Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોઝિકોડમાં “ગ્લોબલાઇઝિંગ ઇન્ડિયન થોટ” પર આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ક્લેવને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા આઇઆઇએમ કોઝિકોડમાં સ્વામી વિવેકાનંદની વિશાળ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

તેઓ આઇઆઇએમ કોઝિકોડ દ્વારા આયોજિત “ગ્લોબલ ઇન્ડિયન થોટ” પર આંતરરાષ્ટ્રીય કોન્ક્લેવમાં સહભાગી થયા હતા.

પ્રધાનમંત્રીએ એમના સંબોધનમાં કહ્યું હતું કે, “ભારતીય વિચાર જીવંત અને વિવિધતાસભર છે. આ વિચારધારા સતત વહેતી રહે છે અને સમયની સાથે સતત પરિવર્તન પામી રહી છે. એ એટલી હદે વ્યાપક છે કે તેને એક વક્તવ્ય,પરિસંવાદ કે પુસ્તકોમાં પણ સમાવી ન શકાય પણ વ્યાપકપણે જોઈએ તો ચોક્કસ વિચારો ભારતીય મૂલ્યોનું હાર્દ હંમેશા જળવાઈ રહેશે. આ મૂલ્યો છે – કરુણા, સંવાદિતા, ન્યાય, સેવા અને અન્ય સારા વિચારોને અપનાવવાની ક્ષમતા.”

શાંતિ, સંવાદિતા અને ભાઈચારો

દુનિયાને ભારત તરફ સતત આકર્ષણ રહ્યું છે એની પાછળનું કારણ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મારા મનમાં પ્રથમ અને સૌથી વધુ મહત્ત્વપૂર્ણ કારણ છે – શાંતિ, એકતા અને ભાઈચારાનાં ગુણો.”

તેમણે જણાવ્યું હતું કે, શાંતિ અને સંવાદિતાને કારણે આપણી સભ્યતા સમૃદ્ધ થઈ છે અને હજારો વર્ષોથી તેનું અસ્તિત્વ ટકાવી શકી છે, જ્યારે ઘણી સંસ્કૃતિઓ લુપ્ત થઈ ગઈ છે.

તેમણે કહ્યું હતું કે, “ઘણા રાજ્યો, ઘણી ભાષાઓ, વિવિધ બોલીઓ, અનેક પંથો, જુદાં-જુદાં રીતિરિવાજો અને પરંપરાઓ. દરેક પ્રદેશનું ભોજન અલગ, જીવનશૈલીઓ, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમનાં તમામ રાજ્યોમાં પોશાક પણ અલગ, છતાં સદીઓથી આપણે શાંતિથી જીવીએ છીએ. સદીઓથી આપણે આપણી માતૃભૂમિ પર દુનિયાને આવકાર આપ્યો છે. એટલે જ આપણી સભ્યતા સમૃદ્ધ થઈ છે, જ્યારે અન્ય ઘણી સભ્યતાઓ પોતાનું અસ્તિત્વ ટકાવી શકી નથી. ભારતીય સભ્યતા કેમ ટકી? કારણ કે આ સભ્યતામાં, આ ભૂમિમાં તેને શાંતિ અને સંવાદિતા મળે છે.”

તેમણે જણાવ્યું હતું કે, આપણી તાકાત સરળ અને પ્રસ્તુત પદ્ધતિઓ દ્વારા માર્ગદર્શિત જીવંત પરંપરાઓ સમાન બની ગયેલા આપણા વિચારો.

તેમણે કહ્યું હતું કે, “આ પદ્ધતિઓ ન તો સંકુચિત છે, ન દિશાહિન. એની સુંદરતા એ હકીકતમાં રહેલી છે કે, તેનું આચરણ તમેઅલગ-અલગ રીતે કરી શકો છો.ભારત એવી ભૂમિ છે, જેણે હિંદુત્વ, બૌદ્ધમત, જૈનમત અને શીખ સંપ્રદાય જેવા જીવંત પંથોની ભેટ ધરી છે, આ જ ભૂમિમાં સૂફી પરંપરા સમૃદ્ધ થઈ છે.આ તમામ પંથો, સંપ્રદાયો કે ધર્મોનું હાર્દ અહિંસા છે અને મહાત્મા ગાંધી આ આદર્શોએ ચરિતાર્થ કર્યા હતા, જેણે ભારતને આઝાદી અપાવી હતી, સંઘર્ષ ટાળવાની ભારતીય પદ્ધતિ નિર્દય બળ નથી, પણ સંવાદની શક્તિ છે.”

પર્યાવરણ માટે પ્રેમઃ

તેમણે કહ્યું હતું કે, “જ્યારે હું કહું છું કે ભારત શાંતિ અને સંવાદિતામાં માને છે, ત્યારે એમાં પ્રકૃતિ અને પર્યાવરણ સાથેની સંવાદિતા સામેલ છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ જુસ્સાનાં મૂળિયા સરકારે લીધેલા કેટલાંક પગલાંમાં જોઈ શકાશે.

તેમણેઉમેર્યું હતું કે, ભારતે ભવિષ્યમાં પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરવા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની રચના કરીને દુનિયાનું નેતૃત્વ કર્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં 36 કરોડ એલઇડી લેમ્પનું વિતરણ થયું હતું અને 1 કરોડથી વધારે સ્ટ્રીટ લાઇટને એલઇડી સાથે બદલવામાં આવી છે, જેથી રૂ. 25,000 કરોડની બચત થઈ છે અને 4 કરોડ સુધી કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં 4 કરોડ ટન સુધીનો ઘટાડો થયો હતો.

વાઘ અને સિંહનું સંરક્ષણ

તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2006થી અત્યાર સુધી વાઘની સંખ્યા વધીને બમણી થઈ છે. તેમણે કહ્યું હતું કે, “અત્યારે ભારતમાં લગભગ 2970 વાઘ વસે છે. દુનિયાનાં 75 ટકા વાઘ ભારતમાં વસે છે. આપણે વાઘ માટે સૌથી સુરક્ષિત સ્થાન ધરાવતા દેશોમાં સામેલ છીએ. વર્ષ 2010માં દુનિયાએ વર્ષ 2022 સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાનો નિર્ણય લીધો હતો. આપણે આ લક્ષ્યાંક વહેલો હાંસલ કર્યો છે.”

તેમણે જણાવ્યું હતું કે, એ જ રીતે વર્ષ 2010થી 2015 સુધીમાં સિંહની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો છે.
વનવિસ્તારમાં વધારો

પ્રધાનમંત્રીએ એ બાબત પર પણ ધ્યાન દોર્યું હતું કે, દેશમાં વનવિસ્તાર વધી રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે, “વર્ષ 2014માં સંરક્ષિત ક્ષેત્રોની સંખ્યા 692 હતી. એ વર્ષ 2019માં વધીને 860થી વધારે થઈ હતી. વર્ષ 2014માં 43 સામુદાયિક અનામત ક્ષેત્રો હતા. અત્યારે 100થી વધારે છે. આ હકીકતો ભારત તરફ ઘણા પર્યાવરણ અને વન્યજીવ પ્રેમીઓનું ધ્યાન દોરે છે.”

મહિલાઓનું કલ્યાણ

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ ભૂમિનું ઊડીને આંખે વળગે એવા પાસાઓમાંનું એક પાસું મહિલાઓનું મહત્ત્વ અને સન્માન છે. મહિલાઓને અહીં દેવી ગણવામાં આવે છે.”

તેમણે ભક્તિ યુગનાં સંતો, રાજા રામમોહન રૉય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહાત્મા ફૂલે અને સાવિત્રી બાઈ ફૂલેએ આ દિશામાં કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય બંધારણે મહિલાઓને આઝાદી મળી એ જ દિવસે મતાધિકાર આપ્યો હતો, ત્યારે પશ્ચિમનાં વિકસિત દેશોમાં મહિલાઓને મતાધિકાર મેળવવામાં સદીઓ લાગી હતી.

તેમણે કહ્યું હતું કે, “અત્યારે 70 ટકાથી વધારે મુદ્રા લોનની લાભાર્થીઓ મહિલાઓ છે. મહિલાઓ આપણી સશસ્ત્ર સેનાઓમાં સક્રિય પ્રદાન કરે છે. નૌકાદળમાં મહિલા અધિકારીઓના એક જુથે દરિયાઇ માર્ગે સંપૂર્ણ વિશ્વનું પરિભ્રમણ કર્યું છે! એ ઐતિહાસિક હતું. અત્યારે ભારતમાં સૌથી વધુ મહિલા સાંસદો છે. અત્યાર સુધીની લોકસભાની ચૂંટણીઓમાં વર્ષ 2019માં આયોજિત ચૂંટણીમાં મહિલાઓએ સૌથી વધુ મતદાન કર્યું હતું.”

વિવિધતાની ઉજવણી

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. જ્યાં ખુલ્લાપણું હોય, વિવિધ અભિપ્રાયોને સ્થાન હોય, ત્યાં નવીનતા સ્વાભાવિક છે. ભારતીયોનો આ જુસ્સો આખી દુનિયાને ભારત તરફ આકર્ષે છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય વિચારોએ દુનિયાને ઘણું આપ્યું છે અને વધુ પ્રદાન કરવાની સંભવિતતા ધરાવે છે. પોતાના સંબોધનને અંતે તેમણે કહ્યું હતું કે, આ વૈચારિક વિવિધતા આપણી પૃથ્વીનાં કેટલાક સૌથી મહત્ત્વપૂર્ણ પડકારોનું સમાધાન ધરાવે છે.

DK/DS/RP