Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઇન્દોર ખાતે અશરા મુબારકા – ઇમામ હુસૈન (એસએ)ની શહાદતના સ્મરણોત્સવ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ


આદરણીય ડૉ. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ, મધ્યપ્રદેશના જનપ્રિય મુખ્યમંત્રી, શ્રીમાન શિવરાજસિંહજી ચૌહાણ અને અહિં ઉપસ્થિત દાઉદી વોહરા સમાજના તમામ મારા પ્રિય પરિવારજનો!

આપ સૌની વચ્ચે આવવું એ હંમેશા મારા માટે એક પ્રેરક અવસર બની જાય છે, એક નવો અનુભવ આપે છે.

અશરા મુબારકાના આ પવિત્ર અવસર પર પણ તમે મને અહિં આવવાનો અવસર આપ્યો તેના માટે હું હૃદયથી આપ સૌનો ખૂબ-ખૂબ આભારી છું.

મને જણાવવામાં આવ્યું છે કે ટેકનોલોજીના માધ્યમથી દેશ અને દુનિયાના જુદા-જુદા તમામ કેન્દ્રોમાં પણ આપણા સમાજના લોકો અત્યારે આપણી સાથે જોડાયેલા છે. દૂર-દૂર ટેકનોલોજી સાથે જોડાયેલા આપ સૌને પણ હું આજે અહિયાંથી નમન કરું છું.

સાથીઓ, ઇમામ હુસૈનના પવિત્ર સંદેશને તમે તમારા પોતાના જીવનમાં ઉતાર્યો છે અને સદીઓથી દેશ અને દુનિયા સુધી સંદેશ પહોંચાડ્યો છે. ઇમામ હુસૈન અમન અને ન્યાય માટે શહીદ થઇ ગયા. તેમણે અન્યાય અને અહંકારની વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. તેમની આ શીખ જેટલી ત્યારે મહત્વપૂર્ણ હતી તેના કરતા પણ વધુ આજની દુનિયા માટે મહત્વની છે. આ પરંપરાઓને આગ્રહપૂર્વક પ્રસારિત કરવાની જરૂરિયાત છે અને મને ખુશી છે કે સૈયદના સાહેબ, વોહરા સમાજનો એક-એક વ્યક્તિ આ મિશન સાથે જોડાયેલો છે.

સાથીઓ, આપણે સમગ્ર વિશ્વને એક પરિવાર માનનારા, “વસુધૈવ કુટુમ્બકમ્આપણે એવા લોકો છીએ કે જે સૌને સાથે લઈને ચાલવાની પરંપરાને જીવીને બતાવનારા લોકો છીએ. આપણા સમાજની, આપણી વિરાસતની આ જ શક્તિ છે જે દુનિયાના અન્ય દેશોથી આપણી અલગ જ ઓળખ ઉભી કરે છે.

મને ખુશી છે કે વોહરા સમાજ સમગ્ર વિશ્વને ભારતની આ તાકાતથી પરિચિત કરાવી રહ્યો છે. દુનિયાભરમાં ગમે ત્યાં જાવ, તે મને મળી જાય કે અને કહે છે કેમ છો.

આપણને આપણા અતિત પર ગર્વ છે. વર્તમાન પર વિશ્વાસ છે અને ઉજ્જવળ ભવિષ્યના આત્મવિશ્વાસની સાથે સંકલ્પ પણ છે. હું દુનિયામાં જ્યાં પણ જાઉં છું, શાંતિ અને વિકાસ માટે આપણા સમાજનું જે યોગદાન છે તેની વાતો હું લોકોને જરૂરથી કહું છું.

સાથીઓ, શાંતિ, સદભાવ, સત્યાગ્રહ અને રાષ્ટ્રભક્તિ પ્રત્યે વોહરા સમાજની ભૂમિકા હંમેશા મહત્વપૂર્ણ રહી છે. પોતાના દેશ પ્રત્યે, પોતાની માતૃભુમી પ્રત્યે પ્રેમ અને સમર્પણની શીખ સૈયદના સાહેબ પોતાના પ્રવચનોના માધ્યમથી આપતા આવ્યા છે અને હજુ પણ વધારે સમય તેઓ જેટલું પણ બોલ્યા, આપણને એ જ શીખ આપી કે આપણે દેશના માટે સમાજના માટે, નિયમોના માટે, કાયદાના માટે, કેવી રીતે જીવવું જોઈએ.

આ પહેલા પૂજ્ય સૈયદના તાહિર સૈફુદ્દીન સાહેબે પણ ગાંધીજીની સાથે મળીને આ મૂલ્યોને સ્થાપિત કરવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવી છે.

મે ક્યાંક વાંચ્યું હતું કે બંને મહાપુરુષોની મુલાકાત ટ્રેનમાં સફર કરતી વખતે થઇ હતી. તે પછીથી મહાત્મા ગાંધી અને તેમની વચ્ચે નિરંતર સંપર્ક બનેલો રહ્યો અને દરેક મોટી ઘટના કે પછી આંદોલનને લઈને બંનેની વચ્ચે વિચાર વિમર્શ થતો રહેતો હતો, ચર્ચા થતી હતી.

આપણને સૌને જાણ છે કે દાંડી યાત્રા દરમિયાન, કે જે હિન્દુસ્તાનની આઝાદીનું એક સ્વર્ણિમ પૃષ્ઠ છે, દાંડી યાત્રા. દાંડી યાત્રા દરમિયાન પૂજ્ય બાપુ મહાત્મા ગાંધી, સૈયદના સાહેબના ઘરે સૈફી વિલામાં રોકાયા હતા. ગાંધીજીની મિત્રતા અને તેમના મૂલ્યો પ્રત્યે સન્માન વ્યક્ત કરતા સૈયદના તાહિર સૈફુદ્દીન સાહેબે આ સૈફી વિલાને આઝાદી પછી રાષ્ટ્રને સમર્પિત કરી દીધો હતો. આજે તે જ સૈફી વિલા દેશની યુવા પેઢીને પ્રેરિત કરે છે.

સાથીઓ, વોહરા સમાજની સાથે મારો સંબંધ પણ ઘણો જુનો છે, અને હમણાં સૈયદના સાહેબે જે વર્ણન કર્યું, હું ખરેખર એક રીતે પરિવારનો સદસ્ય બની ગયો. હંમેશા માટે એટલે કે એક પોતાપણું અનુભવવું, ક્યારેક તેમની પાસે જતા રહેવું; તેમાં હું એક સહજ પોતાપણાનો અનુભવ કરતો હતો. આજે પણ મારા દરવાજા તમારા પરિવારજનો ની માટે હંમેશા ખુલ્લા રહે છે. અને મારું સૌભાગ્ય છે કે તમારો સ્નેહ, તમારા સમગ્ર પરિવારનો સ્નેહ મારા પર અપરંપાર રહ્યો છે, હંમેશાથી જ રહ્યો છે.

આજે પણ હજુ જન્મદિવસ તો આવવાનો બાકી છે પરંતુ સાપ સૌની પાસેથી પહેલા જ અને આ પવિત્ર મંચ પરથી તમે મને આશીર્વાદ આપ્યા અને આશીર્વાદ પણ રાષ્ટ્ર કલ્યાણને માટે મને વધુ શક્તિ પ્રદાન કરવા માટેના આપ્યા; તે ઘણી મોટી વાત હોય છે; તે ખરેખર ઘણી મોટી વાત છે અને એટલા માટે પણ હું તમારો હૃદયથી આભારી છું.

ગુજરાતનું ભાગ્યે જ કોઈ ગામડું હશે, કદાચ; જ્યાં વોહરા સમાજનો વ્યાપારી પ્રતિનિધિ ન મળે. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે કદમ-કદમ પર વોહરા સમાજે મને સાથ આપ્યો. તમારું આ જ પોતાપણું મને આજે અહિં સુધી ખેંચીને લાવ્યું છે. મને યાદ છે કે કેવી રીતે સૈયદના સાહેબ પાસેથી મેં, જ્યારે એક વાર સૈયદના સાહેબ પાટણથી પાછા ફરી રહ્યા હતા, તેમને સુરત જવાનું હતું, સમય હતો નહીં તો હું એરપોર્ટ પહોંચી ગયો. કારણ કે મે કહ્યું, એમ થોડો જવા દઈશ! તમે નહીં આવો તો હું આવીશ અને તેમણે મને એટલો સમય આપ્યો અમે એરપોર્ટ પર બેસી રહ્યા, એટલો પ્રેમ કર્યો જેમ આપણે એક નાના બાળકને કરીએ છીએ અને ત્યાં વાત-વાતમાં મેં તેમને ગુજરાતમાં પાણીના સંકટની ચર્ચા કરી, ચેકડેમ બનાવવાની ચર્ચા કરી અને મને આજે ખૂબ સંતોષની સાથે કહેવું છે કે એટલી અમથી, હલકી ફૂલકી વાતચીતને સૈયદના સાહેબે તે ઉંમરમાં, તેઓ લગભગ સત્તાણું-અઠ્ઠાણું તો પાર કરી જ ગયા હશે તે વખતે, કદાચ પંચાણું ઉપરના હશે કારણ કે ઘણા વર્ષો થઇ ગયા. પરંતુ જતા જ તેમણે મિશન મોડમાં આ કામને હાથમાં લીધું અને ગુજરાતમાં અનેક જગ્યાઓ પર તમારા પ્રયાસો વડે અનેક ગામડાઓમાં ચેકડેમના માધ્યમથી વરસાદના પાણીના સંગ્રહનું એક મોટું અભિયાન સફળતાપુર્વક ચલાવવામાં આવ્યું, ગામડાઓને પાણી મળ્યું.

એટલું જ નહીં આજથી કેટલાક વર્ષો પહેલા મે અક કાર્યક્રમમાં કુપોષણ, તેના વિષયમાં ગુજરાતમાં તેની વિરુદ્ધ લડાઈ લડવા માટે વોહરા સમાજ પાસેથી સહયોગ માંગ્યો હતો. જન જાગરણ અભિયાન ચલાવવા માટે આગ્રહ કર્યો હતો. તેને પણ વોહરા સમાજે, સૈયદના સાહેબે હાથો હાથ લીધું અને ભીષણ સમસ્યાને દુર કરવામાં ગુજરાતની સહાયતા કરી હતી.

સંજોગ જુઓ, આ વખતે જ્યારે દાઉદી વોહરા સમાજ અશરા મુબારકાના પાવન, પવિત્ર અવસર પર એકત્ર થયો છે ત્યારે અમે સમગ્ર દેશમાં પોષણ માસ ઉજવી રહ્યા છીએ. પોષણ મિશન અંતર્ગત આ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. દરેક શિશુ, એક-એક માતાને સુરક્ષિત કરવાનું આ અભિયાન આજે સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે.

તમે સૌ, દરેક બાળકના શિક્ષણ, તેના પોષણ તેના સ્વાસ્થ્યને લઈને જે કાર્ય કરતા રહ્યા છો, તેણે સામાજને સશક્ત કરવાનું કામ કર્યું છે. અને મને જાણકારી આપવામાં આવી છે કે પ્રોજેક્ટ રાઈસના માધ્યમથી તમે પણ મહારાષ્ટ્ર સહિત દેશના બીજા હિસ્સાઓમાં બાળકોને પોષક આહાર આપવાનું અભિયાન ચલાવી રહ્યા છો. તમારો આ પ્રયાસ નિશ્ચિતપણે દેશના ભવિષ્યને સ્વસ્થ અને સશક્ત બનાવવામાં મદદ કરશે.

સાથીઓ પોષણ અને સ્વાસ્થ્યને લઈને દાઉદી વોહરા સમાજ હંમેશા જાગૃત રહ્યો છે. ફૈજ઼ અલ મવેદ અને થાળી, કોમ્યુનિટી કિચનના માધ્યમથી તમારી પાસેથી સુનિશ્ચિત કરે છે કે સમાજનો કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ન સુવે. એટલું જ નહીં, દેશના ગરીબને, મધ્યમ વર્ગને સ્વાસ્થ્ય સુવિધાઓ આપવા માટે તમે ડઝનબંધ દવાખાનાઓ ચલાવી રહ્યા છો. યુનિવર્સલ હેલ્થ કેરના પ્રત્યે તમારી આ વિચારધારા દેશને, સમાજને શક્તિ આપતી રહે છે અને ભવિષ્યમાં પણ વધુ મજબુત કરશે.

તમે સૌ એ પણ જાણો છો કે દેશમાં સ્વાસ્થ્યને પહેલીવાર સરકારે આટલી પ્રાથમિકતા આપી છે. એફોર્ડેબલ હેલ્થ કેર, પ્રિવન્ટિવ હેલ્થ કેરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગુણવત્તાયુક્ત હોસ્પિટલ, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે. જન ઔષધી કેન્દ્રો પર સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. મફત ડાયાલિસિસની સુવિધાઓ આપવામાં આવી છે, હૃદય અને ઘૂંટણન સર્જરી માટે ઉપયોગમાં લેવાતા સામાનની કિમતોમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આયુષ્માન ભારત દેશના લગભગ 50 કરોડ ગરીબ ભાઈઓ-બહેનોને માટે સંજીવની બનીને આવ્યું છે.

તે નાનો કાર્યક્રમ નથી. અમેરિકા, કેનેડા મેક્સિકોની જેટલી સંખ્યા છે તેનાથી વધુ લોકો માટે આયુષ્માન ભારતનો કાર્યક્રમ આપણે હિન્દુસ્તાનમાં લાગુ કરવા જઈ રહ્યા છીએ.

સમગ્ર યુરોપની જેટલી જનસંખ્યા છે, લગભગ તેટલા જ લોકો માટે હિન્દુસ્તાનમાં આરોગ્ય માટે આયુષ્માન ભારતની યોજના લાગુ કરવામાં આવી રહી છે. કેટલું મોટું કામ, કેટલા લોકોની ભલાઈની માટેનું કામ, તેની તમે કલ્પના કરી શકો છો.

એક વર્ષમાં પાંચ લાખ રૂપિયા સુધીનો દરેક પરિવારને મફત ઈલાજ, આ નાનો નિર્ણય નથી. 50 કરોડ લોકોનો, દરેક પરિવારને પાંચ લાખ રૂપિયાનો સુધિનો વાર્ષિક ખર્ચ, તેના ઈલાજની પૂરી જવાબદારી સુનિશ્ચિત કરવાનારી આ આયુષ્માન યોજનાની હમણાં ટ્રાયલ ચાલી રહી છે અને 25 સપ્ટેમ્બર, જ્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતી છે ત્યારે તેને દેશભરમાં લાગુ કરવામાં આવશે.

સાથીઓ પોષણ અને સ્વાસ્થ્ય સેવાની સાથે-સાથે ગરીબો, જરૂરિયાતમંદોને માટે ઘર આપવાનું જે બીડું તમે ઉઠાવ્યું છે તે પણ સરાહનીય છે. મને જણાવવામાં આવ્યું છે કે લગભગ 11 હજાર લોકોને તમારા પ્રયાસોના માધ્યમથી પોતાનું ઘર મળી ચુક્યું છે. સરકારે પણ 2022 સુધીમાં દેશના દરેક બેઘર ગરીબ ભાઈ બહેનોને પાકું ઘર આપવાનું લક્ષ્ય બનાવ્યું છે.

તમને એ જાણીને ખુશી થશે કે અત્યાર સુધી એક કરોડથી વધુ ભાઈઓ બહેનોને તેમના ઘરની ચાવી સોંપી દેવામાં આવી છે, એટલે કે જાહેરાત નહીં, તેમને ઘરની ચાવી મળી ગઈ છે અને બાકીના ઘરો પર કામ ઝડપી ગતિએ પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. તે સિવાય શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં પણ તમારો સહયોગ સરકારના પ્રયાસોને એક વધુ તાકાત આપે છે. ક્યારેક-ક્યારેક સમાજની શક્તિ અને સરકારની શક્તિ મળે છે તો પરિણામ અનેક ગણું વધારે આવે છે. માત્ર બમણું થાય છે એવું નથી, અનેક ગણું વધુ સારું હોય છે. દેશના જનમાનસના જીવનને સરળ બનાવવા માટે જીવન સ્તરને ઉપર ઉઠાવવા માટે અમે સતત કોશિશ કરતા રહીએ છીએ, આગળ વધારતા રહીએ છીએ.

સાથીઓ, ગરીબ અને મધ્યમ વર્ગ સાથે જોડાયેલો એક અન્ય વિષય છે જેના પર સરકારે જોર આપ્યું છે. તે વિષય છે સ્વચ્છતાનો. સ્વચ્છ ભારત અભિયાન શરુ ભલે સરકારે કર્યું હોય પરંતુ આજે આ અભિયાનને દેશની સવા સો કરોડ જનતા સામે ચાલીને આગળ વધારી રહી છે. ગામે ગામ, ગલી ગલીમાં સ્વચ્છતા પ્રત્યે એક અભૂતપૂર્વ આગ્રહ ઉત્પન્ન થયો છે.

ચાર વર્ષ પહેલા, જ્યાં દેશના 40 ટકા ઘરોમાં; હું પ્રધાનમંત્રી બન્યો તે પહેલા આપણા દેશમાં માત્ર 40 ટકા ઘરોમાં શૌચાલયો હતા. આપણી માતાઓ બહેનોને કેટલી તકલીફ થતી હશે, તેનો આપણે અંદાજો લગાવી શકીએ છીએ. ઘરોમાં શૌચાલયોની સંખ્યા જ્યારે હું આવ્યો હતો ત્યારે 40 ટકા હતી. એટલા ઓછા સમયમાં હવે તે 90 ટકા સુધી પહોંચી ગઈ છે. અને મને વિશ્વાસ છે કે ખૂબ ટૂંક સમયમાં  સમગ્ર દેશ ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર થવા તરફ સફળતાપુર્વક આગળ વધશે.

આજે આપણે જે ઇન્દોર શહેરમાં એકઠા થયેલા છીએ. તે તો સ્વચ્છતાના આ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યું છે. ઇન્દોર સતત સ્વચ્છતાના માપદંડોમાં દેશભરમાં પહેલા નંબર પર રહ્યું છે અને એટલા માટે હું ઇન્દોરના તમામ નાગરિકોને, અહીંનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને, અહીંનાં કોર્પોરેશનના વ્યવસ્થાપકોને, અહીંની રાજ્ય સરકારને, અહીંના મુખ્યમંત્રી શિવરાજજીને, તેમની સમગ્ર ટીમને, હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન પાઠવુ છુ.

ઇન્દોર જ નહીં પરંતુ ભોપાલે પણ આ વખતે કમાલ કરી દેખાડી છે. એક રીતે સમગ્ર મધ્યપ્રદેશના મારા યુવાન સાથીઓ, એક-એક વ્યક્તિ આ આંદોલનને ગતિ આપી રહ્યા છે. સ્વચ્છતા અને પર્યાવરણની પવિત્રતા સુનિશ્ચિત કરવામાં તમારા સમાજના યોગદાન વડે પણ દેશ સુપેરે પરિચિત છે. સૈયદના સાહેબ તો પોતે જ સ્વચ્છતા અને પર્યાવરણની સુરક્ષાના આગ્રહી છે જ છે. અને મને યાદ છે કે મોટા સૈયદના સાહેબની જન્મ શતાબ્દી અને તે કાર્યક્રમમાં મને બોલાવવામાં આવ્યો હતો.

ખબર નહીં અન્ય લોકો કેવી રીતે જન્મ શતાબ્દીઓ ઉજવતા હોય છે અથવા જન્મ દિવસ ઉજવતા હોય છે? તે દિવસે અમે લોકોએ તમને પણ યાદ છે ચકલીઓને બચાવવા માટે, આપણી ચકલીઓને બચાવવા માટે આંદોલન ઉભું કરવામાં આવ્યું. દરેકને એક બોક્સ આપવામાં આવ્યું જેની અંદર તે પોતાનો માળો બનાવી શકે. તે પર્યાવરણની રક્ષા નહીં તો શું છે જી? આ આપણા સંસ્કાર છે અને તેમણે મનની પવિત્રતાને આપણા વાતાવરણની સ્વચ્છતા અને શુદ્ધતા સાથે જોડ્યું છે.

મને જણાવવામાં આવ્યું છે અને હમણાં સૈયદના સાહેબે પણ એ જ કહ્યું સ્વચ્છતા દિલની અને મનની પણ કરવાની છે. મને જણાવવામાં આવ્યું કે ઇન્દોરની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને અશરા મુબારકાના આ સંપૂર્ણ આયોજનને પર્યાવરણ અને સ્વચ્છતાના સંદેશ સાથે જોડવામાં આવ્યું છે.

અહિયાં પ્લાસ્ટિકની થેલીઓ સંપૂર્ણ રીતે રોકી દેવામાં આવી છે, આ સમગ્ર આયોજનને ઝીરો વેસ્ટ એટલે કે કચરા રહિત બનાવવાનું પ્રણ લેવામાં આવ્યું છે. અહિં રોજના લગભગ દસ ટન કચરાને રીસાયકલ કરીને ખાતરમાં બદલવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને પછી તેને મફતમાં ખેડૂતોને વહેંચવામાં આવી રહ્યું છે.

આ બધા જ કાર્યોથી આપ સૌ પર્યાવરણની સેવા તો કરી જ રહ્યા છો, કચરામાંથી ઊર્જાનું સરકારનું જે વિઝન છે તેને પણ તમે જોર આપી રહ્યા છો. સાથે જ ખેડૂત ભાઈ બહેનોની માટે પણ તમારું આ પગલું લાભકારી થવાનું છે. મારો તો દેશભરના સ્વચ્છાગ્રહીઓને આગ્રહ છે કે આ રીતના આયોજનોમાંથી શીખીને સ્વચ્છતા સાથે જોડાયેલ જે આપણા આગળના કાર્યક્રમો છે તેમાં પણ કચરામાંથી ઊર્જા ઉપર ભાર મુકવામાં આવે.

આવતીકાલે 15 સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા – 2 ઓક્ટોબર સુધી, ગાંધી જયંતી સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયું શરુ થઇ રહ્યું છે. આ દરમિયાન પણ અમે આ પ્રયોગ દેશભરમાં કરી શકીએ છીએ. આ કાર્યક્રમ ગયા વર્ષની જેમ જ મહાત્મા ગાંધીની જયંતી એટલે કે 2 ઓક્ટોબર સુધી ચાલશે.

આવતીકાલે હું પોતે દેશના સ્વચ્છાગ્રહીઓને સમાજમાં સ્વચ્છતા પ્રત્યે જન જાગ્રુતીનું કાર્ય કરનારા દેશના તમામ ધર્મગુરુઓ, તમામ કલાકાર, તમામ ખેલાડીઓ, ઉદ્યમીઓ, સમાજના જેટલા પણ અગ્રીમ કોટીના લોકો છે તે સૌની સાથે સવારે સાડા નવ વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરવાનો છું અને તે પછી દુનિયાનો એક ખૂબ મોટો વિક્રમ બનશે. એક સાથે કરોડો લોકો કાલે સ્વચ્છતાનું કામ કરવાના છે.

એટલું જ નહીં, 2 ઓક્ટોબરથી મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મ જયંતીના કાર્યક્રમ શરુ થવાના છે અને સૈયદના સાહેબે પણ આપણને પૂજ્ય બાપુની 150મી જન્મ જયંતીની માટે સંદેશ આપ્યો છે. આવનારા બે વર્ષો સુધી ચાલનારા આ કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા સહિત બાપુએ બતાવેલા રસ્તા પર ચાલવા માટે દેશ અને દુનિયાને પ્રોત્સાહિત કરવામાં આવશે.

આજે અહિં ઇન્દોરમાં આપ સૌની વચ્ચે હું દાઉદી વોહરા સમાજને અને મધ્ય પ્રદેશના મારા ભાઈઓ બહેનોને સ્વચ્છતાના આ અભિયાન સાથે જોડાવાનું આમંત્રણ પણ આપવા આવ્યો છું.

સાથીઓ આજે આ અવસર પર હું પણ આપ સૌની એક બીજા વિષય પર પ્રશંસા કરવા માંગું છું. તમારામાંથી મોટા ભાગના લોકો વેપાર અને કારોબાર સાથે જોડાયેલા છો. નિયમ અને કાયદાથી કામ કઈ રીતે કરવામાં આવે છે, શિસ્તમાં રહીને વેપારને આગળ કઈ રીતે વધારવામાં આવે છે તમે તે મામલે આદર્શ સ્થાપિત કર્યો છે અને હમણાં સૈયદના સાહેબે આપણને શીખ આપી છે. વારે-વારે એ જ શીખ આપવામાં આવે છે. તે નાની વાત નથી. દાઉદી વોહરા સમાજ દુનિયામાં જ્યાં-જ્યાં પણ આ મૂલ્યો વડે તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે, એક નવી ઈજ્જત બનાવી છે.

ઈમાનદારી, સચ્ચાઈ અને નિષ્ઠાની સાથે વેપાર વડે કેવી રીતે જીવન ચાલે છે તેનું ઉદાહરણ આપ સૌએ પોતાના આચરણ દ્વારા પ્રસ્થાપિત કર્યું છે. દેશનો વેપારી અને કારોબારી તે અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ હોય છે. તે દેશમાં રોજગારના અવસરો પેદા કરનાર મહત્વપૂર્ણ માનાંક છે. તેને જેટલું પ્રોત્સાહન શક્ય હોય, વર્તમાન ભારત સરકાર અને જ્યાં જ્યાં રાજ્યોમાં અમને સેવા કરવાનો અવસર મળ્યો છે તે અમારી પ્રાથમિકતા છે અમે આપી રહ્યા છીએ.

પરંતુ એ પણ સત્ય છે કે પાંચેય આંગળીઓ એક સરખી નથી હોતી. આપણી વચ્ચેથી એવા લોકો પણ નીકળે છે કે જેઓ છળને જ કારોબાર માને છે. વીતેલા ચાર વર્ષોમાં સરકાર એ સ્પષ્ટ સંદેશ આપવામાં સફળ રહી છે કે જે પણ હોય, તે નિયમોની સરહદમાં જ થવું જોઈએ. જીએસટી, નાદારી અને દેવાળિયા કોડ જેવા અનેક મહત્વપૂર્ણ કાયદાઓના માધ્યમથી ઈમાનદાર કારોબારીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે અને તેનો સૌથી વધુ ફાયદો કોઈ ઉઠાવી રહ્યું છે તો મારો વોહરા સમાજ ઉઠાવી રહ્યો છે.

તે એક મોટું કારણ છે કે ચાર વર્ષની અંદર અંદર દેશ ભર, દુનિયાભરના રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. આજે એવી સ્થિતિ છે કે મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત મોબાઇલ ફોન હોય, ગાડીઓ હોય કે પછી બીજો કોઈ સામાન, વિક્રમી ઉત્પાદન આજે અહિં થઇ રહ્યું છે. વિક્રમી સ્તર પર રોકાણ થઇ રહ્યું છે. તેનું જ પરિણામ છે કે પાછલા ત્રણ મહિનામાં આઠ ટકાથી વધુનો વિકાસ દર તમારા સૌના પ્રયસોથી સવા સો કરોડ દેશવાસીઓના શ્રમ વડે દેશે પ્રાપ્ત કર્યો છે જે દુનિયાના મોટા અર્થતંત્રમાં સૌથી વધુ ઝડપી ગતિએ આગળ વધનારી છે.

હવે દહાઈના વિકાસ દર પર દેશની નજર છે અને જે ગતિએ આપણે આગળ વધી રહ્યા છીએ ત્યાં તમામ પડકારો છતાં દેશની તાકાત છે, દેશ પહોંચી શકે છે અને મારો પણ વિશ્વાસ છે.

સાથીઓ દુનિયાભરમાં ભારત પ્રત્યે સદભાવના બનાવવામાં આપ સૌએ એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છો. દુનિયામાં જે પ્રકારે પ્રાચીન ભારતની ચમક હતી આજે ન્યુ ઇન્ડિયાને તે સન્માન આપવાનું સૌભાગ્ય આપણને સૌને મળ્યું છે.

દેશના નવનિર્માણની માટે આપણે નિરંતર સાથે મળીને આગળ વધતા રહીશું. એ જ વિશ્વાસની સાથે હું મારી વાતને સમાપ્ત કરું છું. આપ સૌનો એક વાર ફરી ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૈયદના સાહેબનો, તેમના તમામ પરિવારજનોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને મને સતત પ્રેમ, સ્નેહ, આશીર્વાદ આપ સૌ પાસેથી મળતો રહ્યો છે. તમારા આશીર્વાદ, તે મારી અમાનત છે, તે મારી શક્તિ છે, જે શક્તિ મારી માટે નથી માત્ર અને માત્ર સવા સો કરોડ દેશવાસીઓની માટે છે. આ આશીર્વાદ, આ શક્તિ, આ સામર્થ્ય, હું દેશવાસીઓના ચરણોમાં સમર્પિત કરીને હું ફરી એકવાર આપ સૌને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.

આભાર!

 

RP