Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આંબેડકર જયંતી પર પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં બીજાપુરમાં આયુષ્માન ભારત યોજનાનાં શુભારંભ પ્રસંગે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદઘાટન કર્યું


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંબેડકર જયંતી પર આજે કેન્દ્ર સરકારનાં મહત્ત્વાકાંક્ષી સ્વાસ્થ્ય સુરક્ષા કાર્યક્રમ આયુષ્માન ભારત શરૂ કરવાનાં પ્રસંગે હેલ્થ અને વેલનેસ સેન્ટર (સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્ર)નું ઉદઘાટન કર્યું હતું. આ કેન્દ્રનું ઉદઘાટન છત્તીસગઢમાં બીજાપુરનાં મહત્વાકાંક્ષી જિલ્લામાં જગ્લા વિકાસ હબમાં કર્યું હતું.

એક કલાકથી વધારે સમય દરમિયાન પ્રધાનમંત્રીએ મોટી સંખ્યામાં લોકો સાથે વાતચીત કરી હતી અને તેમને વિકાસ હબમાં ઘણી વિકાસલક્ષી પહેલોની જાણકારી આપી હતી.

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનાં ઉદઘાટન પ્રસંગે તેમણે આશા કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી. તેમણે એક આદર્શ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી તથા પોષણ અભિયાનનાં આંગણવાડી કાર્યકર્તાઓ અને લાભાર્થી બાળકો સાથે વાતચીત કરી હતી. તેમણે હાટ બાઝાર કિઓસ્કની મુલાકાત લીધી હતી અને સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી. તેમણે જગ્લામાં બેંકની શાખાનું ઉદઘાટન કર્યું હતું અને લાભાર્થીઓની પસંદગી કરવા મુદ્રા યોજના હેઠળ લોન મંજૂરી પત્રોનું વિતરણ કર્યું હતું. તેમણે ગ્રામીણ બીપીઓ કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી.

ત્યારબાદ પ્રધાનમંત્રી જનસભાનાં સ્થળે પહોંચ્યાં હતાં. અહીં તેમણે વન ધન યોજનાનો શુભારંભ કરાવ્યો હતો, જેનો ઉદ્દેશ આદિવાસી સમુદાયોને સશક્ત કરવાનો છે. તેમાં લઘુતમ ટેકાનાં ભાવ મારફતે માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસનાં માર્કેટિંગ માટે અને એમએફપી માટે મુલ્ય સાંકળ વિકસાવવાની વ્યવસ્થા ઊભી કરવાની કલ્પના કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે ભાનુપ્રતાપપુર-ગુડુમ રેલવે લાઇન દેશને અર્પણ કરી હતી. તેમણે ડાલ્લી રાજહારા અને ભાનુપ્રતાપપુર વચ્ચેની ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેમણે બીજાપુર હોસ્પિટલમાં ડાયાલીસિસ સેન્ટરનું પણ ઉદઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ એલડબલ્યુઇ (નક્સલગ્રસ્ત વિસ્તારો)માં 1988 કિલોમીટર લંબાઈનાં પીએમજીએસવાય રોડ, આ જ વિસ્તારોમાં અન્ય એક માર્ગ પરિયોજના, બીજાપુરમાં પાણી પુરવઠા યોજના અને બે પુલોનાં નિર્માણનું શિલારોપણ કર્યું હતું.

ઉત્સાહી જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ એ વિસ્તારનાં શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં, જેઓ બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે લડ્યાં હતાં. તેમણે આ વિસ્તારમાં નક્સલવાદી-માઓવાદી હુમલામાં શહીદ થયેલા સુરક્ષા જવાનોને શ્રદ્ધાજંલિ પણ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, અગાઉ કેન્દ્ર સરકારે છત્તીસગઢમાંથી બે મહત્ત્વપૂર્ણ વિકાસ પહેલો – શ્યામા પ્રસાદ મુખર્જી રુર્બન મિશન અને પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાઓનો શુભારંભ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આજે રાજ્યમાંથી આયુષ્માન ભારત અને ગ્રામ સ્વરાજ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ગ્રામ સ્વરાજ અભિયાન સુનિશ્ચિત કરશે કે છેલ્લાં ચાર વર્ષમાં કેન્દ્ર સરકારે તમામ વિકાસલક્ષી પહેલો શરૂ કરી છે, જેથી ગરીબો અને સમાજનાં વંચિત સમુદાયો સુધી વિકાસનાં મીઠાં ફળ પહોંચે. તેમણે જણાવ્યું હતું કે, ગ્રામ સ્વરાજ અભિયાન આજથી 5 મે સુધી ચાલશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરે કરોડૉ લોકોનાં દિલોદિમાગમાં “આકાંક્ષા”ને પાંખો આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આજે બીજાપુરમાં આ કાર્યક્રમ યોજવાનું મહત્ત્વ સમજાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બીજાપુર દેશમાં 100થી વધુ આકાંક્ષી જિલ્લાઓમાંનો એક જિલ્લો છે, જે વિકાસની સફરમાં પાછળ રહી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ આ જિલ્લાઓને “પછાત” જિલ્લાઓમાંથી આકાંક્ષી અને મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓમાં બદલવા ઇચ્છે છે. આ જિલ્લાઓ લાંબો સમય પરતંત્ર અને પછાત નહીં રહે તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો જિલ્લા વહીવટીતંત્ર, જનપ્રતિનિધિઓ અને જનતા – આ તમામ ખભેખભો મિલાવીને જન આંદોલન કરે, તો પછી અભૂતપૂર્વ પરિણામો પ્રાપ્ત થઈ શકશે. તેમણે જણાવ્યું હતું કે, દરેક જિલ્લાની પોતાની સમસ્યાઓ છે એટલે દરેક જિલ્લાનાં વિકાસ માટે તેનાં સંસાધનો અને જરૂરિયાતોને અનુરૂપ જુદી વ્યૂહરચના અપનાવવી પડે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આયુષ્માન ભારત યોજના લાંબા ગાળે સામાજિક અસંતુલન દૂર કરશે તથા દેશમાં સામાજિક ન્યાય સુનિશ્ચિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, આ યોજનાનાં પ્રથમ તબક્કામાં પ્રયાસ મુખ્ય સ્વાસ્થ્ય સુવિધામાં પરિવર્તનનો પવન ફૂંકવાનો રહેશે. તેમણે કહ્યું હતું કે, દેશમાં હવે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ તરીકે 1.5 લાખ સ્થળોમાં પેટાકેન્દ્રો અને પ્રાથમિક સારવાર કેન્દ્રો વિકસાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ કામગીરી વર્ષ 2022 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. તેમણે કહ્યું હતું કે, આ હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્રો ગરીબો માટે ફેમિલી ડૉક્ટરની જેમ કામ કરશે.

તેમણે જણાવ્યું હતું કે, આયુષ્માન ભારતનો આગામી લક્ષ્યાંક ગરીબોને તબીબી સારવાર માટે રૂ. 5 લાખ સુધીની નાણાકીય સહાય પ્રદાન કરવાનો છે.

પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં મુખ્યમંત્રી ડૉ. રમણ સિંહનાં રાજ્યમાં છેલ્લાં 14 વર્ષનાં શાસનકાળમાં વિકાસલક્ષી કાર્યોની પ્રશંસા કરી હતી. ખાસ કરીને તેમણે સુકમા, દાંતેવાડા અને બીજાપુરનાં દક્ષિણ જિલ્લાઓમાં વિકાસલક્ષી પહેલોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બસ્તર ટૂંક સમયમાં આર્થિક વિકાસનું કેન્દ્ર બની જશે. તેમણે પ્રાદેશિક અંસતુલનનો અંત લાવવા માટે જોડાણનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આ સંદર્ભમાં તેમણે આજે જોડાણ પરિયોજનાઓનો શુભારંભ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની પહેલો અને નિર્ણયો ગરીબોનાં કલ્યાણ પ્રત્યે તેની પ્રતિબદ્ધતા અને સમાજનાં આર્થિક રીતે નબળાં વર્ગોનાં કલ્યાણ માટેની કટિબદ્ધતાનો સંકેત આપે છે. આ સંદર્ભમાં તેમણે વન ધન યોજના અને આદિવાસી સમુદાયોનાં લાભ માટે લેવાયેલા અન્ય નિર્ણયોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો – બેટી પઢાઓ અને ઉજ્જવલા યોજના જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી મહિલાઓને લાભ થાય છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, સરકારની તાકાત જનભાગીદારીમાં છે, જે વર્ષ 2022 સુધીમાં નવા ભારતનું નિર્માણ કરવામાં મદદ કરશે

RP