Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઘોઘા-દહેજ ફેરી સેવાના ઉદઘાટન બાદ દહેજમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેરસભાને સંબોધન

ઘોઘા-દહેજ ફેરી સેવાના ઉદઘાટન બાદ દહેજમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેરસભાને સંબોધન


તમને સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. દિવાળી અગાઉ આપણે ત્યાં વીતેલું વર્ષ કહેવામાં આવે છે અને દિવાળી પછી નવું વર્ષ કહેવાય છે. એટલે કે ગયા વર્ષે હું આવ્યો હતો અને નવા વર્ષે ફરીથી આવ્યો છું. આપણું દહેજ આમ તો એક રીતે લઘુ ભારત છે. હિન્દુસ્તાનનું કોઈ પણ રાજ્ય એવું નહિં હોય જેનો નવયુવાન અહિંનાં કામમાં, આ ક્ષેત્રમાં જોડાયેલો ન હોય. એટલે કે દહેજમાં એક રીતે હું જે વાત કરીશ તે સમગ્ર હિન્દુસ્તાને ધ્યાનમાં રાખવા જેવી છે. અને તેથી તમારા સૌની માફી માગતા આજની મારી વાત હિન્દી અને ગુજરાતીમાં સાથે મળીને કરીશ.

મારા પ્યારા ભાઇઓ અને બહેનો

 

સાથીઓ, જેવો અનુભવ ખેડૂતને પોતાના લહેરાતા પાકને જોઈને થાય છે, જેવો સુખદ અનુભવ કુંભારને સુંદર ઘડો કે માટીના વાસણ, માટીના દીવા બનાવ્યા બાદ થાય છે, જેમ કોઈ વણકરને જાજમ બનાવીને તેના મનને જે પ્રસન્નતા સાંપડે છે તેવો જ અનુભવ અત્યારે મને થઈ રહ્યો છે. એમ લાગી રહ્યું છે કે જાણે અત્યારથી થોડા સમય અગાઉ  હું સવા સો કરોડ દેશવાસીઓની ઇચ્છાઓને, તેમની ભાવનાઓને જીવીને અહીં આવ્યો છું.

ઘોઘાથી સમુદ્રના માર્ગે વીતાવેલી એક એક ઘડી હું એમ જ વિચારતો રહ્યો હતો કે સમય એક નવો ઇતિહાસ લખી રહ્યો છે, એક નવા ભવિષ્યના દરવાજા ખોલી રહ્યો છે. આ દ્વારથી ચાલીને આપણે ન્યૂ ઇન્ડિયાનો મજબૂત પાયો રચીશું, ન્યૂ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરીશું. દેશની જનશક્તિથી જ અને તેની યોગ્ય શક્તિનો ઉપયોગ કરવાનું સ્વપ્ન સરદાર પટેલથી માંડીને બાબા સાહેબ આંબેડકર સુધીના તમામે જોયું હતું. આજે આપણે તેમના સપના સાથે સંકળાયેલા એક પડાવને પાર કરી લીધો છે.

ઘોઘા-દહેજ વચ્ચેની ફેરી સેવા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં કરોડો કરોડો લોકોના જીવનને માત્ર આસાન  જ નહિં બનાવે પરંતુ તેમને વધુને વધુ નજીક લઈ આવશે.

તમે જરા વિચારો કે જે પ્રવાસમાં સાતથી આઠ કલાક લાગતા હોય અને તે પ્રવાસ આરામદાયક રીતે માત્ર સવા કલાકમાં પૂર્ણ થઈ જાય તેનાથી વધુ લાભ કયો હોઈ શકે? આપણે ત્યાં કહેવાય છે કે, સમય પૈસો છે. સમય મૂલ્યવાન હોય છે, સાતથી આઠ કલાકના માર્ગે જવાને બદલે તમે એક સવા કલાકમાં પહોંચી જાઓ. અને હવે તો જ્યોતિગ્રામ યોજના હેઠળ હીરાની ઘંટીઓ ભાવનગર અને અમરેલી જિલ્લામાં પહોંચી ગઈ છે, આપણો રત્નકલાકાર ત્યાં હીરા ઘસે, સવારે તે હીરાની પડીકી લઈને બેસે અને સીધો સુરતમાં પહોંચાડે, કાચો માલ લઈને ફરીથી પહોંચે અને પાછો આપી આવે. તમે જરા વિચારો આ એક વ્યવસ્થાને કારણે કેવી રીતે ઉદ્યોગ, ધંધો,વેપાર વિકસીત થશે તેનું તમે અનુમાન કરી શકો છો.

આ ફેરી સેવાથી આ સમગ્ર ક્ષેત્રમાં સામાજિક અને આર્થિક વિકાસની એક નવી ક્ષિતિજ ખૂલી જશે અને એક નવા યુગનો પ્રારંભ થશે. રોજગારી માટે જે નવયુવાન આ વ્યવસ્થાનો લાભ ઉઠાવશે તેના માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ થઈ જશે. સમૂદ્રી વેપાર અને સમૂદ્રી પ્રવાસનનું એક નવું પ્રકરણ પણ તેની સાથે ખૂલી જવાનું છે. ભવિષ્યમાં આપણે બધા આ ફેરી સેવાથી, અને અહીં આવેલા લોકો ધ્યાનથી સાંભળે, ભવિષ્યમાં આપણે બધા આ ફેરી સેવાથી હજીરા, પીપાવાવ, જાફરાબાદ, દમણ-દીવ, આ તમામ મહત્વપૂર્ણ સ્થાનોની સાથે ફેરી સેવા સંકળાઈ શકે છે. 

મને કહેવામાં આવ્યું છે કે, આગળ જતાં સરકારની યોજના આ ફેરી સેવાને સુરતથી આગળ લઈ જઈને હજીરા અને છેક મુંબઈ સુધી પહોંચાડવાની છે. કચ્છની ખાડીમાં પણ આ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કરવાની ચર્ચા ચાલી રહી છે. તેમણે ઘણું કામ આગળ ધપાવ્યું છે. અને હું રાજ્ય સરકારને તેમના પ્રયાસો માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ભારત સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તેની હું ખાતરી આપું છું.
સરકારનો આ પ્રયાસ દહેજ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વિકાસ માટેની સરકારની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની ગતિ વધારવા માટે દહેજ અને હજીરા જેવા કેન્દ્રો પર અમે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પેટ્રોલિયમ,  કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ રોકાણ વિસ્તારની સાથે રેલ નેટવર્ક અને માર્ગ જોડાણ પર જે કાર્ય થયું છે તેના વિશે કદાચ ભવિષ્યમાં કોઈએ વિચાર્યું પણ નહિં હોય.

હજીરામાં પણ માળખાકીય વિકાસ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આવનારા વર્ષોમાં દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરીડોરનો લાભ આ ક્ષેત્રોને મળનારો છે. ગુજરાતના મેરી ટાઇમનો વિકાસ સમગ્ર દેશ માટે ઉદાહરણીય છે. મને આશા છે કે રો-રો ફેરી સેવાનો પ્રોજેક્ટ પણ અન્ય રાજ્યો માટે મોડેલ પ્રોજેક્ટ તરીકે કામ કરનારો બની રહેશે.

અમે જે રીતે વર્ષની મહેનત બાદ આ પ્રકારના પ્રોજેક્ટમાં આવનારી મુશ્કેલીઓને સમજી, તેને દૂર કરી, એવી મુશ્કેલીઓ ઓછીમાં ઓછી આવે, ભવિષ્યમાં નવો પ્રોજેક્ટ બનાવવો હોય તો એ દિશામાં ગુજરાતે ઘણું મોટું કાર્ય કર્યું છે.

સાથીઓ, આજે નહિં પરંતુ વર્ષોથી જળ માર્ગ પરિવહનના મામલે ભારત અન્ય દેશો કરતાં ઘણું આગળ રહ્યું હતું. આપણી તકનિક અન્ય દેશો કરતાં ઘણી આગળ રહેતી હતી. પરંતુ એ પણ હકીકત છે કે ગુલામીનાં મોટા કાળખંડ દરમિયાન આપણે આપણી શ્રેષ્ઠતાઓને આપણા ઇતિહાસમાંથી શીખવાનું ઓછું કરી નાખ્યું, ભૂલવા માંડ્યા. નવા સંશોધનો ઘટવાને કારણે જે ક્ષમતા હતી તે ધીમે ધીમે ઇતિહાસનો હિસ્સો બની ગઈ. નહિતર જે દેશની નેવિગેશન સિસ્ટમની મજબૂત ક્ષમતાને સદીઓથી સમગ્ર દુનિયા માનતી હતી એ દેશમાં સ્વતંત્રતા બાદ જળ પરિવહન સંપૂર્ણપણે નજરઅંદાજ કરવામાં આવ્યું, ભુલાવી દેવામાં આવ્યું.
સાથીઓ, આજે પણ ભારતમાં માર્ગ પરિવહનનો હિસ્સો લગભગ 55 ટકા છે. રેલવે દ્વારા માલસામાનનો 35 ટકા હિસ્સો વહન કરવામાં આવે છે અને જળમાર્ગ સૌથી સસ્તો છે તો પણ તેની હિસ્સેદારી પાંચથી છ ટકા છે. જ્યારે અન્ય દેશોમાં જળમાર્ગ અને સમૂદ્રી પરિવહનની હિસ્સેદારી લગભગ લગભગ 30 ટકા કરતાં પણ વધારે રહે છે. આ જ આપણું સત્ય છે, આ જ આપણો પડકાર છે અને આ જ સ્થિતિને બદલવાનો સંકલ્પ કરીને આપણે આગળ વધવાનું છે.

તમે જાણીને આજે પરેશાન થઈ જશો કે દેશની અર્થવ્યવસ્થા ઉપર લોજિસ્ટિકનો બોજો 18 ટકા છે. એટલે કે સામાનને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવા માટે આપણે અન્ય દેશની સરખામણીએ વધારે ખર્ચ કરીએ છીએ અને તેને કારણે ગરીબોને જે ચીજની જરૂરિયાત હોય છે તે પરિવહનને કારણે મોંઘી થઈ જાય છે. જો જળ પરિવહનને ઉત્તેજન આપીને આપણે આ કિંમત અડધી કરી શકીએ અને તેમ કરવા માટે આપણી પાસે સાધન સવલત, સામર્થ્ય બધુ જ ઉપલબ્ધ છે.

 

સાથીઓ આપણા દેશમાં 7500 કિલોમીટરનો સમૂદ્રી તટ અને 14500 કિલોમીટરનો આંતરિક જળમાર્ગ છે એટલે કે નદીઓ દ્વારા ઉપલબ્ધ છે. એક રીતે માતા ભારતીએ આપણને પહેલેથી જ 21,000 કિલોમીટરના જળમાર્ગના આશીર્વાદ આપી દીધેલા છે. વર્ષો સુધી આપણે આ ખજાના ઉપર ચોકડી મારીને બેસી રહ્યા છીએ અને સમજી શક્યા નથી કે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ.

તમે એ જાણીને આશ્ચર્ય પામશો કે આપણે ત્યાં સૌ પ્રથમ પોર્ટ (બંદર) પોલીસી 1995માં ઘડાઈ હતી. દેશ આઝાદ થયો 1947માં અને બંદરોની નીતિ 1995માં કેટલો વિલંબ કરી દીધો. આ અગાઉ પોર્ટના વિકાસ માટે એક વિશાળ દ્રષ્ટિકોણ સાથે ક્યારેય કામ થયું નથી. બસ બધું ચાલી રહ્યું હતું અને એ વાત સાચી છે કે તેને કારણે દેશને અબજો-ખરબો રૂપિયાનું આર્થિક નુકસાન ભોગવવું પડયું.

તમને એક ઉદાહરણ આપું છું, જો જળમાર્ગના માધ્યમથી આપણે કોલસાને પરિવહન કરવા માગીએ છીએ તો તેનો ખર્ચ આવે છે પ્રતિટન કિલોમીટર 20 પૈસા. આ જ કોલસાને રેલવેના માધ્યમથી લઈ જવામાં આવે છે તો તેની કિંમત થઈ જાય છે સવા રૂપિયો એટેલે કે 20 પૈસાની સામે સવા રૂપિયો થઈ જાય છે. તમે વિચાર કરો કે રોડ માર્ગે જઈએ તો કેટલા ગણો ખર્ચ વધી જાય? તમે જ કહો કે આપણે સસ્તા માધ્યમથી કોલસાનું પરિવહન કરવું જોઇએ કે નહિં? તમને એ જાણીને નવાઈ લાગશે કે આજે પણ કોલસાનું વહન 90 ટકા તો રેલવેના માધ્યમથી જ થાય છે. દાયકાઓથી બનેલી આ વ્યવસ્થાને બદલવાનો અમે નિર્ણય લીધો છે. અને તેના માટે સરકાર નવી નવી પહેલ કરી રહી છે.

સાથીઓ આપણે જ્યારે નવું મકાન લઈએ છીએ તો એ જોઈએ છીએ કે એ નવા મકાનનું અન્ય ક્ષેત્રો સાથેનું જોડાણ કેવું છે, રસ્તાઓ છે કે નહિં, રેલવે છે કે નહિં, ત્યાં જવું છે તો બસ મળે છે કે નહિં. જ્યારે આપણે નવો વેપાર શરૂ કરીએ છીએ તો પણ જોઇએ છીએ કે એ વિસ્તારમાં જોડાણ છે કે નહિં. એ વિસ્તારમાં સામાન લાવવા લઈ જવામાં કોઈ મુશ્કેલી તો નહિં પડે ને ?

જો આપણું સામાન્ય વલણ આ રહેતું હોય તો પછી એક સવાલ એ પણ પેદા થાય છે કે આખરે આપણા ઉદ્યોગો સમૂદ્ર કિનારાથી દૂર કેમ સ્થાપવામાં આવ્યા? જો ઉદ્યોગનો કાચો માલ અને તૈયાર થયેલો માલ, બંદરનાં જોડાણ પર ઉપલબ્ધ છે તો એ યોગ્ય નહિં લેખાય કે સમૂદ્ર તટની નજીકમાં ઔદ્યોગિક કેન્દ્ર વિકસીત કરવામાં આવે. તેનાથી માત્ર પરિવહનની કિંમતમાં જ ઘટાડો નહિં થાય પરંતુ વેપારને સરળ બનાવવામાં પણ મદદ મળી રહેશે.

 

દેશની અંદર જરૂર હોય તો તેવા ઉદ્યોગ દેશની અંદર જ સ્થાપી શકાય છે અને સ્થાપવા જ જોઇએ પરંતુ જે ચીજ અન્ય દેશમાં મોકલવાની છે, જેની નિકાસ કરવાની છે તે જ્યારે સમૂદ્રી તટ પર થાય તો વધુ સુવિધાજનક રહે છે, વધુ નફો મળે છે.

 

સાથીઓ, પરિવહનની દુનિયામાં કહેવાય છે જો તમે આવનારા દિવસોની મુશ્કેલીઓનો આજે ઉકેલ લાવી રહ્યા છો તો તમે પહેલેથી જ ઘણો વિલંબ કરી ચૂક્યા છો. તમે વિચારો તમારી આસપાસ રસ્તાઓ ઉપર દરરોજ ટ્રાફિક જામ થયેલો હોય છે અને કોઈ નક્કી કરે કે હવે અહીં ફ્લાય ઓવર બનવાનો છે, આ ફ્લાય ઓવર જ્યારે બનીને તૈયાર થશે ત્યારે એ વિસ્તારમાં ગાડીઓની સંખ્યા વધી જાય છે કે એ ફ્લાય ઓવર પર જામ થઈ જાય છે. આપણા દેશમાં આમ જ થાય છે. અને તેથી જ પરિવહન ક્ષેત્રમાં સરકાર હાલની જરૂરિયાતની સાથે સાથે આવનારા વર્ષોની જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખીને કાર્ય કરી રહી છે. અમારો મંત્ર છે પી ફોર પી પોર્ટ ફોર પ્રોસ્પેરિટી (સમૃદ્ધિ માટે બંદરો) આપણા બંદરો સમૃદ્ધિનાં પ્રવેશદ્વાર. સાગરમાલા જેવો પ્રોજેક્ટ આ જ વિઝનની એક ઝલક છે. આ પ્રોજેક્ટ ઉપર 2035ની સાલ સુધીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમે કાર્ય કરી રહ્યા છીએ. તેને લઈને સરકાર 2035ને ધ્યાનમાં રાખીને 400થી વધારે પરિયોજનાઓ પર આજથી જ ઘણું મોટું રોકાણ કરી રહી છે.

આ અલગ અલગ પરિયોજનાઓ ઉપર આઠ લાખ કરોડથી વધારે રૂપિયાનું રોકાણ કરવાની તૈયારી છે. સાગરમલા પ્રોજેક્ટ ચોક્કસપણે ન્યૂ ઇન્ડિયાનો ઘણો મોટો આધાર હશે.

 

સાથીઓ, સમૂદ્ર મારફતે અન્ય દેશો સાથે મજબૂત સંબંધ સ્થાપિત કરવા માટે આપણને વધુ આધુનિક બંદરોની જરૂરિયાત છે. આપણા અર્થતંત્ર માટે બંદરો ફેફસાંનું કામ કરે છે. જો બંદરો બીમાર થઈ જાય, ક્ષમતા મુજબ કામ ન કરે તો આપણે ઘણો વેપાર કરી શકીશું નહિં. જે રીતે ફેફસાં દ્વારા શરીરમાં ખેંચવામાં આવેલો ઓક્સિજન  હૃદય દ્વારા પંપ કરીને નસોના માધ્યમથી અલગ અલગ સ્થાનોએ પહોંચાડવામાં આવે છે એવી જ રીતે અર્થતંત્રમાં આ ભૂમિકા રેલવે, હાઇવે, હવાઈ માર્ગ અને જળમાર્ગ દ્વારા હાથ ધરવામાં આવે છે. જો નસોમાં લોહીનો પુરવઠો ઘટી જાય, ઓક્સિજન ઘટી જાય તો શરીર નબળું પડી જાય છે. આવી જ રીતે જોડાણ યોગ્ય ન હોય તો દેશનો આર્થિક વિકાસ પણ નબળો પડવા માંડે છે.  અને તેથી જ માળખાગત સવલત અને જોડાણ બે એવા ક્ષેત્ર છે જેની ઉપર આ સરકાર વધુને વધુ શક્તિ લગાવી રહી છે.

 

સાથીઓ, એ સરકારના પ્રયાસોનું જ પરિણામ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં પોર્ટ ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવ્યું છે.અત્યાર સુધીમાં સૌથી વધુ ક્ષમતા વધારો છેલ્લા બે ત્રણ વર્ષમાં જ થયો છે. જે પોર્ટ અને સરકારી કંપનીઓ ખોટમાં ચાલી રહી હતી તેમાં પણ સ્થિતિ બદલાઈ ગઈ છે. સરકારનું ધ્યાન સમૂદ્રી સેવા સાથે સંકળાયેલા ક્ષમતા વિકાસ પર પણ છે.

 

એક અનુમાન અનુસાર એકલા સાગરમાલા પ્રોજેક્ટથી જ આવનારા સમયમાં દેશના અલગ અલગ ભાગોમાં એક કરોડથી વધુ રોજગારીની તકોની સંભાવના છે. અમે એ વલણ સાથે કામ કરી રહ્યા છીએ કે પરિવહનનું સમગ્ર માળખું આધુનિક અને એકબીજા સાથે સંકળાયેલું હોય.

આજકાલ તમે દરેક જગ્યાએ ટ્રાફિક જામ નિહાળો છો. એવી જ રીતે આપણા પોર્ટ ઉપર પણ ટ્રાફિક જામ લાગેલો હોય છે. પોર્ટ ઉપર જામ થઇ જતા વસ્તુની કિંમત વધી જાય છે. વિલંબનો સમય વધી જાય છે. જેવી રીતે આપણે ટ્રાફિકમાં ફસાઈ ગયા બાદ રાહ જોતા રહીએ છીએ, કોઈ ફળદ્રૂપ કામ થઈ શકતું નથી એવી જ  રીતે સમૂદ્રમાં જહાજ પર સામાન ચડાવવામાં અને સામાન ઉતારવામાં રાહ જોવી પડે છે. અને એ વખતે માત્ર તે વહાણ જ ઉભું રહી જતું નથી પરંતુ સમગ્ર અર્થતંત્ર થંભી જાય છે. એ જરૂરી છે કે પોર્ટનું આધુનિકીકરણ થાય, અવરોધોને દૂર કરવામાં આવે.

 

સાગરમાલા પરિયાજનાનું એક અન્ય પાસું એ પણ છે અને તે છે બ્લૂ ઇકોનોમી અગાઉ લોકો માત્ર દરિયાયી અર્થતંત્ર વિશે વાતો કરતા હતા પરંતુ અમે બ્લૂ ઇકોનોમી વિશે વાત કરીએ છીએ. બ્લૂ ઇકોનોમી એટલે ઇકોનોમી અને ઇકોલોજીનું મિશ્રણ. બ્લૂ ઇકોનોમી આર્થિક ગતિવિધીઓની સાથે સાથે સમૂદ્ર સાથે સંકળાયેલી ઇકો સિસ્ટમને પણ ઉત્તેજન આપે છે.

 

જો 18મી અને 19મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ જમીન પર થઈ તો 21મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ સમૂદ્રના માધ્યમથી થશે, બ્લૂ ઇકોનોમીના મારફતે થશે.

 

સાથીઓ, આપણી આજની જરૂરિયાત અને પડકારોને જોતાં આ અત્યંત જરૂરી છે કે, આપણે દેશની દરિયાઈ શક્તિનો વધુને વધુ ઉપયોગ કરીએ. બ્લૂ ઇકોનોમીની ક્ષમતાઓનો મોટો ઉપયોગ ન્યૂ ઇન્ડિયાનો આધાર બનશે.

 

ખાદ્ય સુરક્ષા માટે બ્લૂ ઇકોનોમીનો ઉપયોગ કરી શકાય છે. જેમકે આપણા માછીમાર ભાઈઓ દરિયાઈ જમીનની ખેતી કરે, તેમાં સુધારા વધારા કરે તો તેમની આવકમાં વધારો થાય છે. તેવી જ રીતે બ્લૂ ઇકોનોમી ઉર્જાના ક્ષેત્રમાં, ખાણના ક્ષેત્રમાં, પ્રવાસન ક્ષેત્રમાં ન્યૂ ઇન્ડિયાનો મોટો આધાર બની શકે છે.

 

સાથીઓ, આ સરકાર દેશમાં એક નવી કાર્ય સંસ્કૃતિ વિકસીત કરી રહી છે. એક એવી કાર્ય સંસ્કૃતિ જે ઉત્તરદાયી હોય, પારદર્શક હોય. આજે આ જ કાર્ય સંસ્કૃતિને કારણે યોજનાઓ પર ઝડપથી કામ થઈ રહ્યું છે. આજે દેશમાં બમણી ગતિથી રસ્તાઓ બની રહ્યા છે, બમણી ગતિથી રેલવે લાઇનો નખાઈ રહી છે.

પહેલા એક દિવસમાં જેટલા રસ્તા બનતા હતા આજે તેનાથી બમણા બને છે. પહેલા એક દિવસમાં જેટલી રેલવે લાઈન નાખવામાં આવતી હતી આજે તેનાથી બમણી નાખવામાં આવી રહી છે.

 

યોજનાઓ સમયસર પૂર્ણ કરવા માટે ડ્રોનથી લઈને સેટેલાઇટ દ્વારા મોનિટરિંગની વ્યવસ્થા થઈ રહી છે. તમને આટલો વહેલાસર પાસપોર્ટ મળી જાય છે તેની પાછળ કોઈ તો કારણ હશે. તમને આટલી આસાનીથી ગેસનું સિલિન્ડર મળી જાય છે તેની પાછળ કોઈ તો કારણ હશે. તમારે ઇનકમ ટેક્સના રિફંડ માટે હવે મહિનાઓ સુધી રાહ જોવી પડતી નથી તેની પાછળ કોઈ તો કારણ હશે. તમારા જીવનમાં આ પરિવર્તન આવી રહ્યું છે અને તેની પાછળ સૌથી મોટું કારણ છે સરકારની કાર્ય સંસ્કૃતિમાં અમે જે પરિવર્તન કર્યા છે. એક એવી કાર્ય સંસ્કૃતિ છે  જે ગરીબોનો, મધ્યમ વર્ગને, તકનિકની મદદથી તેમનો અધિકાર આપી રહી છે.

 

ગુજરાતમાં તમે મને જે શીખવ્યું છે તે અનુભવ મને દિલ્હીમાં કામ આવી રહ્યો છે. શોધી શોધીને ફાઇલો બહાર કઢાવી રહ્યો છું અને જે યોજનાઓ દાસકાઓથી અટકેલી છે તેને પૂરી કરાવી રહ્યો છું. અમે એક વ્યવસ્થા કાયમ કરી છે પ્રગતિ. તેના માધ્યમથી અત્યાર સુધીમાં નવ લાખ કરોડ રૂપિયાથી વધુની યોજનાઓની સમીક્ષા કરવામાં આવી છે. પ્રગતિમાં સમીક્ષા થયા બાદ ચાર-ચાર દાયકાઓથી અટકેલી યોજનાઓ હવે ઝડપથી પૂર્ણ થવાની દિશામાં આગળ વધી રહી છે.

 

આ સરકાર દેશમાં પ્રમાણિક અર્થવ્યવસ્થા અને પ્રમાણિક સામાજિક અર્થવ્યવસ્થા સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. નોટબંધીએ કાળા નાણાને માત્ર તિજોરીમાંથી બહાર લાવીને બેંક સુધી પહોંચાડ્યું એટલું જ નહિં પરંતુ દેશને એવા એવા પુરાવાઓ આપ્યા છે જેનાથી એક અભૂતપૂર્વ સ્વચ્છતા અભિયાન શરૂ થવું શક્ય બન્યું છે.

 

આ જ રીતે જીએસટીથી પણ દેશમાં એક નવી વેપાર સંસ્કૃતિ મળી છે. અમને ખબર છે કે પહેલા જે લોકો ટ્રક લઈને જતા હતા તેને ચેક પોસ્ટ પર કલાકો ઉભા રહેવું પડતું હતું. જીએસટીના આગમન બાદ તમામ ચેક પોસ્ટ ગયા. જે ટ્રક પાંચ દિવસમાં પહોંચતી હતી તે આજે ત્રણ દિવસમાં પહોંચે છે. સામાન લાવવા લઈ જવાનો ખર્ચ ઘટી ગયો અને હજારો રૂપિયા ચેક પોસ્ટ પર જતા હતા તેમાં પણ ભ્રષ્ટાચારને વેગ મળતો હતો. તે તમામ વસ્તુઓ જીએસટી આવવાથી બંધ થઈ ગઈ. હવે તમે જ મને કહો કે અત્યાર સુધી જે લોકોએ કોન્ટ્રાક્ટથી લૂંટ્યા હતા તેઓ મોદીથી નારાજ થશે કે નહિં?  તેમને મોદી પર ગુસ્સો આવશે કે નહિં? દેશના નાગરિકોને લાભ થવો જોઇએ કે નહિં?

 

એક એવું વેપારી વાતાવરણ જેમાં પ્રામાણિકતાથી આખો ધંધો થાય છે અને પ્રામાણિકતાના જોરે જ કમાણી થાય છે. અને મારો અનુભવ છે કે કોઈ વેપારી ચોરી કરવા માગતો નથી. પરંતુ કેટલાક કાનૂન, નિયમ, અધિકારી, રાજકારણી તેને ધક્કો મારે છે અને બિચારાને મજબૂર કરી દે છે. અમે તેઓને પ્રામાણિકતાનું વાતાવરણ આપવા માટે કામ કરી રહ્યા છીએ.

તમે જૂઓ કે જીએસટી સાથે જોડાનારા વેપારીઓની સંખ્યા સતત વધી રહી છે. જીએસટી લાગુ થયા બાદ આડકતરા ટેક્સના ક્ષેત્રમાં આવી ગયેલા 27 લાખ નાગરિકો તેમાં સંકળાઈ ગયા છે.

 

સાથીઓ, મને ખબર છે કે મુખ્ય પ્રવાહમાં પરત ફરી રહેલા કેટલાક વેપારીઓને ડર લાગી રહ્યો છે કે ક્યાંક તેમના જૂના રેકોર્ડ તો નહિં ખોલાય ને ? જે કોઈ વર્ગ પ્રામાણિકતાથી દેશના વિકાસમાં સામેલ થઈ રહ્યો છે, મુખ્ય પ્રવાહમાં આવી રહ્યો છે, તેને હું ખાતરી આપવા માંગું છું કે તેની જૂની ફાઇલ ખોલીને તેને પરેશાન કરવાનો અધિકાર કોઈ ઓફિસરને આપવામાં આવશે નહિં.

 

ભાઈઓ, બહેનો, તમામ સુધારા અને આકરા નિર્ણયો છતાં દેશની અર્થ વ્યવસ્થા યોગ્ય દિશામાં છે. તાજેતરમાં જ આવેલા આંકડા પર નજર કરીએ તો કોલસો, વિજળી, લોખંડ, કુદરતી ગેસ આ તમામમાં ઉત્પાદનમાં ઘણો વધારો થયો છે.  વિદેશી રોકાણકારો ભારતમાં વિક્રમી સંખ્યમાં રોકાણ કરી રહ્યા છે. ભારતમાં વિદેશી હુંડિયામણ અનામત 30 હજાર કરોડ ડોલરથી વધીને 40 હજાર કરોડ ડોલરનો આંક પાર કરી ગયું છે.

 

ઘણા નિષ્ણાતોએ એ બાબતે સમર્થન આપ્યું છે કે દેશની અર્થવ્યવસ્થાનાં મૂળિયા ઘણા મજબૂત છે. અમે રિફોર્મ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે અને આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે. દેશની ક્ષમતાને પણ ટકાવી રાખવામાં આવશે. રોકાણ વધારવા તથા આર્થિક વિકાસને ગતિ આપવા માટે અમે તમામ જરૂરી પગલાં ભરીશું.

સાથીઓ, આ બદલતી વ્યવસ્થાઓનો સમયગાળો છે. સંકલ્પથી સિદ્ધિનો સમયગાળો છે. આપણે બધાએ ન્યૂ ઇન્ડિયાના નિર્માણ માટે સંકલ્પ લેવો પડશે, તેને સિદ્ધ કરવું પડશે. આજે અહીં ઘોઘા-દહેજ ફેરી સેવાના માધ્યમથી ન્યૂ ઇન્ડિયાના એક નવા સાધનની શરૂઆત થઈ છે.

 

અને એક વાત પાક્કી છે કે ભાઈઓ. આ ફેરી સેવા એટલે કે હમણા આવશે અને હમણા બીજી જશે પરંતુ એ દિવસો દૂર નથી કે જ્યારે અડધા અડધા કલાકે આ ફેરી સેવા ચાલતી હશે. જેવી રીતે બસો દોડો છે ને તેવી રીતે. અને તમારે તમારી મોટર કાર લઈને જ અંદર બેસી જવાનું છે અને તેમાં જ બેસી રહેવાનું છે પછી તેમાંથી કાર લઈને હંકારી જવાનું છે. આ જ રીતે ગોવા સુધી જઈ શકશો, આ તરફ કચ્છ સુધી જઈ શકશો. આ સ્થિતિ દૂર નથી. આટલું જ નહિં આપણા સુરતી લાલા તેમના બાળકનો જન્મદિવસ મનાવવો હોય તો ફેરી સેવા બુક કરાવીને સમૂદ્રની વચ્ચે જઈને જન્મદિવસ મનાવી શકશે.

 

આવી જ રીતે ગુજરાતમાં ક્રૂઝ ટુરિઝમ પણ વધશે. બીચ ટુરિઝમ પણ વધશે. અને તેને કારણે ગરીબ માનવીને પણ રોજગારી મળશે.  આપણે ત્યાં ભાડભૂત બેરેજના કામ માટે થોડા સમય અગાઉ હું ત્યાં ગયો હતો, તેનું ખાતમૂર્હુત કરવા ગયો હતો તેને કારણે ઘણો માર્ગ કપાઈ જવાનો છે. બીજા લાભો પણ તેનો મળનારા છે. તમે કલ્પના કરી શકો છો કે આ એક વ્યવસ્થા છે અને તે વ્યવસ્થા કેવી છે. હું જ્યારે શાળામાં ભણતો હતો ત્યારથી સાંભળતો આવ્યો છું કે ઘોઘા-દહેજ ફેરી સેવા શરૂ થનારી છે. એ વખતે હું શાળામાં હતો. કેટલાય મુખ્યમંત્રી આવ્યા અને ગયા, વાતો કરતા રહ્યા, જ્યારે અમે લોકો છીએ જેમણે તમને આ કામ પૂર્ણ કરીને આપ્યું છે.

ભરૂચ, અંકલેશ્વર અને વાપીના લોકો સારી રીતે જાણે છે કે, એક એવી સરકાર દિલ્હીમાં બેઠી હતી જેણે પર્યાવરણના નામે ગુજરાતનાં સમૂદ્રી તટ પરના તમામ ઉદ્યોગોને તાળા લગાવી દીધા, લોકોને બેરોજગાર બનાવી દીધા અને તેથી જ ભાઈઓ  અને બહેનો, અમે એક પરિવર્તન લાવવાના સંકલ્પ સાથે નીકળ્યા છીએ, શું કારણ હતું કે સમગ્ર સૌરાષ્ટ્ર ખાલી થઈ ગયું હતું, કચ્છ ખાલી થઈ ગયું હતું, લોકો પોતાના ઘરબાર છઓડીને સુરત, મુંબઈ જ્યાં પણ જગ્યા મળે, ઝુંપડપટ્ટીમાં જગ્યા મળે, મજૂરી કરીને દિવસો વીતાવતા હતા. સમૂદ્ર ઘણો વિશાળ છે પરંતુ આ સમૂદ્ર તેમનો ખારો લાગ્યો. સમૂદ્ર પણ એક શક્તિ છે જેનો ઉપયોગ થઈ શકે છે પરંતુ આવા  વિઝનનો અભાવ હતો જેને કારણે કાઠીયાવાડ ખાલી થઈ રહ્યું હતું. આગામી યુગ ગુજરાતના સમૂદ્રી તટના વિકાસનો યુગ આવી રહ્યો છે. ભવિષ્યમાં ગુજરાતનાં દરિયા કાંઠે ઘણા નવા શહેર વિકસીત થનારા છે. શ્રી કૃષ્ણનાં સમયમાં દરિયા કાંઠે શહેર બન્યા હતા. ત્યાર બાદ 21મી સદીમાં શહેર, દરિયા કાંઠે શહેર, તમારી નજર સમક્ષ તમે નિહાળશો અને એ દિવસ દૂર નથી. વિકાસ આ દિશામાં થાય છે ભાઈ, અને તેથી જ વિકાસનું વ્રત લઈને નીકળેલા મારા લોકો, વિકાસના વ્રતધારી લોકો છીએ અમે. અમારે મધ્યમ વર્ગના માનવીને જેટલી ઉંચાઈ પર લઈ જવા છે તેટલી તકો અમારે તેમને આપવી છે. અમારે ગરીબોને મુસિબતમાંથી બહાર લાવવા માટે તેમનો હાથ પકડીને ચાલવાનું છે. અમારે ગુજરાતને અને હિન્દુસ્તાનને દુનિયાના વિકાસની હરોળમાં લાવવા માટે જેટલી મહેનત કરવી પડે તો તે મહેનત કરવાનો સંકલ્પ લઈને અમે નીકળ્યા છીએ. અને એ જ સંકલ્પ સાથે આપણે બધા આગળ વધીએ.

 

ફરી એક વાર ઘોઘા-હજીરા રો-રો ફેરી સેવા, આજે દહેજ કાલે હજીરા, એ દિવસ દૂર નહિં હોય અને તેનો લાભ દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રની સાથે જોડવાનો અર્થ સવારે નીકળ્યા અને સાંજે કામ પૂર્ણ કરીને પરત આવી ગયા અને કોઈને થાક લાગે નહિં એવી વ્યવસ્થા આપણને મળી છે.

 

તમને સૌને હું ફરી એક વાર ખૂબ ખૂબ શુભકામનાઓની સાથે આ સેવાનો ભરપુર લાભ ઉઠાવવા માટે આમંત્રિત કરું છું.

 

ભારત માતા કી જાય,

 

ભારત માતા કી જાય, 

 

ભારત માતા કી જાય,

 

ખૂબ ખૂબ ધન્યવાદ

 

 

NP/GP/RP