Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પ્રથમ મહાસભાનું ઉદઘાટન કર્યું


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પ્રથમ મહાસભાનું ઉદઘાટન કર્યું હતું. આ જ કાર્યક્રમમાં આઇઓઆરએ પુનઃપ્રાપ્ય ઊર્જાની બીજી મંત્રીમંડળીય બેઠક અને બીજી ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ (રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્ષ્પો)નું ઉદઘાટન પણ થયું હતું. આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ શ્રી એન્ટોનિયો ગુટેરેજ઼ ઉપસ્થિત રહ્યા હતા.

અહીં ઉપસ્થિત લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં 150થી 200 વર્ષમાં માનવજાત ઊર્જાની જરૂરિયાત પૂરી કરવા માટે અશ્મિભૂત ઇંધણ પર નિર્ભર થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, કુદરતે હવે સૌર, પવન અને જળ જેવા વિકલ્પો પ્રસ્તુત કર્યા છે, જે ઊર્જાનાં વધારે સ્થાયી સમાધાનો આપે છે. આ સંદર્ભમાં તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જ્યારે ભવિષ્યમાં લોકો 21મી સદીમાં માનવજાતનાં કલ્યાણ માટે સ્થાપિત થયેલી સંસ્થાઓની વાત કરશે, ત્યારે એમની યાદીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન ટોચ પર હશે. તેમણે કહ્યું હતું કે, ઉચિત આબોહવા સુનિશ્ચિત કરવા કામ કરવા માટેનો આ શ્રેષ્ઠ મંચ છે, ભવિષ્યમાં ઊર્જાનાં મુખ્ય સપ્લાયર તરીકે ઓપેક (પેટ્રોલિયમ નિકાસકર્તા દેશોનું સંગઠન)નું સ્થાન આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન લઈ શકે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હવે ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનાં ઉપયોગમાં વધારાની અસર દેખાય છે, ભારત કાર્યયોજના મારફતે પેરિસ સમજૂતીનાં લક્ષ્યાંકો પૂર્ણ કરવા કામ કરે છે, અમે વર્ષ 2030 સુધીમાં ભારતની ઊર્જાની કુલ જરૂરિયાતોનો 40 ટકા હિસ્સો બિનઅશ્મિભૂત ઇંધણ આધારિત સ્રોતો દ્વારા પેદા કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે આથી ભારત હવે ગરીબ દેશમાંથી ઊર્જાવંત રાષ્ટ્ર’નાં નવા આત્મવિશ્વાસ સાથે વિકાસનાં માર્ગે અગ્રેસર છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વીજળીનાં ઉત્પાદનની સાથે વીજળીનો સંગ્રહ પણ મહત્ત્વપૂર્ણ છે. આ સંદર્ભમાં તેમણે રાષ્ટ્રીય ઊર્જા સંગ્રહ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત સરકાર માગને આધારે સર્જન, સ્વદેશી ઉત્પાદન, નવીનતા અને ઊર્જાનાં સંગ્રહ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સૌર અને પવન ઊર્જા ઉપરાંત ભારત બાયોમાસ, બાયોફ્યુઅલ (જૈવઇંધણ) અને બાયોએનર્જી (જૈવિક ઊર્જા) પર કામ કરે છે, ભારતની પરિવહન વ્યવસ્થાને સ્વચ્છ ઇંધણ આધારિત બનાવવા પ્રયાસો થઈ રહ્યાં છે, ભારત સરકારે જૈવિક કચરાને જૈવઇંધણમાં પરિવર્તિત કરવાનો પડકાર ઝીલી લીધો છે અને એને વિકાસ કરવાનો અવસર બનાવી લીધી છે.

RP