Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ન્યૂ ઇન્ડિયા કોન્ક્લેવને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ ન્યૂ ઇન્ડિયા કોન્ક્લેવને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ ન્યૂ ઇન્ડિયા કોન્ક્લેવને સંબોધન કર્યું


પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં Y4D ન્યૂ ઇન્ડિયા કોન્ક્લેવને સંબોધન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, અત્યારે દેશ પરિવર્તનનાં તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, અત્યારે ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપી ગતિએ વિકસતું અર્થતંત્ર છે, આંતરરાષ્ટ્રીય અહેવાલ મુજબ ભારતમાં વિક્રમી ઝડપે ગરીબીમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, સરકાર પ્રોત્સાહક ની ભૂમિકા અદા કરી નવા અવસરો પુરા પાડી શકે છે, પરંતુ યુવાનો ઉપલબ્ધ અવસરોનો ઉપયોગ કરી સાથે નવી તકોનું સર્જન પણ કરી શકે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, યુવાનોની આકાંક્ષા અને ઊર્જાની જેમ ભારત મોટાં પરિવર્તનનાં પંથે છે. આ સંદર્ભમાં તેમણે ઉદાહરણો આપ્યાં હતાં, જેમ કે 3 કરોડ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, છેલ્લાં ચાર વર્ષમાં 1.75 લાખ કિલોમીટરની લંબાઈ ધરાવતાં માર્ગોનું નિર્માણ ગ્રામીણ વિસ્તારોમાં થયું છે, દરેક ગામમાં વીજળી પહોંચી છે, ઓક્ટોબર, 2017 સુધીમાં 85 લાખ ઘરને વીજળી પહોંચાડવામાં આવી છે, છેલ્લાં 4 વર્ષમાં ગરીબોને 4.65 કરોડ ગેસ જોડાણો મળ્યાં છે અને ગરીબો માટે 1 કરોડ ઘરોનું નિર્માણ થયું છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતનાં 800 મિલિયન લોકો 35 વર્ષથી ઓછી વયના હોવાથી આ સંભવ બન્યું છે.

પ્રધાનમંત્રીએ દેશના અનેક નેતાઓનાં ઉદાહરણ આપ્યાં હતાં, જેઓ અત્યારે અતિ સાધારણ પૃષ્ઠભૂમિમાંથી ઊંચા પદો પર પહોંચ્યાં છે. તેઓ સમજે છે કે, યુવાનો નવા ભારતનું નિર્માણ શા માટે ઇચ્છે છે તેવું તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, આ પ્રકારનાં અભિગમથી રાજકારણ સહિત વિવિધ ક્ષેત્રોમાં વાતાવરણ બદલાયું છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ઉચ્ચ વહીવટી સેવાઓમાં કેટલાંક યુવાનો ગ્રામીણ વિસ્તારો કે નાનાં શહેરોમાંથી આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, હિમા દાસ અને તેનાં જેવા અન્ય યુવાનોએ સુવર્ણચંદ્રક જીતીને દેશને, તેમનાં રાજ્યને અને તેમનાં ગામને ગૌરવ પ્રદાન કર્યું છે. તેઓ નવા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “યુવા ભારત માને છે કે, બધું શક્ય છે! તમે જે ઈચ્છો તે મેળવી શકો છો.”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અગાઉ સમસ્યાઓની ઉપેક્ષા કરવામાં આવતી હતી, પણ હવે સમસ્યાઓનું સમાધાન કરવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, દેશની જરૂરિયાતને સમજવા અને લોકોનાં જીવનને સરળ બનાવવા ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેમણે ભારતમાલા, સાગરમાલા, મુદ્રા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા અને આયુષ્માન ભારત જેવી સરકારી પહેલો અને યોજનાઓ કેવી રીતે દેશની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે બનાવવામાં આવી છે એ સમજાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર નવીનતા અને સંશોધન પર વિશેષ ભાર મૂકે છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, યુવાનો ડિજિટલ પેમેન્ટમાં વૃદ્ધિને વેગ આપી રહ્યાં છે, યુવાનોની ઊર્જા અને તેમનાં સાહસે દેશની આઝાદીની લડતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે આવી જ ભૂમિકા યુવાનો નવા ભારતનાં નિર્માણ માટે અદા કરશે. તેમણે નવા ભારતને એવું સ્થાન ગણાવ્યું છે, જ્યાં લોકો પ્રક્રિયાઓને પ્રભાવિત કરવાને બદલે, પ્રક્રિયાઓને પ્રગતિ તરફ દોરી જાય છે.

NP/GP/RP