Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આશા અને આંગણવાડી કાર્યકર્તાઓ માટે વેતનમાં વધારાની જાહેરાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આશા અને આંગણવાડી કાર્યકર્તાઓ માટે વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. આગામી મહિનાથી અમલ થનારી આ જાહેરાત લાખો આશા, આંગણવાડી અને એએનએમ (સહાયક નર્સ મિડવાઇફ) કાર્યકર્તાઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે વાતચીત દરમિયાન કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકાર દ્વારા આશા કાર્યકર્તાઓને નિયમિત ઇન્સેન્ટિવ બમણું કરવાની જાહેરાત કરી હતી. ઉપરાંત તમામ આશા કાર્યકર્તાઓ અને તેમનાં મદદનીશોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ નિઃશુલ્ક વીમાકવચ પ્રદાન કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ આંગણવડી કાર્યકર્તાઓનાં માનદ્ વેતનમાં પણ નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધી જેમને રૂ. 3000 મળતાં હતાં, તેમને હવે રૂ. 4000 મળશે. એ જ રીતે જે લોકોને રૂ. 2200 મળતાં હતાં એમને હવે રૂ. 3500 મળશે. આંગણવાડી મદદનીશો માટે માનદ્ વેતન પણ રૂ. 1500થી વધારીને રૂ. 2250 કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ એવી જાહેરાત પણ કરી હતી કે, કોમન એપ્લિકેશન સોફ્ટવેર (આઇસીડીએસ-સીએએસ) જેવી ટેકનિકનો ઉપયોગ કરશે તેવા આંગણવાડી કાર્યકર્તાઓ અને મદદનીશોને વધારે ઇન્સેન્ટિવ્સ મળશે. આ ઇન્સેન્ટિવ કામગીરીના આધારે રૂ. 250 થી 500 હશે.

પ્રધાનમંત્રીએ દેશભરમાં આશા કાર્યકર્તા, આંગણવાડી કાર્યકર્તા અને એએનએમ (સહાયક નર્સ મિડવાઇફ) એમ ત્રણની ટીમ સાથે વાર્તાલપ કર્યો હતો. તેમણે સંયુક્તપણે કાર્ય કરવાનાં તેમનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી, નવા માધ્યમો અને ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રસૂતિને સુરક્ષિત બનાવવા અને માતા-બાળક બંનેને પોષણ મળે એવી સેવાઓ સુધારવા તેમજ દેશમાં કુપોષણ ઘટાડવા પોષણ અભિયાનનો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટેનાં પ્રયાસોને બિરદાવ્યાં હતાં.

NP/J.Khunt/GP/RP