Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કુપોષણની સમસ્યા ઘટાડવા હાથ ધરાયેલી વિવિધ પહેલોની સમીક્ષા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતમાં કુપોષણ અને તેની સાથે સંબંધિત સમસ્યાઓનું નિવારણ કરવા અને તેને ઘટાડવા માટે સરકારનાં પ્રયાસો અને તેની સમીક્ષા કરી હતી. આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ), નીતિ આયોગ અને અન્ય મંત્રાલયોનાં અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

બેઠકમાં કુપોષણ, અપર્યાપ્ત વિકાસ અને તેની સાથે સંબંધિત સમસ્યાઓની વર્તમાન સ્થિતિની સમીક્ષા થઈ હતી. તેમાં અન્ય કેટલાંક વિકાસશીલ દેશોનાં બાળકોમાં પોષણ વધારવા માટે હાથ ધરવામાં આવેલી સફળ પહેલોની ચર્ચાવિચારણા પણ થઈ હતી.

પ્રધાનમંત્રીએ અપર્યાપ્ત વિકાસ, કુપોષણ, બાળકોનાં જન્મ સમયે ઓછું વજન અને એનિમિયાની સમસ્યાઓ ઘટાડવાનાં હેતુસર નક્કર કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ 2022 સુધીમાં આ સમસ્યા માટે હાથ ધરવામાં આવેલી પહેલોનાં પરિણામો દેખાવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવામાં આવશે.

આ માટે પોષણની પ્રગતિ માટે હાથ ધરવામાં આવેલી પહેલોનું રિયલ-ટાઇમ નિરીક્ષણ તેનાં પરિણામો મેળવવાની ચર્ચા થઈ હતી, ખાસ કરીને આ સમસ્યાઓ અતિશય પ્રમાણમાં ધરાવતા જિલ્લાઓમાં.

વરિષ્ઠ અધિકારીઓએ કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત અભિયાન, મિશન ઇન્દ્રધનુષ, બેટી બચાવો-બેટી પઢાઓ તથા પ્રધાનમંત્રી માતૃવંદન યોજના વગેરે જેવી પહેલો પર વારંવાર ભાર મૂક્યો હતો, જેનાથી બાળકોમાં પોષણ પર સકારાત્મક અસર થશે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોની તમામ યોજનાઓ વચ્ચે સમન્વય સ્થાપિત કરવા અપીલ કરી છે, જે પોષણ સંબંધિત આ પ્રકારની યોજનાઓ પર પ્રત્યક્ષ કે પરોક્ષ અસર ધરાવે છે.

તેમણે જણાવ્યું હતું કે, બાળકોમાં પોષણ સાથે સંબંધિત મહત્ત્વ અંગે સમાજમાં જાગૃતિ વધારવાની જરૂર છે, જેથી ઇચ્છિત પરિણામો હાંસલ થાય. તેમણે આ જાગૃતિ લાવવા અનૌપચારિક માધ્યમોનો ઉપયોગ કરવાનાં મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો.

RP