Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

દ્વિતિય આયુર્વેદ દિવસ નિમિત્તે અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન દેશને અપર્ણ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

દ્વિતિય આયુર્વેદ દિવસ નિમિત્તે અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન દેશને અપર્ણ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

દ્વિતિય આયુર્વેદ દિવસ નિમિત્તે અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન દેશને અપર્ણ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

દ્વિતિય આયુર્વેદ દિવસ નિમિત્તે અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન દેશને અપર્ણ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ


અહીં ઉપસ્થિત તમામ આયુર્વેદ પ્રેમી મહાનુભવો.

 

ધન્વંતરી જયંતી અને આયુર્વેદ દિવસની આપ સૌને અને સમગ્ર દેશને ખુબ ખુબ શુભેચ્છાઓ.

 

એક રીતે જોઈએ તો વિધિવત રીતે દિવાળીનો તહેવાર પણ શરૂ થઇ જાય છે. હું દેશવાસીઓને અને વિશ્વમાં ફેલાયેલા તમામ ભારતીય સમુદાયને દિવાળીના પાવન પર્વની ખુબ ખુબ શુભકામનાઓ આપું છું.

 

મને જણાવવામાં આવ્યું છે કે દેશની ઘણી બધી આયુર્વેદિક કોલેજો ટેકનોલોજીના માધ્યમથી આ કાર્યક્રમ સાથે જોડાયેલી છે તે સૌનું પણ હું સ્વાગત કરૂં છું. દેશના પ્રથમ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન માટે પણ આપ સૌને ખુબ ખુબ અભિનંદન આપું છું, ખુબ ખુબ શુભકામનાઓ આપું છું.

 

ધન્વંતરી જયંતીને આયુર્વેદ દિવસના રૂપમાં ઉજવવા બદલ અને આ સંસ્થાનની સ્થાપના માટે આયુષ મંત્રાલયને અને તેની સાથે જોડાયેલા બધા જ મહાનુભવોને હું હૃદયપૂર્વક ખુબ ખુબ સાધુવાદ આપું છું.

 

સાથીઓ, કોઈ પણ દેશ વિકાસની ગમે તેટલી ચેષ્ટા કરે, ગમે તેટલો પ્રયત્ન કરે, પરંતુ તે ત્યાં સુધી આગળ નથી વધી શકતો જ્યાં સુધી તે પોતાના ઈતિહાસ, પોતાની વિરાસત, પોતાની સંસ્કૃતિ, પોતાની ઉજ્જવળ પરંપરાઓ પ્રત્યે તે ગર્વ કરતા નથી શીખતો. પોતાની વિરાસતને છોડીને આગળ વધવાવાળા દેશોની ઓળખ સમાપ્ત થઇ જવાનું નિશ્ચિત હોય છે.

 

સાથીઓ, જો આપણા દેશનો ઈતિહાસ જોઈએ, તો આપણને જોવા મળશે કે તે સમય એટલો સમૃદ્ધશાળી હતો, શક્તિશાળી હતો કે જયારે બાકી દુનિયાએ એના વિષયમાં જાણ્યું, સમજ્યું, જોયું તો સમજાઈ ગયું કે જ્ઞાન અને બુદ્ધિમત્તાથી મુકાબલો અશક્ય છે. અને એટલા માટે ઈતિહાસ કહે છે કે તેઓએ જુદો રસ્તો અપનાવ્યો. આપણી પાસે જે શ્રેષ્ઠ છે, તેનો વિનાશ કરવો એ રસ્તો તેમને કદાચ વધારે યોગ્ય લાગ્યો. પોતાની રેખા લાંબી કરવાને બદલે આપણી રેખા નાની કરવા માટે બધી તાકાત એક થઇ.

 

અને ગુલામીના કાળખંડમાં આપણી ઋષિ પરંપરા, આપણા આચાર્યો, આપણા ખેડૂતો, આપણા વૈજ્ઞાનિકો, આપણું જ્ઞાન, આપણો યોગ, આપણું આયુર્વેદ, આ બધાની શક્તિનો અનાદર કરવામાં આવ્યો, તેને નિર્બળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ત્યાં સુધી કે તે શક્તિઓ ઉપર જ આપણા લોકોની શ્રદ્ધા ઓછી થવા લાગી.

 

જયારે ગુલામીમાંથી મુક્તિ મળી તો એક આશા હતી કે જે બચી શક્યું છે, તેને સંરક્ષિત કરવામાં આવે, સમયને અનુરૂપ પરિવર્તન કરવામાં આવે, પરંતુ તે પણ દુર્ભાગ્યવશ પ્રાથમિકતા ન બની શકી. જે હતું તેને પોતાના હાલ પર છોડી દેવામાં આવ્યું.

 

આપણી શક્તિઓને ગુલામીના કાળખંડમાં નષ્ટ કરવાનો પ્રયાસ થયો અને આઝાદી પછી એક લાંબો સમયગાળો એવો આવ્યો જયારે આ શક્તિઓને ભૂલવા માટેના પ્રયત્નો બંધ ન થયા. એક રીતે જોઈએ તો પોતાની જ વિરાસતથી મોઢું ફેરવી લેવામાં આવ્યું. આ જ કારણોના લીધે આવી તમામ જાણકારીઓની પેટન્ટ બીજા દેશો પાસે જતી રહી જેને આપણે એક સમયે દાદીમાંના નુસખા તરીકે દરેક ઘરમાં ઉપયોગમાં લેતા હતા.

 

તે આજે કોઈ બીજાની બુદ્ધીમય સંપત્તિનો અધિકાર બની ગઇ. આજે મને ગર્વ છે કે પાછલા ત્રણ વર્ષોમાં આ સ્થિતિને ઘણી હદે બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે આપણી વિરાસત છે, જે શ્રેષ્ઠ છે, તેની પ્રતિષ્ઠા જન જનના મનમાં આજે ફરીથી સ્થાપિત થવાનું શરૂ થયું છે.

 

આજે જયારે આપણે સૌ આયુર્વેદ દિવસ પર એકત્રિત થયા છીએ, અથવા જયારે 21મી જુને લાખોની સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળીને સામુહિક રૂપે યોગ દિવસ ઉજવે છે, તો પોતાની વિરાસતના આ જ ગર્વથી ભરેલા હોય છે. જયારે જુદા જુદા દેશોમાં એ દિવસે લાખો લોકો યોગ કરે છે, તો તે તસવીરોને જોઇને લાગે છે કે હા, લાખો લોકોને જોડનારો આ યોગ ભારતની વિરાસત છે. માનવ જાતિની વિરાસત, અને દરેક યુગમાં પ્રત્યેક સમયે, દરેક ભૂ-ભાગના લોકોએ તેમાં કઈક ને કઈક યોગદાન આપ્યું છે, કઈક ને કઈક નવું જોડ્યું છે. જે યોગ ભારતની વિરાસત બનીને રહ્યો, તે હવે વિસ્તૃત બનતા બનતા સમગ્ર માનવ જાતિની વિરાસત બની રહ્યો છે.

 

આ બદલાવ માત્ર ત્રણ વર્ષોની દેન છે અને નિશ્ચિતપણે તેમાં આયુષ મંત્રાલયની પણ ઘણી મોટી ભૂમિકા છે.

 

સાથીઓ, આયુર્વેદ માત્ર એક ચિકિત્સા પદ્ધતિ નથી. સામાજિક સ્વાસ્થ્ય, સાર્વજનિક સ્વાસ્થ્ય, પર્યાવરણ સ્વાસ્થ્ય જેવા અનેક વિષયો પણ તેની સીમા રેખામાં આવે છે. આ જ જરૂરિયાતને સમજીને આ સરકાર આયુર્વેદ, યોગ અને અન્ય આયુષ પદ્ધતિઓને સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવસ્થા સાથેનાં સંકલન પર ભાર મૂકી રહી છે. આયુષને સરકારે પોતાનાં ચાર પ્રાથમિક ક્ષેત્રોમાં રાખ્યું છે. એક અલગ મંત્રાલય બનાવવાની સાથે સાથે અમે રાષ્ટ્રીય આરોગ્ય નીતિનું નિર્માણ કરતી વખતે, સ્વાસ્થ્ય સેવાઓ અને આયુષ પદ્ધતિના સંકલન માટે વ્યાપક નિયમો બનાવ્યા છે, માર્ગદર્શિકાઓ આપી છે.

 

સાથીઓ, સરકાર એવું માનીને અને એવું નક્કી કરીને ચાલી રહી છે કે આયુષનું સ્વાસ્થ્ય સેવામાં સંકલન પહેલાની જેમ માત્ર ફાઈલો સુધી સીમિત ન રહેતા તેને જમીન સુધી ઉતારવામાં આવશે. તે દિશામાં આયુષ મંત્રાલય તરફથી અનેક પ્રકારના ઉપક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય આયુષ મિશનનો પ્રારંભ કરવો, સ્વાસ્થ્ય રક્ષણ કાર્યક્રમ ચલાવવો, મિશન મધુમેહ, આયુષ ગ્રામની પરિકલ્પના એ તમામ વિષયો છે, જેના વિષે હમણાં અહિયાં શ્રીમાન શ્રીપાદ નાઈકજીએ ચર્ચા કરી છે.

 

સાથીઓ, આયુર્વેદના વિસ્તરણ માટે એ ખુબ જ જરૂરી છે કે દેશના દરેક જીલ્લામાં આયુર્વેદ સાથે જોડાયેલ સારું, બધી જ સુવિધાઓયુક્ત દવાખાનું જરૂરથી હોય. તે દિશામાં આયુષ મંત્રાલય તીવ્ર ગતિએ કામ કરી રહ્યું છે અને ત્રણ વર્ષમાં જ 65થી વધુ આયુષ દવાખાના વિકસિત કરી દેવામાં આવ્યા છે.

 

આજે દિલ્હીમાં એમ્સની જ રાહ પર, એમ્સની જ જેમ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનનું ઉદ્ઘાટન પણ આ જ કડીનો એક ભાગ છે. હમણાં પ્રારંભિક રીતે તેમાં દરરોજ સાડા સાતસોથી વધુ દર્દીઓ આવી રહ્યા છે. આવનારા દિવસોમાં દર્દીઓની સંખ્યા બમણી થવાનું અનુમાન છે. આ એક એવા કાર્યક્રમનું ઉદ્ઘાટન છે. સામાન્ય રીતે કાર્યક્રમોમાં કહેવામાં આવે છે કે તમારૂ કામ વધે પરંતુ આ કાર્યક્રમમાં હું એવું નથી કહેવા માંગતો કે દર્દીઓની સંખ્યા વધે અને એટલા માટે મારી શુભકામના એવી છે કે આરોગ્યનું એક એવું વાતાવરણ બને કે લોકોને અહિયાં સુધી આવવાની નોબત જ ના આવે. આ સંસ્થાનને આધુનિક માળખાકિય સુવિધાઓથી યુક્ત બનાવવામાં આવી છે, જેની મદદથી અનેક ગંભીર બીમારીઓના આયુર્વેદ ઉપચારમાં પણ સારી એવી મદદ મળશે. મને ખુશી છે કે આજે આયુર્વેદ સંસ્થાનની સ્થાપનાથી આયુર્વેદની વિદ્યા, આયુર્વેદની જ્ઞાન સંપદાને ફરીથી એકવાર પુનઃબળ મળી રહ્યું છે. એક નવી ઉર્જા મળી રહી છે.

 

એ પણ ખુબ આશાજનક સ્થિતિ છે કે આ આયુર્વેદિક સંસ્થાન એમ્સ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ અને કેટલીક અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મળીને કામ કરશે. મને આશા છે કે આ રસ્તા ઉપર ચાલીને અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન આંતરિક શિસ્ત અને સંકલિત આરોગ્ય પ્રેક્ટીસનું મુખ્ય કેન્દ્ર બનશે.

 

સાથીઓ, આયુર્વેદના ગુણોની લાંબી યાદી છે. દુનિયા હવે માત્ર હેલ્ધી જ નથી રહેવા માંગતી, હવે તેને વેલનેસ પણ જોઈએ છે અને આ વસ્તુ તેને આયુર્વેદ અને યોગથી મળી શકે છે. આજે વિશ્વના તમામ દેશોમાં બેક ટુ ધ બેઝીક્સ, બેક ટુ ધ નેચર અર્થાત ‘પુનઃ પ્રકૃતિ તરફ’ એ ભાવ પ્રબળ બની રહ્યો છે. તેની તરફ લોકોનો ઝુકાવ વધી રહ્યો છે. એવી પદ્ધતિઓ તરફ, જે સીધી પ્રકૃતિની સાથે જોડી દે, તેની તરફ લોકોનું આકર્ષણ ઉત્પન્ન થઇ રહ્યું છે. એવામાં આયુર્વેદ માટે અનુકુળ વાતાવરણ ઉત્પન્ન થવું જરા પણ અઘરું નથી. બસ આપણે આજની જરૂરિયાતોમાં આયુર્વેદની ઉપયોગીતાને વધુમાં વધુ વધારવી પડશે.

 

શું ખરેખર આજે જે આયુર્વેદ ભણીને નીકળે છે, તેમાં કેટલા ટકા છે, જેમની સો ટકા શ્રદ્ધા આ વિજ્ઞાન પર સમર્પિત છે. તમે જુઓ જેવો તે દવાખાનું ખોલે છે, ઓપીડી શરુ કરે છે. દર્દી કહે છે જરા જલ્દી સાજા થઇ જઈએ તો સારૂ. મજુરી પર જવું છે, કામ કરવા પણ જવું છે. પરિવારમાં તકલીફ પડી રહી છે, તો આયુર્વેદ ડોક્ટરને પણ લાગે છે સારૂ થશે કે ગોળી તો એલોપથીની જ આપી દઇએ. ઇન્જેક્શન લગાવી દઇએ. બહાર બોર્ડ તો માર્યું છે આયુર્વેદનું, પરંતુ અંદર સો ટકા સમર્પણ ભાવ નથી. આયુર્વેદની ફરી એકવાર વિશ્વમાં સ્વીકૃતિ વધારવાની પ્રથમ જરૂરિયાત એ છે કે આયુર્વેદમાં ભણેલા ગણેલા નવયુવાનોનું સો ટકા સમર્પણ હોવું જોઈએ. જો આપણને જ આપણા પર ભરોસો નથી, નાનપણમાં જોક્સ સાંભળતા હતા કે એક માણસે પોતાનો ઢાબો ખોલ્યો અને જયારે તેને ત્યાં એક માણસ જમવા ગયો તો માલિક મળ્યો નહિ. નોકરને તે માણસે પૂછ્યું કે માલિક ક્યાં છે? તો તેણે કહ્યું કે તેઓ તો સામેની હોટલમાં જમવા ગયા છે.

 

એવામાં કોણ તેને ત્યાં જમશે અને એટલા માટે મિત્રો આજે જરૂર એ બાબતની પણ છે કે આયુર્વેદ સાથે જોડાયેલ વિશેષજ્ઞો આયુર્વેદની સેવાઓનો વિસ્તાર કરે. એમણે એવા ક્ષેત્રો વિષે પણ વિચારવું પડશે, જ્યાં આયુર્વેદ હજુ વધારે પ્રભાવશાળી બની શકે છે. એવું જ એક ક્ષેત્ર છે- રમતોનું. તમે જોયું હશે કે હમણાંના કેટલાક વર્ષોમાં ફીઝીયોથેરાપી કરવાવાળા ડોકટરોની ભૂમિકા કેટલી બધી વધી ગઈ છે. મોટા મોટા રમતવીરો પોતાના અંગત ફીઝીયોથેરાપીસ્ટ રાખે છે. મોટા મોટા ખેલાડીઓ જાણે અજાણે દુઃખાવાની દવાઓમાં ફસાઈ જાય છે. તમને મને આપણને સૌને જાણ છે કે આયુર્વેદ અને યોગ એ વિષયમાં વધુ પ્રભાવશાળી બની શકે તેમ છે. આયુર્વેદ અને યોગ આધારિત ફિઝીયોથેરાપીમાં કોઈ પણ પ્રકારની પ્રતિબંધિત દવા કે ભૂલથી તેને લેવા અંગેનું કોઈ જોખમ નથી રહેતું.

 

રમતોની જેમ જ આપણા સુરક્ષા દળોની માટે પણ યોગ અને આયુર્વેદ ઘણું મહત્વપૂર્ણ છે. આપણા જવાનો ખુબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં દેશની રક્ષા કરે છે. ક્યારેક પોસ્ટીંગ પહાડો ઉપર થાય છે, તો ક્યારેક રણપ્રદેશમાં, તો ક્યારેક સમુદ્રની વચ્ચે, તો ક્યારેક ગીચ જંગલોમાં. જુદી જુદી ઋતુ, જુદો જુદો માહોલ જુદી જુદી પરિસ્થિતિઓ. એવામાં આયુર્વેદ અને યોગ તેમને કેટલીય બીમારીઓથી બચાવીને રાખી શકે છે. માનસિક તાણને દુર કરી શકે છે. એકાગ્રતા વધારવામાં ઉપયોગી થઇ શકે છે, રોગપ્રતિકારક શક્તિને મજબુત કરવામાં યોગ અને આયુર્વેદ ખુબ જ કારગત સાબિત થઇ શકે છે.

 

ગુણવત્તાયુક્ત આયુર્વેદિક શિક્ષા ઉપર પણ ઘણું ધ્યાન આપવાની જરૂર છે. તેના બદલે તેનો અવકાશ વધારવો જોઈએ. જેમ કે પંચકર્મ થેરાપીસ્ટ, આયુર્વેદિક ડાયેટીશિયન, પરાકૃતિ એનાલીસ્ટ, આયુર્વેદ ફાર્માસિસ્ટ, આયુર્વેદની સમગ્ર સપોર્ટીંગ ચેઈનને પણ વિકસિત કરવી જોઈએ.

 

તેના સિવાય મારી એક સલાહ બીજી પણ છે કે આયુર્વેદિક શિક્ષામાં કરવામાં આવી રહેલા જુદા જુદા કોર્સને જુદા જુદા સ્તર પર એક વાર ફરીથી તેમને રીરૂટ કરવાની મને જરૂર લાગે છે. જયારે કોઈ વિદ્યાર્થી બેચલર ઓફ આયુર્વેદ, મેડિસીન એન્ડ સર્જરી – બીએએમએસનો કોર્સ કરે છે, તો પ્રાકૃતિક, આયુર્વેદિક આહાર વિહાર, આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ વિષે ભણે જ છે. પાંચ સાડા પાંચ વર્ષ ભણ્યા પછી તેને ડીગ્રી મળે છે અને પછી તે પોતાની પ્રેક્ટીસ કે નોકરી કે પછી અન્ય ઉચ્ચ ભણતર માટે પ્રયત્ન કરે છે.

 

સાથીઓ, શું એ શક્ય છે કે બીએએમએસના કોર્સને એ રીતે ઘડવામાં આવે કે પ્રત્યેક પરીક્ષા પાસ કર્યા પછી વિદ્યાર્થીને કોઈ ને કોઈ પ્રમાણપત્ર મળે. તેમ થવાથી બે ફાયદા થશે. જે વિદ્યાર્થી આગળના ભણતર સાથે પોતાની પ્રેક્ટીસ શરુ કરવા માંગતા હોય, તેમને સહાયતા મળશે અને જે વિદ્યાર્થીઓનો અભ્યાસ કોઈ કારણવશ વચ્ચે જ અધુરો રહીને છૂટી જાય, તો તેમની પાસે પણ આયુર્વેદના કોઈ ને કોઈ સ્તરનું પ્રમાણપત્ર હશે. જે તેને તેના જીવનમાં કામ આવશે, એટલું જ નહી, જે વિદ્યાર્થીઓ પાંચ વર્ષનો સંપૂર્ણ કોર્સ કરીને નીકળશે, તેમની પાસે પણ રોજગારના વધુ સારા અવસરો હશે.

 

હમણાં શ્રીપાદ નાઈકજીએ સ્પોલ્ડીંગ રીહેબ હોસ્પિટલ અને હાવર્ડ મેડીકલ સ્કુલની સાથે જોડાણની વાતનો ઉલ્લેખ કર્યો હતો. મને એ જાણીને ખુબ જ ખુશી થઇ અને હું બંને પક્ષોને ખુબ ખુબ અભિનંદન આપું છું. મને આશા છે કે આ જોડાણથી સ્પોર્ટ્સ મેડિસીન, રિહેબિલિટેશન મેડિસીન, દર્દના નિવારણમાં આયુર્વેદિક ઉપચારની સંભાવનાઓને શોધવામાં જરૂરથી મદદ મળશે.

 

ભાઈઓ બહેનો, મેં હમણાં થોડી વાર પહેલા જ આયુર્વેદ વડે ઈલાજ માટે પ્રમાણભૂત માર્ગદર્શિકા અને પ્રમાણભૂત ટર્મિનોલોજી પોર્ટલનું લોકાર્પણ કર્યું છે. આ બંને પહેલોથી મોટી માત્રામાં માહિતી એકત્રિત જેનો ઉપયોગ આયુર્વેદને આધુનિક રીત રીવાજો અનુસાર વૈજ્ઞાનિક માન્યતા અપાવવામાં થઇ શકે તેમ છે. અને મને લાગે છે કે આ પહેલ આયુષ વિજ્ઞાન ક્ષેત્રમાં સીમાચિન્હરૂપ સાબિત થશે. તેની મદદથી આયુર્વેદની વૈશ્વિક સ્વીકૃતિ પણ વધશે.

 

આયુર્વેદમાં પ્રમાણભૂત માર્ગદર્શિકા અને પ્રમાણભૂત ટર્મિનોલોજીનું હોવું એટલા માટે જરૂરી છે કારણ કે તેના ના હોવાના કારણે એલોપથીની દુનિયા અને તેની પ્રક્રિયા સરળતાથી આયુર્વેદ પર હાવી થઇ જતી હતી. આપણા દેશમાં પણ જુદા જુદા ભાગોમાં એક જ બીમારીનું જુદા જુદા શબ્દોમાં વર્ણન કરવામાં આવતું હતું. તેની માટે જે ઉપચાર હોય છે, ઉપચાર તે જ છે, પણ વર્ણન જુદું છે. અને આ રીતે દુનિયામાં પણ આપણે એક સાચી રીતે વસ્તુઓને પહોંચાડી નથી શકતા. જો આપણે મળીને આ દિશામાં આ જે પોર્ટલ બનાવ્યું છે, તે ખાસ્સું ઉપયોગી સાબિત થઇ શકે છે. એક સમયમાં ભારત સરકારના એક કમીશને પણ પોતાના રીપોર્ટમાં સ્પષ્ટ કહ્યું હતું કે આપણે ત્યાં આયુર્વેદ લોકોના ઘરોથી દુર છે કારણ કે તેની પદ્ધતિ આજના સમયને અનુકુળ નથી.

 

અને એટલા માટે એક બાજુ એલોપથી દવાઓ છે, જેને ફટથી ખોલી અને ખાઈ લીધી. ત્યાં જ બીજી બાજુ આયુર્વેદ એટલે માત ખાઈ રહ્યું છે કારણકે દવા બનાવવાની પ્રક્રિયા એટલી લાંબી છે કે સામાન્ય વ્યક્તિ વિચારે છે કોણ આટલો સમય બરબાદ કરશે. ફાસ્ટ ફૂડના આ સમયમાં આયુર્વેદિક દવાઓની જૂની સ્ટાઇલના પેકિંગથી કામ નહી ચાલે. જેમ જેમ આયુર્વેદિક દવાઓનું પેકિંગ આધુનિક થતું જશે, ઈલાજની પ્રક્રિયાઓની પ્રમાણભૂતતા નિશ્ચિત થશે, ટર્મિનોલોજી સામાન્ય બની જશે, તમે જોજો કેટલી ઝડપથી ફરક આવવા લાગશે.

 

આજના યુગમાં લોકો તાત્કાલિક પરિણામ ઈચ્છે છે. તાત્કાલિક અસર થાય છે તો લોકો સાઈડ ઈફેક્ટની ચિંતા નથી કરતા. એ વિચારધારા ખોટી છે, પરંતુ એ જ ચારે બાજુ જોવા પણ મળે છે. અને એટલા માટે આયુર્વેદના જાણકારોએ અસર એટલેકે તાત્કાલિક પરિણામ આપનારી અને છતાં પણ સાઈડ ઈફેક્ટસથી બચાવનારી દવાઓ પર સંશોધન કરવું એ સમયની માંગ છે, એવી ઔષધીઓ વિષે આપણે વિચારીએ અને તેનું નિર્માણ પણ કરીએ.

 

ભાઈઓ અને બહેનો, મને જણાવવામાં આવ્યું છે કે આયુષ મંત્રાલય હેઠળ 600થી વધુ આયુર્વેદિક દવાઓના ફાર્મસી માનાંકોને જાહેર કરવામાં આવ્યા છે. તેનો જેટલો વધુ પ્રચાર પ્રસાર થશે, તેટલું જ આયુર્વેદિક દવાઓની માંગ પણ વધશે.

 

હર્બલ દવાઓનું આજે વિશ્વમાં એક મોટું બજાર તૈયાર થઇ રહ્યું છે. ભારતે તેમાં પણ પોતાની સંપૂર્ણ ક્ષમતાઓનો ઉપયોગ કરવો પડશે. હર્બલ અને મેડિસીનલ પ્લાન્ટ્સ કમાણીનું બહુ મોટું માધ્યમ બની રહ્યા છે.

 

આયુર્વેદમાં તો તમામ એવા છોડવાઓમાંથી દવા બને છે જેમને ના તો વધુ પાણી જોઈતું હોય છે અને ના તો ફળદ્રુપ જમીનની જરૂર હોય છે. અનેક ચિકિત્સકિય છોડવાઓ તો એમ જ ઉગી જાય છે. પરંતુ તે છોડવાઓનું સાચું મહત્વ ખબર ના હોવાથી તેને ઝાડી ઝાંખરા સમજીને ઉખાડી દેવામાં આવે છે. જાગૃતતાની ઉણપના કારણે થઇ રહેલા નુકસાનથી કેવી રીતે બચી શકાય, તેની ઉપર પણ વિચાર કરવાની જરૂરિયાત છે.

 

મેડિસીનલ પ્લાન્ટ્સની ખેતીથી રોજગારના નવા અવસરો પણ ખુલી રહ્યા છે. હું ઈચ્છીશ કે આયુષ મંત્રાલય કૌશલ્ય વિકાસ મંત્રાલયની સાથે મળીને આ દિશામાં ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે કોઈ ટૂંકા ગાળાના કોર્સ પણ વિકસિત કરી શકીએ ખરા? શું આયુર્વેદે હજુ દરિયાઈ વનસ્પતિના છોડ પર સંશોધન કર્યું છે? ભારતનો દરિયા કિનારો એ ઘણી મોટી સંપદા છે. આયુર્વેદિક મેડીસીનના આધાર માટે કામ આવી શકે છે ખરી? અને હું માનું છું, હું એ વિષયનો જાણકાર નથી. પરંતુ આપણે આ પ્રકારના નવા ક્ષેત્રોમાં પણ પદાર્પણ કરીએ, સંશોધન કરીએ, તો આપણે કદાચ તે માછીમારોની જીંદગીમાં બદલાવ લાવી શકીએ છીએ. અને આપણે વનસ્પતિ આધારિત દવાઓને હજુ વધારે સમૃદ્ધ દવાઓ બનાવીને જેઓ આરોગ્યમાં રસ ધરાવે છે, તે વર્ગની સેવા કરી શકીએ તેમ છીએ. પારંપરિક ખેતીની સાથે સાથે ખેડૂત જયારે ખેતરના છેડે જે જમીન મોટી અને ખાલી પડેલી રહે છે, દીવાલ જેવી મોટી વાડ લગાવી દેવામાં આવે છે, જો તે જ જમીનનો ઉપયોગ કરવામાં આવે, અને જો ઔષધીય વનસ્પતિ માટે કરવા લાગશે તો તેની પણ આવક વધશે. અને 2022માં આઝાદીના 75 વર્ષ થાય ત્યારે આપણે હિન્દુસ્તાનના ખેડૂતોની આવક બમણી કરવા માંગીએ છીએ. જો તેના ખેતરોના કિનારા પર ઔષધીય વનસ્પતિના છોડવા માટે આયુષ મંત્રાલય, કૃષિ મંત્રાલય મળીને આપણા ખેડૂતોને માર્ગદર્શન આપે, તેમને મદદ કરે તો તે પણ એક નવી આવકનું સાધન આપણા ખેડૂત ભાઈઓ બહેનો માટે થઇ શકે તેમ છે.

 

સાથીઓ, આ ક્ષેત્રને વિકાસ અને વિસ્તાર માટે પણ હમણાં ઘણા રોકાણની જરૂરિયાત છે. સરકારે હેલ્થકેર સીસ્ટમમાં સો ટકા વિદેશી સીધું મૂડીરોકાણ – એફડીઆઈને મંજુરી આપી દીધી છે. હેલ્થકેરમાં એફડીઆઈનો ફાયદો આયુર્વેદ અને યોગને કઈ રીતે મળે, તે વિષયમાં પણ પ્રયત્નો થવા જોઈએ.

 

હું દેશની તમામ કંપનીઓ અને ખાનગી ક્ષેત્રને પણ આગ્રહ કરીશ કે જે રીતે તેઓ એલોપથી આધારિત મોટા મોટા દવાખાનાઓ માટે આગળ આવે છે, તે જ રીતે તેઓએ યોગ અને આયુર્વેદ માટે પણ આગળ આવવું જોઈએ. પોતાની કોર્પોરેટ સોશ્યલ જવાબદારી એટલે કે સીએસઆર ફંડનો કેટલોક ભાગ આયુર્વેદ અને યોગ ઉપર પણ તેઓ લગાવે.

 

આપણે એ પણ ધ્યાન રાખવું પડશે કે હજારો વર્ષ પહેલા આપણા પૂર્વજોએ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, તેની પાછળ અથાક પરિશ્રમ કર્યો હતો, માનવ જાતીના કલ્યાણની પ્રેરણા હતી. કઈક નવો પ્રયોગ કરવા, કઈક નવો આવિષ્કાર કરવાનો વિચાર હતો તેણે જ યોગ અને આયુર્વેદ જેવા ચમત્કારોને જન્મ આપ્યો. પરંતુ જેવા આપણે આવિષ્કારોથી દુર ગયા, સ્થિતિ બદલવા લાગી, આપણો પ્રભાવ ઓછો થવા લાગ્યો.

 

આ સ્થિતિને ફરી બદલવાની જરૂર છે. આજે સમયની જ નહી, સમગ્ર માનવતાની માંગ છે કે ભારત પોતાની સ્થિતિને બદલે. સાથીઓ, આજે દુનિયા સંપૂર્ણરીતે આરોગ્ય જાળવવાનો માર્ગ શોધી રહી છે. પરંતુ તેને રસ્તો મળી નથી રહ્યો. તે ખુબ જ આશા સાથે ભારત અને ભારતના આયુર્વેદ તરફ, ભારતની યોગ શક્તિ તરફ અને ખુબ જ આશાભરી નજરે જોઈ રહી છે. તેને પણ ભરોસો થઇ રહ્યો છે કે યોગ અને આયુર્વેદમાં ભારતનો અનુભવ સમગ્ર વિશ્વના કલ્યાણના કામમાં આવી શકે તેમ છે. અને એટલે જ આ આપણા માટે મહત્વપૂર્ણ સમય છે કે હવે એક ક્ષણ પણ ના ગુમાવીએ. સંકલ્પ લઈને આગળ વધવામાં આવે, તેને સિદ્ધ કરવામાં આવે.

 

સાથીઓ, ભારતની ‘एकम शत विप्रा बहुधा वदंति’ની વિચારધારા બધી જ રીતની ઔષધ પ્રણાલીઓ કે આરોગ્ય પદ્ધતિ પર પણ લાગુ થાય છે. આપણે બધા જ પ્રકારની આરોગ્ય પદ્ધતિઓનું સન્માન કરીએ છીએ અને બધાની પ્રગતિ થાય એવી કામના કરીએ છીએ. ભારતમાં આધ્યાત્મિક જનતંત્રની જેમ જ ઉપચાર પ્રણાલીઓનું પણ જનતંત્ર છે. બધાને પોતાની પ્રગતિનો અધિકાર છે, બધાનું સન્માન છે. બધી જ પ્રકારની આરોગ્ય પદ્ધતિને આગળ વધારવા પાછળનું સરકારનું ધ્યેય એ જ છે કે ગરીબોને સસ્તામાં સસ્તા ઈલાજ, સહજતાથી ઉપચાર ઉપલબ્ધ થાય.

 

એ કારણે આરોગ્ય ક્ષેત્રમાં અમારો ભાર બે મુખ્ય વસ્તુઓ પર સતત રહ્યો છે – પહેલો પ્રિવેન્ટીવ હેલ્થ કેર અને બીજું એ કે હેલ્થ સેક્ટર પરવડે તેવું બને અને તેનો વ્યાપ વધે.

 

પ્રિવેન્ટીવ હેલ્થ કેર પર ભાર મુકતા અમે મિશન ઇન્દ્રધનુષની શરૂઆત કરી હતી જેથી 2020 સુધીમાં તે બધા જ બાળકોનું રસીકરણ કરવામાં આવે જે સામાન્ય રસીકરણ અભિયાનમાં છૂટી જાય છે. સરકારે નક્કી કર્યું છે કે એવા બાળકોનું સમ્પૂર્ણ રૂપે રસીકરણ કરીને તેમને 12 પ્રકારની બીમારીઓથી બચાવવામાં આવે. મિશન ઇન્દ્રધનુષ હેઠળ અત્યાર સુધીમાં અઢી કરોડથી વધુ બાળકો અને આશરે 70 લાખ ગર્ભવતી મહિલાઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

 

આ સરકારના પ્રયાસોનું જ પરિણામ છે કે દેશમાં રસીકરણની જે ગતિ વર્ષે એક ટકાના દરે વધતી હતી, અમે પાછલા વર્ષથી આ અભિયાન ચલાવ્યું અને આજે તે લગભગ લગભગ સાડા 6 ટકા સુધી પહોંચી ગયું છે. ક્યાં એક ટકો વૃદ્ધિ અને ક્યાં સાડા 6 ટકા વૃદ્ધિ. તે જ મશીનરી જો લક્ષ્ય નક્કી કરીને ભાર મુકવામાં આવે તો પરિણામ મળે છે અને આ પરિણામ જોવા મળી શકે છે. હમણાં આ મહીને સરકારે આ મિશનને વધારે કેન્દ્રિત કરી દીધું છે. ઇન્ટેન્સીફાઈડ મિશન ઇન્દ્રધનુષની શરૂઆત કરવામાં આવી છે જેના હેઠળ તે જીલ્લાઓ શહેરો ગામડાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, અહિયાં રસીકરણનું કવરેજ પાછળ રહી ગયું હતું કે ઓછું છે. આવનારા એક વર્ષ સુધીમાં દેશના 173 જિલ્લાઓમાં દર મહીને અઠવાડિયામાં 7 દિવસ સતત રસીકરણ અભિયાન ચાલશે. સરકારનું લક્ષ્ય છે કે ડિસેમ્બર 2018 સુધીમાં દેશમાં સંપૂર્ણ ઈમ્યુનાઈઝેશન આવરી લેવામાં આવે.

સાથીઓ, પહેલા એવું સમજવામાં આવતું હતું કે આરોગ્ય સંભાળની જવાબદારી માત્ર આરોગ્ય મંત્રાલયની જ છે. પરંતુ અમારી વિચારધારા કઈક જુદી જ છે. ઇન્ટેન્સીફાઈડ મિશન ઇન્દ્રધનુષમાં હવે સરકારના 12 જુદા જુદા મંત્રાલયોને, ત્યાં સુધી કે રક્ષા મંત્રાલયને પણ અમે આ અભિયાન સાથે જોડ્યું છે.

 

ભાઈઓ અને બહેનો, પ્રિવેન્ટીવ હેલ્થ કેર કરતા એક બીજો સસ્તો અને સ્વસ્થ ઉપાય છે અને તે છે સ્વચ્છતા. સ્વચ્છતાને આ સરકારે જનઆંદોલનની જેમ ઘરે ઘરે જન જન સુધી પહોંચાડ્યો છે. સરકારે ત્રણ વર્ષોમાં 5 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ કરાવ્યું છે. સ્વચ્છતાને લઈને લોકોની માન્યતા કઈ રીતે બદલાઈ છે, તેનું ઉદાહરણ છે કે હવે શૌચાલયોને કેટલાક લોકોએ ઈજ્જતઘર કહેવાનું શરુ કરી દીધું છે. હમણાં કેટલાક દિવસો પહેલા યુનિસેફનો રીપોર્ટ આવ્યો છે. કદાચ તમે વાંચ્યો હશે. આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે પરિવારો ગામમાં રહે છે અને તે એક શૌચાલય બનાવે છે, તો યુનિસેફનું કહેવું છે કે એક પરિવાર શૌચાલય બનાવે છે તો તેના ઘરમાં વાર્ષિક બીમારી પાછળ જે 50 હજાર સુધીનો ખર્ચ થાય છે, તે ખર્ચો બચી જાય છે. તમે વિચાર કરો એક ગરીબની જિંદગીમાં ટોયલેટ બનવાથી જો 50 હજાર રૂપિયા બચી જતા હોય, તો તે ગરીબની કેટલી સેવા થશે.

 

પ્રિવેન્ટીવ હેલ્થ કેરને પ્રોત્સાહન આપવાની સાથે જ સરકાર સ્વાસ્થ્ય સેવામાં એફોર્ડેબીલીટી અને એક્સેસ વધારવા માટે  શરૂઆતથી જ સમગ્રતયા એપ્રોચ લઈને ચાલી રહી છે. મેડીકલ કોલેજોમાં ડોકટરીનો અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થીઓ માટે પીજી મેડીકલ સીટમાં વૃદ્ધિ કરવામાં આવી છે. તેનો સીધો લાભ આપણા યુવાનોને તો મળશે જ સાથે સાથે ગરીબોને ઈલાજ માટે પણ ડોક્ટરો સરળતાથી ઉપલબ્ધ થશે. દેશભરના લોકોને વધુ સારો ઈલાજ અને સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ રાજ્યોમાં નવા નવા એમ્સ પણ ખોલવામાં આવી રહ્યા છે. સ્ટેન્ટના ભાવમાં પણ ભારે ઘટાડો, અમને ખબર છે કે હૃદયની અંદર સ્ટેન્ટ નાખવાનું છે તો ક્યાંય પણ જાઓ તો કહે 50 હજાર, કોઈ કહે એક લાખ, કોઈ કહે બે લાખ, કોઈ કહે અઢી લાખ. એક મધ્યમ વર્ગનો પરિવાર જો તેને હૃદયની બીમારી થઇ ગઈ, અને તેને જો જવું પડે તો તે આટલા રૂપિયા આખું મકાન ગીરવે મૂકી દે તો પણ નથી લાવી શકતો. સરકારે તેમની સાથે વાત કરી, તેમને બોલાવ્યા, ભાઈ આટલું મોંઘુ કેમ છે, વાત કરતા કરતા જે પહેલા કિંમત હતી, લગભગ લગભગ ત્રીસ ચાલીસ ટકા ઓછી કરી દીધી. કેટલીક વસ્તુઓ તો ત્રીસ ટકામાં વેચવાનું શરૂ થઇ ગયું. આજે મોટાભાગે મોટી ઉંમરના લોકો સિનીયર સિટીઝન ઘૂંટણનું ઓપરેશન કરાવે છે, ઘૂંટણ ઇમ્પ્લાન્ટની કિંમતોમાં પણ અમે ઘટાડો કર્યો. જન ઔષધી કેન્દ્રોના માધ્યમથી પણ ગરીબોને સસ્તી દવાઓ ઉપલબ્ધ થાય અને તેની માટે પણ જન ઔષધી કેન્દ્ર દવાખાનાઓમાં ખોલવામાં આવ્યા. તે જ ઉત્તમમાં ઉત્તમ દવાઓ, જે ક્યારેક 12 રૂપિયામાં મળતી હતી, તે દોઢ રૂપિયામાં મળી જાય એવી વ્યવસ્થા કરવાનું કામ સરકારે કર્યું છે.

 

સાથીઓ, મને કહેવામાં આવ્યું છે કે આ વર્ષે લગભગ 24 દેશોમાં આપણા વિદેશ સ્થિત મિશન પણ આયુર્વેદ દિવસ ઉજવી રહ્યા છે. પાછલા 30 વર્ષોથી દુનિયામાં આઈટી ક્રાંતિ જોવામાં આવી છે. હવે આયુર્વેદના નેતૃત્વમાં સ્વાસ્થ્ય ક્રાંતિ થવી જોઈએ. આવો આપણે આ શુભ દિવસ પર પ્રતિજ્ઞા લઈએ ‘આપણે આયુર્વેદનો અભ્યાસ કરીએ, આપણે આયુર્વેદને જીવિત રાખીશું અને આપણે આયુર્વેદ માટે જીવીશું.’

 

સાથીઓ, આપ સૌને આયુર્વેદ દિવસ પર અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનની ખુબ ખુબ શુભકામનાઓ સાથે હું મારી વાતને સમાપ્ત કરું છું અને ફરી એકવાર હું આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ આપું છું.

 

ખુબ ખુબ આભાર !!!

 

RP