Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અંજારમાં એલએનજી ટર્મિનલ અને પાઈપલાઈનનું ઉદઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અંજાર ખાતે મુંદ્રા એલએનજી ટર્મિનલ, અંજાર મુંદ્રા પાઈપલાઈન પ્રોજેક્ટ અને પાલનપુર પાલી બાડમેર પાઈપલાઈન પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું.

આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કચ્છમાં તેમને જે સ્નેહ મળે છે તે અદ્વિતીય છે. તેમણે છેલ્લા 20 વર્ષમાં કચ્છ પ્રદેશમાં જે વિકાસ કાર્યો થઇ રહ્યા છે તેની પ્રશંસા કરી.

તેમણે કહ્યુ કે એલએનજી ટર્મિનલનું ઉદઘાટન એ આજના કાર્યક્રમની હાઈલાઈટ છે. તેમણે ઉમેર્યુ કે ત્રણ એલએનજી ટર્મિનલોનું ઉદઘાટન કરવું એ મારા માટે સૌભાગ્યની વાત છે.

પ્રધાનમંત્રીએ કહ્યુ કે, ગુજરાત, ભારતના એલએનજી કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે, આનાથી તમામ ગુજરાતીએ ગર્વનો અનુભવ કરવો જોઈએ. કોઇપણ દેશના વિકાસમાં મજબૂત ઊર્જા ક્ષેત્રની જરૂરિયાત હોય છે એ વાતને ખાતરીપૂર્વક જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યુ કે જો આપણે ઊર્જાની દ્રષ્ટિએ ગરીબ રહીશું તો આપણે ગરીબીમાંથી બહાર નહિં આવી શકીએ.

પ્રધાનમંત્રીએ કહ્યુ કે લોકોની મહત્વાકાંક્ષાઓ વધી રહી છે અને તેઓ પરમ્પરાગત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથેસાથે આઈ વેઝ, ગેસ ગ્રીડ, વોટર ગ્રીડ અને ઓપ્ટીકલ ફાયબર નેટવર્કની મહેચ્છા રાખે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પ્રવાસન ક્ષેત્રમાં પુષ્કળ તકો રહેલી છે અને વિશ્વ ભારતમાં આવવા માટે ઉતાવળું બન્યું છે. આપણે કચ્છમાં પણ જોયું છે કે કેવી રીતે સફેદ રણ સમગ્ર વિશ્વનાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે, ઉડ્ડયન ક્ષેત્રને વધુ સસ્તું બનાવવા અને જોડાણોને વધુ સારા બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ અંગે પણ તેમણે વાત કરી.

પ્રધાનમંત્રીએ તમામ ગામડાઓમાં વીજળીકરણ થાય તે બાબતની ખાતરી કરવા માટેના પ્રયત્નો અને ભારતમાં તમામ ઘરને વીજળી પહોંચાડવા માટે કરવામાં આવતા કાર્યો અંગે પણ વાત કરી હતી. તેમણે ઉમેર્યુ હતુ કે અમે ભારતના સામાન્ય નાગરિકના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માંગીએ છીએ.

 

RP