Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જાફનામાં દુરાઈઅપ્પા સ્ટેડિયમને નવિનીકરણ બાદ શ્રીલંકાના લોકોને સમર્પિત કરતી વેળાએ વિડિયો લિન્ક દ્વારા કરેલું સંબોધન

પ્રધાનમંત્રીએ જાફનામાં દુરાઈઅપ્પા સ્ટેડિયમને નવિનીકરણ બાદ શ્રીલંકાના લોકોને સમર્પિત કરતી વેળાએ વિડિયો લિન્ક દ્વારા કરેલું સંબોધન

પ્રધાનમંત્રીએ જાફનામાં દુરાઈઅપ્પા સ્ટેડિયમને નવિનીકરણ બાદ શ્રીલંકાના લોકોને સમર્પિત કરતી વેળાએ વિડિયો લિન્ક દ્વારા કરેલું સંબોધન


સુબહ ઉદેશનક વેવા, આયુબોવન

ગયા વર્ષે, માર્ચ મહિનામાં, હું જાફનામાં હતો.

જાફનાના લોકો તરફથી મને જે ઉષ્મા અને સ્નેહ મળ્યા છે, તે હજુ પણ મારા મનમાં તાજા છે.

તે ઐતિહાસિક દિવસ હતો, કારણ કે ભારતીય પ્રધાનમંત્રીએ જાફનાની મુલાકાત લીધી હોય તેવું સૌપ્રથમવાર બન્યું હતું.

આજે બીજો વિશિષ્ટ દિવસ છે.

જ્યારે, ફરી એકવાર, આપણે શ્રીલંકાના લોકો અને જાફનાના નિવાસીઓ સાથે આપણી ભાગીદારી ઉજવીએ છીએ.

આજે, અમે પ્રમુખ સિરિસેના સાથે નવિનીકરણ પામેલું દુરાઈઅપ્પા સ્ટેડિયમ શ્રીલંકાના લોકોને સમર્પિત કર્યું છે.

અને, અમે એકલા નથી.

કોમ્યુનિકેશનના આધુનિક સાધનોએ ભારતના 1.25 અબજ લોકોને અને શ્રીલંકાના મૈત્રીભર્યા લોકોને આ પ્રસંગે જોડ્યા છે.

મિત્રો,

20 વર્ષની પ્રતિક્ષા બાદ, તમારી તાળીઓના ગડગડાટ અને આનંદની કિકિયારીઓથી દુરાઈઅપ્પા સ્ટેડિયમ ગુંજી ઊઠશે.

અમે, હજારો કિલોમીટર દૂર દિલ્હીમાં બેઠા બેઠા પણ જાફનામાં ગતિશીલતાની ઝાંખી અને પરિવર્તનની હવાને અનુભવી શકીએ છીએ.

દુરાઈઅપ્પા સ્ટેડિયમ માત્ર ઈંટ-ચૂનાનો ઢાંચો નથી.

તે આશાવાદ અને આર્થિક વિકાસનું પ્રતિક છે.

જાફનાના યુવાનો માટે સમૃદ્ધ અને તંદુરસ્ત ભવિષ્ય માટેનો અખાડો છે.

તે, હિંસાના વારસાને તિલાંજલિ આપીને આર્થિક પ્રગતિના માર્ગે અગ્રેસર બનવા માટેની તમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સ્ટેડિયમનું નવિનીકરણ સફળતાપૂર્વક પૂર્ણ થયું તે એ વાતનો સંકેત આપે છે કે તમે ભૂતકાળને પાછળ છોડી દીધો છે અને તમે ઉજ્જવળ ભવિષ્ય તરફ મીટ માંડી છે.

મહામહિમ્ન સિરિસેના,

હું તમારા નેતૃત્વને તેમજ પ્રધાનમંત્રી વિક્રમસિંઘ તેમજ રાજ્યપાલ ઉપરાંત નોર્ધર્ન પ્રોવિન્સના મુખ્ય મંત્રીને આ પ્રોજેક્ટમાં સફળતા સુનિશ્ચિત કરવા બદલ સલામ કરું છું.

મિત્રો,

આપણાં સંબંધો બે સરકારોને જોડી રાખવા પૂરતા મર્યાદિત નથી. એનાં મૂળ આપણા ઈતિહાસ, સંસ્કૃતિ, ભાષા, કળા અને ભૌગોલિક સ્તરે મજબૂત જોડાણોમાં રહેલાં છે.

ભારત દ્રઢપણે માને છે કે તેનો આર્થિક વિકાસ તેના પાડોશીઓને પણ લાભદાયક બનવો જોઈએ.

દુરાઈઅપ્પા સ્ટેડિયમ આપણા સહકારના જુસ્સાને મૂર્તિમંત કરે છે. ખરેખર તો, શ્રીલંકાના વિકાસ માટે ભારતની મદદ આપણી મિત્રતાનું વચન છે.

અને, તે તમારી પ્રાથમિકતાઓ અને તમારી જરૂરિયાતો પર આધારિત હશે, જે એવી ખાતરી આપે, જેના પર તમે નિર્ભર રહી શકો.

આ બાબત આપણા મજબૂત જોડાણને વર્તમાનમાં તેમજ આપણા ભવિષ્ય માટે પણ પ્રસ્તુત બનાવે છે.

મિત્રો,

ભારતની ઈચ્છા, આર્થિક રીતે સમૃદ્ધ શ્રીલંકાને જોવાની છે.

એવું શ્રીલંકા, જ્યાં, એકતા અને અખંડિતતા હોય, શાંતિ, સંવાદિતા અને સલામતિ હોય, અને, સમાન તક તેમજ ગૌરવ સમગ્ર દેશના અને દેશના તમામ લોકોમાં પ્રવર્તતા હોય.

મહામહિમ્ન સિરિસેના અને મિત્રો,

અત્યારથી લગભગ 72 કલાક પછી, 21મી જૂને સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો બીજો વાર્ષિકોત્સવ ઉજવતું હશે.

વર્ષ 2014માં આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રસંઘના ઠરાવને સૌપ્રથમ ટેકો આપનારા દેશોમાં શ્રીલંકા સ્થાન ધરાવતું હતું.

અને, આજે, આપણે જાફનામાં આ દુરાઈઅપ્પા સ્ટેડિયમથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કર્ટેન રેઇઝર સાથે ઉજવણીની શરૂઆત કરી છે.

થોડી જ વાર પહેલાં કરવામાં આવેલા સૂર્ય નમસ્કાર દ્વારા વિશ્વને સાકલ્યવાદી સ્વાસ્થ્ય સંભાળ, સંવાદિતા અને કુદરત સાથે સાતત્યપૂર્ણ જીવનનો સંદેશ આપ્યો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત અને તેને અંજલિ આનાથી વધુ યોગ્ય બીજી કોઈ ન હોઈ શકે.

મહામહિમ્ન પ્રમુખ સિરિસેના,

હું ફરી આપનો આભાર માનું છું, તમારા પક્ષે ઉપસ્થિત તમામ નેતાગણ અને જાફનાના સ્નેહાળ લોકોનો પણ મને આ તક આપવા બદલ આભાર માનું છું.

દુરાઈઅપ્પા સ્ટેડિયમ, આપણી મજબૂત મૈત્રીનું વધુ એક પ્રતિક બની રહેશે.

પોતાના નાગરિકો માટે વિકાસ અને સમૃદ્ધિની દિશામાં પોતાનો માર્ગ કંડારનારા શ્રીલંકા સાથે ભારત ખભેખભા મિલાવીને ચાલશે.

હું ફરી ભારતના 1.25 અબજ લોકો તરફથી શ્રીલંકાના લોકોને અભિવાદન પહોંચાડું છું.

બોહોમા સ્તુતિ, મિક્કા નંદરી, ખૂબ ખૂબ આભાર.

AP/J.Khunt/GP