Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આઈઆઈઆઈટી ગુવાહાટીના શિલારોપણ પ્રસંગે પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળ પાઠ

આઈઆઈઆઈટી ગુવાહાટીના શિલારોપણ પ્રસંગે પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળ પાઠ

આઈઆઈઆઈટી ગુવાહાટીના શિલારોપણ પ્રસંગે પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળ પાઠ


મંચ પર બિરાજેલા સહુ વરિષ્ઠ મહાનુભાવો, યુવા મિત્રો, અને આ સમારંભમાં ઓનલાઈન હાજરી આપી રહેલા પૂર્વોત્તરના વિદ્યાર્થીઓનું પણ હું સ્વાગત કરું છું.

સૌથી પહેલા હું તમારી ક્ષમા માંગું છું કેમકે મને આવવામાં ઘણું મોડું થયું, કારણ કે આજે સવારે સિક્કિમથી મારે નીકળવાનું હતું. પરંતુ હવામાન સાથ આપતું ન હતું. વારંવાર સમય બદલવો પડ્યો હતો. પરંતુ છેવટે પહોંચી જ ગયો. ક્યારેક ક્યારેક મોડું થાય છે, પરંતુ પહોંચું તો છું જ. આજે અહીં બે મહત્ત્વપૂર્ણ કાર્યક્રમો છે. પહેલો, આઈઆઈઆઈટીના નવા બિલ્ડિંગનું શિલારોપણ અને બીજો, આઈસીટી એકેડેમીની શરૂઆત. આપણે સાંભળતા આવ્યા છીએ કે 21મી સદી હિન્દુસ્તાનની સદી છે, પરંતુ 21મી સદી હિન્દુસ્તાનની છે તેનું કારણ શું છે. તો સમગ્ર વિશ્વ એવું માને છે કે 21મી સદી જ્ઞાનની સદી છે. માહિતીની સદી છે અને એટલે જ માહિતી, જ્ઞાનના ક્ષેત્રમાં જે આગળ રહેશે, તે દુનિયાનું નેતૃત્વ કરશે. તે આગેવાની કરશે અને બીજું મહત્ત્વપૂર્ણ કારણ છે કે આજે ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે. આ દેશમાં 65 ટકા વસતી 35 વર્ષથી ઓછી વયની છે. જે દેશમાં સદીઓથી આ પરંપરા રહી છે કે જ્યારે જ્યારે માનવજાતિ કટોકટીભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હોય ત્યારે કાયમ જ ભારતે નેતૃત્વ કર્યું છે અને 21મી સદીમાં ડેમોગ્રાફિક ડિવિડંડ (વસતીને લગતો લાભ) આપણી તાકાત છે. આટલી મોટી સંખ્યામાં જે દેશ પાસે યુવાનો હોય, તેમના સ્વપ્નો પણ યુવાન હોય છે અને યુવાન સ્વપ્નોમાં સમર્પણનો ભાવ પણ હોય છે, ઉર્જા પણ હોય છે. ભારત આ પરિસ્થિતિનો લાભ કેવી રીતે ઉઠાવે, આ તકને ભારત કેવી રીતે દુનિયાના વિશ્વ ફલક પર એક શક્તિ સ્વરૂપે આગળ આવી શકે. આ તક પણ છે, પડકાર પણ છે અને પડકારો વિના ક્યારેય જીવન સફળ નથી થતું. જે પડકારોનો સામનો કરે છે તે જ તક પ્રાપ્ત કરી શકે છે અને તે જ તકને સિદ્ધિમાં ફેરવી શકે છે. આજે સમગ્ર વિશ્વમાં જેટલા પણ સૂચકાંકો પર ચર્ચા થાય છે, વર્લ્ડ બેન્કનો રિપોર્ટ જોઈ લો. આઈએમએફનો રિપોર્ટ જોઈ લો. ક્રેડિટ રેટિંગ એજન્સી, ગ્લોબલ લેવલની કંઈ કહો, એક વાત સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે અને બધેથી એક જ પ્રકારનો સૂર ઉઠ્યો છે અને તે એ છે કે આજે મોટા દેશોમાં ઝડપભેર વિકાસ હાંસલ કરી રહેલી કોઈ અર્થવ્યવસ્થા છે, તો તે અર્થવ્યવસ્થાનનું નામ છે હિન્દુસ્તાન.

અવારનવાર સમાચારો આવે છે કે દુનિયામાં આમ થઈ રહ્યું છે. તેમ થઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં આર્થિક મંદીનો માહોલ છે. વિશ્વ આર્થિક સંકટમાં ઘેરાયેલું છે. આવા સંકટ સમયે ફક્ત હિન્દુસ્તાન પોતાના પગ પર સ્થિર ઊભું છે અને ઝડપી ગતિથી આગળ પણ વધી રહ્યું છે અને વિશ્વ એમ પણ માને છે કે આવનારા દિવસોમાં ભારત આનાથી પણ વધુ ઝડપી ગતિએ વિકાસ હાંસલ કરશે. આ જે તક મળી છે. આ તકનો જો લાભ લેવો હોય તો આપણે આપણી યુવા શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને એટલા માટે સરકારે જે વાતો પર ધ્યાન આપ્યું છે તે વેરવિખેર વસ્તુઓ નથી. સરકારમાં છીએ એટલે કંઈ કરવું પડે, ચલો કંઈ કરતા રહીએ, એવું પણ નથી. એક પછી એક પગલાં પરસ્પર જોડાયેલાં છે, સંકળાયેલાં છે. એક પછી એક પગલું અંતિમ પરિણામ હાંસલ કરવાની તક છે. આ દેશમાં પહેલી જ વાર સ્કિલ ડેવલપમેન્ટ (કૌશલ્ય વિકાસ) એક અલગ વિભાગ સ્થાપવામાં આવ્યો. પહેલા શું હતું. દરેક વિભાગ પોત-પોતાની રીતે સ્કિલ ડેવલપમેન્ટનું કામ કરતો હતો. પરંતુ આટલા મોટા વિભાગમાં એક ખૂણામાં સ્કિલ ડેવલપમેન્ટ ચાલતું હોય તો તેમાં ફોકસ – ધ્યાન કેન્દ્રિત રહેતું ન હતું. કામ ચાલતું હતું. કાગળ પર બધું દેખાતું હતું. પરંતુ વાસ્તવિકતામાં નજરે ચઢતું ન હતું. અમે અલગ સ્કિલ ડેવલપમેન્ટ વિભાગ બનાવ્યો અને સમગ્ર દેશમાં 21મી સદીને અનુકૂળ કેવા પ્રકારનું માનવબળ તૈયાર કરવું જોઈએ, કેવા પ્રકારનો માનવ સંસાધન વિકાસ કરવો જોઈએ અને માત્ર હિન્દુસ્તાન જ નહીં, વૈશ્વિક સંદર્ભમાં વૈશ્વિક અભિગમમાં તમે કલ્પના કરી શકો છો, જ્યારે સમગ્ર દુનિયા વૃદ્ધ હોય, દુનિયા પાસે પૈસા હોય, ઉદ્યોગ કારખાના ચાલુ હોય, પરંતુ ચલાવવાવાળા યુવાનો ન હોય, તો શું થાય. સમગ્ર વિશ્વને 2030 પછી ઘણી મોટી સંખ્યામાં માનવ સંસાધનની જરૂરત પડવાની છે. વૈશ્વિક માનવબળ પૂરું પાડવાનું કામ જો કોઈ કરી શકે તેમ છે, તો તે હિન્દુસ્તાન છે. વિશ્વના પ્રત્યેક ખૂણામાં ભારતનો યુવાન જઈને તે દેશના જીવનમાં ઘણું મોટું યોગદાન આપી શકે એમ છે. એ દિવસો દૂર નથી. જ્યારે સમગ્ર વૈશ્વિક જરૂરિયાતને જો ધ્યાનમાં રાખીએ તો આજથી અમારો પ્રયત્ન છે કે હિન્દુસ્તાનમાં એવો માનવ સંસાધન વિકાસ હોય, એવું માનવ બળ સજ્જ હોય, જે આવનારા દિવસોમાં વૈશ્વિક જરૂરિયાતો પૂરી કરી શકે.

બીજી તરફ શું ભારત માત્ર સેવા આપનાર બની રહે ? આ વાત આપણને મંજૂર નથી અને એટલે આપણા દેશમાં મેઈક ઇન ઈન્ડિયાનું અભિયાન શરૂ કરાયું છે. આજે દેશ પેટ્રોલિયમ ઉત્પાદન પછી સૌથી વધુ આયાતો જે મુખ્ય ત્રણ-ચાર ચીજોની કરવામાં આવે છે, તેના દ્વારા આપણું સૌથી વધુ નાણું વિદેશો પાસે જાય છે. તેમાં એક છે, ઈલેક્ટ્રોનિક ગૂડ્સની આયાત. તે પછી લેપટોપ હોય, કે મોબાઈલ ફોન હોય કે પછી ઈલેક્ટ્રોનિક મેડિકલ ડિવાઈસ હોય. હવે જે દેશમાં આટલી શ્રેષ્ઠ આઈઆઈટી હોય, જે ગુવાહાટીના આઈટીના, જે ગુવાહાટી અહીંના આઈઆઈટીથી ઓળખાય છે. અહીંના આઈઆઈટીએ ગુવાહાટીને એક નવો પરિચય આપ્યો છે. પરંતુ એ દેશમાં ઈલેક્ટ્રોનિક ગૂડ્સ આપણે આયાત કરવા પડે છે. આ શું સારી વાત છે ? થર્મોમીટર પણ બહારથી લાવવું પડે છે. બીપી ઓછું થયું, બરાબર થયું કે ન થયું એ પણ શું વિદેશનું સાધન નક્કી કરશે ?

દોસ્તો, આ ચીજો બદલવી છે. હું આજે તમારી વચ્ચે આવ્યો છું પડકારો લઈને. ઓછામાં ઓછું ઈલેક્ટ્રોનિક ગૂડ્સ તો આપણે બનાવી શકીએ છીએ એટલું જ નહીં, દુનિયાને પણ આપી શકીએ છીએ. આ દેશ પાસે ટેલેન્ટની ખોટ નથી, ઈચ્છાઓની પણ ખોટ નથી. દરેક નવયુવાન પાસે કંઈ ને કંઈ કરવાનો ઈરાદો છે તો શા માટે આપણે આપણા દેશની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મેઈક ઇન ઈન્ડિયાની વાતને આગળ વધારીએ. અને દુનિયાએ ભારતના લોકોની કુશળતા સ્વીકારી છે. આજે સિલિકોન મેળામાં જાઓ. સરનામું તો યુએસએનું છે, પરંતુ ચહેરો હિન્દુસ્તાની છે. દર ત્રીજી – ચોથી કંપનીના સીઈઓ હિન્દુસ્તાની છે. કામ કરી રહેલા નવયુવાનોમાં 50થી 60 ટકા નવયુવાનો હિન્દુસ્તાની છે. આ દેશ પાસે ટેલેન્ટ પણ છે.

ભારતે માર્સ મિશન (મંગળ અભિયાન) કર્યું. ઑરબિટમાં આપણે પહોંચ્યા. દુનિયામાં આપણે એવા પ્રથમ દેશ છીએ, જે માર્સ ઑરબિટ મિશનમાં પ્રથમ પ્રયત્નમાં સફળ થઈ ગયો. દુનિયાના બીજા દેશોને 20-20-25 વાર પ્રયત્નો કર્યા પછી સફળતા મળી. ભારતને પહેલી જ વારમાં મળી ગઈ. અને ખર્ચ કેટલો થયો ? તમે ગુવાહાટીમાં એક કિલોમીટર ઑટો રિક્ષામાં જાઓ તો દસ રૂપિયા થાય છે, આપણે માર્સ મિશનમાં કિલોમીટર દીઠ માત્ર સાત રૂપિયાના ખર્ચે ગયા. હૉલીવુડની ફિલ્મનો જે ખર્ચ થાય છે, તેનાથી પણ ઓછા ખર્ચે આપણે માર્સ મિશન પર પહોંચી ગયા. આ કેવી રીતે શક્ય બન્યું ? આપણા નવયુવાનોના ટેલેન્ટને કારણે, અનુભવને કારણે. કંઈ કરી છૂટવાના ઈરાદાને કારણે. જે દેશ પાસે આ સામર્થ્ય હોય, તે દેશના પ્રધાનમંત્રી મેઈક ઇન ઈન્ડિયાનું સ્વપ્ન કેમ ન જુએ ? આપણું બીજું ક્ષેત્ર છે સંરક્ષણ. શું ભારતે પોતાની સુરક્ષા માટે આઝાદીના 70 વર્ષો પછી પણ બીજાઓ પર નિર્ભર રહેવું જોઈએ ? અશ્રુવાયુ છે ને, અશ્રુવાયુ ? રોવા માટેનો પણ ટિયર ગેસ, એ પણ બહારથી લાવવો પડે છે. આ સ્થિતિ બદલવી છે દોસ્તો. આપણે આપણી સુરક્ષા માટે જે જરૂરિયાતો છે તે આપણે બનાવીએ. એટલું જ નહીં, દુનિયાને પણ આપણે સપ્લાય કરીએ, એવી આપણી તાકાત હોવી જોઈએ.

આપણે મોબાઈલ વિના જીવી શકતા નથી અને તમારામાં ઘણા લોકો છે, મારી સાથે જોડાયેલા છે, ફેસબૂક પર, ટ્વિટર પર. ગુવાહાટીથી કેટલાક લોકો મારી નરેન્દ્ર મોદી એપ પર પણ કંઈને કંઈ લખતા રહેતા હોય છે. પરંતુ મોબાઈલ ફોન બહારથી લાવવો પડે છે અને એટલે જ દોસ્તો આપણા જે આઈઆઈટી છે, આપણી જે ટેકનિકલ ઈન્સ્ટીટ્યુશન્સ છે, ત્યાં મારે મેઈક ઇન ઈન્ડિયાનો માહોલ સર્જવો છે. અત્યારથી જ વિદ્યાર્થીના મનમાં વિચાર હોવો જોઈએ કે હું સંરક્ષણ સરંજામના વિશ્વમાં ભારતને આ સિદ્ધિ અપાવીશ, જેથી દુનિયા આપણને કંઈ કરી ન શકે.

આપણે આઈસીટીના ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આઈસીટી આપણને વેપાર-ધંધા માટે નવા નવા સોફ્ટવેર બનાવવાની તાકાત પ્રદાન કરી રહ્યા છે, પરંતુ દુનિયા સામે સૌથી મોટો પડકાર છે, સાયબર સિક્યુરિટી (સાયબર સુરક્ષા)નો. સહુ પરેશાન છે, ક્યાંય કોઈ તફડાવી તો નહીં લે. મારી આખી ફાઈલ જતી તો નહીં રહે. હું સંશોધન કરી રહ્યો છું, કોઈ ઉઠાંતરી તો નહીં કરી લે. દુનિયાને કોઈ ઠપ્પ તો નહીં કરી દે. વિમાન ઉડતું હશે અને સાયબર એટેક કરીને તેને ત્યાં જ અટકાવી દઈ શકાય છે અને પછી તે નીચે જ આવશે. આ સંકટ છે, દુનિયા ડરેલી છે. ટેકનોલોજીએ જ્યાં જ્યાં પણ આપણને પહોંચાડ્યા છે, તો તેની સાથે સાથે આપણી સામે પડકારો પણ આવ્યા છે. શું આપણા વિદ્યાર્થી, નવયુવાન વિશ્વને સાયબર સુરક્ષા આપવા માટે નેતૃત્વ કરી શકે તેમ નથી ? જો દુનિયામાં કોઈને પણ સાયબર સુરક્ષાની જરૂર હશે, તો ભારતના નવયુવાન પર વિશ્વાસ કરવો પડશે, ત્યારે એનું કામ થશે. આ સ્થિતિ આપણે ન લાવી શકીએ ?

અને એટલે જ દોસ્તો, સ્કિલ ડેવલપમેન્ટથી માંડીને મેઈક ઇન ઈન્ડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બે દિવસ અગાઉ તમારામાંથી ઘણા લોકો કદાચ મારી સાથે વિડિયો કોન્ફરન્સમાં જોડાયેલા હશે. જ્યારે હું બે દિવસ પહેલા દિલ્હીમાં સ્ટાર્ટ-અપ અભિયાનનો પ્રારંભ કરાવતો હતો ત્યારે, જ્યારે હું અગાઉ સ્ટાર્ટ – અપ કહેતો હતો, ત્યારે કેટલાક લોકોને સમજણ જ પડતી ન હતી કે આ શું કહી રહ્યા છે. સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, સ્ટેન્ડ-અપ ઈન્ડિયા. જ્યારે લાલ કિલ્લા પરથી મેં જાહેર કર્યું ત્યારે એ વિષય એમ જ આવીને જતો રહ્યો. ખબર ન પડી. કોઈએ નોંધ જ ન લીધી. પરંતુ હવે જ્યારે સ્ટાર્ટ-અપની યોજના બની, લાખો નવયુવાનોની નોંધણી કરવામાં આવી. એક નવો માહોલ સર્જાયો છે, દેશમાં. નવયુવાન વિચારી રહ્યો છે કે હું રોજગાર માટે અરજી નહીં કરું, હું પોતાની મેળે નવી ચીજો શોધીને દુનિયાના બજારમાં લઈ આવીશ, નવીન રીતે લઈ આવીશ.

‘સ્ટાર્ટ-અપ’નો એક માહોલ બન્યો છે. હાલમાં જે નવી પેઢી છે, તે જોબ-સીકર – નોકરી વાંચ્છુક બનવા નથી માંગતી, એ જોબ – ક્રીએટર – નોકરી સર્જનાર બનવા માંગે છે અને સરકાર સ્ટાર્ટ – અપ ઈન્ડિયા, સ્ટેન્ડ – અપ ઈન્ડિયાના માધ્યમથી એમને બળ આપવા માંગે છે અને એટલે જ હમણાં તમે જોયું હશે, અમે ઘણી નવી યોજનાઓ જાહેર કરી છે, નવાં ઈનિશિયેટિવ લીધાં છે, કારણ કે ભારત દુનિયાનું સ્ટાર્ટ- અપ કેપિટલ બની શકે છે. જે દેશ પાસે આટલું ટેલેન્ટ હોય, તે દુનિયાનું કેપિટલ બની શકે છે અને મેં એ જોયું, તમે પણ કદાચ ટીવી પર આ બાબતોને ધ્યાનપૂર્વક જોઈ હશે, નહીં જોઈ હોય તો હવે તો ઈન્ટરનેટ પર બધી બાબતો ઉપલબ્ધ હોય છે. 22-25-27-30 વર્ષના નવયુવાન અરબો-ખરબો રૂપિયાના વેપાર કરવા લાગ્યા છે અને બે-ત્રણ વર્ષમાં કરવા માંડ્યા છે અને પાંચ હજાર – દસ હજાર – 25 હજાર લોકોને રોજગાર આપી રહ્યા છે, માત્ર પોતાના દિમાગ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને.

અને જમાનો એપ્પ (એપ્લિકેશન્સ)નો છે, દરેક વસ્તુની એપ્પ બને છે અને દુનિયા જોડાઈ જાય છે. હું પણ હવે જોડાઈ ગયો છે, પરંતુ અમારા નવયુવાનોની જે બુદ્ધિમત્તા છે, કંઈક કરી બતાવવાની જે બુદ્ધિમત્તા છે અને એટલે જ સ્કિલ ડેવલપમેન્ટથી માંડીને સ્ટાર્ટ – અપ સુધીની યાત્રા મેઈક ઇન ઈન્ડિયા. પહેલા મેઈક ઇન ઈન્ડિયા અને પછી મેઈક ફોર ગ્લોબલ, આ જરૂરિયાત પૂરી કરવા માટે આપણે આગળ વધવા માંગીએ છીએ અને તેમાં ટેકનિકલ ફોર્સ એક ઘણી મોટી આવશ્યકતા છે. દરેક હાથમાં કુશળતા હોવી જોઈએ. ક્યારેક ક્યારેક આપણે લોકો રડતાં રડતાં બેસી રહીએ છીએ. આપણા દેશમાં કેટલાકની આવી પણ આદત છે. મુશ્કેલીઓ હોય છે. દરેકના નસીબમાં તૈયાર ભાણું જમવાનું સૌભાગ્ય નથી હોતું. પથ્થરમાંથી પાણી કાઢવાની તાકાત હોવી જોઈએ અને જો આપણે આપણી જાતને યુવાન કહેતા હોઈએ, તો પહેલી શરત એ હોવી જોઈએ કે એ સહેલો રસ્તો – તૈયાર ભાણું ન શોધે, એ પથ્થરમાંથી પાણી કાઢવાની શક્તિ માટે વિચારે. જો આ ઈરાદા લઈને આપણે ચાલીએ તો આપણે આપણું જીવન તો બનાવીશું, પરંતુ બીજા અનેક લોકોની જિંદગીમાં પરિવર્તન માટેનું કારણ પણ બનીશું.

તો ભારતમાં આપણી જેટલી પણ એકેડેમિક ઈન્સ્ટીટ્યુશન્સ (શૈક્ષણિક સંસ્થાઓ) છે, ટેકનિકલ ઈન્સ્ટીટ્યુશન્સ છે, આપણી યુનિવર્સિટીઓ છે. એ આપણી આઈઆઈટી હોય કે આપણી આઈટીઆઈ હોય, નાનામાં નાના ટેકનિકલ એકમથી લઈને ટોપ મોસ્ટ ટેકનિકલ વેન્ચર, આ બંનેમાં એકસૂત્રતા હોવી જોઈએ અને આપણે દેશની જરૂરિયાતો પૂરી કરવા માટે સામર્થ્યવાન બનીએ. મુસીબતો પોતાની મેળે એનો રસ્તો પણ શોધીને આવે છે. કોઈ મુસીબત એવી નથી હોતી જેની અંદર જ એનો ઉકેલ ન પડ્યો હોય. માત્ર ઓળખવાવાળા જોઈએ. દરેક સમસ્યાની અંદર જ તેનો ઉકેલ પણ રહેલો જ હોય છે, તેના ઉકેલને શોધી શકનાર જોઈએ, સમસ્યાનો ઉકેલ મળી આવે છે.

હું ઈચ્છું છું કે મારા નવયુવાન વસ્તુઓને જુએ તો તેમના મનમાં પહેલા એ વાત ન આવે કે યાર, આવું કેમ છે. જેવું છે તેવું છે, યાર, આમ કરીશું તો આવું નહીં રહે. આપણે પરિવર્તન લાવી શકીએ છીએ. આપણી વિચાર પ્રક્રિયાને આપણે બદલીએ.

પાછલા દિવસોમાં રાષ્ટ્રપતિ ભવનમાં શાળાના કેટલાક બાળકોને બોલાવવામાં આવ્યાં હતાં. આપણા રાષ્ટ્રપતિજી આવા લોકોને ઘણા પ્રોત્સાહિત કરવાના અનેક કાર્યક્રમ કરતા હોય છે. તો તેમણે કહ્યું, મોદી જી એકવાર આવો, જરા જુઓ. આઠમા, નવમા, દસમા ધોરણના બાળકો હતા અને મેં જોયું કે સ્વચ્છ ભારત વિશે ટેકનોલોજી શી ભૂમિકા ભજવી શકે તેમ છે, કેવું નવીન પ્રકારનું સાધન સર્જી શકાય તેમ છે, જે સ્વચ્છ ભારત માટે હવે પછીની જરૂરિયાત જે પ્રોસેસ છે તેને પૂરી કરી શકે. આઠમા-નવમા ધોરણના બાળકોએ એવી એવી વસ્તુઓ બનાવી હતી, હું આશ્ચર્યચકિત થઈ ગયો. એનો મતલબ એ થયો કે દરેક સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપણી પાસે સામર્થ્ય હોય છે.

જો ઈન્ડિયા પાસે મિલિયન પ્રોબ્લેમ હોય, તો હિન્દુસ્તાન પાસે બિલિયન બ્રેઈન પણ છે અને એટલે જ દોસ્તો નવું બિલ્ડિંગ તો મળશે. હિન્દુસ્તાનના પૂર્વ વિસ્તારમાં આ જ્ઞાનનો સૂર્ય એવો ઝગમગ થઈને ઝળહળે કે સમગ્ર હિન્દુસ્તાનને જ્ઞાનથી પ્રકાશિત કરી દે, આ મારી તમને સહુને શુભેચ્છાઓ છે. ખૂબ ખૂબ ધન્યવાદ.

UM/AP/J.KHUNT/GP