Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લેવા માટે જનારી ભારતીય ટૂકડી સાથે સંવાદ કર્યો

પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લેવા માટે જનારી ભારતીય ટૂકડી સાથે સંવાદ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2022માં ભાગ લેવા માટે જઇ રહેલી ભારતીય ટૂકડી સાથે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. આ સંવાદમાં એથલેટ્સ અને તેમના કોચ બંનેએ ભાગ લીધો હતો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને રમતગમત સચિવ પણ સંવાદ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ આજે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ નિમિત્તે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે જઇ રહેલી ભારતીય ટૂકડીને શુભેચ્છાઓ પાઠવી હતી. 28 જુલાઇથી તામિલનાડુમાં પણ ચેસ ઓલિમ્પિયાડનું આયોજન થવા જઇ રહ્યું છે. જે પ્રકારે અગાઉના એથલેટ્સે ભારતને ગૌરવ અપાવ્યું તેવી રીતે હાલની ભારતીય ટૂકડી પણ ભારતને ગૌરવ અપાવે તેવી પ્રધાનમંત્રીએ તેમને શુભેચ્છા પાઠવી હતી. તેમણે માહિતી આપી હતી કે, કોમનવેલ્થમાં પહેલી વખત 65 થી વધુ એથ્લેટ્સ ભાગ લઇ રહ્યા છે અને તેમણે તેઓને જબરદસ્ત પ્રભાવ પાડવાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે તમામ એથલેટ્સને સલાહ આપી કે, “તમારાં પૂરા દિલથી રમો, સખત રમો, સંપૂર્ણ શક્તિથી રમો અને કોઇપણ તણાવ વગર રમજો.”

સંવાદ દરમિયાન પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના એથલેટ શ્રી અવિનાશ સાબ્લે સાથે તેઓ મહારાષ્ટ્રથી આવતા હોવા અંગે અને સિયાચીનમાં ભારતીય સૈન્ય માટે કામ કરી રહ્યા છે તે અંગે તેમના અનુભવો પૂછ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારતીય સૈન્યમાં સેવા આપવાના 4 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમને ઘણું બધુ શીખવા મળ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય સૈન્યમાંથી તેમને મળેલી શિસ્ત અને તાલીમ તેમને કોઇપણ ક્ષેત્રમાં ચમકવા માટે મદદરૂપ થશે. પ્રધાનમંત્રીએ તેમને પૂછ્યું હતું કે, સિયાચીનમાં કામ કરતી વખતે તેમણે સ્ટીપલચેઝ ક્ષેત્ર કેમ પસંદ કર્યું. જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, સ્ટીપલચેઝ એવી જગ્યા છે જેમાં તમામ અવરોધોને પાર કરવા પડે છે અને તેમણે સૈન્યમાં આવી તાલીમ મેળવી હતી. પ્રધાનમંત્રીએ તેમના આટલા ઝડપથી વજન ઘટાડવાના અનુભવ વિશે પૂછ્યું હતું. તેમણે કહ્યું કે સેનાએ તેને રમતગમતમાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા અને તેઓ પોતે તાલીમ મેળવી શકે તે માટે તેમને વધારાનો સમય મળ્યો હતો તેમજ તેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળી હતી.

સંવાદ દરમિયાન આગળ વધતા પ્રધાનમંત્રીએ 73 કિલો કેટેગરીમાં વેઇટ લિફ્ટર અચિંતા શેઉલી સાથે વાત કરી હતી જેઓ પશ્ચિમ બંગાળના છે. પ્રધાનમંત્રીએ તેમને પૂછ્યું હતું કે, તેઓ પોતાના શાંતિપૂર્ણ સ્વભાવ અને તેમની રમતમાં વેઇટ લિફ્ટિંગની શક્તિ વચ્ચે કઈ રીતે સંતુલન લાવી શકે છે. અચિંતાએ જણાવ્યું હતું કે, તેઓ નિયમિત ધોરણે યોગ કરે છે જેના કાણે તેમને માનસિક શાંતિ જાળવવામાં મદદ મળે છે. પ્રધાનમંત્રીએ તેમને તેમના પરિવાર વિશે પૂછ્યું, જેના જવાબમાં અચિંતાએ કહ્યું હતું કે, પરિવારમાં તેમની માતા અને મોટા ભાઇ છે જે તેમને દરેક ચડતી અને પડતીના સંજોગોમાં સાથ આપે છે. પ્રધાનમંત્રીએ એવું પણ પૂછ્યું હતું કે, રમતના કારણે થતી ઇજાઓની સમસ્યાઓનો તેઓ કેવી રીતે સામનો કરે છે. અચિંતાએ જવાબ આપ્યો હતો કે, ઇજાઓ રમતનો એક ભાગ છે અને તે તેમની ખૂબ કાળજીથી સંભાળ રાખે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ જેના કારણે ઇજા થઇ હતી તેવી પોતાની ભૂલોનું વિશ્લેષણ કરે છે અને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન થાય તેની ખાતરી કરે છે. પ્રધાનમંત્રીએ તેમના પ્રયાસો બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના પરિવારની, જેમાં ખાસ કરીને તેમની માતા અને ભાઇની પણ પ્રશંસામાં કહ્યું હતું કે, તેઓ અચિંતાની તમામ જરૂરિયાતો પૂરી થઇ શકે તેની ખાતરી કરે છે જેના કારણે તેઓ આજે તેઓ મુકામ પર પહોંચી શક્યા છે.

પ્રધાનમંત્રીએ કેરળની બેડમિંટનની ખેલાડી સુશ્રી ટેરેસા જોલી સાથે પણ સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ તેમને પૂછ્યું હતું કે, તેઓ કન્નુરના છે અને તો ફૂટબોલ તેમજ ખેતી માટે લોકપ્રિય છે તો પછી તેમણે બેડમિંટન કેવી રીતે પસંદ કર્યું. ટેરેસાએ જવાબમાં કહ્યું હતું કે, તેમના પિતાએ તેમને રમત માટે પ્રેરણા આપી હતી. પ્રધાનમંત્રીએ ગાયત્રી ગોપીચંદ સાથેની તેમની મિત્રતા અને મેદાન પરની તેમની પાર્ટનરશીપ વિશે પૂછપરછ કરી હતી. તેમણે માહિતી આપી હતી કે, તેમના ફિલ્ડ પાર્ટનર સાથે સારી મિત્રતા તેમને રમતમાં મદદ કરે છે. પ્રધાનમંત્રીએ પાછા ફરતી વખતે ઉજવણીની યોજનાઓ વિશે પણ તેમને પૂછ્યું હતું.

પ્રધાનમંત્રીએ ઝારખંડની હોકીની ખેલાડી સુશ્રી સલિમા ટેટે સાથે વાતચીત કરી હતી. હોકીના ક્ષેત્રમાં તેમની અને તેમના પિતાની સફર વિશે પ્રધાનમંત્રી પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તે તેમના પિતાને હોકી રમતા જોઇને રમતમાં આગળ વધવાની તેમને પ્રેરણા મળી હતી. પ્રધાનમંત્રીએ ટોક્યો ઓલિમ્પિક્સમાં રમવાનો તેમનો અનુભવ શેર કરવા કહ્યું હતું. સલિમાએ જણાવ્યું હતું કે, ટોક્યો જતા પહેલાં પ્રધાનમંત્રી સાથે થયેલા સંવાદથી તેમને ખૂબ પ્રેરણા મળી હતી.

શોટપૂટમાં હરિયાણાની પેરાએથલિટ શર્મિલા સાથે પ્રધાનમંત્રીએ વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ તેમને 34 વર્ષની ઉંમરે કારકિર્દીની શરૂઆત કરવા માટે તેમને કેવી રીતે પ્રેરણા મળી અને માત્ર બે વર્ષના સમયમાં તેઓ કેવી રીતે ગોલ્ડ મેડલ સુધી પહોંચ્યા તે અંગે જાણવા માટે પૂછપરછ કરી હતી. શર્મિલાએ જણાવ્યું હતું કે, તેમને બાળપણથી રમતગમતમાં ઘણો રસ હતો પરંતુ પરિવારની આર્થિક સ્થિતિને કારણે નાની ઉંમરમાં તેમનાં લગ્ન થઇ ગયા હતા અને પતિ દ્વારા કરવામાં આવતા અત્યાચારનો પણ સામનો કરવો પડ્યો હતો. તેમણે પોતાની બે પુત્રીઓને લઇને વર્ષ સુધી તેના માતાપિતાના ઘરે પાછા આવી જવું પડવું પડ્યું. તેમના સંબંધી ટેકચંદભાઇ, કે જેઓ ધ્વજરોહક હતા તેમણે, શર્મિલાને સહકાર આપ્યો હતો અને તેમને દિવસના આઠ કલાક સઘન તાલીમ આપી હતી. પ્રધાનમંત્રીએ તેમની પુત્રીઓ વિશે પૂછ્યું અને કહ્યું હતું કે તેઓ માત્ર તેમની પુત્રીઓ માટે નહીં પરંતુ આખા રાષ્ટ્ર માટે એક આદર્શ છે. શર્મિલાએ વધુમાં ઉમેર્યું હતું કે, તેમની પુત્રી રમતગમતમાં જોડાય અને દેશ માટે યોગદાન આપે તેવી તેમની ઇચ્છા છે. પ્રધાનમંત્રીએ તેમના કોચ ટેકચંદજી વિશે પણ પૂછપરછ કરી હતી જેઓ ભૂતપૂર્વ પેરાલિમ્પિયન રહી ચુક્યા છે. જવાબમાં શર્મિલાએ જણાવ્યું હતું કે, તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન ટેકચંદજી તેમના પ્રેરણાસ્રોત રહ્યા છે. તાલીમ પ્રત્યે શર્મિલાએ જે સમર્પણ ભાવના રાખી તેના પરિણામ સ્વરૂપે તેઓ રમતગમતની સ્પર્ધામાં ભાગ લઇ શકે છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, જે ઉંમરે તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી તે ઉંમરે અન્ય લોકોએ હાર માની લીધી હોત અને પછી તેમની સફળતા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને કોમનવેલ્થ ગેમ્સમાં સફળતા મેળવવા માટે પણ તેમને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ શ્રી ડેવિડ બેકહામ સાથે પણ સંવાદ કર્યો હતો, જેઓ આંદામન અને નિકોબારના સાઇકલિસ્ટ છે. પ્રધાનમંત્રીએ પૂછ્યું કે શું તેમનું નામ એક મહાન ફૂટબોલરના જેવું હોવાથી તેમને ફૂટબોલ પ્રત્યે શોખ છે? તેમણે કહ્યું હતું કે, તેમને ફૂટબોલ પ્રત્યે શોખ હતો પરંતુ આંદામાનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમસ્યાના કારણે તેઓ રમતમાં આગળ વધી શકતા નહોતા. પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું કે, આટલા લાંબા સમય સુધી રમતને આગળ વધારવા માટે તેઓ કેવી રીતે પ્રેરિત રહ્યા. તેમણે જવાબ આપ્યો હતો કે, તેની આસપાસના લોકોએ તેમને ખૂબ પ્રેરણા આપી હતી. પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું કે, ખેલો ઇન્ડિયાથી તેમને કેવી રીતે મદદ મળી શકી હતી. તેમણે કહ્યું હતું કે, તેમની સફરની શરૂઆત ખેલો ઇન્ડિયાથી થઇ હતી અને પ્રધાનમંત્રીએ મન કી બાતમાં તેમના વિશે ઉલ્લેખ કર્યો તેમનાથી તેમને ખૂબ પ્રેરણા મળી હતી. પ્રધાનમંત્રીએ સુનામીમાં તેમના પિતાની ચિરવિદાય અને પછી તરત તેમની માતાના અવસાનના આઘાત પછી પણ મનોમન પ્રેરિત રહેવા બદલ તેમની પ્રશંસા કરી હતી.

ખેલાડીઓ સાથે સંવાદ થયા પછી રમતવીરોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ ખેલાડીઓને રૂબરૂ મળવા માગતા હતા પરંતુ સંસદની બાબતોમાં તેઓ ઘણા વ્યસ્ત હોવાથી રૂબરૂ મુલાકાત શક્ય નહોતી. તેમણે સૌને વચન આપ્યું હતું કે, તેઓ જ્યારે સ્પર્ધામાંથી પાછા આવશે ત્યારે તેમની સાથે મુલાકાત કરશે અને જેથી સાથે મળીને તેમની જીતની ઉજવણી થઇ શકે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એક રીતે જોવામાં આવે તો વર્તમાન સમયગાળો ભારતીય રમતગમતના ઇતિહાસનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. આજે ખેલાડીઓનો જુસ્સો પણ ઊંચો છે, તાલીમ પણ વધુ સારી થઇ રહી છે અને દેશમાં રમત પ્રત્યેનો માહોલ પણ જબરદસ્ત છે. તેમણે કહ્યું હતું કે, તમે સૌ નવાં શિખરો પર ચઢાણ કરી રહ્યા છો, નવાં શિખરો સર કરી રહ્યા છો.

જેઓ પહેલી વખત આટલા મોટા આંતરરાષ્ટ્રીય મેદાનમાં પ્રવેશી રહ્યા છે તેમને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તમારા માટે માત્ર મેદાન બદલાયું છે પરંતુ સફળતા માટે જુસ્સા અને જીદ બદલાયા નથી. તેમણે કહ્યું હતું કે, “તિરંગાને ઊંચો લહેરાતો જોવાનું, રાષ્ટ્રગાન વાગતું હોય તે સાંભળવાનું લક્ષ્ય છે. તેથી મન પર દબાણ લેશો, સારી અને મજબૂત રમતથી પ્રભાવ પાડો.”

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, દેશ પોતાની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે તેવા સમયે એથલેટ્સ એવા સમયે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા જઇ રહ્યા છે જેઓ પોતાનું શ્રેષ્ઠ પરફોર્મન્સ બતાવશે અને દેશ માટે તે ખૂબ સારી ભેટ હશે. હરીફ કોણ છે તે મહત્વનું નથી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તમામ એથ્લેટ્સે સારી અને વિશ્વની શ્રેષ્ઠ સુવિધાઓમાં તાલીમ લીધી છે અને તેમને તાલીમને યાદ રાખવા અને ઇચ્છા શક્તિ પર વિશ્વાસ રાખવા માટે  અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રમતવીરોએ અત્યાર સુધી જે સિદ્ધિઓ મેળવી તે બેશકપણે પ્રેરણાદાયક છે. પરંતુ હવે તેમણે નવા વિક્રમો સ્થાપિત કરવાની દિશામાં અને દેશ તેમજ દેશવાસીઓને પોતાના તરફથી શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે નવેસરથી ધ્યાન આપવું પડશે.

પ્રધાનમંત્રી સાથે યોજવામાં આવેલો સંવાદ રમતવીરોને રમતગમતની મોટી ઇવેન્ટ્સમાં ભાગ લેતા પહેલાં તેમને પ્રોત્સાહિત કરવાના પ્રધાનમંત્રીના અવિરત પ્રયાસનો એક ભાગ છે. ગયા વર્ષે, પ્રધાનમંત્રીએ ટોક્યો 2020 ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટે જઇ રહેલી ભારતીય એથલેટ્સની ટૂકડી અને ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં જઇ રહેલી ભારતીય પેરા-એથ્લેટ્સની ટૂકડી સાથે પણ સંવાદ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ રમતગમતના કાર્યક્રમો દરમિયાન પણ એથલેટ્સની પ્રગતિમાં ઊંડો રસ લીધો હતો. ઘણા પ્રસંગોએ, તેમણે વ્યક્તિગત રીતે એથલેટ્સને તેમની સફળતા અને નિષ્ઠાવાન પ્રયાસો બદલ અભિનંદન પાઠવવા માટે ફોન કર્યો, અને તેમને વધુ સારું પરફોર્મન્સ આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત, તેઓ સ્વદેશ પરત ફર્યા તે પછી, પ્રધાનમંત્રીએ ટૂકડી સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે સંવાદ પણ કર્યો હતો.

બર્મિંગહામમાં આગામી 28 જુલાઇથી 08 ઑગસ્ટ 2022 સુધી CWG 2022નું આયોજન થવાનું છે. રમતગમતની 19 શાખાઓમાં કુલ 215 એથ્લેટ્સ, 141 ઇવેન્ટ્સમાં ભાગ લઇને, CWG 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]