Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ સમિટ, 2017માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ


 

અમેરિકી સરકાર સાથે ભાગીદારીમાં ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ સમિટ, 2017નું આયોજન કરવાની અમને ખુશી છે.

 

આ સમિટ પ્રથમ વખત દક્ષિણ એશિયામાં યોજાઈ છે. સમિટ અગ્રણી રોકાણકારો, ઉદ્યોગસાહસિકો, શિક્ષાવિદો, થિંક-ટેંકનાં સભ્યો અને અન્ય સહભાગીઓને વૈશ્વિક ઉદ્યોગસાહસિકતાની ઇકોસિસ્ટમને વેગ આપવા એકમંચ પર લાવે છે.

 

આ કાર્યક્રમ સિલિકોન વેલીને હૈદરાબાદ સાથે જોડવા ઉપરાંત અમેરિકા અને ભારત વચ્ચેનાં ગાઢ સંબંધો પણ દર્શાવે છે. તે ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવાની સહિયારી કટિબદ્ધતા પણ સૂચવે છે.

 

ચાલુ વર્ષની સમિટનાં વિષયોમાં હેલ્થકેર અને લાઇફ સાયન્સ, ડિજિટલ ઇકોનોમી અને ફાઇનાન્શિયલ ટેકનોલોજી, ઊર્જા અને માળખાગત સુવિધા તેમજ મીડિયા અને મનોરંજન સામેલ છે. આ તમામ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ છે જે લોકોનાં જીવનની ગુણવત્તા અને સમૃદ્ધિ સાથે સંબંધિત છે.

 

“વિમેન ફર્સ્ટ, પ્રોસ્પેરિટી ફોર ઓલ” થીમ જીઇએસની એડિશનને વિશિષ્ટ બનાવે છે. ભારતીય પૌરાણિક દંતકથાઓમાં સ્ત્રીને શક્તિસ્વરૂપા ગણાવવામાં આવી છે. અમે અમારાં વિકાસમાં મહિલાઓનાં ઉત્થાન અને સશક્તિકરણને આવશ્યક માનીએ છીએ.

 

અમારો ઇતિહાસ પ્રતિભાશાળી અને દ્રઢ મનોબળ ધરાવતી મહિલાઓનો છે. પ્રાચીન ફિલસૂફ ગાર્ગી ઇ.સ. પૂર્વે સાતમી સદીમાં થઈ ગયા. તેમણે તત્વચિંતન પર ચર્ચા કરવા માટે પુરુષ ઋષિમુનિઓને પડકાર ફેંક્યો હતો, જે એ સમયમાં અભૂતપૂર્વ ઘટના હતી. રાણી અહિલ્યાબાઈ અને રાણી લક્ષ્મીબાઈ જેવી અમારી શૂરવીર અને લડાયક મહારાણીઓ તેમનાં રાજ્યને બચાવવા બહાદુરીપૂર્વક લડી હતી. અમારાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ મહિલાઓએ આ જ પ્રકારનાં પ્રેરક ઉદાહરણો પૂરાં પાડ્યાં હતાં.

 

ભારતીય મહિલાઓએ જીવન સાથે સંબંધિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી અને સિદ્ધિઓ મેળવવાનું ચાલુ રાખ્યું છે. માર્સ ઓર્બિટર મિશન સહિત અમારાં અંતરિક્ષ કાર્યક્રમોમાં અમારી મહિલા વિજ્ઞાનીઓનું પ્રદાન અમૂલ્ય છે. કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ બંને ભારતીય મૂળની મહિલાઓએ અમેરિકાનાં અંતરિક્ષ કાર્યક્રમોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

 

ભારતમાં ચાર સૌથી જૂની હાઈકોર્ટમાંથી ત્રણ હાઈકોર્ટમાં અત્યારે મુખ્ય ન્યાયાધીશ તરીકે મહિલાઓ છે. અમારી મહિલા રમતવીરો પર દેશને ગર્વ છે. આ હૈદરાબાદ શહેર જ સાઇના નેહવાલ, પી વી સિંધુ અને સાનિયા મિર્ઝાનું શહેર છે, જેમણે ભારત માટે અનેક ટુર્નામેન્ટમાં ચંદ્રકો જીત્યાં છે અને દેશનું ગૌરવ વધાર્યું છે.

 

ભારતમાં અમે ગ્રામીણ અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓનું 33 ટકા પ્રતિનિધિત્વ ધરાવીએ છીએ, જે પાયાનાં સ્તરે નિર્ણયો લેવામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરે છે.

 

અમારાં કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં 60 ટકાથી વધારે કામદારો મહિલાઓ છે. ગુજરાતમાં અમારી સહકારી દૂધ ડેરીઓ અને શ્રી મહિલા ઉદ્યોગ લિજ્જત પાપડ – બંને મહિલાઓ સંચાલિત સહકારી અભિયાનો અતિ સફળ પુરવાર થયાં છે અને તેમની સફળતા જગપ્રસિદ્ધ છે.

 

મિત્રો,

અહીં જીઇએસમાં 50 ટકાથી વધારે પ્રતિનિધિઓ મહિલા છે. આગામી બે દિવસમાં તમે ઘણી મહિલાઓને મળશો, જેમણે વિવિધ ક્ષેત્રોમાં સારૂ એવું કાઠું કાઢ્યું છે. અત્યારે તેઓ નવી પેઢીની મહિલા ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણાનું ઝરણું બની ગઈ છે. મને આશા છે કે સમિટમાં ચર્ચા-વિચારણાઓ મહિલા ઉદ્યોગસાહસિકોને કેવી રીતે વધુ સાથસહકાર આપી શકાય એનાં પર કેન્દ્રિત રહેશે.

 

દેવીઓ અને સજ્જનો,

ભારત સદીઓથી નવીનતા, સંશોધનો અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપે છે. પ્રાચીન ભારતીય ગ્રંથ, ચરકસંહિતાએ દુનિયાને આયુર્વેદની ભેટ આપી છે. યોગ અન્ય એક પ્રાચીન ભારતીય પદ્ધતિ છે. અત્યારે દુનિયા દર વર્ષે 21 જૂનનાં રોજ યોગ દિવસની ઉજવણી કરવા એકત્ર થાય છે. યોગ, આધ્યાત્મિકતા અને આયુર્વેદનાં પરંપરાગત ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અત્યારે ઘણાં ઉદ્યોગસાહસિકો જોડાયા છે.

 

અત્યારે આપણે બાઇનરી સિસ્ટમ આધારિત ડિજિટલ દુનિયામાં જીવીએ છીએ. આ બાઇનરી સિસ્ટમનો આધાર શૂન્ય છે, જેની શોધ ભારતનાં મહાન આર્યભટ્ટે કરી હતી. એ જ રીતે આધુનિક આર્થિક નીતિ, કરવેરાની વ્યવસ્થા અને સરકારી નાણાકીય નીતિઓમાંથી ઘણી બધી વ્યવસ્થાઓ મહાન રાજકીય-આર્થિક વિદ્વાન કૌટિલ્યએ તેમનાં પ્રસિદ્ધ ગ્રંથ અર્થશાસ્ત્રમાં જણાવી છે.

 

પ્રાચીન ભારત ધાતુવિજ્ઞાન માટે પણ પ્રસિદ્ધ છે. અમારાં ઘણાં બંદરો અને દરિયાકિનારાઓ તથા દુનિયાનું સૌથી જૂનું બંદર લોથલ ભારતનો દુનિયાનાં વિવિધ દેશો સાથે વેપાર-વાણિજ્યનાં સંબંધનો પુરાવો છે. વિદેશમાં પ્રવાસ કરતાં ભારતીય દરિયાખેડુઓની સાહસગાથાઓ ઉદ્યોગસાહસિકતા અમારાં પૂર્વજોનાં જુસ્સાનું પ્રતિબિંબ છે.

 

ઉદ્યોગસાહસિકનાં મૂળભૂત અને આવશ્યક ગુણો કયાં છે?

 

ઉદ્યોગસાહસિક લક્ષ્યાંક પાર પાડવા જ્ઞાન, માહિતી, જાણકારી અને કુશળતાનો ઉપયોગ કરે છે. તે પડકારને ઝીલે છે અને તેને પ્રગતિ કરવાની તક સ્વરૂપે જુએ છે. ઉદ્યોગસાહસિકો અંતિમ ઉપયોગકર્તાઓ માટે પ્રક્રિયાઓને વધુ સરળ અને સુવિધાજનક બનાવવાની જરૂરિયાત પૂર્ણ કરવા પ્રયાસ કરે છે. તેઓ દ્રઢ મનોબળ અને ધીરજ ધરાવે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, દરેક કાર્યને ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે – ઉપહાસ, વિરોધ અને પછી સ્વીકાર. જે લોકો પોતાનાં સમયથી આગળ વિચારે છે સમાજ તેમના વિશે ગેરસમજ ઉભી કરે છે. મોટા ભાગનાં ઉદ્યોગસાહસિકો આ બાબતથી પરિચિત હશે.

 

માનવજાતનાં ઉજ્જવળ ભવિષ્ય માટે અલગ રીતે વિચારવું અને સમયથી આગળ વિચારવું ઉદ્યોગસાહસિકોની મુખ્ય ખાસિયતો છે અને આ ગુણો જ તેમને અલગ પાડે છે. અત્યારે હું ભારતની યુવા પેઢીમાં કશું નવું કરી દેખાડવાની તાકાત જોઉં છું. હું 800 મિલિયન ઉદ્યોગસાહસિકોની સંભવિતતા જોઉં છું, જેઓ દુનિયાને જીવવા માટે વધુ સારૂ સ્થાન બનાવવા કામ કરી શકે છે અને આ કામ કરવાની ક્ષમતા તેઓ ધરાવે છે.

 

ભારતમાં વર્ષ 2018 સુધીમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા વધીને 500 મિલિયન થઈ જશે એવી ધારણા છે. આ યુઝર્સ કોઈ પણ સાહસની વૃદ્ધિ માટે પ્રચૂર સંભવિતતા પ્રસ્તુત કરે છે, ખાસ કરીને લક્ષિત વર્ગ સુધી પહોંચવા અને રોજગારીનાં સર્જન માટે.

 

અમારો સ્ટાર્ટ-અપ ઇન્ડિયા કાર્યક્રમ ઉદ્યોગસાહસિકતાને વિકસાવવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટેની વિસ્તૃત કાર્યયોજના છે. તેનો ઉદ્દેશ નીતિનિયમોનું ભારણ લઘુતમ કરવાનો છે અને સ્ટાર્ટઅપને સાથસહકાર તથા પ્રોત્સાહન આપવાનો છે. અમે 1200 જૂનાં અને નકામાં કાયદાઓ રદ કર્યા છે, 21 ક્ષેત્રોમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) આકર્ષવા માટે 87 નીતિનિયમો સરળ બનાવ્યાં છે અને કેટલીક સરકારી પ્રક્રિયાઓને હવે ઓનલાઇન કરવામાં આવી છે.

 

અમારી સરકારે દેશમાં વેપાર-વાણિજ્ય માટેનું વાતાવરણ અનુકૂળ બનાવવા માટે કેટલાંક પગલાં લીધા છે. તેનાં પરિણામે છેલ્લાં ત્રણ વર્ષમાં વિશ્વ બેંકનાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રિપોર્ટ (વેપાર-વાણિજ્ય સરળ કરવાનાં અહેવાલ)માં ભારતનો રેન્ક 142થી સુધરીને 100 થઈ ગયો છે, જે ખરેખર બહુ મોટી સફળતા છે.

 

અમે નિર્માણકાર્ય સાથે સંબંધિત વિવિધ મંજૂરીઓ, ધિરાણ મેળવવાની, લઘુમતી રોકાણકારોનું સંરક્ષણ કરવાની, કરવેરાની ચુકવણી કરવાની, કરારો લાગુ કરવાની અને નાદારીની સમસ્યાનું સમાધાન કરવાની પ્રક્રિયાઓમાં સુધારો કર્યો છે અને આ માપદંડોમાં અમારૂ સ્થાન સુધર્યું છે.

 

દેશમાં હજુ આર્થિક સુધારાની પ્રક્રિયા પૂરી થઈ નથી. આ એવું ક્ષેત્ર છે, જેમાં અમે 100માં સ્થાનથી સંતુષ્ટ નથી. અમે 50માં રેન્ક તરફ હરણફાળ ભરવા આતુર છીએ.

 

અમે ઉદ્યોગસાહસિકોને એક મિલિયન રૂપિયા સુધીની લોન સરળતાપૂર્વક પ્રદાન કરવા માટે મુદ્રા યોજના શરૂ કરી છે. આ યોજના વર્ષ 2015માં શરૂ થઈ હતી અને અત્યાર સુધી 4.28 ટ્રિલિયન રૂપિયાનું મૂલ્ય ધરાવતી 90 મિલિયન લોન મંજૂર થઈ છે. તેમાંથી 70 મિલિયનથી વધારે લોન મહિલા ઉદ્યોગસાહસિકોને મંજૂર કરવામાં આવી છે.

 

મારી સરકારે “અટલ ઇનેવેશન મિશન” લોંચ કર્યું છે. અમે બાળકો વચ્ચે નવીનતા અને ઉદ્યોગસાહસિકતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા 900થી વધારે શાળાઓમાં ટિન્કરિંગ લેબ ખોલી છે. અમારી “મેન્ટર ઇન્ડિયા” પહેલ અંતર્ગત લીડર્સ આ ટિન્કરિંગ લેબ્સ મારફતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. ઉપરાંત વિવિધ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓમાં ઇન્ક્યુબેશન કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે. આ કેન્દ્રો સ્કેલેબલ અને સ્થિર થઈ શકે તેવા નવીન સ્ટાર્ટ-અપ વ્યવસાયોને પ્રોત્સાહન આપશે.

 

અમે વિશ્વનો સૌથી મોટો બાયોમેટ્રિક આધારિત ડિજિટલ ડેટાબેઝ આધાર નામની વ્યવસ્થા ઊભી કરી છે. અત્યારે તેમાં અમારાં દેશનાં 1.15 અબજ લોકોને આવરી લેવામાં આવ્યાં છે અને દરરોજ 40 મિલિયનથી વધારે નાણાકીય વ્યવહારો ડિજિટલ માધ્યમો થકી થાય છે. અત્યારે અમે આધારનો ઉપયોગ કરીને પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (ડીબીટી) મારફતે લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો નાણાકીય લાભ ડિજિટલ માધ્યમો થકી પ્રદાન કરીએ છીએ.

 

અમારી જન ધન યોજના મારફતે 685 અબજ રૂપિયા કે 10 અબજ ડોલરથી વધારે ડિપોઝિટ સાથે લગભગ 300 મિલિયન બેંક ખાતાઓ ખુલ્યાં છે. આ ખાતાઓ અગાઉ સમાજનાં બેંકિંગની સુવિધાઓથી વંચિત વર્ગો માટે ખોલવામાં આવ્યાં છે, જેથી આ નાગરિકો ઔપચારિક નાણાકીય વ્યવસ્થામાં આવ્યાં છે. તેમાંથી 53 ટકા ખાતાઓ મહિલાઓનાં છે.

 

અમે લેસ કેશ અર્થતંત્ર તરફ મક્કમ પગલે આગળ વધી રહ્યાં છીએ અને ભીમ નામની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એપ પ્રસ્તુત કરી છે. એક વર્ષથી ઓછા સમયમાં આ પ્લેટફોર્મ પર દરરોજ લગભગ 280 હજાર વ્યવહારોનું પ્રોસેસિંગ થાય છે. અમારો દેશનાં તમામ ગામડાઓને વીજળીનાં પુરવઠા સાથે જોડવાનો કાર્યક્રમ લગભગ પૂર્ણ થઈ ગયો છે અને અમે સૌભાગ્ય યોજના પ્રસ્તુત કરી છે. આ યોજના અંતર્ગત ડિસેમ્બર, 2018નાં અંત સુધીમાં તમામ કુટુંબોને વીજળીનું જોડાણ પ્રદાન કરવામાં આવશે.

 

અમે માર્ચ, 2019 સુધીમાં તમામ ગ્રામીણ વિસ્તારોને હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પ્રદાન કરવા એક પ્રોગ્રામ શરૂ કર્યો છે.

 

અમારાં સ્વચ્છ ઊર્જા કાર્યક્રમ હેઠળ ફક્ત 3 વર્ષમાં અમે અક્ષય ઊર્જાની ક્ષમતા 30,000 મેગાવોટથી બમણી કરી આશરે 60,000 મેગાવોટ કરી છે. ગયા વર્ષે સૌર ઊર્જાનાં ઉત્પાદનમાં 80 ટકાનો વધારો થયો છે. અમે નેશનલ ગેસ ગ્રિડ વિકસાવવા કામ કરીએ છીએ. વિસ્તૃત રાષ્ટ્રીય ઊર્જા નીતિ પણ બની રહી છે.

 

અમારાં સ્વચ્છ ભારત અભિયાનથી સાફસફાઈ અને સ્વચ્છતામાં વધારો થયો છે તથા ગ્રામીણ અને શહેરી હાઉસિંગ અભિયાન અમારી ગુણવત્તાયુક્ત અને સન્માનયુક્ત જીવન તરફની કટિબદ્ધતા સૂચવે છે.

 

અમારા સાગરમાળા અને ભારતમાળા જેવા માળખાગત અને કનેક્ટિવિટી કાર્યક્રમો ઉદ્યોગસાહસિકોને રોકાણ કરવા માટે વ્યવસાયની ઘણી તકો આપે છે.

 

અમે તાજેતરમાં વર્લ્ડ ફૂડ ઇન્ડિયા પહેલ હાથ ધરી હતી, જેણે અમને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ અને કૃષિનાં વેસ્ટ સેક્ટર્સમાં ઉદ્યોગસાહસિકો સાથે જોડવામાં મદદ કરી હતી.

 

મારી સરકાર એ વાત સારી રીતે સમજે છે કે પારદર્શક નીતિઓનું વાતાવરણ અને કાયદાનું શાસન સ્પર્ધા કરવા સમાન તક પ્રદાન કરે છે, જે ઉદ્યોગસાહસિકતા ખીલવવા માટે જરૂરી છે.

 

તાજેતરમાં અમે પરોક્ષ કરવેરાની વ્યવસ્થામાં ઐતિહાસિક પરિવર્તન કર્યું છે. અમે સમગ્ર દેશમાં વસ્તુ અને સેવા કર (જીએસટી)નો અમલ કર્યો છે. અમે નાદારી અને દેવાળીયાપણું કાયદો વર્ષ 2016માં પ્રસ્તુત કર્યો છે, જે નાણાકીય તંગીમાં મૂકાયેલા ઉદ્યોગસાહસો માટે સમયસર સમાધાન સુનિશ્ચિત કરે છે. તાજેતરમાં અમે તેમાં વધુ સુધારો કર્યો છે, જેથી વિલફુલ ડિફોલ્ટરને માટે બિડિંગ કરવાથી દૂર રાખી શકાય.

 

સમાતંર અર્થતંત્રને નિયંત્રણમાં લેવા, કરવેરાની ચોરી અટકાવવા અને કાળાં નાણાંને નિયંત્રણમાં લેવા આકરાં પગલાં લેવામાં આવ્યાં છે.

 

અમારાં પ્રયાસોની મૂડીઝે કદર કરી છે અને તાજેતરમાં ભારતનાં સરકારી બોન્ડનું રેટિંગ અપગ્રેડ કર્યું છે. આ અપગ્રેડેશન લગભગ 14 વર્ષ પછી પહેલી વખત કરવામાં આવ્યું છે.

 

વિશ્વ બેંકનાં લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ સુધરીને 35 થયો છે, જે વર્ષ 2014માં 54 હતો. આ ક્રમ દેશમાંથી ઉત્પાદનોની આયાત-નિકાસની સરળતા અને અસરકારકતા સૂચવે છે.

 

અર્થતંત્રનાં વિસ્તૃત પાસાંઓની દ્રષ્ટિએ જોઈએ તો સ્થિરતા માટે રોકાણને અનુકૂળ વાતાવરણ જરૂરી છે. અમે રાજકોષીય અને ચાલુ ખાતાની ખાધને નિયંત્રણમાં રાખવામાં સફળ રહ્યાં છીએ તથા મોંઘવારીને નિયંત્રણમાં રાખી શક્યાં છીએ. અમારૂ વિદેશી હૂંડિયામણ વધીને 400 અબજ ડોલરનાં આંકડાને પાર કરી ગયું છે અને અમે મોટા પાયે વિદેશી રોકાણનો પ્રવાહ જાળવી રાખ્યો છે.

 

ભારતમાંથી મારાં યુવાન ઉદ્યોગસાહસિક મિત્રોને મારે એક વાત કહેવી છે, તમે દરેક વર્ષ 2022 સુધીમાં નવા ભારતનું નિર્માણ કરવા કંઇક મુલ્યવાન યોગદાન આપવાની ક્ષમતા ધરાવો છે. તમે ભારતની કાયાપલટ કરવા પરિવર્તનનાં વાહકો અને માધ્યમો છે.

 

સમગ્ર વિશ્વનાં મારાં ઉદ્યોગસાહસિક મિત્રોને મારે એક વાત કહેવી છે આવો, ભારતમાં તમારું સ્વાગત છે, ભારતની વિકાસગાથામાં સહભાગી થાવ, ભારતમાં રોકાણ કરો, ભારત માટે અને દુનિયા માટે રોકાણ કરો. હું તમને દરેકને ભારતની વિકાસગાથામાં જોડાવા આમંત્રણ આપું છું. એક વખત ફરી તમને હૃદયપૂર્વક સાથસહકાર આપવાની ખાતરી આપું છું.

 

મને જાણકારી આપવામાં આવી છે કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે નવેમ્બર, 2017ને નેશનલ આંત્રપ્રિન્યોરશિપ મન્થ એટલે કે રાષ્ટ્રીય ઉદ્યોગસાહસિકતા મહિનો જાહેર કર્યો હતો. અમેરિકા 21 નવેમ્બરનાં રોજ નેશનલ આંત્રપ્રિન્યોર્સ ડે (રાષ્ટ્રીય ઉદ્યોગસાહસિકતા દિવસ)ની ઉજવણી પણ કરે છે. મને ખાતરી છે કે આ સમિટ એ થીમનો પડઘો પાડશે. છેલ્લે, તમને બધાને આ સમિટ લાભદાયક, ફળદાયક પુરવાર થાય, તેમાં તમારી ચર્ચા-વિચારણાને સારૂ પરિણામ મળે એવી શુભેચ્છા સાથે મારી વાણીને વિરામ આપું છું.

 

ધન્યવાદ.

 

J.Khunt/RP