Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પૂર્વોત્તર પરિષદના પૂર્ણ સત્રમાં પ્રધાનમંત્રીનું સંબોધન

પૂર્વોત્તર પરિષદના પૂર્ણ સત્રમાં પ્રધાનમંત્રીનું સંબોધન


પૂર્વોત્તર પરિષદના પૂર્ણ સત્રમાં ભાગ લઈને મને આનંદ થયો છે. આ પ્રસંગે હું આપ સૌનું સ્વાગત કરૂં છું. મને આશા છે કે કાલથી ચાલી રહેલા વિચાર વિમર્શ અને આજે થયેલ ચર્ચાથી ક્ષેત્રના ઝડપી વિકાસમાં મદદ મળશે. મને એ વાતનો આનંદ છે કે પૂર્વોત્તર પરિષદે પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસમાં સહયોગ આપ્યો છે. પરિષદ અનેક સંસ્થાનોની સ્થાપના અને ક્ષેત્રમાં મૂળભુત માળખાકિય પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં અગ્રેસર રહી છે. પૂર્વોત્તર પરિષદની રચના 1972માં થઈ હતી. ત્યારથી પરિષદે વિકાસમાં ફાળો આપ્યો છે. લોકોની વધી રહેલ અપેક્ષાઓ પૂરી કરવા માટે એ મહત્વનું છે કે પૂર્વોત્તર પરિષદ એ વાતનું આત્મ નિરીક્ષણ કરે કે તે કઈ હદ સુધી તેના હેતુઓ હાંસલ કરવામાં સફળ રહી છે. કદાચ પૂર્વોત્તર પરિષદને નવું સ્વરૂપ આપવાની અને ઉત્કૃષ્ટ બનાવવાની જરૂર છે. તમે ઈચ્છશો કે પૂર્વોત્તર પરિષદ જરૂરી સંસાધનો, જ્ઞાન અને કૌશલ્ય સાથે પૂર્વોત્તર રાજ્યો માટે અત્યાધુનિક સંસાધન કેન્દ્ર બને. આ સંસાધન કેન્દ્ર રાજ્યોના કાર્યક્રમોને લાગુ કરનારી એજન્સીઓની યોગ્ય યોજના બનાવવા, પ્રોજેક્ટને અમલમાં મૂકવા, સંશોધનને પ્રોત્સાહિત કરવા તથા નવીનીકરણ અને ક્ષેત્ર માટે વ્યુહાત્મક નીતિ પૂરી પાડવામાં મદદરૂપ બની શકે છે.

પૂર્વોત્તર પરિષદ પોતે એક વિશેષજ્ઞ ક્ષેત્ર વિકસિત કરે અથવા તો રાજ્યો તથા કેન્દ્રીય મંત્રાલયોમાં તેમની વિકાસ યોજનાઓ અને સમસ્યાના ઉકેલમાં સહાયતા માટે એજન્સી મૉડેલથી કાર્ય કરે. આનાથી ક્ષેત્રમાં સુશાસન અને શ્રેષ્ઠ વ્યવહારો અપનાવવામાં મદદ મળશે. પૂર્વોત્તર પરિષદે આજીવિકા, સાહસિકતા, સાહસ ફંડ, સ્ટાર્ટ અપ તથા કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રો તરફ પણ ધ્યાન આપવું જોઈએ. આનાથી રોજગારી નિર્માણમાં પણ મદદ મળશે.

સરકાર તેની સક્રિય ‘એક્ટ ઈસ્ટ નીતિ’ના માધ્યમથી પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ પર ભાર મૂકી રહી છે. આ નીતિના ભાગ તરીકે અમે રોડ, રેલ, દૂર સંચાર, વીજળી તથા જળ માર્ગ ક્ષેત્રોના માધ્યમથી સંપર્કમાં સમગ્ર સુધારો કરી ક્ષેત્રને છૂટા છવાયા રહેવામાં ઘટાડો કરી રહ્યા છીએ. જે દેશનું પશ્ચિમી ક્ષેત્ર વિકસિત થઈ શકે છે, જો દેશનાં અન્ય ક્ષેત્રો વિકાસ કરી શકે છે તો મને એવું કોઈ કારણ દેખાતું નથી કે દેશના પૂર્વોત્તર ક્ષેત્રનો વિકાસ ના કરી શકાય. મને દ્રઢ વિશ્વાસ છે કે ભારત ત્યારે જ આગળ વધશે જ્યારે પૂર્વોત્તર ક્ષેત્ર સહિત તમામ ક્ષેત્રો વિકસિત થશે. પૂર્વોત્તર ક્ષેત્ર આપણા માટે વ્યુહાત્મક દ્રષ્ટિએ પણ બહુ જ મહત્વપૂર્ણ છે. મારૂં એ દ્રઢતાપૂર્વક માનવું છે કે આ ક્ષેત્રને અન્ય વિકસિત ક્ષેત્રોની સરખામણીએ લાવવું પડશે. ચાલુ બજેટમાં પૂર્વોત્તર ક્ષેત્ર માટે રૂ. 30,000 કરોડથી વધુ નાણાં ફાળવવામાં આવ્યા છે. એ બાબતની ખાતરી રાખવાનો આપણે પ્રયત્ન કરવાનો રહેશે કે આ રકમનો ક્ષેત્રના વિકાસ માટે ખર્ચ થાય.

અમે સહકારી અને પ્રતિસ્પર્ધાત્મક સંઘવાદમાં વિશ્વાસ રાખીએ છીએ. જે રાજ્ય મજબૂત છે અને વધુ વિકાસ કરવા ઈચ્છે છે તેમને પુરતા અધિકાર અને સંસાધન આપવાની જરૂર છે. એવા રાજ્યો જે એટલા મજબૂત નથી તેમને જરૂરી મદદ કરવાની જરૂર છે. મુખ્યમંત્રીઓની સમિતિઓના રિપોર્ટના આધારે અમે આ સંબંધે પૂર્વોત્તર રાજ્યોની મુખ્ય કેન્દ્રીય યોજનાઓ માટે 90:10 ના પ્રમાણમાં અને બિન મુખ્ય યોજનાઓ માટે 80:20 ના પ્રમાણમાં સહાયતાની ઉપલબ્ધતા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

ભૂતકાળમાં અમે આસામમાં બે મુખ્ય પરિયોજનાઓ –બ્રહ્મપુત્ર ક્રેકર અને પોલિમર લિમિટેડ તથા નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડનું મોમ યુનિટ સ્થાપવામાં આવેલ છે. આ મોટી પરિયોજનાઓ છે જેનાથી પૂર્વોત્તર ક્ષેત્રમાં મોટી સંખ્યામા રોજગારીનું સર્જન થશે. જોકે અમે આ પરિયોજનાઓને પુરી કરવા માટે ઘણાં વર્ષોનો સમય લીધો છે. અમારે એ ખાતરી કરવાની છે કે અમે ખર્ચ વધાર્યા વગર અમારી પરિયોજનાઓ નિર્ધારિત સમયમાં પુર્ણ કરવા સમર્થ છીએ તો જ આપણે આ પરિયોજનાઓનો લાભ લઈ શકીશું.

પૂર્વોત્તર દક્ષિણ-પૂર્વ એશિયાનું પ્રવેશદ્વાર છે અને આપણે તેનો લાભ લેવાની જરૂર છે. અમે આપણા પાડોશી દેશો માટે રોડ અને રેલ બંને માર્ગો ખોલી રહ્યા છીએ. તેનાથી આ ક્ષેત્રના આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે.

અમે પૂર્વોત્તર માટે એક નિષ્ણાત રાજમાર્ગ નિર્માણ એજન્સીની સ્થાપના કરી છે, જેનું નામ રાષ્ટ્રીય રાજમાર્ગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ નિગમ છે. આને 18 જુલાઈ, 2014ના રોજ સ્થાપિત કરાયુ હતું. ત્યારબાદ આ એજન્સીએ દરેક પૂર્વોત્તર રાજ્યમાં પોતાનું એક એક શાખા કાર્યાલય સ્થાપિત કર્યું છે. આજની તારીખ સુધી આ પૂર્વોત્તર રાજ્યોમાં 34 પરિયોજનાઓનું અમલીકરણ કરી રહી છે. અને રૂ. 10,000 કરોડના કુલ ખર્ચે 1001 કિલોમીટર લાંબા રોડનું નિર્માણ કાર્ય કરી રહેલ છે.

રોડ ક્ષેત્રે આપણે તે ક્ષેત્રની વિશેષ જમીન અને વાતાવરણની સ્થિતિને ધ્યાનમાં રાખવાની જરૂર છે. મોટાભાગના પૂર્વોત્તર ક્ષેત્રમાં ભારે વરસાદ પડે છે અને આ ક્ષેત્ર કુદરતી આપત્તિઓ અને ભૂસ્ખલનની શક્યતાઓ ધરાવનાર છે. આપણે આ ક્ષેત્રમાં રોડના નિર્માણમાં યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં સાવધાની રાખવાની જરૂર છે.

અમે તાજેતરમાં જ બાંગ્લાદેશના સહકારથી પૂર્વોત્તર ક્ષેત્ર માટે ઉત્કૃષ્ટ ઈન્ટરનેટ કનેક્ટિવીટી પરિયોજના ચાલુ કરી છે. તેનાથી આ ક્ષેત્ર માટે 10 જીબીનું સરળ વૈકલ્પિક બેન્ડવીથ ઉપલબ્ધ થશે. આ એકીકરણથી પૂર્વોત્તર ક્ષેત્રને ઘણો ફાયદો થશે.

સરકાર તમામ 8 પૂર્વોત્તર રાજ્યોમાં લગભગ રૂ. 10,000 ના ખર્ચ વાળી વિદ્યુત ટ્રાન્સમીશન પરિયોજનાઓમાં મોટું રોકાણ કરી રહી છે. આનાથી મોટા ભાગના ક્ષેત્રોમાં વીજળીની ઉપલબ્ઘતા નક્કી થશે. હમણાં તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલ વિશ્વનાથ-ચારિયાલી, આગરા ટ્રાન્સમિશન લાઈનથી 500 મેગાવોટ વધારાની ક્ષમતા આ ક્ષેત્રને ઉપલબ્ધ થઈ છે.

રેલવેએ લગભગ 10,000 કરોડના ખર્ચે આ ક્ષેત્રમાં મુખ્ય વિસ્તાર કાર્ય શરૂ કરેલ છે. નવેમ્બર, 2014માં અરૂણાચલ પ્રદેશ અને મેઘાલયને રેલ નકશા પર લાવવામાં આવેલ હતાં. ત્રિપુરામાં અગરતલ્લાને બ્રોડગેજ લાઈન સાથે જોડવામાં આવેલ છે. અમે એ સુનિશ્ચિત કરવાના માર્ગે છીએ કે તમામ પૂર્વોત્તર રાજ્યોને બહુ જ જલ્દી રેલ નકશા પર લાવી શકાય.

પૂર્વોત્તરમાં ભારતીય રેલવેએ ગત બે વર્ષમાં લગભગ 900 કિલોમીટર બ્રોડગેજ લાઈન શરૂ કરી છે. 2016-17માં બ્રોડગેજમાં પરિવર્તન માટે માત્ર 50 કિલોમીટર લાંબી મીટરગેજ જ બાકી રહી છે. આ ઉપરાંત પૂર્વોત્તરના ત્રીજા વૈકલ્પિક સંપર્ક માર્ગ (ન્યુ માયનાગુડી-જોગીઘોપા)ના 132 કિ.મી. ભાગનું કામ પણ શરૂ કરાયેલ છે.

પૂર્વોત્તર ક્ષેત્રમાં અનેક પ્રકારનું સામર્થ્ય રહેલું છે, જેનું ક્ષેત્રના સ્વસ્થ વિકાસ માટે ઉપયોગ કરવાની જરૂર છે. પૂર્વોત્તર ક્ષેત્રના તમામ રાજ્યો કુદરતી રમણીય, સોંદર્ય, વિશિષ્ટ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને જાતિય વારસાથી પરિપૂર્ણ છે. આનાથી આ ક્ષેત્રમાં પર્યટન માટે નોંધપાત્ર અવકાશ છે. આ ક્ષેત્રમાં પર્વતારોહણ, ટ્રેકિંગ અને સાહસિક પર્યટનની વ્યાપક શક્યતાઓ છે. જો આને યોગ્ય રીતે વિકસિત અને પ્રોત્સાહિત કરાય તો આ ક્ષેત્ર એક મોટા નિયોક્તા તરીકે બહાર આવી શકે છે. આનાથી ક્ષેત્રનો વિકાસ અને આવકમાં વૃદ્ધિ થશે.

હું માનું છું કે પર્યટન મંત્રાલયે પૂર્વોત્તર ક્ષેત્ર માટે એક વિષયગત સર્કિટની ઓળખ કરી છે. મને આશા છે કે પૂર્વોત્તર રાજ્ય દુનિયાભરના પર્યટકોને આકર્ષિત કરવા અને પર્યટક સર્કિટનો વિકાસ કરવાની યોજનાનો શ્રેષ્ઠ ઉપયોગ કરશે. આ ક્ષેત્ર પાડોશી દેશોના કેટલાક લોકપ્રિય સ્થળોને તેની પર્યટક સર્કિટ સાથે જોડવાનું કાર્ય પણ કરી શકે છે. આનાથી પર્યટકો માટે અહીંના પર્યટનમાં આકર્ષણ વધશે.

પૂર્વોત્તર ક્ષેત્રના મોટોભાગના યુવાઓ અંગ્રેજી બોલે છે આનાથી સંપર્ક વધારવાના અને ભાષાના કૌશલ્યથી આ ક્ષેત્રમાં બીપીઓ ઉદ્યોગની સ્થાપના કરી શકાય છે.

સરકારે રોજગારીની તકોના સર્જન માટે ડિજીટલ ઈન્ડિયા કાર્યક્રમમાં પૂર્વોત્તર બીપીઓ પ્રોત્સાહન યોજનાને મંજુરી આપી છે. પૂર્વોત્તર રાજ્યોએ આ સુવિધાઓનો લાભ લેવો જોઈએ અને આ બીપીઓને પોતપોતાના રાજ્યોમાં ચાલુ કરવા જોઈએ. આનાથી વિકાસને પ્રોત્સાહન મળશે અને આપણા યુવાઓ માટે રોજગારી પૂરી પાડી શકાશે.

પૂર્વોત્તર વિદેશી ફળો, ફુલો, શાકભાજી, સુગંધિત છોડ અને જડીબુટીઓનું ઘર છે. આમાંના મોટા ભાગના મૂળ રૂપે જૈવિક છે. જો આપણે જૈવિક ખેતી પર વિકાસાત્મક રણનીતિથી ધ્યાન કેન્દ્રીત કરીએ તો આ ક્ષેત્રો માટે બહુ જ લાભદાયી રહેશે.

કેટલાક મહિનાઓ અગાઉ હું સિક્કિમમાં હતો અને મેં સિક્ક્મને દેશમાં પ્રથમ જૈવિક રાજ્ય જાહેર કરવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અન્ય રાજ્યો પણ સિક્કિમથી પ્રેરણા લઈ શકે છે અને પૂર્વોત્તર પરિષદ પણ આ ક્ષેત્રમાં જૈવિક ખેતીના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ દેશ માટે પૂર્વોત્તર જૈવિક ખાદ્ય બૉસ્કેટ બની શકે છે. જૈવિક ઉત્પાદનોનો મોટાપાયે ઉપયોગ વધવાનો છે. તેથી જો પૂર્વોત્તર પરિષદ આ ક્ષેત્રમાં રાજ્યોની મદદ કરે તો ઑર્ગેનિક ઉત્પાદનોના ક્ષેત્રે ટોચ પર પહોંચી શકે છે. જેનાથી અહીંના લોકો અને ક્ષેત્રની આવકમાં નોંધપાત્ર વધારો કરવામાં મદદ મળશે.

પૂર્વોત્તર ક્ષેત્રમાં ગ્રામીણ જનસંખ્યા પુષ્કળ છે. જો આપણે આસામમાં જ જોઈએ તેની 86 ટકા વસ્તી ગ્રામીણ ક્ષેત્રોમાં વસે છે. અમે સમૂહ મૉડલમાં ગ્રામીણ ક્ષેત્રોના આર્થિક, સામાજિક અને મૂળ વિકાસ માટે શ્યામાપ્રસાદ મુખરજી મિશનનો પ્રારંભ કર્યો છે. આ ક્ષેત્રના રાજ્યોનો એ પ્રયત્ન થવો જોઈએ કે તેઓ ગ્રામીણ ક્ષેત્રોના વિકાસ માટે આ મિશનનો ઉપયોગ કરે.

અંતમાં હું શિલોંગમાં પૂર્ણ સત્રના સફળ આયોજન માટે પૂર્વોત્તર પરિષદના અધ્યક્ષ અને તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરૂં છું.

હું આ બેઠકની યજમાની માટે મેઘાલયના રાજ્યપાલ અને મુખ્યમંત્રીનો ખાસ આભાર માનું છું. મને વિશ્વાસ છે કે આ બેઠકના વિચાર વિમર્શ આ ક્ષેત્રના વિકાસ માટે લાંબા ગાળાનો માર્ગ મોકળો કરશે.

J.Khunt