Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારત સેવાશ્રમ સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીને (વીડિયો કોન્ફરન્સ દ્વારા ) સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ ભારત સેવાશ્રમ સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીને (વીડિયો કોન્ફરન્સ દ્વારા ) સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારત સેવાશ્રમ સંઘના શતાબ્દી વર્ષની ઉજવણી કાર્યક્રમને સંબોધન કર્યું. આ કાર્યક્રમ શિલોંગ ખાતે યોજાઈ રહ્યો છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીને આવકારતા ભારત સેવાશ્રમ સંઘના જનરલ સેક્રેટરી શ્રીમત સ્વામી બિશ્વાત્માનંદજી મહારાજે ભારતની ભવ્ય આધ્યાત્મિક અને સેવાકીય પરંપરા વિષે વાત કરી.

શ્રોતાઓને સંબોધતા પ્રધાનમંત્રીએ તે સમયને યાદ કર્યો જયારે તેમણે ગુજરાતમાં ભારત સેવાશ્રમ સંઘ સાથે કામ કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભારત સેવાશ્રમ સંઘ કે જે સેવા અને શ્રમના સદગુણોથી બનેલું છે,
તેને પોતાની શુભેચ્છાઓ આપી.

તેમણે જણાવ્યું કે ઉતર પૂર્વમાં અને આપત્તિના સમયે ખાસ કરીને સંસ્થાનું કાર્ય પ્રશંસનીય રહ્યું છે.

પ્રધાનમંત્રીએ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના મહત્વને સમજાવ્યું.

તેમણે કહ્યું કે ભારત સેવાશ્રમ સંઘના સ્થાપક સ્વામી પ્રણવાનંદે એક સદી પહેલા સામાજિક ન્યાયની વાત કરી હતી અને એ જ ઉદ્દેશ્ય સાથે સંઘની સ્થાપના કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, તાજેતરના સમયમાં એક ભ્રમણા ઉત્પન્ન થયેલી છે કે સેવા અને આધ્યાત્મિકતા એ બે અલગ બાબતો છે. તેમણે કહ્યું કે ભારત સેવાશ્રમ સંઘ તેમના કાર્ય દ્વારા આ ભ્રમને તોડવામાં સક્ષમ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સ્વામી પ્રણવાનંદે ‘ભક્તિ’, ‘શક્તિ’ અને ‘જન શક્તિ’ દ્વારા સામાજિક વિકાસને પ્રાપ્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારત સેવાશ્રમ સંઘને ખાસ કરીને ઉત્તર પૂર્વીય ભારતમાં “સ્વચ્છાગ્રહ’ અથવા સ્વચ્છતા પ્રત્યે કાર્ય કરવાની વિનંતી કરી. તેમણે સરકારના ઉતર પૂર્વીય રાજ્યોનો વિકાસ કરવાની નેમ વિષે વાત કરી અને ઉમેર્યું કે ઉત્તર પૂર્વનો વિકાસ કરવા માટે બાંધકામ અને જોડાણો ઉપર ભાર મુકવાથી તેને દક્ષિણ પૂર્વ એશિયાનું દ્વાર બનાવી શકાય તેમ છે.

શ્રીમત સ્વામી અમ્બરીશાનંદજી મહારાજ કે જેમણે ગુજરાતમાં પ્રધાનમંત્રી સાથે કામ કર્યું હતું અને પ્રધાનમંત્રીના પ્રવચન દરમિયાન જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેમણે આ પ્રસંગે આભારવિધી વ્યક્ત કરવાની દરખાસ્ત મૂકી.

પ્રધાનમંત્રીના વક્તવ્યના કેટલાક અંશો નીચે મુજબ છે:

“દિલ્હી અને શિલોંગની વચ્ચે આશરે 2 હજાર કિલોમીટરનું અંતર છે પણ ટેકનોલોજીએ આ અંતરને દૂર કરી નાખ્યું છે. ગયા વર્ષે મેં મહિનામાં જ હું શિલોંગ ગયો હતો.

આજે જયારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આપ સૌની સાથે વાત કરવાનો મોકો મળ્યો છે તો અનેક યાદો તાજા થઇ ગઈ છે.

ગુજરાતમાં મને ભારત સેવાશ્રમ સંઘના અધ્યક્ષ રહી ચૂકેલા સ્વર્ગીય સ્વામી અક્ષયાનંદજી મહારાજની સાથે કામ કરવાનો અવસર મળ્યો હતો.

મંચ પર ઉપસ્થિત સ્વામી અમ્બરીશાનંદજી મહારાજજી તો ગુજરાત યુનિટના અધ્યક્ષ રહી ચૂક્યા છે. સ્વામી ગનેશાનંદજીના અનુભવોથી પણ મને ઘણું બધું શીખવાનો મોકો મળ્યો છે.

આચાર્ય શ્રીમત સ્વામી પ્રણવાનંદજી મહારાજ દ્વારા સ્થાપિત ભારત સેવાશ્રમ સંઘે આ વર્ષે પોતાની યાત્રાના 100 વર્ષ પૂર્ણ કર્યા છે.

સેવા અને શ્રમને ભારત નિર્માણ માટે સાથે લાવીને ચાલનારા સંઘના બધા જ સદસ્યોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ.

કોઈ પણ સંસ્થા માટે તે ખૂબ ગૌરવનો વિષય હોય છે કે તેની સેવાનો વિસ્તાર સો વર્ષ પુરા કરી રહ્યો હોય. ખાસ કરીને ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભારત સેવાશ્રમ સંઘના જન કલ્યાણકારી કાર્યો ખૂબ પ્રશંસનીય રહ્યા છે.

પુર હોય કે દુષ્કાળ, કે પછી ભૂકંપ, ભારત સેવાશ્રમ સંઘના સદસ્યો પૂરી તન્મયતાથી પીડિતોને રાહત પહોંચાડતા જોવા મળે છે.

આપત્તિના સમયે જયારે માણસને મદદની સૌથી વધારે જરૂર હોય છે તો સ્વામી પ્રણવાનંદજીના શિષ્યો બધું જ ભૂલીને માત્ર અને માત્ર માનવ સેવામાં લાગી જાય છે.

પીડિત મનુષ્યની સેવા તો આપણા શાસ્ત્રોમાં તીર્થયાત્રા સમાન માનવામાં આવી છે.

કહેવામાં આવ્યું છે –

एकत: क्रतव: सर्वे सहस्त्र वरदक्षिणा अन्यतो रोग-भीतानाम् प्राणिनाम् प्राण रक्षणम् 

અર્થાત, એક બાજુ વિધિ પૂર્વક બધાને સારી દક્ષિણા આપીને કરવામાં આવેલું યજ્ઞ કર્મ અને બીજી બાજુ દુઃખી અને રોગથી પીડિત મનુષ્યની સેવા કરવી આ બંને કર્મો એટલા જ પુણ્ય-પ્રદ છે.

સાથીઓ,

સ્વામી પ્રણવાનંદજીએ પોતાની આધ્યાત્મિક યાત્રાની ચરમ સીમા પર પહોંચ્યા ત્યારે કહ્યું હતું-

આ સમય મહા મિલન,

મહા જાગરણ,

મહા મુક્તિ અને

મહા સમાન ન્યાયનો છે.

તેના પછી જ તેમણે ભારત સેવાશ્રમ સંઘનો પાયો નાખ્યો હતો.

1917માં સ્થાપના પછી જે સેવાભાવની સાથે આ સંસ્થાએ કામ શરુ કર્યું હતું, તેનાથી બરોડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા.

મહારાજા સયાજીરાવ ગાયકવાડ પોતે જે અથાક પરિશ્રમથી લોકોના ઉત્થાન માટે કાર્ય કરતા હતા, તે જગ જાહેર છે. તેઓ લોક કલ્યાણના કાર્યોની હરતી ફરતી સંસ્થા જેવા હતા. એટલા માટે શ્રીમત સ્વામી પ્રણવાનંદજીના દેશભરમાં મોકલેલા સેવાદૂતોને તેમણે જમીની સ્તર પર કાર્ય કરતા જોયા તો તેમના વખાણ કર્યા વિના ના રહી શક્યા.

જનસંઘના સંસ્થાપક, શ્રદ્ધેય ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી તો સ્વામી પ્રણવાનંદજીને પોતાના ગુરુની જેમ માનતા હતા. ડોક્ટર મુખરજીના વિચારોમાં સ્વામી પ્રણવાનંદજીના વિચારોની ઝલક પણ મળે છે.

રાષ્ટ્ર નિર્માણના જે વિઝન સાથે સ્વામી પ્રણવાનંદજીએ પોતાના શિષ્યોને અધ્યાત્મ અને સેવા સાથે જોડ્યા તે અતુલનીય છે.

જયારે 1923માં બંગાળમાં દુષ્કાળ પડ્યો,

જયારે 1946માં નોઆખલીમાં રમખાણો થયા.

જયારે 1950માં જલપાઈગુડીમાં પુર આવ્યું,

જયારે 1956માં કચ્છમાં ભૂકંપ આવ્યો, જયારે 1977માં આંધ્રપ્રદેશમાં ભીષણ ચક્રવાત આવ્યું, જયારે 1984માં ભોપાલમાં ગેસ દુર્ઘટના થઇ, તો ભારત સેવાશ્રમ સંઘના લોકોએ પીડિતોની વચ્ચે રહીને તેમની સેવા કરી.

આપણે ધ્યાનમાં રાખવું પડશે કે આ તે સમય હતો જયારે દેશમાં આપત્તિ વ્યવસ્થાપનને લઈને એજન્સીઓ એટલી અનુભવી નહોતી. કુદરતી આફતો હોય કે મનુષ્યના આંતરિક સંઘર્ષોથી ઉત્પન્ન થયેલા સંકટ, પ્રત્યેક મુશ્કેલ ક્ષણમાં ભારત સેવાશ્રમ સંઘે તેની સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

વીતેલા કેટલાક વર્ષોની વાત કરીએ તો જયારે 2001માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો,

2004માં સુનામી આવી,

2013માં ઉત્તરાખંડમાં કહેર આવ્યો,

2015માં તમિલનાડુમાં પુર આવ્યું તો ભારત સેવાશ્રમના સભ્યો સૌથી પહેલા પહોંચનારા લોકોમાંના એક હતા.

ભાઈઓ અને બહેનો,

સ્વામી પ્રણવાનંદ કહેતા હતા –

“આદર્શ વિનાનું જીવન મૃત્યુ સમાન છે. પોતાના જીવનમાં ઉચ્ચ આદર્શ સ્થાપિત કરીને જ કોઈ પણ વ્યક્તિ માનવતાની સાચી સેવા કરી શકે છે.”

તમારી સંસ્થાના બધા જ સભ્યોએ તેમની આ વાતોને પોતાના જીવનમાં ઉતારી છે.

આજે સ્વામી પ્રણવાનંદ જ્યાં ક્યાંય પણ હશે, માનવતા માટે તમારા પ્રયાસોને જોઇને ખૂબ ખુશ થશે.

દેશમાં જ નહીં વિદેશમાં પણ કુદરતી આફતો આવે ત્યારે ભારત સેવાશ્રમના સભ્યો લોકોને રાહત પહોંચાડવા પહોંચી જાય છે.

તેની માટે આપ સૌને જેટલા અભિનંદન આપવામાં આવે તેટલા ઓછા છે.

આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે –

 

आत्मार्थम् जीव लोके अस्मिन् को न जीवति मानवः। 

परम परोपकार आर्थम यो जीवति स जीवति॥

અર્થાત આ સંસારમાં પોતાના માટે કયો મનુષ્ય નથી જીવતો પરંતુ જેનું જીવન પરોપકાર માટે છે તેનું જ જીવન જીવન છે.

એટલા માટે પરોપકારના અનેક પ્રયાસોથી સુશોભિત તમારી સંસ્થાના સો વર્ષ પૂર્ણ થવા ઉપર ફરી અભિનંદન.

સાથીઓ,

વીતેલા કેટલાક દાયકાઓમાં દેશમાં એક ભ્રમ બનાવવામાં આવ્યો છે કે અધ્યાત્મ અને સેવાના રસ્તા અલગ અલગ છે.

કેટલાક લોકો દ્વારા એ જણાવવાની કોશિશ કરવામાં આવી કે જેઓ અધ્યાત્મના માર્ગ પર છે, તેઓ સેવાના રસ્તેથી અલગ છે.

તમે આ ભ્રમને માત્ર ખોટો સાબિત જ નથી કર્યો પરંતુ અધ્યાત્મ અને ભારતીય મુલ્યો પર આધારિત સેવાને એકસાથે આગળ વધાર્યા છે.

આજે દેશભરમાં ભારત સેવાશ્રમ સંઘની સોથી વધુ શાખાઓ અને પાંચસોથી વધુ એકમો સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ અને નવયુવાનોને ટ્રેનીંગ આપવાના કાર્યમાં લાગેલા છે. ભારત સેવાશ્રમ સંઘે સાધના અને સમાજ સેવાના સંયુક્ત ઉપક્રમની રીતે લોકસેવાનું એક મોડલ વિકસિત કર્યું છે.

દુનિયાના અનેક દેશોમાં આ મોડલ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ ભારત સેવાશ્રમ સંઘના કલ્યાણકારી કાર્યોની પ્રશંસા થઇ છે.

સ્વામી પ્રણવાનંદજી મહારાજ પાછલી શતાબ્દીમાં દેશની આધ્યાત્મિક ચેતનાની રક્ષા કરનારા, તેને સ્વતંત્રતા આંદોલન સાથે જોડનારા કેટલાક મહાન અવતારોમાંથી એક હતા.

સ્વામી વિવેકાનંદ અને મહર્ષિ અરવિંદની જેમ તેમનું નામ પાછળની શતાબ્દીના મહાન સંતોમાં લેવામાં આવે છે. સ્વામીજી કહેતા હતા – “મનુષ્યએ પોતાના એક હાથમાં ભક્તિ અને એક હાથમાં શક્તિ રાખવી જોઈએ. તેમનું માનવું હતું કે શક્તિ વિના કોઈ મનુષ્ય પોતાની રક્ષા નથી કરી શકતો અને ભક્તિ વિના તેના પોતાના જ ભક્ષક બની જવાનો ભય રહે છે.”

સમાજના વિકાસ માટે શક્તિ અને ભક્તિને સાથે લઈને જનશક્તિને એકઠી કરવાનું કામ, જનચેતનાને જાગૃત કરવાનું કામ તેમણે પોતાની બાલ્ય અવસ્થાથી જ શરુ કરી દીધું હતું.

નિર્વાણની અવસ્થાથી ઘણો સમય પહેલા જયારે તેઓ સ્વામી પ્રણવાનંદ નહોતા બન્યા, માત્ર “વિનોદ” હતા, પોતાના ગામમાં ઘરે ઘરે જઈને ચોખા અને શાકભાજી જમા કરતા હતા અને પછી તેને ગરીબોમાં વહેંચી દેતા હતા. જયારે તેમણે જોયું કે ગામ સુધી પહોંચવા માટે રસ્તો નથી તો બધાને પ્રેરિત કરીને તેમણે ગામ સુધી એક રસ્તાનું નિર્માણ પણ કરાવ્યું.

જાત પાત, છૂત-અછૂતના ઝેરે કેવી રીતે સમાજને વિભક્ત કરી નાખ્યો છે, તેનો એહસાસ તેમને ખૂબ પહેલાથી જ થઇ ગયો હતો. એટલા માટે બધાને સમાનતાનો મંત્ર શીખવાડીને તેઓ ગામની દરેક વ્યક્તિને એકસાથે બેસાડીને ઈશ્વરની પૂજા કરતા હતા.

19મી સદીના અંતમાં અને 20મી સદીના પ્રારંભમાં બંગાળ જે રીતે રાજનૈતિક ગતિવિધિઓનું કેન્દ્ર બનેલું હતું, તે દરમિયાન રાષ્ટ્રીય ચેતના જગાડવાના સ્વામી પ્રણવાનંદજીના પ્રયાસો વધારે વધી ગયા હતા.

બંગાળમાં જ સ્થાપિત અનુશીલન સમિતિના ક્રાંતિકારીઓને તેઓ જાહેરમાં સમર્થન આપતા હતા. અંગ્રેજોની વિરુદ્ધ લડતા લડતા તેઓ એકવાર જેલમાં પણ ગયા હતા. પોતાના કાર્યોથી તેમણે સાબિત કર્યું કે સાધના માટે માત્ર ગુફાઓમાં રહેવું જરૂરી નથી, પરંતુ જનજાગરણ અને જનચેતના જાગૃત કરીને પણ સાધના કરી શકાય છે, ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે.

ભાઈઓ અને બહેનો,

આજથી સો વર્ષ પહેલા દેશ જે મનોસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો હતો. ગુલામીની બેડીઓથી, પોતાની નબળાઈઓથી મુક્તિ મેળવવા માગતો હતો, તેમાં દેશમાં જુદા જુદા ભુભાગો પર જનશક્તિને સંગઠિત કરવાના પ્રયાસ અવિરત ચાલુ રહેતા હતા.

1917 નું જ તે વર્ષ હતું, જયારે મહાત્મા ગાંધીએ ચંપારણ સત્યાગ્રહ આંદોલનનું બીજારોપણ કર્યું. આપણા સૌ માટે એ સુખદ સંયોગ છે કે આ વર્ષે દેશ ચંપારણ સત્યાગ્રહના સો વર્ષનું પર્વ પણ ઉજવી રહ્યો છે.

સત્યાગ્રહ આંદોલનની સાથે સાથે જ મહાત્મા ગાંધીએ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા હતા. તમે જાણતા જ હશો કે પાછલા મહીને ચંપારણ સત્યાગ્રહની જેમ જ દેશમાં સ્વચ્છાગ્રહ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સ્વચ્છાગ્રહ એટલે કે સ્વચ્છતા માટે આગ્રહ. આજે આ અવસર પર હું સ્વચ્છાગ્રહને પણ તમારી સાધનાનું અભિન્ન અંગ બનાવવાનો આગ્રહ કરું છું. તેનું એક કારણ પણ છે.

તમે જોયું હશે કે હમણાં ત્રણ ચાર દિવસ પહેલા જ આ વર્ષના સ્વચ્છ સર્વેક્ષણમાં શહેરોની રેન્કિંગ જાહેર કરવામાં આવી છે.

ઉત્તર પૂર્વીય રાજ્યોના 12 શહેરોનો પણ સર્વે કરવામાં આવ્યો હતો. પરંતુ સ્થિતિ બહુ સારી નથી. માત્ર ગંગટોક એવું શહેર છે જે પચાસમાં નંબરે આવ્યું છે. 4 શહેરોનું રેન્કિંગ સોથી બસ્સોની વચ્ચે છે અને બાકી સાત શહેર 200થી 300 રેન્કની મર્યાદામાં છે. શિલોંગ જ્યાં તમે બેઠા છો તે પણ બસ્સો છોંત્તેર (276) નંબર પર છે.

આ સ્થિતિ આપણા માટે, રાજ્ય સરકારો માટે અને ભારત સેવાશ્રમ સંઘ જેવી સંસ્થાઓ માટે પડકાર સમાન છે. સ્થાનિક એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે પરંતુ તેની સાથે સાથે પ્રત્યેક વ્યક્તિને એ અહેસાસ કરાવવો પણ ખૂબ જરૂરી છે કે તેઓ પોતાની જાતમાં સ્વચ્છતા મિશનનો એક સિપાહી છે. દરેક વ્યક્તિના પોતાના પ્રયાસોથી જ સ્વચ્છ ભારત, સ્વચ્છ ઉત્તર પૂર્વના લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય તેમ છે.

ભાઈઓ અને બહેનો,

સ્વામી પ્રણવાનંદજી મહારાજ કહેતા હતા –

“દેશની પરિસ્થિતિને બદલવા માટે લાખો નિઃસ્વાર્થ કર્યોગીઓની જરૂર છે. આ જ નિઃસ્વાર્થ કર્મયોગી દેશના પ્રત્યેક નાગરિકનો મનોભાવ બદલી નાખશે અને તે બદલાયેલા મનોભાવમાં એક નવા રાષ્ટ્રનું નિર્માણ થશે.”

સ્વામી પ્રણવાનંદજી જેવી મહાન આત્માઓની પ્રેરણાથી દેશમાં તમારા જેવા કરોડો નિઃસ્વાર્થ કર્મયોગીઓ છે. માત્ર આપણે સૌએ મળીને પોતાની ઊર્જા સ્વચ્છાગ્રહના આ આંદોલનને સફળ બનાવવામાં લગાવી દેવાની છે.

મને જણાવવામાં આવ્યું છે કે જયારે સ્વચ્છ બહ્ર્ત અભિયાન શરુ થયું હતું, ત્યારે તમે લોકોએ ઉત્તર પૂર્વના પાંચ રેલવે સ્ટેશનોની પસંદગી કરી હતી કે તે સ્ટેશનોમાં સફાઈની જવાબદારી ઉપાડીશું, ત્યાં દર પખવાડિયે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. હવે તમારા પ્રયત્નોને વધારે વધારવાની જરૂર છે.

આ વર્ષે જયારે તમે સૌ પોતાની સંસ્થાના ગઠનના સો વર્ષ ઉજવી રહ્યા છો તો આ મહત્વપૂર્ણ વર્ષને શું સંપૂર્ણ રીતે સ્વચ્છતા પર કેન્દ્રીત કરી શકો છો?

શું તમારી સંસ્થા જે વિસ્તારોમાં કામ કરી રહી છે ત્યાં પર્યાવરણની રક્ષા માટે આખા વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે કાર્ય કરી શકે છે. શું લોકોને જળ સંરક્ષણ અને જળ પ્રબંધનના ફાયદાઓ પ્રત્યે લોકોને જાગૃત કરી શકે છે?

શું પોતાના લક્ષ્યોને, સંસ્થાના કેટલાક કાર્યોને તમે વર્ષ 2022 સાથે પણ જોડી શકો છો? 2022માં ભારત પોતાની સ્વતંત્રતાના 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હશે. તેમાં હજુ પાંચ વર્ષનો સમય છે અને આ સમયનો ઉપયોગ દરેક વ્યક્તિ, દરેક સંસ્થાએ પોતાની આસપાસ ફેલાયેલી બદીઓને ખતમ કરીને, પાછળ છોડીને આગળ વધવાનો પ્રયાસ કરવો પડશે.

સાથીઓ,

તમને જાણ હશે કે 1924માં સ્વામી પ્રણવાનંદજીએ દેશભરમાં સ્થિત અનેક તીર્થ સ્થળોનો પુનરુદ્ધાર કરાવ્યો હતો.

તીર્થ શંકર નામથી કાર્યક્રમ શરુ કરીને, તે સમયે આપણા તીર્થ સ્થળો સાથે જોડાયેલી નબળાઈઓને દૂર કરવાનો તેમણે પ્રયાસ કર્યો હતો. આજે આપણા તીર્થસ્થળોની એક મોટી નબળાઈ અસ્વચ્છતા છે. શું બહ્ર્ત સેવાશ્રમ સંઘ તીર્થ શંકર કાર્યક્રમને સ્વચ્છતા સાથે જોડીને નવી રીતથી શરૂઆત કરી શકે છે?

એ જ રીતે આપત્તિ વ્યવસ્થાપનના પોતાના અનુભવોને ભારત સેવાશ્રમ સંઘ કેવી રીતે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકે છે, તે વિષયમાં પણ વિચારવું જોઈએ. દર વર્ષે દેશમાં હજારો જિંદગીઓ કુદરતી આફતોના કારણે સંકટમાં આવી જાય છે. કુદરતી આફતોના સમયે કેવી રીતે ઓછામાં ઓછું નુકસાન થાય તેને જ ધ્યાનમાં રાખીને ગયા વર્ષે દેશમાં પહેલીવાર રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન આયોજન બનાવવામાં આવ્યું છે. સરકાર મોટા પાયે લોકોને જાગૃત કરી રહી છે, લોકોને મોક કસરતના માધ્યમથી પણ આપત્તિ વ્યવસ્થાપનની પદ્ધતિઓના વિષયમાં જણાવવામાં આવી રહ્યું છે.

સાથીઓ,

તમારી ઉત્તર પૂર્વીય રાજ્યોમાં સક્રિયતા અને સંગઠન શક્તિનો આપત્તિ વ્યવસ્થાપનમાં ઘણો ઉપયોગ થઇ શકે છે. તમારી સંસ્થા આપત્તિ પછી અને આપત્તિ પહેલા બંને સ્થિતિઓ સામે લડવા માટે લોકોને તૈયાર કરી શકે છે.

એ જ રીતે જેમ સ્વામી પ્રણવાનંદજીએ દેશભરમાં પ્રવચન દળો મોકલીને અધ્યાત્મ અને સેવાનો સંદેશ દેશ વિદેશ સુધી પહોંચાડ્યો, એ જ રીતે તમારી સંસ્થા ઉત્તર પૂર્વના ખૂણે ખૂણામાં જઈને, આદિવાસી વિસ્તારોમાં જઈને રમતો સાથે જોડાયેલી પ્રતિભાઓની શોધમાં પ્રભાવક ભૂમિકા અદા કરી શકે છે. આ વિસ્તારોમાં પહલેથી જ તમારી ડઝનબંધ શાળાઓ ચાલી રહી છે, તમારી બનાવેલી હોસ્ટેલોમાં સેંકડો આદિવાસી બાળકો રહી રહ્યા છે., એટલા માટે આ કામ તમારા માટે મુશ્કેલ નહીં હોય.

તમે જમીન પર કામ કરનારા લોકો છો, લોકોની વચ્ચે કામ કરનારા લોકો છો. તમારી પારખુ નજર રમત પ્રતિભાઓને સામે લાવવામાં મદદ કરી શકે છે.

સ્વામી પ્રણવાનંદજી કહેતા હતા કે દેશની યુવાશક્તિ જાગૃત ના થઇ તો બધા જ પ્રયાસ નિષ્ફળ થઇ જશે.

હવે એકવાર ફરી અવસર આવ્યો છે, સુદૂર ઉત્તર પૂર્વમાં છુપાયેલી આ યુવાશક્તિને, રમતની પ્રતિભાઓને મુખ્ય ધારામાં લાવવાનો. તેમાં તમારી સંસ્થાની મોટી ભૂમિકા હોઈ શકે છે.

બસ મારો આગ્રહ છે કે તમે તમારી આ સેવા સાધના માટે,

જે પણ લક્ષ્ય નક્કી કરો,

તે માપી શકાય તેવું હોય,

એટલે કે જેને આંકડાઓમાં નક્કી કરી શકાય તેમ હોય.

સ્વચ્છતા માટે તમે ઉત્તર પૂર્વના 10 શહેરો સુધી પહોંચશો અથવા 1000 ગામડાઓ સુધી પહોંચશો તે તમે જાતે નક્કી કરો, આપત્તિ વ્યવસ્થાપન માટે 100 કેમ્પ લગાવશો કે પછી એક હજાર કેમ્પ લગાવશો તે તમે જાતે નક્કી કરો, પરંતુ મારો ફરી આગ્રહ છે કે જે પણ નક્કી કરો તે માપી શકાય તેવું હોય.

2022 સુધીમાં ભારત સેવાશ્રમ સંઘ તે કહેવાની સ્થિતિમાં હોય કે અમે માત્ર અભિયાન નથી ચલાવ્યું,

પરંતુ 50 હજાર કે એક લાખ લોકોને આની સાથે જોડ્યા છે.

જેમ સ્વામી પ્રણવાનંદજી કહેતા હતા કે –

“હંમેશા એક ડાયરી રાખવી જોઈએ.”

તે જ રીતે તમે પણ સંસ્થાની એક ડાયરી બનાવી શકો છો જેમાં લક્ષ્ય પણ લખવામાં આવે અને થોડા અંતરે એ પણ લખવામાં આવે કે તે લક્ષ્યને કેટલું પ્રાપ્ત કર્યું.

તમારો આ પ્રયાસ,

તમારો આ શ્રમ,

દેશના નિર્માણ માટે,

ન્યુ ઇન્ડિયાના સપનાને પુરા કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે.

શ્રમને તો આપણે ત્યાં સૌથી મોટું દાન માનવામાં આવ્યું છે અને આપણે ત્યાં દરેક પરિસ્થિતિમાં દાન આપવાની પ્રેરણા આપવામાં આવે છે.

 

श्रद्धया देयम्, अ-श्रद्धया देयम्,

श्रिया देयम्, ह्रया देयम्, भिया देयम्, सम्विदा देयम् 

 

એટલે કે વ્યક્તિ શ્રદ્ધાથી દાન આપે અને જો શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધા વિના દાન આપવું જોઈએ.

ધનમાં વૃદ્ધિ થાય તો દાન આપવું જોઈએ અને જો ધન ના વધી રહ્યું હોય તો પછી લોક લાજે દાન આપવું જોઈએ.

ભયથી આપવું જોઈએ અથવા પ્રેમથી દાન આપવું જોઈએ.

કહેવાનો અર્થ છે કે દરેક પરિસ્થિતિમાં મનુષ્યએ દાન આપવું જોઈએ.

સાથીઓ,

ઉત્તર પૂર્વને લઈને મારું જોર એટલા માટે છે કેમકે સ્વતંત્રતા પછી આટલા વર્ષોમાં દેશના આ ક્ષેત્રનો સંતુલિત વિકાસ નથી થયો.

હવે કેન્દ્ર સરકાર પાછલા ત્રણ વર્ષોથી પોતાના સંપૂર્ણ સાધનો વડે,

સંસાધનો વડે ઉત્તર પૂર્વના સંતુલિત વિકાસનો પ્રયત્ન કરી રહી છે.

આખા વિસ્તારમાં જોડાણ વધારવા ઉપર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

40 હજાર કરોડના રોકાણથી ઉત્તર પૂર્વમાં માર્ગ સંરચના તૈયાર કરવામાં આવી રહી છે. રેલવેથી જોડાયેલ 19 નવા પ્રોજેક્ટો શરુ કરવામાં આવ્યા છે, વીજળીની વ્યવસ્થા સુધારવામાં આવી રહી છે, આખા વિસ્તારને પર્યટનની દ્રષ્ટીએ પણ મજબૂત કરવામાં આવી રહ્યો છે.

ઉત્તર પૂર્વના નાના હવાઈ મથકોનું પણ આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. તમારા શિલોંગ એરપોર્ટમાં પણ રનવેની લંબાઈ વધારવાની મંજૂરી આપી દેવામાં આવી છે.

ખૂબ જલ્દી ઉત્તર પૂર્વને “ઉડાન” યોજના સાથે પણ જોડવામાં આવશે.

આ બધા પ્રયાસો ઉત્તર પૂર્વ ને દક્ષિણ પૂર્વ એશિયાનું દ્વાર બનાવવામાં મદદ કરશે.

દક્ષિણ પૂર્વ એશિયાનું આ સુંદર દ્વાર જો અસ્વચ્છ હશે, અસ્વસ્થ હશે, અશિક્ષિત હશે, અસંતુલિત હશે તો દેશ વિકાસના દ્વારને પાર કરવામાં પાછળ પડી જશે. સાધનો અને સંસાધનોથી ભરપુર આપણા દેશમાં કોઈ એવું કારણ નથી કે આપણે પછાત રહીએ, ગરીબ રહીએ.

સૌનો સાથ સૌનો વિકાસના મંત્રની સાથે આપણે સૌને સશક્ત કરીને આગળ વધવાનું છે.

આપણો સમાજ- સમન્વય, સહયોગ અને સૌહાર્દથી સશક્ત બનશે.

આપણો યુવાન- ચરિત્ર, ચિંતન અને ચેતનાથી સશક્ત બનશે.

આપણો દેશ – જનશક્તિ, જનસમર્થન અને જનભાવનાથી સશક્ત બનશે.

આ પરિવર્તન માટે, સંજોગો બદલવા માટે ન્યૂ ઇન્ડિયા બનાવવા માટે આપણે સૌએ કરોડો નિઃસ્વાર્થ કર્મયોગીઓએ, ભારત સેવાશ્રમ સંઘ જેવી અનેકાનેક સંસ્થાઓએ મળીને કામ કરવું પડશે. એ જ આહ્વાન સાથે હું મારી વાત સમાપ્ત કરું છું.

એક વાર ફરી ભારત સેવાશ્રમ સંઘના તમામ સદસ્યોને ખૂબ ખૂબ શુભકામનાઓ.

ખૂબ ખૂબ આભાર!!

AP/J.Khunt/GP/TR