Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેરળના તિરુવલ્લામાં શ્રી રામકૃષ્ણ વચનામૃત સત્રમમાં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન સંબોધન (વીડિયો કોન્ફરન્સ મારફતે)નો મૂળ પાઠ

કેરળના તિરુવલ્લામાં શ્રી રામકૃષ્ણ વચનામૃત સત્રમમાં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન સંબોધન (વીડિયો કોન્ફરન્સ મારફતે)નો મૂળ પાઠ


 

નમસ્કાર. દરેકને મારા પ્રણામ.

અહીં ઉપસ્થિત સ્વામી નિર્વિનાનંદજી અને શ્રી શ્રી ઠાકુર રામકૃષ્ણ પરમહંસના તમામ અનુયાયીઓને મારા પ્રણામ.

 

શ્રી રામકૃષ્ણ વચનામૃત સત્રમના સાતમા દિવસના સત્રમની શરૂઆતમાં તમારી વચ્ચે ઉપસ્થિત થવાની મને ખુશી છે.

 

બંગાળના મહાન ઋષિતુલ્ય પરમહંસજીની વાણી અને વચનોનો અનુવાદ મલયાલમમાં થયો છે, જેનો કેરળમાં અભ્યાસ થાય છે અને તેના પર ચર્ચા થાય છે. તેના પર મનોમંથન કરું છું ત્યારે તેમના વિચારો કેવી રીતે પ્રસર્યા છે અને સમગ્ર દેશમાં કેટલી હદે સ્વીકૃત છે તેનો વિચાર આવે છે અને તેના પર મને ગર્વ થાય છે.

 

એક ભારત….શ્રેષ્ઠ ભારતનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજું કયું હોઈ શકે?

 

તમે શરૂ કરેલું આ કાર્ય આપણા ધર્મગ્રંથોનું શિક્ષણ આપવાની લાંબી પરંપરા પર નિર્મિત છે. આપણે સામાન્ય લોકોને હંમેશા મહાન ઋષિમુનિઓ, સંતો અને ગુરુઓની વાણીઓ પહોંચાડવાની પરંપરા ધરાવીએ છીએ.

 

ભારતમાં લાંબા સમય સુધી શ્રુતિ પરંપરા રહી છે એટલે જ્ઞાનનો પ્રસાર એક મુખેથી બીજા મુખે થયો છે. સમય બદલાયો, સ્થિતિસંજોગો બદલાયા, પણ આપણા શાશ્વત મૂલ્યો જળવાઈ રહ્યા છે.

આ પરંપરા શ્રુતિથી સ્મૃતિ સુધી પરિવર્તિત થઈ હતી.

 

શ્રુતિ, ચાર વેદો અને ઉપનિષદો આપણા ધર્મનો સ્ત્રોત છેઃ તેમાં રહેલા પવિત્ર જ્ઞાનને ભારતના મહાન ઋષિમુનિઓએ એક પછી એક પેઢીઓને આપ્યું છે.

 

શ્રુતિને પ્રસ્તુત દૈવી જ્ઞાન માનવામાં આવે છે, જેનો મૌખિક પ્રસાર થયો હતો.

સ્મૃતિ પરંપરામાં ઉપદેશાત્મક ગ્રંથોનો વર્ગ લેવામાં આવતો હતો, જેમાં વિદ્યાર્થીઓ ઉપદેશો અને અર્થઘટનોને યાદ રાખતા હતા.

 

વેદો અને ઉપનિષદોને સમજવા સામાન્ય લોકો માટે મુશ્કેલ હોવાથી તેના જ્ઞાનને વાર્તાઓ અને બોધકથાઓ મારફતે સમજાવવા, અર્થઘટન કરવા અને સ્પષ્ટ કરવા સ્મૃતિ સ્વરૂપે લખવામાં આવી હતી.

 

એટલે મહાકાવ્યો, પુરાણો અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર – આ તમામ સ્મૃતિગ્રંથો છે એ સ્પષ્ટ છે.

દરેક વ્યક્તિ સુધી તેમને અનુકૂળ હોય તેવા માધ્યમો મારફતે આ જ્ઞાન પહોંચાડવાના પ્રયાસો સમયની સાથે થયા છે.

 

સામાન્ય લોકો સુધી પહોંચવા ધર્મ કે રોજિંદી જીવનશૈલી ઊભી કરવાની, તેમને લોકોના રોજિંદી જીવનમાં વણી લેવાની જરૂર હતી.

 

ભાગવતમાં ઈશ્વરની સ્તુતિ કરતા દેવર્ષિ નારદની પ્રશંસામાં કહેવાયું છે કે

अहोदेवर्षिर्धन्योऽयंयत्कीर्तिंशांर्गधन्वन:

गायन्माद्यन्निदंतन्त्रयारमयत्यातुरंजगत्।।

 

અહો! આ દેવર્ષિ નારદજી ધન્ય છે, જેઓ વીણા વગાડતાં હરિના ગુણો ગાતા અને મસ્ત થઈને આ દુઃખી સંસારને આનંદ આપી રહ્યા છે.

 

ભક્તિ પરંપરાના સંતો લોકોને ઈશ્વરની નજીક લઈ જવા સંગીત, કવિતા, સ્થાનિક ભાષાનો ઉપયોગ કરતા હતા. તેમણે જ્ઞાતિ, જાતિ, વર્ગ, ધર્મ અને પંથના ભેદભાવોને નકારી કાઢ્યા હતા.

 

આ સંતોના સંદેશને લોકગાયકો, કથા-વાચકો, મંડળોએ આગળ વધાર્યો હતો.

કબીરના દોહા, મીરના ભજનોને ગાયકોએ ગામડેગામડે લોકપ્રિય કર્યાં છે.

ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક અને સંતો-મહાત્મા, બૌદ્ધિકોના વારસો ધરાવે છે.

 

આપણી માતૃભૂમિ સર્જકો, લેખકો, વિદ્વાનો, સંતો, મહાત્માઓ અને ઋષિમુનિઓની છે, જેમણે નિર્ભયતાપૂર્વક પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

 

જ્યારે માનવ સંસ્કૃતિના ઇતિહાસે જ્ઞાનના યુગમાં પ્રવેશ કર્યો છે, ત્યારે ભારતે મારગ ચીંધ્યો છે.

ભારત વિશે ખોટી ધારણા ઊભી કરવામાં આવી છે કે ભારતને બહારના લોકોએ શરૂ કરેલા સામજિક, રાજકીય અને આર્થિક સુધારાની જરૂર હતી.

 

હકીકતમાં આ વાત સંસ્થાનવાદને ન્યાયિક ઠરાવતી હતી.

આ પ્રકારની ધારણા કે માન્યતા સંપૂર્ણપણે ખોટી છે, કારણ કે ભારતની ભૂમિ એવી ભૂમિ છે, જ્યાં પરિવર્તનને હંમેશા આવકાર મળ્યો છે.

 

આ પરિવર્તન હંમેશા પોતાની અંદરથી શરૂ થાય છે. સમાજની કાયાપલટ કરવાનું બીડું ઝડપનાર અને આપણી સમાજની અંદર પેસી ગયેલા અનિષ્ટ તત્ત્વોને નાબૂદ કરવા જન આંદોલન કરનાર આપણા સંતો, મહાત્મા અને ઋષિમુનિઓએ હંમેશા પરિવર્તનનું નેતૃત્વ કર્યું છે.

 

આપણા સંતોએ સામાજિક સુધારા માટે દરેક અને તમામ નાગરિકોને એકબીજા સાથે જોડી દીધા હતા.

તેમણે કોઈને બાકાત રાખ્યા નહોતા.

 

એટલે જ આપણી સંસ્કૃતિ તમામ અવરોધોનો સફળતાપૂર્વક સામનો કરીને આજે પણ જીવંત છે.

જે સંસ્કૃતિઓએ પરિવર્તન ન કર્યું તેમનું અસ્તિત્વ ઇતિહાસના પાનાઓ પૂરતું મર્યાદિત થઈ ગયું છે.

 

બીજી તરફ, આપણે સદીઓથી આપણા મૂલ્યો સાથે સમાધાન કર્યા વિના સતત પરિવર્તન કરતા રહ્યા છીએ, પ્રગતિશીલ અભિગમ અપનાવતા રહ્યા છીએ.

 

કેટલીક પરંપરાઓ થોડી સદીઓ અગાઉ અસ્તિત્વ ધરાવતી હતી, પણ તે પ્રસ્તુત ન લાગતા આપણે તેનો ત્યાગ પણ કર્યો છે.

 

આપણે નવા વિચારોને હંમેશા આવકાર્યા છે.

આપણા ઇતિહાસ મારફતે આપણા સંતોએ નાની-નાની લાગતી કામગીરી કરી હતી, પણ તેની અસર મોટી હતી અને તેના પગલે આપણે ઇતિહાસનો પ્રવાહ બદલી નાંખ્યો છે.

 

સદીઓ અગાઉ કોઈ પણ પંથ લો, કોઈ પણ સંસ્કૃતિ લો, ભારતમાં તમને મહિલા સંતો જોવા મળતી હતી, જેમણે સમાજમાં જાતિની સમાનતાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

 

આ મહિલા સંતોએ શક્તિશાળી લખાણો મારફતે પોતાના વિચારો સાહસિકતાપૂર્વક વ્યક્ત કર્યા હતા.

હિંદુ ફિલસૂફીમાં આપણે સમયને અતિ મહત્વપૂર્ણ પરિબળ તરીકે સ્વીકાર્યો છે – આપણે દિક-કાલ-બાધિત છીએ – એટલે કે સમય અને સંજોગોથી બંધાયેલા છીએ.

 

સમયના સંદર્ભમાં ગુરુની ભૂમિકાને શાશ્વત મૂલ્યો ગણવામાં આવે છે – એટલે કે જેમ નદીનો પ્રવાહ પોતાની રીતે તાજો રહે છે, તેમ જ્ઞાનનો પ્રવાહ હંમેશા જીવંત અને તાજો રહે છે.

 

ધર્મગ્રંથોમાં કહેવાયું છે કેઃ

प्रेरकः सूचकश्वैव वाचको दर्शकस्तथा ।

शिक्षको बोधकश्चैव षडेते गुरवः स्मृताः ॥

 

જે તમને પ્રેરિત કરે છે, જે તમને જ્ઞાન આપે છે, જે તમને સત્યનો પરિચય કરાવે છે, જે તમને ઉપદેશ આપે છે, જે તમને યોગ્ય દિશાનું દર્શન કરાવે છે અને જાગ્રત કરે છે, એ તમામ તમારા ગુરુઓ છે.

 

આપણે બધા કેરળની કાયાપલટ કરવામાં શ્રી નારાયણ ગુરુની ભૂમિકાને યાદ કરીએ.

 

નારાયણ ગુરુ પછાત જ્ઞાતિના સંત અને સામાજિક સુધારક હતા, જેમણે જ્ઞાતિના ભેદભાવ દૂર કર્યા હતા અને સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપ્યું હતું.

 

જ્યારે શિવગિરી યાત્રાધામની શરૂઆત થઈ હતી, ત્યારે તેમણે શિક્ષણ, સ્વચ્છતા, ઈશ્વર પ્રત્યે સમર્પણ, સંસ્થા, કૃષિ, વેપાર, હસ્તકળા અને ટેકનિકલ તાલીમને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ જાહેર કર્યો હતો.

 

સમાજના વિકાસ માટે માપદંડો સ્થાપિત કરનાર શિક્ષકનું આનાથી વધારે ઉત્કૃષ્ટ ઉદાહરણ બીજું કયું હોઈ શકે?

 

આ સત્રમમાં શ્રી રામકૃષ્ણના વચનોનું ઉચ્ચારણ વિદ્વાનોને જ્ઞાન આપવા જેવું હોઈ શકે, પણ તેમની અદ્ભૂત વાણીનો ઉલ્લેખ કરતા આજે હું રહી નહીં શકું, કારણ કે તેમની વાણી અને તેમના વચનો અત્યારે તેમને વધારે પ્રસ્તુત બનાવે છે.

 

તેઓ ભક્તિ પરંપરાના સંત હતા અને કથામૃતમાં આપણે ચૈતન્ય મહાપ્રભુ – તેમની સમાધિ અવસ્થા, તેમના ગીતો, તેમની અપ્રતિમ ભક્તિ-નો ઉલ્લેખ જોઈએ છીએ.

 

પણ તેમણે ભક્તિ પરંપરાને પુનર્જીવિત કરી હતી અને તેને વધારે મજબૂત કરી હતી.

 

તેમણે આપણી એકતાને ખંડિત કરતા ધર્મ, જ્ઞાતિ-જાતિ, પંથ, સમુદાય એમ તમામ પ્રકારના ભેદભાવોને દૂર કર્યા હતા.

 

તેઓ સામાજિક સંવાદિતાના સંત હતા.

 

તેમણે સહિષ્ણુતાનો સંદેશ આપ્યો હતો, ભક્તિનો સંદેશ આપ્યો હતો તેમજ જ્ઞાની, યોગી અને ભક્ત એમ જુદાં જુદાં નામે એક દિવ્ય ઈશ્વરમાં સમર્પિત થવાનો ઉપદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “જ્ઞાનીઓ જેને બ્રહ્મ કહે છે, યોગીઓ જેને આત્મા કહે છે અને ભક્તો જેને ભગવાન કહે છે, તે છેવટે તો એક જ ઈશ્વરને આપેલી અલગ-અલગ ઉપમા છે.”

 

તેઓ તંત્રની આરાધના કરતા હતા, મુસ્લિમ જીવનશૈલી જીવતા હતા, ખ્રિસ્તી જેવું કરુણામય જીવન પણ જીવતા હતા.

 

તેઓ જાણતા હતા કે ઈશ્વર સાથે એકાકાર થવાના અનેક માર્ગો છે, પણ તેમણે ભક્તિનો માર્ગ અપનાવ્યો હતો. આ બધા માર્ગોનું લક્ષ્ય તો છેવટે એક જ છે – ઈશ્વર સાથે એકાકાર થઈ જવું.

 

તેમણે કહ્યું હતું કે, “ઈશ્વર તો એક જ છે અને તે એક સરખો છે. ફરક માત્ર તેના નામ અને સ્વરૂપમાં છે. પાણી માટે જુદી જુદી ભાષામાં જુદાં જુદાં શબ્દો છે. જેમ કે જળ, નીર, પાણી.”

 

પાણીને જર્મનમાં ‘વાસ્સીર’, ફ્રેન્ચમાં ‘ઇયુ’, ઇટાલિયનમાં ‘એક્વા’, જાપાનીઝમાં ‘મિઝુ’ કહેવાય છે.

કેરળમાં તમે તેને ‘વેલ્લમ’ કહો છો.

 

આ બધા શબ્દો એક જ વસ્તુ સૂચવે છે, ફરક માત્ર તેમના નામમાં છે.

 

તે જ રીતે ઈશ્વરને કોઈ ‘અલ્લાહ’ કહે છે, કોઈ ‘ભગવાન’ કહે છે, કોઈ ‘બ્રહ્મ’ કહે છે, કોઈ ‘કાલી’ કહે છે તો કોઈ ‘રામ’, ‘જીસસ’,‘દુર્ગા’, ‘હરી’ કહે છે.

 

તેમની વાણી, તેમના વચનો અને તેમના ઉપદેશો અત્યારે આપણા માટે વિશેષ રીતે પ્રસ્તુત છે.

જ્યારે આપણે ધર્મ, જ્ઞાતિ, જાતિ, પંથ નામે ટુકડાટુકડામાં વહેંચાઈ રહ્યા છીએ, ત્યારે પરમહંસના ઉપદેશ આપણને માનવતા અને એકતા તરફ દોરી જાય છે.

 

મહાત્મા ગાંધીએ કહ્યું હતું કેઃ રામકૃષ્ણનું જીવન આપણને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા સમર્થ બનાવે છે.

 

ઈશ્વર એકમાત્ર સત્ય છે, બાકી બધું ભ્રમ છે તેનો સ્વીકાર કર્યા વિના તેમના જીવનને કોઈ સમજી ન શકે.

 

શ્રી રામકૃષ્ણ પ્રાચીનતા અને અર્વાચીનતાને જોડતી કડી છે.

 

તેમણે દર્શાવ્યું હતું કે, આધુનિક જીવનશૈલી અપનાવીને પણ પ્રાચીન આદર્શો અને મૂલ્યોનું જતન કેવી રીતે કરી શકાશે.

 

સરળ પ્રસંગો મારફતે સહેલાઈથી સમજી શકાય તેવી વાણીમાં સરળ સંદેશ.

 

તેમની આ જ સાદગી અને સરળતાના કારણે તેમની વાણી શ્રોતાના માનસપટ પર અંકિત થઈ ગઈ હતી.

 

જો આપણને પરમહંસ જેવા ગુરુ ન મળ્યા હોત, તો સ્વામી વિવેકાનંદ જેવા શિષ્ય મળ્યા હોત?

મહાન કર્મયોગી વિવેકાનંદે તેમના ગુરુની વાણીને જ વાચા આપી હતી–

જત્ર જીવ, તત્ર શિવ – જ્યાં જીવન છે, ત્યાં શિવ છે;

અને

જીવે દયા નોય, શિવ જ્ઞાને જીવ સેવા – જીવો પ્રત્યે દયા નહીં, પણ તેમની સેવા કરવાથી શિવની પ્રાપ્તિ થાય છે. અને એટલે જ તેમણે પોતાનું સંપૂર્ણ જીવન દ્રરિદ્રનારાયણની સેવામાં સમર્પિત કરી દીધું હતું.

 

સ્વામી વિવેકાનંદે પૂછ્યું હતું કે – આપણે ઈશ્વરને ક્યાં શોધવા જોઈએ?

 

પછી તેમણે જ તેનો જવાબ આપતાં કહ્યું હતું કે – તમામ ગરીબો, દુઃખિયાઓ, નબળા લોકોમાં ઈશ્વર વાસ કરતો નથી? તો શા માટે સૌપ્રથમ તેમની સેવા ન કરવી? ચાલો, આપણે દરિદ્રનારાયણને ઈશ્વર માનીને તેની સેવા કરીએ.

 

તેમણે ભેરીનાદ કર્યો હતો કે – “અત્યારે આપણા હૃદયમાં અપ્રતિમ સાહસ અને અપૂર્વ સામર્થ્ય સાથે કર્મયોગનો દીપ પ્રકટાવવાની જરૂર છે. પછી જ આપણા દેશના લોકો જાગશે.”

 

તેમની આ વાણી, તેમના આ શબ્દો આજે પણ આપણને કર્મ કરવા પ્રેરિત કરે છે, સતત સાહસ આપે છે.

 

રામકૃષ્ણ મિશનની સેવા આ પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

 

આપણે આદિવાસી વિસ્તારો સહિત ગરીબ અને પછાત વિસ્તારોમાં મિશનને સેવા કરતા જોયું છે.

 

આપણે વિપત્તિમાં ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરતા મિશનને જોયું છે.

 

મિશન તેના સેવાકાર્યોમાં જ્ઞાતિ-જાતિ કે પંથ-સમુદાયનો ભેદભાવ રાખતું નથી.

 

તેમના માટે એક જ વાત સર્વોપરી છે – નિઃસ્વાર્થ સેવા મારફતે જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ મળવી જોઈએ.

 

મિશનની વેબસાઇટ પર આપણે એક બ્રહ્મવાક્ય મળે છે –  आत्मनो मोक्षार्थम जगत हिताय 

એટલે પોતાના આત્માના કલ્યાણ માટે અને જગતના હિતાર્થે.

 

सेवा परमो धर्म:

 पृथिवीं धर्मणा धृतां शिवां स्योनामनु चरेम विश्वहा

 (એટલે કે ધર્મ દ્વારા ધારણ કરવામાં આવેલા આ માતૃભૂમિની અમે હંમેશા સેવા કરતા રહીએ)

 मैत्री करुणा मुदितोपेक्षाणां सुख दु: पुण्यापुण्य विषयाणां वनातश्चित्तप्रासादनम्

 (આનંદમયતા, બીજાના દુઃખ જોઈને મનમાં કરુણા, બીજાનું પુણ્ય (સમાજસેવા વગેરે) જોઈને આનંદનો ભાવ તથા કોઈએ પાપકર્મ કર્યું હોય તો મનમાં ઉપેક્ષાનો ભાવ કર્યો હશે છોડો વગેરે પ્રતિક્રિયાઓ ઉત્પન્ન થવી જોઈએ)

 

આ જ્યોત આજે પણ પ્રજ્જલિત છે – આ સત્રમથી આપણા હૃદયમાં પ્રેરણાનો દીપ પ્રગટવો જોઈએ –एक दीप से जले दूसरा, जलते दीप हज़ार (એક દીપથી પ્રકટે બીજો દીપ, પ્રજ્જવલિત થાય હજારો દીપ).

 

આપણા પ્રિય શ્રી અટલબિહારી વાજપેયજીના શબ્દોને ટાંકું તોઃ

आओ फिर से दीया जलाएं

 भरी दुपहरी में अंधियारा

 सूरज परछाई से हारा

 अंतरतम का नेह निचोड़ें

 बुझी हुई बाती सुलगाएं

 आओ फिर से दीया जलाएं

 

આવો, દરેક ચીજમાં દિવ્યતાને જોવા અને અનુભવવા, આપણી જાત અને આપણા અહંકારનો ગરીબો અને નબળા લોકોની સેવા કરવા, તેમના ઉત્થાન માટે ઉપયોગ કરવા શ્રી શ્રી ઠાકુર રામકૃષ્ણની વાણી, તેમના વચનોને આપણી પ્રેરણાનું ઝરણું બનાવીએ, જેથી આપણે તમામ ધર્મોનું હાર્દ એટલે કે સત્ય શોધી શકીએ, અનુભવી શકીએ.

 

ફરી રામકૃષ્ણ પરમહંસના એ મહાન શિષ્યોના શબ્દોને યાદ કરી, જેને હું દિવાદાંડી સમાન ગણીશઃ ચાલો કાર્ય કરીએ, જે કંઈ આપણે કરીએ તેને આપણું કર્તવ્ય સમજીને કરીએ, અને આપણે હંમેશા સમાજને ઉપયોગી થવા સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્ય કરવા તૈયાર રહીએ.

પછી ચોક્કસ, આપણા દેશમાં સોનાનો સૂરજ ઉગશે!

 

ધન્યવાદ.

તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.