Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રધાનમંત્રીનાં ‘મન કી બાત’ કાર્યક્રમનો મૂળપાઠ (25 માર્ચ, 2018)


મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે રામનવમીનું પાવન પર્વ છે. રામનવમીના આ પવિત્ર પર્વ પર દેશવાસીઓને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. પૂજ્ય બાપુના જીવનમાં ‘રામ નામ’ની શક્તિ કેટલી હતી તે આપણે તેમના જીવનમાં હર પળે જોયું છે. ગત દિવસોમાં 26 જાન્યુઆરીએ જ્યારે ASEAN (આસિયાન) દેશોના બધા મહાનુભાવો અહીં હતા તો તેમની સાથે cultural troop લઈને આવ્યા હતા અને ઘણા ગર્વની વાત છે કે તેમાંના મોટા ભાગના દેશ, રામાયણને જ આપણી સામે પ્રસ્તુત કરી રહ્યા હતા. અર્થાત્ રામ અને રામાયણ, ન માત્ર ભારતમાં, પરંતુ વિશ્વના આ ભૂભાગમાં ASEAN દેશોમાં, આજે પણ એટલી જ પ્રેરણા અને પ્રભાવ પેદા કરી રહ્યા છે. હું ફરી એક વાર આપ સહુને રામનવમીની શુભકામનાઓ આપું છું.

મારા પ્રિય દેશવાસીઓ, દર વખતની જેમ આ વખતે પણ મને તમારા સહુના બધા જ પત્રો, ઇ-મેઇલ, ફૉન કૉલ અને કૉમેન્ટ બહુ મોટી સંખ્યામાં મળ્યાં છે. કોમલ ઠક્કરજીએ MyGov પર સંસ્કૃતનો ઑનલાઇન કૉર્સ શરૂ કરવા વિશે જે લખ્યું તે મેં વાંચ્યું. આઈટી વ્યાવસયિક હોવાની સાથોસાથ સંસ્કૃત પ્રત્યે આપનો પ્રેમ જોઈને ઘણું સારું લાગ્યું. મેં સંબંધિત વિભાગને આ અંગે થઈ રહેલા પ્રયાસોની માહિતી તમારા સુધી પહોંચાડવા કહ્યું છે. ‘મન કી બાત’ના શ્રોતા જે સંસ્કૃત સંદર્ભે કાર્ય કરે છે, હું તેમને પણ અનુરોધ કરીશ કે કોમલજીના સૂચન સંદર્ભે શું કરી શકાય તેના પર વિચાર કરે.

શ્રીમાન ઘનશ્યામકુમારજી, ગામ બરાકર, જિલ્લો નાલંદા, બિહાર. તમે NarendraModiApp પર લખેલી કૉમેન્ટસ વાંચી. તમે જમીનમાં ઘટતા જળસ્તર પર જે ચિંતા વ્યક્ત કરી છે તે ચોકકસપણે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શ્રીમાન શકલ શાસ્ત્રીજી, કર્ણાટક. તમે શબ્દોના ખૂબ જ સુંદર તાલમેલ સાથે લખ્યું કે ‘આયુષ્યમાન ભારત’ ત્યારે જ થશે જ્યારે ‘આયુષ્યમાન ભૂમિ’ હશે અને ‘આયુષ્યમાન ભૂમિ’ ત્યારે જ થશે જ્યારે આપણે આ ભૂમિ પર રહેનારાં પ્રત્યેક પ્રાણીની ચિંતા કરીશું. તમે ઉનાળાની ગરમીમાં પશુપક્ષીઓ માટે પાણી રાખવા માટે પણ બધાને અનુરોધ કર્યો છે. શકલજી, તમારી ભાવનાઓને મેં બધા શ્રોતાઓ સુધી પહોંચાડી દીધી છે.

શ્રીમાન યોગેશ ભદ્રેશાજી, તેમનું કહેવું છે કે હું આ વખતે યુવાઓ સાથે તેમના સ્વાસ્થ્ય વિશે વાત કરું. તેમને લાગે છે કે એશિયાના દેશોમાં તુલના કરીએ તો આપણા યુવા શારીરિક રીતે નબળા છે. યોગેશજી, મેં વિચાર્યું છે કે આ વખતે આરોગ્યના સંદર્ભે બધા સાથે વિસ્તારપૂર્વક વાત કરું- Fit Indiaની વાત કરું. અને તમે બધા નવજુવાન મળીને Fit Indiaની ચળવળ પણ ચલાવી શકો છો.

ગત દિવસોમાં ફ્રાન્સના પ્રમુખ કાશીની યાત્રા પર ગયા હતા. વારાણસીના શ્રીમાન પ્રશાંતકુમારે લખ્યું છે કે આ યાત્રાનાં બધાં દૃશ્ય, મનને સ્પર્શી જનારાં, પ્રભાવ પેદા કરનારાં હતાં. અને તેમણે અનુરોધ કર્યો હતો કે તે બધી તસવીરો, બધા વિડિયો સૉશિયલ મિડિયા પર પ્રચારિત કરવાં જોઈએ. પ્રશાંતજી, ભારત સરકારે તે તસવીરો તે જ દિવસે સૉશિયલ મિડિયા અને NarendraModiApp પર મૂકી દીધાં હતાં. હવે તમે તેમને લાઇક કરો અને રિટ્વીટ કરો, તમારા મિત્રોને પહોંચાડો.

ચેન્નાઈથી અનઘા, જયેશ અને ઘણાં બધાં બાળકોએ Exam Warrior પુસ્તક પાછળ જે Gratitude Cards આપ્યાં છે તેમના વિશે તેમણે પોતાના દિલમાં જે વિચાર આવ્યા, તે લખીને મને જ મોકલી આપ્યા છે. અનઘા, જયેશ, હું તમને બધાં બાળકોને જણાવવા માગું છું કે તમારા આ પત્રોથી મારા દિવસભરનો થાક છૂમંતર થઈ જાય છે. આટલા બધા પત્રો, આટલા બધા ફૉન કૉલ, કૉમેન્ટ, તેમાંથી હું જેટલું પણ વાંચી શક્યો, જે પણ સાંભળી શક્યો અને તેમાંથી ઘણી બધી ચીજો છે જે મારા મનને સ્પર્શી ગઈ- માત્ર તેમના વિશે જ વાત કરું તો પણ કદાચ મહિનાઓ સુધી મારે સતત કંઈક ને કંઈક કહેતા જ જવું પડશે.

આ વખતે મોટા ભાગના પત્રો બાળકોના છે જેમણે પરીક્ષા વિશે લખ્યું છે. રજાઓ વિશે પોતાની યોજના તેમણે જણાવી છે. ઉનાળાની ગરમીમાં પશુપક્ષીઓ માટે પાણીની ચિંતા કરી છે. કિસાન મેળાઓ અને ખેતી સંદર્ભે જે ગતિવિધિઓ દેશભરમાં ચાલી રહી છે તેમના વિશે ખેડૂત ભાઈ-બહેનોના પત્રો આવ્યા છે. જળ સંરક્ષણ સંદર્ભે કેટલાક સક્રિય નાગરિકોએ સૂચન મોકલ્યાં છે. જ્યારથી આપણે લોકો પરસ્પર ‘મન કી બાત’ રેડિયોના માધ્યમથી કરી રહ્યા છીએ ત્યારથી મેં એક ઢબ જોઈ છે કે ઉનાળામાં મોટા ભાગના પત્રો ગરમીના વિષય પર આવે છે. પરીક્ષા પહેલાં વિદ્યાર્થી-મિત્રોની ચિંતાઓ સંદર્ભે પત્ર આવે છે. તહેવારો દરમિયાન આપણા તહેવારો, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ સંદર્ભે વાતો આવે છે. અર્થાત્ આપણા મનની વાતો પણ ઋતુઓ સાથે બદલાય છે અને કદાચ આ પણ સત્ય છે કે આપણા મનની વાતો ક્યાંક કોઈકના જીવનની ઋતુ પણ બદલી નાખે છે. અને શા માટે ન બદલે! તમારી આ વાતોમાં, તમારા આ અનુભવોમાં, તમારાં આ ઉદાહરણોમાં, એટલી બધી પ્રેરણા, એટલી બધી ઊર્જા, એટલી બધી આત્મીયતા, દેશ માટે કંઈક કરવાની ધગશ રહે છે. તે તો સમગ્ર દેશની જ ઋતુ બદલવાની તાકાત રાખે છે. જ્યારે મને તમારા પત્રોમાં વાંચવા મળે છે કે કેવી રીતે આસામના કરીમગંજના એક રિક્ષા ચાલક અહમદ અલીએ પોતાની ઈચ્છાશક્તિના બળે ગરીબ બાળકો માટે નવ શાળાઓ બનાવી છે, ત્યારે આ દેશની અદમ્ય ઈચ્છાશક્તિના દર્શન થાય છે. જ્યારે મને કાનપુરના ડૉક્ટર અજીત મોહન ચૌધરીની વાત સાંભળવા મળી કે તે ફૂટપાથ પર જઈને ગરીબોને તપાસે છે અને તેમને મફત દવા પણ આપે છે, ત્યારે આ દેશના બંધુભાવને અનુભવવાની તક મળે છે. 13 વર્ષ પહેલાં, સમય પર સારવાર ન મળવાના કારણે કોલકાતાના કૅબ ચાલક સૈદુલ લસ્કરની બહેનનું મૃત્યુ થઈ ગયું- તેમણે હૉસ્પિટલ બનાવવાનો નિશ્ચય કરી લીધો કે જેથી સારવારના અભાવે કોઈ ગરીબનું મૃત્યુ ન થાય. સૈદુલે પોતાના આ મિશનમાં ઘરનાં ઘરેણાં વેચ્યાં, દાન દ્વારા રૂપિયા એકઠા કર્યા. તેમની કૅબમાં મુસાફરી કરનારા અનેક પ્રવાસીઓએ ઉદારતાથી દાન આપ્યું. એક ઈજનેર દીકરીએ તો પોતાનો પહેલો પગાર જ આપી દીધો! આ રીતે રૂપિયા ભેગા કરીને 12 વર્ષ પછી છેવટે, સૈદુલ લસ્કરે જે ભગીરથ પ્રયાસ કર્યા તે રંગ લાવ્યા અને આજે તેમની જ આવી કઠોર મહેનતના કારણે, તેમના જ સંકલ્પના કારણે કોલકાતાની પાસે પુનરી ગામમાં લગભગ 30 પથારીની ક્ષમતાવાળી હૉસ્પિટલ બનીને તૈયાર છે. આ છે New Indiaની તાકાત. જ્યારે ઉત્તર પ્રદેશની એક મહિલા અનેક સંઘર્ષ બાદ 125 શૌચાલયોનું નિર્માણ કરે છે અને મહિલાઓને તેમના હક માટે પ્રેરિત કરે છે, ત્યારે માતૃશક્તિનાં દર્શન થાય છે. આવાં અનેક પ્રેરણાપુંજ મારા દેશનો પરિચય કરાવે છે. આજે સમગ્ર વિશ્વમાં ભારત તરફનો દૃષ્ટિકોણ બદલાયો છે. આજે જ્યારે ભારતનું નામ ઘણા સન્માન સાથે લેવામાં આવે છે તો તેની પાછળ મા ભારતીના આ સંતાનોનો પુરુષાર્થ છુપાયેલો છે. આજે સમગ્ર દેશમાં યુવાઓમાં, મહિલાઓમાં, પછાતોમાં, ગરીબોમાં, મધ્યમ વર્ગમાં, દરેક વર્ગમાં એ વિશ્વાસ જાગ્યો છે કે હા! આપણે આગળ વધી શકીએ છીએ, આપણો દેશ આગળ વધી શકે છે. આશા-અપેક્ષાઓથી ભરેલું આત્મવિશ્વાસનું એક સકારાત્મક વાતાવરણ બન્યું છે. આ જ આત્મવિશ્વાસ, આ જ હકારાત્મકતા New Indiaનો આપણો સંકલ્પ સાકાર કરશે, સપનું સિદ્ધ કરશે.

મારા પ્રિય દેશવાસીઓ, આવનારા કેટલાક મહિના ખેડૂત ભાઈઓ અને બહેનો માટે ઘણા જ મહત્ત્વપૂર્ણ છે. આ કારણે જ અનેક પત્ર કૃષિ સંદર્ભે આવ્યા છે. આ વખતે મેં દૂરદર્શનની ડીડી કિસાન ચેનલ પર ખેડૂતો સાથે જે ચર્ચા થાય છે તેના વિડિયો પણ મંગાવીને જોયા અને મને લાગે છે કે દરેક ખેડૂતે દૂરદર્શનની આ ડીડી કિસાન ચેનલ સાથે જોડાવું જોઈએ, તેને જોવી જોઈએ અને તે પ્રયોગોને પોતાના ખેતરમાં લાગુ કરવા જોઈએ. મહાત્મા ગાંધીથી લઈને શાસ્ત્રીજી હોય, લોહિયાજી હોય, ચૌધરી ચરણસિંહજી હોય, ચૌધરી દેવીલાલજી હોય, બધાએ કૃષિ અને ખેડૂતને દેશની અર્થવ્યવસ્થા અને સામાન્ય જનજીવનનું એક મહત્ત્વનું અંગ માન્યો. માટી, ખેતર અને ખેડૂત પ્રત્યે મહાત્મા ગાંધીને કેટલો લગાવ હતો, તે ભાવ તેમની આ પંક્તિમાં ઝળકે છે, જ્યારે તેમણે કહ્યું હતું-

‘To forget how to dig the earth and to tend the soil, is to forget ourselves.’

અર્થાત્, ધરતીને ખોદવી અને માટીનો ખ્યાલ રાખવો જો આપણે ભૂલી જઈએ તો તે સ્વયંને ભૂલવા જેવું છે. આ જ રીતે, લાલ બહાદુર શાસ્ત્રીજી છોડ, વૃક્ષ અને વનસ્પતિના સંરક્ષણ તથા બહેતર કૃષિ ઢાંચાની આવશ્યકતા પર ઘણીવાર ભાર મૂકતા હતા. ડૉ. રામમનોહર લોહિયાએ તો આપણા ખેડૂતો માટે બહેતર આવક, બહેતર સિંચાઈ-સુવિધાઓ અને તે બધાને સુનિશ્ચિત કરવા માટે તેમજ ખાદ્ય અને દૂધ ઉત્પાદનને વધારવા માટે મોટા પાયા પર જનજાગૃતિની વાત કરી હતી. 1979માં પોતાના ભાષણમાં ચૌધરી ચરણસિંહજીએ ખેડૂતોને નવી ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવાનો, નવાં ઇનૉવેશન કરવાનો અનુરોધ કર્યો, તેની આવશ્યકતા પર ભાર મૂક્યો. હું ગત દિવસોમાં દિલ્હીમાં આયોજિત કૃષિ ઉન્નતિ મેળામાં ગયો હતો. ત્યાં ખેડૂત ભાઈઓ-બહેનો અને વૈજ્ઞાનિકોની સાથે મારી વાતચીત, કૃષિ સાથે જોડાયેલા અનેક અનુભવોને જાણવા, સમજવા, કૃષિને લગતાં ઇનૉવેશન વિશે જાણવું- આ બધું મારા માટે એક સુખદ અનુભવ તો હતો જ પરંતુ જે વાતે મને સૌથી વધુ પ્રભાવિત કર્યો તે હતી મેઘાલય અને ત્યાંના ખેડૂતોની મહેનત. ઓછાં ક્ષેત્રફળવાળા આ રાજ્યે ઘણું મોટું કામ કરીને દેખાડ્યું છે. મેઘાલયના આપણા ખેડૂતોએ વર્ષ 2015-16 દરમિયાન ગત પાંચ વર્ષની સરખામણીએ વિક્રમજનક ઉત્પાદન કર્યું છે. તેમણે દેખાડ્યું છે કે જ્યારે લક્ષ્ય નિર્ધારિત હોય, નિશ્ચય બુલંદ હોય અને મનમાં સંકલ્પ હોય તો તેને સિદ્ધ કરી શકાય છે, કરીને દેખાડી શકાય છે. આજે ખેડૂતોની મહેનતને ટૅક્નૉલૉજીનો સાથ મળી રહ્યો છે, જેનાથી કૃષિ ઉત્પાદકને ઘણું બળ મળી રહ્યું છે. મારી પાસે જે પત્રો આવ્યા છે, તેમાં હું જોઈ રહ્યો હતો કે ઘણા બધા ખેડૂતોએ ટેકાના ભાવ વિશે લખ્યું હતું અને તેઓ ઈચ્છતા હતા કે હું તેના પર તેમની સાથે વિસ્તારથી વાત કરું.

ભાઈઓ અને બહેનો, આ વર્ષે બજેટમાં, ખેડૂતોને પાકોની યોગ્ય કિંમત અપાવવા માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે અધિસૂચિત પાકો માટે ટેકાના ભાવ, તેમના ખર્ચના ઓછામાં ઓછા દોઢ ગણા જાહેર કરવામાં આવશે. જો હું વિસ્તારથી જણાવું તો ટેકાના ભાવ માટે ખર્ચની ગણતરીમાં બીજા શ્રમિક જે મહેનત અને પરિશ્રમ કરે છે- તેમનું મહેનતાણું, પોતાનાં ઢોર, મશીન કે ભાડા પર લેવામાં આવેલા ઢોર કે મશીનનો ખર્ચ, બીજનું મૂલ્ય, ઉપયોગ કરવામાં આવેલા દરેક પ્રકારના ખાતરનું મૂલ્ય, સિંચાઈનો ખર્ચ, રાજ્ય સરકારને આપવામાં આવેલી જમીન મહેસૂલ, કામકાજી મૂડી (Working capital) પર આપવામાં આવેલું વ્યાજ, જો જમીન ભાડા પટ્ટે લેવાઈ હોય તો તેનું ભાડું, અને એટલું જ નહીં, ખેડૂત જાતે જે મહેનત કરે છે અથવા તેના પરિવારમાંથી કોઈ કૃષિ કાર્યમાં શ્રમ યોગદાન કરે છે તો તેનું મૂલ્ય પણ ઉત્પાદન ખર્ચમાં જોડવામાં આવશે. તે ઉપરાંત, ખેડૂતોને પાકની યોગ્ય કિંમત મળે તે માટે દેશમાં Agriculture Marketing Reform પર પણ બહુ જ વ્યાપક સ્તર પર કામ થઈ રહ્યું છે. ગામડાંઓની સ્થાનિક મંડીઓ Wholesale Market અને પછી Global Market સાથે જોડાય- તેના પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતોને પોતાની ઉપજ વેચવા માટે બહુ દૂર ન જવું પડે – તે માટે દેશના 22 હજાર ગ્રામીણ હાટોને જરૂરી આંતરમાળખા સાથે ઉન્નત કરીને APMC અને e-NAM Platform સાથે સાંકળવામાં આવશે. અર્થાત્ એક રીતે ખેતર સાથે દેશના કોઈ પણ માર્કેટનું સીધું જોડાણ – આવી વ્યવસ્થા બનાવવામાં આવી રહી છે.

મારા પ્રિય દેશવાસીઓ, આ વર્ષે મહાત્મા ગાંધીજીના 150મા જયંતી વર્ષ મહોત્સવની શરૂઆત થશે. આ એક ઐતિહાસિક અવસર છે. દેશ આ ઉત્સવ કેવી રીતે મનાવે? સ્વચ્છ ભારત તો આપણો સંકલ્પ છે જ, તે ઉપરાંત સવાસો કરોડ દેશવાસીઓ ખભેખભા મેળવીને ગાંધીજીને કેવી રીતે ઉત્તમ શ્રદ્ધાંજલી આપી શકે? તે માટે કેવી નવી નવી પ્રવૃત્તિઓ આદરી શકાય? તમને બધાને મારો અનુરોધ છે, તમે MyGovના માધ્યમથી તે અંગેના પોતાના વિચાર સૌની સાથે વહેંચો. ‘ગાંધી 150’નો લૉગો કેવો હોય? સ્લૉગન કે મંત્ર કે ઘોષ વાક્ય કેવું હોય, તેના વિશે તમે તમારું સૂચન કરો. આપણે બધાએ મળીને બાપુને એક યાદગાર શ્રદ્ધાંજલી આપવી છે અને બાપુનું સ્મરણ કરીને તેમનામાંથી પ્રેરણા લઈને આપણા દેશને નવી ઊંચાઈઓ પર પહોંચાડવી છે.

#### (ફૉન) ‘નમસ્તે આદરણીય વડા પ્રધાનશ્રી…હું પ્રીતિ ચતુર્વેદી ગુડગાંવથી બોલું છું…વડા પ્રધાનશ્રી, જે રીતે તમે ‘સ્વચ્છ ભારત અભિયાન’ને એક સફળ અભિયાન બનાવ્યું છે હવે સમય આવી ગયો છે કે આપણે સ્વસ્થ ભારત અભિયાનને પણ આ જ રીતે સફળ બનાવીએ…આ અભિયાન માટે તમે લોકોને, સરકારોને, સંસ્થાઓને કઈ રીતે Mobilise કરી રહ્યા છો તેના પર અમને કંઈક જણાવો…ધન્યવાદ.’

ધન્યવાદ, તમે સાચું કહ્યું છે અને હું માનું છું કે સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારત બંને એકબીજાના પૂરક છે. સ્વાસ્થ્યના ક્ષેત્રમાં આજે દેશ રૂઢિગત અભિગમથી આગળ નીકળી ચૂક્યો છે. દેશમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલું દરેક કામ પહેલાં માત્ર સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી હતી, જયારે હવે બધાં વિભાગ અને મંત્રાલય, ચાહે તે સ્વચ્છતા મંત્રાલય હોય, આયુષ મંત્રાલય હોય, રસાયણ અને ખાતર મંત્રાલય હોય, ગ્રાહક સુરક્ષા મંત્રાલય હોય કે મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય હોય કે પછી રાજ્ય સરકારો હોય- સાથે મળીને સ્વસ્થ ભારત માટે કામ કરી રહ્યાં છે અને Preventive Healthની સાથે affordable healthની ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. Preventive Health care સૌથી સસ્તી પણ છે અને સૌથી સરળ પણ છે. અને આપણે લોકો, Preventive Health care માટે જેટલા જાગૃત થઈશું, તેટલો વ્યક્તિને પણ, પરિવારને પણ અને સમાજને પણ લાભ થશે. જીવન સ્વસ્થ હોય તે માટે પહેલી આવશ્યકતા છે – સ્વચ્છતા. આપણે બધાએ એક દેશના રૂપમાં બીડું ઉઠાવ્યું છે અને તેનું પરિણામ એ આવ્યું કે ગત લગભગ 4 વર્ષોમાં Sanitation coverage બે ગણું થઈને લગભગ-લગભગ 80 ટકા થઈ ગયું છે. તે ઉપરાંત દેશભરમાં Health wellness centers બનાવવાની દિશામાં વ્યાપક સ્તર પર કામ થઈ રહ્યું છે. Preventive Health careના રૂપમાં યોગે નવેસરથી દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી છે. યોગ, ફિટનેસ અને વૅલનેસ બંનેની બાંહેધરી આપે છે. એ આપણા બધાની પ્રતિબદ્ધતાનું જ પરિણામ છે કે યોગ આજે એક સામૂહિક ચળવળ બની ગયો છે, ઘરે-ઘરે પહોંચી ચૂક્યો છે. આ વખતના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 21 જૂન – માટે 100 દિવસથી પણ ઓછા દિવસો બચ્યા છે. ગત ત્રણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસો પર દેશ અને દુનિયાની દરેક જગ્યાએ લોકોએ ઘણા ઉત્સાહથી ભાગ લીધો. આ વખતે પણ આપણે સુનિશ્ચિત કરવાનું છે કે આપણે પોતે યોગ કરીએ અને પૂરા પરિવાર, મિત્રો, બધાને યોગ માટે અત્યારથી જ પ્રેરિત કરીએ. નવી રોચક રીતોથી યોગને બાળકોમાં, યુવાઓમાં, વડીલોમાં- બધા આયુવર્ગમાં, પુરુષ હોય કે મહિલા, દરેકમાં લોકપ્રિય કરવો છે. આમ તો દેશનું ટીવી અને ઇલેક્ટ્રૉનિક મિડિયા વર્ષ દરમિયાન યોગ સંદર્ભે અલગ-અલગ કાર્યક્રમો કરે જ છે, પરંતુ શું આજથી લઈને યોગ દિવસ સુધી- એક અભિયાનના રૂપમાં યોગ પ્રત્યે જાગૃતિ પેદા કરી શકીએ?

મારા પ્રિય દેશવાસીઓ, હું યોગ શિક્ષક તો નથી. હા, હું યોગ પ્રૅક્ટિશનર જરૂર છું, પરંતુ કેટલાક લોકોએ પોતાની સર્જનાત્મકતાના માધ્યમથી મને યોગ શિક્ષક પણ બનાવી દીધો છે અને મારા યોગ કરતા થ્રીડી એનિમેટેડ વિડિયો બનાવ્યા છે. હું તમારા બધાની સાથે તે વિડિયો વહેંચીશ, જેથી આપણે સાથે-સાથે આસન, પ્રાણાયામનો અભ્યાસ કરી શકીએ. આરોગ્ય કાળજી પહોંચની અંદર હોય અને પોષાય તેવી પણ હોય, જન સામાન્ય માટે સસ્તી અને સુલભ હોય- તે માટે પણ વ્યાપક સ્તર પર પ્રયાસ થઈ રહ્યા છે. આજે દેશભરમાં 3 હજારથી વધુ જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે જ્યાં 800થી વધુ દવાઓ ઓછી કિંમત પર ઉપલબ્ધ બનાવાઈ રહી છે. બીજાં પણ નવાં કેન્દ્રો ખોલવામાં આવી રહ્યાં છે. ‘મન કી બાત’ના શ્રોતાઓને મારી અપીલ છે કે જરૂરિયાતવાળા લોકો સુધી આ જન ઔષધિ કેન્દ્રોની જાણકારી પહોંચાડશો – તેમનો ઘણી દવાઓનો ખર્ચ ઓછો થઈ જશે. તેમની ઘણી મોટી સેવા થશે. હૃદયરોગીઓ માટે હાર્ટ સ્ટૅન્ટની કિંમત 85 ટકા સુધી ઓછી કરવામાં આવી છે. Knee Implant ની કિંમતોને પણ નિયંત્રિત કરીને 50થી 70 ટકા સુધી ઘટાડી દેવામાં આવી છે. ‘આયુષ્યમાન ભારત યોજના’ હેઠળ લગભગ 10 કરોડ પરિવાર એટલે કે લગભગ 50 કરોડ નાગરિકોને સારવાર માટે એક વર્ષમાં 5 લાખ રૂપિયાનો ખર્ચ ભારત સરકાર અને વીમા કંપની મળીને આપશે. દેશની પ્રવર્તમાન 479 મેડિકલ કૉલેજોમાં MBBSની બેઠકોની સંખ્યા વધારીને લગભગ 68 હજાર કરવામાં આવી છે. દેશભરના લોકોને બહેતર સારવાર અને સ્વાસ્થ્ય સુવિધા મળે તેના માટે વિભિન્ન રાજ્યોમાં નવાં AIIMS (એઇમ્સ)ખોલવામાં આવી રહ્યાં છે. દરેક ત્રણ જિલ્લાઓ વચ્ચે એક નવી મેડિકલ કૉલેજ ખોલવામાં આવશે. દેશને 2025 સુધી ટી.બી. મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ બહુ મોટું કામ છે. જન-જન સુધી જાગૃતિ પહોંચાડવામાં તમારી મદદ જોઈએ. ટી.બી.થી મુક્તિ મેળવવા માટે આપણે બધાએ સામૂહિક પ્રયાસ કરવો જોઈશે.

મારા પ્રિય દેશવાસીઓ, 14 એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી છે. વર્ષો પહેલાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતના ઔદ્યોગિકીકરણની વાત કરી હતી. તેમના માટે ઉદ્યોગ એક એવું પ્રભાવી માધ્યમ હતું જેમાં અતિ ગરીબ વ્યક્તિને રોજગાર ઉપલબ્ધ કરાવી શકાય. આજે જ્યારે દેશમાં મેક ઇન ઇન્ડિયાનું અભિયાન સફળતાપૂર્વક ચાલી રહ્યું છે તો ડૉ. આંબેડકરજીએ ઔદ્યોગિક મહાસત્તાના રૂપમાં ભારતનું જે એક સપનું જોયું હતું તેમનું જ વિઝન આજે આપણા માટે પ્રેરણા છે. આજે ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં એક તેજસ્વી બિંદુ તરીકે ઉભર્યું છે અને આજે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વિદેશી સીધું મૂડીરોકાણ – FDI ભારતમાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વ ભારતને મૂડીરોકાણ, ઇનૉવેશન અને વિકાસ માટે કેન્દ્રના રૂપમાં જોઈ રહ્યું છે. ઉદ્યોગોનો વિકાસ શહેરોમાં જ સંભવ થશે તે જ વિચાર હતો જેના કારણે ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતના શહેરીકરણ Urbanisation પર ભરોસો કર્યો. તેમના આ વિઝનને આગળ વધારતા આજે દેશમાં સ્માર્ટ સિટીઝ મિશન અને અર્બન મિશનની શરૂઆત કરવામાં આવી જેથી દેશના મોટાં નગરો અને નાનાં શહેરોમાં દરેક પ્રકારની સુવિધા- ચાહે તે સારા રસ્તા હોય, પાણીની વ્યવસ્થા હોય, સ્વાસ્થ્યની સુવિધાઓ હોય, શિક્ષણ હોય કે ડિજિટલ કનેક્ટિવિટી હોય, ઉપલબ્ધ કરાવી શકાય. બાબાસાહેબનો self Reliance આત્મનિર્ભરતા પર દૃઢ વિશ્વાસ હતો. તેઓ નહોતા ઈચ્છતા કે કોઈ વ્યક્તિ હંમેશાં ગરીબીમાં જ પોતાનું જીવન જીવતો રહે. તેની સાથોસાથ તેઓ એમ પણ માનતા હતા કે ગરીબોમાં માત્ર કંઈક વહેંચી દેવાથી તેમની ગરીબી દૂર ન કરી શકાય. આજે મુદ્રા યોજના, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા ઇનિશિએટિવ્સ આપણા યુવા ઇનૉવેટર્સ, યુવા ઉદ્યોગ સાહસિકોને જન્મ આપી રહી છે. 1930 અને 1940ના દશકમાં જ્યારે ભારતમાં માત્ર સડકો અને રેલવેની વાત થતી હતી તે સમયે બાબાસાહેબ આંબેડકરે બંદરગાહો અને જળમાર્ગો વિશે વાત કરી હતી. તે ડૉ. બાબાસાહેબ જ હતા જેમણે જળ શક્તિને રાષ્ટ્ર શક્તિના રૂપમાં જોઈ. દેશના વિકાસ માટે પાણીના ઉપયોગ પર ભાર મૂક્યો. વિભિન્ન રિવર વૅલી ઑથૉરિટીઝ, જળ સાથે સંબંધિત વિવિધ આયોગો – આ બધું બાબાસાહેબ આંબેડકરનું જ તો વિઝન હતું. આજે દેશમાં જળમાર્ગ અને બંદરગાહો માટે ઐતિહાસિક પ્રયાસો થઈ રહ્યા છે. ભારતના વિવિધ સમુદ્ર તટો પર નવાં બંદરગાહો બનાવાઈ રહ્યાં છે અને જૂનાં બંદરગાહો પર આંતરમાળખાને મજબૂત બનાવાઈ રહ્યું છે. 40ના દશકના કાળખંડમાં મોટા ભાગની ચર્ચા બીજા વિશ્વયુદ્ધ, સર્જાઈ રહેલું શીત યુદ્ધ અને વિભાજનના સંદર્ભે થતી હતી, તે સમયે ડૉ. આંબેડકરે એક રીતે ટીમ ઇન્ડિયાની સ્પિરિટનો પાયો નાખ્યો હતો. તેમણે સમવાયતંત્ર (ફૅડરલિઝમ), સંઘીય વ્યવસ્થાના મહત્ત્વ પર વાત કરી અને દેશના ઉત્થાન માટે કેન્દ્ર તેમજ રાજ્યોના સાથે મળીને કામ કરવા પર ભાર મૂક્યો. આજે આપણે શાસનના દરેક પાસામાં સહકારી સંઘવાદ, કૉ-ઑપરેટિવ ફૅડરલિઝમ અને તેનાથી આગળ વધીને કમ્પિટિટિવ કૉઑપરેટિવ ફૅડરલિઝમના મંત્રને અપનાવ્યો છે, અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત કે ડૉ. બાબાસાહેબ આંબેડકર પછાત વર્ગ સાથે જોડાયેલા મારા જેવા કરોડો લોકો માટે એક પ્રેરણા છે. તેમણે આપણને દેખાડ્યું છે કે આગળ વધવા માટે એ જરૂરી નથી કે કોઈ મોટા કે કોઈ અમીર પરિવારમાં જ જન્મ થાય, પરંતુ ભારતના ગરીબ પરિવારોમાં જન્મ લેનારા લોકો પણ પોતાનાં સપનાં જોઈ શકે છે, તે સપનાંને પૂરાં કરવા પ્રયાસ કરી શકે છે અને સફળતા પણ પ્રાપ્ત કરી શકે છે. હા, એવું પણ બન્યું કે ઘણા બધા લોકોએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની મજાક પણ ઉડાવી. તેમને પાછળ ધકેલવાનો પ્રયાસ કર્યો. ગરીબ અને પછાત પરિવારનો દીકરો આગળ વધી ન શકે, કંઈક બની ન શકે, જીવનમાં કંઈક પ્રાપ્ત ન કરી શકે તે માટે દરેક સંભવ પ્રયાસ કર્યો. પરંતુ New Indiaની તસવીર બિલકુલ અલગ છે. એક એવું ઇન્ડિયા જે આંબેડકરનું છે, ગરીબોનું છે, પછાતોનું છે. ડૉ. આંબેડકરની જન્મજયંતીના અવસર પર 14 એપ્રિલથી 5મી મે સુધી ‘ગ્રામ સ્વરાજ અભિયાન’ આયોજિત કરવામાં આવી રહ્યું છે. તેના અંતર્ગત સમગ્ર ભારતમાં ગ્રામ વિકાસ, ગરીબ કલ્યાણ અને સામાજિક ન્યાય પર અલગ-અલગ કાર્યક્રમો થશે. મારો આપ સહુને અનુરોધ છે કે આ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લેશો.

મારા પ્રિય દેશવાસીઓ, આગામી કેટલાક દિવસોમાં અનેક તહેવારો આવવાના છે. ભગવાન મહાવીર જયંતી, હનુમાન જયંતી, ઇસ્ટર, વૈસાખી. ભગવાન મહાવીરની જયંતીનો દિવસ તેમના ત્યાગ અને તપસ્યાને યાદ કરવાનો દિવસ છે. અહિંસાના સંદેશવાહક ભગવાન મહાવીરજીનું જીવન દર્શન આપણને બધાને પ્રેરણા આપશે. સમસ્ત દેશવાસીઓને મહાવીર જયંતીની શુભકામનાઓ. ઇસ્ટરની ચર્ચા નીકળે ત્યારે પ્રભુ ઈસા મસીહના પ્રેરણાદાયક ઉપદેશ યાદ આવે છે જેમણે સદાય માનવતાને શાંતિ, સદભાવ, ન્યાય, દયા અને કરુણાનો સંદેશ આપ્યો છે. એપ્રિલમાં પંજાબ અને પશ્ચિમ ભારતમાં વૈસાખીનો ઉત્સવ મનાવાશે, તો આ જ દિવસોમાં બિહારમાં જુડશીતલ અને સતુવાઇન, આસામમાં બિહુ તો પશ્ચિમ બંગાળમાં પોઇલા વૈસાખનો હર્ષ અને ઉલ્લાસ છવાયેલો રહેશે. આ બધા પર્વ કોઈ ને કોઈ રૂપમાં આપણા ખેતી-ખેતરો અને અન્નદાતાઓ સાથે જોડાયેલાં છે. આ તહેવારોના માધ્યમથી આપણે ઉપજના રૂપમાં મળનારા અણમોલ ઉપહારો માટે પ્રકૃતિનો ધન્યવાદ કરીએ છીએ. ફરી એક વાર આપ સહુને આવનારા તમામ તહેવારો માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.

NP/J.Khunt/GP/RP