Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની કેન્દ્ર સરકારના સચિવો સાથે અનૌપચારિક બેઠક

પ્રધાનમંત્રીની કેન્દ્ર સરકારના સચિવો સાથે અનૌપચારિક બેઠક


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ભારત સરકારના વિવિધ મંત્રાલયોના ટોચના અધિકારીઓ – તમામ સચિવોને અનૌપચારિક રીતે મળ્યા હતા.

“વીસમી સદીની વહીવટી વ્યવસ્થા”માંથી બહાર નીકળવા પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સચિવો પાસે દુનિયાના છઠ્ઠા ભાગની વસતિના જીવનની કાયાપલટ કરવાની તક છે. તેમણે સચિવોને વર્ષ 2022માં ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરવા નક્કર લક્ષ્યાંકોને ઓળખવા જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ દેશના વિકાસ માટે તેમના મંત્રાલયોની કામ કરવાની જૂની ઘરેડમાંથી બહાર નીકળીને નવીન અભિગમ સાથે કામ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. નાણાકીય સર્વસમાવેશકતા (જન ધન યોજના) અને સાર્વત્રિક રસીકરણ (મિશન ઇન્દ્રધનુષ) જેવી યોજનાઓના ઉદાહરણ આપીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે છેલ્લાં ત્રણ વર્ષમાં સરકારી મશીનરીએ એક ટીમ તરીકે કામ કર્યું છે, ત્યારે કેટલાંક શ્રેષ્ઠ પરિણામો મળ્યા છે. તેમણે કહ્યું હતું કે, સંસ્થાની કામગીરી પરિણામલક્ષી હોવી જોઈએ.

પ્રધાનમંત્રીએ સ્વચ્છતા અભિયાન પર જણાવ્યું હતું કે, સૌથી મોટું પરિવર્તન લોકોના સાથસહકારથી થાય છે અને એ વહીવટી સ્તરે પરિવર્તનને દોરે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 1 જુલાઈથી જીએસટીનો અમલ દેશના ઇતિહાસમાં નવી શરૂઆત કરશે કે ટર્નિંગ પોઇન્ટ બનશે. તેમણે સચિવોને આ વ્યવસ્થામાં સરળતાપૂર્વક અગ્રેસર થવા શ્રેષ્ઠ તૈયારી કરવા જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે દુનિયા ભારતને અલગ રીતે જુએ છે અને આ વિશિષ્ટ તક છે, જેને નજરઅંદાજ ન કરવી જોઈએ. ચાલો આપણે વૈશ્વિક અપેક્ષાઓ પૂર્ણ થાય તેવી વ્યવસ્થા ઊભી કરીએ તેવું તેમણે સચિવોને જણાવ્યું હતું.

શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં સૌથી વધુ પછાત 100 જિલ્લાઓનો વિકાસ કરવા, તેમની કાયાપલટ કરવા યુદ્ધના ધોરણે કામ કરવાની અપીલ પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ જિલ્લાઓ માટે ટૂંકા સમયગાળામાં વિવિધ માપદંડો પર આધારિત ચોક્કસ લક્ષ્યાંકો સ્થાપિત કરવા જોઈએ.

કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ સિંહ, શ્રી અરુણ જેટલી, શ્રીમતી સુષ્મા સ્વરાજ અને શ્રી નીતિન ગડકરીએ પણ આ બેઠકને સંબોધન કર્યું હતું.

અગાઉ સચિવોએ પણ શાસનના વિવિધ ક્ષેત્રો પર કેટલાંક સૂચનો કર્યા હતા.

TR