Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પેટ્રાપોલ આઈસીપીના સંયુક્તપણે ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ

પેટ્રાપોલ આઈસીપીના સંયુક્તપણે ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ


મહામહિમ શેખ હસીના,બાંગ્લાદેશના પ્રધાનમંત્રી,

માનનીય મમતા બેનરજી,પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી,

બાંગલા દેશ ઓ પોશ્ચિમ બંગેર ભાઈ બોનેદર આમાર નોમોશ્કાર

આજ થેકે આમાદેર દુઈ દેશેર મોધ્યે આદાનપ્રદાન આરો શોહોજ હબે, આમાર આરો કાછાકાછી એલામ
એઈ શુભો ઓબોશોર, શોકોલકે જાનાઈ ઓભિનોંદોન.

કારણ કે આ ઈદનો મહિનો છે એટલા માટે સૌથી પહેલા બાંગ્લાદેશમાં રહેતા સૌ ભાઈઓ અને બહેનોને મારી અને સમગ્ર ભારત તરફથી ઈદ – ઉલ – ફિત્રની શુભેચ્છાઓ.

આ મારા માટે, અને સૌ ભારતવાસીઓ માટે, આ એક ખુબજ દુઃખની વાત છે કે રમઝાનના પાવન મહિનામાં ઢાકા અને કિશોરગંજમાં દર્દનાક આતંકી હુમલો થયો.

આ આતંકી હુમલાને અમે સખત રીતે વખોડી કાઢીએ છીએ. સમગ્ર ભારતની પ્રાર્થનાઓ અને સંવેદનાઓ આ હુમલાનો ભોગ બનેલા સૌ નિર્દોષ લોકો સાથે છે.

મહામહિમ,

પરિક્ષાની આ ઘડીમાં સંપૂર્ણ ભારત આપની સાથે ઊભો છે.

આ વિકટ પરિસ્થિતિમાં પ્રધાનમંત્રી શેખ હસીનાજીના મજબૂત નેતૃત્વને હું આવકારૂં છું. આપનું નેતૃત્વ સંપૂર્ણ ક્ષેત્ર માટે એક ઉદાહરણ છે.

આતંકવાદ વિરૂદ્ધની આપની આ લડાઈમાં આપ પોતાને એકલા માનશો નહીં. ભારતનું સંપૂર્ણ સમર્થન આપની સાથે છે.

હું પ્રધાનમંત્રી શેખ હસીનાને એવી પણ ખાતરી આપું છું કે આતંકવાદ સાથેની આપની આ લડાઈમાં ભારત આપની શક્ય એવી તમામ મદદ માટે તૈયાર છે.

મહામહિમ,

આપણે, આજે એક એવી સ્થિતિમાં છીએ જ્યાં માત્ર અમારા પડકારો જ એક સરખા નથી, પરંતુ આપણા વિકાસના પથ પણ જોડાયેલા છે.

મારૂં એવું હંમેશાં માનવું છે કે ભારતનો વિકાસ અમારા તમામ પાડોશી દેશોના વિકાસ સાથે જોડાયેલો છે. ભારત અને બાંગ્લાદેશ, બંને માત્ર વિકાસના માર્ગે જ ચાલી રહ્યા નથી, પરંતુ આ યાત્રામાં આપણે સાથે સાથે ચાલી રહ્યા છીએ.

તેથી જ આજે પેટ્રોપોલ – બેનાપોલને બંને દેશોના સામાન્ય નાગરિકો માટે સમર્પિત કરવાનો આ પ્રસંગ ખુબ જ મહત્વપૂર્ણ સિમાચિન્હ છે.

આ માત્ર દ્વિપક્ષીય વેપારના વિકાસ માટે જ મહત્વપૂર્ણ નથી પરંતુ બંને દેશોની આર્થિક સમૃદ્ધિનો આ એક મહત્વપૂર્ણ દ્વાર છે.

તેનું મહત્વ એ બાબતે તો સ્પષ્ટ છે કે, આજે બંને દેશો વચ્ચેના કુલ વેપારનો 50 ટકા વેપાર પેટ્રાપોલ – બેનાપોલ થઈને પસાર થાય છે. 2015 -16 માં 15 હજાર કરોડથી વધુનો વેપાર પેટ્રાપોલ – બેનાપોલ થઈને પસાર થયો છે.

દર વર્ષે 15 લાખ લોકો અને દોઢ લાખ ટ્રકો અહિંથી પસાર થાય છે. સંપૂર્ણ દક્ષિણ એશિયાનું સૌથી મોટું ભૂમિ બંદર છે. અગાઉ પેટ્રોપોલમાં ફક્ત એક એકરનું ભૂમિ કસ્ટમ્સ સ્ટેશન હતું, જેમાં મર્યાદિત સુવિધાઓ ઉપલબ્ધ હતી.

મને એ વાતનો આનંદ છે કે લગભગ 142 કરોડના ખર્ચે 100 એકરના ક્ષેત્રમાં આ ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ બનીને તૈયાર થયો છે. જેનાથી પેસેન્જરો, કાર્ગો, અને ટ્રાન્સપોર્ટ માટે એકીકૃત રીતે સિક્યોરિટી, ઈમિગ્રેશન, કસ્ટમ્સ વગેરેની સુવિધાઓ પુરી પાડી શકાશે.

આ પહેલાં અમે અગરતલામાં ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ બનાવવાનું કાર્ય પૂર્ણ કરી ચુક્યા છીએ. અને આવનારા સમયમાં ભારત બાંગ્લાદેશ સીમા પર આવા વધુ 8 ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ બનાવવાનું કાર્ય પણ પુરૂં કરીશું.

મહામહિમ,

મારૂં એવું માનવું છે કે આર્થિક વિકાસ તથા કનેક્ટિવિટી એકબીજા સાથે જોડાયેલા છે.
પેટ્રાપોલ – બેનાપોલનો વધુને વધુ ઉપયોગ માત્ર આપણા અર્થતંત્રને જ ગાઢ રીતે નહીં જોડે પરંતુ આપણા લોકોથી લોકોના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

મારો એવો વિશ્વાસ છે કે આ આપણા પરસ્પર વિકાસ તથા સમૃદ્ધિનો મુખ્ય માર્ગ બનશે.

આ ઐતિહાસિક પ્રસંગે મુખ્યમંત્રી મમતા બેનરજીની ઉપસ્થિતિ માટે હું તેમનો હાર્દિક આભાર વ્યક્ત કરૂં છું. સાથે સાથે ભારત બાંગ્લાદેશના સંબંધોમાં હું તેમની મુખ્ય ભૂમિકા માટે પણ અભિનંદન આપું છું.

અંતમાં ફરી એકવાર પ્રધાનમંત્રી શેખ હસીનાજીના નેતૃત્વનો, આ કાર્યક્રમમાં તેમની ઉપસ્થિતિનો અને ભારત – બાંગ્લાદેશ સંબંધોના વિકાસમાં તેમની મુખ્ય ભૂમિકાનું હું અભિવાદન કરૂં છું.

મને વિશ્વાસ છે કે આપણાં બંને દેશો વચ્ચે આર્થિક વિકાસ અને વિકાસના સંબંધો આપણા બંનેના દેશોની પ્રજા માટે અત્યંત લાભકારી બનશે અને પેટ્રાપોલ – બેનાપોલ આ સંબંધોના વિકાસમાં અક મહત્વપૂર્ણ ચાલક બની રહેશે.

આભાર.

TR