પીએમઇન્ડિયા
જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ! આજે આપણે સૌ, ‘હિંદ દી ચાદર‘ શ્રી ગુરુ તેગ બહાદુર સાહિબજીના 350મા શહીદી પર્વ પર તેમનું પુણ્ય સ્મરણ કરી રહ્યા છીએ. આ શહીદી સમાગમમાં ઉપસ્થિત સૌને મારા પ્રણામ.
આ ઐતિહાસિક અને પવિત્ર આયોજનનો હિસ્સો બની શકવું મારા માટે સૌભાગ્યની વાત છે.
સાથીઓ,
ભારતનો ઇતિહાસ શૌર્ય, સમન્વય અને સહયોગનો ઇતિહાસ છે. મહારાષ્ટ્રની ધરતી પર આ આયોજન દ્વારા આપણે તે જ મહાન વિરાસતના સાક્ષી બની રહ્યા છીએ. જ્યારે આપણા ગુરુઓએ ત્યાગની પરાકાષ્ઠા કરી, ત્યારે તે સમયમાં આપણી સામાજિક એકતાની બહુ મોટી ભૂમિકા હતી. દરેક વર્ગ, દરેક સમાજના લોકોએ આપણા ગુરુઓ પાસેથી પ્રેરણા મેળવી. સમાજે દરેક હાલમાં સત્ય અને સંસ્કૃતિ માટે અડગ રહેતા શીખ્યું. સામાજિક એકતાનો તે મહાયજ્ઞ, તેમાં શ્રી ગુરુ ગોબિંદ સિંહ જીની ગુરુ નાનક નામ લેવા સંગત જેવા અનુષ્ઠાનોની બહુ મોટી ભૂમિકા હતી. આજે જ્યારે ફરીથી દેશને સામાજિક એકતાની સૌથી વધુ જરૂર છે, સંગતનું આ અદ્ભુત આયોજન આપણને ભરોસો આપી રહ્યું છે કે, આપણા ગુરુઓ અને સંતોના આશીર્વાદ આપણી સાથે છે.
સાથીઓ,
આ સમાગમ એક નિરંતર ચાલનારો યજ્ઞ રહ્યો છે. આ યાત્રાની શરૂઆત ગયા વર્ષે નાગપુરની પાવન ધરતી પરથી થઈ હતી. પછી તખ્ત શ્રી હજૂર સાહિબ, નાંદેડની ઐતિહાસિક ભૂમિ પર આપણે સૌએ તે ભાવને વધુ ઘેરો થતો જોયો. અને આજે નવી મુંબઈમાં આ યાત્રા પોતાના એક મહત્વપૂર્ણ પડાવ પર પહોંચી છે. આ યાત્રાનો સંદેશ આ ત્રણ શહેરો સુધી સીમિત રહ્યો નથી. મહારાષ્ટ્રના ખૂણે–ખૂણે સુધી, હજારો ગામડાઓ અને નાની–નાની વસ્તીઓ સુધી, શ્રી ગુરુ તેગ બહાદુર સાહિબજીનો તે પરાક્રમી ઇતિહાસ પહોંચાડવામાં આવ્યો છે. હું મહારાષ્ટ્ર સરકારને વિશેષ રીતે અભિનંદન આપું છું કે તેણે આ કાર્યક્રમનું આયોજન કર્યું.
સાથીઓ,
શ્રી ગુરુ તેગ બહાદુર સાહિબજીના આ મહાન બલિદાનની સ્મૃતિમાં, દેશના અલગ–અલગ ભાગોમાં મોટા સ્તરે કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. હજુ થોડા સમય પહેલા જ, હરિયાણાના કુરુક્ષેત્રમાં થયેલા આયોજનમાં, અને ભવ્ય આયોજનમાં, તે આયોજનમાં મને ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું હતું. કેન્દ્ર સરકાર આપણા ગુરુ સાહિબો સાથે સંબંધિત દરેક ઐતિહાસિક પ્રસંગને રાષ્ટ્રીય સ્તરે ઉજવી રહી છે. આપ સૌ જાણો છો, શ્રી ગુરુ તેગ બહાદુર સાહિબજીનો 400મો પ્રકાશ પરબ, શ્રી ગુરુ તેગ બહાદુરજીને સમર્પિત સ્મૃતિ ટપાલ ટિકિટ અને વિશેષ સિક્કાનું લોકાર્પણ, ગુરુ નાનક દેવ જીનો પાંચસો પચાસમો પ્રકાશ પરબ, આપણે આપણા ગુરુઓ સાથે જોડાયેલા દરેક પર્વ અને અવસરને પૂરી શ્રદ્ધા સાથે ઉજવ્યા છે. આપણે સાહિબજાદાઓના સન્માનમાં દર વર્ષે ‘વીર બાલ દિવસ‘ ઉજવવાની રાષ્ટ્રીય પરંપરા પણ શરૂ કરી છે.
સાથીઓ,
કરતારપુર સાહિબ કોરિડોરના નિર્માણને રેકોર્ડ સમયમાં પૂરું કરવું, શ્રી હેમકુંડ સાહિબ યાત્રા માટે નવી સુવિધાઓનું નિર્માણ, શીખ સંગઠનો અને ગુરુદ્વારાઓ સાથે જોડાયેલી કેટલીય સંસ્થાઓને FCRA માં રાહત, શીખ ઇતિહાસને અભ્યાસક્રમ અને સાંસ્કૃતિક વિમર્શમાં સ્થાન આપવું, એવા કેટલાય કામો, જેની રાહ આપણા શીખ ભાઈ–બહેનો દાયકાઓથી જોતા હતા, તેમને પૂરા કરવાનું સૌભાગ્ય અમને મળ્યું છે.
ભાઈઓ–બહેનો,
અમારી સરકાર શીખો માટે સન્માન અને ન્યાય માટે પ્રતિબદ્ધ થઈને કામ કરી રહી છે. આ જ કમિટમેન્ટના કારણે, અમે 1984ના રમખાણોની તપાસ માટે SIT ની રચના કરી. બંધ પડેલા 1984ના રમખાણોના કેસો ફરીથી ખોલાવ્યા. કેટલાય કિસ્સાઓમાં દોષિતોને સજા અપાવવામાં આવી. 1984ના પીડિત પરિવારો માટે વધારાનું વળતર જાહેર કરવામાં આવ્યું. રાષ્ટ્રીય લઘુમતી આયોગને વધુ સક્રિય ભૂમિકા આપવામાં આવી. તેવી જ રીતે, જ્યારે અફઘાનિસ્તાનમાં શીખ ભાઈઓની સુરક્ષા અને ગુરુ ગ્રંથ સાહિબના સન્માનનો સવાલ આવ્યો, અમારી સરકારે મિશન મોડમાં કામ કર્યું. અમે ગુરુ ગ્રંથ સાહિબના સ્વરૂપોને સુરક્ષિત, સન્માનપૂર્વક પરત લઈને આવ્યા. અમે અફઘાન શીખો અને હિંદુઓને નાગરિકતા આપવાનો રસ્તો સાફ કર્યો. અમે CAA દ્વારા ઉત્પીડિત શીખ શરણાર્થીઓને રાહત આપી. જમ્મુ–કાશ્મીરના શીખ પરિવારો માટે પુનર્વસન પેકેજ પણ લાગુ કરવામાં આવ્યા. તેવી જ રીતે, OCI અને વિઝા નિયમોને સરળ બનાવવામાં આવ્યા. બ્લેકલિસ્ટ કરવામાં આવેલા હજારો શીખોના નામ બ્લેકલિસ્ટમાંથી હટાવવામાં આવ્યા. પ્રવાસી શીખોના ભારત આવવા–જવાની પ્રક્રિયા બહુ સરળ કરવામાં આવી.
સાથીઓ,
શીખ સમાજની આસ્થાનું સન્માન, તેમની પ્રગતિની નવી તકોનું નિર્માણ, અમે તેને અમારી જવાબદારી પણ માનીએ છીએ, અને આ સેવાને અમારું સૌભાગ્ય પણ સમજીએ છીએ.
સાથીઓ,
સાહસ અને સત્ય સાથે ઊભા રહેવાનો ભાવ, આજે પણ એટલો જ પ્રાસંગિક છે જેટલો શ્રી ગુરુ તેગ બહાદુર સાહિબજીના સમયમાં હતો. જ્યારે નવી પેઢી આ મૂલ્યો સાથે જોડાય છે, ત્યારે પરંપરા સ્મૃતિ નથી રહેતી, તે ભવિષ્યનો માર્ગ બની જાય છે. એ જ આ સમાગમનો ઉદ્દેશ્ય છે, આપણે ઇતિહાસને માત્ર યાદ ન કરીએ, પરંતુ તેને જીવનના આચરણમાં ઉતારીએ. આ જ ભાવના સાથે, હું એકવાર ફરી આ પાવન સમાગમ સાથે જોડાયેલા તમામ આયોજકો અને સંગતને આદરપૂર્વક પ્રણામ કરું છું. આ ઐતિહાસિક પ્રયાસ માટે આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. વાહેગુરુજી કા ખાલસા, વાહેગુરુજી કી ફતેહ.
SM/JD