Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મધ્ય પ્રદેશના અમરકંટકમાં “નમામિ નર્મદે – નર્મદા સેવા યાત્રા”ના સમાપ્તિ સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

મધ્ય પ્રદેશના અમરકંટકમાં “નમામિ નર્મદે – નર્મદા સેવા યાત્રા”ના સમાપ્તિ સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

મધ્ય પ્રદેશના અમરકંટકમાં “નમામિ નર્મદે – નર્મદા સેવા યાત્રા”ના સમાપ્તિ સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

મધ્ય પ્રદેશના અમરકંટકમાં “નમામિ નર્મદે – નર્મદા સેવા યાત્રા”ના સમાપ્તિ સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


 

વિશાળ સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,

 

આપણા શાસ્ત્રોમાં એક માન્યતા બંધાયેલી છે કે જો આપણે યાત્રા નથી કરી શકતા, પણ કોઈ યાત્રીને જો પ્રણામ કરી લઈએ છીએ તો યાત્રાનું પુણ્ય પ્રાપ્ત થઇ જાય છે. તો હું પણ આપ સૌ યાત્રીઓને પ્રણામ કરીને, જે પુણ્ય તમે કમાયા છો તેનો કેટલોક ભાગ માગી રહ્યો છું. પરંતુ તે ભાગ હું મારા માટે નથી માગી રહ્યો, તમારી આ યાત્રાથી કમાયેલું પુણ્ય મા ભારતીના કામમાં આવે, સવા સો કરોડ દેશવાસીઓના કામમાં આવે, આ દેશના ગરીબમાં ગરીબની જીંદગીમાં બદલાવ લાવવામાં કામમાં આવે.

 

અને મને વિશ્વાસ છે કે નર્મદા યાત્રા જ તે યાત્રા છે જેને નર્મદા પરિક્રમા સાથે જોડવામાં આવી છે. અને હું આ શાસ્ત્રથી સારામાં સારી રીતે પરિચિત છું, મેં તે દુનિયાને ક્યારેક જીવવાનો પ્રયત્ન પણ કર્યો હતો, અને તેથી હું જાણું છું કે જયારે નર્મદા પરિક્રમા કરીએ છીએ, ત્યારે અહંકાર કેવો ચુર ચુર થઇ જાય છે; અહંકાર કેવી રીતે માટીમાં મળી જાય છે. અને પરિક્રમા કરનારી વ્યક્તિને મા નર્મદા જમીન પર લાવીને ઊભો કરી દે છે. બધા જ બંધનોથી મુક્ત કરી નાખે છે. બધા જ પદ અને ઉપાધિઓથી અભીભુષિત હોઈએ, તેનાથી પણ પરિક્રમા દરમિયાન મુક્તિ મળી જાય છે. મા નર્મદા અને નર્મદાના સેવકની વચ્ચે કોઈ દ્વૈત નથી વધતું, એક અદ્વૈતની અનુભૂતિ થાય છે. તમે પણ આજે જયારે માં નર્મદાની આ મહાન સેવા કરવાનો સંકલ્પ કર્યો છે.

જયારે સમય બદલાય છે, તો ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે. અને જયારે અતિકાર ભાવ પ્રબળ થઇ જાય છે, કર્તવ્ય ભાવ ક્ષીણ થઇ જાય છે, ત્યારે આ સમસ્યાઓ પેદા થાય છે, જે આજે આપણે નર્મદા સેવા માટે નીકળવું પડ્યું. આ જ તો મા નર્મદા છે જેણે હજારો વર્ષથી આપણને બચાવ્યા છે, આપણને જીવન આપ્યું છે, આપણા પૂર્વજોની રક્ષા કરી છે, પરંતુ તેને આપણે આપણો અધિકાર માની લીધો, આપણે કર્તવ્યથી વિમુખ થઇ ગયા, અને મા નર્મદા પાસેથી જેટલું લૂંટી શકતા હતા, લૂંટતા રહ્યા. પોતાના સ્વાર્થવશ પોતાની જરૂરિયાતો અનુસાર મા નર્મદાની તો પરવા નથી જ કરી, આપણે આપણી પરવા જરૂર કરી. મનમાં તે અધિકાર ભાવ જરૂર હતો કે મા નર્મદા ઉપર તો મારો અધિકાર છે, હું તેને જેમ ઈચ્છું તેમ તેનો ઉપભોગ કરી શકું છું, અને તેનું જ પરિણામ આવ્યું કે જે મા નર્મદાએ આપણને બચાવ્યા હતા, આજે આપણે એ મા નર્મદાને બચાવવા માટે પરસેવો પાડવાની નોબત આવી ગઈ છે. જો કર્તવ્ય ભાવથી આપણે વિમુખ ના થયા હોત, મા પ્રત્યે આપણા કર્તવ્યોને આપણે નિભાવ્યા હોત તો મા નર્મદા, તેને બચાવવાની નોબત મનુષ્યના ખભે ના આવી હોત. અને એટલા માટે સમય રહેતા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી, મધ્ય પ્રદેશની જનતા, સજાગ થઇ ગઈ.

 

હિન્દુસ્તાનમાં અનેક નદીઓ છે, નકશા ઉપર નિશાન છે, પાણીનું નામોનિશાન નથી. અનેક નદીઓ ઈતિહાસની ગર્તામાં ખતમ થઇ ગઈ છે. આપણા દેશમાં કેરલમાં એક નદી છે, કદાચ એક જ નદી છે, જેનું નામ ભારત ઉપરથી છે, ભારત પૂજા. તે કેરલની નદી રહેશે કે નહીં તે ચિંતાનો વિષય છે. એવું તો નહોતું કે પાણીના ઉપયોગના કારણે નદી ખતમ થઇ છે. નદીની રક્ષા માટે જે તત્વોની સાથે તેની રક્ષાની પણ જવાબદારી હોય છે, તે આપણે જો નહીં નિભાવીએ તો માનવ જાતિને કેટલું મોટું નુકસાન થશે.

 

આપણે સારી રીતે જાણીએ છીએ, કે મા નર્મદા બર્ફીલી પહાડીઓમાંથી નથી આવતી, બરફના ખડકોમાંથી ઓગળીને નથી આવતી. મા નર્મદા એક એક છોડના પ્રસાદથી પ્રગટ થાય છે અને આપણા લોકોને જીવાડીને આપણા જીવનને પ્રફુલ્લિત કરે છે. અને એટલા માટે મધ્ય પ્રદેશ સરકારે મા નર્મદાના ઉજ્જવળ ભવિષ્ય માટે મા નમર્દાની બાહેંધરી માટે, સૌથી પ્રમુખ કામ હાથમાં લીધું છે, તે છે વૃક્ષો વાવવાનું, વૃક્ષારોપણનું. આપણે જયારે વૃક્ષો વાવીએ છીએ ત્યારે આપણને અંદાજો પણ નથી હોતો આપણે આવનારી પેઢીઓની કેટલી મોટી સેવા કરી રહ્યા છીએ. આપણા પૂર્વજોએ જે તપ કર્યું, સાધના કરી, સેવા કરી, તેનું જ પરિણામ છે, કે આજે આપણે નર્મદા મૈયાનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છીએ. આજે આપણે જે પુરુષાર્થ કરીશું, આવનારી અનેક પેઢીઓ આપણને યાદ કરશે કે કોઈ એક સમય હતો, જયારે મા નર્મદાને બચાવવા માટે વૃક્ષો અને છોડવાઓની મદદ લઈને ફરી એકવાર મા નર્મદાને પુનર્જીવન આપવામાં આવ્યું હતું.

 

લગભગ લગભગ દોઢસો દિવસની યાત્રા, આ અશક્ય કાર્ય છે, પરંતુ આપણા દેશનું દુર્ભાગ્ય છે કે જ્યાં ક્યાંય પણ સરકાર જોડાઈ જાય, જ્યાં ક્યાંય પણ રાજનેતા જોડાઈ જાય, તો સૌથી પહેલા મહાત્મ્યને ખંડિત કરવાનો જ પ્રયાસ કરવામાં આવે છે. નહિતર આ એવી ઘટના છે, અને હું મધ્ય પ્રદેશની જનતાને નર્મદા યાત્રા સાથે જોડાયેલા, આ સેવા યાત્રા સાથે જોડાયેલા, લક્ષાવધી લોકોને, નર્મદા તટ પર વસેલા પ્રત્યેક નાગરિકને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ એવી ઘટના છે કે દુનિયાના કોઈ પણ દેશમાં નદીની રક્ષા માટે દોઢસો દિવસ સુધી આટલી તપસ્યા કરવામાં આવી હશે, તો આખા વિશ્વમાં તેની ચર્ચા થઇ હોત, સમગ્ર વિશ્વમાં તેની જયજયકાર બોલવામાં આવી હોત, દુનિયાની મોટી મોટી ટીવી ચેનલો આ ઘટનાને પ્રસારિત કરવા માટે દોડી જાત. પરંતુ આ આપણા દેશનું દુર્ભાગ્ય રહ્યું છે કે આપણે આપણા આ પ્રયાસોનું વૈશ્વિક સામર્થ્ય શું છે, ના તો તેને જાણી શકીએ છીએ, ના સમજી શકીએ છીએ, અને અવસર ગુમાવી દઈએ છીએ.

 

આજે જો ક્યાંક સોલાર પાર્ક લાગી જાય તો પણ દુનિયામાં ચર્ચા થવા લાગે છે કે તે દેશના તે વિસ્તારમાં સોલર પાર્ક લગાવવામાં આવ્યો છે માનવતાની રક્ષા માટે. આ નદી બચાવવાનું આટલું મોટું કામ થયું છે, પર્યાવરણની રક્ષાનું આટલું મોટું કામ થયું છે, 25 લાખથી વધુ લોકોએ સંકલ્પ લીધા છે, કોટી કોટી લોકો તેની સાથે જોડાયા છે, શરીરને તકલીફ આપી છે, મુશ્કેલીઓમાં દિવસો પસાર કર્યા છે, જાતે મહેનત કરીને, પગે ચાલીને, મા પૃથ્વીની રક્ષા માટે, નદીની રક્ષા માટે, પર્યાવરણની રક્ષા માટે, માનવતાની રક્ષા માટે, આટલું મોટું મહત્વનું પગલું ઉપાડ્યું છે. અને તેનું નેતૃત્વ કરવા માટે હું શિવરાજજીને, તેમની સમગ્ર ટીમને, અને મધ્ય પ્રદેશની જનતાને અભિનંદન આપું છું.

 

મારો જન્મ ગુજરાતમાં થયો છે. નર્મદાના એક એક ટીપા પાણીનું મુલ્ય શું છે, તે ગુજરાતના લોકો સારી રીતે જાણે છે. અને આજે જયારે તમે નર્મદાના ભવિષ્ય માટે આટલું મોટું અભિયાન ઉપાડ્યું છે, તો હું ગુજરાતના ગામની, ખેડૂતો તરફથી, ત્યાંના નાગરિકો તરફથી, રાજસ્થાનના ગામડાઓ તરફથી, ખેડૂતો તરફથી, ત્યાંના નાગરિકો તરફથી, મહારાષ્ટ્રના ગામડાઓ તરફથી, મહારાષ્ટ્રના ખેડૂતો તરફથી, મહારાષ્ટ્રના નાગરિકો તરફથી, મધ્ય પ્રદેશની જનતાને, મધ્ય પ્રદેશની સરકારને, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીને અનેક અનેક અભિનંદન આપું છું, તેમનો આભાર વ્યક્ત કરું છું.

 

હાલના દિવસોમાં દેશમાં સ્વચ્છતા અભિયાન તે હવે એક માળખાગત વ્યવસ્થા મળી છે. સતત ત્રીજા પક્ષ દ્વારા હિન્દુસ્તાનમાં મૂલ્યાંકન થઇ રહ્યું છે. કયા રાજ્યમાં સ્વચ્છતા માટે શું થઇ રહ્યું છે, કયું શહેર સ્વચ્છ છે. જન-ભાગીદારી, લોકતંત્રની સૌથી મોટી તાકાત હોય છે. અને આપણે જો જન-સામર્થ્ય, જન-શક્તિ, જન-ભાગીદારી, તેની ઉપેક્ષા કરીશું તો સરકારો કંઈ પણ કરવામાં સમર્થ નથી હોતી. ગમે તેટલા સારા વિચારો પણ કેમ ના હોય, ગમે તેટલું સારું નેતૃત્વ પણ કેમ ના હોય, ગમે તેટલી સારી વ્યવસ્થા પણ કેમ ના હોય, પરંતુ જન સમર્થન વિના ક્યારેય કોઈ પણ વસ્તુ સફળ નથી થતી. અને જન સમર્થનથી કેવી રીતે સફળ થાય છે, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મધ્ય પ્રદેશે રજુ કર્યું છે.

ગઈ વખતે જયારે સર્વેક્ષણ થયું ત્યારે સ્વચ્છતાની દિશામાં મધ્ય પ્રદેશનું નામ બદનામીની સીમામાં આવી ગયું હતું, પરંતુ મધ્ય પ્રદેશે મનમાં નક્કી કરી નાખ્યું, આ કલંક દૂર કરવાનો સંકલ્પ કર્યો, જન-જાગરણ કર્યું, જન-ભાગીદારી વધારી, જન જનને જોડ્યા, અને આજે હું મધ્ય પ્રદેશને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

 

દેશમાં જે સો શહેરોમાં સફાઈ માટે મૂલ્યાંકન કરવામાં આવ્યું તે સો માં, 22 મધ્ય પ્રદેશના છે. આ ઘણી મોટી સિદ્ધિ છે. હિન્દુસ્તાનના અન્ય રાજ્યોને પણ પ્રેરણા આપવાનું કામ, સ્વચ્છતાની દિશામાં મધ્ય પ્રદેશે જન-ભાગીદારીથી કરી બતાવ્યું છે. ઇન્દોર અને ભોપાલ હિન્દુસ્તાનના ટોચ પર પહેલા અને બીજા નંબર પર આવ્યા.

 

100માંથી 22 શહેરો સ્વચ્છતામાં અગ્રીમ હરોળમાં આવી જાય, તેનો અર્થ એ થયો કે સમગ્ર રાજ્યમાં વહીવટે, શાસને, જનતા જનાર્દને તેને પોતાનું કામ માન્યું. અને તેનું જ પરિણામ આવ્યું છે આ નર્મદા યોજનાસેવા યાત્રાની સફળતાનું. આ સફળતા પણ સરકારની તાકાતના ભરોસે નથી મળી, તે જનતા જનાર્દનની તાકાતના ભરોસે થઇ છે. અને જનતાની તાકાત જયારે જોડાય છે તો કેટલા મોટા પરિણામ આવે છે, શિવરાજજી એ 6 કરોડનું લક્ષ્ય રાખ્યું છે, 2 જુલાઈએ વૃક્ષો રોપવાનું. અને તેમણે આ 6 કરોડ વૃક્ષોની વ્યવસ્થા માટે પણ પાછલા દોઢ વર્ષમાં સતત કામ કરી રહ્યા છે, આ જે છે તે અચાનક નથી થઇ રહ્યું. તેની માટે નર્સરીની અંદર બધી જ વ્યવસ્થા કરી, કરવામાં આવે છે, ત્યારે જઈને થાય છે. પરંતુ આપણે જેવી રીતે પરિવારોમાં એક સંતાનની દેખરેખ કરીએ છીએ, તેવી જ રીતે આપણે આ નવા રોપાનારા છોડવાઓની માવજત કરીશું, ચિંતા કરીશું, ત્યારે જઈને તે વટવૃક્ષ તૈયાર થશે.

 

આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે જે એક વર્ષનું વિચારે છે, તે અનાજ વાવે છે, પણ જે આગળનું વિચારે છે, ભવિષ્યનું વિચારે છે, તે ફળદાર વૃક્ષ વાવે છે. આ ફળદાર વૃક્ષ વાવવાનું કામ, તે આવનારા દિવસોમાં અનેક પરિવારોને એક આર્થિક બાહેંધરીનું કારણ પણ બનવાનું છે. મને વિશ્વાસ છે કે મધ્ય પ્રદેશ સરકારે જે બીડું ઝડપ્યું છે અને જે તેમણે કાર્ય યોજના બનાવી છે તે કાર્ય યોજનાની ચોપડી તેમણે મને પહેલા પહોંચાડી હતી, મેં તેનું અધ્યયન કર્યું; પ્રત્યેક માટે તેમાં કામ છે, પ્રત્યેક જગ્યા માટે કામ છે; ક્યારે કરવાનું, કેવી રીતે કરવાનું, તેની રીત વિધિ છે, કોણ કયું કામ સંભાળશે તેનું સંપૂર્ણ આયોજન છે, એક રીતે સંપૂર્ણ દસ્તાવેજ છે ભવિષ્યના લક્ષ્યનો. હું દેશના અન્ય રાજ્યોને પણ આગ્રહ કરીશ અને શિવરાજજીને પણ આગ્રહ કરીશ કે હિન્દુસ્તાનના બધા જ રાજ્યોને એક પુસ્તક મોકલે અને પ્રાકૃતિક સંસાધનોની રક્ષા માટેની રીતો કઈ હોય છે; મધ્ય પ્રદેશને એક નમુનાના રૂપમાં, એક ઉદાહરણના રૂપમાં તેને લઈને સૌ પોત પોતાની યોજના બનાવે.

 

જળ એ જ જીવન છે, એ તો આપણે કહીએ જ છીએ, નદી માતા, એવું આપણે કહીએ છીએ, પરંતુ આપણી સંપૂર્ણ અર્થવ્યવસ્થા તેની જ ઉપર આધારિત છે. તેના વગર અર્થવ્યવસ્થા ખોખલી બની જાય છે. જો આજે મધ્ય પ્રદેશમાં કૃષિ વિકાસ 20 ટકા સુધી પહોંચ્યો છે તો તેમાં સૌથી મોટું યોગદાન માતા નર્મદાનું છે. આ તાકાત છે, ખેડૂતની જિંદગી બદલવાની તાકાત, તે માતા નર્મદામાં છે.

 

2022 સુધીમાં હિન્દુસ્તાનના ખેડૂતની આવક બમણી કરવાનો સંકલ્પ લઈને સમગ્ર દેશમાં કામ ચાલી રહ્યું છે, મધ્ય પ્રદેશે તેની સંપૂર્ણ યોજના તૈયાર કરી દીધી છે. અને તેનો લાભ ખેડૂતોના સહયોગથી હિન્દુસ્તાનના દરેક ગામડાને મળશે, તેવો મારો વિશ્વાસ છે.

 

ભાઈઓ બહેનો! 2022, આઝાદીના 75 વર્ષ થઇ રહ્યા છે. શું હિન્દુસ્તાનના સવા સો કરોડ દેશવાસી પ્રત્યેક પળે 2022નું સ્મરણ ના કરી શકે? દરેક ક્ષણ આઝાદીના 75 વર્ષને યાદ ના કરી શકે? જે મહાપુરુષોએ દેશ માટે બલિદાન આપ્યું, જીવન ન્યોછાવર કરી દીધું, યુવાની જેલોમાં વિતાવી દીધી, કેટલાક ફાંસીના માંચડે ચઢી ગયા, જેમણે પોતાના જીવનના પરિવારના પરિવારો તબાહ કરી દીધા, મા ભારતીની આઝાદી માટે, શું તેમના સપનાઓને યાદ કરીને આપણે સંકલ્પ નથી કરી શકતા કે 2022 સુધીમાં, વ્યક્તિ તરીકે હું દેશ માટે આટલું કરીશ, પરિવાર તરીકે આટલું કરીશ, સમાજ તરીકે આટલું કરીશ. આપણે ગામના લોકો મળીને આટલું કરીશું, આપણે નગરના લોકો મળીને આ કરીશું, આપણે સંસ્થા તરીકે આ કામ કરીશું, આપણે સમાજ તરીકે આ કામ કરીશું, આપણે રાજ્ય તરીકે, દેશ માટે આ સંકલ્પ કરીશું.

 

2022, ‘નવું ભારત’ બનાવવાનો સંકલ્પ લઈને ચાલવાનું છે. પ્રત્યેક હિન્દુસ્તાનીને જોડવાનો છે. આઝાદીના આંદોલનમાં જેમ દેશ જોડાઈ ગયો હતો, દેશને નવી ઊંચાઈઓ પર લઇ જવા માટે, ‘નવું ભારત’ બનાવવા માટે દરેક દેશવાસીને જોડવાનો છે. અને એટલા માટે હું આગ્રહ કરીશ, દેશવાસીઓને આગ્રહ કરીશ, હું મધ્ય પ્રદેશના તમામ સંગઠનોને આગ્રહ કરીશ, તમે પણ મળીને બેસો અને નક્કી કરો કે 2022 સુધીમાં દેશની માટે તમારી સંસ્થા, તમારો પરિવાર, તમારો સમાજ, તમારું સંગઠન, તમારું દળ શું કરશે, તમે લોકો નક્કી કરો. એકવાર દેશમાં વાતાવરણ નિર્માણ થાય, હજુ અમારા પાંચ વર્ષ છે. પાંચ વર્ષમાં આપણે દેશને ક્યાંથી ક્યાં સુધી લઇ જઈ શકીએ છીએ. મને વિશ્વાસ છે જો સવા સો કરોડ દેશવાસી એક પગલું દેશ માટે ચાલી નીકળશે તો દેશ પાંચ વર્ષની અંદર અંદર સવા સો કરોડ પગલા આગળ આવી જશે. અને એટલા માટે આપણે આ સંકલ્પને લઈને આગળ ચાલીએ.

 

હું આજે પૂજ્ય અવધેશાનંદજીનો ખાસ આભારી છું, જે આર્શીવચનો તેમણે મારા માટે કહ્યા છે, હું ઈશ્વરને એ જ પ્રાર્થના કરીશ કે આપણા સૌમાં તે ક્ષમતા આવે, તે સારપો આવે, તે સમર્પણનો ભાવ આવે, જેથી દેશની સાચી સેવા કરવા માટે આપણે પોતાની જાતને યોગ્ય કરીએ, બનાવી શકીએ. હું તેમના આ આર્શીવચનો માટે ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું અને તેમને પ્રણામ કરું છું.

 

હું આપ સૌને પણ હૃદયપૂર્વક અભિનંદન આપું છું, અને જેવું શિવરાજજીએ કહ્યું, યાત્રાનો અહીંયા વિરામ છે, પરંતુ હવે યાત્રામાં જે પણ વિચાર્યું, જે પણ જોયું, જે પણ કર્યું તેને ચરિતાર્થ કરીને યજ્ઞ શરુ થઇ રહ્યો છે. આ સેવાનો યજ્ઞ શરુ થઇ રહ્યો છે. યાત્રા સમાપ્ત થઇ, યજ્ઞ શરુ થયો. યજ્ઞમાં આહુતિ આપવી પડે છે, સમય આપવો પડે છે, પોતાની બધી જ ઈચ્છાઓ આકાંક્ષાઓને સમાજ માટે હોમવી પડે છે. મને વિશ્વાસ છે કે આ નર્મદાના ઉજ્જવળ ભવિષ્યનો યજ્ઞ આપ સૌના સફળ પ્રયત્નોથી જરૂરથી નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરશે. એ જ એક ભાવના સાથે આપ સૌ મારી સાથે બોલશો – બંને મુઠ્ઠી બંધ કરીને હાથ ઉપર કરીને બોલશો – હું કહીશ, નર્મદે, તમે કહેજો સર્વદે.

નર્મદે – સર્વદે

અવાજ મા નર્મદાના પેલા કિનારા સુધી પહોંચવો જોઈએ, ખંભાતના અખાત સુધી.

નર્મદે –સર્વદે

નર્મદે – સર્વદે

ખૂબ ખૂબ આભાર.

 

AP/J.Khunt/TR/GP