પીએમઇન્ડિયા
પ્રસૂન જોશી- નમસ્તે મોદીજી
પ્રધાનમંત્રી – તમને પણ નમસ્તે અને તમામ દેશવાસીઓને પણ નમસ્કાર
પ્રસૂન જોશી- મોદીજી, અમને બધાને ખબર છે કે તમે કેટલા વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને અહીં આવ્યા છો અને અમે પણ તમારો થોડો સમય ચોરી લીધો છે, પ્રથમ તો ખૂબ-ખૂબ ધન્યવાદ. મેં થોડા સમય પહેલાં ભારત અંગે થોડું લખ્યું હતું.
ધરતી કે અંતસ મેં જો ગહરા ઉતરેગા, ઉસી કે નયનો મેં જીવન કા રાગ દિખેગા
જીન પૈરોં મેં મીટ્ટી હોગી ધૂલ સજેગી, ઉન્હી કે સંગ સંગ ઈક દિન સારા વિશ્વ ચલેગા.
(ધરતીની અંદર જે ઉંડો ઉતરશે, તેની જ આંખોમાં જીવનનો રાગ દેખાશે
જે પગમાં માટી હશે, ધૂળ લાગેલી હશે, તેમની જ સાથે સાથે પૂરી દુનિયા ચાલશે)
રેલવે સ્ટેશનથી તમારી યાત્રાની શરૂઆત થાય છે અને આજે તમે રોયલ પેલેસમાં ખાસ મહેમાન બન્યા છો
આ યાત્રાને મોદીજી તમે કેવી રીતે મૂલવો છો ?
પ્રધાનમંત્રી – પ્રસૂનજી હું સૌથી પહેલાં તો આપ સૌનો આભારી છું કે આટલી મોટી સંખ્યામાં તમારાં દર્શન કરવાનું મને આજે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને તમે ધરતીની ધૂળથી વાત શરૂ કરી છે. તમે તો કવિરાજ છો. તો રેલવેથી રોયલ પેલેસ સુધીની આ યાત્રાનો પ્રાસ બેસાડવો આપને માટે ખૂબ સરળ છે, પરંતુ જીવનનો રસ્તો ઘણો કઠિન હોય છે. જ્યાં સુધી રેલવે સ્ટેશનની વાત છે, તો તે મારા વ્યક્તિગત જીવનની વાત છે. મારા જીવનના સંઘર્ષનું તે એક સોનેરી પાસુ છે. જેણે મને જીવતાં શીખવ્યું, ઝઝૂમવાનુ શીખવાડ્યું અને જીવન માત્ર પોતાના માટે જ નહીં પણ અન્યને માટે પણ હોઈ શકે છે. આ રેલના પાટા પર દોડવાથી નીકળતા અવાજ સાંભળી બાળપણમાં હું જે શીખ્યો, સમજણ કેળવી છે. તે મારી પોતાની વાત છે. પરંતુ આ રોયલ પેલેસ નરેન્દ્ર મોદીનો નથી. તે મારી વાત વ્યક્ત કરતો નથી…..
પ્રસૂન જોશી – અને જે ભાવના તમારી અંદર…..
પ્રધાનમંત્રી – આ રોયલ પેલેસ સવા સો કરોડ હિંદુસ્તાનીઓના સંકલ્પનું પરિણામ છે. રેલવેના પાટા વાળો મોદી એ નરેન્દ્ર મોદી છે. ‘રોયલ પેલેસ’ વાળો સવા સો કરોડ હિંદુસ્તાનીઓનો એક સેવક છે, તે નરેન્દ્ર મોદી નથી અને એ ભારતના લોકતંત્રની તાકાત છે, ભારતના બંધારણનું સામર્થ્ય છે, જ્યાં એક એવો અહેસાસ થાય છે કે, જે જગ્યા થોડા પરિવારો માટે જ રહેતી હતી અને લોકતંત્રમાં અથવા તો જનતા – જનાર્દન, જે ઈશ્વરનું સ્વરૂપ છે. તે નિર્ણય કરી લે તો પછી ચા વેચવા વાળો પણ તેમનો પ્રતિનિધિ બનીને રોયલ પેલેસમાં હાથ મિલાવી શકે છે.
પ્રસૂન જોશી- આ જે વ્યક્તિ અને નરેન્દ્ર મોદી જે પ્રધાનમંત્રી, જે દેશનું પ્રતિનિધિત્વ કરે છે તે બંને એકાકાર થઈ જાય છે, જ્યારે તમે એવી જગ્યાએ રહો છો અથવા સ્વયંને જુઓ છો કે હું એ યાત્રા કરી ચૂક્યો છું અથવા એકરસ થઈ ગયો છું. બધું મળીને એક વ્યક્તિ રહી જાય છે?
પ્રધાનમંત્રી – એવું છે કે હું ત્યાં હોતો જ નથી અને હું તો આદિ શંકરના અદ્વૈતના એ સિદ્ધાંતને કોઈ જમાનાથી તેની સાથે જોડાયેલો છું. હું જાણું છું કે જ્યાં હું નથી ત્યાં તું જ તું છે. જ્યાં દ્વય નથી ત્યાં દ્વંદ્વ નથી અને એટલા માટે, ત્યાં દ્વૈત નથી, માટે હું મારી અંદરના નરેન્દ્ર મોદીને લઈને જાવ તો કદાચ દેશની સાથે અન્યાય કરી બેસીશ. દેશની સાથે ન્યાય ત્યારે જ થાય છે, જ્યારે હું પોતાની જાતને ભૂલી જાઉં છું. પોતાની જાતને મિટાવી દેવી પડે છે. જાતે ખપી જવું પડે છે અને ત્યાર પછી જ તે છોડ નીકળે છે. બીજ પણ આખરે તો હોમાઈ જ જાય છે, જે વટવૃક્ષ ખીલી ઉઠે છે અને એટલા માટે જ તમે જે કહ્યું તે હું અલગ રીત દેખાઉં છું.
પ્રસૂન જોશી- પરંતુ જ્યારે દેશની વાત આવે છે ત્યારે તમે તેને ખૂબ ધ્યાનપૂર્વક જોતા રહો છો અને આજે બધા લોકો પરિવર્તનની વાત કરી રહ્યાં છે. પરિવર્તન પહેલાં વિચારમાં આવે છે, પછી જ તે કાર્યમાં પરિણમે છે. પછી તે એક પ્રક્રિયામાંથી પસાર થાય છે. તમારી વધુ સારી રીતે કોણ જાણે છે એ વાતને? તેની વાત કરીએ તો પરિવર્તન પણ પોતાની સાથે એક વસ્તુ લઈને આવે છે. મોદીજી – અધીરાઈ, આતુરતા, વિહવળતા અને બેચેની, આલો આ વીડિયો દ્વારા જોઇએ..
મોદીજી, હમણાં આપણે સૌએ જોયું હતું કે ટ્વીટર પર પ્રશાંત દિક્ષીતજી છે. તેમણે એક પ્રશ્ન પણ પૂછ્યો છે કે ઘણું બધુ કામ થઈ રહ્યું છે. રસ્તાઓ બની રહ્યાં છે, રેલવે લાઈનો પથરાઇ રહી છે, ઝડપભેર ઘર બની રહ્યાં છે. તે કહે છે કે અગાઉ આપણને બે પગલા ચાલવાની આદત હતી. તો મોદીજી હવે આપણે અનેક ગણાં વધુ ચાલી રહ્યાં છીએ, તો પણ અધીરાઈ છે. હમણાં જ કેમ નહીંની અધીરાઇ, તમે આ અધીરાઈ (impatiens)ને કઇ રીતે જુઓ છો?
પ્રધાનમંત્રી – હું તેને જરા અલગ રીતે જોઉં છું. જે ક્ષણે સંતોષનો ભાવ પેદા થાય છે ત્યારે લાગે છે કે બહુ થઈ ગયું, તેનાથી જ ચલાવી લઈએ. જીવન તો આગળ વધતું નથી. દરેક વયમાં, દરેક યુગમાં, દરેક અવસ્થામાં કશું ને કંઇક નવુ કરવાની, કંઇક ને કંઇક મેળવવાની ઈચ્છા આપણને ગતિ આપે છે. નહીં તો, હું સમજું છું કે જીવન અટકી જાય છે. જો કોઈ એવું કહે કે અધીરાઇ ખરાબ બાબત છે, તો હું સમજું છું કે આપણે વૃદ્ધ થઈ ચૂક્યા છીએ. મારી દ્રષ્ટિએ અધીરાઈ એ એક યુવાનીની ઓળખ છે. તમે જોયું હશે કે જેના ઘરમાં સાયકલ હોય તેને મન થતું હોય છે કે સ્કૂટર આવે તો સારૂં. સ્કૂટર હોય ત્યારે ઈચ્છા થાય છે કે યાર, ફોર વ્હિલર આવી જાય તો સારૂં અને જો ઈચ્છા નહીં હોય તો કાલે સાયકલ પણ ચાલી જશે. તો કહેશો કે છોડો યાર બસમા જતા રહીશું, તો એ જીવન જ નથી.
અને મને ખુશી છે કે આજે સવા સો કરોડ દેશવાસીઓના દિલમાં એક ઉમંગ, ઉત્સાહ, આશા, અપેક્ષા આ બધુ ઉભરીને બહાર આવી રહ્યું છે. નહીં તો એક એવો સમય હતો કે જ્યારે આપણે નિરાશાની ગર્તામાં ડૂબેલા હતા અને લાગતું હતું કે છોડો યાર, હવે કશું થવાનું નથી. થયા રાખે, ચાલશે.. અને મને ખુશી છે કે અમે એક એવા વાતાવરણનું નિર્માણ કર્યું છે કે જેમાં લોકો અમારી પાસે વધારે અપેક્ષા રાખી રહ્યાં છે. તમારામાંથી જે લોકો ઘણાં સમય પહેલાં ભારતની બહાર નીકળ્યા હશે. કદાચ તેમને યાદ નહીં હોય, પરંતુ આજથી 15-20 વર્ષ પહેલા જ્યારે પણ દુષ્કાળની પરિસ્થિતી પેદા થતી હતી તો ગામના લોકો સરકારી કચેરીમાં જઈને આવેદન પત્ર આપતા હતા અને માંગણી કરતા હતા કે જો આ વર્ષે દુષ્કાળ ચાલુ રહે તો અમારે ત્યાં માટી ખોદવાનું કામ જરૂરથી કરજો અને આપણે રોડ ઉપર માટી નાંખવાનું કામ થાય તેમ ઈચ્છીએ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે એક કાચી સડક બને. તે સમયે એટલી જ અધીરાઈ હતી કે જો એક દુષ્કાળ પડે, અપેક્ષા કરતા હતા કે દુષ્કાળ આવે અને માટીના ખાડા ખોદવાનું કામ મળે અને વધુ એકવાર રોડ પર માટી નાંખવાની તક મળી જાય.
આજે મારો અનુભવ છે કે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે જે લોકોની પાસે એક લેનનો રસ્તો હતો તે કહેતા હતા કે મુખ્યમંત્રીજી, હવે ડબલ રોડ બનાવી આપો. જ્યાં ડબલ રોડ હતો તે કહેતા હતા કે સાહેબ આ શું છે. પેવર રોડ હોવો જોઈએ સાહેબ, પેવર રોડ હોવો જોઈએ.
મને બરાબર યાદ છે કે ઉચ્છલ અને નિઝર ગુજરાતના એકદમ છેવાડે આવેલા પ્રદેશો છે. ત્યાંથી કેટલાક આદિવાસી લોકો આવીને મને મળ્યા. તે કહેતા હતા કે તેમને પેવર રોડ જોઈએ. મેં કહ્યુ યાર, તમારા વિસ્તારમાં ક્યારેક હું સ્કૂટર પર ફરતો હતો કે બસમાં જતો હતો. મેં વર્ષો સુધી જંગલોમાં કામ કર્યું છે. તમારે ત્યાં રોડ તો છે. તે કહેતા કે સાહેબ રોડ તો છે, પરંતુ હવે અમે કેળાની ખેતી કરીએ છીએ અને અમારા કેળાની નિકાસ થાય છે. આથી જ્યારે અમે આ રોડ પરથી પસાર થઈએ છીએ તો ટ્રકમાં કેળા દબાઈ જાય છે. અમારૂ 20 ટકા નુકસાન થાય છે. અમને પેવર રોડ જોઈએ છે, કારણ કે અમારા કેળાને નુકસાન ન થાય. મારા દેશના દિલમાં આવુ બધુ અનુભવાય છે. જ્યારે જ્યારે પણ અધીરાઈ પેદા થાય છે, મારા મતે તેનાથી પ્રગતિના બીજ રોપાય છે અને એટલા માટે હું અધીરાઈને ખરાબ માનતો નથી.
બીજુ, તમારા પરિવારમાં પણ તમે જોયું હશે કે ત્રણ દીકરાઓ હોય તો મા-બાપ ત્રણેય દીકરાને પ્રેમ કરતા હોય છે, પરંતુ જ્યારે કામ હોય છે ત્યારે એકને જ વાત કરતા હોય છે. અરે યાર જોઈ લ્યો. જે કામ કરતો હોય તેને જ કહે ને. આજે જો દેશ મારી પાસે વધારે અપેક્ષા રાખતો હોય તો એટલા માટે રાખે છે કે તેમને વિશ્વાસ છે. યાર, આજે નહીં તો કાલે, તેના મગજમાં મૂકી દો, તે આજે નહીં તો ક્યારેક તો કામ કરીને જ રહેશે.
તો હું સમજું છું કે, એ વાત પણ સાચી છે કે દેશ દ્વારા ક્યારેય પણ વિચારવામાં આવ્યું નહોતું કે આ દેશ આટલી ઝડપી ગતિથી કામ કરી શકતો હોય. નહીં તો એવુ માની લેવામાં આવતું હતું કે થોડું પરિવર્તન થાય ત્યારે સંતોષ થઈ જતો હતો. ચલો યાર, કામ થઈ ગયું. હવે જેમના મનમાં આવુ થતું નહોતુ તેમને થાય છે કે સાહેબ, પહેલા એક દિવસમાં જેટલા રસ્તા બનતા હતા તેના કરતાં લગભગ ત્રણ ગણા રસ્તા બની રહ્યાં છે. પહેલાં જેટલું કામ એક દિવસમાં થતું હતું તેનાથી આજે ત્રણ ગણું કામ થાય છે. રેલવેના પાટા નાંખવાના હોય, રેલવેની ડબલ લાઈન કરવાની હોય, સૌર ઊર્જા લગાડવાની હોય, શૌચાલય બનાવવાનું કામ હોય. આ દરેક બાબતમાં આવું બને છે અને એટલા માટે જ સ્વાભાવિક છે કે દેશવાસીઓને અપેક્ષા હોય, કારણ કે તેમને ભરોંસો છે.
પ્રસૂન જોશી- જી, તો એવું લાગે છે કે પહેલા જ્યારે રોડ તેમના સુધી પહોંચતો હતો અને આજે રોડ તેમના સુધી પહોંચે છે ત્યારે તે દુનિયા સુધી પહોંચવા માંગે છે. તો એ આશાઓ જગાવવાની વાત કરો છે અને આ અધીરાઈને તમે સારી રીતે સમજ્યા છો. તેનું જે હકારાત્મક પાસુ છે ત્યાં સુધી આ અધીરાઈ ફળદાયી છે. આગળ વધવાની ભાવના તમે અમને સમજાવી છે.
પ્રધાનમંત્રી, લોકોની અધીરાઈ તો એક તરફ છે, પરંતુ તમે પોતે બેચેન થઈ જાવ છો. જે સરકારી વ્યવસ્થા સાથે તમે કામ કરી રહ્યાં છો તે સરકારી કામકાજની પદ્ધતિથી, જો ક્યારેય નિરાશા થતી હોય તો મોદીજીને લાગતું હશે કે તે ઝડપભેર કામ થતું નથી. જે બુલેટ ટ્રેનની ઝડપથી તમારા મનનાં વિચારો ઘડાય છે, તે રીતે આગળ ચાલશે?
પ્રધાનમંત્રી – મને ખબર નહોતી કે કવિની અંદર પણ એક પત્રકાર બેઠો છે. હું માનું છું કે જે દિવસે મારી અધીરાઈ પૂર્ણ થઈ જશે તે દિવસે હું આ દેશને માટે કામમાં નહીં આવું. હું ઈચ્છું કે મારી અંદર પણ એક બેચેની અકબંધ રહેવી જોઈએ, કારણ કે તે મારી ઊર્જા છે, તે મને તાકાત આપે છે, તે મને દોડાવે છે. દરરોજ રાત્રે સૂઈ જાઉં છું તો બીજા દિવસનું સપનું જોતાં જોતાં સૂતો હોઉં છું અને સવારે ઊઠું છું તો કામે લાગી જાઉં છું.
જ્યાં સુધી નિરાશાનો સવાલ છે, હું સમજું છું કે જ્યારે પોતાના માટે કશુંક લેવાનું કે મેળવવાનું હોય છે ત્યારે તે આશા અને નિરાશા સાથે જોડાઈ જાય છે. અને હવે તમે જ્યારે સર્વ જન હિતાય, સર્વ જન સુખાય નો સંકલ્પ લઈને કામ કરી રહ્યાં છો ત્યારે મને લાગે છે કે ક્યારેય પણ નિરાશ થવાનું કારણ નહીં મળે.
ક્યારેક કેટલાક લોકોને લાગતું હોય છે કે છોડો યાર, કશું થવાનુ નથી. સરકાર બેકાર છે, નિયમો બેકાર છે, કાયદા બેકાર છે, નોકરશાહી બેકાર છે, કામ કરવાની પદ્ધતિ બેકાર છે. તમને એક એવા લોકોનો સમૂહ મળશે કે જે તમારી સાથે આવી રીતે જ વાતો કરતો હોય. હું બીજા પ્રકારનો વ્યક્તિ છું. હું ક્યારેક ક્યારેક કહેતો હોઉં છું કે એક ગ્લાસ જો અડધો ભરેલો હોય અને કોઈ એક વ્યક્તિ મળે તો તે કહેશે કે ગ્લાસ અડધો છે. બીજી વ્યક્તિ કહેશે કે ગ્લાસ અડધો ભરેલો છે અને એક કહેશે અડધો ખાલી છે. મને જો કોઈ પૂછે તો હું કહું કે અડધો પાણીથી ભરેલો છે, અડધો હવાથી ભરેલો છે.
અને એટલા માટે હવે તમે જુઓ, એ જ સરકાર છે, એ જ કાયદા છે. એ જ નોકરશાહી છે. કામ કરવાની એજ પદ્ધતિઓ હોવા છતાં પણ ચાર વર્ષનું સરવૈયુ કાઢવામાં આવે તો હું છેવટે કોઈ બીજી સરકારની ટીકા કરવા માટે આ મંચનો ઉપયોગ કરવા માંગતો નથી અને મારે તે કરવો પણ નહીં જોઈએ. પરંતુ સમજવા માટે, તુલનાત્મક અભ્યાસ કરવા માટે આ બધુ જરૂરી બને છે. છેલ્લા 10 વર્ષમાં કામ કેવી રીતે થતું હતું તેને જોઈશું તો ખબર પડશે કે ચાર વર્ષમાં કામ કેવી રીતે થયું છે. ત્યારે તમારા ધ્યાન પર આવશે કે એ વખતે પણ નિર્ણય પ્રક્રિયાઓ હતી, આજે પણ નિર્ણય પ્રક્રિયાઓ છે. તે વખતની કામગીરી અને વર્તમાન સમયની કામગીરીમાં તમને આસમાન જમીનનું અંતર જોવા મળશે. આનો અર્થ એ થયો કે આ બધી વ્યવસ્થાઓ વડે તમારી પાસે જો સ્પષ્ટ નીતિ હોય તો અને નિયત ચોખ્ખી હોય તો, હેતુ પ્રમાણિક હોય તો, સર્વ જન હિતાય, સર્વ જન સુખાય કામ કરવાનો હેતુ હોય તો આ વ્યવસ્થાની અંદર રહીને પણ તમે ઇચ્છિત પરિણામ લાવી શકો છો.
મારી મૂળભૂત વિચારધારા આ પ્રકારની હોવાના કારણે એવું તો નથી થતું કે હું જે ઈચ્છુ તે બધુ થઈ જાય છે. અને જો ના પણ થાય તો હું નિરાશ થતો નથી, કારણ કે હું વિચારૂં છું કે કેમ ના થયું. આગળ જતાં આ કામ કરવાનો રસ્તો કઈ રીતે કાઢવો. હું આ તરફ ગયો હતો, હવે નવી રીતે કામ કરીશ. અને પછી હું કામ કરવામાં લાગી જાઉં છું.
પ્રસૂન જોશી- મોદીજી, અહિંયા આપણે એક સવાલ હાથમાં લેવા માંગીએ છીએ. આપણે તેને વિડિયોના માધ્યમથી જોઈ શકીશું. તે પ્રિયંકા વર્માજી છે અને દિલ્હીથી તેમણે એક સવાલ કર્યો છે. હવે સવાલ જોઈએ તો-
પ્રિયંકા- મોદીજી હું દિલ્હીથી પ્રિયંકા છું અને મારે એક સવાલ પૂછવાનો છે કે આપણે સરકારને શા માટે પસંદ કરીએ છીએ? આપણે એટલા માટે પસંદ કરી શકીએ કે આપણા માટે કામ કરી શકે. પરંતુ જ્યારથી તમે આવ્યા છો ત્યારથી પદ્ધતિ બિલકુલ બદલાઈ ગઈ છે. તમે તો સરકારની સાથે સાથે અમારા જેવા લોકોને પણ કામે લગાડી દીધા છે. જો કે આ ખૂબ સારી બાબત છે, પણ મારે તમને એક સવાલ કરવો છે કે આવું પહેલાં કેમ થતું નહોતું? આભાર.
પ્રસૂન જોશી- આ જે સવાલ પૂછી રહી છે તે તમે લોકોને લોકોથી જોડો છો. સરકારને કામની સાથે જોડો છો અને તે ગેસની સબસિડીના વાત હોય કે કોઈપણ બાબત હોય. ઘણી બાબતોમાં તમે જનતા પાસે એક અપેક્ષા રાખો છો. તો કામ કરવાનો તમારો આ કેવો પ્રકાર છે.
પ્રધાનમંત્રી – પ્રિયંકાએ ખૂબ સારો સવાલ પૂછ્યો છે. અને જુઓ તમે 1857થી લઈને 1947 સુધી. તમે એથી આગળ પણ જઈ શકો છો. પરંતુ હું 1857 પર આવું છું. જ્યારે 1857માં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ થયો હતો.તમે કોઈ પણ વર્ષ લઈને વાત કરો. 100 વર્ષમાંથી કોઈપણ એક વર્ષ લો. ભારતના કોઈ પણ ખૂણાની વાત કરો. દેશની આઝાદી માટે કોઈને કોઈ શહિદ થયેલ છે. દેશની આઝાદી માટે મરી મિટવા કશુંને કશું કરેલુ છે. કોઈને કોઈ નવયુવાને પોતાની જીવન જેલમાં પસાર કરી છે. એનો અર્થ એ થયો કે આઝાદીનો સંઘર્ષ કોઈપણ સમયે દેશના કોઈ ખૂણે અટક્યો ન હતો. લોકો આવતા હતા, સંઘર્ષ કરતા હતા, શહિદી વહોરી લેતા હતા અને આઝાદીની વાત આગળ ચાલતી રહેતી હતી.
પરંતુ મહાત્મા ગાંધીજીએ શું કર્યું? મહાત્મા ગાંધીજીએ આ સમગ્ર ભાવનાને એક નવું સ્વરૂપ આપ્યું. તેમણે સામાન્ય લોકો સાથે જોડાવાનો પ્રયાસ કર્યો. તે સામાન્યમાં સામાન્ય વ્યક્તિને કહેતા હતા કે સારૂ ભાઈ, તમને દેશની આઝાદી જોઈએ છે ને? એવુ કરો, તમે ઝાડુ લઈને સફાઈ કરો, દેશને આઝાદી મળશે. તમને આઝાદી જોઈએ છે ને? તમે શિક્ષક છો, સારી રીતે બાળકોને ભણાવો, દેશને આઝાદી મળી જશે. તમે પ્રૌઢ શિક્ષણનું કામ કરો છો ને? કરતા રહો. તમે ખાદીનું કામ કરો છો ને? કરતા રહો. તમે નવયુવાનોને સાથે લઈને પ્રભાત ફેરી કાઢી શકો છો ને? કાઢતા રહો.
મહાત્મા ગાંધીજીએ આઝાદીને લોક આંદોલનમાં રૂપાંતરીત કરી હતી. સામાન્ય લોકોને તેમની ક્ષમતા મુજબ કામ આપ્યું હતું. તમે રેંટિયો લઈને બેસી જાવ. સૂતર કાંતો, દેશને આઝાદી મળી જશે અને લોકોને પણ ખાત્રી થઈ ચૂકી હતી કે આઝાદી આ રીતે પણ આવી શકે છે.
હું સમજું છું કે મરનારા લોકોની કોઈ અછત હોતી નથી. દેશ માટે મરી મીટવા માંગતા લોકોની પણ કોઈ અછત નહોતી. પરંતુ તે આવતા હતા અને શહિદ બનતા જતા હતા. પછી કોઈ નવી વ્યક્તિ તૈયાર થતી અને શહિદ બની જતી હતી.
ગાંધીજીએ એક સાથે ભારતના ખૂણે ખૂણેથી કોટિ કોટિ લોકોને ઉભા કરી દીધા. જેના કારણે આઝાદી મેળવવાનું સરળ બની ગયું. હું માનું છું કે વિકાસ પણ જન આંદોલન બની જવો જોઈએ. જો કોઈ વ્યક્તિ એમ માનતી હોય કે સરકાર દેશ બદલી દેશે, સરકાર વિકાસ કરી લેશે. આઝાદી પછી એવું વાતાવરણ બની ગયું કે આપણે આઝાદ બની ગયા હવે બધુ કામ સરકાર કરશે. ગામમાં એક ખાડો પણ પડ્યો હોય તો ગામના લોકો એકઠા થશે, આવેદન પત્ર તૈયાર કરશે, ભાડેથી એક જીપ લેશે. જો તેમની ઈચ્છા હોત તો આટલા ખર્ચમાં તો ખાડો ભરાઈ ગયો હોત. પણ તે કામ હવે સરકાર કરશે.
આઝાદી પછી એક એવું વાતાવરણ બન્યું હતું કે બધુ કામ કોણ કરશે? તો કહે સરકાર કરશે. એના કારણે ધીરે ધીરે એવું થતું ગયું કે સરકાર અને જનતા વચ્ચે અંતર વધતું ગયું. તમે જોયું હશે કે જો કોઈ બસમાં જતું હોય તો તમને લોકોને અનુભવ થયો હશે કે બસમાં વ્યક્તિ એકલો બેઠો હોય, આજુબાજુમાં કોઈ મુસાફર બેઠો ન હોય, સમય પસાર કરવો હોય તો તે શું કરે છે? સીટની અંદર આંગળી નાંખે છે, તેમાં એક કાણું પાડે છે અને ધીરે-ધીરે તેને કાપતો રહે છે. બેઠા બેઠા આવું કરતો રહે છે. અને જે ક્ષણે તેને ખબર પડે કે આ બસ સરકારની છે, એટલે કે મારી છે અને સરકાર મારી છે, દેશ મારો છે તો પછી ભાવ દૂર થાય છે. હું સમજું છું કે દેશમાં આ ભાવ ખૂબ મજબૂત હોવો જોઈએ. બીજુ, લોકશાહી એ કોઈ સમજૂતિનો કરાર નથી કે આજે મેં થપ્પો માર્યો, વોટ આપી દીધો, હવે બેટા પાંચ વર્ષ કામ કરો. પાંચ વર્ષ પછી પૂછીશ કે શું કામ કર્યું? જો નહીં કર્યું હોય તો બીજી વ્યક્તિને લઈ આવીશ. આ કોઈ મજુરી કામનો કરાર નથી, આ ભાગીદારીનું કામ છે અને એટલા માટે હું માનું છું કે પરસ્પર સહયોગી લોકશાહી પણ ભાર મૂકાવો જોઈએ. અને તેમ અનુભવ કર્યો હશે કે જ્યારે પણ કોઈ કુદરતી આફત આવે છે ત્યારે સરકારથી વધુ સમાજની શક્તિ કામે લાગી જતી હોય છે અને આપણે થોડીક જ ક્ષણોમાં તફાવત જોઈએ છે કે તેમાં સમાધાન મેળવવાની તાકાત આવી જાય છે. શા માટે આવુ? જનતા જનાર્દનની તાકાત ખૂબ મોટી હોય છે. લોકશાહીમાં જનતા ઉપર જેટલો ભરોંસો મૂકશો, જનતા એમાં એટલો જ ઉમેરો કરશે અને પરિણામ મળી જશે.
સરકારની રચના થઈ તે પછી મેં શૌચાલય બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. તમે કલ્પના કરો કે સરકાર આ કામ કરી શકત? પહેલાં સરકાર 5000 શૌચાલયો બનાવતી હતી, હવે 10,000 બનાવશે. લોકો કહેશે કે જૂની સરકાર 5000 બનાવતી હતી અને મોદીજી 10,000. દસ હજારથી કામ કઈ રીતે પૂરૂ થશે ભાઈ? જનતાએ આ કામ ઉપાડી લીધુ અને કામ પૂરૂ થઈ ગયું. અને જનતાની તાકાત તો જુઓ? ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટે રેલવેમાં ટિકિટમાં છૂટ આપવામાં આવે છે. સરકારમાં આવ્યા પછી મે કહ્યું કે અંદર લખો તો ખરા કે તમે જે રિઝર્વેશન માટે ફોર્મ ભરો છે તેમાં જણાવો કે હું વરિષ્ઠ નાગરિક છું, મને લાભ મળે છે, પરંતુ હું મારો લાભ જતો કરવા માંગુ છું. ખૂબ સાદી વાત હતી. પ્રધાનમંત્રીના સ્તરે મેં ક્યારેય આવી અપીલ પણ કરી નહોતી, પરંતુ તમને બધાંને આશ્ચર્ય થશે કે જે ભારતની વિશેષતા છે અને સામાન્ય માનવીની દેશભક્તિ છે તે મુજબ હજુ હમણાં જ અમે નિર્ણય કર્યો અને અત્યાર સુધીમાં 40 લાખ વરિષ્ઠ નાગરિકો કે જે એસીમાં પ્રવાસ કરનાર લોકો હતા તેમણે સ્વેચ્છાએ સબસિડી છોડી દીધી. અને લખ્યું કે તે પૂરી ટિકિટ લઈને પ્રવાસ કરવા માંગે છે.
મેં જો કાયદો બનાવ્યો હોત કે વરિષ્ઠ નાગરિકોને એસી કોચમાં મળતો લાભ બંધ. તો સરઘસો નિકળ્યા હોત, પૂતળા બાળવામાં આવ્યા હોત અને પછી લોકપ્રિયતાનું રેટીંગ આવી જાત કે મોદીનું રેટીંગ ગબડી ગયું અને આ દુકાન ચાલવા માંડી હોત. જોયુ કે 40 લાખ લોકોએ સ્વેચ્છાએ સબસિડી છોડી દીધી.
મેં એક દિવસ લાલ કિલ્લા પરથી કહ્યું કે જે લોકોને પોસાઈ શકે તેમ છે તેમણે સબસિડી શા માટે લેવી જોઈએ? આપણે ત્યાં ગેસ સબસિડીની સંખ્યા ઉપર ચૂંટણી લડવામાં આવે છે. કોઈ કહે છે કે મને પ્રધાનમંત્રી બનાવો, હમણાં 9 સિલિન્ડર મળે છે તેની જગાએ 12 સિલિન્ડર અપાવીશ. મેં લોકોને વિરૂદ્ધ વાત કરી. મેં કહ્યું જરૂર ના હોય તો સબસિડી છોડી દો. અને તમને આશ્ચર્ય થશે કે ભારતના લગભગ સવા સો કરોડથી વધુ પરિવારોએ ગેસની સબસિડી છોડી દીધી. દેશમાં ઈમાનદાર લોકોની કોઈ અછત નથી. દેશ માટે જીવવાવાળા અને દેશ માટે મરવાવાળા દેશ માટે કશું ને કશું કરતાં લોકોની કોઈ અછત નથી.
આપણાં લોકોનું કામ છે દેશના સામર્થ્યને સમજવાનું અને તેમને જોડવાનું. મારો એવો પ્રયાસ રહ્યો છે કે સરકારે દેશ ચલાવવાનો છે તેવું કહેવામાં આવે તો તે સરકારનો અહંકાર છે. આવો અહંકાર સરકારે છોડી દેવો જોઈએ. જનતા જનાર્દનની જ શક્તિ છે. તેમને સાથે લઈને ચાલો. આપણને જોઈએ તેવું પરિણામ મળી જશે. અને એટલા માટે જ હું જનતાને સાથે લઈને કામ કરવાના વિચારને આગળ વધારી રહ્યો છું.
પ્રસૂન જોશી- વાહ મોદીજી! બે લાઈનો યાદ આવે છે. એ જૂની યાદ આવે છે કે આપણે નીચે નજર કરીએ તો સરકાર અને જનતા વચ્ચે એક અંતર પડી ગયું હતું.
હમ નીચી નજર કર કે દેખતે હૈ ચરન તુમ રે, તુમ જાઇ કે બૈઠે હો ઈક ઊંચી અટરિયા માં
પ્રધાનમંત્રી – હું તો જનતા જનાર્દનને પ્રાર્થના કરૂં છું કે મને આશીર્વાદ આપો કે મને કોઈ આદત ના પડી જાય.
પ્રસૂન જોશી-મોદીજી આપણે એક સવાલ લઈએ છીએ. તે પછી આગળ જઈએ છીએ. તમે હમણાં, દર્શકોમાંથી એક સવાલ પૂછવા માટે વિનંતી કરવામાં આવી છે. શ્રી મયૂરેશ ઓઝાનીજી એક સવાલ પૂછવા માગે છે. મયૂરેશ ઓઝાનીજી તમે સવાલ પૂછો, જરા આ તરફ આવવા વિનંતિ.
પ્રધાનમંત્રી – કદાચ પ્રવેશ નહી મળ્યો હોય. કોઈ પણ કહેશે કે હું મયુરેશ છું. અને બે ચાર હતા, ઉભા થઈ જશે.
પ્રશ્ન કરનાર- નમસ્તે મોદીજી, તમે જ્યારે સર્જીકલ સ્ટ્રાઈક કરવા માટેનો ખૂબ જ મહત્વનો, ઐતિહાસિક અને હિંમતભર્યો નિર્ણય લીધો, ત્યારે તમારા મનમાં કેવી ભાવનાઓ ઉછળી રહી હતી ?
પ્રધાનમંત્રી – સર્જીકલ સ્ટ્રાઈક બાબતે તમારો સવાલ છે ?
હું આપનો આભારી છું, પણ તમે શબ્દો દ્વારા તમારી ભાવના વ્યક્ત કરી શકતા નથી. પરંતુ તમે હાવભાવથી તમારી વાત રજૂ કરી અને શબ્દો વડે તમારા સાથીઓએ આ વાત મારા સુધી પહોંચાડી, એક તો આ દ્રશ્ય પોતે જ હૃદયને સ્પર્શી જાય તેવુ છે, તે મને સ્પર્શી ગયું છે. લંકા છોડતી વખતે ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણજીનો એક સંવાદ છે. એ સમયે પણ એ સિદ્ધાંતો આપણે જોયા છે. પરંતુ જ્યારે કોઈ આતંદવાદની નિકાસ કરવાનો ધંધો ચલાવતો હોય , મારા દેશના નિર્દોષ નાગરીકોને મારી નાખવામાં આવતા હોય.જેમને યુદ્ધ લડવાની તાકાત હોતી નથી તે લોકો પીઠ ઉપર ઘા કરવાનો પ્રયાસ કરતા હોય છે. તો આ મોદી છે, એ જ ભાષામાં જવાબ આપતાં આવડે છે.
અમારા સૈનિકો જ્યારે તંબૂમાં સુતેલા હતાં, રાત હતી ત્યારે કેટલાંક બાયલા લોકો આવીને તેમને મારી નાખે. તમારામાંથી કોઈ ઈચ્છે ખરૂં કે આવા વખતે હું ચૂપ રહું શું? તેમને ઈંટનો જવાબ પત્થરથી આપવો જોઈએ કે ન આપવો જોઈએ ? અને એટલા માટે જ સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી. મને મારી સેના ઉપર ગર્વ છે, મારા દેશના જવાનો ઉપર ગર્વ છે. જે રીતે યોજના ઘડવામાં આવી હતી તે રીતે જ, સહેજ પણ ભૂલ કર્યા વગર, તેમના દ્વારા સો ટકા અમલમાં મૂકવામાં આવી હતી. અને સૂરજ ઊગે તે પહેલાં બધા પાછા આવી પણ ગયા. અને અમારૂ પ્રામાણિક દિલ તો જુઓ, મેં અમારા અધિકારી કે જે એને દિશા નિર્દેશ કરી રહ્યાં હતા. તમે ભારતને ખબર પડે તે પહેલાં, મિડીયા ત્યાં પહોંચે તે પહેલા, પાકિસ્તાનની સેનાને ફોન કરીને જાણ કરી દો કે, આજે રાત્રે અમે આ કર્યું છે, એ લાશો ત્યાં પડેલી હશે. તમને સમય હોય તો જઈને લઈ આવો.
અમે સવારે 11 વાગ્યાથી તેમને ફોન કરવાની કોશિશ કરી રહ્યાં હતા. તે ફોન ઉપર આવતાં ડરતા હતા, ફોન પર આવતા ન હતા મેં આ તરફ પત્રકારોને બોલાવી રાખ્યા હતા. અમારા સેનાના અધિકારીઓ પણ ઊભા હતા. પત્રકારોને પણ નવાઈ લાગતી હતી, કે શું વાત છે, અમને બોલાવવામાં આવ્યા છે, અને કોઈ વાત કરતું નથી.
મેં કહ્યું, પત્રકારો બેઠા છે, તેમને બેસાડો, તે ઓછા નારાજ થઈ જવાના છે. પરંતુ સૌથી પહેલાં પાકિસ્તાન સાથે વાત કરો. આપણે આ કર્યું છે, આપણે તેને સંતાડતા નથી. 12 વાગે તે ટેલિફોન ઉપર આવ્યા. તેમની સાથે વાત થઈ, તેમને કહેવામાં આવ્યું કે આવુ આવું થયું છે અને અમે તે કર્યું છે. તો આ સર્જીકલ સ્ટ્રાઈક તે ભારતના વીરોનું જ પરાક્રમ હતું. પરંતુ આતંકવાદની નિકાસ કરનારા લોકોને ખબર હોવી જોઈએ કે હવે ભારત બદલાઈ ચૂક્યું છે.
પ્રસૂન જોશી- મોદીજી તમે જ્યારે વીરતાની વાત કરી છે ત્યારે સેનાના આટલા ત્યાગ પછી ત્યાં આપણને રાજનીતિનો પ્રવેશ થતો જોવા મળે છે. સેનાની વીરતા ઉપર લોકો સવાલો કરવા તૈયાર થઈ જાય છે.તેને તમે કેવી રીતે મૂલવો છો ?
પ્રધાનમંત્રી – જુઓ હું ફરીવાર કહુ છું કે હું આ મંચનો ઉપયોગ રાજનીતિના વિરોધીઓની ટીકા કરવા માટે કરવા માગતો નથી. હું એટલું જ કહીશ કે ભગવાને તેમને સદબુદ્ધિ આપે.
પ્રસૂન જોશી – મોદીજી આ વાત થઈ પરિવર્તનની અને અધીરાઈની. કહેવાય છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. હું કવિ હોવા તરીકે નથી કહેતો. સાચી પ્રગતિ એ જ છે કે જે તમામ લોકો સુધી પહોંચે. તમે હમણાં કહ્યું તેમ કોઈપણ સભ્યતા જે રીતે તમે વયોવૃદ્ધ લોકોની વાત કરી, વ્યંગની વાત કરી. કોઈપણ સભ્યતા જો સમાજના છેડે રહેલા દુઃખી લોકો સુધી પહોંચી શકે નહીં તો પોતાના માટે ગર્વ કરી શકે નહીં. કાર્યક્રમના આ વિભાગમાં આપણે એવા વર્ગોની વાત કરીશું કે જેમનું અસ્તિત્વ હોવા છતાં આપણે તે જોઈ શકતા નથી. મોટી મોટી યોજનાઓના ઘોંઘાટમાં તેમના હિત ક્યાંક ખોવાઈ જાય છે. જેવી રીતે ઢોલના અવાજમાં વાંસળીનો સૂર ઘણો મંદ પડી જાય છે.
પ્રધાનમંત્રી મોદીજી તમે લાલ કિલ્લા પરથી પહેલીવાર શૌચાલય જેવા મુદ્દા પર વાત કરી હતી. કોઈ પ્રધાનમંત્રી પહેલી વાર આવો મહત્વનો મુદ્દો કે જે દેખાવમાં નાનો લાગે પરંતુ ખૂબ જ મહત્વનો બની રહે છે તેને તમે પ્રાથમિકતા આપી તે અમે જોયું. આજે પ્રાથમિકતા બદલાઈ છે અને જે પ્રાથમિકતા તમે નક્કી કરો છો તે કઈ રીતે નક્કી કરો છો અને આ મુદ્દો કઈ રીતે ઉભરી આવ્યો?
પ્રધાનમંત્રી – જુઓ, હું એવું તો કહેતો નથી કે આઝાદીના 70 વર્ષમાં કોઈ સરકારે આ વિષય પર ધ્યાન નથી આપ્યું. એવું કહેવું તે એ લોકો સાથે અન્યાય ગણાશે. એથી હું એ રીતે વાત કરતો પણ નથી. મેં તો લાલ કિલ્લા પરથી કહ્યુ હતું કે આજે હિંદુસ્તાન જ્યાં છે ત્યાં, દેશ આઝાદ થયો ત્યારથી લઇને તમામ સરકારોએ, તમામ પ્રધાનમંત્રીઓ, તમામ રાજ્ય સરકારો, તમામ મુખ્યમંત્રીઓ અને દરેકે દરેક લોક પ્રતિનિધિનું કોઈને કોઈ યોગદાન રહ્યું છે. આવું મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું અને હું એવું માનું છું. પરંતુ એવું કયું કારણ છે કે આટલી યોજનાઓ થઈ, આટલા નાણાં ખર્ચાઈ રહ્યા છે, પરંતુ સામાન્ય માનવીના જીવનમાં કેમ પરિવર્તન આવતું નથી?
મહાત્મા ગાંધીએ આપણાં લોકોને એક સિદ્ધાંત આપ્યો હતો અને હું માનું છું કે કોઈ વિકાસિત દેશ માટે આનાથી વધુ સારો કોઈ સિદ્ધાંત હોઈ શકે નહીં. મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે કોઈપણ નીતિ બનાવો તો એને એવા ત્રાજવાંથી તોળો કે જે છેવાડાના વ્યક્તિમાં તેનો પ્રભાવ વર્તાય. મહાત્મા ગાંધીજીએ કરેલી આ વાત મારા ગળે ઉતરી ગઈ અને આપણે ગમે તેટલી નીતિઓ બનાવીએ, મોટી મોટી વાતો કરીએ, પરંતુ જેમના માટે બનાવી રહ્યા છે તે સમાજના છેવાડાના સ્તરે બેઠેલી વ્યક્તિ સુધી પહોંચવામાં આપણે ક્યાં ઉભી છીએ?
હું જાણું છું કે એક કઠીન કામ મારા માથે લીધુ છે. શક્ય છે કે આ વાતને કોઈ નકારાત્મક રીતે પણ જુએ, પરંતુ શું એ માટે આવા કામોને છોડી દેવા જોઈએ? શું ગરીબ જ્યાં પડ્યો છે ત્યાં જ તેને પડી રહેવા દેવો જોઈએ? આવા સમયે તમે મને કલ્પના કરતો જોઈ શકશો કે નાની કન્યાઓ પર બળાત્કાર થાય છે તે કેટલી દર્દનાક ઘટના છે? પરંતુ શું આપણે એવું કહીશું કે તમારી સરકારમાં આટલા થતા હતા અને મારી સરકારમાં આટલા થાય છે? આના કરતાં ખરાબ રસ્તો બીજો કોઈ હોઈ શકે નહીં. બળાત્કાર, બળાત્કાર જ હોય છે. એક દિકરી સાથે બળાત્કાર થાય તે આપણે કેવી રીતે સહન કરી શકીએ? અને એટલા માટે જ મેં લાલ કિલ્લા પરથી નવી રીતે આ વિચારને રજૂ કર્યો હતો. મેં કહ્યું હતું કે જો દિકરી ઘરે મોડી આવતી હોય ત્યારે દરેક માતા-પિતા પૂછે છે કે ક્યાં ગઈ હતી, શા માટે ગઈ હતી, કોને મળવા ગઈ હતી? ફોન પર વાત કરતાં માતા જુએ તો કહેશે કે વાત બંધ કરી દે, કોની સાથે વાત કરી રહી છે, શા માટે વાત કરી રહી છે?
અરે ભાઈ, દિકરીઓને તો બધા લોકો પૂછે છે, ક્યારેક દિકરાઓને તો પૂછો કે તે ક્યાં ગયા હતા? આ વાત મેં લાલ કિલ્લા પરથી કહી હતી અને હું માનું છું કે બુરાઈ સમાજની છે, વ્યક્તિની છે, વિકૃતિ છે. આ બધુ હોવા છતાં તે ચિંતાનો વિષય છે અને આવું પાપ કરનાર વ્યક્તિ કોઈનો તો દિકરો છે, તેના ઘરમાં પણ માતા હશે.
આ રીતે તમે કલ્પના કરી શકો છો કે આઝાદીના આટલા વર્ષો પછી ભારતમાં સફાઈનું સ્તર 35 થી 40 ટકાની આસપાસ હતું. શું આજે પણ આપણી માતા, બહેનોએ, જુઓ આ ચીજોનું એક બીજુ પણ કારણ છે. મને પુસ્તક વાંચીને ગરીબી શિખવાડવાનું આવડતું નથી. મારે ટી.વી.ના પડદા પર જોઈને ગરીબીનો અનુભવ કરવો નથી. હું એ જીંદગી જીવીને આવ્યો છું કે જેમાં ગરીબી છું છે, પછાતપણું શું હોય છે, ગરીબીને કારણે જીંદગીમાં કેવો સંઘર્ષ કરવો પડે છે તે હું જોઈને આવ્યો છું.
અને એટલા માટે હું મનથી માનું છું કે, હું થોડુક પરિવર્તન લાવું. અને એટલે જ લાલ કિલ્લા પરથી મેં કહ્યું હતું કે 18 હજાર ગામડાં કે જ્યાં હજુ સુધી વિજળી પહોંચી નથી, આનો અર્થ એ થયો કે બાકીના ગામો સુધી વિજળી પહોંચી છે. જેમણે પહોંચાડી છે તેમને સો સો સલામ. પરંતુ 70 વર્ષ પછી પણ 18 હજાર ગામોમાં વિજળી નથી પહોંચી તેની જવાબદારી પણ આપણાં લોકોએ લેવી જોઈએ. અને મેં સરકારી કચેરીમાં કહ્યું કે આ બધુ ક્યારે કરશો ભાઈ? તો મને કોઈએ કહ્યું કે 7 વર્ષ લાગશે. મેં કહ્યું કે હું 7 વર્ષ રાહ નહીં જોઈ શકું. અને મેં લાલ કિલ્લા પરથી ઘોષણા કરી દીધી કે હું 1000 દિવસમાં આ કામ પૂરૂ કરવા માંગુ છું. કામ કપરૂં હતું, દુર્ગમ વિસ્તારો હતા, ઘણાં તો અંતિમવાદીઓ અને માઓવાદીઓના વિસ્તાર હતા. 18 હજાર ગામડાંઓ સુધી વિજળી પહોંચાડવાનું કામ લગભગ પૂરૂ થયું છે અને હવે કદાચ દોઢસો પોણા બસો ગામ બાકી છે અને કામ ચાલી રહ્યું છે.
તમે કલ્પના કરી શકો છો કે ગરીબ માતા શૌચાલય જવા માટે સૂર્યોદય થાય તે પહેલા જંગલ જવાનું વિચારતી હતી અને દિવસ દરમ્યાન ક્યારે જવું પડે તો શારીરિક પીડા સહન કરી લેતી હતી, પરંતુ સૂરજ આથમે ત્યાં સુધી રાહ જોતી હતી અને તે શૌચાલય માટે જતી નહોતીં. આ માતાને કેટલી પીડા થતી હશે? તેના શરીર પર કેટલો જૂલ્મ થતો હશે? શું આપણે ટોયલેટ ના બનાવી શકીએ? આ સવાલ મને સૂવા દેતો ન હતો. અને ત્યારે મને લાગ્યું કે હું લાલ કિલ્લા પર જઈને મારી ભાવનાઓને છૂપાવ્યા વગર વ્યકત કરૂ. જવાબદારી ઘણી મોટી હતી, પરંતુ મેં જોયું કે દેશમાંથી ઘણો સારો પ્રતિભાવ મળ્યો અને મારા લગભગ 3 લાખ ગામ જાહેરમાં શૌચાક્રિયા માંથી મુક્ત થઈ ગયા અને કામ ઝડપજીથી આગળ ચાલી રહ્યું છે અને એટલે જ આ લાસ્ટ માઈલ ડિલીવરી (છેવાડા સુધી પહોંચવાની સ્થિતી) છે. લોકતંત્રમાં સરકારની આ મુખ્ય જવાબદારી છે.
અને આ રીતે હમણાં મેં એક પડકાર ઉપાડ્યો છે. પહેલા જે પડકાર ઉપાડ્યો હતો કે ગામડાં સુધી વિજળી પહોંચાડીશુ. હવે પડકાર ઉપાડ્યો છે કે ઘર-ઘર સુધી વિજળી પહોંચાડીશુ. 4 કરોડ પરિવાર એવા છે. ભારતમાં કુલ 25 કરોડ પરિવાર છે. સવા સો કરોડની વસતિ છે, પરંતુ લગભગ 4 કરોડ પરિવાર એવા છે કે જે આઝાદીના 70 વર્ષ પછી પણ આ પરિવારો 18મી સદીનું જીવન જીવી રહ્યા છે અને દીવો સળગાવીને જીવન પસાર કરી રહ્યા છે.
મેં પડકાર ઉપાડ્યો છે કે સૌભાગ્ય યોજના હેઠળ મફતમાં આ 4 કરોડ પરિવારોને વિજળીનું જોડાણ આપીશુ. તેમના બાળકો વિજળીમાં વાંચશે. તેમના ઘરમાં જો કોમ્પ્યુટર ચલાવવું હશે તો, મોબાઈલ ચાર્જ કરવો હશે તો તે થઈ શકશે અને દુનિયા સાથે જોડાઈ શકશે. ટી.વી. લાવવાનો ખર્ચો મળી જશે તો ટી.વી જોશે, બદલાતી જતી દુનિયાને જોશે અને દુનિયા સાથે જોડાવા માટે તેમની અંદર મારે એક બેચેની પેદા કરવી છે. તેમની અંદર બેચેની એટલા માટે પેદા કરવી છે કે તે લોકો પણ કશુંક કરવા માટે મારી સાથે જોડાઈ જાય. અને આ જ તો સશક્તિકરણ છે. હું ગરીબોનું સશક્તિકરણ કરવા માટે ગરીબી સામે લડવા માટે મારા સાથીઓની એક નવી ફોજ તૈયાર કરવા માંગુ છું. આ ફોજ ગરીબીમાંથી બહાર આવશે અને ગરીબીની સામે લડાઈ લડશે અને આવું થશે તો જ ગરીબી નાબુદ કરી શકાશે. ગરીબ હટાવો ના નારાથી આ બધુ નહીં થઈ શકે.
પ્રસૂન જોશી – મોદીજી, તમે પૂરે-પૂરી મહેનત કરી રહ્યા છો, તે દરેક માને છે પરંતુ શું તમે એકલા દેશને બદલી શકશો?
પ્રધાનમંત્રી – જુઓ, હું મહેનત કરું છું, એ વાત તમે કહી, હું સમજુ છું દેશમાં આ વિષયમાં કોઈ વિવાદ નથી. હું મહેનત કરું છું તે કોઈ મુદ્દો જ નથી, જો ના કરતો હોઉ તો મુદ્દો હોત. મારી પાસે પુંજી છે પ્રમાણિકતાની. સવા સો કરોડ દેશવાસીઓએ મને અહિયાં બેસાડ્યો છે. ન તો મારી કોઈ જાતિ છે ન મારો કોઈ વંશવાદ છે કે – મારા પિતાજી કંઈક હતાં કે પછી મારા દાદાજી કંઈક હતાં કે મારા નાનાજી કંઈક હતાં. કંઈજ નથી જી, તો મારી પાસે પુંજી એક જ છે. કઠોર પરિશ્રમ. મારી પાસે પુંજી છે પ્રમાણિકતા. મારી પાસે પુંજી છે મારા સવા સો કરોડ દેશવાસીઓનો પ્રેમ અને એટલા માટે મારે વધુમાં વધુ મહેનત કરવી જોઈએ અને હું દેશવાસીઓને કહેવા માંગીશ કે હું પણ તમારી જેવો જ એક સામાન્ય નાગરિક છું. મારી અંદર તે તમામ ખામીઓ છે જે એક સામાન્ય માનવીની અંદર હોય છે.
પ્રસૂન જોશી – હા, 16 કલાક તો કામ નથી કરતા સામાન્ય.
પ્રધાનમંત્રી – કૃપા કરીને મને અલગ ના સમજશો. તમે મને તમારી જેવો જ માની લો અને એ જ સાચુ છે. હું કોઈ જગ્યા પર બેઠો છું, તે તો એક વ્યવસ્થાનો ભાગ છે, પરંતુ હું એ જ છું જે તમે છો. તમારાથી હું અલગ નથી. મારી અંદર એક વિદ્યાર્થી છે. અને હું, મારા શિક્ષકોનો ખૂબ આભારી છું કે બાળપણમાં મને તેમણે આ રસ્તો શીખવાડ્યો કે મારી અંદરના વિદ્યાર્થીને ક્યારેય મરવા નથી દીધો અને મને જે જવાબદારી મળી છે તેને હું શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છું, સમજવાનો પ્રયત્ન કરું છું. ભૂલો નહીં થાય, હું જ્યારે ચુંટણી લડી રહ્યો હતો ત્યારે મે દેશવાસીઓને કહ્યું હતું કે મારી પાસે અનુભવ નથી. મારાથી ભૂલો થઇ શકે તેમ છે. પરંતુ મે દેશવાસીઓને ભરોસો અપાવ્યો હતો કે હું ભૂલો કરી શકું છું પરંતુ ખોટા ઈરાદાથી કોઈ કામ ક્યારેય નહી કરું.
સૌથી લાંબા સમય સુધી મને મુખ્યમંત્રીના રૂપમાં ગુજરાતમાં કામ કરવાનો અવસર મળ્યો, હવે ચાર વર્ષ થવા આવ્યા છે, પ્રધાનમંત્રીનું, પ્રધાન સેવકનું કામ મને મળી ગયું છે. પરંતુ ખોટા હેતુથી કોઈ કામ નહીં કરું, મે દેશને વચન આપ્યું છે.
હવે પ્રશ્ન એ ઉઠે છે કે, મે ક્યારેય નથી વિચાર્યું કે દેશ હું બદલી નાખીશ, એવું ક્યારેય નથી વિચાર્યું. પરંતુ મારી અંદર એક ભરપુર વિશ્વાસ પડેલો છે કે મારા દેશમાં જો લાખો સમસ્યાઓ છે તો સવા સો કરોડ દેશવાસીઓની શક્તિ પર મારો ભરોસો પણ છે અને મે અનુભવ કર્યો છે કે કોઈ કલ્પના કરી શકે છે – નોટબંધી. તમે જો ટીવી ચાલુ કરીને જોશો તો નોટબંધી એટલે મને આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ મળ્યા હતાં તો તેઓ કહી રહ્યા હતાં કે મોદીજી – મારા સારા મિત્ર છે. કહે કે હું અને મારી પત્ની વાત કરી રહ્યા હતાં કે મારો દોસ્ત ગયો. મે કહ્યું, કેમ શું થયું? અરે, તો એ કહે, યાર તમે નોટબંધી કરી, કેમ કે વેનેઝુએલામાં પણ તે જ સમયે ચાલી રહ્યું હતું, અમે તેમના પાડોશી છીએ, તો તેમને ખબર હતી.
તો કહે, મારી પત્ની અને અમે બંને ચર્ચા કરી રહ્યા હતાં કે મારો દોસ્ત ગયો. 86 ટકા ચલણી નાણું કારોબારી વ્યવસ્થામાંથી બહાર થઇ જાય, ટીવીના પડદા પર સતત સરકાર વિરૂદ્ધ ધૂંઆધાર આક્રમણ થાય, પરંતુ એ દેશવાસીઓ પ્રત્યે મારો ભરોસો હતો કારણ કે દેશ, મારો દેશ ઈમાનદારી માટે ઝઝૂમી રહ્યો છે. મારા દેશનો સામાન્ય નાગરિક ઈમાનદારી માટે કષ્ટ સહન કરવા માટે તૈયાર છે, જો આ મારા દેશની તાકાત છે તો મારે એ તાકાતને અનુરૂપ મારા જીનવને ઢાળવું જોઈએ અને તેનું જ પરિણામ છે કે આજે જેટલા પણ પરિણામો તમે જોઈ રહ્યા છો, મોદી તો નિમિત્તમાત્ર છે અને વાસ્તવમાં મોદીની ત્યાં જરૂર છે. જરૂરિયાત શું છે, કોઈને પણ પથ્થર મારવો છે તો મારશો કોને ભાઈ? કોઈને કચરો ફેંકવો છે તો ક્યાં ફેંકશોજી? કોઈને ગાળો આપવી છે તો કોને આપશો?
તો હું મારી જાતને સૌભાગ્યશાળી માનું છું કે મારા સવા સો કરોડ દેશવાસીઓ પર કોઈ પથ્થર નથી મારી રહ્યા, કોઈ કીચડ નથી ઉછાળી રહ્યા, કોઈ ગાળો નથી આપી રહ્યા. હું એકલો છું, લેતો રહું છું, સહન કરતો રહું છું અને હું તમારી જેમ કવિ તો નથી પરંતુ દરેક યુગમાં કોઈ ને કોઈ કંઈક તો લખતા જ રહે છે. તમારામાંથી સૌએ લખ્યું હશે. પરંતુ આપણે સૌ કવિ નથી બની શકતા. તે તો પ્રસૂન જ બની શકે છે. પરંતુ મે ક્યારેક લખ્યું હતું.
પ્રસૂન જોશી – જી
પ્રધાનમંત્રી – કારણ કે હું એવું જીવન પસાર કરીને આવ્યો છું તો મારા જીવનમાં આ બધું સહન કરવું એ ખૂબ સ્વાભાવિક હતું અમે ઠોકરો ખાતાં-ખાતાં આવ્યા છીએ જી. અનેક પ્રકારની મુશ્કેલીઓમાંથી નીકળીને આવ્યા છીએ તો મેં લખ્યું હતું કે, જે લોકો મને – મને આખી કવિતાનાં શબ્દો આજે યાદ નથી પરંતુ કોઈને રસ હોય તો મારૂ એક પુસ્તક છે જરૂરથી તમે જોઈ લેજો. મેં તેમાં લખ્યું હતું-
“જે લોકો પથ્થર ફેંકે છે મારા પર, હું એ પથ્થરોમાંથી પગથીયા બનાવી દઉં છું અને એ જ પગથીયા પર ચઢીને આગળ ચાલ્યો જાઉં છું.”
અને એટલા માટે જ મારો ખ્યાલ રહ્યો છે “ટીમ ઇન્ડિયા”, માત્ર સરકારમાં બેઠેલા લોકો જ નહી. અમલદારશાહી છે, રાજ્ય સરકાર છે, સમવાય માળખા માટે મારી ઘણી મોટી પ્રાથમિકતા છે. સહયોગાત્મક સમવાયતંત્રને મે સ્પર્ધાત્મક, સહયોગાત્મક અને સમવાયતંત્રની દિશામાં લઇ જવાનો પ્રયત્ન કર્યો છે.
મે હમણાં જ દેશના 115 જીલ્લાઓ, મહત્વાકાંક્ષાવાળા જીલ્લાઓને ઓળખી કાઢ્યા છે. હું તેમને પ્રેરણા આપી રહ્યો છું કે તમે તમારા રાજ્યની જે સરેરાશ છે, ત્યાં સુધી આવી જાઓ, હું તમારી સાથે ઉભો છું. હું તેમનો ઉત્સાહ વધારી રહ્યો છું અને તેઓ કરી રહ્યા છે. અને તેનું જ પરિણામ છે કે ટોયલેટનું લક્ષ્ય રાખું છું, પૂરું થઇ જાય છે. 18 હજાર ગામડાઓમાં વીજળી, કોઈ મોદી થાંભલો નાંખવાં ગયો હતો શું? થાંભલા નાંખવાં માટે મારા દેશવાસીઓ ગયા હતાં. વીજળી પહોંચાડનારા મારા દેશવાસીઓ ગયા હતાં અને એટલા માટે મહાત્મા ગાંધીની તે વાત જેને મે એક મંત્રના રૂપમાં લીધી છે કે આઝાદી માટે દીવાનાઓ ઘણા હતાં, આઝાદી માટે મરનારા લોકો પણ ઘણા બધા હતાં, અને તેમની ત્યાગ તપસ્યાને કોઈ પણ વ્યક્તિ ઓછી આંકી શકે તેમ નથી. તેમની શહીદીને કોઈ ઓછી આંકી શકે તેમ નથી. પરંતુ ગાંધીએ આઝાદીને જન આંદોલન બનાવી દીધું, હું વિકાસને જન આંદોલન બનાવી રહ્યો છું.
મોદી એકલો કંઈ નહી કરે. અને મોદીએ કંઈ ન કરવું જોઈએ, પરંતુ દેશ બધું જ કરે અને મોદીમાં. અને સરકારો તો ક્યારેક ક્યારેક હું કહેતો હતો, જ્યારે હું ગુજરાતમાં હતો તો વાત કરતો હતો, મે કહ્યું – આપણો દેશ એવો છે કે સરકાર અડચણ બનવાનું બંધ કરી નાખે તો પણ દેશ ઘણો આગળ વધી શકે તેમ છે. તે મૂળભૂત વિચારોથી ચાલનારો માણસ છું હું.
પ્રસૂન જોશી – કવિતાની તમે વાત કરી તો તમને સામે જોઈને એક કવિતા હું સંભળાવી દઉં છું. જે કવિતા, એટલે કે હું કહીશ કે ભારત પર તો ખૂબ જ સાચી ઠરે તેવી છે. તમારી પર પણ ખૂબ જ સાચી ઠરે છે. ક્યાંક તમે સમજી શકો કે હું શું કહી રહ્યો છું-
‘કિ સર્પ કયો ઇતને ચકિત હો? સર્પ ક્યોં ઇતને ચકિત હો? દંશ કા અભ્યસ્ત હું.
સર્પ ક્યોં ઇતને ચકિત હો? દંશ કા અભ્યસ્ત હું, પી રહા હું વિષ યુગોસે, સત્ય હું, આશ્વસ્ત હું.
સર્પ ક્યોં ઇતને ચકિત હો? દંશ કા અભ્યસ્ત હું, પી રહા હું વિષ યુગોસે, સત્ય હું, આશ્વસ્ત હું.
યે મેરી માટી લીએ હૈ ગંધ મેરે રક્ત કી, જો કહ રહી હૈ મૌનકી, અભિવ્યક્તિ કી.
મેં અભય લેકર ચલુંન્ગા, મેં વિચલિત ન ત્રસ્ત હું.
સર્પ ક્યોં ઇતને ચકિત હો? દંશ કા અભ્યસ્ત હું.
હૈ મેરા ઉદગમ કહાં પર ઔર કહાં ગંતવ્ય હૈ?
દિખ રહા હૈ સત્ય મુઝકો, રૂપ જિસકા ભવ્ય હૈ.
મેં સ્વયં કી ખોજ મે કિતને યુગો સે વ્યસ્ત હું.
સર્પ ક્યોં ઇતને ચકિત હો? દંશ કા અભ્યસ્ત હું.
હૈ મુઝે સંજ્ઞાન ઇસકા બુલબુલા હું સૃષ્ટિ મેં,
હૈ મુઝે સંજ્ઞાન ઇસકા, બુલબુલા હું સૃષ્ટિ મે.
એક લઘુ સી બુંદ હું મેં, એક લઘુ સી બુંદ હું મેં, એક શાશ્વત વૃષ્ટિ મેં.
હૈ નહિ સાગર કો પાના, મેં નદી સન્યસ્ત હું.
સર્પ ક્યોં ઇતને ચકિત હો? દંશ કા અભ્યસ્ત હું.
પ્રધાનમંત્રી – પ્રસૂનજી તમારી ભાવનાનો હું આદર કરું છું, પરંતુ આપણી નસોમાં એ જ ભાવ રહ્યો છે – વયમ્ અમૃતસ્ય પુત્રાઃ
એ જ ભાવને લઈને અમે ઉછર્યા છીએ અને એટલા માટે આપણા દેશમાં દરેકે ડંખ પણ સહન કર્યા છે, ઝેર પણ પીધા છે, મુશ્કેલીઓ પણ સહન કરી છે, અપમાન પણ સહ્યા છે પરંતુ સપનાઓને ક્યારેય મરવા નથી દીધા.
અને આ જુસ્સો જ છે કે જે દેશને નવી ઉંચાઈઓ પર લઇ જવા માટેની તાકાત ધરાવે છે અને હું તેનો અનુભવ કરું છું જી.
પ્રસૂન જોશી – અહિયાં આગળ કેટલાક સવાલો દર્શકોમાંથી લઇ લઈએ છીએ. શ્રી સેમ્યુઅલ ડાઉઝર્ટ પાસેથી લઈએ છીએ એક સવાલ, જે તમને એક સવાલ પૂછવા માંગે છે. જી તમે તમારો પ્રશ્ન જરૂરથી તમારી પાસે કોઈ ઉભું હશે તેને લખીને આપી દો. તેઓ તમારા સુધી પહોંચશે, તમે જરા લખીને આપી દો બસ. તમે આપી દો, હું પૂછી લઈશ. હું તમારું નામ જાહેર કરી દઈશ.
સેમ્યુઅલ ડાઉઝર્ટ – ગુડ ઇવનિંગ મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર, ભૂતકાળમાં ઓબામા કેર, તાજેતરમાં ભારતમાં મોદીકેરની ચર્ચા ચાલી રહી છે, હું એ પૂછવા માંગું છું કે શું તે આરોગ્ય ક્ષેત્રમાં કોઈ મોટા પરિવર્તન તરફ દોરી જશે. આભાર.
પ્રસૂન જોશી – મને લાગે છે મોદી કેર, એવી જ રીતે ઓબામા કેર, મોદી કેરની વચ્ચે સમાંતર રેખા દોરી છે તેમણે. તો તે વિષયમાં કે આરોગ્ય ક્ષેત્રના વિષયમાં તેઓ કદાચ વાત કરવા માંગે છે.
પ્રધાનમંત્રી – જુઓ, હું અનુભવ કરું છું કે ત્રણ વાતો પર મારો આગ્રહ છે, હું કોઈ મોટી મોટી વાતો કરવાવાળા લોકોમાંનો નથી. મારા જીવનની પૃષ્ઠભૂમિ જ એવી છે કે હું, અમારા મેઘનાથભાઈ બેઠા છે અહિયાં આગળ, હું કોઈ એ પ્રકારની વાતો કરવા માટેની મારી કોઈ એવી પરંપરા નથી. પરંતુ ત્રણ બાબતો – બાળકોને શિક્ષણ, યુવાનોને રોજગાર અને વડિલોને દવા. આ વસ્તુઓ છે કે જે આપણે એક સ્વસ્થ સમાજની માટે ચિંતા કરવી જોઈએ. મે અનુભવ કર્યો છે કે ગમે તેટલો સારો પરિવાર જ કેમ ના હોય, કોઈ પણ વ્યસન ના હોય, કોઈ ખરાબી ના હોય, કઈ જ ના હોય, બહુ સારી રીતે પરિવાર ચાલતો હોય, કોઈનું ખરાબ પણ ના કર્યું હોય, પરંતુ તે પરિવારમાં જો એક બીમારી આવી જાય. કલ્પના કરી હશે કે ચાલો ભાઈ દીકરી મોટી થઇ ગઈ છે, દીકરીના હાથ પીળા કરવાના છે, લગ્ન કરાવવાના છે, અને ઘરમાં એક વ્યક્તિની બીમારી આવી જાય, સંપૂર્ણ આયોજન પૂરૂ થઇ જાય છે. દીકરી કુંવારી રહી જાય છે. બીમારી આખા પરિવારનો વિનાશ કરીને ચાલી જાય છે.
એક ગરીબ માણસ ઓટો રીક્ષા ચલાવી રહ્યો છે, બીમાર થઇ ગયો છે. આ વ્યક્તિ બીમાર નથી પડતો, આખો પરિવાર બીમાર થઇ જાય છે. સમગ્ર વ્યવસ્થા બીમાર થઇ જાય છે. અને ત્યારે જઈને અમે કઈક વિચાર્યું, તો અમે આરોગ્ય ક્ષેત્રમાં એક મોટી સમગ્રતયા પહોંચ કેળવી. કેટલાક લોકો તેને મોદી કેરના રૂપમાં આજે પ્રચલિત કરી રહ્યા છે. મૂળભૂત રીતે આ યોજના છે આયુષ્માન ભારત. અને તેમાં અમે પ્રતિરોધક આરોગ્યની વાત કરી હોય, સસ્તા સ્વાસ્થ્યની વાત કરી હોય, સંતુલિત શ્રુંખલાની વાત હોય, આ બધા જ પાસાઓને લઈને અમે આગળ વધી રહ્યા છીએ.
તેના બે એકમો છે. એક – અમે દેશમાં લગભગ લગભગ દોઢ લાખથી વધુ આરોગ્ય કેન્દ્રોનું નિર્માણ કરવા માંગીએ છીએ જેથી કરીને આજુબાજુના 12-15 ગામડાના લોકો માટે સ્વાસ્થ્યની સારી સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકે અને તે તમામ ટેકનોલોજી સંચાલિત હોય. જેથી કરીને મોટા દવાખાનાઓ સાથે જોડાઈને ત્યાં દર્દીઓ આવે તો તેને તરત જ માર્ગદર્શન આપે કે કઈ દવાઓ જોઈએ તેની વ્યવસ્થા કરે.
બીજું – પ્રતિરોધક આરોગ્ય પર ભાર મુકીએ. પછી ભલે તે યોગ હોય કે જીવનશૈલી હોય, આ બધી વસ્તુઓને પ્રતિરોધક આરોગ્ય માટે ભલે તે પોષણ હોય. અમે એક પોષણ મિશન શરુ કર્યું છે. મહિલા અને બાળ આરોગ્ય સંભાળ માટે, તેના દ્વારા અમે કામ કર્યું છે.
વિશ્વના સમૃદ્ધ દેશોમાં પણ માતૃત્વ અવકાશની માટે આજે પણ એટલી ઉદારતા નથી જેટલી અમારી સરકારે આવીને કરી છે. હું માનું છું કે યુકેના લોકોને પણ જાણીને ખુશી થશે, અમે તે બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને, તે માંના સ્વાસ્થ્યની ચિંતા કરીને માતૃત્વ અવકાશ, 26 અઠવાડિયાનો કરી નાખ્યો છે.
અન્ય એક પાસું છે કે પરિવારને એક એવી વ્યવસ્થા આપવામાં આવે. ભારતના લગભગ દસ કરોડ પરિવાર એટલે કે 50 કરોડ, વસ્તી એક રીતે જોઈએ તો અડધી જનસંખ્યા, તેમને વર્ષભરમાં પાંચ લાખ રૂપિયા સુધીનો બીમારીનો ખર્ચો સરકાર ચૂકવી આપશે. એક વર્ષમાં પરિવારના એક વ્યક્તિ, દરેક વ્યક્તિ અને જેટલી બીમારી થાય છે, પાંચ લાખ રૂપિયા સુધીની ચુકવણી સરકાર કરી આપશે. તેના કારણે ગરીબની જિંદગીમાં આ જે સંકટ આવે છે તેનાથી તેને મુક્તિ મળી જશે.
હું જાણું છું કે આ ખૂબ મોટું ભગીરથ કામ છે પરંતુ કોઈને તો કરવું જ પડશે.
બીજું – આના કારણે જે ખાનગી દવાખાનાઓ આવવાની શક્યતાઓ છે ટાયર – 2, ટાયર-૩ શહેરોમાં, સારા દવાખાનાઓનું નેટવર્ક ઊભું થશે. કારણ કે તેમને ખબર છે કે દર્દી આવશે, કારણ કે દર્દીને ખબર છે કે મારા પૈસા કોઈ આપવાનું છે, તો તે જરૂરથી આવશે.
થોડી નાની બીમારી આવે છે તો આજે નથી જતો, તે કહે છે છોડો યાર, બે દિવસમાં સરખી થઇ જશે, તે સહન કરી લે છે. પરંતુ જ્યારે ખબર હશે તો જશે. દવાખાનાને પણ ખબર છે કે ભાઈ દર્દી જરૂરથી આવશે કારણ કે પૈસા આપનારું કોઈ બીજું છે. અને આના લીધે નવા દવાખાનાઓની શ્રુંખલાનું નિર્માણ થશે.
અને હું માનું છું કે, નજીકના ભવિષ્યમાં અને તમારામાંથી જે આરોગ્યના ક્ષેત્રમાં કામ કરવા માંગે છે એક હજારથી વધુ નવા સારા દવાખાના બનવાની સંભાવના ઉભી થઇ છે. તે કાયમી ઉકેલ પદ્ધતિ વડે ઉભી થઇ છે.
તે જ રીતે દવાઓ- પેકિંગ સારું હોય છે, દવા લખનારાને પણ કઈક મળે છે. તમે જાણતા હશો કે ડોકટરોની પરિષદ ક્યારેક સિંગાપુરમાં થાય છે તો ક્યારેક દુબઈમાં થાય છે. ત્યાં કોઈ બીમાર છે એટલા માટે નથી જતા, પરંતુ દવા બનાવનારી કંપનીઓ માટે જરૂરી છે, કરે છે.
તો અમે શું કર્યું- જેનરિક મેડીસીન, અને તે એટલી જ શ્રેષ્ઠ ગુણવત્તાની હોય છે. જે દવા 100 રૂપિયામાં મળતી હતી, તે આજે જેનરિક મેડીકલ સ્ટોરમાં 15 રૂપિયામાં મળે છે. આશરે 3 હજાર અમે આવી જન ઔષધાલયનું કામ કર્યું છે અને હજુ પણ વધારે અમે વધારી રહ્યા છીએ જેથી કરીને સામાન્ય વ્યક્તિ, અને તેનો અમે પ્રચાર પણ કરી રહ્યા છીએ.
તે જ રીતે જો આપણે જઈશું તો ડોક્ટર જણાવશે કે ભાઈ હૃદયની બીમારી છે. હવે તમને તો ખબર નથી પડતી. દેખાતું તો છે નહી અંદર. બીક લાગે છે, શું હૃદય? યાર કઈક હશે તો?
તો ડોક્ટર કહેશે, સ્ટેન્ટ મુકાવું પડશે. તો કહે છે ભાઈ ચાલો. પછી કહે છે જુઓ ભાઈ આ બે સ્ટેન્ટ છે, આ મુકાવશો તો બે લાખનું થશે, આ મુકાવશો તો એક લાખનું થશે. તો તે વિચારે છે બે વાળું કેમ અને એક વાળું કેમ? તો તે કહે છે બે વાળું લેશો તો જીવનભર ચાલશે, એક વાળું લેશો તો 4-6 વર્ષ પછી નવું. તો પછી તે કહે છે યાર તો પછી આ જ લગાવી દો ને બે વાળું. તો બિચારો દેવું કરીને પૈસા લઇ આવે છે.
મે જરા પૂછ્યું, મે કહ્યું યાર આ કઈ વસ્તુ છે બે લાખ રૂપિયાની? મે વાટાઘાટો કરવાની શરુ કરી. અને તમને નવાઇ લાગશે લગભગ લગભગ 60 થી 80 ટકા તેની કિંમત ઓછી થઇ ગઈ. જે દોઢ લાખ બે લાખ થતા હતાં તે આજે 20 હજાર, 25 હજારમાં થઇ રહ્યું છે.
તે જ પ્રકારે ઘૂંટણ પ્લાન્ટ, લગભગ લગભગ હવે લોકોને આદત તો રહી નથી કે આસન, યોગ કરવાની. હું કહી કહીને થાકી જાઉં છું કે ભાઈ યોગ કરો. હવે એ ચાલતું નથી તો કહે છે કે ચાલો સ્ક્રુ ફીટ કરાવી નાખીએ. અને તે બહુ પૈસા લે છે. મે તેમને બોલાવ્યા, તે પણ ખર્ચ… તો આવા અનેક પાસાઓને અમે લીધા છે. સમગ્ર આરોગ્ય ક્ષેત્ર પર સમગ્રતયા પહોંચ દ્વારા અમે કામ કરી રહ્યા છીએ, તેની સાથે સ્વચ્છતા પણ જોડાયેલી છે.
વિશ્વ બેંકનો રીપોર્ટ છે કે ભાઈ સ્વચ્છતા પર જો ધ્યાન આપવામાં આવે તો એક પરિવારનો બીમારીની પાછળ સરેરાશ વર્ષનો 7 થી 12 હજાર રૂપિયાનો ખર્ચો બચી જાય છે. તો આવી અનેક વસ્તુઓને લઈને અમે યોજનાઓ બનાવી છે. લોકો આને મોદી કેર કહે, દરેકની પોતપોતાની મરજી છે પરંતુ મૂળભૂત રીતે મારી ઈચ્છા છે કે હું મારા દેશવાસીઓની સંભાળ રાખું.
પ્રસૂન જોશી – જી ખૂબ-ખૂબ આભાર. મોદીજી તમે જે કારણ કે આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં આટલા પગલાઓ તમે ભર્યા છે અને કદાચ જે કોલાહલ થાય છે તેમાં વચ્ચે ક્યાંક ઘણી બધી વસ્તુઓ ખોવાઈ જતી હોય છે. ખૂબ જ મોટી જાણકારી હતી આ સૌની માટે. અને આ સવાલ પૂછવા બદલ સેમ્યુઅલજીનો ખૂબ-ખૂબ આભાર.
તમારા આના પછી પણ ઘણા વ્યસ્ત કાર્યક્રમો છે. મને જાણ છે કે ઘણા બધા આગળ પણ કાર્યક્રમ છે રાતના. તો એક અન્ય સવાલ લઇ લઈએ છીએ. આ સંતોષ પાટીલજીનું નામ મારી પાસે આવ્યું છે. સંતોષ પાટીલજી એક સવાલ પૂછવા માંગે છે તમને.
સંતોષ પાટીલજી તમારો સવાલ પૂછો.
સંતોષ પાટીલ – પ્રધાનમંત્રીજી નમસ્કાર. હું સંતોષ પાટીલ કર્ણાટકથી છું. આજે કર્ણાટકના લોકો માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. તમને પણ જાણ હશે કે જગતગુરૂ બસવેશ્વરજીની જયંતી છે. ગઈ વખતે જ્યારે તમે લંડન આવ્યા હતાં તો ત્યારે તમે જગતગુરુ બસવેશ્વરજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
તો મારો પ્રશ્ન તમને એ છે કે તમે તેમના જીવન અને તેમના વિચારો, તેમને કઈ રીતે જુઓ છો? અને તમે શું તેમના વિચારોને કઈ રીતે આગળ લઇ જવા વિશે વિચારો છો? આભાર, ધન્યવાદ.
મોદીજી – જુઓ, આપણા દેશનું એક દુર્ભાગ્ય રહ્યું છે કે આઝાદી પછી ભારતની મહાન પરંપરા, સંસ્કૃતિ, ઈતિહાસ, તેને ભુલાવી દેવાના ભરપુર પ્રયાસો થયા છે. તમને એક પરિવારથી બહાર કઈ ખબર પડવા જ ના દીધી. ઘણા લોકોએ તો કદાચ બસવેશ્વરજીનું નામ જ આજે સૌપ્રથમ વાર સાંભળ્યું હશે. 12મી સદીના મહાપુરુષ, કર્ણાટકના અને હું તમારામાંથી કોઈને પણ રૂચી હોય તો ભગવાન બસવેશ્વરના વચનો વાંચવા જેવા છે અને આજે બધી જ ભાષાઓમાં ઉપલબ્ધ છે. દરેક ભાષાઓમાં ઉપલબ્ધ છે, આજે તેમની જન્મ જયંતી છે. તો મે આજે મારા વ્યસ્ત કાર્યક્રમમાંથી થોડો સમય કાઢ્યો હતો અને અહિયાં આગળ ગઈ વખતે જ્યાં હું આવ્યો હતો તો જે પ્રતિમાનું અનાવરણ કરવાનો મને અવસર મળ્યો હતો તો ત્યાં આગળ જઈને હું પોતે આજે નમન કરવા ગયો હતો.
જુઓ આપણે આપણા માટે કાર્યવાહી જ નથી, આપણું દુર્ભાગ્ય એ છે કે, આપણને આપણી મહાનતાઓની ખબર જ નથી. આપણે મેગ્નાકાર્ટરા વિશે જાણીએ છીએ, વાંચીએ છીએ. આપણે લોકતાંત્રિક મૂલ્યો માટે દુનિયાભરમાંથી બધી વાતો કહીએ છીએ. તમને જાણીને ખુશી થશે કે 12મી સદીમાં ભગવાન બસવેશ્વરે મેગ્નાકાર્ટારાની પણ પહેલા, લોકતંત્રની માટે સંપૂર્ણ જીવન હોમી દીધું હતું. તેમણે એક અનુભવમંડપ નામની વ્યવસ્થા કરી અને સમાજના દરેક વર્ગના લોકો ત્યાં બેસતા હતાં અને સામાજિક સમસ્યાઓનું ચિંતન કરતા હતાં અને તે જમાનામાં ફરજીયાતપણે મહિલા પ્રતિનિધિ પણ રહેતી હતી. તેમાં 12મી સદીમાં અને સામાજિક સમસ્યાઓનું નિદાન કાઢતા હતાં અને પછી સમાજનું પ્રબોધન કરતા હતાં.
આપણો દેશ જાતિવાદ, ઊંચ-નીચ અને અસ્પૃશ્યતામાં વિખેરાયેલો પડ્યો હતો. ભગવાન બસવેશ્વરે આ બધાને એક છત્રછાયામાં લાવીને ઊંચ-નીચ, જાતિવાદને નાબુદ કરીને સૌને સાથે જોડવાનું એક ઘણું મોટું કામ કર્યું હતું.
અને હમણાં તમે જે અધીરાઈની વાત કરી હતી, મને ભગવાન બસવેશ્વરજી
ની એક વાત યાદ આવે છે- તેમનું એક વચન છે- તે વચનમાં તેમણે કહ્યું છે- કે જ્યાં સ્થિરતા છે, મને, શબ્દ મારા હશે, પરંતુ મને ભાવ યાદ છે- જ્યાં સ્થિરતા છે, ત્યાં જિંદગી સમાપ્ત છે અને જ્યાં ગતિ છે ત્યાં આગળ જીવનની નવી બાજુઓની સંભાવનાઓ નિત્ય નુતન હોય છે.
આ પ્રકારનો ભાવ ભગવાન બસવેશ્વરના વચનોમાં છે જ્યાં સ્થગિતતાને મૃત્યુ માની છે તેમણે, તે જમાનામાં. અને એટલા માટે હું સમજુ છું કે લોકશાહી માટે, સ્ત્રી સશક્તિકરણ માટે, સામાજિક ચેતના માટે જે કામ ભગવાન બસેશ્વરે કર્યું છે, આજે પણ આપણા દેશને અને દુનિયા માટે તે માર્ગદર્શક છે. તો મને ખુશી થઇ અને તમે તો પોતે જ કર્ણાટકના છો.
આજે મને તેમની જન્મ જયંતી પર ત્યાં જવાનું સૌભાગ્ય મળ્યું હતું અને આપણે સૌ, અને હું તો ઈચ્છીશ કે આપના શાળાના બાળકોને પણ ખબર હોવી જોઈએ કે અનુભવમંડપ નામની લોકશાહી સંસ્થા કઈ રીતે તે જમાનામાં વિકસિત કરી હશે. કેટલી મોટી દીર્ઘ દ્રષ્ટિ હશે તે મહાપુરુષની જેમણે આ કામને કર્યું હશે.
પ્રસૂન જોશી – ખૂબ-ખૂબ ધન્યવાદ આપનો આ વાત જણાવવા બદલ.
પ્રધાનમંત્રી મોદી આપણા દેશમાં સાહસ અને સંકલ્પની ખોટ નથી. સંઘર્ષ કરવાની આદત છે આપણા દેશને. પરંતુ આ જ શક્તિ ક્યાંક બીજે પહોંચી જાય છે, જો કોઈ તેને દિશા આપે, તેનો હાથ પકડે. હવે અમે એ જ વિષય પર વાત કરવા માંગીએ છીએ. ચાલો નજર નાખીએ- ઘણા બધા સવાલો આવ્યા હતાં અને ખાસ કરીને એ કે કઈ રીતે ભારત એક, માત્ર એક નજ઼ માંગે છે, એક થોડો માત્ર ઈશારો માંગે છે અને એક જરા હાથ પકડવાની વાત માંગે છે અને તે પછી તે નીકળી પડે છે અને કેટલાય લોકો છે જે તેનાથી લાભાન્વિત થયા છે.
તો યોજનાઓ તો દરેક સરકાર બનાવે છે, એવું કોઈએ પૂછ્યું છે. પરંતુ તમારી સરકારની યોજનાઓ કઈ રીતે અલગ છે? આ મોદી મોડલ ઑફ ગવર્નન્સ શું છે, જેનો અમે ખાસ્સો ઉલ્લેખ સાંભળીએ છીએ?
પ્રધાનમંત્રી મોદીજી – જુઓ, કોઈ પણ સરકારમાં આવે છે તો નિષ્ફળ થવા માટે તો આવતું નથી. દરેક વ્યક્તિ કઈ ને કઈ કરવા માટે આવે છે. પહેલા પણ સરકાર આવી છે, કઈ ને કઈ કરવાના ઈરાદાથી આવી છે. પરંતુ મોટા ભાગે જોવામાં આવ્યું છે જો આપણે સમીક્ષા કરીશું તો એક એવી આપણા દેશમાં સરકારોએ રીત અપનાવી, જેમાં લોકો સરકારો પર આશ્રિત થઇ જાય, આધારિત થઇ જાય. સરકાર વિના તેમનું પાંદડું પણ ના ખસે.
હું માનું છું કે આ ખ્યાલ સમાજને અપંગ બનાવી દે છે, દુર્બળ બનાવી દે છે. જો ગરીબી દુર કરવી છે તો આપણે ગરીબોને શક્તિશાળી બનાવીને જ દુર કરી શકીએ તેમ છીએ અને નહી કે આપણે ગરીબો ને ખવડાવીને કરી શકીએ છીએ. અને તેમને શક્તિ આપવા માટે જે કઈ પણ કરવું પડે તે કરવું જોઈએ.
બની શકે કે 100 રૂપિયાને બદલે 200 રૂપિયાનો ખર્ચ થાય પરંતુ આખરે ચૂકવશે. અને એટલા માટે મારો મૂળ સિદ્ધાંત જે રહ્યો છે તો એ છે કે આપણે સમાજમાં જે પણ શક્તિઓ છે તેને વધુમાં વધુ અવસર કઈ રીતે આપીએ? આપણે એક એવી પ્રણાલી તૈયાર કરીએ જેથી કરીને તેને કઈક સાહસ કરવાનું મન કરી આવે. ક્યાંક અડચણ આવી જાય તો તેને હાથ પકડીને કોઈ કાઢવાવાળું મળી જાય. અને મારો અનુભવ એવો છે-
હવે જેમ કે અમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના બનાવી- તમે સાંભળ્યું હશે કોઈ જમાનામાં આપણા દેશમાં લોન મેળા થતા હતાં. અને લોન મેળા એવા થતા હતાં કે રાજકીય લોકો પોતાના ઓળખીતા લોકોને લોન મેળામાં લાઈનમાં ઉભા કરી દેતા હતાં અને પછીથી કોઈ પૂછનારું નહોતું, જે જવાનું હતું તે ગયું. પૈસા બેંકના હતાં, દેશના હતાં, જનતાના હતાં, લોન મેળા ગરીબની માટે જ હતાં, એક નજરમાં જોઈએ તો બહુ સારા લાગતા હતાં. પરંતુ શું આ લોન મેળાઓએ જિંદગી બદલી? નથી બદલી.
અમે શું કર્યું, એક પ્રધાનમંત્રી મુદ્રા યોજના લાવ્યા. જેમાં અમે કોઈપણ બેંકની ગેરંટી વિના પૈસા આપવાનું નક્કી કર્યું. પરંતુ આ લોન મેળા કરતા જુદું હતું. અને જુદી જુદી યોજનાઓના, તેના કામના હિસાબે તેને પૈસા આપવાના, તમને જાણીને ખુશી થશે કે અત્યાર સુધીમાં 11 કરોડ લોકોએ આ મુદ્રા યોજનાનો લાભ ઉઠાવ્યો છે. પાંચ લાખ કરોડ રૂપિયા કરતા વધુ રકમ આ લોકોના હાથમાં પહોંચી છે.
અને તમને એ જાણીને પણ ખુશી થશે કે 11 કરોડમાં બેંકથી મુદ્રા યોજનામાં પૈસા જેમને મળ્યા છે, વિના કોઈપણ ગેરંટી મળ્યા છે. કોઈ સમાંતર ગેરંટીની જરૂર નથી પડતી કે ભાઈ તમે જમીન લાવો, આ લાવો, પેલું લાવો, કંઈ જ નહી. 74 ટકા મહિલાઓ છે આમાં.
મને હમણાં આ મુદ્રા યોજના અંતર્ગત પૈસા લેનારા લોકોને મળવાનો મોકો મળ્યો હતો. અને મે તેમની સાથે વાતો કરી, શું અનુભવ આવ્યો. હું આશ્ચર્યચકિત હતો જી, એવી નાની નાની વસ્તુઓ તેમણે શરુ કરી છે અને આજે ધીમે ધીમે તેઓ, કોઈ પાંચ લોકોને રોજગાર આપી રહ્યા છે, કોઈ ત્રણ લોકોને રોજગાર આપી રહ્યા છે, કોઈ બે લોકોને રોજગાર આપી રહ્યા છે, તે પોતાનામાં જ પોતાની જાતને એક ઉદ્યોગસાહસિક બનાવવાની દિશામાં હવે નવી નવી રીતોથી વિચારી રહ્યો છે. હું માનું છું કે આ સશક્તિકરણ છે.
નહિતર પહેલા શું હતું, તું ચિંતા ના કરીશ યાર, સરકારમાં તને કામ પર લગાવી દઈશ. હવે કેટલાક દિવસો મળી ગયા, કેટલાક દિવસો ના મળ્યું, તેને લાગતું હતું યાર આ જ મારૂ જીવન સારૂ બનાવશે તો તેની આસ-પાસ રહેતો હતો. અમે તેને સશક્ત બનાવવાની દિશા તરફ આગળ વધ્યા.
હવે કૃષિ. અમે નક્કી કરી લીધું કે અમે 2૦22, જ્યારે ભારતની આઝાદીના 75 થશે, ત્યાં સુધીમાં અમે દેશના ખેડૂતની આવક બમણી કરવા માંગીએ છીએ. હવે તેની માટે તેનો ખર્ચો ઓછો થવો જોઈએ, તેની જે મૂળ કિંમત છે તે ઓછી થવી જોઈએ.
આપણા દેશમાં, એટલે કે આ જે તમે કહો છો ને કે મોદીની શાસનની રીત કઈ છે? આપણા દેશમાં, હું જ્યારે મુખ્યમંત્રી હતો, તો મે તે સમયે પ્રધાનમંત્રીજીને સૌથી વધારે પત્રો લખ્યા હતાં, તે એક જ વાત પર લખ્યા હતાં, વર્ષમાં ત્રણથી ચાર વાર લખવી પડતી હતી, આપણા દેશમાં ખેડૂતોને અમારા રાજ્યમાં યૂરિયાની જરૂર છે, અમને યૂરિયાનો જથ્થો વધારી આપો, યૂરિયા આપી દો. અને સરકાર કહેતી હતી કે ના ના આના કરતા વધારે જથ્થો નહી મળે. યૂરિયાની માટે લોકો બબ્બે દિવસ સુધી લાઈનમાં ઉભા રહેતા હતાં. કેટલાક રાજ્યોમાં યૂરિયા પ્રાપ્ત કરવા માટે લાઠીચાર્જ જેવી ઘટનાઓ પણ બની જતી હતી. આવું કેમ થતું હતું?
તમને નવાઈ લાગશે, યૂરિયાનું કારખાનું મારે લગાવવું હોય તો પાંચ છ વર્ષ નીકળી જતા હતાં. મે આવ્યા પછી કોઈ નવા કારખાનાઓ નથી લગાવ્યા. પ્રક્રિયા ચાલી રહી છે, લાગવાના છે ખરા. જે બંધ પડ્યા હતાં, તે ચાલુ પણ થવાના છે. પરંતુ માત્ર મેં ચોકસાઈમાં પરિવર્તન કર્યું છે. કેટલાક ખોટા કામ થઇ રહ્યા હતાં તેને રોક્યા છે. ઈમાનદારીને જોર આપ્યું છે, કોઈપણ નવું વધારાનું કારખાનું લગાવ્યા વિના 20 લાખ ટન યૂરિયાનું ઉત્પાદન વધી ગયું છે.
બીજું- યૂરિયા થતું હતું, સબસિડી જતી હતી, આશરે 80-90 હજાર કરોડ સબસિડી જતી હતી યૂરિયામાં. સબસિડીના નામ પર યૂરિયા નીકળતું હતું, ખેડૂતના નામ પર નીકળતું હતું, પરંતુ તે કેમિકલ ફેક્ટરીમાં ચોરી થઈને જતું રહેતું હતું. કેમિકલ ફેક્ટરીવાળાઓ તેને કાચા માલ તરીકે ઉપયોગ કરીને, તેમાંથી કોઈ નવું ઉત્પાદન બનાવીને દુનિયાને વેચી નાખતો હતો. તેને ખૂબ જ સસ્તામાં યૂરિયા મળી જતું હતું.
અમે યૂરિયાનું નીમ કોટિંગ કર્યું છે. આ જે તમારું લીમડાનું ઝાડ હોય છે ને તેની જે લીંબોળી હોય છે, તેનું તેલ કાઢ્યું, તેમાં યૂરિયાને ભેગું કરી નાખ્યું. તેનાથી પરિણામ શું આવ્યું?
એક – તો જે લીમડાના ઝાડ હતાં તેની લીંબોળી જે બેકાર જતી હતી, લોકોને તેને એકઠી કરનારાઓને રોજગાર મળી ગયો. લીંબોળીનું તેલ નીકળવાથી તેને આમાં નાખવાથી હવે તે યૂરિયા જમીન સિવાય બીજા કોઈ કામમાં આવી શકે તેમ નહોતું, ચોરી બંધ થઇ ગઈ. ત્રીજું – યૂરિયાનું નીમ કોટિંગ થવાથી તેની પોતાની તાકાત વધી ગઈ, જમીનમાં સુધારો લાવવાની વધારાની ઊર્જા તેમાં આવી ગઈ, જેના લીધે ઉત્પાદનમાં 5 ટકાથી લઈને 15 ટકા સુધીનો વધારો થઇ ગયો. મને કહો કે કેટલા ફાયદા થઇ ગયા. હવે આ બદલાવ છે કે નથી?
કૌશલ્ય વિકાસ, અમે કેમિકલ ફેક્ટરી માની લો કે ગુજરાતમાં અને હું કેમિકલનું કૌશલ્ય વિકાસ કરી રહ્યો છું પશ્ચિમ બંગાળમાં, તો તે રોજગાર ક્યાંથી મળશે તેને. જો જ્યાં આગળ ફેક્ટરી છે તેનું મેપિંગ કરીને તેની જરૂરિયાત અનુસાર હું જો કૌશલ્ય વિકાસ કરું છું તો તેને તરત જ રોજગાર મળી જશે અને સંતુલિતતા પણ મળે છે અને એટલા માટે અમે દેશભરમાં જે ઉદ્યોગ જગત માટે સમર્થ ક્ષેત્રો છે, તે અનુસાર કૌશલ્ય વિકાસની પદ્ધતિને અમે વિકસિત કરી છે અને તે પણ જન ભાગીદારી સાથે.
અમે કહ્યું ચાલો ભાઈ તમારી દસ ફેકટરીઓ છે, ઓટો મોબાઇલ ક્ષેત્રમાં કામ કરે છે, તમે દસ લોકો એક સંસ્થા અહિયાં ઉભી કરો, ઓટો મોબાઇલ માટે જે માનવશક્તિ જોઈએ તેની તાલીમ તમે ત્યાં આગળ કરાવો. તમારા જ એન્જિનિયરને ભણાવવા માટે ત્યાં મોકલી આપો, જો કૌશલ્ય વિકાસ થઇ જશે, તે નવયુવાન તમારી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં તેને નોકરી મળી જશે. તો એક આવી રીતને અમે અપનાવવાનો પ્રયાસ કર્યો છે, તેનો અર્થ એ નથી કે બધું થઇ ગયું છે.
અમે એક સાચી દિશામાં જઈ રહ્યા છીએ અને એટલા માટે જે સાહસ કરે છે, તેને સાથ આપવો તે આપણી ફરજ છે. સાહસ કરનારાને નિરાશ નથી થવા દેવાનો. જ્યાં જરૂર પડે ત્યાં આંગળી પકડીને આગળ લઇ જવા જોઈએ તો આંગળી પકડીને, હાથ પકડીને લઇ જવાની જો જરૂર હોય તો હાથ પકડીને અને ધક્કો મારીને લઇ જવાની જરૂર પડે તો તે પણ કરવા માટે સરકારે સતત પ્રયાસ કરતા રહેવા જોઈએ અને તે અમે કરી રહ્યા છીએ.
પ્રસૂન જોશી – મોદીજી, તમે આખા, જ્યારે તમે વાત કરો છો, યોજનાઓની વાત કરો છો, લોકો સુધી પહોંચવાની વાત કરો છો તો સ્પષ્ટ જોવા મળે છે કે તમે કેટલા તેમાં ઊંડા ઉતરેલા છો અને કેટલા તેના નાના નાના તાંતણેથી, દોરે દોરા સાથે તમે કેટલા તેનાથી જોડાયેલા છો. લોકોને એવું લાગે છે કે તમને આ સંપૂર્ણ અહેસાસ થાય છે કે કેટલું કામ જઈ રહ્યું છે અને કેટલું આ જે પરિવર્તન આવી રહ્યું છે. શું તે લોકોને તેનો પૂરે પૂરો અહેસાસ થઇ રહ્યો હોય છે? તમને લાગે છે સંપૂર્ણ રીતે થઇ રહ્યો હશે?
પ્રધાનમંત્રી – જુઓ, દેશ જે હાલતમાં હતો, તેને જો તમે યાદ રાખશો ત્યારે તો શું થઇ રહ્યું છે તેની ખબર પડશે ને. મને બરાબર યાદ છે જ્યારે હું પહેલીવાર ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યો હતો 2001માં. હું ક્યારેય પોલીસ સ્ટેશને નહોતો ગયો, હું ક્યારેય સરકારી કચેરીમાં નહોતો ગયો, મે ક્યારેય વિધાનસભા નહોતી જોઈ. મારી માટે આખી દુનિયા નવી હતી. મારે બધું જ શીખવાનું હતું, સમજવાનું હતું, હજી મારે શપથ લેવાના બાકી હતા. પરંતુ લોકોને ખબર પડી જાય છે તો લોકો આવી જાય છે, માળાઓ બાળાઓ લઈને તે તો દુનિયાનો રીવાજ છે. હું પણ વિચારી રહ્યો હતો, વાહ રાતો રાત.
લોકો મને કહેતા હતાં કે મોદીજી કઈ કરો કે ના કરો પરંતુ ઓછામાં ઓછું સાંજે જમતી વખતે વીજળી મળે એટલું તો કરજો જ. એટલે કે જ્યારે હું મુખ્યમંત્રી બન્યો તો મારા ગુજરાતમાંથી જ માંગણી હતી કે સાહેબ ઓછામાં ઓછું ભોજન વખતે વીજળી મળે એટલું તો જરૂરથી કરજો જ.
પછીથી મેં તે મિશનને હાથમાં લીધું. બે ત્રણ વર્ષ કામ કર્યું અને સ્થિતી એ આવી કે ગુજરાત દેશમાં એવું સૌપ્રથમ રાજ્ય બન્યું કે જ્યાં 24X7 ઘરમાં વીજળી મળવાનું શક્ય બન્યું.
પરંતુ આજે જે 18-20 વર્ષનું છે તેને પૂછો કે અંધારું શું હોય છે તો તેને ખબર જ નથી. ખાવાનું ખાતી વખતે વીજળી નહોતી રહેતી, તે શું થતું હતું, કારણ કે તેને ખબર જ નથી. તો આ અમારી સરકાર તે સારું કામ કરી રહી છે, ખરાબ કરી રહી છે, હું માનીશ કે ઓછામાં ઓછું આ પાંચ વર્ષ; હું આગળની માટે નથી કહી રહ્યો, આ પાંચ વર્ષ પહેલાની સરકારની સરખામણીમાં આપણે ક્યાં છીએ, આ જો તુલનાત્મક રીતે જોશો; હું દાવા સાથે કહું છું દરેક માનદંડમાં, દેશની માટે સારું કરવામાં કોઈ કસર અમે નથી રાખી.
અને મારું સૌભાગ્ય છે કે પહેલા છાપામાં તે સમાચારોની હેડલાઈન રહેતી હતી- આજે આટલું ગયું, આજે આટલું ગયું, એ જ ખબરો ભરેલી રહેતી હતી 2014ની પહેલા. આજે ખબર હોય છે, મોદીજી બોલો કેટલું આવ્યું છે? હું સમજુ છું કે દેશની અંદર આ વિશ્વાસ ઉભો થયો છે.
પહેલાના સમયમાં છોડો યાર કઈ નથી થવાનું. આજે સ્થિતી એવી બની છે, અરે આ કેમ નથી થઇ રહ્યું? મોદીજી તમે બેઠા છો, કેમ નથી થઇ રહ્યું? સારી વાત છે. મારી ટીકા થતી હશે પરંતુ ટીકા એ નથી થતી કે મોદી નથી કરતો, ટીકા એ થાય છે કે અરે મોદી તમે કરી શકો છો તો પછી આ કેમ નથી કરતા તમે, તમે જણાવો. હું આને ખૂબ સારી વાત માનું છું.
અરે મીડિયા પણ મારી ટીકા શું કરે છે. મીડિયા મારી ટીકા ખૂબ કરે છે અને તે ખરાબ છે એવું હું નથી માનતો. અને તે ટીકા શું કરે છે અરે મોદીજી તમને બેસાડ્યા છે તો આ તમે કરીને બતાવો. હું સમજુ છું એકે આ દેશની પ્રગતિનો આની અંદર એક સહજ અહેસાસ છે કે આ થવું જોઈએ.
મોદી તમે પહેલાની વાત છોડો થયું કે ના થયું, તમે તો કરી શકો છો ને. આ હું સમજુ છું કે એક ખૂબ મોટી સફળતા છે.
પ્રસૂન જોશી – તમારી પાસેથી અમારો દેશ ઘણી અપેક્ષા રાખે છે તેમાં કોઈ શંકા નથી. પરંતુ એક વસ્તુ સ્પષ્ટ દેખાઈ આવે છે કે તમને તમારા ખુદ માટે કાંઈ જોઇતું નથી. તમારા સ્વભાવમાં એક ફકીરી છે. તે ક્યાંથી આવી? શું તમે હંમેશાં આવા જ હતા? કે ધીમે ધીમે ફકીરી આવી ગઈ?
પ્રધાનમંત્રી – આ એકદમ અંગત સ્વભાવની વાત છે.
પ્રસૂન જોશી -ના, મોદીજી આ એક જરૂરી સવાલ છે.
પ્રધાનમંત્રી – એવું છે કે મને મારી કવિતાના શબ્દો ખાસ યાદ તો રહેતા નથી.
પ્રસૂન જોશી – ના, કવિતામાં કહ્યું પણ છે કે ક્યાં ફકીરીને કારણે શું છે.
પ્રધાનમંત્રી – ઘણી જૂની મારી જ એક.
પ્રસૂન જોશી – જો હું તમને એવો આગ્રહ કરી શકું કે તેની એકાદ બે લાઈન વાંચી સંભળાવો.
પ્રધાનમંત્રી – કવિતા મને યાદ રહેતી નથી એટલે હું કહી શકીશ નહીં પરંતુ તેને સોશિયલ મીડિયામાં હું ચોક્કસ મૂકી દઇશ. કેમ કે મને યાદ નથી તો હું.. પરંતુ તે ગુજરાતીમાં છે અને રમતા રામ એકલા કરીને મેં તેને એ શબ્દોમાં મારી ભાવના વ્યક્ત કરી છે.
જુઓ, હું માનું છું કે આ ફકીરી વગેરે જે કાંઈ છે તે મનની અવસ્થા સાથે સંકળાયેલો વિષય છે અને તે ઉપરથી ઉમેરી શકાતો નથી. સંજોગો તેને પેદા કરતા નથી. જો તે અંદર હોય તો જ આવી શકે છે અને કદાચ હું આ મારી પ્રશંસા કરવા માટે કહી રહ્યો નથી. માફ કરજો પરંતુ પ્રસૂનજીએ સવાલ પૂછ્યો છે તો હું તેનો જવાબ ન આપું તો તે યોગ્ય રહેશે નહીં.
જ્યારે હું મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં હતો તો જાહેર સમારંભમાં જતો હતો ત્યારે લોકો ભેટ-સોગાદો આપતા હતા. આકર્ષક શાલ આપતા હતા તો ક્યાંક વળી ચાંદીની તલવાર પણ આપતા હતા, કોઈ સારો તાજમહેલ પણ આપી દેતા હતા. કાંઈને કાંઇક આપતા રહેતા હતા. અત્યંત સુંદર ચિત્ર આપતા હતા, તો હું પણ આખરે એક માનવી છું તો મનમાં વિચાર આવતો હતો કે આ સારૂ ચિત્ર છે તેને ઘરમાં દીવાલ પર લગાવીશ, મહેમાન આવશે તો સારું લાગશે. આ સુંદર મૂર્તિ છે તેને અહીં મૂકીશ તો સારી લાગશે. મારું પણ મન બહેલાશે અને તમને પણ સારું લાગશે. લાગશે કે નહીં? મારુ મન માનતું ન હતું. અને હું આ તમામ વસ્તુ સરકારની તિજોરીમાં નાખી દેતો હતો. તે પણ અકળાઈ જતા હતા કે તમે પણ શું આ તમામ વસ્તુ અમારે ત્યાં મોકલી દો છો. હું કહેતો હતો કે ભાઈ હું આ બધું ક્યાં રાખીશ ? મારું કોણ છે કે, આ બધું સંભાળશે ? આ બધું સંભાળવા માટે મારે કોઈને રાખવો પડશે. આથી હું બધું આપી દેતો હતો.
પછી મેં તેની આકારણી કરાવી અને પછી તેની હરાજી કરાવી. આપણે બધા જાણીએ છીએ કે હિન્દુસ્તાનમાં તમામ રાજનેતાઓ સાથે આવી વાતો સાચી હોય છે, હું એમ પણ નથી કહેતો કે ખોટી હોય છે. ના હું એમ પણ કહી શકું નહીં. પરંતુ એ જરૂર થાય છે કે યાર પેલો હતો કેટલું બધું લઈ ગયો. પરંતુ હું ગર્વથી કહી શકું છું કે મને આવી જેટલી વસ્તુઓ મળી હતી તે તમામની મેં હરાજી કરી હતી, જાહેરમાં. અને એ હરાજીમાંથી જે પૈસા આવતા હતા તેને હું બાળ કન્યા શિક્ષણ માટે દાન કરી દેતો હતો. અને લગભગ લગભગ 100 કરોડથી વધારે રૂપિયા આ હરાજીથી આવ્યા અને કેટલાક લોકો ચેક પણ આપવા લાગ્યા. કોઈ હરાજીમાં જતો હતો કે કોઈ વસ્તુ આપવાને બદલે બાળ કન્યા શિક્ષણ માટે ચેક આપવા લાગ્યા. આ રકમ લગભગ 100 કરોડ રૂપિયા કરતાં વધારે હતી. જે હું બાળકીઓના શિક્ષણ માટે આપી દેતો હતો.
જ્યારે હું મુખ્યમંત્રીથી નીકળીને પ્રધાનમંત્રી તરીકે દિલ્હી આવવાનો હતો તે નક્કી થઈ ગયું તમે લોકોએ મને ધક્કો મારી દીધો. તો મેં મારી ઓફિસરોને બોલાવ્યા. મેં તેમને કહ્યું કે ભાઈ, હું ધારાસભ્ય તરીકે જે કમાતો હતો, કેમ કે ધારાસભ્ય હોવાને નાતે પૈસા મળતા હતા, તો મે કહ્યું કે આ પૈસા પડ્યા છે તેનું આપણે શું કરીશું? તમે સાંભળીને અચરજ પામશો. મને યાદ નથી કેટલા હતા કદાચ 5-6 લાખ રૂપિયા હતા. મેં કહ્યું કે ભાઈ આ તો હું સરકારમાં આપી દેવા માગું છું. અને મેં કહ્યું કે સચિવાલયમાં જે ડ્રાઇવર કે પટાવાળા છે તેમના માટે હું આ રકમ મૂકી દઉં. તમે કોઈ એવી વ્યવસ્થા કરી આપો. અને તેના વ્યાજમાંથી આ ડ્રાઇવર અને પટાવાળાઓના બાળકોને કાંઇકને કાંઇક મદદ મળતી રહે, તેઓ અભ્યાસ કરતા રહે, તેવી વ્યવસ્થા કરી દો.
મારા અધિકારીઓ આ સાંભળી જ રહ્યાં તેઓ કાંઈ બોલ્યા જ નહીં. આ અધિકારીઓ ઘણા ચતુર હોય છે. માથું હલાવી રહ્યાં હતા તો મેં માની લીધું કે મારી વાત માની ગયા છે અને હવે કાંઇક કરશે. બે દિવસ બાદ તેમણે કહ્યું કે સાહેબ, અમે જરા ઘરે મળવા માગીએ છીએ. મેં કહ્યું કે આવી જાઓ કેમ કે હું જવાની તૈયારી કરી રહ્યો હતો. તેમણે આવીને કહ્યું કે સાહેબ, આવું ન કરો કેમ કે ખબર નથી તમને ક્યારે પૈસાની જરૂર પડી જાય અને તમારી પાસે કાંઈ નથી. મારા અધિકારીઓએ મને એ પૈસા આપવા દીધા નહીં. મેં કહ્યું કે યાર, આ પૈસા લઈને હું શું કરીશ.
આખરે તેઓ મારી સમજાવટ બાદ માની ગયા અને બધા પૈસા તો તેમણે લેવાની ના પાડી દીધી પરંતુ એક નાનકડું ફાઉન્ડેશન બનાવ્યું અને મને યાદ નથી પણ કદાચ 21 હજાર રૂપિયા, કદાચ એટલા રૂપિયા આપીને ગરીબ લોકો માટે કાંઇક કરીને નીકળી ગયો.
કદાચ મારા જીવનમાં હું આ પ્રકારના અભાવમાં પેદા થયો છું. તેથી જ મારી ઉપર કોઈ વસ્તુનો પ્રભાવ હોતો નથી. અને આ ફકીરી વગેરે જે કાંઈ છે તે તો શબ્દ મોટા છે પરંતુ હું તો ઓલિયો છું ભાઈ મારે કોઈ લેવા-દેવા નથી હોતા.
પ્રસૂન જી – બસ આ જ છે ફકીરી સર, અમે તેનો જ ઉલ્લેખ કરી રહ્યાં હતા,
નહીં, તમારામાં તે દરેક વસ્તુમાં પરિલિક્ષિત હોય છે. પ્રેક્ષકગણમાંથી કોઈ અન્ય પણ અહીં આવીને સવાલ કરે. પહેલા હું તમને કહું કે જે પહેલેથી અહીં વિનંતી પડી છે તેમાંથી એક હું તમને કહું છું તેમના પણ સવાલ છે.
આ સવાલ શ્રી તરણપ્રિત સિંહજી પૂછવા માગે છે. શ્રી તરણપ્રિત સિંહજી મહેરબાની કરીને તમારો સવાલ પૂછો.
તરણપ્રિત સિંહ – સત્ શ્રી અકાલ.
પ્રધાનમંત્રી – સત્ શ્રી અકાલ જી.
તરણપ્રિત સિંહ – અમારા આદરણીય યુવાન પ્રધાનમંત્રીજી, તમે અમારા તમામ ભારતીય યુવાનો માટે એક આદર્શ બની ગયા છો. માત્ર ભારતીય યુવાનો માટે જ નહીં પરંતુ તમે દેશના વિભિન્ન યુવાનો માટે પણ આદર્શ બની ગયા છો. દિવસમાં 20-20 કલાક કામ કરવું તે કોઈ નાની વાત નથી. તમે ક્યારેય થાકેલા લાગતા નથી. મારો સવાલ એટલો જ છે કે તમારામાં આટલી બધી ઊર્જા આવે છે ક્યાંથી? અમને ખબર છે કે તમે યોગા કરો છો પરંતુ તમે અમને એ કહો કે આ ઊર્જા અમે પણ અમારા જીવનમાં ઉપયોગ કરીને દેશના હિત માટે કામ કરી શકીએ.
પ્રધાનમંત્રી – તેના ઘણા જવાબ હોઈ શકે. એક જવાબ તો મારે જો આજની હસી-ખુશીના સાંજ તરીકે આપવાનો છે તો હું એ કહી શકું છું કે છેલ્લા એક દાયકાથી કે 20 વર્ષથી દરરોજના એક કિલોગ્રામ કે બે કિલોગ્રામ જેટલી ગાળો સાંભળું છું.
પરંતુ સાવ સીધી વાત કહું છું, તમે કદાચ એક ઘણી પુરાણી ઘટના સાંભળી હશે કે કોઈ તીર્થસ્થાન કે પર્વતમાળાની ગૂફામાં એક સંત મહાત્મા બેઠા હતા. અને એક આઠ વર્ષની બાળકી તેના બે વર્ષના નાના ભાઈને ઉઠાવીને એ પર્વત પર ચડી રહી હતી. એ સંતે તેને પૂછ્યું કે બેટા, તને થાક લાગતો નથી. તો એ બાળકીએ જવાબ આપ્યો કે આ તો મારો ભાઈ છે. તો સંતે બીજી વાર પૂછ્યું કે અરે હું તને એ નથી પૂછી રહ્યો કે તે તારો શું +
સગો છે હું તો પૂછું છું કે તને થાક લાગતો નથી. તું આને ઉપાડીને ચાલી રહી છે. તો એ બાળકીએ ફરીથી જવાબ આપ્યો કે આ તો મારો ભાઈ છે.
સંતે ત્રીજી વાર પૂછ્યું કે અરે, હું તને એ નથી પૂછી રહ્યો કે આ તારો શું સગો છે કે શું સગપણ છે તને અમે પૂછી રહ્યો છું કે તને થાક લાગતો નથી.
મારા માટે સવા સો કરોડ દેશવાસીઓ મારા પરિવાર છે. જે ક્ષણે, તમે તમારા જીવનમાં જોઇ લેજો, અનુભવી લેજો કે તમે ગમે તેટલા થાકેલા હશો, ઘરે જઈને સુવાનું મન કરતું હશે, શરીર સાથ નહીં આપતું હોય પરંતુ ટેલિફોન આવી જાય કે તમારા ભત્રીજાને કાંઇક થયું છે અને તેને હોસ્પિટલમાં લઈ ગયા છે તો તમારો એ થાક ઉતરી જશે. સ્કૂટર પર તમે દોડી જશો, આખી રાત તેની ચાકરી કરતા રહેશો શા માટે? તમારો પોતાનો છે. થાક દૂર થઈ જાય છે. તમે ખુદ તેમાં જોડાઈ જાઓ છો. મારા જીવનમાં પણ દરેક ક્ષણે, શરીર તો શરીરનો ધર્મ બજાવે છે, પરંતુ એ જ પળે મને ધ્યાનમાં કોઈ મારો પોતાનો, કોઈ પોતાના માટે, ક્યારેક ત્રિપુરાથી સમાચાર કે ક્યારેક કેરળથી સમાચાર, ક્યારેક દિલ્હીથી સમાચાર મળે છે તો મન કરે છે કે ચલ યાર ઉઠી જા, ચાલો દોડો.
તો સૌથી મોટી વાત છે મનની અવસ્થા. બીજી વાત છે આપણે પણ, ચાલો ઠીક છે આજે તો પ્રધાનમંત્રી છું તો કઈ ચા પણ લઈ આવશે, પાણી પણ લાવશે, પણ મને ખબર છે કે તેના પછી શું થશે. અને તેથી જ નથી ઇચ્છતો કે કોઈના પર બોજ બનું. આ મારા મનની ઇચ્છા છે અને પરમાત્મા મારી સહાયતા કરે. આમ જ હસતા રમતા વાતો કરતા ચાલ્યો જાઉં. જીવનમાં ક્યારેય કોઈ પર બોજ ન બનું. અને તેથી જ શરીરથી જેટલો પણ સ્વસ્થ રહી શકું છું, જેટલું કામ લઈ શકું છું, જેટલા નિયમોનું પાલન કરી શકું છું, જેટલું શીખી શકું છું તેટલું જીવી લેવાનો પ્રયાસ કરું છું અને હું તમામ નવયુવાનોને કહેવા માગીશ કે વારસામાં ઘણું મળી શકે છે પરંતુ પોતાની જાતને સ્વસ્થ રાખવા માટે આપણે આપણા મા-બાપના વારસા પર આધાર રાખી શકીએ નહીં. તે તમારે જાતે જ કરવું પડે છે.
તેઓ વારસામાં તમને ઊંચાઇ આપી શકે છે, વારસામાં ચામડીનો રંગ આપી શકે છે, વારસામાં સારી આંખ આપી શકે છે, નાક નકશો આપી શકે છે પરંતુ અંદરની તંદુરસ્તી તો તમારે સંભાળવાની હોય છે. અને મારો અનુભવ કહે છે કે એક વિયોજન (detachment) જે હોય છે તે એક મોટી તાકાત હોય છે અને બીજું કે નિયમોમાં જીવન જીવવાથી તમે જે કામ માટે નીકળ્યા હો તેને માટે તમે તમારી જાતને યોગ્ય બનાવી શકો છો. આપણે જ્યાં છીએ ત્યાં કોઈ પર બોજો બનવું જોઇએ નહીં. બની શકે તેટલું આપણે એવું જીવન જીવવું જોઇએ કે ક્યારે કોઈ પર બોજો બનીએ નહીં.
પ્રસૂન જોશી – ફિટનેસ મંત્ર તો આપે આપી જ દીધો કે ફિટનેસ વારસામાં મળતી નથી. તે તો તમારે જાતે જ કરવું પડશે. મોદીજી ઘણા સવાલો છે, હું નામ વાંચુ છું જોઇએ છીએ કે કેટલા સવાલ લઈ શકીએ છીએ. એક અમિત દૂબેજીનો સવાલ છે. એક આશુતોષ દિક્ષિતજીને સવાલ છે, આ બધા અહીં જ છે એક સતીષજીને સવાલ છે તો એક પ્રેમસિંહજીનો સવાલ છે.
અમિત દૂબેજી તમારો સવાલ પહેલા છે પરંતુ હું તમારા સમગ્ર લખાણને વાંચી શકતો નથી પણ મને લાગે છે કે તમે ડિજિટલ ઇન્ડિયા અંગે સવાલ પૂછવા માંગો છો.
પ્રધાનમંત્રી – આ વાત સાચી છે. જુઓ દુનિયા ટેકનોલોજી તરફ આગળ ધપી રહી છે. આપણે તેનાથી અલગ રહી શકીએ નહીં. તેનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ અને હું માનું છું કે માહિતી પ્રસારણમાં જે ક્રાંતિ છે, ડિજિટલ વિશ્વમાં જે ક્રાંતિ છે તેનાથી આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં પ્રવેશ કરી રહ્યાં છીએ. તેમાં પારદર્શકતાની ઘણી સંભાવના છે અને તેથી જ સક્ષમતા છે, પારદર્શિતા છે, સરળ સંચાલન છે આ તમામને જોતાં આપણે તેની પર ભાર મૂકવો જોઇએ.
ભારતમાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કનું કામ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. તમને નવાઈ લાગશે કે પહેલા ત્રણ વર્ષમાં 59 ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક પહોંચ્યું હતું. મારા આગમન પહેલા. યોજના પથનું જ્ઞાન હતું? ઓપ્ટિકલ ફાઈબર હોવું જોઇએ તેની ખબર હતી ? હતી, પૈસા હતા? હતા, કામ કરનારા હતા? હતા, થયું કેટલું? ત્રણ વર્ષમાં 59 ગામડા. મેં ત્રણ વર્ષંમાં એક લાખથી વધુ ગામડામાં કામ પૂર્ણ કરી દીધું છે. આ તફાવત છે, મારા કામમાં આ તફાવત છે.
હવે અમે એક જીઇએમ યોજના બનાવી છે. જી ઇ એમ. કોઈ પણ વ્યક્તિ ડિજિટલ વર્લ્ડ મારફત તેમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે, પોતાના ઘરમાં નાનકડું ઉત્પાદન કરે છે, ભારત સરકાર ઇચ્છે તો તે વેચી શકે છે અને વચેટિયાની જરૂર નથી. મોટા મોટા ટેન્ડરની જરૂર નથી, મોટી મોટી કંપનીઓની જરૂર નથી.
મને નવાઈ લાગતી હતી કે એક દિવસ તમિલનાડુથી એક મહિલાનો પત્ર આવ્યો., હું દરરોજ આ પ્રકારના લગભગ 10-12 પત્રો વાંચવાનો પ્રયાસ કરું છું. પત્રો તો હજારો આવે છે બધા વાંચી શકતો નથી તે તો વિભાગ વાંચે છે પરંતુ હું 10-12 પત્રો લઈને દરરોજ વાંચું છું. જેથી સામાન્ય માનવીને શું ભાવના છે તેની મને ખબર પડે.
એક પત્ર મારા હાથમાં આવ્યો. તમિલનાડુની મહિલાએ પત્ર લખ્યો હતો. તેણે લખ્યું, મને અચરજ થયું તેને બે દિકરીઓ હતી. તેણે પોતાનું વર્ણન કર્યું છે. મારો પતિ નોકરી કરે છે, પરંતુ દિકરીઓ મોટી થઈ, લગ્ન કરાવવાના હતા, ઘરમાં થોડા પૈસા હતા તો મેં વિચાર્યું કે થોડું કામ શરૂ કરું. તે મારી દિકરીઓએ કહ્યું કે મુદ્રામાંથી પૈસા લઈ લો, મુદ્રા યોજનામાંથી. તો તેણે કહ્યું કે મેં અરજી કરી. મુદ્રા યોજનામાંથી મને પૈસા મળી ગયા. અને મને પણ નવાઈ લાગતી હતી કે મને 15 દિવસમાં પૈસા મળી ગયા. પછી તેણે કહ્યું કે મેં બજારમાંથી સામાન લાવીને વેચવાનો શરૂ કર્યો. તેવામાં મારી દિકરીઓએ કહ્યું કે જીઇએમમાં નોંધણી કરાવી દો. મેં કરાવી દીધી. એવામાં મેં જીઇએમમાં વાંચ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલયને ચા માટે બે થર્મોસની જરૂર છે. તો મેં બજારમાં જઇને પૂછ્યું કે સસ્તા થર્મોસ ક્યાં મળશે? મેં પ્રધાનમંત્રી કાર્યાલયમાં જીઇએમમાં લખાવી દીધું તો જીઇએમના આધારે પ્રધાનમંત્રી કાર્યાલયના ઓર્ડર મળી ગયા. તો મેં બે થર્મોસ પ્રધાનમંત્રી કાર્યાલયમાં પહોંચાડી દીધા. અને મને પેમેન્ટ પણ મળી ગયું. તે કહે છે કે મારા આનંદનો પાર રહ્યો નહીં આમ કેવી રીતે બની શકે? આ ડિજિટલ ક્રાંતિનું પરિણાંમ છે. તેને કારણે આ શક્ય બન્યું. નહીંતર ક્યાં તામિલનાડુનું એક ગામડુ જેમાં નાનકડો વેપાર શરૂ કરનારી મહિલા અને તેની વસ્તુ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચી ગઈ.
તો અમને ડિજિટલ ક્રાંતિ દ્વારા, બીજું શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિ ઘણી મોટી સેવા કરી શકે છે હવે અમે એ દિશામાં આગળ જવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. અને હું ઇચ્છીશ કે આઇટી ક્ષેત્રમાં ભારતનું ઘણું મોટું યોગદાન છે, તેનો ફાયદો ભારતના સામાન્ય લોકોને મળવો જોઇએ અને એ દિશામાં અમે પ્રયાસ કરી રહ્યાં છીએ.
પ્રસૂન જોશી – દૂબેજી, આ જવાબથી તમને સંતોષ થયો હશે તેવી આશા સાથે આગળ વધીએ છીએ.
મોદીજી, ભારતના સાહસ અને સંકલ્પ બાદ હવે વાત કરીએ આવનારી કાલની અને ભારતના લક્ષ્યાંકની. આજે સમગ્ર વિશ્વ ભારત તરફ એક આશાભરી નજરે જોઈ રહ્યું છે અને ભારત અંદરથી જાણે છે કે તેણે ઘણે દૂર સુધી જવાનું છે. આ નવા ભારતની વાત છે. આ જે ન્યૂ વર્લ્ડ હશે તેમાં ભારતની શું ભૂમિકા હશે?
પ્રધાનમંત્રી – તમે સૌ અનુભવ કરતા હશો કે આજે તમારા પાસપોર્ટની તાકાત વધી છે કે નહીં? વિદેશમા તમે વસો છો કોઈ પણ વ્યક્તિને ખબર પડે છે કે તમે હિન્દુસ્તાનના છો તો તમારી તરફ તેની જોવાની નજર અગાઉની સરખામણીએ બદલાઈ જશે. બદલાશે કે નહીં? સાચું કહો, માત્ર મને ખુશ કરવા ન કહો. બદલાયું છે? તમારા પ્રત્યે હવે લોકો ગર્વથી જુએ છે?
હિન્દુસ્તાન તો એ જ છે, પહેલા પણ હતું, આજે પણ છે, દુનિયા પણ હતી. આ જે પરિવર્તન અનુભવાય છે કે નહીં?
હિન્દુસ્તાન તો એ જ છે પહેલા પણ હતું, તમે પણ હતા, દુનિયા પણ હતી, પણ પરિવર્તન અનુભવાય છે કે નહીં?
હિન્દુસ્તાને આ કરી દેખાડ્યું છે. આજે સમગ્ર વિશ્વમાં ભારતની તાકાત માનવામાં આવે છે. માત્ર સવા સો કરોડનો દેશ છે એટલે નહીં, ઘણું મોટું બજાર છે એટલે નહીં. ભારતે પોતાની નીતિઓ દ્વારા, સંતુલિત વ્યવહારથી તનાવપૂર્ણ વિશ્વમાં તમે પણ ભલા અમે પણ ભલા, તમે પણ સારા અમે પણ સારા, ચાલો યાર બેસીને એક ફોટો પડાવી લઇએ, આ પ્રકારની નીતિ છોડી દીધી છે. જે સાચું છે તો ગાઈ વગાડીને બોલવું, જે સાચું છે તેની સાથે હિંમત રાખીને ચાલવું આ સામર્થ્ય હિન્દુસ્તાને દાખવ્યું છે.
તમે કલ્પના કરી શકો છો કે આઝાદીના 70 વર્ષ સુધી હિન્દુસ્તાનનો પ્રધાનમંત્રી ઇઝરાયલ ન જાય, કયું દબાણ હતું? હિન્દુસ્તાનમાં તાકાત હોવી જોઇએ કે હિન્દુસ્તાનનો ડંકો ચારે તરફ ગુંજતો રહે કે જ્યારે મારે ઇઝરાયલ જવું છે તો હું સીધો ઇઝરાયલ જાઉં અને જ્યારે મારે પેલેસ્ટાઇન જવું હશે તો દિવસે હિંમત સાથે હું પેલેસ્ટાઇન જઇશ. હું સાઉદી અરેબિયા પણ જઇશ અને એટલા જ પ્રેમથી તેમનો આદર પણ પ્રાપ્ત કરીશ. અને દેશને ઊર્જા સુરક્ષાની જરૂરિયાત છે તો હું ઇરાન પણ જઇશ.
તમે કલ્પના કરી શકો છો કે યુએઇ- ભારતથી નીકળીને એક કલાકમાં ત્યાં પહોંચી જવાય, બે કલાકમાં પહોંચી જવાય. 23 વર્ષ સુધી ત્યાં કોઈ ગયું જ નથી ભાઈ. મને કહો કે હિન્દુસ્તાન પ્રત્યે તેમની કોઈ અપેક્ષા હશે ખરી? તમને કોણ રોકે છે? આજે વિશ્વના તમામ દેશો સાથે આપણી બરાબરી સાથે અને હું ચૂંટણી લડી રહ્યો હતો ત્યારે એક વિષય પર મારી જોરદાર ટીકા થઈ રહી હતી, ભરપુર ટીકા થઈ રહી હતી. તે એ હતી કે મોદી, એ ચા વેચનારો, એક રાજ્યનો મુખ્યમંત્રી. આવડો મોટો દેશ. તેને શું સમજ પડશે? અને વિદેશ નીતિ તો જરાય સમજી શકશે નહીં.
મારી ઘણી ટીકા થતી હતી. આ માણસ દેશને ડૂબાડી દેશે. પરંતુ આજે ચાર વર્ષ બાદ કોઈ આ સવાલ ઉઠાવી શકતો નથી. હવે તેનું કારણ- તેનું કારણ મોદી નથી. મોદીની સત્તા સવા સો કરોડ દેશવાસીઓની તાકાત પરનો ભરોસો છે. મોદીને હિન્દુસ્તાનની મહાન પરંપરાઓ પર આસ્થા છે.
મોદીને હિન્દુસ્તાનના ઈતિહાસ, હિન્દુસ્તાનની સંસ્કૃતિ, હિન્દુસ્તાનના જીવન પ્રત્યે પૂરી શ્રદ્ધા છે અને મને વિશ્વાસ છે કે હું દુનિયાને ભારતનું સ્તર સમજાવી શકું છું અને તેનું પરિણામ છે કે આજે વિશ્વના પ્રત્યેક ક્ષેત્રમાં, જુઓ મારા ટાઈમ ટેબલમાં યુકેમાં આ કોમનવેલ્થ દેશોનો કાર્યક્રમ કરીને જવાનો હતો. આ ભારતનું ગર્વ છે કે ખુદ પ્રિન્સ ચાર્લ્સ ભારત આવ્યા હતા. કેમ કે ગત વખતે કોમનવેલ્થ માલ્ટામાં યોજાયો હતો અને હું જઈ શક્યો ન હતો. આ વખતે ખુદ પ્રિન્સ ચાર્લ્સ આવ્યા હતા. ફક્ત મને આમંત્રણ આપવા માટે કે, આ વખતે તમે જરૂર આવજો.
એટલું જ નહીં, એટલું જ નહીં, બ્રિટનના મહારાણીએ જાતે મને વ્યક્તિગત પત્ર લખ્યો કે આ વખતે તો તમારે આવવાનું જ છે. આ મોદીનો વિષય નથી. આ ભારતની પ્રોફાઈલ છે જેના કારણે આ શક્ય બન્યું છે.
એક સમય હતો જ્યારે માનવીય આધાર પર ચર્ચા થતી હતી તો મોટા ભાગે પશ્ચિમના દેશોની જ ચર્ચા થતી હતી. ભારતની કોઈ ચર્ચા કરતું ન હતું. પરંતુ જ્યારે યમનમાં પાંચ-છ હજાર લોકો ફસાયેલા હતા, તેમને બહાર કાઢવામાં આવ્યા તો દુનિયાના ઘણા દેશોએ ભારતને વિનંતી કરી હતી કે તમે તમારા નાગરિકોને બહાર કાઢો છો તો અમારા લોકોને પણ યમનમાંથી બહાર લાવો અને વિશ્વના 2000 નાગરિકોને બહાર કાઢીને અમે તેમને અહીં પહોંચાડવાનું કામ કર્યું હતું.
મ્યાનમારમાં રોહિંગ્યાની સમસ્યા ઊભી થઈ, વિશ્વએ તે પ્રશ્નને માનવ અધિકાર, ઢીંકણું, ફલાણું કરીને જેને પોતાનું જે સ્થાન લેવું હતું તે લીધું હતું. અમે ત્યાં અટક્યા ન હતા. રોહિંગ્યા લોકો જે બાંગ્લાદેશ પાછા ફર્યા હતા અમે કહ્યું કે બાંગ્લાદેશ અમારો મિત્ર દેશ છે, અમે સ્ટીમર ભરીભરીને ત્યાં ચોખા લઈને પહોંચ્યા, જે રોહિંગ્યા ત્યાં આવ્યા છે તે ભૂખે મરવા જોઈએ નહીં. માનવતાનું કામ કરવામાં ભારત પાછી પાની કરતું નથી. મ્યાનમારની અંદર રખૈન સ્ટેટ છે જ્યાં આ લોકોને મુશ્કેલી હતી. વિકાસ નથી થયો, ભારતે મ્યાનમાર સરકાર સાથે સમજૂતી કરી કે અમે રખૈન પ્રદેશ માટે, તેના વિકાસ માટે ભારત જે કંઈ પણ યોગદાન આપી શકે છે તે આપશે.
નેપાળમાં ભૂકંપ આવ્યો, ભારત સૌથી પહેલો દેશ હતો કે તરત જ નેપાળ પહોંચ્યો અને નેપાળના સુખ-દુઃખની ચિંતા કરી. ભારતે પોતાના વ્યવહાર દ્વારા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર વિશ્વની પ્રત્યેક શક્તિ સાથે સમાન વ્યવહાર કર્યો છે અને ત્યારે મીડિયાએ મને વિદેશ નીતિ અંગે પૂછ્યું હતું અને મેં જવાબ આપ્યો હતો કે મારી વિદેશ નીતિનું શું થશે, શું નહીં થાય તેની મોટી વ્યાખ્યા તો નથી કરતો, પરંતુ મેં એટલું કહ્યું હતું કે અમે ક્યારેય કોઈની સામે માથુ નમાવીને વાત નહીં કરીએ અને કોઈની સામે માથુ ઊંચુ રાખીને પણ વાત નહીં કરીએ, અમે આંખોમાં આંખો પરોવીને વાત કરીશું. અને આજે આ વાતને તમે જોઈ શકો છો અને કોઈના કારણે અને આજે વિશ્વ જે પરિસ્થિતીમાં પહોંચી રહ્યું છે, જો વિશ્વ, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટની ચિંતા કરી રહ્યું છે તો ભારત આંતરરાષ્ટ્રી સૌર ગઠબંધનનું સમાધાન લઈને આવ્યું છે.
વિશ્વ આતંકવાદથી ત્રસ્ત છે તો ભારત માનવતાવાદી શક્તિઓને એક કરીને લોકશાહીના મૂલ્યોમાં વિશ્વાસ કરનારા લોકોને એક કરીને, માનવતા વિરુદ્ધની આ લડાઈ છે. આ કોઈ દેશ, જાતિ, ધર્મ, સંપ્રદાયથી જોડીને નહીં, આ માનવતા વિરુદ્ધની લડાઈ છે. તમામ માનવતાવાદી શક્તિઓ એક થવી જોઈએ અને ભારતે તેની આગેવાની લીધી છે.
ત્રીજા વિશ્વના દેશો, તેમને તેમના હકો મળવા જોઈએ, તેનું પ્રવક્તા ભારત બન્યું છે. ભારતે તેની જવાબદારીઓને યોગ્ય રીતે પાર પાડવાનો પ્રયાસ કર્યો છે અને તેથી તમે જોઈ રહ્યાં છો કે આજે ભારતે પોતાનું સ્થાન બનાવી લીધું છે. પ્રત્યેક ઈન્ટરનેશનલ મંચ પર આજે ભારત તેની કાર્યસૂચિ તૈયાર કરે છે.
જી-20 સમિટમાં કાળા નાણા વિરુદ્ધ લડાઈ લડવાની આગેવાની ભારતે લીધી, આજે જી-20 સમૂહના દેશો પોતાની બેન્કોને રીયલ ટાઈમ ઈન્ફોર્મેશન આપવા માટે ભારત સાથે સમજૂતી કરી રહ્યાં છે અને વિશ્વના દેશો સાથે પણ સમજૂતી કરી રહ્યાં છે.
તો ભારત આજે એક ટ્રેન્ડ સેટર બની રહ્યું છે, એક કાર્યસૂચિ તૈયાર કરી રહ્યું છે, ભારત પોતાની મહત્વતા, ભારત પોતાની પ્રોફાઈલ વિશ્વમાં એક નવા વિશ્વાસ સાથે ઊભી કરી રહ્યું છે.
પ્રસૂન જોશી — તમે આંખમાં આંખ પરોવીને વાત કરવાની વાત કરી અને કાર્યસૂચિ તૈયાર કરવાની વાત કરી, હું સ્પષ્ટપણે માનું છું કે આ દેખાડે છે કે, ભારત કઈ દિશામાં જઈ રહ્યું છે, આપણે કઈ દિશામાં જઈ રહ્યાં છીએ.
એક સવાલ છે, આપણી પાસે ઘણો ઓછો સમય છે, તો ઘણા બધા સવાલો લેવા છે, ઘણા બધા સવાલો આવ્યા છે પણ એક સવાલ છે જે પહેલાથી રાહ જોઈ રહ્યો છે, અનુશ્રી ઘિસાદજીનો, મહેરબાની કરીને તમારો સવાલ પૂછો.
અનુશ્રી ઘિસાદ – નમસ્તે મોદી જી.
વડાપ્રધાન – નમસ્તે.
અનુશ્રી ઘિસાદ – મોદીજી તમે ભારતના હિતમાં ઘણા અનોખા નિર્ણયો લીધા છે. તેના પરિણામો અમે ફક્ત દેશમાં નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જોયા છે. તેમ છતાં આજે દેશમાં એવી ઘણી શક્તિઓ છે જે કોઈ પણ ભોગે સત્તા હાંસલ કરવામાં લાગેલી છે. તો શું આવી ગતિવિધીઓના કારણે તમારા પગ ડગમગ્યા નથી?
પ્રધાનમંત્રી – જુઓ, હું માનું છું કે આ લોકશાહીની સુંદરતા છે. લોકશાહીમાં જો વિરોધ ન હોય, ટીકાઓ ન હોય, તો પછી લોકશાહી કેવી રીતે હોઈ શકે? હું માનું છું અને આ મારો વિશ્વાસ છે, આ ફક્ત શબ્દો નથી. હું માનું છું લોકશાહીની સૌથી સુંદરમાં સુંદર વાત કોઈ છે તો તે ટીકા છે.
હું માનું છું મોદી સરકારની ભરપૂર ટીકાઓ થવી જોઈએ. પ્રત્યેક રીતે ટીકા થવી જોઈએ. ટીકાથી જ તપીને લોકશાહીનો વિકાસ થાય છે અને સરકારને પણ અને શાસનમાં બેઠેલા લોકોને પણ તે સતર્ક રાખે છે. તેથી જો કોઈ ટીકા કરે છે, તેને હું મારૂ સૌભાગ્ય માનું છું. હું તેનાથી ખોટું લગાડતો નથી.
પરંતુ મારી ચિંતા ટીકા નથી. કમનસીબ એ છે કે ટીકા કરવા માટે ઘણું બધું સંશોધન કરવું પડે છે. ઘણી મહેનત કરવી પડે છે. તેની અંદર ઊંડા ઉતરવું પડે છે, સત્ય અને આંકડા ભેગા કરવા પડે છે. સમગ્ર ઈતિહાસ કાઢવો પડે છે. પરંતુ આજે લોકો પાસે આવું કરવાનો સમય જ નથી. ઘણા ઓછા લોકો છે જે હવે આ કામ કરી શકે છે. પ્રત્યેકને એટલી ઉતાવળ છે કે ભાઈ 24X7. હું આગળ નીકળુ, બ્રેકિંગ ન્યૂઝ આપું, આ આપું કે પછી તે આપું, ઉતાવળીયો યુગ છે અને તેથી કમનસીબે ટીકાએ તે મર્યાદાઓને તોડીને આક્ષેપોનું સ્વરૂપ લઈ લીધું છે.
લોકશાહીની સૌથી મોટી તાકાત છે તો તે ટીકા છે. લોકશાહીનો સૌથી વિનાશક કોઈ રસ્તો છે તો તે આક્ષેપ છે. તેથી એક તંદુરસ્ત લોકતંત્ર માટે ટીકા સૌથી મોટું ઈનામ હોવું જોઈએ અને આક્ષેપોથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ.
અને હું માનું છું કે આ મૂળભૂત તત્વોને હું જાણું છું અને માનું છું તેથી હું, મને બરાબર યાદ છે કે સરકારમાં મને કોઈ સારા સમાચાર આપે છે તો મારો સવાલ એ રહે છે કે ભાઈ આ તો ઠીક છે, હું પછી જોઈ લઈશ. પણ તે જણાવો કે તેમાં અમારાથી શું ચૂક રહી ગઈ છે, પહેલા તે દેખાડો. હું આ વાત સામેથી પૂછું છું કેમ કે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી ભાઈ, આપણે બધા જ મનુષ્ય છીએ. આપણામાં પણ ઉણપો છે, આપણાથી પણ ભૂલો થાય છે.
કોઈ છે જે જણાવે છે. જો હું સાંભળવાનું જ બંધ કરી દઈશ તો પછી મારી ભૂલો ક્યારેય સુધરશે નહીં અને મારા દેશનું પણ ભલુ નહીં થાય. તેથી હું હંમેશા ટીકાઓનું સ્વાગત કરું છું. પરંતુ મારા પર આરોપ છે કે મોદીજી આટલી ટીકા થાય છે તો તમે બોલતા કેમ નથી? અરે ભાઈ, હું તમારી ટીકાને એટલું મહત્વ આપું છું કે હું તેને સમજવાનો પ્રયાસ કરૂ છું. તેનાથી હું સુધરવાનો પ્રયાસ કરૂ છું. તમારૂ મોઢુ બંધ રાખવાનું કામ મારૂ નથી. આ ખોટો રસ્તો છે. તમે જે બોલો છો તે મારા માટે મૂલ્યવાન બાબત છે.
તમે જે મારી ટીકા કરો છો તે મારા માટે ઘણો મોટો ખજાનો છે. તે મારા માટે સોનાની ખાણ છે.
પ્રસૂન જોશી – પણ કઈ ટીકાને તમારે મહત્વ આપવું જોઈએ અને કઈ ટીકાની અવગણના કરવી જોઈએ, તે તમે કેવી રીતે નક્કી કરો છો?
પ્રધાનમંત્રી – જોઈએ તો બ્લેક એન્ડ વ્હાઈટમાં થઈ શકતું નથી કે હું આ ટીકાને સારી માનીશ, આ ટીકાને ને ખરાબ માનીશ. હું હાલમાં આ કાર્યક્રમ કરી રહ્યો છું. મને અને તમને બંનેને લાગતું હશે કે યાર બહુ સરસ છે. પરંતુ કોઈ કહેશે કે યાર મોદીજી આ બંધ કરે તો સારૂ છે. કોઈ તે પણ કહી શકે છે કે દેખો યાર આ મોદીજીએ આજે ખબર નથી કે જવાબ નથી આપી શકતા, ઘણી વખત તો જઈને તેમણે સ્ટેજ મેનેજ શો કરી લીધો, પોતાનું કામ કરી રહ્યાં છે. તેમાંથી પણ હું પ્રયાસ કરીશ કે આજના મારા જવાબમાં જે હું બોલી રહ્યો છું બની શકે છે કોઈ તેમાંથી નીકાળશે તો હું જરૂર વિચારીશ. હા યાર આ શબ્દ મારા મોઢામાંથી ન નીકળ્યો હોત તો સારૂ રહ્યું હોત. હું વિચારીશ અને હું આજે જ્યાં પહોંચ્યો છું ને, સાહેબ મને ઘણા લોકોનો સાથ મળ્યો છે. ઘણા લોકોએ મારી પીઠ થાબડી છે અને કહ્યું છે કે મોદીજી આ કરો, આ ન કરો. આ કરો, નહીં આ કરો. આવું કરતા કરતા હું અહીં પહોંચ્યો છું. તો આ બધી તેમણે જે મહેનત કરી છે તેને હું વ્યર્થ નહીં જવા દઉ.
પ્રસૂન જોશી – હા, મોદીજી આપણે કાર્યક્રમના અંત તરફ વધી રહ્યાં છીએ, આપણે કહ્યું પણ, ઘડિયાળ તરફ જોયું, તમે ઘડિયાળ તરફ જોયું અને મને લાગે છે કે કાર્યક્રમની અંત તરફ વધવું જોઈએ.
તો એક સવાલ જે છેલ્લો સવાલ હું તમને પૂછવા ઈચ્છું છું, શું તમે ઈચ્છશો, ઈતિહાસ તમને કેવી રીતે યાદ રાખે?
પ્રધાનમંત્રી – તમારામાંથી કોઈ જણાવી શકે છે કે વેદ કોણે લખ્યા હતા? દુનિયામાં સૌથી જૂના ગ્રંથ અને આજે પણ પાંચ હજાર, દસ હજાર વર્ષ બાદ પણ વિશ્વને રસ્તો દેખાડવાનું સામર્થ્ય ધરાવે છે. તમને ખબર છે તે કોણે લખ્યા હતા? જો આટલા મોટા રચયિતાનું નામ આપણને ખબર નથી, ઈતિહાસમાં નોંધાયેલું નથી તો મોદી તો શું છે? એક નાનકડી હસ્તી છે.
હું ઈતિહાસમાં નામ અંકિત કરવા માટે જન્મ્યો નથી અને મારો તે હેતું પણ નથી અને હું નથી ઈચ્છતો કે મોદીને લોકો એ સવા સો કરોડ દેશવાસીઓની જેમ જ એક માને, તેનાથી વધારે માનવાની જરૂર નથી. તમને શિક્ષકનું કામ મળ્યું હશે, તમને ડ્રાઈવરનું કામ મળ્યું હશે, તમને વ્યાપારનું કામ મળ્યું હશે, તમને ખેતીનું કામ મળ્યું હશે, મને આ કામ મળ્યું છે, તેનાથી વધારે કંઈ નથી, હું નથી ઈચ્છતો કે હું આ મને ઈતિહાસમાં અમર કરવા માટે મળ્યું છે.
હું ફક્ત એક જ વાત ઈચ્છું છું કે મારો દેશ અજર-અમર રહે. વિશ્વ યાદ કરે તો મારા દેશને યાદ કરે. મારા દેશના ભવિષ્યને જોવે. મારા દેશ માટે વિશ્વ ગર્વથી કહે, આ એક દેશ છે જે માનવ કલ્યાણનો માર્ગ દેખાડી શકે છે, વિશ્વને સંકટોમાંથી બહાર કાઢવાનું સામર્થ્ય આ ધરતીમાં છે. આ વિશ્વને ખબર પડે મોદીની છબી ચમકાવવામાં મને કોઈ રસ નથી, હિન્દુસ્તાનની છબી ચમકાવવા માટે જીવનને ખર્ચી નાંખવામાં મને રસ છે.
પ્રસૂન જોશી – મોદીજી અંતમાં, અંતમાં તે ચાર પંક્તિઓ વાંચીશ, જેનાથી મેં અહીં શરૂઆત કરી હતી, જે મેં આજે લખી હતી અને આ ભારત માટે –
એક આસમાં કમ પડતા હૈ.
એક આસમાં કમ પડતા હૈ, ઔર આસમાં મંગવા દો.
એક આસમાં કમ પડતા હૈ, ઔર આસમાં મંગવા દો.
હૈં બેસબ્ર ઉડાનેં મેરી, પંખ યે નીલે રંગવા દો.
એક આસમાં કમ પડતા હૈ, ઔર આસમાં મંગવા દો.
હૈં બેસબ્ર ઉડાને મેરી, પંખ યે નીલે રંગવા દો.
સ્વપ્ન કરોડોં સત્ય હો રહે, સ્વપ્ન કરોડોં સત્ય હો રહે,
અબ ઉનકા સત્કાર કરો, નિકલ પડા હૈ ભારત મેરા, અબ તુમ જયજયકાર કરો.
પ્રધાનમંત્રી – વાહ, આપણે ત્યાં રાજા રંતીદેવે કહ્યું છે અને ઘણું સારૂ કહ્યું છે – રાજા રંતીદેવે અને એક રાજઘરાનાથી નીકળેલી વાત છે. તેમણે કહ્યું છે –
ન કામયે રાજ્યમ્, ન સ્વર્ગમ ન પૂર્ભવમ્ ।
કામયે દુઃખતપ્રાનામ્ આર્ત્તે નાશનમ્ ।।
મને ના તો રાજ્યની કામના છે, ના તો મોક્ષની કામના છે, મને પૂનર્જન્મની પણ કામના નથી. મારા હ્રદયમાં કોઈ કામના છે તો મને તે દુઃખી-દરીદ્રોની સેવા કરવી, આ જ મારી કામના છે. આ કામનાને લઈને આપણે ચાલીએ.
હું ફરી એક વખત તમારા લોકોનો આભાર માનું છું. પ્રસૂનજી તમારો ઘણો આભાર માનું છું કે તમે સમય નીકાળ્યો. મારાથી જે ભૂલો થાય તે તમે જણાવતા રહેજો, તે માટે કોઈ સંકોચ રાખતા નહીં. જેથી તમારા આશીર્વાદ દ્વારા, તમારા મંતવ્યો દ્વારા સવા સો કરોડ દેશવાસીઓના કલ્યાણ માટે હું પણ મારૂ કંઈક યોગદાન આપી શકું. જે વ્યવસ્થા અંતર્ગત હું બેઠો છું તે વ્યવસ્થા અંતર્ગત કંઈક આપી શકું. આવી એક કામના સાથે તમે આટલો સમય આપ્યો, આશીર્વાદ આપ્યા, હું તમારો ખૂબ-ખૂબ આભાર માનું છું.
ખૂબ-ખૂબ આભાર!
****
RP
Your life began from a Railway Station, and you are coming to this programme from the Royal Palace. What do you have to say about your life journey, asks Prasoon Joshi to PM @narendramodi. Watch. https://t.co/uhwZ5577gM #BharatKiBaat
— PMO India (@PMOIndia) April 18, 2018
My life at the Railway Station taught me so much. It was about my personal struggles. When you said Royal Palace, it is not about me but about the 125 crore people of India: PM @narendramodi #BharatKiBaat pic.twitter.com/JeCvkGUOtg
— PMO India (@PMOIndia) April 18, 2018
The person in the Railway Station was Narendra Modi. The person in the Royal Palace in London is the Sevak of 125 crore Indians: PM @narendramodi #BharatKiBaat
— PMO India (@PMOIndia) April 18, 2018
रेलवे स्टेशन मेरे जीवन का स्वर्णिम पृष्ठ जिसने मुझे जीना और जूझना सीखाया: PM @narendramodi https://t.co/uhwZ5577gM
— PMO India (@PMOIndia) April 18, 2018
Prashant Dixit asks- yes work is happening, but still there is still some degree of impatience. What do you have to say to this. #BharatKiBaat
— PMO India (@PMOIndia) April 18, 2018
'Besabri' is not a bad thing. If a person has a cycle, a person aspires a scooter. If a person has a scooter, a person aspires a car. It is nature to aspire. India is getting increasingly aspirational: PM @narendramodi https://t.co/uhwZ5577gM
— PMO India (@PMOIndia) April 18, 2018
जिस पल संतोष का भाव पैदा हो जाता है, जीवन फिर आगे नहीं बढ़ता। हर आयु, हर युग में कुछ न कुछ नया पाने को गति देता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
जज्बा होना सबसे ज़रूरी है... मुझे ख़ुशी है कि आज सवा सौ करोड़ लोगों के मन में एक उमंग, आशा और संकल्प का भाव है और लोग मुझसे अपेक्षा कर रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
जज्बा होना सबसे ज़रूरी है... मुझे ख़ुशी है कि आज सवा सौ करोड़ लोगों के मन में एक उमंग, आशा और संकल्प का भाव है और लोग मुझसे अपेक्षा कर रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
लोगों की मुझसे अपेक्षा इसलिए है कि उन्हें विश्वास है कि हम करके जरूर दिखाएंगे: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
बेसब्री मेरे लिए ऊर्जा है और जब आप ‘सर्वजन हिताय, सर्वजन सुखाय’ के संकल्प को लेकर चलते हैं तो निराशा की बात ही नहीं उठती: PM @narendramodi pic.twitter.com/3U9uS2Fmyy
— PMO India (@PMOIndia) April 18, 2018
‘तब और अब’ में जमीन आसमान का अंतर क्योंकि जब नीति स्पष्ट हो, नीयत साफ़ हो, और इरादे नेक हों तो उसी व्यवस्था के साथ आप इच्छित परिणाम ले सकते हैं: PM @narendramodi pic.twitter.com/k0O8OII99I
— PMO India (@PMOIndia) April 18, 2018
Priyanka Verma from Delhi has a question for the PM- we select a Government that works for us. You have tried to change systems, but my question is should all this not have been done earlier. #BharatKiBaat
— PMO India (@PMOIndia) April 18, 2018
During the freedom struggle Mahatma Gandhi did something very different.
— PMO India (@PMOIndia) April 18, 2018
He turned the freedom struggle into a mass movement. He told every person that whatever you are doing will contribute to India's freedom: PM @narendramodi
Today the need of the hour is to make development a mass movement: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
Participative democracy makes good governance possible: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
लोकतंत्र कोई कॉन्ट्रैक्ट एग्रीमेंट नहीं, ये भागीदारी का काम; जनता-जनार्दन की ताकत बहुत होती है और उन पर जितना भरोसा होगा, उसके परिणाम देखने को मिलेंगे: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
There is a question from the audience on the surgical strikes. https://t.co/uhwZ5577gM
— PMO India (@PMOIndia) April 18, 2018
Look back at India's history. India has never desired anyone else's territory. During World War 1 and 2 we had no stake but our soldiers took part in the Wars. These were big sacrifices. Look at our role in UN Peacekeeping Forces: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
We believe in peace. But we will not tolerate those who like to export terror. We will give back strong answers and in the language they understand. Terrorism will never be accepted: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
Those who like exporting terror, I want to tell them that India has changed and their antics will not be tolerated: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
I do not need to read books to understand poverty. I have lived in poverty, I know what it is to be poor and belong to the backward sections of society.
— PMO India (@PMOIndia) April 18, 2018
I want to work for the poor, the marginalised and the downtrodden: PM @narendramodi
18,000 villages did not have electricity. So many women do not have access to toilets. These realities of our nation did not let me sleep. I was determined to bring about a positive change in the lives of India's poor: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
Prasoon Joshi asks the Prime Minister- you are working hard but can you change the nation alone?
— PMO India (@PMOIndia) April 18, 2018
I am like any common citizen. And, I also have drawbacks like normal people do: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
मेरी पूँजी है – कठोर परिश्रम, प्रमाणिकता और सवा सौ करोड़ लोगों का प्यार: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
मैंने देशवासियों को भरोसा दिलाया था कि मैं गलतियाँ कर सकता हूँ लेकिन गलत इरादे से कोई काम नहीं करूँगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
We have a million problems but we have a billion people who can solve them: PM @narendramodi #BharatKiBaat
— PMO India (@PMOIndia) April 18, 2018
सवा सौ करोड़ देशवासियों की शक्ति पर मेरा भरोसा और आज जितने बदलाव देश में देखने को मिल रहे हैं, ये उसी का परिणाम है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
सवा सौ करोड़ देशवासियों की शक्ति पर मेरा भरोसा और आज जितने बदलाव देश में देखने को मिल रहे हैं, ये उसी का परिणाम है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
बच्चों को पढ़ाई, युवा को कमाई और बुजुर्गों को दवाई – इन तीनों पर ही हमने विशेष ध्यान दिया: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
देश में वेलनेस सेंटर हो या प्रिवेंटिव हेल्थकेयर हो, हम हर भारतीय के स्वास्थ्य के लिए काम कर रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
Santosh Patil from Karnataka asks a question to PM @narendramodi on how Bhagwan Basaveshwara has influenced him.
— PMO India (@PMOIndia) April 18, 2018
भगवान बसवेश्वर ने लोकतंत्र के लिए अपना पूरा जीवन खपा दिया और समाज को जोड़ने का अभूतपूर्व काम किया : PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
लोकतंत्र, सामाजिक चेतना और नारी सशक्तिकरण के लिए किया गया भगवान बसवेश्वर का प्रयास हम सभी के लिए प्रेरणास्त्रोत : PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
हम एक ऐसा इको-सिस्टम बना रहे हैं जहाँ सभी के लिए अवसर हो: PM @narendramodi pic.twitter.com/Rit4Pzu5oK
— PMO India (@PMOIndia) April 18, 2018
आज हम किसान कल्याण के लिए काम कर रहे हैं चाहे वो 2022 तक कृषि से होने वाली आय को दोगुनी करनी हो, यूरिया की आसान उपलब्धता हो या यूरिया की नीम-कोटिंग हो, हम एक निश्चित लक्ष्य के साथ आगे बढ़ रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
चाहे कोई पैरामीटर हो, देश के लिए अच्छा करने में हमने कोई कमी नहीं रखी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
The 125 crore people of India are my family: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
आज हम आर्टिफिसियल इंटेलिजेंस के युग में जी रहे हैं और हम टेक्नोलॉजी से अलग नहीं रह सकते: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
What prevented Indian Prime Ministers from going to Israel.
— PMO India (@PMOIndia) April 18, 2018
Yes, I will go to Israel and I will even go to Palestine.
I will further cooperation with Saudi Arabia and for the energy needs of India I will also engage with Iran: PM @narendramodi
भारत आँख झुकाकर या आँख उठाकर नहीं बल्कि आँख मिला कर बात करने में विश्वास करता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
Democracy cannot succeed without constructive criticism: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
I want this Government to be criticised. Criticism makes democracy strong: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
My problem is not against criticism. To criticise, one has to research and find proper facts. Sadly, it does not happen now. What happens instead is allegations: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
इतिहास में नाम अंकित करना मेरा लक्ष्य नहीं, मैं उसी तरह जैसे मेरे सवा सौ करोड़ देशवासी: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 18, 2018
I was not born with an aim to be in history books.
— PMO India (@PMOIndia) April 18, 2018
I request you all- remember our country and not Modi. I am just like you all, a common citizen of India: PM @narendramodi