Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નેપાળનાં જનકપુરમાં બારહબીઘા મેદાન ખાતે નાગરિક અભિવાદન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

નેપાળનાં જનકપુરમાં બારહબીઘા મેદાન ખાતે નાગરિક અભિવાદન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

નેપાળનાં જનકપુરમાં બારહબીઘા મેદાન ખાતે નાગરિક અભિવાદન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

નેપાળનાં જનકપુરમાં બારહબીઘા મેદાન ખાતે નાગરિક અભિવાદન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ


ઉપસ્થિત તમામ મહાનુભવો અને અહિંયા મોટી સંખ્યામાં પધારેલા જનકપુરના મારા વ્હાલા ભાઇઓ અને બહેનો-

જય સિયારામ, જય સિયારામ

જય સિયારામ, જય સિયારામ

જય સિયારામ, જય સિયારામ

ભાઇઓ અને બહેનો,

ઓગસ્ટ 2014માં જયારે હું પ્રધાનમંત્રી તરીકે પહેલીવાર નેપાળ આવ્યો હતો તો બંધારણ સભામાં જ મેં કહ્યું હતું કે બહુ જલ્દી હું જનકપુર આવીશ. હું સૌથી પહેલા તો આપ સૌની માફી માંગવા ઇચ્છુ છું કારણ કે હું તુરંત ન આવી શક્યો, આવવામાં મારે ઘણી વાર થઇ ગઈ અને એટલા માટે પહેલા તો હું તમારી માફી માંગુ છું. પરંતુ મન કહે છે કે કદાચ શક્ય છે કે સીતા મૈયાજી એ આજે ભદ્રકાળી એકાદશીના દિવસે જ મને દર્શન આપવાનું નક્કી કર્યું હતું. મને ઘણા સમયથી મન હતું કે રાજા જનકની રાજધાની અને જગતજનની સીતાની પવિત્ર ભૂમિ ઉપર આવીને તેમને નમન કરૂ. આજે જાનકી મંદિરમાં દર્શન કરીને મારી ઘણા વર્ષોની જે કામના હતી તે મનોકામનાને પૂરી કરીને જીવનમાં એક ધન્યતાનો અનુભવ કરી રહ્યો છું.

ભાઇઓ બહેનો,

ભારત અને નેપાળ બે દેશો, પરંતુ આપણી મિત્રતા આજની નથી ત્રેતા યુગની છે. રાજા જનક અને રાજા દશરથે માત્ર જનકપુર અને અયોધ્યાને જ નહીં, ભારત અને નેપાળને પણ મિત્રતા અને ભાગીદારીના બંધનમાં બંધી દીધા હતા. તે બંધન છે રામ સીતાનું, તે બંધન છે બુદ્ધનું પણ અને મહાવીરનું પણ અને આ જ બંધન રામેશ્વરમમાં રહેનારા લોકોને ખેંચીને પશુપતિનાથ લઈને આવે છે. આ જ બંધન લુંબિનીમાં રહેનારા લોકોને બોધગયા લઈને આવે છે અને આ જ બંધન, આ જ આસ્થા, આ જ સ્નેહ આજે મને જનકપુર ખેંચીને લઇ આવ્યો છે.

મહાભારત રામાયણ કાળમાં જનકપુરનો, મહાભારત કાળમાં વિરાટનગરનો, ત્યાર પછી સીમરૉન ગંજનો, બુદ્ધકાળમાં લુંબિનીનો, આ સંબંધ યુગો યુગોથી ચાલતો આવ્યો છે. ભારત નેપાળ સંબંધ કોઈપણ પરિભાષાથી નહિં પરંતુ તે ભાષાથી બંધાયેલો છે – તે ભાષા છે આસ્થાની, તે ભાષા છે પોતાનાપણાની,તે ભાષા છે રોટીની, તે ભાષા છે દીકરીની. આ માં જાનકીનું ધામ છે અને જેના વિના અયોધ્યા અધૂરી છે.

આપણી માતા પણ એક, આપણી આસ્થા પણ એક, આપણી પ્રકૃતિ પણ એક, આપણી સંસ્કૃતિ પણ એક, આપણો પથ પણ એક અને આપણી પ્રાર્થના પણ એક. આપના પરિશ્રમની મહેક પણ છે અને આપણા પરાક્રમની ગુંજ પણ છે. આપણી દ્રષ્ટિ પણ સમાન અને આપણી સૃષ્ટિ પણ સમાન છે. આપણા સુખ પણ સમાન અને આપણા પડકારો પણ સમાન છે. આપણી આશાઓ પણ સમાન, આપણી આકાંક્ષાઓ પણ સમાન છે. આપણી ચાહ પણ સમાન અને આપણી રાહ પણ સમાન છે. આપણા મન, આપણા મનસુબાઓ અને આપણી મંજિલ પણ એક જ છે. આ તે કર્મવીરોની ભૂમિ છે જેમના યોગદાનથી ભારતની વિકાસ ગાથામાં વધારે ગતિ આવે છે. સાથે જ નેપાળ વિના ભારતની આસ્થા પણ અધુરી છે, નેપાળ વિના ભારતનો વિશ્વાસ અધુરો છે, ઇતિહાસ અધુરો છે, નેપાળ વિના અમારા ધામ અધૂરા છે, નેપાળ વિના અમારા રામ પણ અધૂરા છે.

ભાઇઓ અને બહેનો,

તમારી ધર્મ-નિષ્ઠા સાગર કરતા પણ ઊંડી છે અને તમારું સ્વાભિમાન સાગરમાથાથી પણ ઊંચું છે. જે રીતે મિથિલાની તુલસી ભારતના આંગણામાં પાવનતા, શુચિતા અને મર્યાદાની સુગંધ ભરીને લાવે છે તે જ રીતે નેપાળથી ભારતની આત્મીયતા આ સંપૂર્ણ ક્ષેત્રને શાંતિ, સુરક્ષા અને સંસ્કારની ત્રિવેણી વડે સિંચિત કરે છે.

મિથિલાની સંસ્કૃતિ અને સાહિત્ય, મિથિલાની લોકકલા, મિથિલાનું સ્વાગત સન્માન, બધું જ અદભૂત છે અને હું આજે અનુભવ કરી રહ્યો છું, તમારા પ્રેમને અનુભવ કરી રહ્યો છું, તમારા આશીર્વાદનો અહેસાસ થઇ રહ્યો છે. સમગ્ર દુનિયામાં મિથિલાની સંસ્કૃતિનું સ્થાન ઘણું ઉપર છે. કવિ વિદ્યાપતિની રચનાઓ આજે પણ ભારત અને નેપાળમાં સમાન રૂપે મહત્વ ધરાવે છે. તેમના શબ્દોની મીઠાશ આજે પણ ભારત અને નેપાળ બંનેના સાહિત્યમાં ભળી ગયેલી છે.

જનકપુર ધામ આવીને, તમારા લોકોનું પોતાપણું જોઇને એવું નથી લાગી રહ્યું કે હું કોઈ બીજી જગ્યા ઉપર આવી પહોંચ્યો છું, બધું જ પોતાના જેવું છે, દરેક વ્યક્તિ પોતાના જેવી, બધું જ પોતાનાપણું, આ બધા મારા પોતાના જ તો છે. સાથીઓ, નેપાળ અધ્યાત્મ અને દર્શનનું કેન્દ્ર રહ્યું છે. આ એ જ પવિત્ર ભૂમિ છે – જ્યાં લુંબિની છે, તે લુંબિની કે જ્યાં ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. સાથીઓ, ભૂમિ કન્યા માતા સીતા તે માનવીય મુલ્યો, તે નિયમો અને તે પરંપરાઓની પ્રતિક છે જે આપણને બંને રાષ્ટ્રોને એક બીજા સાથે જોડે છે. જનકની નગરી સીતા માતાના લીધે સ્ત્રી ચેતનાની ગંગોત્રી બની છે. સીતા માતા એટલે કે ત્યાગ, તપસ્યા, સમર્પણ અને સંઘર્ષની મૂર્તિ. કાઠમંડુથી કન્યાકુમારી સુધી આપણે સૌ સીતા માતાની પરંપરાના વાહક છીએ. જ્યાં સુધી તેમની મહિમાની વાત છે તો તેમના આરાધક તો આખી દુનિયામાં ફેલાયેલા છે.

આ એ જ ભૂમિ છે કે જેણે બતાવ્યું કે દીકરીને કઈ રીતે સન્માન આપવામાં આવે છે. દીકરીઓના સન્માનની શીખ આજની સૌથી મોટી જરૂરિયાત છે. સાથીઓ, નારી શક્તિની આપણા ઇતિહાસ અને પરંપરાઓને સંભાળીને રાખવામાં પણ એક ઘણી મહત્વની ભૂમિકા રહી છે. હવે જેમ કે અહિયાંના મિથિલા ચિત્રોને જો તેમને જોવામાં આવે તો આ પરંપરાને આગળ વધારવામાં સૌથી મોટું યોગદાન આપણી માતાઓ બહેનોનું, મહિલાઓનું રહ્યું છે. અને મિથિલાની આ જ કલા આજે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ કલામાં પણ આપણને પ્રકૃતિની, પર્યાવરણની ચેતના દરેક ક્ષણે જોવા મળે છે. આજે મહિલા સશક્તિકરણ અને જળવાયું પરિવર્તનની ચર્ચાની વચ્ચે મિથિલાનું દુનિયાને આ ઘણો મોટો સંદેશ છે. રાજા જનકના દરબારમાં ગાર્ગી જેવી વિદુશીઓ અને અષ્ટાવક્ર જેવા વિદ્વાનનું ઉપસ્થિત હોવું એ પણ સાબિત કરે છે કે શાસનની સાથે-સાથે વિદ્વત્તા અને અધ્યાત્મને કેટલું મહત્વ આપવામાં આવતું હતું.

રાજા જનકના દરબારમાં લોક કલ્યાણકારી નીતિઓ ઉપર વિદ્વાનો વચ્ચે દલીલ થતી હતી. રાજા જનક પોતે તે દલીલોમાં સહભાગી થતા હતા. અને તે મંથનમાંથી જે પરિણામ નીકળતું હતું તેને પ્રજાના હિત માટે, જનતાના હિત માટે અને દેશના હિત માટે તેઓ લાગુ કરતા હતા. રાજા જનકને માટે તેમની પ્રજા જ સર્વસ્વ હતી. તેમને પોતાના પરિવારના સંબંધો, સગા વ્હાલા કોઈનાથી કંઈ લેવા દેવા નહોતું. બસ દિવસ રાત પોતાની પ્રજાની જ ચિંતા કરવાને જ તેમણે પોતાનો રાજધર્મ બનાવી દીધો હતો. એટલા માટે જ રાજા જનકને વિદેહ પણ કહેવામાં આવતા હતા. વિદેહનો અર્થ થાય છે જેમનો પોતાના દેહ અથવા પોતાના શરીર સાથે કોઈપણ મતલબ ન હોય અને માત્ર જનહિતમાં જ પોતાને ખપાવી દે, લોકકલ્યાણ માટે પોતાની જાતને સમર્પિત કરી નાખે.

ભાઇઓ અને બહેનો,

રાજા જનક અને જન કલ્યાણના આ સંદેશને લઈને જ આજે નેપાળ અને ભારત આગળ વધી રહ્યા છે. તમારા નેપાળ અને ભારતના સંબંધો રાજનીતિ, કુટનીતિ, સમરનિતી, આનાથી પણ પરે દેવનિતીથી બંધાયેલા છે. વ્યક્તિ અને સરકારો આવતી-જતી રહેશે પરંતુ આ આપણો આ સંબંધ અજર-અમર છે. આ સમય આપણે સાથે મળીને સંસ્કાર, શિક્ષા, શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિની પંચવટીની રક્ષા કરવાનો છે. અમારૂ એ માનવું છે કે નેપાળના વિકાસમાં જ ક્ષેત્રીય વિકાસનું સૂત્ર જોડાયેલું છે. ભારત અને નેપાળની મિત્રતા કેવી રહી છે, તેને રામચરિતમાનસની ચોપાઈઓના માધ્યમથી આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ.

જે ન મિત્ર દુઃખ હોહિં દુખારી |

તિન્હહી બિલોકત પાતક ભારી ||

નિજ દુઃખ ગિરિ સમ રજ કરી જાના |

મિત્રક દુઃખ રજ મેરુ સમાના ||

અર્થાત જે લોકો મિત્રના દુઃખથી દુખી નથી થતા તેમને જોવા માત્રથી જ પાપ લાગે છે અને એટલા માટે જો તમારૂ પોતાનું દુઃખ પહાડ જેટલું વિરાટ પણ હોય તો તેને વધુ મહત્વ ના આપશો, પરંતુ જો મિત્રનું દુઃખ ધૂળના એક કણ જેટલું પણ હોય તો તેને પર્વત જેટલું માનીને જે પણ કરી શકો છોએ તે કરવું જોઈએ.

સાથીઓ,

ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે જ્યારે-જ્યારે એક-બીજા પર સંકટ આવ્યું છે, ભારત અને નેપાળ, બંને સાથે મળીને ઉભા રહ્યા છે. અમે દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં એક-બીજાનો સાથ આપ્યો છે. ભારત દસકાઓથી નેપાળનું એક સ્થાયી વિકાસનું ભાગીદાર રહ્યું છે. નેપાળ અમારી ‘પહેલો સગો પાડોશી’એ નીતિમાં સૌથી આગળ આવે છે, સૌથી પહેલા આવે છે.

આજે ભારત, વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે તો તમારૂ નેપાળ પણ તીવ્ર ગતિએ વિકાસની ઊંચાઈઓ પર આગળ પહોંચી રહ્યું છે. આજે આ ભાગીદારીને નવી ઊર્જા આપવા માટે મને નેપાળ આવવાનો અવસર મળ્યો છે.

ભાઇઓ અને બહેનો,

વિકાસની સૌથી પહેલી શરત હોય છે લોકતંત્ર. મને ખુશી છે કે લોકતાત્રિક પ્રણાલીને તમે મજબૂતી આપી રહ્યા છો. હમણાં તાજેતરમાં જ તમારે ત્યાં ચૂંટણી થઇ છે. તમે એક નવી સરકાર ચૂંટી છે. પોતાની આશાઓ આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તમે જનાદેશ આપ્યો છે. એક વર્ષની અંદર-અંદર ત્રણ સ્તરે ચૂંટણી સફળતાપૂર્વક કરાવવા માટે હું આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. નેપાળના ઇતિહાસમાં પેહલી વખતનેપાળના તમામ સાતેય પ્રાંતોમાં પ્રાંતીય સરકારો બની છે. તે માત્ર નેપાળને માટે જ ગર્વનો વિષય નથી પરંતુ ભારત અને આ સંપૂર્ણ ક્ષેત્રને માટે પણ એક ગર્વનો વિષય છે. નેપાળ સામાજિક આર્થિક પરિવર્તન માટે એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે કે જે સુશાસન અને સમાવેશી વિકાસ પર આધારિત છે.

આ વર્ષે, દસ વર્ષ અગાઉ નેપાળના નવયુવાનોએ બુલેટ છોડીને બેલેટનો રસ્તો સ્વીકાર્યો હતો. યુદ્ધથી બુદ્ધ સુધીના આ સાર્થક પરિવર્તન માટે પણ હું નેપાળના લોકોને હૃદયથી ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. લોકશાહી મુલ્ય એક અન્ય કડી છે જે ભારત અને નેપાળના પ્રાચીન સંબંધોને વધુ નવી મજબૂતી આપે છે. લોકશાહી એ શક્તિ છે કે જે સામાન્યથી અસામાન્ય જનને કોઇઅન્ય રોકટોક વિના પોતાના સપના પૂર્ણ કરવાનો અવસર અને અધિકાર આપે છે. ભારતે આ શક્તિનો અનુભવ કર્યો છે અને આજે ભારતનો દરેક નાગરિક સપનાઓને પૂર્ણ કરવામાં લાગેલો છે. હું આપ સૌની આંખોમાં પણ તે જ ચમક જોઈ શકું છું કે તમે પણ તમારા નેપાળને તે જ રાહ પર આગળ વધારવા માંગો છો. હું તમારી આંખોમાં નેપાળને માટે તેવા જ સપનાઓ જોઇ રહ્યો છું.

સાથીઓ,

હમણાં તાજેતરમાં નેપાળના પ્રધાનમંત્રી આદરણીય શ્રીમાન ઓલીજીનું સ્વાગત કરવાનો મને દિલ્લીમાં અવસર મળ્યો હતો. નેપાળને લઈને તેમનો દ્રષ્ટિકોણ શું છે, તે જાણવાનો મને અવસર મળ્યો. ઓલીજીએ સમૃદ્ધ નેપાળ, સુખી નેપાળીના સપનાઓ સેવી રાખેલા છે. નેપાળની સમૃદ્ધિ અને ખુશહાલીની કામના ભારત પણ હંમેશાથી કરતુ આવ્યું છે, કરતું રહેશે. પ્રધાનમંત્રી ઓલીજીને, તેમના આ સપનાને પૂર્ણ કરવા માટે સવા સો કરોડ હિન્દુસ્તાનીઓની તરફથી, ભારત સરકાર તરફથી હું ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. આ બિલકુલ એ જ પ્રકારની વિચારધારા છે જેવી મારી ભારતને માટે છે.

ભારતમાં અમારી સરકાર સૌનો સાથ સૌનો વિકાસના મૂળ મંત્રને લઇને આગળ વધી રહી છે. સમાજનો એક પણ તબક્કો, દેશનો એક પણ હિસ્સો વિકાસધારાથી છૂટી ન જાય, એવો પ્રયાસ અમે સતત કરતા આવ્યા છીએ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, દરેક દિશામાં વિકાસનો રથ દોડી રહ્યો છે. ખાસ કરીને અમારી સરકારનું ધ્યાન તે ક્ષેત્રોમાં વધુ રહ્યું છે જ્યાં હજુ સુધી વિકાસનો પ્રકાશ નથી પહોંચી શક્યો. તેમાં પૂર્વાંચલ એટલે કે પૂર્વીય ભારત કે જે નેપાળની સરહદ સાથે જોડાયેલ છે, તેના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. યુપીથી લઈને બિહાર સુધી, પૂર્વોત્તર, પશ્ચિમ-બંગાળથી લઈને ઓડીશા સુધી, આ સમગ્ર ક્ષેત્રને દેશના બાકીના ભાગોની સાથે બરાબરીમાં ઉભા કરવાનો સંકલ્પ અમે લીધો છે. આ ક્ષેત્રમાં જે પણ કામ થઇ રહ્યા છે, તેનો લાભ નિશ્ચિતપણે પાડોશી દેશના સંબંધે નેપાળને સૌથી વધુ મળવાનો છે.

ભાઇઓ અને બહેનો,

જયારે હું સૌનો સાથ સૌનો વિકાસની વાત કરું છું તો માત્ર ભારતને માટે જ નહીં, તમામ પાડોશી દેશોને માટે પણ મારી આ જ કામના રહેતી હોય છે અને હવે જયારે નેપાળમાં ‘સમૃદ્ધ નેપાળ-સુખી નેપાળી’ની વાત થાય છે તો મારૂ મન પણ હજુ વધારે હર્ષિત થઇ ઉઠે છે. સવા સો કરોડ ભારતવાસીઓને પણ ઘણી ખુશી થાય છે. જનકપુરના મારા ભાઇઓ અને બહેનો, અમે ભારતમાં એક ઘણો મોટો સંકલ્પ લીધો છે, તે સંકલ્પ છે નવાભારતનો.

2022માં ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યાં સુધી સવા સો કરોડ હિન્દુસ્તાનીઓએ નવુંભારત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અમે એક નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છીએ જ્યાં ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ પ્રગતિ માટેના સમાન અવસર મળશે. જ્યાં ભેદભાવ, ઊંચ-નીચને કોઈ સ્થાન નહીં હોય, સૌનું સન્માન થાય. જ્યાં બાળકોને અભ્યાસ, યુવાનોને રોજગાર અને વડીલોને દવાઓ તે મળી રહે. જીવન સરળ બને, સામાન્ય માનવીને વ્યવસ્થાઓ સાથે ઝઝૂમવું ન પડે. ભ્રષ્ટાચાર અને દુરાચારથી રહિત સમાજ પણ હોય અને વ્યવસ્થા પણ હોય, એવા નવાભારત તરફ અમે આગળ વધી રહ્યાં છીએ.

અમે ભારત અને પ્રશાસનમાં અનેક સુધારાઓ કર્યા છે. પ્રક્રિયાઓને સરળ બનાવી છે અને દુનિયા અમારા આ પગલાઓને, અમે જે પગલાઓ ભર્યા છે, આજે દુનિયામાં ચારેય બાજુ તેની પ્રશંસા થઇ રહી છે. અમે રાષ્ટ્ર નિર્માણ અને જનભાગીદારીનો સંબંધ વધારે મજબુત બનાવી રહ્યા છીએ. નેપાળના સામાન્ય માનવીના જીવનને પણ ખુશહાલ બનાવવામાં યોગદાન આપવા માટે સવા સો કરોડ હિન્દુસ્તાનીઓને ઘણી ખૂશી થશે, તે હું આજે આપને વિશ્વાસ અપાવવા આવ્યો છું.

સાથીઓ, બંધુત્વ ત્યારે વધુ ગાઢ બને છે જયારે આપણે એક બીજાના ઘરે આવતા જતા રહીએ છીએ. મને ખુશી છે કે નેપાળના પ્રધાનમંત્રીની ભારત યાત્રા બાદ તરત જ મને આજે અહિયાં આપ સૌની વચ્ચે આવવાનો અવસર મળ્યો છે. જે રીતે હું અહિયાં વારંવાર આવતો રહું છું, એજ રીતે બંને દેશના લોકો પણ કોઈ પણ રોકટોક વિના આવતા જતા રહેવા જોઈએ.

આપણે હિમાલય પર્વત સાથે જોડાયેલા છીએ, ખીણ પ્રદેશની ખેતરો-કોતરો સાથે જોડાયેલા છીએ, અગણિત કાચા-પાકા રસ્તાઓ સાથે જોડાયેલ છીએ. નાની મોટી ડઝનબંધ નદીઓ સાથે જોડાયેલ છીએ અને આપણે આપણી ખુલ્લી સરહદો સાથે પણ જોડાયેલ છીએ. પરંતુ આજના યુગમાં માત્ર આટલું જ પુરતું નથી. આપણે અને મુખ્યમંત્રીજીએ જેટલા પણ વિષયો બતાવ્યા, હું ખૂબ સંક્ષેપમાં સમાપ્ત કરી દઈશ. આપણે ધોરીમાર્ગો સાથે જોડાવાનું છે, આપણે માહિતી માર્ગો એટલે કે આઈ-વે થી જોડાવાનું છે, આપણે ટ્રાન્સ વે એટલે કે વીજળીની લાઈનો સાથે પણ જોડાવાનું છે, આપણે રેલવે દ્વારા પણ જોડાવાનું છે, આપણે કસ્ટમ ચેક સાથે પણ જોડાવાનું છે, આપણે હવાઇ સેવાના વિસ્તાર સાથે પણ જોડાવાનું છે. આપણે આંતરિક જળમાર્ગો સાથે પણ જોડાવાનું છે, જળમાર્ગો સાથે પણ જોડાવાનું છે. જળ હોય, સ્થલ હોય, નભ હોય કે અંતરીક્ષ હોય, આપણે અંદરોઅંદર જોડાવાનું છે. જનતાની વચ્ચેના સંબંધો વ્યવહારો વિકસે અને મજબુત બને, તેની માટે જોડાણ ખૂબ જ જરૂરી છે. એ જ કારણ છે કે ભારત અને નેપાળની વચ્ચે જોડાણને અમે પ્રાથમિકતા આપી રહ્યા છીએ.

આજે જ પ્રધાનમંત્રી ઓલીજીની સાથે મળીને મે જનકપુરથી અયોધ્યાની બસ સેવાનું ઉદઘાટન કર્યું છે. ગયા મહીને પ્રધાનમંત્રી ઓલીજી અને મેં બીરગંજમાં સૌપ્રથમ ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટનું ઉદઘાટન કર્યું હતું. જયારે આ પોસ્ટ સંપૂર્ણ રીતે કામ કરવાનું શરૂ કરી દેશે, ત્યારે સરહદ પર વેપાર અને આવાગમનમાટે વધુ સરળતા થઇ જશે. જયનગર-જનકપુર રેલવે લાઈન પર પણ ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે.

ભાઇઓ અને બહેનો,

આ વર્ષના અંત સુધીમાં આ લાઈનને પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જયારે આ રેલવે લાઈન પૂરી થઇ જશે ત્યારે નેપાળ ભારતના વિશાળ નેટવર્કમાં રેલ નેટવર્ક સાથે પણ જોડાઈ જશે. હવે અમે બિહારના રક્સૌલથી થઈને કાઠમંડુને ભારત સાથે જોડવા માટે તીવ્ર ગતિએ આગળ વધી રહ્યા છીએ. એટલું જ નહીં, અમે જળ માર્ગથી પણ ભારત અને નેપાળને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. નેપાળ જળ, ભારતના જળ માર્ગોના માધ્યમથી સમુદ્ર સાથે પણ જોડાઇ જશે. આ જળમાર્ગો દ્વારા નેપાળમાં બનેલો સામાન દુનિયાના દેશો સુધી સરળતાથી પહોંચાડી શકાશે. તેનાથી નેપાળમાં ઉદ્યોગો લાગશે, રોજગારના નવા અવસરો ઉત્પન્ન થશે. આ પરિયોજનાઓ માત્ર નેપાળના જ સામાજિક આર્થિક બદલાવ માટે જરૂરી નથી પરંતુ કારોબારની દ્રષ્ટિએ પણ ખૂબ જરૂરી છે.

આજે ભારત અને નેપાળની વચ્ચે મોટી સંખ્યામાં વેપાર થાય છે. વેપાર માટે લોકો અહિંયાં ત્યાં આવતા જતા પણ રહેતા હોય છે. ગયા મહીને અમે કૃષિ ક્ષેત્રમાં એક નવી ભાગીદારીની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીજી તમે જણાવી રહ્યા હતા, આપણે એક નવી ભાગીદારીની જાહેરાત કરી છે અને આ ભાગીદારી અંતર્ગત કૃષિના ક્ષેત્રમાં સહયોગ હજુ વધારે પ્રોત્સાહન આપવામાં આવશે. બંને દેશોના ખેડૂતોની આવક કેવી રીતે વધારવામાં આવે, તેના પર ધ્યાન આપવામાં આવશે. ખેતીના ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગમાં આપણે સહયોગ વધારીશું.

ભાઇઓ અને બહેનો,

આજના યુગમાં ટેકનોલોજી વિના વિકાસ શક્ય નથી. ભારત અવકાશ ટેકનોલોજીમાં દુનિયાના ટોચના પાંચ દેશોમાં છે. તમને યાદ હશે જયારે હું પહેલીવાર નેપાળ આવ્યો હતો ત્યારે મે કહ્યું હતું કે ભારત નેપાળ જેવા અમારા પાડોશીઓ માટે એક ઉપગ્રહ ભારત મોકલશે. મારા આ વાયદાને હું ગયા વર્ષે પૂર્ણ કરી ચુક્યો છું. ગયા વર્ષે મોકલવામાં આવેલ દક્ષિણ એશિયા ઉપગ્રહ આજે સંપૂર્ણ ક્ષમતાથી પોતાનું કામ કરી રહ્યો છે અને નેપાળને તેનો પૂરે પૂરો લાભ મળી રહ્યો છે.

ભાઇઓ અને બહેનો,

ભારત અને નેપાળના વિકાસ માટે પાંચ ટી, (ફાઈવ T)ના રસ્તા પર અમે ચાલી રહ્યા છીએ. પહેલોટીછે ટ્રેડીશન – પરંપરા, બીજોટીછે ટ્રેડ – વ્યાપાર, ત્રીજો ટીછે ટુરીઝમ – પ્રવાસન, ચોથો ટીછે ટેકનોલોજી અને પાંચમો ટીછે ટ્રાન્સપોર્ટ – પરિવહન એટલે કે પરંપરા, વેપાર, પ્રવાસન, ટેકનોલોજી અને વાહનવ્યવહાર વડે આપણે નેપાળ અને ભારતને વિકાસના રસ્તા પર આગળ લઇ જવા માંગીએ છીએ.

સાથીઓ, સંસ્કૃતિ સિવાય ભારત અને નેપાળની વચ્ચે વ્યાપારી સંબંધોની પણ એક ઘણી મોટી ભૂમિકા છે. નેપાળ વીજળી ઉત્પાદનના ક્ષેત્રોમાં ઝડપી ગતિએ કામ કરી રહ્યું છે. આજે ભારતમાંથી લગભગ 450 મેગાવોટ વીજળી નેપાળને પૂરી પાડવામાં આવે છે તેના માટે અમે નવી ટ્રાન્સમિશન લાઈનો પાથરી છે.

સાથીઓ, 2014માં નેપાળની બંધારણ સભામાં મેં કહ્યું હતું કે ટ્રકોદ્વારા તેલ શા માટે આવવું જોઈએ, સીધી પાઈપલાઈનના માધ્યમથી કેમ નહીં. તમને એ જાણીને ખુશી થશે કે અમે મોતીહારી અમલેખ ગંજ ઓઈલ પાઈપલાઈનનું કામ પણ શરૂ કરી દીધું છે.

ભારતમાં અમારી સરકાર સ્વદેશ દર્શનની એક યોજના ચલાવી રહી છે. જે અંતર્ગત અમે અમારી ઐતિહાસિક ધરોહરો અને આસ્થાના સ્થાનોને એકબીજા સાથે જોડી રહ્યા છીએ. રામાયણ પરિપથમાં અમે એ તમામ સ્થાનોને જોડી રહ્યા છીએ જ્યાં-જ્યાં ભગવાન રામ અને માતા જાનકીના ચરણ પડ્યા છે. હવે આ કડીમાં નેપાળને પણ જોડવાની દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. અહિયાં જ્યાં-જ્યાં પણ રામાયણનીસ્મૃતિ છે; તેને ભારતના બાકીના ભાગો સાથે જોડીને શ્રદ્ધાળુઓને પરવડે તેવી અને આકર્ષક યાત્રાનો આનંદ મળે અને તેઓ ઘણી મોટી સંખ્યામાં નેપાળ આવે, અહીંના પ્રવાસનનો વિકાસ થાય.

ભાઇઓ અને બહેનો,

દર વર્ષે વિવાહ પંચમી પર ભારતમાંથી હજારો શ્રદ્ધાળુઓ અવધથી જનકપુર આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન પરિક્રમા માટે ભક્તોનો પ્રવાહ ચાલતો રહે છે. શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન થાય, એટલા માટે મને એ જાહેરાત કરતા ઘણી ખુશી થાય છે કે જનકપુર અને નજીકના ક્ષેત્રોના વિકાસની નેપાળ સરકારની યોજનામાં અમે સહયોગ આપીશું. ભારત તરફથી આ કામ માટે એકસો કરોડ રૂપિયાની સહાયતા આપવામાં આવશે. આ કાર્યમાં નેપાળ સરકાર અને પ્રાદેશિક સરકારની સાથે મળીને પરિયોજનાતૈયાર કરવામાં આવશે. આ રાજા જનકના સમયથી પરંપરા ચાલી આવી રહી છે કે જનકપુર ધામે અયોધ્યાને જ નહીં પરંતુ સમગ્ર સમાજને માટે કંઈક ને કંઈક આપ્યું છે. જનકપુર ધામે આપ્યું છે, હું તો માત્ર અહિયાં માં જાનકીના દર્શન કરવા આવ્યો હતો. અંક્પુર માટે આ જાહેરાત ભારતની સવા સો કરોડ જનતા તરફથી માં જાનકીના ચરણોમાં હું સમર્પિત કરું છું.

આવા જ અન્ય બે કાર્યક્રમો છે. બુદ્ધિસ્ટ પરિપથ અને જૈન પરિપથ, તે અંતર્ગત બુદ્ધ અને મહાવીર જૈન સાથે જોડાયેલ જેટલા પણ સંસ્થાનો ભારતમાં છે, તેમને આંતરિક રીતે જોડવામાં આવી રહ્યા છે. નેપાળમાં બૌદ્ધ અને જૈન આસ્થાના અનેક સ્થાનો છે. તે પણ બંને દેશોના શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની માટે એક સારૂ આપણું બંધન બનાવવાનું કામ થઇ શકે છે. તેનાથી નેપાળમાં યુવાનો માટે રોજગારીના પણ અવસર ઉભા થશે.

ભાઇઓ બહેનો,

આપણી ખાણીપીણી અને બોલચાલમાં ઘણી બધી સમાનતાઓ છે. મૈથિલી ભાષીઓની સંખ્યા જેટલી ભારતમાં છે તેટલી જ અહિયાં નેપાળમાં પણ છે. મૈથિલી કલા સંસ્કૃતિ અને સભ્યતાની ચર્ચા વિશ્વ સ્તરે થતી રહે છે. બંને દેશ જયારે મૈથિલીના વિકાસ માટે મળીને સામુહિક પ્રયાસ કરશે, ત્યારે આ ભાષાનો વિકાસ હજુ વધારે શક્ય બની જશે. મને ખબર પડી છે કે કેટલાક મૈથિલી નિર્માતાઓ હવે નેપાળ ભારત સહીત કતાર અને દુબઈમાં પણ એક સાથે નવી મૈથિલી ફિલ્મો રીલીઝ કરવા જઈ રહ્યા છે. તે એક આવકારદાયક પગલું છે, તેને પ્રોત્સાહન આપવાની જરૂર છે. જે રીતે અહિયાં મૈથિલી બોલનારાઓની ઘણી બધી સંખ્યા છે તે જ રીતે ભારતમાં નેપાળી બોલનારાઓની સંખ્યા વધારે છે. નેપાલી ભાષાના સાહિત્યના અનુવાદને પણ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તમને એ પણ જણાવી દઉં કે નેપાળી ભારતની તે ભાષાઓમાં સામેલ છે કે જેમને ભારતીય બંધારણમાં માન્યતા આપવામાં આવી છે.

ભાઇઓ અને બહેનો

એક અન્ય પણ ક્ષેત્ર છે જ્યાં અમારી આ ભાગીદારી વધુ આગળ વધી શકે તેમ છે. ભારતની જનતાએ સ્વચ્છતાનું એક બહુ મોટું અભિયાન શરુ કર્યું છે. અહિયાં બિહાર અને પડોશના અન્ય રાજ્યોમાં જયારે તમે તમારા સંબંધીઓને ત્યાં જાવ છો તો તમે પણ જોયું હશે અને સાંભળ્યું હશે કે માત્ર ત્રણ ચાર વર્ષમાં જ 80 ટકાથી વધુ ભારતના ગામડાઓ ખુલ્લામાં શૌચથી મુક્ત થઇ ચુક્યા છે. ભારતની દરેક શાળામાં બાળકીઓ માટે અલગ શૌચાલય સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. મને એ જાણીને ઘણી ખુશી થઇ કે સ્વચ્છ ભારત અને સ્વચ્છ ગંગાની જેમ તમે લોકોએ પણ અને મેયરજી ને હું અભિનંદન આપું છું, જનકપુરના ઐતિહાસિક ધાર્મિક સ્થાનોને સ્વચ્છ કરવાનું સફળ અભિયાન ચલાવ્યું છે. પૌરાણિક મહત્વના સ્થાનોને સંભાળવાના પ્રયાસો વડે નેપાળના યુવાનોને જોડવા એ વધુ ખુશીની વાત છે.

હું ખાસ કરીને અહિયાંના મેયરએ અભિનંદન આપવા માંગું છું, તેમના સાથીઓને અભિનંદન આપવા માંગું છું, અહીંયાના નવયુવાનોને અભિનંદન આપવા માંગું છું, અહીંના વિધાયકો, સાંસદોને અભિનંદન આપવા માંગું છું, જેમણે સ્વચ્છ જનકપુર અભિયાનને આગળ વધાર્યું છે. ભાઇઓ અને બહેનો આજે મેં માં જાનકીના દર્શન કર્યા છે. આવતીકાલે મુક્તિનાથ ધામ અને પછી પશુપતિનાથજીના પણ આશીર્વાદ લેવાનો મને અવસર મળશે. મને વિશ્વાસ છે કે દેવ આશીર્વાદ અને તમે જનતા જનાર્દનના આશિષ, જે કઈ પણ જે પણ સમજૂતિઓ થશે, તે સમૃદ્ધ નેપાળ અને ખુશહાલ ભારતના સંકલ્પને સાકાર કરવામાં સહાયક બનશે.

એકવાર ફરીથી નેપાળના પ્રધાનમંત્રી આદરણીય ઓલીજીનો, રાજ્ય સરકારનો, નગર સરકારનો ને અહિયાંની જનતા જનાર્દનનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરું છું, તમારો આભાર માનું છું.

જય સિયારામ. જય સિયારામ.

RP