Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ચેન્નાઈમાં “તુગલકની 47મી વર્ષગાંઠ – શ્રી ચો રામાસ્વામીને શ્રદ્ધાંજલિ” સમારંભમાં પ્રધાનમંત્રીના વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધનનો મૂળ પાઠ

ચેન્નાઈમાં “તુગલકની 47મી વર્ષગાંઠ – શ્રી ચો રામાસ્વામીને શ્રદ્ધાંજલિ” સમારંભમાં પ્રધાનમંત્રીના વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધનનો મૂળ પાઠ


 

પ્રિય ડો. પહ્મ સુબ્રમન્યમ જી,

શ્રી એન રવિ,

શ્રી જી વિશ્વનાથન,

શ્રી એસ રજનીકાંત,

શ્રી ગુરુમૂર્તિ,

તુગલકના વાચકો,

સ્વ. શ્રી ચો રામાસ્વામીના પ્રશંસકો

અને તમિળનાડુના લોકો.

 

વનાક્કમ. ઇનિયા પોંગલ નલ્વઝથુક્કલ

આજે પાવન દિવસ છે અને આપણે એકત્ર થયા છીએ.

મારા તેલુગુ ભાઈઓ અને બહેનોએ ગઈ કાલે ભોગી તહેવાર ઉજવ્યો હતો.

ઉત્તર ભારતના મિત્રો, ખાસ કરીને પંજાબના મિત્રોએ લોહરીની ઉજવણી કરી હતી.

આજે મકરસંક્રાંતિ છે.

 

ગુજરાતમાં આજે આકાશમાં રંગબેરંગી પતંગોથી ઊડી રહી છે. ગુજરાતમાં મકરસંક્રાંતિને ઉત્તરાયણ પણ કહેવાય છે.

અસમના લોકો માઘ બિહુની ઉજવણી કરી રહ્યાં છે.

અને તમે તમારા તમિલનાડુમાં પોંગલ ઉજવી રહ્યાં છો.

 

પોંગલ સૂર્યનારાયણ દેવની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો તહેવાર છે, ખેતીવાડીમાં મદદ કરનાર પશુઓનો આભાર માનવાનો તહેવાર છે, જે આપણને આપણું જીવન ટકાવી રાખવા કુદરતી સંસાધનો પૂરા પાડે છે.

 

કુદરત સાથે સુમેળ આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાની તાકાત છે.

આપણે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સમગ્ર દેશમાં તહેવારનો ઉત્સાહ અને ઉમંગ જોઈએ છીએ.

તહેવારો જીવનનો ઉત્સવ છે.

તહેવારો આપણે હળીમળીને જીવવા પ્રેરિત કરે છે.

તહેવારો આપણને એકતાના તાંતણે બાંધે છે.

હું આ તમામ તહેવારો પર સમગ્ર ભારતના લોકોને શુભેચ્છા પાઠવું છું.

 

મકરસંક્રાંતિ સૂર્યનું મકર રાશિમાં સંક્રમણ છે. મોટા ભાગના લોકો માટે મકર સંક્રાંતિ એટલે શિયાળાની કડકડતી ઠંડીમાંથી મુક્તિ અને હૂંફાળા, ઉજ્જવળ દિવસો તરફ પ્રયાણ.

 

અત્યારે આપણે કેટલાંક તહેવારોની ઉજવણી લણણીના દિવસો તરીકે ઉજવીએ છીએ.

આપણા ખેડૂતો દેશના લોકોને અનાજ પૂરું પાડે છે. આપણે પ્રાર્થના કરીએ કે આ તહેવારો આપણા ખેડૂતોના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવે.

 

મિત્રો,

હું તમારી સાથે વ્યક્તિગત રીતે સામેલ થવા ઇચ્છતો હતો, પણ અનિવાર્ય સંજોગોને કારણે હું નીકળી શકું તેમ નહોતો. હું મારા પ્રિય મિત્ર શ્રી ચો રામાસ્વામીને તુગલકની 47મી વાર્ષિક જયંતિના રોજ શ્રદ્ધાંસુમન અર્પણ કરું છું.

 

ચોનું અવસાન થવાથી આપણને એક મિત્રની ખોટ પડી છે, જેમણે તેમના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિને પોતાનું અમૂલ્ય શાણપણ ઓફર કર્યું હતું.

 

હું તેમને ચાર દાયકાથી વ્યક્તિગત રીતે જાણતો હતો. તેમની વિદાય મારા માટે અંગત ખોટ સમાન છે.

 

હું મારાં જીવન દરમિયાન અનેક લોકોને મળ્યો છું, જેમાં તેઓ બહુપ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતી હસ્તીઓમાનાં એક હતા. તેઓ અભિનેતા, નિર્દેશક, પત્રકાર, સંપાદક, લેખક, નાટ્યકાર, રાજકારણી, રાજકીય વિશ્લેષક, સાંસ્કૃતિક સમીક્ષક, અતિ પ્રતિભાશાળી લેખક, ધાર્મિક અને સામાજિક ટીકાકાર, વકીલ વગેરે હતા.

 

આ તમામ ભૂમિકાઓમાં તુગલક મેગેઝિનના એડિટર તરીકે તેમની ભૂમિકા તાજના રત્ન સમાન હતી. તુગલક મેગેઝિને 47 વર્ષ દરમિયાન લોકતાંત્રિક મૂલ્યો અને રાષ્ટ્રીય હિતનું રક્ષણ કરવા માટે અગ્રણી ભૂમિકા ભજવી છે.

તુગલક અને ચોની એકબીજાના વિના કલ્પના કરવી મુશ્કેલ છે. લગભગ પાંચ દાયકા સુધી તેઓ તુગલકની જવાબદારી સંભાળતા હતા. જો કોઈ વ્યક્તિ ભારતનો રાજકીય ઇતિહાસ લખવા ઇચ્છે, તો તેઓ ચો રામાસ્વામી અને તેમની રાજકીય ટિપ્પણી વિના ન લખી શકે.

 

ચોની પ્રશંસા કરવી સરળ છે, પણ તેમને સમજવા મુશ્કેલ છે. કોઈ પણ વ્યક્તિએ ચોને સમજવા હોય, તો તેમના સાહસ, પ્રતિબદ્ધતા, રાષ્ટ્રવાદની ભાવનાને સમજવી પડશે, જે સંકુચિત માનસિકતા, સંકીર્ણ પ્રાદેશિકતા, ભાષાકીય અને અન્ય વિભાજનવાદી પરિબળોથી પર હતી.

 

તેમની મહાન સિદ્ધિ એ છે કે તેમણે તમામ ભાગલાવાદી પરિબળો સામે તુગલકને શસ્ત્ર બનાવ્યું હતું. તેઓ સ્વચ્છ અને ભ્રષ્ટાચારથી મુક્ત રાજકીય વ્યવસ્થા માટે લડતા હતા. એ સંઘર્ષમાં તેમણે ક્યારેય કોઈને છોડ્યાં નહોતા.

 

તેઓ કોઈને શેહશરમ રાખતાં નહોતા. તેમણે દાયકાઓ સાથે કામ કર્યું હતું, દાયકાઓથી તેમના મિત્રો હતો, જેઓ તેમને પોતાના માર્ગદર્શક ગણતા હતા, એ તમામનાં કાન શેહશરમ રાખ્યાં વિના આમળ્યાં હતાં.

 

તેમના સંદેશનું હાર્દ રાષ્ટ્ર હતું. આ સંદેશ તેમના લખાણોમાં, તેમણે નિર્દેશિત કરેલી ફિલ્મોમાં, નાટકોમાં અને ટેલીવિઝન ધારાવાહિકોમાં, તેમણે પટકથા લખેલી ફિલ્મોમાં પ્રતિબિંબિત થતો હતો.

 

તેઓ જે વ્યક્તિઓની ટીકા કરતાં હતાં તેમને પણ તેમનો ઉપહાસ પસંદ હતો. તેમણે આ કળા વિકસાવી નહોતી. પણ ઈશ્વરદત્ત ભેટ હતી, જેનો તેઓ જનહિતને આગળ વધારવા ઉપયોગ કરતાં હતાં. તેઓ પુસ્તક કે પુસ્તકોનું વોલ્યુમ વ્યક્ત ન કરી શકે એટલી અસરકારક રીતે એક કાર્ટૂન કે એક વાક્યમાં તેમના વિચારો વ્યક્ત કરવાની કુશળતા ધરાવતાં હતાં.

અત્યારે મને તેમનું એક કાર્ટૂન યાદ આવે છે, જેમાં મારા વિરોધીઓને મારી સામે બંદૂક તાકતા અને સામાન્ય નાગરિકોને મારી આગળ મારું રક્ષણ કરતાં ઊભા રહેલા દેખાડવામાં આવ્યાં હતાં. તેમાં ચોએ પૂછ્યું હતું કે, તમારો સાચું નિશાન કોણ છે? હું કે સામાન્ય નાગરિકો? હાલના સંદર્ભમાં પણ આ કાર્ટૂન કેટલું પ્રસ્તુત છે!

 

હું તમને ચો સાથે સંબંધિત એક પ્રસંગની યાદ અપાવું છું. એક વખત ચોથી નારાજ કેટલાંક લોકોએ ઇંડા ફેંકવાનું શરૂ કર્યું હતું. તેના પર ચોએ કહ્યું હતું કે, “ઐય્યા, જ્યારે તમે મારી ઓમલેટ બનાવી શકો છો, ત્યારે તમે મારી પર ઇંડા શા માટે ફેંકો છો.” આ જોઈને તેમની ટીકાકારો પણ હસી પડ્યાં હતાં. ચો વિપરીત સ્થિતિસંજોગોને પોતાની તરફેણમાં કરવાની કળા ધરાવતા હતા.

 

તુગલક તમામ માટે પ્લેટફોર્મ હતું. ચો પોતાના મેગેઝિનમાં તેમના વિરોધીઓના વિપરીત અભિપ્રાયો અને તેમની નિંદા કરનાર વ્યક્તિઓના વિચારોને પણ સ્થાન આપતા હતા. તેઓ જે લોકોની ટીકા કરતાં હતાં, તેમના વિચારોને પણ ચો તુગલકમાં સમાન મહત્ત્વ આપતાં હતાં. તેમણે આ રીતે મીડિયા અને જાહેર જીવનમાં લોકતાંત્રિક મૂલ્યનો પ્રોત્સાહન આપ્યું હતું.

 

મારા મત મુજબ, તેમના વિચારો અને તેમનું પ્રદાન તમિલ પરિવેશ અને તમિલ લોકો પૂરતું મર્યાદિત નહોતું. તેમણે ભારતમાં વિવિધ સમાજમાં ઉત્સાહી પત્રકારો અને રાજકારણીઓને પ્રેરિત કર્યા હતા.

 

આપણે બધા જાણીએ છીએ કે તુગલક મેગેઝિન ફક્ત રાજકીય ટિપ્પણી નહોતું. તે તમિલ પ્રજાની આંખ અને કાન હતું. તુગલક મારફતે ચો પ્રજા અને શાસક વચ્ચે કડી સમાન હતા.

 

મને ખુશી છે કે ચોએ પ્રશસ્ત કરેલ હેતુલક્ષી પત્રકારત્વની સફર તુગલક જાળવી રાખશે. હવે જે લોકોના શિરે તુગલકની જવાબદારી છે, તેમના ખભા પર બહુ મોટી જવાબદારી છે. ચોના વિઝન અને પ્રતિબદ્ધતાના માર્ગે ચાલવું મોટો પડકાર હશે. આ વિઝનને વળગી રહીને તમે તમિલનાડુની પ્રજાની મોટી સેવા કરશો.

 

હું શ્રી ગુરુમૂર્તિ અને તેમની ટીમને આ પ્રયાસ બદલ શુભેચ્છા પાઠવું છું. હું ગુરુમૂર્તિ જીથી પરિચિત છું. મને ખાતરી છે કે તેમને સફળતા મળશે.

 

ચો ઉપહાસ, રમૂજની કળામાં પારંગત હતા અને તેમને વક્રોક્તિમાં અતિરેક કરવાની જરૂર નહોતી.

 

મારું માનવું છે કે આપણે વધારે ઉપહાસ અને રમૂજની જરૂર છે. રમૂજ આપણા જીવનમાં ખુશીઓ લાવે છે. રમૂજ અને હાસ્ય સ્વાસ્થ્ય જાળવે છે.

 

કોઈની ટીકા કરવી કે અન્ય કોઈ પણ શસ્ત્ર કરતાં વધારે શક્તિ હાસ્ય કે રમૂજમાં છે. ઉપહાસ આપણને તોડવાને બદલે જોડે છે.

 

આપણે આજે લોકોને જોડવાની જરૂર છે. લોકો વચ્ચે, સમુદાયો વચ્ચે, સમુદાયો વચ્ચે સેતુની જરૂર છે.

 

ઉપહાસ મનુષ્યની રચનાત્મકતા બહાર લાવે છે. આપણે એવા યુગમાં રહીએ છીએ, જ્યાં એક ભાષણ કે એક પ્રસંગ અનેક સ્તરે અસર પેદા કરી શકે છે.

 

મિત્રો,

 

હું અગાઉ ચેન્નાઈમાં તુગલકના વાર્ષિક વાચક મેળામાં સહભાગી થયો છું.

 

તમે આ કાર્યક્રમમાં શ્રી ચોના અવાજમાં શ્રીમદ્ ભગવદગીતાના શ્લોકો વગાડવાની પરંપરા ધરાવો છો. હું મારી વાણીને શ્રી ચોના સન્માનમાં એક શ્લોક સાથે વિરામ આપીશઃ

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि।

तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही।

 

(આત્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતો નથી. પણ એક શરીરમાંથી બીજી શરીરમાં વાસ કરે છે.)

 

ચાલો આપણે બધા મળીને ચોએ જે જે ક્ષેત્રોમાં પ્રદાન કર્યું છે, એ બદલ તેમનો આભાર માનીએ. આપણે બધા તેમનો એક અને એકમાત્ર મહાન ચો રામાસ્વામી હોવા બદલ આભાર માનીએ.