Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ‘પરીક્ષા પે ચર્ચા 2.0’માં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સાથે ચર્ચા કરી

પ્રધાનમંત્રીએ ‘પરીક્ષા પે ચર્ચા 2.0’માં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સાથે ચર્ચા કરી

પ્રધાનમંત્રીએ ‘પરીક્ષા પે ચર્ચા 2.0’માં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સાથે ચર્ચા કરી

પ્રધાનમંત્રીએ ‘પરીક્ષા પે ચર્ચા 2.0’માં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સાથે ચર્ચા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘પરીક્ષા પે ચર્ચા 2.0’નાં ભાગ રૂપે નવી દિલ્હીનાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે વિદ્યાર્થીઓ શિક્ષકો અને માતા-પિતા સાથે ચર્ચા કરી હતી. 90 મિનિટથી પણ વધુ સમય ચાલેલી આ ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા હળવા થયેલા, હસતા અને વારંવાર પ્રધાનમંત્રીનાં અભિપ્રાયો અંગે પ્રશંસા કરતા જોવા મળ્યાં હતાં. પ્રધાનમંત્રીના વાર્તાલાપમાં રમૂજનો સ્પર્શ અને હાજરજવાબીપણાનો સમાવેશ થતો જોવા મળ્યો હતો. આ વર્ષે સમગ્ર ભારતમાંથી તથા વિદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ થયા હતા.

વાર્તાલાપની શરૂઆત કરતા તેમણે પરીક્ષા પે ચર્ચા 2.0ને મીની ઇન્ડિયા તરીકે ઓળખાવી હતી. તેમણે કહ્યું કે, તેને ભારતના ભાવિ તરીકે પણ ઓળખાવી શકાય. તેમણે એ બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો કે માતા-પિતા અને શિક્ષકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા.

એક શિક્ષકે પ્રધાનમંત્રીને પૂછ્યું કે પોતાના બાળકોની પરીક્ષા અંગે તાણ અનુભવી રહેલાં અને અવાસ્તવિક અપેક્ષા રાખતાં માતા-પિતાને શિક્ષકોએ શું કહેવું જોઈએ. યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહેલા એક વિદ્યાર્થીએ પણ સમાન પ્રકારનો સવાલ પૂછ્યો હતો. તેના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોઈ વ્યક્તિ પરીક્ષાથી સંપૂર્ણ અસરવિહીન રહે તેવી હું સલાહ આપતો નથી. પરીક્ષાનો સંદર્ભ સમજવો ખૂબ જરૂરી છે. શું પરીક્ષા જીવન માટેની પરીક્ષા છે કે પછી તે ધોરણ 10 અથવા તો ધોરણ 12 જેવા ચોકકસ ગ્રેડ માટેની પરીક્ષા છે. તેમણે એકત્રિત લોકોને કહ્યું કે એક વાર જો સંદર્ભ સમજાય તો તણાવ ઓછો થઈ જશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે માતા-પિતાએ પોતાના નહીં સંતોષાયેલા સપનાં સંતોષવા માટે બાળકો પાસે અપેક્ષા ન રાખવી જોઈએ. દરેક બાળકમાં તેની પોતાની ક્ષમતા હોય છે. દરેક બાળકની સકારાત્મકતાને સમજવામાં આવે તે ખૂબ જરૂરી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક એમ પણ જણાવ્યું હતું કે, અપેક્ષાઓ આવશ્યક છે. આપણે એવા વાતાવરણ હેઠળ રહી શકીએ નહીં કે જ્યાં હતાશા અને દુઃખ હોય.

માતા-પિતાની ચિંતા અને તેમને અનુભવાતા દબાણ અંગે પૂછવામાં આવેલા કેટલાક સવાલોના જવાબો આપતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, બાળકનું પ્રદર્શન માતા-પિતા માટે કૉલિંગ કાર્ડ બની શકે નહીં. જો તેનો એ ઉદ્દેશ બની જાય તો અપેક્ષાઓ અવાસ્તવિક બની જાય છે. કેટલાક લોકો એવું માને છે કે, મોદીએ પ્રધાનમંત્રી તરીકે અપેક્ષાઓ ઊભી કરી છે. તેમણે કહ્યું કે 1.25 બિલિયન લોકોનાં અભિપ્રાયો એટલે 1.25 બિલિયન અપેક્ષાઓ એવી હોવી જોઈએ. આવી અપેક્ષાઓ વ્યક્ત થવી જોઈએ અને આપણે સૌએ સામૂહિક રીતે આપણી અપેક્ષાઓ પાર પાડી શકીએ તેવી ક્ષમતા કેળવવી જોઈએ.

એક માતા-પિતાએ પોતાનાં બાળક અંગે એવું આકલન વ્યક્ત કર્યું હતું કે, એક સમયે તેમનો દિકરો અભ્યાસમાં સારો હતો. પરંતુ તે હવે ઑનલાઈન ગેમ્સને કારણે તેનું ધ્યાન બીજી તરફ ખેંચાતું થયું છે. આ સવાલનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ટેકનોલોજી અંગેની જાણકારી વિદ્યાર્થીઓને ન હોવી જોઈએ એવું હું માનતો નથી, હું માનું છું કે વિદ્યાર્થીઓ નવી ટેકનોલોજીથી પરિચિત થાય તે સારી બાબત છે. ટેકનોલોજીથી વિચારોનું વિસ્તરણ થવું જોઈએ, તેનો ઉપયોગ નવાચારમાં થવો જોઈએ, પ્લે સ્ટેશન સારી બાબત છે પણ વ્યક્તિએ રમતનું મેદાન ભૂલવું જોઈએ નહીં. એમ તેમણે જણાવ્યું હતું.

ટાઈમ મેનેજમેન્ટ અને થાક અંગેના એક સવાલના જવાબમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તમામ 1.25 અબજ ભારતીય લોકો તેમનો પરિવાર છે. તેમણે કહ્યું કે હું કઈ રીતે થાકી શકું? દરેક નવો દિવસ મારા માટે નવી ઊર્જા લઈને આવે છે.

એક વિદ્યાર્થીએ પ્રધાનમંત્રીને પૂછ્યું કે અભ્યાસને વધુ આનંદદાયક બનાવી શકાય અને પરીક્ષા વ્યક્તિના વ્યક્તિત્વમાં કેવી રીતે પરિવર્તન કરી શકે, ત્યારે પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો કે, સાચી ભાવનાથી પરીક્ષા આપવી જરૂરી છે. તેમણે કહ્યું કે કસોટી વ્યક્તિને મજબૂત બનાવે છે અને વ્યક્તિએ તેનાથી ડરવું જોઈએ નહીં.
વિદ્યાર્થીઓએ કારકિર્દી અને ભવિષ્ય પસંદ કરવા અંગે પ્રધાનમંત્રીનું માર્ગદર્શન માગ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે દરેક વિદ્યાર્થીની ક્ષમતા અલગ-અલગ હોય છે, આથી એ આવશ્યક નથી કે દરેક વિદ્યાર્થી ગણિત અને વિજ્ઞાનમાં સારો હોય. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વિચારોમાં સ્પષ્ટતા અને દ્રઢતા આવશ્યક છે. હા, વિજ્ઞાન અને ગણિત આવશ્યક છે, પરંતુ અન્ય વિષયો પણ ભણવા જેવા છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે હવે ઘણાં ક્ષેત્રોમાં તકો રહેલી છે.

એક વિદ્યાર્થીએ ગયા વર્ષના ટાઉનહૉલ વાર્તાલાપના સમાન વિષયની યાદ અપાવીને કહ્યું કે હવે જ્યારે પરીક્ષા અને કારકિર્દીની વાત આવે છે ત્યારે મારાં માતા-પિતા ખૂબજ હળવાશ અનુભવતાં હોય છે. તેણે વધુમાં જણાવ્યું કે માતા-પિતાનો હકારાત્મક અભિગમ બાળકોના જીવનમાં વ્યાપકપણે યોગદાન આપે છે.

વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી સાથે બાળકોને પ્રોત્સાહન આપવા અંગે પ્રશ્નો કર્યા હતા. તેના પ્રતિભાવમાં તેમણે જણાવ્યું હતું કે, સ્પર્ધા અન્ય કોઈની સાથે નહીં પણ પોતાના ભૂતકાળનાં પ્રદર્શન સાથે જ હોવી જોઈએ. એવું બનશે તો નિરાશા અને નકારાત્મકતા આપોઆપ પરાજિત થઈ જશે.

વિદ્યાર્થીઓએ શિક્ષણમાં વધુ સુધારા કરવા અંગેની વાત કરી તો તેના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, એ બાબતની ખાતરી રાખો તો પરીક્ષા એ શિખેલું ગોખવાનો વિષય નથી. પરંતુ વિદ્યાર્થી શું શિખ્યો તે દર્શાવવાનો પ્રસંગ છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભણતર પરીક્ષા પૂરતું જ સિમિત રહેતું નથી. આપણા શિક્ષણે આપણને જીવનના વિવિધ પડકારો ઉપાડી લેવા માટે સજ્જ થતાં પણ શિખવવું જોઈએ.

હતાશાનાં વિષય અંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આપણા દેશમાં આ બાબત ચિંતાજનક છે. તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં આવી સમસ્યાઓનાં સમાધાન અંગે વ્યવસ્થા છે. આપણે હતાશા અને માનસિક આરોગ્યની વિવિધ બાબતો અંગે જેમ ખુલીને બોલીશું તેમ તેની સ્થિતિ બહેતર બનતી જશે.

તેમણે કહ્યું કે વ્યક્તિ એકદમ ઓચિંતાં જ હતાશ થઈ જતો નથી. એવા લક્ષણો હોય છે, જે દર્શાવે છે કે, વ્યક્તિ હતાશા તરફ સરકી રહ્યો છે. આવાં લક્ષણોને અવગણવા ન જોઈએ. હકિકતમાં આપણે એ બાબતે વાત કરવી જોઈએ, આવા સમયે માર્ગદર્શન મદદરૂપ બની શકે છે અને તેને કારણે વ્યક્તિ પોતાની સમસ્યા અંગે વાત કરતો થાય છે.

NP/J.Khunt/GP/RP