તેમના પરાક્રમથી આવા તમામ કાવતરાને નિષ્ફળ બનાવશે. અને દેશના સવાસો કરોડ દેશવાસી સુખચેનથી જીવી શકે તે માટે તેઓ પોતાના પરાક્રમને પરાકાષ્ઠા સુધી પહોંચાડનારા વીરો છે. આપણી સેના પર આપણને ગર્વ છે. આપણને, નાગરિકોને, રાજનેતાઓને બોલવાની કેટલીયે તકો હોય છે. આપણે બોલીએ પણ છીએ. પરંતુ સેના બોલતી નથી, સેના પરાક્રમ કરી બતાવે છે.

હું આજે કશ્મીરના નાગરિકો સાથે પણ વેશિષરૂપે વાત કરવા માગું છું. કાશ્મીરના નાગરિકો દેશવિરોધી શકિતઓને સારી રીતે સમજવા લાગ્યા છે. અને જેમજેમ સાચી હકીકત સમજવા લાગ્યા છે, તેમતેમ તેઓ આવા તત્વોને પોતાનાથી અળગા કરીને શાંતિના માર્ગ પર નીકળી પડ્યા છે. દરેક મા-બાપ ઇચ્છે છે કે, શાળા-કોલેજો બને તેટલી જલદી પૂરી રીતે કામ કરતી થાય, ખેડૂતોને પણ લાગી રહ્યું છે કે, તેમનો જે પાક, ફળો વગેરે તૈયાર થયા છે તે હિન્દુસ્તાનભરના બજારોમાં પહોંચે. આર્થિક પ્રવૃત્તિઓ પણ સારી રીતે ચાલે. અને છેલ્લા કેટલાક દિવસોથી કારોબાર સારી રીતે ચાલવાનું શરૂ પણ થયું છે. આપણે સહુ જાણીએ છીએ કે, શાંતિ, એકતા અને સદભાવના જ આપણી સમસ્યાઓના ઉકેલ છે, આપણી પ્રગતિનો માર્ગ છે, આપણા વિકાસનો પણ માર્ગ છે. આપણી ભાવિ પેઢીઓ માટે આપણે વિકાસની નવી ઊંચાઇએ પહોંચવાનું છે. મને ભરોસો છે કે, દરેક સમસ્યાનો ઉકેલ આપણે સાથે બેસીને શોધીશું, માર્ગ કાઢીશું અને સાથેસાથે કાશ્મીરની ભાવિ પેઢી માટે ઉત્તમ માર્ગ પર પ્રશસ્ત કરીશું. કાશ્મીરના નાગરિકોની સલામતિ એ શાસનની જવાબદારી હોય છે. કાનૂન અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્રે કેટલાક પગલા ભરવા પડે છે. હું સલામતિદળોને પણ કહીશ કે, આપણી પાસે જે સામર્થ્ય છે, શકિત છે, કાયદા છે, નિયમો છે, તેનો ઉપયોગ કાનૂન અને વ્યવસ્થા માટે કરવાનો છે. કાશ્મીરના અદના નાગરિકોને સુખચેનનું જીવન આપવા માટે કરવાનો છે. અને તેનું આપણે સંપૂર્ણપણે પાલન કરીશું. કોઇ કોઇ વાર આપણે જે વિચારીએ છીએ તેનાથી જૂદું વિચારનારા લોકો પણ નવાનવા વિચારો રજૂ કરે છે. હમણાંહમણાં સોશિયલ મીડીયામાં ઘણુંબધું જાણવાની મને તકો મળે છે. હિંદુસ્તાનના દરેક ખૂણેથી, દરેક પ્રકારના લોકોની લાગણીઓને જાણવાની, સમજવાની તકો મળે છે, અને તે લોકશાહીની તાકાતને બળ આપે છે. વિતેલા દિવસોમાં 11મા ધોરણના હર્ષવર્ધન નામના એક નવયુવાને મારી સમક્ષ એક અલગ પ્રકારનો વિચાર મૂક્યો. તેણે લખ્યું છે, ઉરી આતંકવાદી હુમલા પછી હું બહુ વિચલિત હતો. કંઇક કરી છુટવાની તીવ્ર ઉત્કંઠા હતી. પરંતુ કંઇક કરવાનો રસ્તો નહતો સૂઝતો. અને મારા જેવો એક નાનો એવો વિદ્યાર્થી કરી પણ શું શકે છે ? તેમાંથી મારા મનમાં વિચાર આવ્યો કે, હું પણ દેશહિત માટે કેવી રીતે કામ આવું ? અને મેં સંકલ્પ કર્યો કે, હું રોજ 3 કલાક વધારાનો અભ્યાસ કરીશ. દેશને કામ આવી શકું તેવો યોગ્ય નાગરિક બનીશ.

ભાઇ હર્ષવર્ધન, આક્રોશના આ વાતાવરણમાં, આટલી નાની ઉંમરે, તમે સ્વસ્થતાથી વિચારી શકો છો એ જ મારા માટે આનંદની બાબત છે. પરંતુ હર્ષવર્ધન, હું એ પણ કહીશ કે, દેશના નાગરિકોના મનમાં જે આક્રોશ છે. તેનું બહુ મોટું મૂલ્ય છે. રાષ્ટ્રની ચેતનાનું આ પ્રતીક છે. આક્રોશ પણ કંઇક કરી છૂટવાના આશયનો છે. હા, તમે એક સર્જનાત્મક અભિગમથી તેને પ્રસ્તુત કર્યો. પરંતુ તમને ખબર હશે, જયારે 1965નું યુદ્ધ થયું, લાલબહાદુર શાસ્ત્રીજી આપણું નેતૃત્વ કરી રહ્યા હતા અને આખા દેશમાં આવો જ એક જુસ્સો હતો, આક્રોશ હતો, દેશભકિતનો જુવાળ હતો. દરેક જણ, કંઇકને કંઇક, એવું ઇચ્છતો હતો કંઇકને કંઇક કરી છૂટવાની ઝંખના રાખતો હતો. ત્યારે લાલબહાદુર શાસ્ત્રીજીએ બહુ ઉત્તમ રીતે દેશની આ લાગણીને સ્પર્શવાનો જબરદસ્ત પ્રયાસ કર્યો હતો. અને તેમણે ‘ જય જવાન, જય કિસાન ’ મંત્ર આપીને દેશના અદના માનવીને દેશ માટે કેવી રીતે કામ કરવાનું છે તેની પ્રેરણા આપી હતી. બોંબ અને બંદૂકના અવાજો વચ્ચે દેશભકિત વ્યકત કરવાનો એક બીજો પણ માર્ગ દરેક નાગરિક માટે હોય છે તે લાલ બહાદુર શાસ્ત્રીજીએ બતાવ્યો હતો. મહાત્મા ગાંધીજી પણ જયારે આઝાદીનું આંદોલન ચલાવી રહ્યા હતા, આંદોલન જયારે તેની તીવ્રતા પર હતું અને આંદોલનમાં એક સ્થિરતાની જરૂર રહેતી હતી, ત્યારે તેઓ આંદોલનની તે તીવ્રતાને સમાજમાં રચનાત્મક કાર્યો તરફ વાળવા માટે બહુ સફળ પ્રયોગો કરતા હતા. આપણે બધા, સેના પોતાની જવાબદારી નિભાવે, વહિવટમાં બેઠેલા લોકો પોતાનું કર્તવ્ય નિભાવે અને આપણે દેશવાસી, દરેક નાગરિક, આ દેશભકિતની ભાવના સાથે, કંઇક ને કંઇક કરી રચનાત્મક યોગદાન આપીએ તો ચોક્કસ આપણો દેશ નવી ઊંચાઇ સર કરશે.

મારા વ્હાલા દેશવાસીઓ, શ્રી ટી.એસ.કાર્તિકે મને નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે કે, પેરાલિમ્પિકમાં જે ખેલાડીઓ ગયા હતા. તેમણે ઇતિહાસ રચ્યો અને તેઓનો દેખાવ માનવીય ભાવનાની જીત છે. શ્રી વરૂણ વિશ્વનાથને પણ નરેન્દ્ર મોદી એપ પર લખ્યું છે કે, આપણા ખેલાડીઓએ ખૂબ સારૂં કામ કર્યું છે. તમારે મન કી બાતમાં આ બાબતનો ઉલ્લેખ કરવો જોઇએ. કેવળ આ બે જ નહીં, દેશની દરેક વ્યકિતને પેરાલમ્પિકના આપણા ખેલાડીઓ પ્રત્યે એક ભાવનાત્મક જોડાણ થયું છે. કદાચ રમતથી આગળ વધીને પેરાલમ્પિકે અને આપણા ખેલાડીઓના દેખાવે, માનવતાના દ્રષ્ટિકોણને, દિવ્યાંગો તરફના આપણા દ્રષ્ટિકોણને, પૂરેપૂરો બદલી નાંખ્યો છે. અને હું આપણી વિજેતા બહેન દિપા મલિકની એ વાતને કયારેય નહીં ભૂલી શકું કે, જયારે એણે ચંદ્રક મેળવ્યો તો એમ કહ્યું કે, “ આ ચંદ્રકથી મેં વિકલાંગતાને જ હરાવી દીધી છે. ” આ વાક્યમાં બહુ મોટી તાકાત છે. આ વખતે પેરાલમ્પિકમાં આપણા દેશમાંથી 3 મહિલાઓ સહિત 19 ખેલાડીઓએ ભાગ લીધો. અન્ય ખેલાડીઓની સરખામણીએ જયારે દિવ્યાંગો રમે છે, તો શારીરિક ક્ષમતા, રમતનું કૌશલ્ય, આ બધા કરતા પણ મોટી વાત હોય છે. ઇચ્છાશકિત, સંકલ્પશકિત..

આપણને એ જાણીને સુખદ આશ્ચર્ય થશે કે, આપણા ખેલાડીઓએ આજ સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 4 ચંદ્રક મેળવ્યા છે. જેમાં 2 સુવર્ણ, 1 રજત અને 1 કાંસ્ય ચંદ્રક સામેલ છે. સુવર્ણચંદ્રક મેળવનારા ભાઇ દેવેન્દ્ર ઝાઝરિયા ભાલાફેંકમાં તેઓ બીજીવાર સુવર્ણચંદ્રક જીત્યા અને તે પણ 12 વર્ષ પછી ફરીવાર જીત્યા. 12 વરસમાં ઉંમર વધી જાય છે. એકવાર સુવર્ણચંદ્રક જીત્યા પછી જુસ્સો પણ કંઇક ઓછો થઇ જાય છે. પરંતુ દેવેન્દ્રે બતાવી આપ્યું કે, શરીરની અવસ્થા, કે ઉંમરનું વધવું તેમના સંકલ્પને કયારેય નબળો ન પાડી શક્યા અને 12 વર્ષ પછી બીજીવાર તેઓ સુવર્ણચંદ્રક લઇ આવ્યા. અને તેઓ જન્મથી દિવ્યાંગ નહોતો. વીજળીનો કરંટ લાગવાથી તેમને પોતાનો એક હાથ ખોવો પડ્યો હતો. તમે વિચારો, જે માણસ 23 વરસની ઉંમરે પહેલો સુવર્ણચંદ્રક મેળવે અને 35 વર્ષની ઉંમરે બીજો સુવર્ણચંદ્રક મેળવે. તેમણે જીવનમાં કેટલી મોટી સાધના કરી હશે. મરિયપ્પન થંગાવેલું (high jump) ઊંચા કૂદકામાં સુવર્ણચંદ્રક જીત્યા. અને થંગાવેલુએ કેવળ 5 વરસની ઉંમરમાં પોતાનો જમણો પગ ગુમાવ્યો હતો. ગરીબી પણ તેમના સંક્લપની આડે ના આવી. તેઓ ન તો મોટા શહેરમાં રહેનારા છે કે, ના મધ્યમવર્ગીય અમીર પરિવારમાંથી આવે છે. 21 વરસની ઉંમરમાં મુશ્કેલીઓ ભરેલી જીંદગીમાંથી પસાર થવા છતાં પણ, શારીરિક મુશ્કેલીઓ વચ્ચે પણ સંકલ્પબળથી દેશને ચંદ્રક અપાવ્યો. રમતવીરાંગના દીપા મલિકના નામ સાથે તો અનેક પ્રકારની વિજયપતાકાઓ લહેરાવવાનું ગૌરવ જોડાઇ ચૂક્યું છે.

વરૂણ સી. ભાટીએ ઊંચીકૂદમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો. પેરાલિમ્પિકના આ ચંદ્રકોનું મહાત્મ્ય તો છે જ, પરંતુ આપણા દેશમાં, આપણા સમાજમાં, આપણા આડોશ-પાડોશમાં, આપણા જે દિવ્યાંગ ભાઇઓ-બહેનો છે તેમના તરફ જોવા માટે આ ચંદ્રકોએ બહુ મોટું કામ કર્યું છે. આપણી સંવેદનાઓ તો જગાડી છે જ, પરંતુ આ દિવ્યાંગજનો તરફ જોવાનો આપણો દ્રષ્ટિકોણ પણ બદલી નાખ્યો છે. બહુ ઓછા લોકોને એ ખબર હશે કે આ વખતના પેરાલમ્પિકમાં આ દિવ્યાંગજનોએ કેવું પરાક્રમ કરી બતાવ્યું છે. થોડા દિવસ પહેલા, તે જ સ્થાને ઓલિમ્પિક્સ સ્પર્ધા થયેલી. કોઇ વિચારી શકે છે કે, સામાન્ય ઓલિમ્પિકસના વિક્રમને પણ દિવ્યાંગ લોકોએ તોડી નાખે. નવો વિક્રમ સ્થાપે. આ વખતે તે બન્યું છે. 1500 મીટરની જે દોડ હોય છે, જેમાં ઓલિમ્પિકસની જે સ્પર્ધા હતી તેમાં સુવર્ણચંદ્રક મેળવનારાઓ જે વિક્રમ સર્જયો હતો તે વિક્રમને અલ્જિરિયાના અબ્દેલલતીફ બાકાએ દિવ્યાંગો માટેની 1500 મીટરની સ્પર્ધામાં 1 પૂર્ણાંક 7 દશાંશ સેકન્ડ ઓછા સમયથી તોડીને નવો વિક્રમ સ્થાપ્યો. એટલું જ નહીં, મને અચરજ તો ત્યારે થયું કે, દિવ્યાંગજનોમાં જેનો ચોથો નંબર આવ્યો તેને દોડવીર સ્પર્ઘકના નાતે કોઇ ચંદ્રક ના મળ્યો. પરંતુ તે પણ સામાન્ય દોડવીરોની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતનારા કરતા પણ ઓછા સમયમાં દોડ્યો હતો. હું ફરી એકવાર આપણા આ તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આગામી દિવસોમાં ભારત પેરાલમ્પિકસ માટે પણ, તેના વિકાસ માટે પણ એક સુચારૂ યોજના બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

મારા વ્હાલા દેશવાસીઓ, ગયા અઠવાડિયે મને ગુજરાતના નવસારીમાં અનેક અદભૂત અનુભવ થયા. ખૂબ લાગણીસભર પળો હતી મારા માટે. દિવ્યાંગજનો માટે ભારત સરકારનો એક મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો અને તે જિવસે ઘણાબધા વિશ્વવિક્રમ સ્થપાયા. અને ત્યાં મને એક નાનકડી દિકરી ગૌરી શાર્દુલ કે દુનિયા જોઇ નથી શકતી અને તે પણ ડાંગ જિલ્લાના દૂરદૂરના જંગલ વિસ્તારમાંથી આવેલી બહુ નાની દિકરી હતી. તેણે મને રામાયણના કેટલાક અંશ સંભળાવ્યા. તેને કાવ્યમય પઠન દ્વારા પૂરી રામાયણ કંઠસ્થ છે. તો ત્યાં લોકો સામે પણ તેને રજૂ કરી તો લોકો અચંબિત હતા. તે દિવસે મને એક પુસ્તકના લોકાર્પણની પણ તક મળી. તે પુસ્તકમાં કેટલાક દિવ્યાંગજનોની સફળ ગાથાઓને સંગ્રહિત કરાઇ છે. બહુ પ્રેરક ઘટનાઓ હતી. ભારત અને નવસારીની ધરતી પર વિશ્વરેકોર્ડ બનાવ્યો જેને હું મહત્વપૂર્ણ માનું છું. તેમાં આઠ જ કલાકની અંદર જેઓ સાંભળી નહોતા શકતા તેવા છસ્સો દિવ્યાંગજનને સાંભળવા માટેના મશીનો કાનમાં ગોઠવી આપવાનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં તેને સ્થાન મળ્યું. એક જ દિવસમાં દિવ્યાંગો દ્વારા ત્રણત્રણ વિશ્વવિક્રમ સ્થાપાવા તે આપણે સૌ દેશવાસીઓ માટે ગૌરવની વાત છે.

મારા વ્હાલા દેશવાસીઓ, બે વર્ષ પહેલા બીજી ઓકટોબરે પૂજય બાપુની જન્મજયંતી પર સ્વચ્છ ભારત મિશનનો આપણે પ્રારંભ કર્યો હતો. અને તે દિવસે મેં કહ્યું હતું કે, સ્વચ્છતાનો આપણો સ્વભાવ બનવો જોઇએ. દરેક નાગરિકની ફરજ બનવી જોઇએ. ગંદકી પ્રત્યે નફરતનું વાતાવરણ બનવું જોઇએ. હવે બીજી ઓકટોબરે જયારે બે વર્ષ થઇ રહ્યા છે ત્યારે હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે, દેશના સવાસો કરોડ દેશવાસીઓના દિલમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધી છે. અને મેં કહ્યું હતું, એક કદમ સ્વચ્છતાની તરફ. આજે આપણે બધા કહી શકીએ છીએ કે, હર કોઇએ એક ડગલું આગળ વધવાનો પ્રયાસ કર્યો છે. અર્થાત્ દેશ સ્વચ્છતાની તરફ સવાસો કરોડ ડગલાં આગળ વધ્યો છે. એ પણ નક્કી થઇ ચૂક્યું છે કે, દિશા સાચી છે. તેના ફળ કેટલા સારા હોય છે, થોડા એવા પ્રયાસથી શું થાય છે તે પણ જોવા મળ્યું છે. અને એટલા માટે ચાહે સામાન્ય નાગરિક હોય, ચાહે શાસક હોય, ચાહે સરકારી કચેરી હોય અથવા રસ્તો હોય. બસ સ્ટેશન હોય કે, રેલવે હોય, શાળા અથવા કોલેજ હોય, ધાર્મિક સ્થળ હોય, હોસ્પિટલ હોય, હરકોઇ, બાળકથી લઇને વૃદ્ધો સુધી, ગામ, ગરીબ, ખેડૂતો, મહિલાઓ, સૌ કોઇ સ્વચ્છતાની બાબતમાં કંઇકને કંઇક યોગદાન આપી રહ્યા છે. મીડિયાના મિત્રોએ પણ એક હકારાત્મક ભૂમીકા ભજવી છે. અલબત્ત આપણે હજી પણ ઘણું આગળ જવાનું છે. પરંતુ શરૂઆત સારી થઇ છે. પ્રયાસો ભરપૂર થયા છે. હું ઇચ્છું છું કે, આ કૂચ જારી રહે. અને આપણે સફળ થઇશું તેવો વિશ્વાસ પણ પેદા થયો છે. આ પણ જરૂરી હોય છે. અને એટલા માટે જો ગ્રામીણ ભારતની વાત કરીએ તો અત્યાર સુધી બે કરોડ 48 લાખ એટલે કે લગભગ અઢી કરોડ શૌચાલય બંધાઇ ચૂક્યા છે. અને આગામી એક વરસમાં વધુ દોઢ કરોડ શૌચાલય બનાવવાનો ઇરાદો છે. આરોગ્ય માટે, નાગરિકોના સન્માન માટે, ખાસ કરીને માતાઓ-બહેનોના સન્માન માટે, ખુલ્લામાં ઝાડે જવાની કુટેવ બંધ થવી જ જોઇએ. અને એટલા માટે જ open defecation free – ODF – એટલે કે ખુલ્લામાં જાજરૂ જવાની ટેવથી મુક્તિનું એક અભિયાન જોરશોરથી ચાલ્યું છે. રાજયો-રાજયો વચ્ચે, એક તંદુરસ્ત સ્પર્ધા ચાલી રહી છે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કેરળ ખુલ્લામાં ઝાડે જવાની ટેવથી મુક્તિની દિશામાં બહુ નજીકના ભવિષ્યમાં સંપૂર્ણ સફળતા મેળવશે. તાજેતરમાં હું ગુજરાત ગયો હતો, તો અધિકારીઓએ મને જણાવ્યું કે, પોરબંદર કે જે મહાત્મા ગાંધીનું જન્મસ્થાન છે તે આ બીજી ઓકટોબરે સંપૂર્ણપણે ODFનું લક્ષ્ય સિદ્ધ કરી લેશે. જેમણે આ કામ કર્યું છે તેઓને અભિનંદન. જે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને શુભેચ્છા અને દેશવાસીઓને મારો આગ્રહ છે કે, મા-બહેનોના સન્માન માટે, નાના-નાના બાળકોના આરોગ્ય માટે, આપણે આ સમસ્યાથી દેશને આઝાદ કરાવવાનો છે. આવો, આપણે સંકલ્પ કરીને આગળ વધીએ. ખાસ કરીને નવયુવાન મિત્રો કે જેઓ આજકાલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરે છે તેમના માટે હું એક યોજના પ્રસ્તુત કરવા માંગુ છું. સ્વચ્છતા અભિયાનની તમારા શહેરમાં શું સ્થિતિ છે તે જાણવાનો હક્ક હર કોઇને છે. અને એટલા માટે ભારત સરકારે એક ટેલિફોન નંબર આપ્યો છે – 1969. આપણે જાણીએ છીએ 1869માં મહાત્મા ગાંધીનો જન્મ થયો. 1969માં આપણે મહાત્મા ગાંધીની શતાબ્દિ ઉજવી હતી. અને 2019માં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ઉજવવાના છીએ. આ 1969 નંબર પર ફોન કરીને કેવળ તમારા શહેરમાં શૌચાલયોના નિર્માણની સ્થિતિ તો જાણી શકશો જ, પરંતુ શૌચાલય બનાવવા માટે આવેદન પણ કરી શકશો. આપ જરૂર તેનો લાભ ઉઠાવો. એટલું જ નહીં, સફાઇને લગતી ફરિયાદો અને તે ફરિયાદોના નિરાકરણની સ્થિતિ જાણવા માટે એક સ્વચ્છતા એપની શરૂઆત કરી છે. આપ તેનો પૂરો ફાયદો ઉઠાવો, ખાસ કરીને યુવા પેઢી તેનો ફાયદો ઉઠાવે. ભારત સરકારે કોર્પોરેટ જગતને પણ અપીલ કરી છે કે, તેઓ આમાં આગળ આવે. જેઓ સ્વચ્છતા માટે કામ કરવા માગે છે. એવા યુવાન વ્યાવસાયિકો (પ્રોફેશનલ્સ)ને સ્પોન્સર કરે. જિલ્લાઓમાં તેમને સ્વચ્છ ભારત ફેલોઝના રૂપમાં મોકલી શકાય છે.

આ સ્વચ્છતા અભિયાન કેવળ સંસ્કારો સુધી મર્યાદિત રાખવાથી પણ વાત નહીં બને. સ્વચ્છતા સ્વભાવ બની જાયે એટલું જ પૂરતું નથી. આજના યુગમાં સ્વચ્છતાની સાથે જે રીતે આરોગ્ય જોડાય છે. તે રીતે સ્વચ્છતાની સાથે આવકની બાબત પણ અનિવાર્ય છે. કચરામાંથી કંચન એ પણ તેનું એક અંગ બનવું જરૂરી છે. અને એટલા માટે સ્વચ્છતા અભિયાનની સાથેસાથે કચરામાંથી ખાતર તરફ પણ આપણે આગળ વધવાનું છે. ઘનકચરાનું પ્રોસેસિંગ થાય. તે કચરો ખાતર બનાવવામાં કામ આવે, અને તેના માટે સરકાર તરફથી નીતિવિષયક દરમિયાનગીરીથી પણ શરૂઆત કરવામાં આવી છે. ખાતર કંપનીઓને કહેવામાં આવ્યું છે કે, તેઓ કચરામાંથી જે કંમ્પોસ્ટ – સેન્દ્રિય ખાતર તૈયાર થાય છે તેને ખરીદી લે. અને જે ખેડૂતો સજીવખેતીમાં જવા ઇચ્છે છે તેમને આ ખાતર પહોંચતું કરે. જે લોકો પોતાની જમીનની તંદુરસ્તી સુધારવા ઇચ્છે છે, ધરતીની તબિયતની ચિંતા કરે છે, રાસાયણિક ખાતરોના કારણે જયાં સારૂં એવું નુકસાન થઇ ચૂક્યું છે તે અટકાવવા માગે છે તેવા ખેડૂતોને જો થોડા પ્રમાણમાં આ પ્રકારના ખાતરની જરૂર હોય તો કંપનીઓ તેમને આવું ખાતર આપે. અને શ્રીમાન અમિતાભ બચ્ચનજી – બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં આ કામમાં ઘણું યોગદાન આપી રહ્યા છે. હું નવયુવાનોને વેસ્ટ ટુ વેલ્થ – કચરામાંથી કંચન ઝુંબેશમાં નવા-નવા સ્ટાર્ટ અપ માટે પણ નિમંત્રિત કરૂં છું. એવા સાધનો વિકસાવો, એવી ટેકનોલોજી વિકસાવો, સસ્તામાં તેના જથ્થાબંધ ઉત્પાદનનું કામ કરો. આ કરવા જેવું કામ છે. રોજગારની પણ બહુ મોટી તક છે. ઘણીમોટી આર્થિક પ્રવૃત્તિઓની પણ આમાં તક છે. અને કચરામાંથી સંપત્તિનું સર્જન કરવામાં સફળ થઇ શકાય છે. આ વર્ષે 25મી સપ્ટેમ્બરથી 2 ઓકટોબર સુધી એક વિશેષ કાર્યક્રમ – ઇન્ડોસન – ભારત સ્વચ્છતા પરિષદ પણ યોજાઇ રહી છે. દેશભરમાંથી મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, મહાનગરોના મેયર, કમિશ્નર, આ બધા મળીને, માત્રને માત્ર સ્વચ્છતા પર ઊંડું ચિંતન-મનન કરવાના છે. ટેકનોલોજીમાં શું થઇ શકે છે ? આર્થિક માળખું શું હોઇ શકે છે ? લોકભાગીદારી કેવી રીતે કરી શકાય છે ? આમાં રોજગારીની તકો કેવી રીતે વધારી શકાય છે ? તમામ વિષયો પર ચર્ચા થવાની છે. અને હું તો જોઇ રહ્યો છું કે, સ્વચ્છતા અંગેની લગાતાર નવીનવી ખબરો આવી રહી છે. હમણાં એક દિવસ મેં છાપામાં વાંચ્યું કે, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ 107 ગામોમાં જઇને શૌચાલય બાંધવાનું જાગૃતિ અભિયાન ચલાવ્યું. તેમણે જાતે શ્રમ કર્યો અને લગભગ 9 હજાર શૌચાલય બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું. થોડા દિવસ પહેલા તમે જોયું હશે કે, વિંગકમાન્ડર પરમવીરસિંહની આગેવાનની હેઠળ એક ટુકડીએ તો ગંગામાં દેવપ્રયાગથી લઇને ગંગાસાગર સુધી, 2800 કિલોમીટરની યાત્રા તરીને કરી અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો.

ભારત સરકારે પણ પોત-પોતાના વિભાગોમાં એક આખા વરસનું કેલેન્ડર સમયપત્રક બનાવ્યું છે. દરેક વિભાગ 15 દિવસ વિશેષરૂપે સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રીત કરશે. આગામી ઓકટોબર મહિનામાં 1 થી 15 ઓકટોબર સુધી પેયજળ અને સ્વચ્છતા વિભાગ, પંચાયતી રાજ વિભાગ અને ગ્રામવિકાસ વિભાગ એમ ત્રણેય મળીને પોતપોતાના ક્ષેત્રમાં સ્વચ્છતા વધારવાનું આયોજન કરીને કામ કરવાના છે. અને ઓકટોબર મહિનાના છેલ્લા બે અઠવાડિયા 16 ઓકટોબરથી 31 ઓકટોબર દરમિયાન અન્ય ત્રણ વિભાગો કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગ, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ વિભાગ અને ગ્રાહક બાબતોનો વિભાગ, આ ત્રણ વિભાગો 15 દિવસ પોતાની સાથે જોડાયેલા જે ક્ષેત્રો છે, ત્યાં સફાઇ અભિયાન ચલાવશે. મારો નાગરિકોને પણ અનુરોધ છે કે, વિભાગો દ્વારા જે કામ ચાલે છે. તેમાં આપનો કયાંય પણ સંબંધ આવતો હોય તો આપ પણ જોડાઇ જાઓ. આપે જોયું હશે કે અત્યારે સ્વચ્છતાનું સર્વે અભિયાન પણ ચાલે છે. પહેલા એકવાર 73 શહેરોનો સર્વે કરીને સ્વચ્છતાની શું સ્થિતિ છે તેનો અહેવાલ દેશની જનતા સમક્ષ રજૂ કરાયો હતો. હવે એકલાખથી વધારે વસતીવાળા દેશના જે 500 જેટલા શહેરો છે તેમનો વારો છે અને તેના લીધે દરેક શહેરમાં એક વિશ્વાસ જન્મે છે કે, ચાલો ભાઇ આપણે પાછળ રહી ગયા, પરંતુ આવતી વખત આપણે કંઇક સારૂં કરીશું. સ્વચ્છતાની એક સ્પર્ધાનું વાતાવરણ બન્યું છે.

હું આશા રાખું છું કે, આપણે બધા નાગરિકો આ અભિયાનમાં જેટલું યોગદાન આપી શકીએ તેમ છીએ તેટલું આપીએ. આગામી બીજી ઓકટોબર મહાત્મા ગાંધી અને લાલબહાદૂર શાસ્ત્રીજીની જન્મજયંતી છે. સ્વચ્છ ભારત અભિયાનને પણ બે વર્ષ થઇ રહ્યા છે. ગાંધી જયંતીથી દિવાળી સુધી ખાદીનું કંઇક ને કંઇક ખરીદવાનો હું આગ્રહ કરતો જ રહું છું. આ વખતે પણ મારો આગ્રહ છે કે, દરેક પરિવારમાં ખાદીની કોઇક ને કોઇક ચીજ હોવી જોઇએ, જેથી ગરીબના ઘરમાં દિવાળીનો દીવો પ્રગટી શકે. આ બીજી ઓકટોબરે જયારે રવિવાર છે, એક નાગરિકના નાતે આપણે પોતે સ્વચ્છતાના કામમાં કયાંક ને કયાંક જોડાઇ શકીએ ખરા ? 2 કલાક, 4 કલાક, શારીરિક રીતે આપ સફાઇના કામમાં જાતે જોડાવ. અને હું આપને કહું છું કે, આપ જે સફાઇ અભિયાનમાં જોડાવ તેનો એક ફોટો મને નરેન્દ્ર મોદી એપ પર (શેર કરો) મોકલી આપો. વિડિયો હોય તો વિડિયો મોકલો. જો જો પૂરા દેશમાં આપણા પ્રયાસોથી ફરી એકવાર આ આંદોલનને નવું બળ મળી જશે, નવી ગતિ મળી જશે. મહાત્મા ગાંધી અને લાલબહાદૂર શાસ્ત્રીનું પુણ્ય સ્મરણ કરીને આપણે દેશ માટે કંઇક ને કંઇક કરવાનો સંકલ્પ કરીએ.

મારા વ્હાલા દેશવાસીઓ, જીવનમાં આપવાનો સ્વયં એક આનંદ હોય છે. કોઇ એને માન્યતા આપે કે ન આપે. આપવાનો આનંદ અદભૂત હોય છે. અને મેં તો જોયું છે કે, ભૂતકાળમાં જયારે ગેસ સબસીડી છોડવાનું મેં કહ્યું અને દેશવાસીઓએ જે પ્રતિસાદ આપ્યો તે પોતે જ ભારતના રાષ્ટ્રીય જીવનની એક બહુ મોટી પ્રેરણાદાયક ઘટના છે. આ વખતે આપણા દેશમાં કેટલાક નવયુવાનો, નાના-મોટા સંગઠનો, કોર્પોરેટ જગતના લોકો, શાળાઓ, કેટલિક સ્વૈચ્છિક સંસ્થાઓ, આ બધા મળીને 2 ઓકટોબરથી 8 ઓકટોબર સુધી શહેરોમાં “joy of Giving week” આપવાના આનંદનું અઠવાડિયું ઉજવવાના છે. જરૂરિયાતવાળા લોકોને ખાવાની ચીજવસ્તુઓ, કપડા આ બધું એકઠું કરીને પહોંચાડવાનું તેમનું અભિયાન છે. હું જયારે ગુજરાતમાં હતો ત્યારે અમારા બધા કાર્યકર્તાઓ શેરીઓમાં નીકળી પડતા હતા અને પરિવારો પાસે જે જૂના રમકડા હોય તે દાનમાં માગતા હતા અને જે રમકડા આપતા હતા તે ગરીબ વિસ્તારોની જે આંગણવાડીઓ હોય તેને બેટ આપી દેતા હતા. તે ગરીબ બાળકોને પેલા રમકડા જોઇને જે અદભૂત આનંદ થતો હતો તે જોઇને એમ થતું તું કે વાહ ! શું આનંદ છે ! ! હું માનું છું કે, આ “joy of Giving week” જે શહેરોમાં ઉજવાવાનું છે ત્યાં નવયુવાનોનો ઉત્સાહ આપણે વધારવો જોઇએ. તેમને મદદ કરવી જોઇએ. આ એક પ્રકારનો દાન ઉત્સવ છે. જે નવયુવાનો આ કામમાં લાગેલા છે તેમને હું દિલથી ખૂબખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

મારા વ્હાલા દેશવાસીઓ આજે 25મી સપ્ટેમ્બર છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતીનું આ પર્વ છે અને આજથી તેઓના જન્મશતાબ્દિ વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે. મારા જેવા લાખો કાર્યકર્તા જે રાજકીય વિચારસરણીને લઇને કામ કરી રહ્યા છે, તે રાજકીય વિચારસરણીને વ્યાખ્યાયિત કરવાનું કામ, ભારતના મૂળ સાથે જોડાયેલી રાજનીતિના પક્ષદર, ભારતના સાંસ્કૃતિક વારસાને પુરસ્કૃત કરવાના પ્રયાસવાળી વિચારણસરણી સાથે જેમણે પોતાનું એક રાજનૈતિક દર્શન આપ્યું, એકાત્મ – માનવ દર્શન આપ્યું, તેવા પંડિત દિનદયાળજીની શતાબ્દિનું વર્ષ આજે શરૂ થઇ રહ્યું છે. “સર્વજન હિતાય – સર્વજન સુખાય” અંત્યોદયનો સિધ્ધાંત તેઓની દેણ છે. મહાત્મા ગાંધી પણ છેવાડાની વ્યકિતના કલ્યાણની વાત કરતા હતા. વિકાસના ફળ ગરીબમાં ગરીબ માનવીને કેવી રીતે મળે ? દરેક હાથને કામ, દરેક ખેતરને પાણી, બે જ શબ્દોમાં પૂરી આર્થિક કાર્યસૂચિ તેઓએ આપી દીધી હતી. દેશ તેમના જન્મશતાબ્દિ વર્ષને “ ગરીબ કલ્યાણ વર્ષ ”ના રૂપમાં મનાવે, સમાજનું સરકારોનું, હરકોઇનું ધ્યાન વિકાસના લાભ ગરીબને કેવી રીતે મળે, તેના પર કેન્દ્રીત થશે ત્યારે જ દેશને આપણે ગરીબીથી મુક્તિ અપાવી શકીએ છીએ. તેના ભાગરૂપે જયાં પ્રધાનમંત્રીનું નિવાસસ્થાન છે અને જે માર્ગ આજસુધી અંગ્રેજોના “ રેસક્રોર્સ રોડ ”ના નામથી જ ઓળખાતો હતો તેનું પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે “ લોકકલ્યાણ માર્ગ ” નામ કરી દેવામાં આવ્યું છે. આ જ શતાબ્દી વર્ષના “ ગરીબ કલ્યાણ વર્ષ ”નું આ એક પ્રતિકાત્મક સ્વરૂપ છે. આપણા બધાના પ્રેરણાપુરૂષ આપણી વૈચારીક વારસાના દાતા શ્રધ્ધેય પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીને હું આદરપૂર્વક નમન કરૂં છું.

મારા વ્હાલા દેશવાસીઓ, વિજયાદશમીના દિવસે જે બે વર્ષ પહેલાં મેં “ મન કી બાત ”ની શરૂઆત કરી હતી. આ વિજયાદશમીના પર્વે તેના બે વર્ષ પૂરા થઇ જશે. આમાં મારો એક પ્રામાણિક પ્રયત્ન રહ્યો છે કે, “ મન કી બાત ” એ સરકારી કામોના ગુણગાન કરવાનો કાર્યક્રમ નહીં બનવો જોઇએ. આ મન કી બાત રાજકીય ટીકા-ટિપ્પણીઓનો કાર્યક્રમ ન બનવો જોઇએ. આ “ મન કી બાત ” આરોપ – પ્રતિઆરોપનો કાર્યક્રમ ના બની રહેવો જોઇએ. 2 વર્ષ સુધી જાતજાતના દબાણો છતાં, કોઇકોઇ વાર તો મન લલચાઇ જાય, પરંતુ આ પ્રકારનું પ્રલોભનાત્મક વાતાવરણ હોવા છતાં પણ કોઇકોઇવાર નારાજગી સાથે કોઇ વાત કહેવાનું મન પણ થઇ જાય, ત્યાં સુધી દબાણો ઊભા થયા, પરંતુ આપ સૌના આશીર્વાદથી મન કી બાતને તે બધાંથી બચાવી રાખીને સામાન્ય માનવી સાથે જોડવાનો મારો પ્રયાસ રહ્યો છે. આ દેશનો અદનો માનવી મને કઇ રીતે પ્રેરણા આપતો રહ્યો છે ? આ દેશના સામાન્ય માનવીની આશા-આકાંક્ષાઓ શી છે ? અને મારા દિલોદિમાગ પર જે દેશનો સામાન્ય માનવી છવાયેલો રહે છે, તે જ મન કી બાતમાં હંમેશા હંમેશા પ્રગટ થતો રહ્યો છે. દેશવાસીઓ માટે મન કી બાત માહિતી મેળવવાની તક બની શકે છે, પરંતુ મન કી બાત મારા સવાસો કરોડ દેશવાસીઓની શકિતનો અહેસાસ કરવાનો, મારા દેશના સવાસો કરોડ દેશવાસીઓના સામર્થ્યનું વારંવાર સ્મરણ કરવાનો, અને તેનાથી કામ કરવાની પ્રેરણા મેળવવાનો, જ કાર્યક્રમ મારા માટે બની રહ્યો છે. આ અઠવાડિયે જયારે તેના બે વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે ત્યારે મન કી બાતની આપે જે રીતે પ્રશંસા કરી, જે પ્રકારે તેમાં સુધારો કર્યો, જે રીતે તેને આશીર્વાદ આપ્યા તે બધા માટે હું સૌ શ્રોતાજનોનો દિલથી આભાર વ્યકત કરૂં છું. હું આકાશવાણીનો પણ આભારી છું કે, જેણે મારી આ વાતોને પ્રસારિત કરી એટલું જ નહીં, પરંતુ તેને બધી ભાષાઓમાં પહોંચાડવાના ભરચક પ્રયાસો કર્યાં. હું તે દેશવાસીઓનો પણ આભારી છું કે, જેમણે મન કી બાત પછી પત્રો લખીને, સૂચનો કરીને સરકારના બારણા ખટખટાવ્યા. સરકારની ત્રુટીઓ પર પ્રકાશ ફેંક્યો અને આકાશવાણીએ આ પત્રો પર વિશેષ કાર્યક્રમ કરીને, સરકારના પ્રતિનિધિઓને બોલાવીને, સમસ્યાઓના હલ માટે મંચ પૂરો પાડ્યો. એટલે, મન કી બાત કેવળ 15 – 20 મીનીટનો સંવાદ માત્ર નથી. પરંતુ સમાજ પરિવર્તનની એક નવી તક બની રહ્યો. કોઇ પણ માટે આનાથી મોટું સંતોષનું બીજું કયું કારણ કોઇ શકે ? અને એટલા માટે તેને સફળ બનાવવામાં જોડાયેલા સૌ કોઇને પણ હું ધન્યવાદ આપું છું. તેઓનો આભાર માનું છું.

મારા વ્હાલા દેશવાસીઓ, આવતા અઠવાડિયે નવરાત્રિ અને દુર્ગાપૂજાના પર્વો, વિજયાદશમીનું પર્વ, દિવાળીની તૈયારીઓની એક રીતે એક અલગ જ પ્રકારનું વાતાવરણ પૂરા દેશમાં હોય છે. તે શકિત ઉપાસનાનું એક પર્વ હોય છે. સમાજની એકતા જ દેશની શકિત હોય છે. પછી એ નવરાત્રિ હોય કે, દુર્ગાપૂજા, તે શકિતની ઉપાસના,સમાજની એકતાની ઉપાસનાનું પર્વ કેવી રીતે બને ? માનવી-માનવીને જોડનારૂં પર્વ કેવી રીતે બને ? અને તે જ સાચી શકિતની સાધના બને ત્યારે જ આપણે હળીમળીને વિજયનું પર્વ ઉજવી શકીએ છીએ. આવો, શકિતની સાધના કરીએ. એકતાના મંત્રને લઇને ચાલીએ. રાષ્ટ્રને નવી ઊંચાઇએ લઇ જવા માટે શાંતિ, એકતા, સદભાવની સાથે નવરાત્રિ અને દુર્ગાપૂજાનું પર્વ ઉજવીએ,વિજયાદશમીના વિજયની ઉજવણી કરીએ.

સૌને ખૂબ ખૂબ ધન્યવાદ..

J.Khunt/TR/GP